Wednesday, December 21, 2016

ટ્યૂનિશિયાના ક્રાંતિ+શાંતિકારી

દિવ્યેશ વ્યાસ


ટ્યૂનિશિયામાં ક્રાંતિ પછી શાંતિ અને સ્થિરતા લાવવા માટે રાશીદ ઘન્નુશીએ રાજકીય સ્તરે ગાંધીમાર્ગ અપનાવ્યો છે


(તસવીરો ગૂગલ પરથી મેળવેલી છે)

ડિસેમ્બર-2010માં ટ્યૂનિશિયામાં ક્રાંતિનો તણખો પ્રગટ્યો હતો અને ધીમે ધીમે આરબ વિશ્વમાં ક્રાંતિની જ્વાળાઓ પ્રજ્જ્વલિત થઈ હતી. એ જ્વાળાઓએ દાયકાઓથી એકહથ્થુ શાસન કરનારા સત્તાધીશોની રાજગાદીઓને આગ ચાંપી દીધી હતી અને તેમના રાજને ભસ્મીભૂત કરી દીધું હતું. અરબ વસંત તરીકે જાણીતી બનેલી એ ક્રાંતિની શરૂઆત ટ્યૂનિશિયાથી થઈ હતી, તેમ ક્રાંતિ પછી દેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવામાં પણ ટ્યૂનિશિયા અન્ય દેશો કરતાં અગ્રણી રહ્યું છે. ટ્યૂનિશિયાએ આજે પોતાનું બંધારણ રચી દીધું છે અને લોકશાહી સરકાર ચૂંટાઈને સારી રીતે શાસન ચલાવી રહી છે. ટ્યૂનિશિયામાં વહેલી શાંતિ અને રાજકીય સ્થિરતા સ્થપાવા પાછળ એક રાજનેતાની બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે, એ રાજનેતાનું નામ છે - રાશીદ ઘન્નુશી. રાશીદ ઘન્નુશીની રાજકીય સૂઝ, સમજદારી, સમતા, સહિષ્ણુતા, સમાદરની ભાવના તથા સર્વસમાવેશક અભિગમને કારણે ટ્યૂનિશિયા ઘણી આસાનીથી એક નવા રાષ્ટ્ર તરીકે ઉદયમાન થઈ શક્યું છે. રાશીદ ઘન્નુશીના રાજકીય અભિગમ અને વ્યવહારમાં ગાંધીમૂલ્યો ઝળક્યા કરે છે અને એટલે જ તેમને ટ્યૂનિશિયાના નેલ્શન મંડેલા પણ કહેવામાં આવે છે.

નોટબંધીના કકળાટને કારણે અનેક સારા સમાચારો આપણા ધ્યાન બહાર ગયા, એમાંના એક સમાચાર એ પણ હતા કે રાજકીય ક્ષેત્રમાં ગાંધીમાર્ગ અપનાવનારા રાશિદ ઘન્નુશીને ગયા નવેમ્બર મહિનામાં જ ભારત બહાર ગાંધીમૂલ્યોને પ્રોત્સાહન આપનારાઓને અપાતો પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો હતો.


રાશિદ ઘન્નુશીની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેઓ ઇસ્લામિક મૂલ્યોમાં જબરી શ્રદ્ધા ધરાવવાની સાથે સાથે એવો વિશ્વાસ પણ ધરાવે છે કે ઇસ્લામ અને લોકતાંત્રિક વ્યવસ્થા બહુ સારી રીતે એક સાથે ચાલી શકે છે. તેઓ ઇસ્લામના કટ્ટરતા કરતાં સર્વસમાવેશક પાસાંની વધારે હિમાયત કરે છે અને તેમના આ ઉદારવાદી દૃષ્ટિકોણનો લાભ સમગ્ર ટ્યૂનિશિયાને મળ્યો છે. ઘન્નુશીનો સુધારાવાદી એન્નાહદાહ પક્ષ ટ્યૂનિશિયામાં રાજકીય વર્ચસ્વ ધરાવે છે અને તેઓ ધારે તો આસાનીથી રાષ્ટ્રપ્રમુખ થઈ શકે એમ છે, પરંતુ તેમને સત્તા કરતાં દેશસેવામાં વધારે રસ છે. તેમણે જાહેર કરેલું છે કે તેમને રાષ્ટ્રપ્રમુખ સહિતના કોઈ રાજકીય પદમાં રસ નથી અને એટલે જ તેઓ દેશના રાષ્ટ્રપ્રમુખ કરતાં પણ વધારે લોકચાહના, સ્વીકાર્યતા અને સન્માન ધરાવે છે.

