Showing posts with label આંદોલન. Show all posts
Showing posts with label આંદોલન. Show all posts

Wednesday, February 21, 2018

માતૃભાષા માટે શહાદત

દિવ્યેશ વ્યાસ


વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી વચ્ચે યાદ કરી લઈએ માતૃભાષા માટે પોતાનો જીવ ન્યોછાવર કરનારા શહીદોને


(તસવીરો ઇન્ટરનેટ પરથી જુદી જુદી વેબસાઇટ્સ પરથી લીધેલી છે.)

ભાષાના ઉદભવ પછી માનવી અન્ય પ્રાણીઓ કરતાં ચડિયાતો અને વધારે શક્તિશાળી બની શક્યો. માનવ સંસ્કૃતિના વિકાસમાં પણ ભાષાએ મહામૂલો ફાળો આપ્યો છે. કોઈ પણ સંસ્કૃતિ ભાષા રૂપી સરોવરમાં જ હિલોળા લેતી હોય છે. ભાષા વિના સંસ્કૃતિની હાલત જલ બિન મછલી જેવી બની જતી હોય છે. આજનો આધુનિક માનવી ત્રણથી વધારે ભાષાઓનો જાણકાર બન્યો છે, પરંતુ દરેકને પોતાની માતૃભાષા વિશેષપણે પ્યારી હોય છે. માતાના મુખેથી સાંભળેલી અને દુનિયામાં સૌથી પહેલા શીખેલી ભાષા એટલે માતૃભાષા. માતૃભાષાને એટલે દૂધભાષા પણ કહે છે. સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થશે. માતૃભાષા દિવસ માટે  21મી ફેબ્રઆરી જ શા માટે પસંદ થઈ, એની પાછળ એક લોહિયાળ કહાણી છે. શું તમે માની શકો કે કોઈ સમાજ પોતાની માતૃભાષા માટે માર્ગ પર ઊતરીને આંદોલન કરે? શું તમે ધારી શકો કે તરુણો-યુવાનો પોતાની ભાષા માટે મોતની પણ પરવા કર્યા વિના સામી છાતીએ બંદૂકોની ગોળીઓ ઝીલે? હા, આવું જ થયું હતું પૂર્વ પાકિસ્તાનમાં (હાલના બાંગ્લાદેશમાં).

ઈ.સ. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાન બે હિસ્સામાં વહેંચાયેલું હતું. હાલનું બાંગ્લાદેશ ત્યારે પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું. પૂર્વ પાકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો જ પ્રદેશ હતો, પરંતુ ત્યાંના લોકોની ભાષા અને સંસ્કૃતિ બંગાળી હતાં. ધર્મના  આધારે રચાયેલા પાકિસ્તાનના વડાઓએ નક્કી કર્યું કે દેશનો વહીવટ ઉર્દુમાં જ ચાલશે, જ્યારે પૂર્વ પાકિસ્તાનના લોકોની લાગણી હતી કે બંગાળી પણ રાષ્ટ્રની ભાષા બનવી જોઈએ. કટ્ટરતાના ઝેરથી સિંચાયેલી પાકિસ્તાની માનસિકતા ઉર્દુ ઉપરાંતની અન્ય કોઈ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે કઈ રીતે સ્વીકારી શકે! ઑગસ્ટ-1947માં આઝાદી મળી અને ડિસેમ્બર-1947માં તો પૂર્વ પાકિસ્તાનમાં રાષ્ટ્રભાષા સંઘર્ષ પરિષદની રચના કરવાની નોબત આવી ગયેલી. પ્રારંભિક વર્ષોમાં તો આશ્વાસનો આપીને ચલાવાયું, પરંતુ ધીમે ધીમે પૂર્વ પાકિસ્તાનના લોકોને સમજાયું કે આપણી લાગણી અને માગણીની સતત અવગણના જ થઈ રહી છે ત્યારે આંદોલન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. અનેક રજૂઆતો છતાં જ્યારે 27 જાન્યુઆરી, 1952ના રોજ જ્યારે પૂર્વ પાકિસ્તાનના મુખ્યમંત્રી ખ્વાજા નજીમુદ્દીને ઢાંકામાં જાહેર કર્યું કે આપણી રાષ્ટ્રભાષા તો માત્ર ઉર્દુ જ રહેશે ત્યારે લોકોની સહનશક્તિની હદ આવી ગઈ. ઢાંકા યુનિવર્સિટી અને અન્ય મહાવિદ્યાલયોમાં ‘રાષ્ટ્રભાષા બાંગ્લા ચાઇ’નો નારો બુલંદ બન્યો. સેંકડો યુવાનો આ સંઘર્ષમાં જોડાવા તલપાપડ હતા. ભાષા-સાહિત્યિક, સાંસ્કૃતિ, સામાજિક અને રાજકીય સંસ્થાઓના પ્રતિનિધિઓની 31 જાન્યુઆરીના રોજ મળેલી બેઠકમાં નક્કી થયું કે બાંગ્લાને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી સાથે 21 ફેબ્રુઆરીના રોજ હડતાળ પાડવી.

