Showing posts with label Divyesh. Show all posts
Showing posts with label Divyesh. Show all posts

Tuesday, August 17, 2021

રાણી નાયિકી દેવી : ખૂબ લડી મર્દાની વો તો ગુજરાત કી રાની થી!

ડૉ. દિવ્યેશ વ્યાસ


સોલંકી વંશના શાસનકાળમાં રાણી/રાજમાતા નાયિકી દેવીએ પોતાના પ્રચંડ પરાક્રમથી મોહમ્મદ ઘોરીને રણભૂમિમાં એવી ધોબીપછાડ આપી કે ફરી ગુજરાત પર આક્રમણ કરવાનું વિચારી પણ ન શક્યો!

રાણી નાયિકી દેવીનું એક કાલ્પનિક ચિત્ર. (સૌજન્યઃ ગૂગલ ઇમેજ)


ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતને પદક અપાવનારાઓની યાદીમાં રમતવીરો કરતાં રમત-વિરાંગનાઓની યાદી લાંબી થાય છે, તેનાં મૂળ આપણી પરંપરા અને ઇતિહાસમાં પડેલાં છે. સર્જન હોય કે સંઘર્ષ, ભારતીય નારીએ સદીઓથી પોતાનું હીર બતાવ્યું છે. મહિષાસુરમર્દિનીથી લઈને બાંગ્લાદેશ-સર્જિની સુધીનો આપણો નારીશૌર્યનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. આપણા દેશમાં સુશાસન માટે રાણી અહલ્યાબાઈ તો સંઘર્ષ-યુદ્ધમાં રાણી લક્ષ્મીબાઈ જેવાં જ્વલંત ઉદાહરણો જોવા મળે છે. આજે વાત કરવી છે, એવાં રાણી અને રાજમાતાની જેમણે પોતાના પ્રચંડ પરાક્રમ અને શૌર્યથી કુખ્યાત વિદેશી આક્રાંતા મોહમ્મદ ઘોરીને યુદ્ધમેદાનમાં એવી ધોબીપછાડ આપેલી કે તે ફરી ગુજરાત પર આક્રમણ કરવાનો તો વિચાર સુધ્ધાં કરી શક્યો હતો.

હા, આ રાજમાતા એટલે સોલંકી વંશનાં રાણી નાયિકી દેવી. પતિ અજયપાલની (ગુજરાતના અશોક તરીકે જાણીતા કુમારપાળના સુપુત્ર) અંગરક્ષક દ્વારા જ 1176માં હત્યા કરવામાં આવી પછી તેમના દીકરા મૂળરાજ બીજાને બાળવયે જ રાજા બનાવાયો હતો. પુત્ર મૂળરાજ બીજાને પ્રતીકાત્મક રીતે રાજાની પદવી આપવામાં આવી ત્યારે રાજ્યનાં શાસન અને સુરક્ષાનાં સુકાન રાણી નાયિકી દેવીએ ખૂબ સારી રીતે સંભાળી લીધાં હતાં. મોહમ્મદ ઘોરીએ 1178ની સાલમાં હિંદુસ્તાન પર આક્રમણ કરવાનું વિચારી રહ્યો હતો ત્યારે તેણે વિચાર્યું કે ગુજરાતના સમૃદ્ધ રાજ્ય અણહિલવાડ પાટણના બાળારાજા અને વિધવા રાજમાતાના રાજ્ય પર જ હલ્લો બોલાવી દઈએ એટલે આસાનીથી યુદ્ધ જીતી લેવાશે. જોકે, ઘોરીનાં તમામ પાસા ઊલટા પડ્યા અને રાણી નાયિકી દેવીના શૌર્ય અને આક્રમક યુદ્ધનીતિને કારણે તેણે ઊભી પૂંછડિયે રણમેદાનમાંથી ભાગવું પડ્યું અને તે ફરી ક્યારેય સપનામાં પણ ગુજરાત પર આક્રમણ કરવાનું વિચારી શક્યો નહોતો.

(રણમેદાનમાં દુશ્મન સૈનિકોનો કચ્ચરઘાણ વાળતી ગજસેનાની પ્રતીકાત્મક તસવીર  સૌજન્યઃ ગૂગલ ઇમેજ)

રાણી નાયિકી દેવી મૂળે તો ગોવાનાં રાજકુંવરી હતાં. કદંબ વંશના ગોવાના મહામંડલેશ્વર શિવચિત્તા પરમાંડીનાં દીકરી હતાં. બાળપણથી જ તેમને તલવારબાજી, ઘોડેસવારી, યુદ્ધનીતિ, કુટનીતિ અને રાજ્યશાસનની તાલીમ આપવામાં આવી હતી. તેઓ વિવિધ શસ્ત્રો ચલાવી શકતાં હતાં અને આક્રમક રણનીતિ થકી દુશ્મનોના દાંત ખાટા કરવાનું કૌવત ધરાવતાં હતાં. ઘોરી સામેના યુદ્ધ પહેલાં તેમણે પોતાની કુટનીતિ થકી ચાલુક્ય વંશના સામંતોનો સાથ-સહકાર મેળવ્યો હતો અને ઘોરીના વિશાળ સૈન્ય સામે મજબૂત લશ્કર તૈયાર કર્યું હતું, જેની ઘોરીને કલ્પના પણ નહોતી. યુદ્ધનીતિમાં માહેર રાણી નાયિકી દેવીએ યુદ્ધ આબુ પર્વતની તળેટીમાં ગદરઘાટના વિસ્તારમાં કયાદરા/કસાહરદા ખાતે લડાય, એવી વ્યૂહરચના અપનાવેલી, જ્યાં ઓછા સૈનિકો સાથે પણ વિશાળ સૈન્યને હંફાવી શકાય. યુદ્ધની તૈયારી માટે તથા પ્રજાજનોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે પૂરતો સમય મળી રહે એ માટે રાણી નાયિકી દેવીએ પોતે ઘોરીની તમામ શરતો માની લેવા તૈયાર છે, એવો ડોળ કરવાની કૂટનીતિ અપનાવી હોવાનું કહેવાય છે. ઘોરી અને તેના સૈન્ય માટે સાવ અજાણ એવા રણભૂમિ પર અચાનક આક્રમણ કરીને તાલીમબદ્ધ હાથીઓ પર સવાર યૌદ્ધાઓએ વિરોધી સેનાનો કચ્ચરઘાણ વાળવાનો શરૂ કર્યો હતો.

ઘોરીને પરાસ્ત કરવા માટે રાણી નાયિકી દેવીએ પોતે જ યુદ્ધમેદાનમાં ઊતરીને પોતાની તલવારથી દુશ્મન સૈનિકોનાં માથાં ગાજરની માફક વાઢી નાખ્યાં હતાં. પોતાની ગજસેના અને અશ્વસેના સાથેના તાલીમબદ્ધ સૈનિકોએ ઘોરીના સૈન્યનો એવો ખાતમો બોલાવ્યો કે સૈનિકો જીવ બચાવીને જે કોઈ દિશામાં ભાગવા મળ્યું ત્યાં ભાગવા લાગ્યા હતા. કહેવાય છે કે આ યુદ્ધમાં નાયિકી દેવીના હાથે ઘોરી ખૂબ જ ખરાબ રીતે ઘવાયો હતો. મોત ભાળી ચૂકલો ઘોરી યુદ્ધમેદાન છોડીને ઊભી પૂંછડિયે ભાગ્યો હતો. એ એટલો બધો ગભરાઈ ગયેલો કે ઘાયલ હોવા છતાં સારવાર માટે પણ વચ્ચે ક્યાંય રોકાયો નહોતો અને છેક મુલતાન પહોંચીને જ ઘોડા પરથી ઊતર્યો હતો!

આ જ મોહમ્મદ ઘોરીએ 1192માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા હતા, પરંતુ એના 14 વર્ષ પહેલાં તેણે એક ગુજરાતી રાણીની સામે રણમેદાનમાં ધોબીપછાડ ખાવી પડી હતી, એ અમીટ ઇતિહાસ છે. રાણીના અદમ્ય સાહસ અને શૌર્યનો ઉલ્લેખ સોલંકી કાળના શિલાલેખોમાં તો વાંચવા મળે જ છે, એ ઉપરાંત ગુજરાતી કવિ સોમેશ્વર તથા ઉદયપ્રભા સુરી સરીખા કવિઓનાં કાવ્યોમાં પણ નાયિકી દેવી અને તેમના સૈન્યની શૌર્યગાથા જાણવા મળે છે. 13 સદીમાં લખાયેલા ફારસી ઇતિહાસ-ગ્રંથ ‘મિન્હાજ-એ-સિરાજ’માં પણ હાથીઓની મદદથી લડાયેલી આ લડાઈના વિજયનો ઉલ્લેખ જોવા મળે છે. 16મી સદીના ઇતિહાસકાર બદાઉનીએ પણ આક્રાંતાઓને મળેલા પરાજયનો ઉલ્લેખ કરેલો છે. જૈન ઇતિહાસકાર મેરુતુંગે લખેલા ‘પ્રબંધ ચિંતામણિ’માં પણ નાયિકી દેવીના શૌર્યની ગાથાનો ઉલ્લેખ છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યની વાત કરીએ તો ધૂમકેતુએ ‘નાયિકા દેવી’  નામની એક નવલકથા લખેલી છે.

કહેવાય છે કે રાણી નાયિકીની દીકરી કુર્મા દેવી પણ તેમના જેવાં જ શૌર્યવાન હતાં અને તેમણે યુદ્ધમેદાનમાં કુતબુદ્દીન ઐબકને માત આપી હતી. રાણી લક્ષ્મીબાઈ, રાણી તારાબાઈ, રાણી દુર્ગામતી, રાણી અબ્બકા ચૌટા, કિત્તુરના રાણી ચેનમ્મા જેવાં નારીશૌર્યનાં જ્વલંત ઉદાહરણોની હરોળમાં સ્થાન પામી શકે એવાં ગુજરાતનાં રાણી નાયિકી દેવી વિશે બહુ ઓછી જાણકારી અને જાગૃતિ આપણા રાજ્યમાં જોવા મળે છે, તે આપણી એક મોટી કમનસીબી છે. રાજમાતા નાયિકી દેવી ઇતિહાસનું એવું ગૌરવવંતુ પ્રકરણ છે, જે ગુજરાત રાજ્ય જ નહિ, સમગ્ર દેશની નારીશક્તિને સદીઓ સુધી પ્રોત્સાહન અને પ્રેરણા પૂરું પાડતું રહેશે.

(‘સાધના’ સાપ્તાહિકના 15મી ઑગસ્ટ, 2021ના વિશેષાંક ‘ભારતની યુદ્ધકથાઓ’માં પ્રકાશિત મારો લેખ)

Thursday, December 31, 2020

‘આપ સૌના વતી સ્વીકારું છું’

ડૉ. દિવ્યેશ વ્યાસ


27મી ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદનું 50મું અધિવેશન શરૂ થયું અને પ્રારંભે નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહનો પદગ્રહણ સમારંભ યોજાયો.આ ઐતિહાસિક ક્ષણના વર્ચ્યુઅલ નહિ, પણ સદેહે સાક્ષી બનવાનું થયું. ગુજરાતી ભાષાના કરોડો પ્રેમીઓના લાભાર્થે એ સમારંભની કેટલીક વિગતો અહીં રજૂ કરી છે

(માધવ રામાનુજના હસ્તે નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહને પદભારનું પ્રતીક અર્પણ કરવામાં આવ્યું હતું. તસવીરઃ દિવ્યેશ વ્યાસ) 

ઔદ્યોગિક ક્રાંતિ હોય, મજૂર આંદોલન હોય કે આઝાદીનો જંગ.... અનેક ઐતિહાસિક અધ્યાયોનું સાક્ષી બનેલું અમદાવાદ શહેર 27મી ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના 50મા અધિવેશનનું પણ સાક્ષી બન્યું. માત્ર 50ના શુકનવંતા આંકડાને કારણે નહિ, પરંતુ બીજાં પણ કેટલાંક કારણોસર આ અધિવેશન ઐતિહાસિક બની રહ્યું. સૌથી મોટું કારણ – 115 વર્ષ જૂની પરિષદનું આ સૌપ્રથમ ઓનલાઇન અધિવેશન હતું. ઓનલાઇનનું મહત્ત્વ એટલે છે કે ઓનલાઇન હોય તે આપોઆપ વિશ્વવ્યાપક બની રહે છે! અધિવેશનનું પ્રારંભિક સત્ર રા.વિ. પાઠક સભાગૃહમાં યોજાયું હતું, પરંતુ સભાખંડ બહાર દેશ-દુનિયામાં ફેલાયેલા સેંકડો ગુજરાતી-પ્રેમીઓ ઇન્ટરનેટના તાંતણે તેની સાથે જોડાઈ શક્યા હતા. માત્ર શ્રોતાઓ જ નહિ, પરંતુ કેટલાક વક્તાઓ અને ખુદ અતિથિવિશેષ પણ સ્થળ પર હાજર ન હોવા છતાં હાજરોહાજર હતા! બીજું કારણ એ કે અમદાવાદ લગભગ છ દાયકા પછી અધિવેશનનું યજમાન શહેર બનવા પામ્યું. અલબત્ત, એમાં કોવિડ-19 મહામારીની ભૂમિકા સ્વીકારવી રહી. કદાચ એટલે જ અધિવેશન અંતર્ગત ‘મહામારીના સમયમાં સાહિત્ય’ પર પરિસંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું. મહામારી સંદર્ભે સાહિત્ય સત્ર યોજાય, એ પણ ઐતિહાસિક બાબત ગણાય. અહીં એ પણ ઉમેરવું રહ્યું કે 50મા અધિવેશનમાં પ્રકાશ ન. શાહ સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ સંભાળનાર 51મી વ્યક્તિ બન્યા.