રાશિદ ઘન્નુશી વિદ્વાન છે અને ઇસ્લામના ઊંડા મર્મી છે. વળી, મુસ્લિમ બ્રધરહુડ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ અંગેનાં તેમનાં નિવેદનો જોઈને તમને તેઓ કટ્ટરવાદી નેતા પણ લાગી શકે, પરંતુ ટ્યૂનિશિયામાં તેમણે સેક્યુલર અભિગમ અપનાવ્યો છે અને સેક્યુલર પક્ષો, ડાબેરી પક્ષોને પણ સાથે લઈને ચાલી શક્યા છે. ટ્યૂનિશિયાના બંધારણમાં શરિયતની મોટા ભાગની બાબતોને આવરી લેવામાં આવી છે, છતાં પણ બંધારણને ઉદારમતવાદી અને સેક્યુલર બનાવી શકાયું છે. આવું કરવામાં કટ્ટરવાદી અગ્રણીઓનો ઉગ્ર વિરોધ પણ સહેવો પડી રહ્યો છે, છતાં ઘન્નુશી જેવા નેતૃત્વને કારણે સમતોલ અભિગમ લઈ શકાયો અને જાળવી શકાયો છે.

રાશિદ ઘન્નુશીની રાજનીતિનું સૌથી આકર્ષક પાસું રાજકારણમાં મહિલાઓની સહભાગિતા માટેની તેમની પ્રતિબદ્ધતા છે. તેમના પક્ષના ચૂંટાયેલા નેતાઓમાં મહિલાઓનું ઘણું ઊંચું પ્રમાણ છે. તેમની પહેલની સીધી અસર સમગ્ર રાષ્ટ્ર પર જોવા મળે છે. 2011ની ક્રાંતિ પછી દેશની બંધારણ સભાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મહિલા સભ્યો ચૂંટાઈને આવ્યાં હતાં. ઘન્નુશીના પક્ષ એન્નાહદાહની જ વાત કરીએ તો તેના 89 ચૂંટાયેલા સભ્યોમાંથી 42 મહિલા સભ્યો હતાં, જે પ્રમાણ ઘણું મોટું કહી શકાય. કોઈ મુસ્લિમબહુલ દેશમાં ટ્યૂનિશિયા આ બાબતે સૌથી અલગ તરી આવે છે. આ બાબત પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે.

આરબ ક્રાંતિ અગાઉનાં ઘણાં વર્ષો પહેલાંથી રાશિદ ઘન્નુશી દેશના રાજકારણમાં પરિવર્તન કરવા માટે સંઘર્ષરત હતા. દેશમાં એક પક્ષનું જ વર્ચસ્વ હતું ત્યારે એ રાજકીય માળખા સામે બળવો પોકારીને તેમણે બહુપક્ષીય લોકશાહીની હિમાયત કરી હતી. આ માટે તેમને ઘણાં વર્ષો જેલમાં પણ વિતાવવા પડ્યાં છે અને છેલ્લે તો તેમને દેશવટો જ આપી દેવામાં આવ્યો હતો.  ટ્યૂનિશિયામાં ક્રાંતિ થઈ અને બેન અલીના શાસનનો અંત આવ્યો પછી જ તેઓ સ્વદેશ પરત ફરી શક્યા હતા.

ક્રાંતિ પછી રાષ્ટ્રીય બંધારણ સભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ઘન્નુશીના એન્નાહદાહ પક્ષને બહુમતી પ્રાપ્ત થઈ હતી, છતાં ઘન્નુશીએ અન્ય પક્ષોને હંમેશાં પોતાની સાથે રાખ્યા અને નવા દેશના બંધારણમાં સૌનાં સૂચનો અને ભલામણોને આવકારીને સર્વસંમતિથી જ આગળ વધવાનો અભિગમ અપનાવ્યો હતો. વળી, તેમણે બેન અલીના શાસનમાં મોટા હોદ્દા ધરાવનારા લોકોને પણ આ પ્રક્રિયામાં સામેલ કર્યા હતા, આને કારણે પણ તેમને નેલ્સન મંડેલા સાથે સરખાવાય છે. બંધારણના ઘડતર પછી જ્યારે ચૂંટણી કરવાની વાત આવી ત્યારે નિષ્પક્ષ ચૂંટણીઓ થાય એ માટે તેમણે પોતાના પક્ષની સરકારને રાજીનામું અપાવીને તટસ્થ વહીવટીતંત્રની દેખરેખમાં ચૂંટણીઓ કરાવીને પણ લોકશાહી મૂલ્યો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુરવાર કરી હતી.

