Wednesday, March 21, 2018

લોકગીતોનું ‘પાણી’

દિવ્યેશ વ્યાસ


વિશ્વ કવિતા દિવસે આપણાં લોકગીતો કેમ ભૂલી શકાય? આપણાં લોકગીતોમાં પાણીના અનેક રંગો જોવા મળે છે




કવિતા એટલે હૃદયમાંથી પ્રગટતાં ભાવપુષ્પોનો ગુલદસ્તો, કવિતા એટલે સંવેદનાઓના શ્રાવણનાં સરવડાં, કવિતા એટલે શબ્દોની મંત્રદીક્ષા, કવિતા એટલે દિલોમંથનમાંથી પ્રાપ્ત થયેલા અમૃતની લહાણી, કવિતા એટલે અંતરમનમાં પડઘાતા અધ્યાત્મનો ઓચ્છવ...  આજે વિશ્વ કવિતા દિવસ છે ત્યારે કવિતાની આપણા અંગત અને સમાજજીવનમાં કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, તે વિચારવા જેવું છે.

વિશ્વ કવિતા દિવસ નિમિત્તે આજે કાવ્યવિશ્વમાં હાંસિયા પર ધકેલાઈ ગયેલાં લોકગીતોની વાત માંડવાની લાલચ રોકી શકાતી નથી. એક કવિતા કોઈ વ્યક્તિની અંગત લાગણીનો પડઘો પાડી શકે, પરંતુ લોકકાવ્ય, એક લોકગીત સમગ્ર સમાજ અને સંસ્કૃતિની સંવેદનાઓ વ્યક્ત કરતું હોય છે. લોકગીતમાં સ્વની નહીં, સર્વની વાત સમાવિષ્ય હોય છે. ગુજરાતી ભાષા એટલી સદ્્નસીબ છે કે તેને ઝવેરચંદ મેઘાણી જેવા સંવેદનશીલ અને એટલા જ સમર્થ સર્જક કમ સંપાદક મળ્યા, જેમણે આપણી ભાષાનાં લોકગીતો અને લોકસાહિત્યના સંચય અને સંશોધનનું યુગકાર્ય કરીને આપણને સમૃદ્ધ વારસો ઉપલબ્ધ કરાવ્યો છે. લોકસાહિત્ય લોકોની લાગણીનું પ્રતિબિંબ રજૂ કરતું હોય છે.

આજે વિશ્વ કાવ્ય દિવસ છે અને કાલે (22 માર્ચ) વિશ્વ જળ દિવસ છે ત્યારે આપણાં લોકસાહિત્યમાં પંચમહાભૂતોમાંના એક એવા પાણીને કેવી રીતે સાંકળી લેવામાં આવ્યું છે, તે જોવું રસપ્રદ રહેશે. પાણી. ગુજરાતી જ નહીં, બલકે વિશ્વની કોઈ પણ ભાષાનો આ મહાશબ્દ છે. મોટા ભાગના ગુજરાતે છેલ્લા બે દાયકાના અપવાદ બાદ કરતાં સતત જળઅછત ભોગવી છે અને એટલે જ આપણને પાણીનું મહત્ત્વ સારી રીતે સમજાય છે. ગુજરાતી ભાષામાં પાણી શબ્દનો નેત-નાતો ખૂબ જ રસપ્રદ રહ્યો છે. ગુજરાતી ભાષાએ ‘પાણી’ શબ્દને બહુ લાડ લડાવેલા છે. પાણીના સમાનાર્થી શબ્દોનો તો કોઈ પાર નથી. ‘પાણી’ શબ્દ આપણી રોજિંદી જિંદગીમાં તેમજ આપણા લોકજીવનમાં કેટલાં માન-પાન અને મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તે સાબિત કરવું હોય તો એક જ માહિતી કાફી છે: ‘ભગવદ્્ગોમંડળ’ અનુસાર ગુજરાતી ભાષામાં ‘પાણી’ શબ્દને લઈને અધધ 164 રૂઢિપ્રયોગો પ્રચલિત છે!