ગુજરાતી સાહિત્ય પરિષદના નવા ચૂંટાયેલા પ્રમુખનો પદગ્રહણ સમારંભ 27 ડિસેમ્બર, 2020, રવિવારે જૂની-નવી મધ્યસ્થ-સમિતિના સભ્યોની બેઠક બાદ બપોરે 3 વાગ્યે યોજાયો હતો. પદગ્રહણ સમારંભનો પ્રારંભ ‘જય જય ગરવી ગુજરાત...’ના ગાન સાથે થયો હતો. પરિષદના નવા વરાયેલા ઉપપ્રમુખ પ્રફુલ્લ રાવલે સૌનું સ્વાગત કર્યું હતું અને પરિષદની પ્રવૃત્તિઓનો આછો પરિચય આપીને ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિષદ ગુજરાતી ભાષાને ચાહનારા સૌ કોઈની છે. પ્રકાશભાઈની શબ્દ, શૈલી અને સાહિત્યની સમજના પુરાવા રૂપ એક કિસ્સો યાદ કરતાં પ્રફુલ્લભાઈએ કહેલું, એક વખત ‘રંગતરંગ’નું ટાઇટલ છપાઈ ગયું હતું, જેમાં લાભશંકર ઠાકરે આગામી અંકમાં પોતે શું લખવાના છે, તે એક વાક્યમાં જણાવેલું. પણ હાર્ટએટેક આવતાં તેઓ એ લેખ લખવાની સ્થિતિમાં નહોતા ત્યારે પ્રકાશભાઈ અસ્સલ લાઠાશૈલીમાં એ એક વાક્યના આધારે આખો લેખ લખેલો!

(તસવીરમાં ડાબેથી કીર્તિદાબહેન શાહ, માધવ રામાનુજ, પ્રકાશ ન. શાહ અને પ્રફુલ્લભાઈ રાવલ તસવીરઃ દિવ્યેશ વ્યાસ)

લેખક-નાટ્યકાર પ્રવીણ પંડ્યાએ પોતાના વિડિયો વક્તવ્ય થકી પ્રકાશભાઈનો પરિચય આપ્યો હતો. પ્રવીણભાઈએ પ્રકાશભાઈના વ્યક્તિત્વનાં મુખ્ય ત્રણ પાસાં (પ્રજાકીય રાજનીતિના આગેવાન, પત્રકાર-તંત્રી, અધ્યાપક તથા પરિવાર પ્રેમી/મિત્ર-પ્રેમી વ્યક્તિ) થકી તેમના જીવન અને કવનનો આછેરો પરિચય કરાવ્યો હતો. પ્રકાશભાઈનો પરિચય કરાવતાં તેમણે એક ખૂબી જણાવી હતી કે તેઓ કોઈ ઓળખમાં બંધાયા નથી! કટોકટી દરમિયાન સ્વતંત્રતા અને સ્વાયત્તતાની તરફેણ કરીને મિસા અંતર્ગત જેલવાસ ભોગવેલો, એનો ઉલ્લેખ કરતાં પ્રવીણભાઈએ કહેલું, ‘કટોકટી દરમિયાન જેલમાં જનારા તેઓ એકલા નહોતા, પરંતુ તેમણે આજે પણ એ મૂલ્યો જાળવી રાખ્યાં છે.’ નાગરિક સંગઠનોને નેતૃત્વ પૂરું પાડનારા પ્રકાશભાઈની દરેક પ્રજાકીય આંદોલનમાં સક્રિય ભૂમિકાને યાદ કરીને તેમના નિશ્કલંક અને મૂલ્યઆધારિત જાહેરજીવનની વાત કરતાં કરતાં પ્રવીણભાઈએ વિધાન કરેલું કે, ‘જયંતિ દલાલ પછી તેઓ પહેલા એવા પ્રમુખ છે, જેમને ગુજરાતની જનતા જ નહિ, શાસકો પણ સારી રીતે જાણે છે.’ ‘સમકાલીન’ ‘જનસત્તા’ અને ‘દિવ્ય ભાસ્કર’ સહિતનાં અખબારોમાં કરેલા 42 વર્ષના પત્રકારત્વને સંભારીને તેમણે ઉમેરેલું કે પત્રકારત્વમાં તેમણે શેરીનાટક કરનાર જેવી ભૂમિકા ભજવી છે અને ઘોંઘાટિયા ટીવી-અખબારી પત્રકારત્વ વચ્ચે તેઓ એક નરવો, નિષ્કલંક અને નક્કર અવાજ બની રહ્યા છે. તેમણે નવા કવિ-સર્જકોને પ્રોત્સાહન આપવાની પ્રકાશભાઈની વિશેષતાને પણ સંભારી હતી.

પ્રમુખ પદની ચૂંટણી લડનારા હરિકૃષ્ણ પાઠક અને હર્ષદ ત્રિવેદી તથા કુલીનચંદ્ર યાજ્ઞિક તરફથી શુભેચ્છા સંદેશા મળ્યાની નોંધ લીધા પછી પરિષદના હયાત પૂર્વ પ્રમુખોના વિડિયો સંદેશા પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં રઘુવીર ચૌધરીએ સાહિત્ય પરિષદની ઑફિસ મુંબઈથી અમદાવાદ આવ્યા પછી અહીં પરિષદનો કેવો વિકાસ થયો, કેવા કેવા વિભાગો શરૂ કરાયા એની ટૂંકી વાત કરી હતી. ધીરુબહેન પટેલે પ્રકાશભાઈમાં વિશ્વાસ વ્યક્ત કરીને એવી આશા સેવી હતી કે પરિષદ હવે વાદવિવાદનો અખાડો મટીને સરસ્વતીનું મંદિર બનશે. તો કુમાળપાળ દેસાઈએ કહેલું કે શુભ શુકનની શરૂઆત પ્રકાશભાઈના ચૂંટાવા સાથે થઈ છે. રણજિતરામની કલ્પના સાકાર થવાની સંભાવના ઊભી થઈ છે. પ્રકાશભાઈ સામે સર્જકોને એક સાથે રાખવાનો પડકાર છે અને તેમનામાં બધાને સાથે રાખવાની કુનેહ પણ છે. વર્ષા અડાલજાએ પરિષદની ભાવિ યોજનાઓ કેવી હોવી જોઈએ, એની ટૂંકી રૂપરેખા આપવા સાથે પરિષદ સામેના સૌથી મોટા આર્થિક પડકારની પણ ઝીકર કરી હતી. ધીરુભાઈ પરીખે પ્રકાશભાઈને શુભેચ્છા આપવા ઉપરાંત સારું કામ થશે એવો આશાવાદ વ્યક્ત કરીને બેટૂક વાત કરી હતી કે કામ સારું થશે તો પરિષદની આબરૂમાં બે ટકાનો વધારો થશે! અત્રે ઉલ્લેખનીય છે કે ટોપીવાળાસાહેબે વિડિયો નહિ, પરંતુ લેખિત સંદેશો મોકલાવેલો.

પૂર્વ પ્રમુખોના સંદેશા પછી પ્રકાશભાઈને સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પદભારનું પ્રતીક એનાયત કરવાનો વિધિ સમ્પન્ન કરાયો હતો. પરિષદની મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા અને નવા/ફરી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા માધવ રામાનુજે પ્રકાશભાઈને એ પ્રતીક અર્પણ કર્યું હતું. પ્રતીક આપતાં માધવભાઈએ કહ્યું, ‘આપ સૌના વતી આપું છું.’ પ્રતીક સ્વીકારતાં પ્રકાશભાઈએ તેમની શૈલીમાં સહજપણે કહેલું, ‘આપ સૌના વતી સ્વીકારું છું.’

પદભાર સોંપણીના વિધિ પછી વિદાય લેતા પરિષદ પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રનું વિડિયો વક્તવ્ય રજૂ થયું હતું. સિતાંશુભાઈએ પ્રારંભે જ કહેલું, નિવૃત્તિ વેળાએ ધરપત છે કે આજીવન સભ્યોએ આગામી અગત્યનાં વર્ષોમાં પ્રકાશભાઈને પ્રમુખ તરીકે ચૂંટ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રમુખ સહિતના સૌ નવા હોદ્દેદારો પરિષદનાં મૂલ્યો, બંધારણ અને અગાઉ કરવામાં આવેલા ઠરાવોને વળગી રહીને કામ કરશે. સૌ પરિષદના, નહિ કે અન્યના ઉદ્દેશોને પાર પાડવામાં કામે લાગશે, એવી સૌને આશા વ્યક્ત કરી હતી. તેમણે ગુજરાત સરકાર અને સમાજસેવીઓ સહિત સૌને કૃષ્ણલાલ શ્રીધરાણીના ‘સ્વરાજ રક્ષક’ કથાકાવ્યની યાદ અપાવી હતી અને તાતા તીર જેવા સવાલો કરેલા કે ઔરંગઝેબી પરિબળો સામે રક્ષણ આપનારા છત્રપતિ શિવાજી આજે છે કે નહીં? સ્વામી રામદાસ જેવા ગુરુ છે? સિતાંશુભાઈએ પોતાના કાર્યકાળ દ્વારા થયેલાં કાર્યોમાં ખાસ કરીને ‘નોળવેલની મહેક’ની ઓનલાઇન બેઠકોને ખાસ સંભારી હતી તથા સહયોગ કરનારા લોકો અને સંસ્થાઓનો આભાર માન્યો હતો.

સમારંભના અતિથિવિશેષ વિપુલ કલ્યાણીએ પોતાના વિડિયો વક્તવ્યમાં પરિષદ સાથેનો પોતાનો દાયકાઓ જૂનો સંબંધ અને અગાઉનાં અધિવેશનોનાં સંભારણાંઓ વાગોળ્યા હતા. તેમને અતિથિવિશેષ પદે બેસાડવામાં આવ્યા, તેમાં ગુજરાતી ડાયસ્પોરિક સમુદાયના બહુમાન હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં ખાસ કરીને કોરોના કાળમાં ગાંધીજીના તાવીજને સંભાર્યું હતું અને કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ વખતે ગાંધીજીના તાવીજને ધ્યાનમાં રાખવા અપીલ કરી હતી.