આજે જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બહુમતીવાદ વધી અને વકરી રહ્યો છે, ત્યારે ઘન્નુશીએ ટ્યૂનિશિયામાં બહુમતીવાદ ન વ્યાપે એની કાળજી લીધી છે. ઘન્નુશી જેવા સર્વસમાવેશક નેતા જ દેશને લાંબા ગાળાની સ્થિરતા અપાવી શકે. રાશિદ ઘન્નુશી જેવા નેતાઓની દરેક દેશને જરૂર હોય છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 21મી ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, December 14, 2016

રોહિંગ્યાનું ‘અરણ્ય’ રુદન

દિવ્યેશ વ્યાસ


ટ્રમ્પના જમાનામાં મ્યાનમારના લઘુમતી સમુદાય રોહિંગ્યા પર થઈ રહેલા સીતમની ભાગ્યે જ કોઈ નોંધ લે છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

કોઈ તમને પૂછે કે તમને યુદ્ધ ગમે કે શાંતિ? મોટાભાગના લોકોનો રોકડો જવાબ હશે - શાંતિ. આપણે શાંતિ ઇચ્છીએ છીએ, એની ના નહીં, પરંતુ આપણી ચર્ચા-વિચારણામાં તો યુદ્ધની જ બોલબાલા હોય છે. આ વાત સાચી લાગતી ન હોય તો જરા વિચાર કરજો કે તમે આતંકવાદ, સરહદ પરની તડાફડી બાબતે જેટલી ચર્ચા કે ચિંતા કરતા હશો, એટલી ચિંતા કે ચર્ચા શાંતિપૂર્ણ અને સુખચેનની જિંદગી માટે વલખાં મારતાં લોકો માટે કરો છો? શાંતિ અને ભાઈચારાની વાતો હવે જાણે આદર્શ બનીને રહી ગઈ છે ત્યારે દુનિયામાં આતંકવાદ જેટલી જ વિકરાળ સમસ્યા વિસ્થાપનની પેદા થઈ છે. લાખો લોકો ઘરબાર છોડી હિજરત કરવા લાચાર બન્યા છે, પણ આ અંગે બહુ ઓછા સમાચાર કે લેખો લખાય-છપાય છે.

આજના સમયમાં મુખ્ય ચાર કારણોથી લોકો વિસ્થાપન કરવા મજબૂર બને છે: એક, યુદ્ધ અને સરહદ પરની તંગદિલી. બીજું, આતંકવાદ, ત્રીજું, કોમી-વંશીય રમખાણો અને ચોથું, આર્થિક પ્રકલ્પો. વિવિધ કારણોથી થતાં વિસ્થાપનોમાં એક નોંધપાત્ર સામ્યતા એ છે કે ગરીબ, વંચિત, દલિત અને આદિવાસી સમુદાયો જ તેના સૌથી વધારે ભોગ બને છે. આ લોકો પહેલેથી હાંસિયામાં ધકેલાયેલા છે અને કદાચ એટલે જ મુખ્યધારાની ચિંતાઓમાં તેમનાં દુ:ખ-દર્દ ભાગ્યે જ પડઘાય છે. વિસ્થાપિતો માટે આપણા સમાજમાં પહેલેથી જ ઓછી સંવેદના જોવા મળે છે અને એટલે જ મુદ્દો કાશ્મીરી પંડિતોનો હોય, 2002ના કે મુઝ્ઝફરનગરના રમખાણગ્રસ્તોનો હોય કે બાંગ્લાદેશના શરણાર્થીઓનો હોય કે પછી ઇરાક-સીરિયાના હિજરતીઓનો હોય... યાદી લાંબી થઈ શકે, પણ મુખ્ય મુદ્દો એ છે કે આ વિસ્થાપિતોના પુન:સ્થાપન માટે, તેમની જિંદગીનાં બરબાદ થયેલાં નહીં તોય બાકી બચેલાં વર્ષોમાં ખુશહાલી લાવવા માટે, તેમનાં સંતાનોના શિક્ષણ અને વિકાસ માટે આપણો સમાજ કે સરકાર બહુ દરકાર લેતો નથી. માનવ અધિકારવાળાઓ ‘બખાળો’ કરે કે પછી ચૂંટણીમાં લાભ લેવા માટે થોડુંઘણું વળતર જાહેર કરી દેવાય છે, પણ લાંબા ગાળાની ન્યાયી અને નક્કર યોજનાઓ તૈયાર કરીને તેનો ચુસ્ત અમલ ભાગ્યે જ થતો જોવા મળ્યો છે. લેખમાં આગળ જોઈ એ વિસ્થાપિત સમુદાયની યાદીમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વધુ એક સમુદાયનું નામ જોડાયું છે - મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો.