આપણાં લોકગીતો ખરા અર્થમાં ‘પાણીદાર’ છે. આપણાં લોકગીતોમાં પાણીના અનેક રંગો જોવા મળે છે. વઢવાણના ઉમદા રાજનેતા અરવિંદભાઈ આચાર્ય ગુજરાતની જળ સમસ્યા અને જળવ્યવસ્થાના ઊંડા અભ્યાસી હતા. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય જેવાં પદો શોભાવનારા સ્વ. અરવિંદભાઈએ પાણીને કેન્દ્રમાં રાખીને ચાર અભ્યાસપૂર્ણ પુસ્તકો લખ્યાં હતાં, ‘ટીપે ટીપે સરોવર...’, ‘ઝાલાવાડની જળ સમસ્યા’, ‘સૌરાષ્ટ્રની જળ સમસ્યા’ અને ‘પાણી માટે મહિલાઓનો પુરુષાર્થ’. લોકસાહિત્યના ચાહક એવા અરવિંદભાઈએ આ પુસ્તકોમાં નક્કર આંકડાઓની સાથે સાથે લોકગીતો થકી લોકસંવેદનાની વાત પણ સમાવી હતી. પાણીની સમસ્યા સૌથી વધુ મહિલાઓને પજવતી હોય છે અને લોકગીતોમાં મહિલાઓની આ લાગણી રજૂ થયેલી જોવા મળે છે. એક પુસ્તકમાં અરવિંદભાઈએ લોકકથામાં અમર થઈ ગયેલા આણલ દેનો એક પ્રસંગ અને દોહરો ટાંક્યો છે, જેમાં આણલદે બેડું લઈને પાણી ભરવા જાય છે અને એમાં જ સાંજ પડી જાય છે, તેની વાત છે:
સિંચણ ચાલીસ હાથ, પાણીમાં પૂગ્યું નહીં,
વાલ્યમ જોતા વાટ, દી’ આથમાવ્યો દેવરા

‘દાદા હો દીકરી...’ જાણીતું લોકગીત છે, જેમાં જળઅછત ધરાવતા વિસ્તારમાં મહિલાઓને કેટલી મુશ્કેલી ભોગવવી પડે છે, તેનું હૃદયદ્રાવક વર્ણન છે:
દાદા હો દીકરી, વઢિયારમાં નોં દેશો જો,
વઢિયારી સાસુડી રે દાદા દોહ્યલી રે, દાદા હો...
દિયે દળાવે, માડી રાતડીએ કંતાવે જો,
પાછલી તે પરોઢના પાણી મોકલે રે... દાદા
ઓશિકે ઇંઢોણી, વહુ પાંગતે સીંચણિયું જો,
સામે તે ઓસરિયે વહુ તારું બેસણું રે... દાદા
ઘડો ન ડૂબે મારું સીંચણિયું નવ પૂગે જો,
ઊગીને આથમિયો કૂવા કાંઠે રે... દાદા
ઊડતાં પંખીડાં મારો સંદેશો લઈ જાજો જો,
દાદાને કે’જો રે કે દીકરી કૂવે પડી રે... દાદા

પાણીની અછત વચ્ચે મેહુલિયાને વરસવાની વિનંતી કરતું પણ એક લોકગીત અરવિંદભાઈએ સમાવ્યું છે:
‘તું તો વરસીને ભર રે તળાવ  - મેહુલિયા
તારી કીડી મકોડી તરસે મરે,
તારી ગાયોના ગોવાળ તરસે મરે, તું તો વરસીને...’

એક સમયે અમરેલી પંથકના મોલડી ગામ માટે કહેવાતું છે કે ત્યાં ખાવા ધાન મળી જાય, પણ પીવા પાણી મળવું મુશ્કેલ છે. આ અંગેનો દુહો છે:
મોલડીએ મે’માન અસૂરો આવીશ મા,
ધરાઈને ખાજે ધાન, પાણી માગીશ મા પાવળું

લોકગીતોમાં પાણી પ્રત્યેનો સ્નેહ અને તેની અછતની સમસ્યા, બન્નેનું નિરૂપણ ખૂબ જ સચોટ રીતે થયેલું જોવા મળે છે. લેખના અંતે એક જાણીતા લોકગીતની પંક્તિઓ માણીએ:
આજ રે સપનામાં મેંતો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિયું રે, સાહેલી મારા સપનામાં રે.

આપણા રાજ્યમાં નદીઓના નામે રાજકારણ રમાતું બંધ થાય અને તમામ નદીઓ ખળખળતી વહેતી રહે, એ શું સપનામાં જ રહેશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 21મી માર્ચ, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કટાર)

No comments:

Post a Comment