પરિષદ પ્રમુખનો પદભાર સંભાળ્યા પછી પ્રકાશભાઈએ પ્રમુખીય પ્રવચન વાંચીને સંભળાવ્યું હતું. (કદાચ જીવનમાં પહેલી વાર લખેલું વાંચીને બોલ્યા હશે) તેમના ભાષણનું શીર્ષક હતું – ‘રણજિતરામના સિપાહી હોવું એટલે’ પ્રકાશભાઈએ તેમના વક્તવ્યના પ્રારંભમાં જ યાદ કરેલું કે ચૂંટણી જીત્યા પછી પહેલીવાર મીડિયા સાથે વાત કરવાનું બન્યું ત્યારે ‘મારો સહજોદ્ગાર હતો કે નર્મદકીધો કડખેદ હોઉં કે ન હોઉં પણ રણજિતરામનો સિપાહી ખસૂસ છું.’ પ્રકાશભાઈએ રણજિતરામની મુનશીએ કેવી છબિ ઝીલેલી તેની વાત કરવાની સાથે સાથે ઇન્દુચાચાના ‘નવજીવન અને સત્ય’ સામયિકના અગ્રલેખો થકી ગુજરાતની અસ્મિતાની વાત કરી હતી. રણજિતરામના ‘માસ્તર નંદનપ્રસાદ’ નામના શિક્ષકના પાત્રના હૃદયઉદ્ગારો થકી સમાજમાં વ્યાપ્ત એલિયેનેશન – વિસંબંધનની વાત કરી હતી. આ સંદર્ભે તેમણે કામૂને અને તેમનાં પાત્રોને પણ સંભાર્યાં હતાં. વિસંબંધનની ચર્ચાને આગળ વધારતાં તેમણે માર્ક્સ અને એન્ગલ્સને પણ યાદ કર્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં દલપતરામ, ફાર્બસ, નર્મદ અને ગોમાત્રિના યોગદાન અને દૃષ્ટિની નોંધ લીધેલી અને ભારપૂર્વક જણાવેલું કે, ‘સરસ્વતીની ઉપાસના અને ‘જાહેર સંડોવણી’ એ બે પરસ્પર વિરોધી લાગતાં હોય તોપણ પરસ્પર ઉપકારક હોઈ શકે છે. બલકે, તમે જેને સારસ્વત જીવન કહો, સાક્ષરજીવન કહો એમાં આપણા સમયના ‘બૌદ્ધિક’ની વ્યાખ્યામાં તો એ કદાચ અપરિહાર્ય જણાય છે.’ વક્તવ્યનું અંતિમ સૂચક વાક્ય હતું – ‘સાર્ત્ર ભલે ‘કન્ડેમ્ડ ટુ ચુઝ’ની ભાષા બોલે રણજિતરામનો સિપાહી તો કહેશે આઈ એમ કન્ડેમ્ડ ટુ ક્રિયેટ!

સમારંભના અંતે કીર્તિદાબહેન શાહે સૌનો આભાર માનેલો, જેમાં સૌથી પહેલો આભાર, ચૂંટણીથી લઈને તમામ પ્રકારની કામગીરીમાં ખડેપગે રહેતા પરિષદના કર્મચારીગણનો માન્યો હતો અને કર્મચારીઓને સ્ટેજ પર બોલાવતાં સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. પરિષદના કર્મચારીઓનું આવું સન્માન કદાચ પહેલી વાર થયું હશે!

(સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ પરથી તેની યુટ્યૂબ લિંક મળી શકે છે. પ્રકાશભાઈનું પ્રમુખીય વક્તવ્ય પુસ્તિકા સ્વરૂપે ઉપલબ્ધ છે તથા ‘પરબ’ના આગામી અંકમાં પ્રગટ થઈ શકે છે.)

Wednesday, July 25, 2018

દવાખાનું કોઈને દેખાડશો નહીં!

દિવ્યેશ વ્યાસ


બીમારી કે અકસ્માતની સારવાર એટલી મોંઘી પડી રહી છે કે પરિવારની આર્થિક હાલત સિરીયસ થઈ જાય છે!

(તસવીર પ્રતીકાત્મક છે અને ઇન્ટરનેટ પરથી મેળવેલી છે.)

પરિવારના વૃદ્ધજનોના મોંઢે કદાચ તમે સાંભળ્યું હશે કે ‘ભગવાન, ત્રણ વસ્તુથી કાયમ અમને દૂર રાખજે : દવાખાનું, કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશન’. આ ત્રણની યાદીમાં સૌથી પહેલું સ્થાન દવાખાનાને મળ્યું છે, તેનાં ચોક્કસ કારણો છે. શાંતિપૂર્વક જીવન જીવો, નિયમ-કાયદાનું પાલન કરો અને ટંટાફસાદથી દૂર રહો તો તમે આસાથીની કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશનથી દૂર રહી શકો છો, પરંતુ તબિયત કે તંદુરસ્તી પર એક હદથી વધારે આપણું નિયંત્રણ રહેતું નથી. બીમાર પડવાનાં એટલાં બધાં કારણો છે કે ક્યારેક તો કોઈને કોઈ આપણને લપેટમાં લઈ લે છે અને દવાખાનાભેગા થવું પડે છે. એમાંય અકસ્માતમાં તો વગરવાંકે પણ ઉપાધિ માથે પડી શકે છે. આવા સંજોગોમાં સારવાર અર્થે હોસ્પિટલમાં જઈને સારવાર લીધા સિવાય છૂટકો હોતો નથી. અમુક ઉંમર પછી કેટલીક તકલીફો અને બીમારીઓ લાગુ પડ્યા વિના રહેતી નથી ત્યારે શરીરને સ્વસ્થ-સાજું રાખવા માટે દવા-સારવાર કરવી આવશ્યક હોય છે. બીપી અને ડાયાબિટીસ જેવી વ્યાધિઓમાં તો નિયમિતપણે દવાઓ લેવી જરૂરી બને છે. આમ, દવાખાને જવું તો કોઈને ગમતું નથી, પરંતુ દવાખાને ગયા વિના ક્યાં કોઈને ચાલે છે?

બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, નિરક્ષર હોય કે સાક્ષર, ગરીબ હોય કે અમીર, ગ્રામીણ હોય કે શહેરી, દરેકને દવાખાના-સારવારની જરૂર ક્યારેક ને ક્યારેક પડે જ છે. આરોગ્ય અને શિક્ષણ એવાં બે ક્ષેત્રો છે, જેમાં સેવાની જેટલી તક મળે છે, એટલો જ મોકો મેવા ખાવાનો (કમાણી કરવાનો) પણ મળતો હોય છે. ખાનગીકરણના દોર પછી આરોગ્ય ક્ષેત્રમાં ખાનગી હોસ્પિટલો-કોર્પોરેટ હોસ્પિટલોનો દબદબો સતત વધતો રહ્યો છે. સ્વાસ્થ્ય સેવાઓ અને દવાઓ એટલી મોંઘી બની રહી છે કે સામાન્ય લોકોને પોષાતી નથી.

સરકારી દવાખાનાં અને આરોગ્ય કેન્દ્રો પોતે જ સ્વાસ્થ્ય ઝંખી રહ્યા હોય, એવી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે ખાનગી દવાખાનામાં જવું જાણે ફરજિયાત થઈ ગયું છે. આરોગ્ય ક્ષેત્ર ધમધમતી કમાણીનું સાધન બની ગયું છે અને એને કારણે સારવાર પછી વ્યક્તિની હાલત તો સુધરી જાય છે, પરંતુ પરિવારની આર્થિક હાલત બગડી જતી હોય છે. તાજેતરમાં ઇન્ડિયાસ્પેન્ડ ડૉટકૉમ નામના પોર્ટલ પર બીએમજે જર્નલના સંશોધનના આધારે એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેમાં અધિકૃત સરકારી આંકડાઓના આધારે તારણ કાઢવામાં આવ્યું હતું કે વર્ષ 2011-12માં આરોગ્ય-સારવાર પર હદથી વધારે ખર્ચો થવાને કારણે 5 કરોડ 50 લાખ લોકો રાતોરાત ગરીબીરેખા હેઠળ ધકેલાઈ ગયા હતા! અહેવાલમાં જ આંકડા અપાયેલા છે કે આ સંખ્યા દ. કોરિયા, સ્પેન અને કેન્યા જેવા દેશોની વસતી કરતાં પણ વધારે છે. આ સંશોધન વાંચતાં અર્થશાસ્ત્રના અભ્યાસુ અને પ્રખર રાજનેતા સનત મહેતાનો એક દસ-બાર વર્ષ જૂનો લેખ યાદ આવી ગયો, જેમાં તેમણે લખેલું કે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને ગરીબી રેખા વચ્ચે માત્ર એક મોટી બીમારીનું જ અંતર હોય છે! એમાંય મોટી બીમારી હોય તો અમીર પરિવાર પણ રાતોરાત ગરીબી રેખા હેઠળ પહોંચી જતો હોય છે.

આજકાલ હૃદયરોગ અને કેન્સરની બીમારી દાવાનળની જેમ ફેલાઈ રહી છે અને પહોંચ બહારનો ખર્ચો કરાવવામાં પણ આ બે બીમારીઓ જ મુખ્યપણે કારણભૂત હોવાનું અભ્યાસોમાં જણાયું છે. પરિવારજનના સ્વાસ્થ્ય માટે દેણું કરીને પણ સારવાર કરાવવામાં આવે છે અને દેવાનો ખાડો પુરવામાં જમીન-જાયદાદ વેચવાનો પણ વારો આવતો હોય છે. ભારતમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવે છે, તેને કારણે લાખો લોકોને પ્રમાણમાં સસ્તી સારવાર મળી રહે છે, પરંતુ દવાઓના ઊંચા ભાવના ડામ તો સહેવા જ પડતાં હોય છે.

ભારતમાં સરકારો દ્વારા આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવે છે. એક અભ્યાસ અનુસાર વર્ષ 2015માં સરકાર દ્વારા જીડીપીના માત્ર 1.02 ટકા જ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા હતા. જાહેર આરોગ્ય માટે સરકાર દર વર્ષે વ્યક્તિદીઠ રૂ. 1,112નો જ ખર્ચ કરે છે. આ હિસાબે રોજના માત્ર રૂ. 3! આરોગ્ય ક્ષેત્રે વધારે નાણાં-સંસાધનો ફાળવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ જરૂરી વધારો કરવામાં ઠાગાઠૈયા જ કરવામાં આવે છે.

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારે નાણાકીય સંસાધનો ફાળવવા જરૂરી છે. કોઈ પણ દેશ સ્વસ્થ નાગરિકો વિના સશક્ત બની શકે નહીં.

(દિવ્ય ભાસ્કરની 25મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 11, 2018

મલાલાને આટલું માન શા માટે?

દિવ્યેશ વ્યાસ


દર વર્ષે 12મી જુલાઈના રોજ મલાલા ડે ઊજવાય છે. આ યુવતીમાં એવું તે શું છે કે સંયુક્ત રાષ્ટ્ર તેનો દિવસ મનાવે છે?




આવતી કાલે 12મી જુલાઈએ અનેક મહાનુભાવોનો જન્મ દિવસ છે. કાલે સમગ્ર વિશ્વમાં વિખ્યાત એવા વિચારક અને સાહિત્યકાર હેન્રી ડેવિડ થોરોની સાથે સાથે ચિલીના ખ્યાતનામ કવિ અને રાજદૂત પાબ્લો નેરુદાની જયંતી છે. રોલ ફિલ્મના શોધક જ્યોર્જ ઇસ્ટમેનનો પણ જન્મ દિવસ છે તો એકવીસમી સદીના યુવાનોના રોલમૉડલ એવા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો પણ બર્થ ડે છે... છતાં 12મી જુલાઈ પાકિસ્તાનની યુવતી મલાલા યૂસુફજઈના નામે બોલે છે. વર્ષ 2013માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 12મી જુલાઈને મલાલા ડે જાહેર કરવામાં આવ્યો હતો અને દર વર્ષે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાની જૂજ વ્યક્તિઓના નામે સંયુક્ત રાષ્ટ્ર કોઈ દિવસ ઊજવે છે, ત્યારે મલાલાએ માત્ર 16 વર્ષની વયે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું.