આપણે એવી સૂફિયાણી વાતો સાંભળેલી છે કે દુનિયાએ યુદ્ધ કે બુદ્ધમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે, વાત બિલકુલ સાચી છે, પરંતુ એક વરવી વાસ્તવિકતા એ છે કે બુદ્ધને પૂજતા લોકોની બહુમતી ધરાવતા મ્યાનમારમાં જ લઘુમતી સમુદાય રોહિંગ્યા સાથે એવા અન્યાય અને અત્યાચાર થાય છે કે સંયુક્ત રાષ્ટ્રના મતે રોહિંગ્યા સૌથી વધારે પીડિત-પ્રતાડિત વિસ્થાપિત સમુદાય બની ગયો છે. વિશ્વના દર 7 વિસ્થાપિતોમાંથી એક વિસ્થાપિત રોહિંગ્યા સમુદાયનો હોય છે.

મ્યાનમારમાં રખાઇન વિસ્તારમાં વસતા રોહિંગ્યા સમુદાયની હિજરત 1970ના દાયકાથી જારી છે, પરંતુ વર્ષ 2012માં કોમી રમખાણો પછી લોકો મોટી સંખ્યામાં મ્યાનમાર છોડવા મજબૂર બન્યા છે. હમણાં ઑક્ટોબરમાં મૌંગડોવ સરહદે 9 સુરક્ષા કર્મચારીઓની હત્યા થઈ હતી. રોહિંગ્યા સમુદાયના લોકોએ જ હત્યા કરી હોવાનો આરોપ લગાવીને લશ્કરે મોટા પાયે ઑપરેશન શરૂ કર્યું છે, જેમાં કહેવાય છે કે રોહિંગ્યા સમુદાયના 100થી વધારે લોકોની કત્લેઆમ કરી દેવાઈ છે. નરસંહાર ઉપરાંત રોહિગ્યા સ્ત્રીઓ પર સામૂહિક બળાત્કાર સહિતના અમાનુષી અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. સેટેલાઇટ તસવીરો થકી જાણવા મળ્યું છે કે છેલ્લાં 6 સપ્તાહમાં રોહિંગ્યાનાં 1200 જેટલાં ઘરોને નષ્ટ કરી દેવાયાં છે. હજારો રોહિંગ્યા પોતાના દેશમાં જ વિસ્થાપિત બની ગયા છે.

ઐતિહાસિક કારણો અને ધાર્મિક કટ્ટરતાને કારણે મ્યાનમારના બહુમતી બૌદ્ધ લોકો લઘુમતી રોહિંગ્યાઓને ધિક્કારે છે, તેમને વિદેશથી અહીં આવી વસેલા જ ગણે છે. સદીઓથી વસતા આ સમુદાયના લોકોને આજે પણ વિદેશી જ ગણવામાં આવે છે. હદ તો એ છે કે મ્યાનમારમાં સૈન્ય સરકારના કાર્યકાળમાં ઈ.સ. 1982માં રોહિંગ્યાઓનું નાગરિકત્વ જ છીનવી લેવાયું હતું અને ત્યાર પછી તેમના જમીન-મકાનની માલિકી જેવા અધિકારો પણ છીનવી લેવાયા હતા. રોહિંગ્યા સમુદાય પર છાશવારે સાચા ખોટા આળ મૂકીને તેમને એ હદે રંજાડવામાં આવી રહ્યા છે કે તેઓ દેશ છોડીને ચાલ્યા જાય. મ્યાનમારના અધિકારીઓ આંતરરાષ્ટ્રીય મંચ પર એવાં નિવેદનો કરે છે કે રોહિંગ્યાની સમસ્યાનો એક જ ઇલાજ છે કે તેઓ મ્યાનમાર છોડીને ચાલી જાય! આજે લાખો રોહિંગ્યાઓએ બાંગ્લાદેશ, મલેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને ભારત જેવા દેશોમાં શરણ લીધું છે. આજે કોઈ દેશ આટલા બધા લોકોને શરણ આપવા સક્ષમ ન હોય, એ સમજાય એવી વાત છે.

દુનિયાના લોકશાહી દેશોમાં પણ બહુમતીવાદ માઝા મૂકી રહ્યો છે, ભારતમાં જમણેરી વિચારધારાનું સત્તારોહણ અને યુરોપમાં બ્રેક્ઝિટ પછી આનું તાજું અને તોરીલું ઉદાહરણ અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પના વિજયથી મળ્યું છે. લઘુમતી સમુદાય અને એ પણ જો અન્ય ધર્મનો હોય તો તેની સમસ્યાઓ કે તેમના પરના સિતમો પર દુર્લક્ષ્ય સેવવું જાણે સામાન્ય થતું જાય છે, જેનું સૌથી વરવું ઉદાહરણ મ્યાનમારે પૂરું પાડ્યું છે. આજના માહોલમાં રોહિંગ્યા સમુદાયના લોકોનો વિલાપ અરણ્ય રુદન સાબિત થઈ રહ્યો છે.
મ્યાનમારમાં તાજેતરનાં વર્ષોમાં જ અઢી દાયકા પછી ચૂંટાયેલી સરકાર સત્તામાં આવી છે. શાંતિનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને ગાંધીથી પ્રભાવિત મનાતાં આંગ સાન સૂ કીનો પક્ષ જ સત્તા પર છે, છતાં એક લઘુમતી સમુદાયે આ હદે સહન કરવું પડે છે, એ આઘાતજનક છે.

સૂ કી વ્યક્તિગત રીતે રોહિંગ્યા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય તોપણ તેમની મુશ્કેલી એ છે કે દેશની સુરક્ષા અને સરહદી સમસ્યાનો હવાલો આજે પણ સૈન્યના હાથમાં છે. સૈન્યને બહુમતી જનતાનું પીઠબળ મળેલું છે ત્યારે સૂ કી પણ કંઈ ખાસ કરી શકવા સક્ષમ હોય એવું લાગતું નથી. જોકે, સંયુક્ત રાષ્ટ્રે સૂ કીને રખાઇન વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિને થાળે પાડવા માટે સલાહ આપી છે. સૂ કી બહુમતીવાદમાં તણાઈને પાક્કા રાજકારણી પુરવાર થશે કે સત્તામોહને ત્યાગીને લઘુમતી સમુદાયના માનવ અધિકારોનું રક્ષણ કરીને મહાન નેતા પુરવાર થશે, એ તો સમય જ જણાવશે.

(‘દિવ્ય ભાસ્કર’ની 14મી ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, December 7, 2016

લાઓ ત્સેનું લિબર્ટેરિયનિઝમ

દિવ્યેશ વ્યાસ


દુનિયાના સૌપ્રથમ લિબર્ટેરિયન (મુક્તિવાદી) ગણાતા લાઓ ત્સેની નેતા અને શાસન અંગેની વાતો મનનીય છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

‘છેલ્લી પાંચ મિનિટ્સમાં આરબીઆઈનો કોઈ નવો નિયમ તો નથી આવી ગયોને? હું જરા વૉશરૂમમાં ગયેલો.’ નોટબંધી અને પછી નિતનવા નિયમો અને રોજેરોજ બદલાતા નિર્ણયોને લીધે સોશિયલ મીડિયા પર આ પ્રકારના મજાકિયા સંદેશાઓની હવે નવાઈ રહી નથી. નોટબંધીને કારણે સર્જાયેલી મુશ્કેલીઓ હળવી થતી નથી ત્યારે સરકાર હવે કેશલેસ ઇકોનોમીની ‘કેક’ને આગળ ધરી રહી છે. કંઈક સારું થશે એવી આશામાં સામાન્ય લોકો કડક ચા પણ લિજ્જતથી પી રહ્યા છે, તો બીજી તરફ ટેકસાવી યુવાનો સોશિયલ મીડિયા પર રમૂજો કરી કરીને તંગદિલી હળવી કરવા મથી રહ્યા છે. કાળું નાણું અને ભ્રષ્ટાચાર દેશને ઊધઈની જેમ કોરી રહ્યાં છે. આ સમસ્યાઓની નાબૂદી માટે કડક હાથે કામ લેવું જરૂરી છે, પરંતુ કડક હાથનો ફટકો કરોડો નિર્દોષ નાગરિકોને તો ન વાગવો જોઈએને! શાસકોની નીતિ-રીતિ એવી હોવી જોઈએ કે લોકોની વ્યક્તિગત સ્વતંત્રતા (અહીં નાણાકીય સ્વતંત્રતા) જાણે બાનમાં લઈ લેવાઈ હોય, એવો માહોલ પેદા ન થાય.