મલાલાને મળેલા સન્માન-પુરસ્કારની યાદી ઘણી લાંબી છે, પરંતુ એક હી નામ કાફી હૈ - નોબેલ પુરસ્કાર.  મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનો નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો. આટલી નાની વયે આજદિન સુધી કોઈ આ પુરસ્કાર મેળવી શક્યું નથી. વર્ષ 2014માં ભારતના કૈલાશ સત્યાર્થી અને મલાલાને સંયુક્ત રીતે આ પારિતોષિક અપાયો હતો. આ ઉપરાંત તે વર્ષ 2014માં ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પોંખાઈ હતી અને ‘ટાઇમ’ મેગેઝિનના કવર પેજ પર પણ ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વની સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદીમાં પણ મલાલાને ટોચના પાંચ વ્યક્તિની હરોળમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. 2013ના ઑક્ટરોબરમાં યુરોપિયન સંસદ દ્વારા મલાલાને ‘સેખરોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઑફ થોટ’ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. 2014માં જ તેને અધધ 50,000 અમેરિકન ડૉલરનું વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝ અપાયું હતું. વર્ષ 2017માં કેનેડાએ મલાલાને કેનેડાનું માનદ્ નાગરિકત્વ આપવા ઉપરાંત કેનેડાની સંસદમાં સંબોધન કરવા આમંત્રિત કરી હતી. માત્ર 16 વર્ષની વયે મલાલાએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું અને તેનું વક્તવ્ય ખૂબ જ પોંખાયું હતું.

મલાલાને મળેલાં સન્માનો ઉપરાંત તેની બીજી સિદ્ધિઓની વાત કરીએ તો ઑગસ્ટ-2014માં તેનાં સંભારણાં અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ પ્રસિદ્ધ થયું હતું અને આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરની યાદીમાં આવી ગયું હતું. મલાલા પર ‘હી નેમ્ડ મી મલાલા’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે 2015ના ઓસ્કર એવોર્ડમાં શોર્ટલિસ્ટ થઈ હતી. મલાલા પર એક ડઝન જેટલાં પુસ્તકો લખાયાં છે અને તેના પર લખાયેલા અખબારી લેખોની સંખ્યા તો અગણિત છે.

આટલી બધી સિદ્ધિઓ અને અધધ પ્રસિદ્ધિ માત્ર 20 વર્ષની ઉંમરમાં પ્રાપ્ત કરનારી મલાલા અંગે ઘણાને સવાલ થઈ શકે કે આટલી નાની વયે તાલિબાનોની ગોળી ખાધા સિવાય એવું તે આ છોકરીએ શું કરી નાંખ્યું છે? આ સવાલ સાથે એક માહિતી જાણવી રસપ્રદ છે કે મલાલાએ તાજેતરમાં માર્ચ મહિનામાં જ્યારે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે લાહોરની અનેક શાળાઓમાં 30મી માર્ચના રોજ ‘આઈ એમ નોટ મલાલા’ દિવસની ઉજવણી કરી હતી! શું મલાલા માત્ર ઇસ્લામિક કટ્ટરપંથ-વિરોધી હોવાને કારણે જ તેને આટલાં માન-પાન મળે છે? ના, બિલકુલ નહીં. આ યુવતીના ઉચ્ચ વિચારો અને બાળકોના શિક્ષણ માટેનું તેનું સંપૂર્ણ સમર્પણ કાબિલે દાદ છે. મલાલાએ પોતાની અધિકૃત વેબસાઇટમાં પોતાના સંઘર્ષની કથાવાળા પાના પર એક વાક્ય લખ્યું છે, ‘હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.’ આ વાક્ય મલાલાની ઊંડી સમજ અને સંવેદનાને વ્યક્ત કરે છે.

મલાલાએ પોતાના નામનું એક ફંડ ઊભું કર્યું છે, જેનો ઉપયોગ તે દુનિયાભરના દેશોનાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝના અધધ 50,000 અમેરિકન ડૉલર્સ તેણે  ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇનના વિસ્થાપિતોનાં બાળકો માટે શાળા ચલાવવા માટે દાનમાં આપી દીધી હતી. સીરિયામાં પણ તેણે શાળાઓ શરૂ કરાવી છે.

મલાલા પર ગોળીબાર કરનારાઓને પાકિસ્તાનની કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. જોકે, મલાલા તાલિબાનો માટે ઉમદા વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’ શિક્ષણ માટેનું આ સમર્પણ જ તેને મૂઠ્ઠી ઊંચેરા માનવીને શ્રેણીમાં મૂકે છે.

(દિવ્ય ભાસ્કરની 11મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, May 9, 2018

ગોખલે અને માતૃભાષા

દિવ્યેશ વ્યાસ


ગાંધીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે સાથે માતૃભાષાનો એક સુંદર કિસ્સો જોડાયેલો છે




9મી મે, 1866ના રોજ જન્મેલા પ્રખર દેશસેવક ગોપાલકૃષ્ણ ગોખલેનો આજે જન્મ દિવસ છે. ગોખલે ગાંધીજીના ગુરુ હતા. ગાંધીજીએ લખેલું છે, ‘ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને તે ક્ષેત્રપરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. એમના કહેવાને વિશે કે એમની આજ્ઞાને વિશે મને તર્કવિતર્ક કદી ન થતા.’ તો આવા ગુરુ ગોખલે વિશે ગાંધીજીએ પોતાની આત્મકથામાં અનેક વખત ઉલ્લેખ કર્યો છે. ‘ગોખલે સાથે એક માસ-1’ પ્રકરણમાં ગાંધીજીએ લખ્યું છે, ‘ગોખલેની કામ કરવાની પદ્ધતિથી મને જેટલો આનંદ થયો તેટલું જ શીખવાનું મળ્યું. તેઓ પોતાની એક પણ ક્ષણ નકામી ન જવા દેતા. તેમના બધા સંબંધો દેશકાર્યને અંગે જ હતા, એમ મેં અનુભવ્યું. બધી વાતો પણ દેશકાર્યને ખાતર. વાતોમાં મેં ક્યાંયે મલિનતા, દંભ કે જૂઠ ન જોયાં. હિંદુસ્તાનની કંગાલિયત અને પરાધીનતા તેમને પ્રતિક્ષણ ખૂંચતી.’

દ. આફ્રિકાની લડત દરમિયાન ગાંધીજી એક વાર ભારત આવેલા ત્યારે પૂના ગયેલા અને ત્યાં ત્રણ મહાનુભાવોને મળેલા. આનો ઉલ્લેખ તેમણે આત્મકથામાં ‘પૂનામાં’ નામના પ્રકરણમાં કર્યો છે. તેમાં લખ્યું છે, ‘સર ફિરોજશા તો મને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા, તેમાં હું નાહી શકું. હિમાલય ચડાય નહીં, સમુદ્રમાં ડૂબવાનો ભય રહે. ગંગાની તો ગોદમાં રમાય. તેમાં હોડકાં લઈને તરાય.’ આમ, ગોખલેજી માટે ગાંધીજીને અપાર આદર અને સ્નેહ હતો.

ગોખલેજીના નિધન પછીના એક પ્રસંગની વાત કરતાં ગાંધીજીએ પોતાની આત્મકથામાં નોંધ્યું છે, ‘ભારતવર્ષના તોફાની સમુદ્રમાં ઝંપલાવતાં મને સુકાનીની જરૂર હતી, ને ગોખલે જેવા સુકાનીની નીચે હું સુરક્ષિત હતો.’

ગોખલેજીએ કેવો સ્નેહ અને સુરક્ષા આપી હતી, તેનો એક પ્રસંગ પણ ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યો છે. ‘ગોખલેની સાથે પૂનામાં’ પ્રકરણમાં ગાંધીજીએ નોંધ્યું છે, ‘ગુજરાતમાં ક્યાંક સ્થિર થવું (આશ્રમ ઊભો કરી) એવી મારી ઇચ્છા હતી. ગોખલેને આ વિચાર ગમ્યો હતો, તેથી તેમણે કહ્યું, ‘તમે જરૂર એમ કરજો. સભ્યોની સાથે વાતચીતનું ગમે તે પરિણામ આવે, પણ તમારે આશ્રમને સારુ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે. તેને હું મારો જ આશ્રમ ગણવાનો છું.’... ગાંધીજી સ્વદેશ પાછા ફર્યા પછી ગોખલે લાંબું જીવ્યા નહોતા, પરંતુ તેમનો સપોર્ટ ઐતિહાસિક હતો.

દ. આફ્રિકાની લડતમાં પણ ગાંધીજીને ગોપાલકૃષ્ણ ગોખલેની ખૂબ હૂંફ મળી હતી. લડત દરમિયાન દ. આફ્રિકામાં ભારતીયોની સ્થિતિ અને લડતને જોવા ગોખલે દ. આફ્રિકા ગયા હતા. ગિરિરાજ કિશોરે ગાંધીજીના દ. આફ્રિકાના જીવન પર કેન્દ્રિત નવલકથા ‘પહેલો ગિરમીટિયો’ લખી છે, જેમાં લેખકે ગોખલેના દ. આફ્રિકા પ્રવાસ દરમિયાનનો માતૃભાષા સંબંધિત એક સુંદર પ્રસંગ વર્ણવ્યો છેઃ

‘એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન એ ઊભો થયો કે જાહેરસભામાં કઈ ભાષામાં બોલવું? મોહનદાસે કહ્યું: ‘તમે હિંદુસ્તાનીમાં બોલો.’

ગોખલેએ કહ્યું: ‘ભાંગીતૂટી હિંદુસ્તાનીમાં બોલીશ તો લોકો હસશે. ન હું વાત સમજાવી શકીશ, ન તેઓ સમજશે.’

‘હું પણ એ જ ભાષા બોલું છું.’

ગોખલે ચિંતામાં પડી ગયા. એટલે મોહનદાસે કહ્યું: ‘તમે મરાઠીમાં બોલો તો?’

‘દક્ષિણ આફ્રિકામાં મરાઠીમાં બોલવું એ તો વધુ હાસ્યાસ્પદ થશે. એનો પણ અનુવાદ તો કરવો જ પડે. એટલે સારું એ થશે, હું અંગ્રેજીમાં બોલું.’

‘મારી તમને વિનંતી છે, તમે હિંદુસ્તાનીમાં ન બોલો તો મરાઠીમાં બોલો. અહીંના લોકો એ જાણીને ગૌરવ અનુભવશે કે હિંદુસ્તાનના આટલા મોટા નેતા પોતાની માતૃભાષાને ચાહે છે.’

ગોખલે મરાઠીમાં જ બોલ્યા. મોહનદાસે હિંદુસ્તાનીમાં તેનો તરજુમો કર્યો. એક વાર એમણે મરાઠીમાં બોલવાનું શરૂ કર્યું. પછી તો છેક ઝાંઝીબાર (પ્રવાસના છેલ્લા મુકામ) સુધી મરાઠીમાં જ બોલ્યા.’

ગુજરાતમાં માતૃભાષા અંગે માહોલ બની રહ્યો છે ત્યારે ગોખલે અને ગાંધીનો આ કિસ્સો પ્રેરણા પૂરી પાડે એવો છે.

(દિવ્ય ભાસ્કરની 9મી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)

Wednesday, April 4, 2018

કિંગ તો કોને ખપે?

દિવ્યેશ વ્યાસ

માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યાને 50 વર્ષ પૂરાં થશે. સમાનતાનાં સપનાં જોનારા કિંગ જેવા નેતાઓ ક્યા સમાજને પસંદ છે?


(આ તસવીર કિંગના વિખ્યાત ભાષણ ‘આઈ  હેવ અ ડ્રીમ’ વખતની હોવાનું કહેવાય છે, જે ગૂગલ ઇમેજ પરથી શોધીને મૂકી છે.)

આજે 4 એપ્રિલ છે. આજે કયા વિષય પર લખવું જોઈએ, એના ખાંખાંખોળા ચાલતા હતા ત્યારે ધ્યાનમાં આવ્યું કે 4 એપ્રિલ એટલે અશ્વેત નવલકથાકાર અને કવયિત્રી માયા એન્જેલોનો જન્મ દિવસ. માયા એન્જેલોની હૃદયદ્રાવક કવિતાઓની સાથે સાથે તેમની પાંચ ભાગમાં વિસ્તરેલી આત્મકથા ‘આઈ નૉ વ્હાય ધ કેજ્ડ બર્ડ સિંગ્સ’ પણ યાદ આવી જાય. એક અશ્વેત દીકરીએ કેટકેટલું સહન કરવું પડ્યું અને છતાં સંઘર્ષ કરીને તેણે કેવી નામના મેળવી, એ કથા સાચે જ પ્રેરણાદાયી છે. હા, આ તારીખ સાથે બીજી એક દુખદ ઘટના પણ જોડાયેલી છે. ઈ.સ. 1968માં 4 એપ્રિલના રોજ માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની ગોળી મારીને હત્યા કરવામાં આવેલી.