શાસકોનો મિજાજ અને દેશનો માહોલ જોતાં ચીનના વિખ્યાત ફિલોસોફર અને ધર્મગુરુ લાઓ ત્સેનું સ્મરણ તાજું થઈ આવ્યું. લાઓ ત્સે આમ તો તાઓવાદ (કે ધર્મ)ના પ્રણેતા ગણાય છે, પરંતુ શાસન અને નેતૃત્વ અંગેના તેમના વિચારોને જોઈને મુક્તિવાદીઓ (લિબર્ટેરિયન્સ) તેમને પ્રાચીન મુક્તવાદી તરીકે જ મૂલવે છે. જમણેરી-મુક્તિવાદી અર્થશાસ્ત્રી મૂરે રોથબાર્ડના મતે તો લાઓ ત્સે દુનિયાના સૌ પ્રથમ લિબર્ટેરિયન્સ હતા.

લિબર્ટેરિયનિઝમનો અર્થ ગુજરાતીમાં મુક્તિવાદ, ઉદારવાદ કે સ્વેચ્છાચારવાદ પણ કરવામાં આવે છે. આ વાદ એવી વ્યવસ્થાની હિમાયત કરે છે, જેમાં દરેક પોતાની રીતે મુક્ત હોય અને નાગરિકો પર ઓછામાં ઓછાં બંધનો હોય. લોકશાહી સહિતની કોઈ પણ રાજ્યવ્યવસ્થામાં કાયદાનાં બંધનો જરૂરી છે, પરંતુ કાયદા એવા હોવા જોઈએ કે રોજિંદી જિંદગીમાં માનવીને તે બંધનરૂપ ન લાગે. વ્યવસ્થાના નામે જ્યારે બંધનોની એક પછી એક બેડીઓ વધતી જાય ત્યારે માનવી સ્વાભાવિક રીતે જ બળવાખોર બની જાય. લાઓ ત્સે માનવીના પૂર્ણ વિકાસ માટે તેની મુક્તતાના હિમાયતી હતા. આપણે ત્યાં વિનોબા ભાવેનું એક વાક્ય જાણીતું છે, ઓછામાં ઓછું શાસન કરે, એ સૌથી સારું શાસન. રોજિંદા જીવનમાં શાસનની દખલ શરૂ થઈ જાય ત્યારે એ લોકશાહી વ્યવસ્થા માટે લાલ બત્તી સમાન સંકેતો ગણાય. માણસ માટે વ્યવસ્થા છે, વ્યવસ્થા માટે માણસને સહન કરવું પડે, ભોગ આપવો પડે, એ સ્થિતિ આવકાર્ય ન હોઈ શકે. શાસકોએ એવી સ્થિતિને નિવારવી જ રહી.

‘હજારો માઇલ લાંબી સફર એક ડગલાથી જ શરૂ થતી હોય છે.’ જેવાં અનેક અણમોલ સુવાક્યો આપનારા લાઓ ત્સેના નેતાઓ માટેના માપદંડ અને માર્મિક શિખામણો પર નજર નાખવા જેવી છે. લાઓ ત્સેનું એક સુખ્યાત સુવાક્ય છે, ‘શ્રેષ્ઠ નેતા એ ગણાય, જેની ઉપસ્થિતિ ભાગ્યે જ વર્તાતી હોય. શ્રેષ્ઠ નેતા કોઈ કામને એવી રીતે નિપટાવતા હોય છે કે લોકોને તો એમ જ લાગે કે આ કામ તો તેમણે પોતાની મેળે જ કર્યું છે.’ લાઓ ત્સેએ શાસકોને બહુ માર્મિક સલાહ આપેલી, ‘મહાન રાષ્ટ્રનું શાસન ચલાવવું એ નાની માછલી રાંધવા જેવું છે, વધારે પડતો હસ્તક્ષેપ કરશો તો બધું બગડશે.’ લાઓ ત્સેએ કહેલું કે ‘લોકોનું નેતૃત્વ કરવું હોય તો તેમની પાછળ ચાલો.’ બીજી એક સલાહ એવી પણ આપેલી કે, ‘નેતા બનો, પણ ક્યારેય અધિપતિ (માલિક) ન બનો.’

નેતાઓ ઉપરાંત સામાન્ય લોકોને પણ જીવનમાં ઉતારવા જેવી વાતો લાઓ ત્સે તરફથી મળી છે. લાઓ ત્સે કહેતા, ‘જે વ્યક્તિ અન્ય પર બહુ વિશ્વાસ મૂકતી ન હોય, તેના પર કદી વિશ્વાસ ન કરવો.’ મતાગ્રહના સંદર્ભે પણ લાઓ ત્સેનો વિચાર હતો કે ‘જે વ્યક્તિ પોતાની જ વાત પર બહુ ભાર મૂકતી હોય, તેને બહુ ઓછા લોકોનું સમર્થન મળતું હોય છે.’ આતંકવાદના માહોલમાં હિંસાને પણ ન્યાયિક ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ લાઓ ત્સેના મતે ‘હિંસા, સારા ઉદ્દેશથી કરાયેલી હિંસા પણ પોતાના તરફ જ પાછી વળતી હોય છે.’ લાઓ ત્સે હંમેશાં કહેતા, ‘મારી પાસે શીખવવા માટે ત્રણ જ બાબત છે -સાદગી, ધીરજ અને દયા. આ ત્રણેય તમારો સૌથી મોટો ખજાનો છે.’

લેખનો અંત પણ લાઓ ત્સેના માર્મિક વિધાનથી જ કરીએ, ‘એક ચાલતી કીડી ઊંઘી રહેલા બળદ કરતાં વધારે કામ કરતી હોય છે.’ ઊંઘ છોડો!

(‘દિવ્ય ભાસ્કર’ની 7 ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Thursday, December 1, 2016

રોઝા પાર્ક્સને યાદ કરવાનો તકાજો

દિવ્યેશ વ્યાસ


ડોનલ્ડ ટ્રમ્પના વિજય પછી અમેરિકામાં લઘુમતી, અશ્વેત અને વિદેશથી વસેલા લોકોની સ્થિતિ તંગ બનવાના એંધાણ વચ્ચે રોઝા પાર્ક્સનો વારસો વધુ પ્રસ્તુત બન્યો છે


(તસવીરનો સ્રોત : http://pedrawofficial.deviantart.com/art/Rosa-Parks-399050865)

વીતેલા સપ્તાહમાં અમેરિકાનાં એક ડઝનથી વધારે મુખ્ય શહેરોનો માહોલ ઉગ્ર બન્યો હતો. એમાં ય, ફર્ગ્યુસન ઉપરાંત ઓકલેન્ડ, કેલિફોર્નિયા વગેરે જગ્યાએ રમખાણો ફાટી નીકળ્યાંહતાં. આ રમખાણો પાછળનું કારણ હતું, ફર્ગ્યુસનના ૧૮ વર્ષીય અશ્વેત તરુણ માઇકલ બ્રાઉનનું કમોત. ૯ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ એક પોલીસે માઇકલ પર માત્ર શંકાના આધારે ધડાધડ બાર ગોળીઓ છોડીને તેને ઠાર માર્યો હતો અને એ કેસમાં કોર્ટે પોલીસ અધિકારીને નિર્દોષ છોડી મૂકતાં ફર્ગ્યુસનના લોકો અકળાયા હતા અને આક્રોશની આગ સમગ્ર અમેરિકામાં ફેલાઈ ગઈ. અમેરિકાએ આજે ભલે એક અશ્વેતને રાષ્ટ્રપ્રમુખ બનાવ્યા છે, છતાં વંશીય ભેદભાવમાંથી અમેરિકા સાવ બહાર આવી ગયું નથી, તેનો આ તાજો પુરાવો છે. જો કે, આજે એક સકારાત્મક વાત કરવી છે અને એ પણ એક ઐતિહાસિક સંઘર્ષની. કાલે એટલે કે (2014ની) પહેલી ડિસેમ્બરે એ ઘટનાને ૬૦મું વર્ષ બેસશે.