વિષયશોધની મથામણ વખતે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા હતા કે ભાવનગર જિલ્લાના ટીંબી ગામના એક દલિત યુવાન પ્રદીપ રાઠોડની હત્યા એટલા માટે કરી દેવામાં આવી કે તેને ઘોડેસવારીનો રજવાડી શોખ હતો! બે મહિના પહેલાં જ તેણે ઘોડી ખરીદી હતી અને ગામમાં ઘોડી પર સવાર થઈને નીકળતો હતો. પ્રદીપના પિતા કાળુભાઈ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી રહ્યા હતા કે ‘હજી આ દેશ આઝાદ થયો નથી? મારો દીકરો ઘોડી ચલાવવાનો શોખીન હતો. 30 હજાર રૂપિયા આપી ઘોડી ખરીદી હતી, પણ ગામના માથાભારે લોકો અવારનવાર હેરાન કરતા હતા. ઘોડી દલિતથી ન ચલાવી શકાય એવો કોઈ કાયદો સરકારે ઘડ્યો છે?’

કાળુભાઈના શબ્દો અખબારમાં વાંચીને માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરનું વિશ્વવિખ્યાત વક્તવ્ય ‘આઈ હેવ અ ડ્રીમ’ યાદ આવી ગયું, જેમાં તેમણે કહેલું, ‘સો વર્ષ (અમેરિકાની સ્થાપનાના) પછી પણ નીગ્રો આઝાદ નથી. સો વર્ષ પછી પણ નીગ્રો પોતાની જાતને નોખા હોવાનું અનુભવે છે અને અનેક પ્રકારના ભેદભાવ સહન કરે છે. સો વર્ષ પછી પણ સમૃદ્ધિના દરિયા વચ્ચે નીગ્રો ગરીબીના ટાપુ પર વસવા મજબૂર છે. સો વર્ષ પછી પણ નીગ્રો અમેરિકી સમાજના હાંસિયા પર ધકેલાયેલા છે અને પોતાના જ વતનમાં હિજરતી જેવું જીવન જીવી રહ્યા છે...’ કિંગના આ વક્તવ્યના અંશોમાં સો વર્ષની જગ્યાએ 70 વર્ષ અને નીગ્રોની જગ્યાએ દલિત કે આદિવાસી શબ્દ મૂકી દઈએ તોપણ તેમાં કહેવાયેલી વાત 100 ટકા સાચી ઠરે એમ છે. આ વાસ્તવિકતા છે અને બહુ ચિંતાજનક છે. છતાં પણ કમનસીબે આપણા સમાજમાં, જાહેરજીવનમાં કે રાજકારણમાં આ મુદ્દે ભાગ્યે જ ચિંતા કે ચિંતન કરવામાં આવે છે.

અમેરિકા અને યુરોપના દેશોમાં કાળા-ગોરાનો ભેદ ભયંકર હદે પ્રવર્તતો હતો અને આજે પણ અશ્વેત લોકોને ત્વચાના રંગના આધારે અન્યાય થયાની લાગણી થતી હોય છે. છતાં અમેરિકાએ સ્વતંત્રતા અને સમાનતાની એક લાંબી સફર સફળતાપૂર્વક કાપી છે. આ સફર અને સફળતામાં અબ્રાહમ લિંકન પછી તરત લેેવું પડે એવું નામ માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરનું છે. લિંકને ગૃહયુદ્ધ વહોરીને પણ ગુલામીપ્રથાને દેશવટો અપાવ્યો હતો અને અશ્વેત લોકોને ખરા અર્થમાં આઝાદી અપાવી હતી. અમેરિકાના બંધારણે અશ્વેત લોકોને પણ ગોરાઓ જેટલા જ અધિકારો આપ્યા હોવા છતાં અશ્વેત લોકો પ્રત્યેની રૂઢિગત માનસિકતાને કારણે  તેમણે જ્યાં ને ત્યાં ભેદભાવનો ભોગ બનવું પડતું હતું. કોઈ દેશનું બંધારણ અધિકાર આપી દે એટલે એમ દરેકને અધિકાર ક્યાં મળે છે, પછી તે અમેરિકા હોય કે ભારત!

જોકે, માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરે અશ્વેત લોકોને થઈ રહેલા અન્યાય અને સહન કરવા પડતા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો અને અમેરિકી બંધારણ પ્રમાણે અશ્વેત લોકોને પણ તમામ નાગરિક અધિકારો પ્રાપ્ત થાય, એ માટે ગાંધીચીંધ્યા અહિંસક માર્ગે આંદોલન કર્યું હતું. આ આંદોલન અંતર્ગત જ ‘માર્ચ ઓન વૉશિંગ્ટન ફોર જોબ્સ એન્ડ ફ્રીડમ’ નામની કૂચ કાઢવામાં આવી હતી. આ કૂચ 28 ઑગસ્ટ, 1963ના રોજ રાજધાની પહોંચી ત્યારે લિંકન મેમોરિયલ ખાતે આશરે અઢી લાખ લોકોની સભાને સંબોધતા કિંગે ‘આઈ હેવ અ ડ્રીમ’ નામનું ભાષણ આપ્યું હતું. કિંગ આમ તો પોતે તૈયાર કરેલું,  અગાઉથી લખેલું ભાષણ રજૂ કરવાના હતા, પરંતુ તેમના એક સાથીએ (મહાલિયા જેક્સને) તેમને તેમના સ્વપ્ન અંગે પૂછ્યું અને પછી કિંગના મુખમાંથી જે શબ્દો સરી પડ્યા, તે ઇતિહાસમાં અમર થઈ ગયા. કિંગે સપનું જોયું હતું, અમેરિકી સમાજમાં સમાનતાની સ્થાપનાનું કિંગનું સપનું હતું કે એક દિવસ એવો આવે કે પછી કોઈ વ્યક્તિને રંગના આધારે અન્યાય કે અત્યાચાર ન સહન કરવો પડે. કિંગે સપનું જોયું હતું કે ગુલામનાં બાળકો અને ગુલામોના માલિકોનાં બાળકો હળીમળીને એક પાટલે બેસીને ભાઈચારો કેળવે. કિંગે સપનું જોયું હતું કે તેમનાં ચાર બાળકોને તેઓના રંગના આધારે નહિ પણ ચરિત્રના આધારે મૂલવવામાં આવે.

આમ, કિંગ એક ભેદભાવમુક્ત અમેરિકી સમાજ ઇચ્છતા હતા. આવું ડ્રીમ જોનારા કિંગ સાથે શું થયું? ગોળી મારી ઠાર કરાયા! કિંગે પોતાનો જીવ ગુમાવવો પડ્યો, પરંતુ તેમની શહીદી એળે નહોતી ગઈ, અમેરિકી સમાજ સતત બદલાયો અને સુધર્યો પણ ખરો. જોકે, કમનસીબે આજે અમેરિકામાં ફરી શ્વેત બહુમતીવાદે ફરી માથું ઊંચક્યું છે.

ભારતમાં દલિત-આદિવાસી સમુદાય માટે સરકારી (માત્ર સરકારી) શિક્ષણ અને નોકરીઓમાં અનામતથી આગળ વિચારાયું નથી. કોઈ  સમાજ કે દેશ, પોતાના એક મોટા હિસ્સાને અન્યાય કરીને કઈ રીતે પ્રગતિ કરી શકે, કઈ રીતે મહાન બની શકે? પ્રદીપ રાઠોડ જેવા કિસ્સાઓ આપણી આંખો ખોલી શકતા હોત તો કેવું સારું!

(‘દિવ્ય ભાસ્કર’ની 4 એપ્રિલ, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, February 21, 2018

માતૃભાષા માટે શહાદત

દિવ્યેશ વ્યાસ


વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી વચ્ચે યાદ કરી લઈએ માતૃભાષા માટે પોતાનો જીવ ન્યોછાવર કરનારા શહીદોને


(તસવીરો ઇન્ટરનેટ પરથી જુદી જુદી વેબસાઇટ્સ પરથી લીધેલી છે.)

ભાષાના ઉદભવ પછી માનવી અન્ય પ્રાણીઓ કરતાં ચડિયાતો અને વધારે શક્તિશાળી બની શક્યો. માનવ સંસ્કૃતિના વિકાસમાં પણ ભાષાએ મહામૂલો ફાળો આપ્યો છે. કોઈ પણ સંસ્કૃતિ ભાષા રૂપી સરોવરમાં જ હિલોળા લેતી હોય છે. ભાષા વિના સંસ્કૃતિની હાલત જલ બિન મછલી જેવી બની જતી હોય છે. આજનો આધુનિક માનવી ત્રણથી વધારે ભાષાઓનો જાણકાર બન્યો છે, પરંતુ દરેકને પોતાની માતૃભાષા વિશેષપણે પ્યારી હોય છે. માતાના મુખેથી સાંભળેલી અને દુનિયામાં સૌથી પહેલા શીખેલી ભાષા એટલે માતૃભાષા. માતૃભાષાને એટલે દૂધભાષા પણ કહે છે. સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થશે. માતૃભાષા દિવસ માટે  21મી ફેબ્રઆરી જ શા માટે પસંદ થઈ, એની પાછળ એક લોહિયાળ કહાણી છે. શું તમે માની શકો કે કોઈ સમાજ પોતાની માતૃભાષા માટે માર્ગ પર ઊતરીને આંદોલન કરે? શું તમે ધારી શકો કે તરુણો-યુવાનો પોતાની ભાષા માટે મોતની પણ પરવા કર્યા વિના સામી છાતીએ બંદૂકોની ગોળીઓ ઝીલે? હા, આવું જ થયું હતું પૂર્વ પાકિસ્તાનમાં (હાલના બાંગ્લાદેશમાં).

ઈ.સ. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાન બે હિસ્સામાં વહેંચાયેલું હતું. હાલનું બાંગ્લાદેશ ત્યારે પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું. પૂર્વ પાકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો જ પ્રદેશ હતો, પરંતુ ત્યાંના લોકોની ભાષા અને સંસ્કૃતિ બંગાળી હતાં. ધર્મના  આધારે રચાયેલા પાકિસ્તાનના વડાઓએ નક્કી કર્યું કે દેશનો વહીવટ ઉર્દુમાં જ ચાલશે, જ્યારે પૂર્વ પાકિસ્તાનના લોકોની લાગણી હતી કે બંગાળી પણ રાષ્ટ્રની ભાષા બનવી જોઈએ. કટ્ટરતાના ઝેરથી સિંચાયેલી પાકિસ્તાની માનસિકતા ઉર્દુ ઉપરાંતની અન્ય કોઈ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે કઈ રીતે સ્વીકારી શકે! ઑગસ્ટ-1947માં આઝાદી મળી અને ડિસેમ્બર-1947માં તો પૂર્વ પાકિસ્તાનમાં રાષ્ટ્રભાષા સંઘર્ષ પરિષદની રચના કરવાની નોબત આવી ગયેલી. પ્રારંભિક વર્ષોમાં તો આશ્વાસનો આપીને ચલાવાયું, પરંતુ ધીમે ધીમે પૂર્વ પાકિસ્તાનના લોકોને સમજાયું કે આપણી લાગણી અને માગણીની સતત અવગણના જ થઈ રહી છે ત્યારે આંદોલન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. અનેક રજૂઆતો છતાં જ્યારે 27 જાન્યુઆરી, 1952ના રોજ જ્યારે પૂર્વ પાકિસ્તાનના મુખ્યમંત્રી ખ્વાજા નજીમુદ્દીને ઢાંકામાં જાહેર કર્યું કે આપણી રાષ્ટ્રભાષા તો માત્ર ઉર્દુ જ રહેશે ત્યારે લોકોની સહનશક્તિની હદ આવી ગઈ. ઢાંકા યુનિવર્સિટી અને અન્ય મહાવિદ્યાલયોમાં ‘રાષ્ટ્રભાષા બાંગ્લા ચાઇ’નો નારો બુલંદ બન્યો. સેંકડો યુવાનો આ સંઘર્ષમાં જોડાવા તલપાપડ હતા. ભાષા-સાહિત્યિક, સાંસ્કૃતિ, સામાજિક અને રાજકીય સંસ્થાઓના પ્રતિનિધિઓની 31 જાન્યુઆરીના રોજ મળેલી બેઠકમાં નક્કી થયું કે બાંગ્લાને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી સાથે 21 ફેબ્રુઆરીના રોજ હડતાળ પાડવી.