આ ઘટના છે, અલબામાના મોન્ટગોમરી શહેરની. ૧ ડિસેમ્બર, ૧૯૫૫ની સાંજે શહેરના લોકો નોકરી-ધંધા પરથી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. એક સિટી બસમાં ૪૨-૪૩ વર્ષનાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં દરજીકામ કરતાં એક અશ્વેત બહેન ચડયાં અને ગોરાઓ માટે આરક્ષિત રાખેલી સીટ ખાલી હોવાથી બેસી ગયાં. આગળ જતાં ગોરા મુસાફરો બસમાં ચડયા પણ જગ્યા નહોતી. બસના ડ્રાઇવરે ગોરાઓ માટે આરક્ષિત રાખેલી બેઠકોમાં બેસી ગયેલા અશ્વેત લોકોને તિરસ્કારપૂર્વક સીટ ખાલી કરીને બસની પાછળની તરફ ચાલ્યા જવાનું કહ્યું. અન્ય અશ્વેત મુસાફરો ઊભા થઈને બસની પાછળ ગયા પણ પેલા બહેન ઊભાં ન થયાં, એ જોઈને ડ્રાઇવર અકળાયો અને બસ ઊભી રાખીને બહેનને ધમકાવવા લાગ્યો. જો કે, પેલા બહેને તો નમ્રતાપૂર્વક કહી દીધું કે હું સીટ પરથી ઊભી નહીં થાઉં ! ધૂંઆપૂંઆ થયેલો ડ્રાઇવર બસમાંથી ઊતરીને પોલીસવાળાને લઈ આવ્યો, જેમણે પેલાં બહેનને પકડીને જેલમાં લઈ ગયાં.

બહેનને થોડા કલાકોમાં જામીન તો મળી ગયા, પણ પાંચમી ડિસેમ્બરે તેમના પર કેસ શરૂ થવાનો હતો. આ ઘટનાએ શહેરના અશ્વેત લોકોને ભેદભાવયુક્ત વ્યવસ્થા અને કાયદા સામે સંઘર્ષ કરવા સાબદા કર્યા. પાંચમી ડિસેમ્બરે એક તરફ પેલાં માનુની પર કેસ ચાલ્યો અને બીજી તરફ સિટી બસના બહિષ્કાર સાથે શરૂ થયું નાગરિક અધિકાર આંદોલન. કોર્ટે જિમ ક્રો લો નામના અશ્વેત લોકો સાથે ભેદભાવ કરતા કાયદા અંતર્ગત સજા અને દંડ ફટકાર્યો, પણ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. એક તરફ સુપ્રીમમાં કોર્ટ ચાલ્યો અને બીજી તરફ બસનો બહિષ્કાર, જેનું નેતૃત્વ ગાંધીજીના અહિંસક વિચારોમાં માનનારા માર્ટિન લ્યુથર કિંગને સોંપવામાં આવ્યું હતું. મોન્ટગોમરીમાં વસતાં ૧૭,૦૦૦ આફ્રિકન-અમેરિકન લોકોએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ લગભગ એક વર્ષ સુધી બસનો બહિષ્કાર ચાલું રાખ્યો.

આખરે સુપ્રીમ કોર્ટે ભેદભાવયુક્ત કાયદો ગેરબંધારણીય હોવાનો ચુકાદો આપ્યો અને અશ્વેત લોકો સાથેની ભેદભાવપૂર્વ વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી. ભેદભાવમુક્ત સિટી બસમાં સૌથી પહેલાં પેલા બહેનને બેસાડવામાં આવ્યાં, જેમણે અન્યાય સામે નમ્ર છતાં મક્કમપણે વ્યક્તિગત જંગ છેડી હતી. એ ગૌરવવંતા-ગૌરવદાતા મહિલાનું નામ છે - રોઝા પાર્ક્સ, જેમને અમેરિકામાં 'મધર ઓફ ધ સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ' તરીકે આજે પણ સન્માનવામાં આવે છે અને યુએસ કેપિટલના સ્ટેચ્યુટરી હોલમાં તેમની પૂર્ણકદની પ્રતીમા ઊભી કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં નાગરિક આંદોલન ક્ષેત્રે રોઝા પાર્ક્સ એક પ્રભાવી અને પ્રેરણાદાયી નામ છે, જેમને નેલ્સન મંડેલા પણ પોતાના 'હીરો' ગણતા હતા.

રોઝા પાર્ક્સના એક નાનકડા અને સહજ પગલાંએ અશ્વેત લોકોને થતાં અન્યાય વિરુદ્ધના સંઘર્ષને ચિનગારી પૂરી પાડી હતી, જે માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં ઐતિહાસિક અહિંસક આંદોલન બન્યું હતું. બસ બહિષ્કાર સમયે કિંગના ઘર પર બોમ્બ ફેંકાયો હતો અને છતાં કિંગે અશ્વેત લોકોને હિંસાનો સામનો અહિંસાથી કરવા સમજાવ્યા હતા. આજે ફરી અમેરિકામાં અશ્વેત લોકો અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે રોઝા પાર્ક્સ અને માર્ટિન લ્યુથર કિંગના સંઘર્ષ અને સંદેશને યાદ કરી લેવાનો તકાજો ઊભો થયો છે.

(‘સંદેશ’ની 30મી નવેમ્બર, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)