વિરોધ પ્રદર્શનો  અને સભા-સરઘસોને અટકાવવા માટે કલમ 144 લાગુુ પાડી દેવાઈ. હથિયારબંધ સૈનિકો ખડકી દેવાયા છતાં ઢાકા યુનિવર્સિટી અને અન્ય કૉલેજોમાં વિદ્યાર્થીઓના ટોળા ઊમટી પડ્યાં. વિરોધ પ્રદર્શન અટકાવવા માટે યુવાનો પર ગોળીઓ વરસાવવામાં આવી, ડઝનબંધ યુવાનો ઘાયલ થયા અને પાંચ યુવાનોએ માતૃભાષા માટે હસતાં મોંએ  મોતને વહાલું  કર્યું. 23મી ફેબ્રુુઆરીએ શહીદોની યાદમાં સ્મારક બનાવવામાં આવ્યું, જેને સરકારે તોડાવી નાખ્યું.

યુવાનોની શહીદી પછી આંદોલન વધારે ઉગ્ર અને વ્યાપક બન્યું. આખરે પાકિસ્તાને ઝૂકવું પડ્યું. 7મી મે, 1954માં બંગાળીને રાષ્ટ્રભાષા બનાવવાનો ખરડો પસાર કરવામાં આવ્યો અને 29 ફેબ્રુઆરી, 1956ના રોજ પાકિસ્તાનના બંધારણમાં સુધારો કરીને બંગાળીને અધિકૃત રીતે પાકિસ્તાનની રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો. જોકે, આગળ જતાં લશ્કરી સરમુખત્યાર અયુબ ખાને 1959માં ફરી બંધારણમાં કુધારો કરીને બંગાળીનો રાષ્ટ્રભાષાનો દરજ્જો રદ કર્યો અને એ સાથે જ પાકિસ્તાનના ભાગલા અને અલગ બાંગ્લાદેશનાં બીજ વવાયાં હતાં.

પોતાની ભાષા માટે આવો પ્રેમ, આવો સંઘર્ષ અને આવી શહીદીનો બીજો દાખલો મળવો મુશ્કેલ છે, એને ધ્યાનમાં રાખીને જ યુનેસ્કોએ 17 નવેમ્બર, 1999ના રોજ 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો હતો. બાંગ્લાદેશમાં 21મી ફેબ્રુઆરી શહીદ દિવસ તરીકે પણ મનાવાય છે.

ભાષા સંવાદનો સેતુ રચવાનું ઉત્તમ માધ્યમ છે, પરંતુ કેટલાંક લુચ્ચાં સ્થાપિત હિતો અને ખંધા રાજકારણીઓ તેનો વિવાદ હેતુ ઉપયોગ કરતા આવ્યા છે. આને કારણે જ ભાષાવાદનાં વરવાં સ્વરૂપો જોવા મળતાં હોય છે. કદાચ આ બાબતને ધ્યાનમાં રાખીને જ વર્ષ 2018ના માતૃભાષા દિવસની થીમ ‘ટકાઉ વિકાસ માટે ભાષાકીય વિવિધતા અને બહુભાષાવાદનું યોગદાન’ પસંદ કરવામાં આવી છે.

ભાષાને સમૃદ્ધ કરીને રળીયામણી બનાવવાની  હોય, તેના નામે રાજકારણ ન રમવાનું હોય. ગુજરાતી ભાષા જિંદાબાદ!
(‘દિવ્ય ભાસ્કર’ની 21મી ફેબ્રુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કટારની મૂળ પ્રત)

Wednesday, June 7, 2017

પ્લાસ્ટિક રોડ : બેય હાથમાં લાડું!

દિવ્યેશ વ્યાસ

પ્લાસ્ટિકના કચરામાંથી સડક બનાવવાનો નવો ટ્રેન્ડ આવકાર્ય છે. આનાથી પ્લાસ્ટિકના પ્રદૂષણમાંથી મુક્તિ મળશે, સાથે સાથે સડક વધુ ટકાઉ બનશે


(પ્લાસ્ટિકયુક્ત રોડની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી સર્ચ કરીને મેળવી છે.)

પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવ્યો અને ગયો. પર્યાવરણના મુદ્દે નાગરિકો અને સરકારોમાં હવે સભાનતા ઊભી થઈ રહી છે, છતાં સક્રિયતા ઘણી ઓછી છે. આપણે આદર્શોની વાતો કરવામાં તો પાવરધા છીએ, પણ રોજિંદા જીવનમાં તેના અમલીકરણની વાત આવે ત્યારે આપણે છટકબારી શોધવા માંડતા હોઈએ છીએ. પર્યાવરણની ચર્ચામાં પ્રદૂષણ કેન્દ્રીય મુદ્દો હોય છે, છતાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જ જાય છે, જે આપણી વિચારોને આચારમાં ઉતારવાની નબળાઈ છતી કરે છે. ગાયના મુદ્દે ગોકિરો કરનારા પણ દર દર ભટકતી ગાય ફેંકી દેવાયેલી ખાદ્યસામગ્રીની સાથે સાથે પ્લાસ્ટિકની થેલીઓ ખાઈને મરણને શરણ થાય છે, એ બાબતે બહુ ઉદાસીન જોવા મળે છે.

આપણી સંસ્કૃતિમાં ગાય ઉપરાંત ધરતી અને નદીને પણ માતાનો દરજ્જો અપાયો છે, પણ તેના પ્રદૂષણ બાબતે આપણને ભાગ્યે જ પરવા હોય છે. પર્યાવરણ બચાવવા કે પ્રદૂષણ અટકાવવા માટે આપણે ભાગ્યે જ આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જહેમત લેતા હોઈએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિકની થેલીથી પર્યાવરણને કેટલું નુકસાન જઈ રહ્યું છે. પ્લાસ્ટિકનો નાશ થતો ન હોવાથી કચરાના ઢગલા નહિ, પણ ડુંગરો વધતાં જાય છે, પ્લાસ્ટિક બાળવામાં આવે તો ઝેરી વાયુઓ હવામાં ફેલાય છે, પ્લાસ્ટિકને કારણે આપણી ગટરો ચોકઅપ થઈ જાય છે, વરસાદી પાણીનો નિકાલ ન થતાં રસ્તાઓ પર પાણી ભરાઈ રહે છે, પ્લાસ્ટિક ખેતીની જમીનથી લઈને જંગલોને નુકસાન પહોંચાડે છે, પ્લાસ્ટિકને કારણે આપણી નદીઓ તેમજ દરિયાઓમાં પણ પ્રદૂષણ ફેલાય છે.

પ્લાસ્ટિક વાપરવાના અનેક જોખમો છતાં પ્લાસ્ટિક આપણી રોજિંદી જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગયું છે. આપણા જીવનમાં સવારના ટૂથબ્રશથી લઈને રાત્રે સૂતા પહેલાં બંધાતી મચ્છરદાની સુધી પ્લાસ્ટિકની બોલબાલા છે. આવા સંજોગોમાં પ્લાસ્ટિકના કચરાનો એક રચનાત્મક ઉપયોગ સામે આવ્યો છે. સડક બનાવવાના ડામર-કપચીના મિશ્રણમાં પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરવાનો ઇનોવેટિવ આઇડિયા ધીમે ધીમે રંગ લાવી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ એક અંદાજ પ્રમાણે આજે દેશમાં 40,000 કિલોમીટર કરતાં વધારે એવી સડકો બંધાઈ ચૂકી છે, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આજે કોલકાતા, બેંગલુરુ, દિલ્હી, ચેન્નઈ, મુંબઈ, પુણે, બનારસ, તિરુવંતપુરમ, મદુરાઈ, કોઝીકોડ, રાયપુર,  ઇંદૌર, જમશેદપુરથી લઈને અમદાવાદ સહિતનાં શહેરોમાં પ્લાસ્ટિકયુક્ત સડકો બંધાવા લાગી છે.

પ્લાસ્ટિકયુક્ત સડકોનો આઇડિયા મૂળે તો મદુરાઈ સ્થિત ત્યાગરાજ કૉલેજ ઑફ એન્જિનિયરિંગના રસાયણશાસ્ત્રના પ્રોફેસર આર. વાસુદેવનનો છે. પ્લાસ્ટિક પણ આખરે તો ડામરની જેમ પેટ્રોલિયમ પ્રોડક્ટ જ છે, એટલે તેમને થયું કે રોડ બનાવવામાં જો પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થાય તો એક કાંકરે અનેક સમસ્યાનો ઉકેલ મળે. તેમણે પ્રયોગો હાથ ધર્યા અને પોતાની કૉલેજમાં વર્ષ 2002માં પ્લાસ્ટિકયુક્ત સડક બનાવી. પ્રો. વાસુદેવને પ્લાસ્ટિકયુક્ત સડક બનાવવાની ટેક્નોલોજીની પેટન્ટ ઈ.સ. 2006માં મેળવી અને ત્યારથી દેશમાં રોડ બાંધકામમાં પ્લાસ્ટિકના વપરાશના આઇડિયાની સ્વીકાર્યતા ઊભી થઈ છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ તકનીકને ગ્રીન ટેક્નોલોજી જાહેર કરી છે. ઇન્ડિયન રોડ કૉંગ્રેસે પ્લાસ્ટિકના કચરામાંથી સડક બનાવવાની મંજૂરી આપી છે તો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે તમામ રાજ્યોને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનનારા રોડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યા છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકારે પાંચ લાખથી વધુ વસતી ધરાવતા શહેરની નગરપાલિકાઓ માટે રોડમાં ડામરની સાથે સાથે પ્લાસ્ટિકનો કચરાનો ઉપયોગ કરવાનું ફરજિયાત કરી દીધું છે, જેને લીધે પ્લાસ્ટિકયુક્ત સડકોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

માર્ગનિર્માણમાં પ્લાસ્ટિકના ઉપયોગથી ફેંકી દેવાયેલા-નકામા પ્લાસ્ટિકનો સદુપયોગ થાય છે અને પર્યાવરણને થતું નુકસાન અટકે છે. એ ઉપરાંત પણ ઘણા ફાયદા મળી રહ્યા છે, જેમકે, ડામર ઘટતાં રોડ બનાવવાનો ખર્ચ ઘટે છે. ડામરનો રોડ માંડ પાંચ વર્ષ સારો રહેતો હોય છે, પરંતુ તેમાં જો પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરવામાં આવે તો તેનું આયુષ્ય બેવડું થઈ જાય છે, એટલે કે 10 વર્ષ જેટલું વધી જાય છે. પ્લાસ્ટિકને કારણે વરસાદમાં માર્ગ ધોવાઈ જવાની સમસ્યા પણ ઓછી થઈ રહી છે. પ્લાસ્ટિકને કારણે ડામરના રોડ વધારે મજબૂત અને ટકાઉ બની રહ્યા છે. આશા રાખીએ પ્લાસ્ટિક વેસ્ટયુક્ત રોડનો વ્યાપ સતત વધતો રહે.

પ્લાસ્ટિકના કચરાનો સદુપયોગ કરવાનો એક વિકલ્પ ઊભો થયો છે, છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ જેટલો ઘટે, એ તો ઇચ્છનીય જ છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 7મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળ પ્રત)

Wednesday, December 21, 2016

ટ્યૂનિશિયાના ક્રાંતિ+શાંતિકારી

દિવ્યેશ વ્યાસ


ટ્યૂનિશિયામાં ક્રાંતિ પછી શાંતિ અને સ્થિરતા લાવવા માટે રાશીદ ઘન્નુશીએ રાજકીય સ્તરે ગાંધીમાર્ગ અપનાવ્યો છે


(તસવીરો ગૂગલ પરથી મેળવેલી છે)

ડિસેમ્બર-2010માં ટ્યૂનિશિયામાં ક્રાંતિનો તણખો પ્રગટ્યો હતો અને ધીમે ધીમે આરબ વિશ્વમાં ક્રાંતિની જ્વાળાઓ પ્રજ્જ્વલિત થઈ હતી. એ જ્વાળાઓએ દાયકાઓથી એકહથ્થુ શાસન કરનારા સત્તાધીશોની રાજગાદીઓને આગ ચાંપી દીધી હતી અને તેમના રાજને ભસ્મીભૂત કરી દીધું હતું. અરબ વસંત તરીકે જાણીતી બનેલી એ ક્રાંતિની શરૂઆત ટ્યૂનિશિયાથી થઈ હતી, તેમ ક્રાંતિ પછી દેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવામાં પણ ટ્યૂનિશિયા અન્ય દેશો કરતાં અગ્રણી રહ્યું છે. ટ્યૂનિશિયાએ આજે પોતાનું બંધારણ રચી દીધું છે અને લોકશાહી સરકાર ચૂંટાઈને સારી રીતે શાસન ચલાવી રહી છે. ટ્યૂનિશિયામાં વહેલી શાંતિ અને રાજકીય સ્થિરતા સ્થપાવા પાછળ એક રાજનેતાની બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે, એ રાજનેતાનું નામ છે - રાશીદ ઘન્નુશી. રાશીદ ઘન્નુશીની રાજકીય સૂઝ, સમજદારી, સમતા, સહિષ્ણુતા, સમાદરની ભાવના તથા સર્વસમાવેશક અભિગમને કારણે ટ્યૂનિશિયા ઘણી આસાનીથી એક નવા રાષ્ટ્ર તરીકે ઉદયમાન થઈ શક્યું છે. રાશીદ ઘન્નુશીના રાજકીય અભિગમ અને વ્યવહારમાં ગાંધીમૂલ્યો ઝળક્યા કરે છે અને એટલે જ તેમને ટ્યૂનિશિયાના નેલ્શન મંડેલા પણ કહેવામાં આવે છે.

નોટબંધીના કકળાટને કારણે અનેક સારા સમાચારો આપણા ધ્યાન બહાર ગયા, એમાંના એક સમાચાર એ પણ હતા કે રાજકીય ક્ષેત્રમાં ગાંધીમાર્ગ અપનાવનારા રાશિદ ઘન્નુશીને ગયા નવેમ્બર મહિનામાં જ ભારત બહાર ગાંધીમૂલ્યોને પ્રોત્સાહન આપનારાઓને અપાતો પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો હતો.


રાશિદ ઘન્નુશીની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેઓ ઇસ્લામિક મૂલ્યોમાં જબરી શ્રદ્ધા ધરાવવાની સાથે સાથે એવો વિશ્વાસ પણ ધરાવે છે કે ઇસ્લામ અને લોકતાંત્રિક વ્યવસ્થા બહુ સારી રીતે એક સાથે ચાલી શકે છે. તેઓ ઇસ્લામના કટ્ટરતા કરતાં સર્વસમાવેશક પાસાંની વધારે હિમાયત કરે છે અને તેમના આ ઉદારવાદી દૃષ્ટિકોણનો લાભ સમગ્ર ટ્યૂનિશિયાને મળ્યો છે. ઘન્નુશીનો સુધારાવાદી એન્નાહદાહ પક્ષ ટ્યૂનિશિયામાં રાજકીય વર્ચસ્વ ધરાવે છે અને તેઓ ધારે તો આસાનીથી રાષ્ટ્રપ્રમુખ થઈ શકે એમ છે, પરંતુ તેમને સત્તા કરતાં દેશસેવામાં વધારે રસ છે. તેમણે જાહેર કરેલું છે કે તેમને રાષ્ટ્રપ્રમુખ સહિતના કોઈ રાજકીય પદમાં રસ નથી અને એટલે જ તેઓ દેશના રાષ્ટ્રપ્રમુખ કરતાં પણ વધારે લોકચાહના, સ્વીકાર્યતા અને સન્માન ધરાવે છે.

રાશિદ ઘન્નુશી વિદ્વાન છે અને ઇસ્લામના ઊંડા મર્મી છે. વળી, મુસ્લિમ બ્રધરહુડ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ અંગેનાં તેમનાં નિવેદનો જોઈને તમને તેઓ કટ્ટરવાદી નેતા પણ લાગી શકે, પરંતુ ટ્યૂનિશિયામાં તેમણે સેક્યુલર અભિગમ અપનાવ્યો છે અને સેક્યુલર પક્ષો, ડાબેરી પક્ષોને પણ સાથે લઈને ચાલી શક્યા છે. ટ્યૂનિશિયાના બંધારણમાં શરિયતની મોટા ભાગની બાબતોને આવરી લેવામાં આવી છે, છતાં પણ બંધારણને ઉદારમતવાદી અને સેક્યુલર બનાવી શકાયું છે. આવું કરવામાં કટ્ટરવાદી અગ્રણીઓનો ઉગ્ર વિરોધ પણ સહેવો પડી રહ્યો છે, છતાં ઘન્નુશી જેવા નેતૃત્વને કારણે સમતોલ અભિગમ લઈ શકાયો અને જાળવી શકાયો છે.

રાશિદ ઘન્નુશીની રાજનીતિનું સૌથી આકર્ષક પાસું રાજકારણમાં મહિલાઓની સહભાગિતા માટેની તેમની પ્રતિબદ્ધતા છે. તેમના પક્ષના ચૂંટાયેલા નેતાઓમાં મહિલાઓનું ઘણું ઊંચું પ્રમાણ છે. તેમની પહેલની સીધી અસર સમગ્ર રાષ્ટ્ર પર જોવા મળે છે. 2011ની ક્રાંતિ પછી દેશની બંધારણ સભાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મહિલા સભ્યો ચૂંટાઈને આવ્યાં હતાં. ઘન્નુશીના પક્ષ એન્નાહદાહની જ વાત કરીએ તો તેના 89 ચૂંટાયેલા સભ્યોમાંથી 42 મહિલા સભ્યો હતાં, જે પ્રમાણ ઘણું મોટું કહી શકાય. કોઈ મુસ્લિમબહુલ દેશમાં ટ્યૂનિશિયા આ બાબતે સૌથી અલગ તરી આવે છે. આ બાબત પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે.

આરબ ક્રાંતિ અગાઉનાં ઘણાં વર્ષો પહેલાંથી રાશિદ ઘન્નુશી દેશના રાજકારણમાં પરિવર્તન કરવા માટે સંઘર્ષરત હતા. દેશમાં એક પક્ષનું જ વર્ચસ્વ હતું ત્યારે એ રાજકીય માળખા સામે બળવો પોકારીને તેમણે બહુપક્ષીય લોકશાહીની હિમાયત કરી હતી. આ માટે તેમને ઘણાં વર્ષો જેલમાં પણ વિતાવવા પડ્યાં છે અને છેલ્લે તો તેમને દેશવટો જ આપી દેવામાં આવ્યો હતો.  ટ્યૂનિશિયામાં ક્રાંતિ થઈ અને બેન અલીના શાસનનો અંત આવ્યો પછી જ તેઓ સ્વદેશ પરત ફરી શક્યા હતા.

ક્રાંતિ પછી રાષ્ટ્રીય બંધારણ સભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ઘન્નુશીના એન્નાહદાહ પક્ષને બહુમતી પ્રાપ્ત થઈ હતી, છતાં ઘન્નુશીએ અન્ય પક્ષોને હંમેશાં પોતાની સાથે રાખ્યા અને નવા દેશના બંધારણમાં સૌનાં સૂચનો અને ભલામણોને આવકારીને સર્વસંમતિથી જ આગળ વધવાનો અભિગમ અપનાવ્યો હતો. વળી, તેમણે બેન અલીના શાસનમાં મોટા હોદ્દા ધરાવનારા લોકોને પણ આ પ્રક્રિયામાં સામેલ કર્યા હતા, આને કારણે પણ તેમને નેલ્સન મંડેલા સાથે સરખાવાય છે. બંધારણના ઘડતર પછી જ્યારે ચૂંટણી કરવાની વાત આવી ત્યારે નિષ્પક્ષ ચૂંટણીઓ થાય એ માટે તેમણે પોતાના પક્ષની સરકારને રાજીનામું અપાવીને તટસ્થ વહીવટીતંત્રની દેખરેખમાં ચૂંટણીઓ કરાવીને પણ લોકશાહી મૂલ્યો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુરવાર કરી હતી.

આજે જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બહુમતીવાદ વધી અને વકરી રહ્યો છે, ત્યારે ઘન્નુશીએ ટ્યૂનિશિયામાં બહુમતીવાદ ન વ્યાપે એની કાળજી લીધી છે. ઘન્નુશી જેવા સર્વસમાવેશક નેતા જ દેશને લાંબા ગાળાની સ્થિરતા અપાવી શકે. રાશિદ ઘન્નુશી જેવા નેતાઓની દરેક દેશને જરૂર હોય છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 21મી ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, November 30, 2016

નાલંદા ઇતિહાસમાં જ રહેશે?

દિવ્યેશ વ્યાસ

 

 નાલંદા વિદ્યાપીઠ ફરી વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવા સંજોગો દિવસે દિવસે નબળા પડતા જાય છે

(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

ભારતની નવી પેઢી દેશને દુનિયાની મહાસત્તા તરીકે જોવા માગે છે. જોકે, ભારતવર્ષનું સદીઓ જૂનું સપનું દેશને વિશ્વગુરુ તરીકે સ્થાપિત કરવાનું રહ્યું છે. એક જમાનો હતો જ્યારે અખંડ ભારતમાં નાલંદા અને તક્ષશિલા જેવાં વિદ્યાધામો ધમધમતાં હતાં. એક સમયે બનારસ વિદ્યાભ્યાસી યુવકોના મંત્રોચ્ચારથી ગુંજતું રહેતું હતું. જ્ઞાન અને વિદ્યાને સૌથી મૂલ્યવાન અને પવિત્ર ગણતી આપણી સંસ્કૃતિમાં બાહ્ય (વિદેશી-વિધર્મી શાસકો) અને આંતરિક (જાતિ-જ્ઞાતિવાદ વગેરે) પરિબળોના પાપે આપણી શિક્ષણ વ્યવસ્થાનું સતત અધ:પતન થતું ગયું.

આજે તક્ષશિલા વિદ્યાપીઠ પાકિસ્તાનમાં સ્મારક બનીને ધૂળ ખાય છે, બનારસ વિદ્યાધામને બદલે યાત્રાધામમાં ફેરવાઈ ગયું છે, પરંતુ નાલંદાનું નસીબ થોડું વધારે બળૂકું નીકળ્યું. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામને નાલંદાનું નવસર્જન કરવાનું સૂઝ્યું! નાલંદાની જ્ઞાનોજહાલી પાછી લાવવાના પ્રયાસમાં એશિયાના અન્ય દેશોએ પણ રસ દાખવ્યો. વર્ષ 2006માં ભારત ઉપરાંત ચીન, જાપાન, સિંગાપોર, થાઇલેન્ડ સહિત બાર દેશોએ નાલંદાના નવસર્જન માટે એક કરાર કર્યો, એટલું જ નહીં અમુક દેશોએ આર્થિક સહયોગ પણ પૂરો પાડ્યો. ભારત અને બિહાર સરકારની પ્રતિબદ્ધતા અને અમર્ત્ય સેન જેવાના પ્રબુદ્ધ નેતૃત્વને પરિણામે વર્ષ 2014માં આશરે 800 વર્ષ કરતાં લાંબા અંતરાલ પછી નાલંદામાં શિક્ષણ કાર્યનો પુન: પ્રારંભ થયો. એક સપનું સાકાર થતું હોય એવો ભાસ થયો. જોકે, માત્ર બે વર્ષના ગાળામાં રાજકીય-શાસકીય પરિબળોનો એવો ઉપાડો શરૂ થયો છે કે હવે નાલંદા વિદ્યાપીઠ ફરી વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવા સંજોગો દિવસે દિવસે નબળા પડતા જાય છે.

અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકથી સન્માનિત એવા ‘ભારત રત્ન’ અમર્ત્ય સેનને નાલંદા યુનિવર્સિટીના પહેલા કુલપતિ (ચાન્સેલર) બનાવાયા હતા. જોકે, વર્તમાન શાસકો સાથે સૈદ્ધાંતિક મતભેદોને પગલે તેમને આ પદ પર વધુ ટકી રહેવાનું મુનાસિબ ન લાગ્યું, છતાં નાલંદાની ગવર્નિંગ બોડી તથા નાલંદા મેન્ટર ગ્રૂપના સભ્ય તરીકે કાર્યરત હતા. જોકે, કેન્દ્ર સરકારે તાજેતરમાં નાલંદા યુનિવર્સિટીની નવી ગવર્નિંગ બોડીની રચના કરી અને અપેક્ષિત રીતે જ અમર્ત્ય સેનની તેમાંથી બાદબાકી કરી દેવામાં આવી. સરકારના આવા વલણ અને નિર્ણય સામે વિરોધ જતાવીને નાલંદા યુનિવર્સિટીના કુલપતિ જ્યોર્જ યોએ રાજીનામું ધરી દીધું છે. આ ઘટનાક્રમ અફસોસજનક છે. જ્યોર્જ યોએ પોતાની નારાજગી માટેનું સ્પષ્ટ કારણ દર્શાવ્યું છે કે યુનિવર્સિટીની સ્વાયત્તતા જોખમમાં છે અને આવી બાબતો શિક્ષણ સંસ્થાના વિકાસને અવરોધે છે.

આપણે ત્યાં આજકાલ સ્વાયત્તતા જાણે કે સરકાર સામે બળવો કરવાનું લાઇસન્સ હોય, એ દૃષ્ટિએ તેને જોવામાં આવે છે. સંતાન હોય કે સંસ્થા, તેના વ્યક્તિત્વની પૂર્ણ ખીલવણી કે સંપૂર્ણ વિકાસ માટે તેને સ્વતંત્રતા-સ્વાયત્તતા આપ્યા વિના ચાલે નહીં, પણ કમનસીબે અસણસમજુ પિતા કે અસલામત સત્તાધીશને આ વાત ગળે ઉતારવી મુશ્કેલ છે.

નાલંદા મહાવિહારને હજુ ગત જુલાઈ-2016માં જ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. નાલંદાની જ્ઞાનોજહાલી ઇતિહાસવસ્તુ નહિ, પણ વર્તમાન વાસ્તવિકતા બનાવવાનું સપનું સેવાયું હતું, પરંતુ હાલના સંજોગોમાં સવાલ જાગે છે કે નાલંદા શું ઇતિહાસ જ બની રહેશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી નવેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - બિનસંપાદિત)

Wednesday, May 25, 2016

સફેદ વાળનો વૈભવ

દિવ્યેશ વ્યાસ


કેરળના બે વયોવૃદ્ધ નેતાઓની સિદ્ધિઓ રાજકીય ક્ષેત્રમાં વયનિવૃત્તિ મામલે નવેસરથી વિચારવા પ્રેરે છે



(અચ્યુતાનંદન અને રાજગોપાલની તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

ગયા સપ્તાહમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીનાં પરિણામોએ અનેક રાજકીય મુદ્દાઓ પર ચર્ચાઓ છેડી છે, પરંતુ એક ઓછો ધ્યાને લેવાયેલો મુદ્દો છે - વયોવૃદ્ધ નેતાઓની સિદ્ધિઓ. ખાસ કરીને કેરળના બે નેતાઓએ ઉંમરની સાડાબારી રાખ્યા વિના જે સિદ્ધિ હાંસલ કરી છે, તે રાજકીય ક્ષેત્રમાં વયનિવૃત્તિ મામલે નવેસરથી વિચારવા મજબૂર કરે છે.

કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)ને સત્તા પર લાવવામાં જેમનો સિંહફાળો મનાય છે, એવા 93 વર્ષના નેતા વી.એસ. અચ્યુતાનંદન કદાચ મુખ્યમંત્રી પદ નહીં હાંસલ કરી શકે, છતાં કેરળમાં ડાબેરી મોરચાના વિજયનું શ્રેય તેમને જ જાય છે. નેવું વર્ષથી મોટી વયના લોકો માંડ ચાલી શકતા હોય છે ત્યારે અચ્યુતાનંદન પોતાના પક્ષને સફળતા તરફ તેજ ગતિએ દોડાવવામાં સફળ રહ્યા છે. સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે છેલ્લી એક-બે ચૂંટણીઓથી વિરોધી પક્ષના નેતાઓ અચ્યુતાનંદનના વિરોધનો એક મુદ્દો તેમની ઉંમરને બનાવતા રહ્યા છે, છતાં મતદારો આ નેતાની ઉંમર નહીં પણ ઉત્સાહ અને પ્રતિબદ્ધતાને સલામ કરીને સફળ બનાવતા રહ્યા છે. ગત ચૂંટણીમાં કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અચ્યુતાનંદનની વય પર કૉમેન્ટ કરીને ટોણો માર્યો હતો, એ વખતે અચ્યુતાનંદને રાહુલને ‘અમૂલ બેબી’ એવું નામ આપેલું, જે આજેય બહુ જાણીતું છે! જોકે, રાહુલના મુદ્દાનો વિરોધ કરતાં તેમણે જે મલિયાલમ કવિતા સંભળાવી હતી, તે ધ્યાનાકર્ષક છે. કાવ્યનું ગુજરાતી કંઈક આવું કરી શકાય: ‘સફેદ વાળ મારી વધતી વય નથી દર્શાવતા, ન કોઈની ઓછી વય હોવી તેની યુવાનીનો સંકેત, મૂડીવાદી સામે સામી છાતીએ ઊભા રહેવામાં જ મારી જવાની છે.’

કહેવાય છે કે કેરળમાં અચ્યુતાનંદનની બરનો બીજો કોઈ નેતા નથી. કેરળમાં ભાગ્યે જ કોઈ જનવાદી આંદોલન હશે, જેનો તેઓ હિસ્સો ન બન્યા હોય. કેરળના મુખ્યમંત્રી રહી ચૂકેલા અચ્યુદાનંદન ભલે 90 વર્ષને પાર કરી ગયા હોય, પરંતુ વિધાનસભા બેઠકમાં તેમના તોફાની પ્રચાર અભિયાન વિના એલડીએફ માટે ફરી સત્તારોહણ શક્ય નહોતું. એક જમાનામાં જે ડાબેરીઓનો ગઢ મનાતું હતું એ પશ્ચિમ બંગાળમાં પણ સતત બીજી વખત ડાબેરીઓનું ધોવાણ થયું છે, એટલું જ નહીં સમગ્ર દેશમાં ડાબેરી વિચારધારા હવે અપ્રસ્તુત બની રહી છે ત્યારે ડાબેરી પક્ષને સત્તા મળવી લોઢાના ચણા ચાવવા જેવું હતું, પરંતુ આમ આદમીના કમ્યુનિસ્ટ નેતા ગણાતા અચ્યુતાનંદને પોતાની સાદગી, પ્રતિબદ્ધતા અને પરિશ્રમ થકી મોટી સિદ્ધિ મેળવી છે.

કેરળના જ બીજા નેતા છે, જેમણે પોતાના સફેદ વાળને શોભાવીને ભલભલા યુવાનોને શરમાવે એવી સિદ્ધિ મેળવી છે. આ નેતાનું નામ છે - ઓ. રાજગોપાલ. આ એ જ 86 વર્ષના નેતા છે, જેમણે કેરળમાં ભાજપને પહેલી વિધાનસભા બેઠક જિતાડીને પક્ષનું ખાતું ખોલાવી આપ્યું છે. કેરળમાં લઘુમતી મતોનું વર્ચસ્વ (48 ટકા) છે તથા ડાબેરી વિચારધારાના સમર્થકો પણ મોટા પ્રમાણમાં છે ત્યારે આ પ્રદેશમાં જમણેરી અને હિન્દુત્વ વિચારધારામાં માનતા નેતા માટે જીતવું કેટલું મુશ્કેલ હોય એ સમજી શકાય છે. જોકે, રાજગોપાલે વર્ષો નહીં, દાયકાઓ પછી કેરળની ધરતી પર પોતાના પક્ષને વિજય અપાવવામાં સફળતા મેળવી છે.
રાજગોપાલે તિરુવનંતપુરમની નેમમ બેઠક પર 8 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો છે. આ જીત કેટલી મીઠી લાગી હશે તે કદાચ રાજગોપાલ સિવાય ભાગ્યે જ કોઈ જણાવી શકે, કારણ કે જનસંઘના જમાનામાં ઈ.સ. 1964થી પોતાનું જાહેરજીવન પ્રારંભ કરનારા રાજગોપાલ અત્યાર સુધીમાં 13 ચૂંટણીઓ હારી ચૂક્યા છે. રાજગોપાલ બે વખત રાજ્યસભામાં સાંસદ રહ્યા છે અને વાજપેયી સરકારમાં કાયદો, ન્યાય અને કંપની અફેર્સના રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, પરંતુ ચૂંટણી પહેલી વાર જીત્યા છે.

અચ્યુતાનંદન અને રાજગોપાલ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ફરી અને પહેલાં કરતાં ભવ્ય વિજય મેળવનારાં મમતા બેનરજી 61 વર્ષનાં છે તો તમિલનાડુમાં પોતાના પક્ષને ફરી સત્તા પર લાવનારાં જયલલિતા પણ 68 વર્ષનાં છે. આમ, રાજકારણમાં વયનો અને વયનિવૃત્તિનો મુદ્દો જરા જુદી રીતે વિચાર માગી લે છે. જોકે, આપણે ત્યાં યુવા નેતૃત્વને નામે ખરેખર તો વડીલ નેતાઓને હાંસિયામાં ધકેલવાની વ્યૂહરચના જ અપનાવાતી હોય છે. બાકી, મહાભારતનો શ્લોક છે કે જે સભામાં સફેદ વાળવાળા વૃદ્ધો નથી, એ સભા જ નથી! પણ સત્તાકાંક્ષીઓને મહાભારતનાં મહાબોધવચનો સાથે શું લાગેવળગે!
(‘દિવ્ય ભાસ્કર’ની 25 મે, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Friday, January 1, 2016

નવા વર્ષે.... આળસને ત્યાગીએ, અક્ષરને પામીએ

એમ.ફિલ.ના અભ્યાસ દરમિયાન મેં બ્લોગના માધ્યમ અંગે શોધનિબંધ લખ્યો હતો, પરંતુ મારો કોઈ બ્લોગ નહોતો. ઘણા મિત્રો આ બાબતે મારી મજાક પણ ઉડાવતા અને તેમાં સત્ય અને તથ્ય હોવાથી હું પણ તેમના જેટલું જ અને ક્યારેક તેમનાથી પણ વધારે હસી લેતો. ‘સંદેશ’ના કાર્યકાળ દરમિયાન સ્મિથ સોલેસ નામનો મિત્ર અને સહકર્મચારી ઘણી વાર બ્લોગ બનાવવા માટે આગ્રહ કરતો અને પોતે બ્લોગ તૈયાર કરી આપશે, એવી ઢાંઢસ પણ બંધાવતો. પણ દર વખતે આળસ નામના મારી અંદરના દુશ્મને બ્લોગથી દૂર રાખ્યો. સ્મિથે બ્લોગ બનાવી આપ્યો. મારી કૉલમના નામે જ તેણે એકથી વધુ બ્લોગ તૈયાર કરી આપ્યા પણ એમાં કૉલમ અપલોડ કરવાનું પણ મારાથી બનતું નહોતું.

(તસવીર ગૂગલ પરથી જે ગમી તે મૂકી છે.)

આજે વર્ષ 2016માં પ્રવેશી રહ્યો છું ત્યારે થયું કે આળસને ગોળી મારવી રહી. બ્લોગમાં વિશેષ કંઈ લખાય કે ન લખાય, પણ એટલિસ્ટ કૉલમ તો નિયમિત અપલોડ કરવી જ છે.
આશા છે આપ સૌને મારી આ નવી શરૂઆત ગમશે અને આ બ્લોગ પર નિયમિત મળતા રહીશું. 2016માં આપણે સૌ આળસ પર વિજય મેળવીએ, એવી શુભકામનાઓ....