વિરોધ પ્રદર્શનો  અને સભા-સરઘસોને અટકાવવા માટે કલમ 144 લાગુુ પાડી દેવાઈ. હથિયારબંધ સૈનિકો ખડકી દેવાયા છતાં ઢાકા યુનિવર્સિટી અને અન્ય કૉલેજોમાં વિદ્યાર્થીઓના ટોળા ઊમટી પડ્યાં. વિરોધ પ્રદર્શન અટકાવવા માટે યુવાનો પર ગોળીઓ વરસાવવામાં આવી, ડઝનબંધ યુવાનો ઘાયલ થયા અને પાંચ યુવાનોએ માતૃભાષા માટે હસતાં મોંએ  મોતને વહાલું  કર્યું. 23મી ફેબ્રુુઆરીએ શહીદોની યાદમાં સ્મારક બનાવવામાં આવ્યું, જેને સરકારે તોડાવી નાખ્યું.

યુવાનોની શહીદી પછી આંદોલન વધારે ઉગ્ર અને વ્યાપક બન્યું. આખરે પાકિસ્તાને ઝૂકવું પડ્યું. 7મી મે, 1954માં બંગાળીને રાષ્ટ્રભાષા બનાવવાનો ખરડો પસાર કરવામાં આવ્યો અને 29 ફેબ્રુઆરી, 1956ના રોજ પાકિસ્તાનના બંધારણમાં સુધારો કરીને બંગાળીને અધિકૃત રીતે પાકિસ્તાનની રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો. જોકે, આગળ જતાં લશ્કરી સરમુખત્યાર અયુબ ખાને 1959માં ફરી બંધારણમાં કુધારો કરીને બંગાળીનો રાષ્ટ્રભાષાનો દરજ્જો રદ કર્યો અને એ સાથે જ પાકિસ્તાનના ભાગલા અને અલગ બાંગ્લાદેશનાં બીજ વવાયાં હતાં.

પોતાની ભાષા માટે આવો પ્રેમ, આવો સંઘર્ષ અને આવી શહીદીનો બીજો દાખલો મળવો મુશ્કેલ છે, એને ધ્યાનમાં રાખીને જ યુનેસ્કોએ 17 નવેમ્બર, 1999ના રોજ 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો હતો. બાંગ્લાદેશમાં 21મી ફેબ્રુઆરી શહીદ દિવસ તરીકે પણ મનાવાય છે.

ભાષા સંવાદનો સેતુ રચવાનું ઉત્તમ માધ્યમ છે, પરંતુ કેટલાંક લુચ્ચાં સ્થાપિત હિતો અને ખંધા રાજકારણીઓ તેનો વિવાદ હેતુ ઉપયોગ કરતા આવ્યા છે. આને કારણે જ ભાષાવાદનાં વરવાં સ્વરૂપો જોવા મળતાં હોય છે. કદાચ આ બાબતને ધ્યાનમાં રાખીને જ વર્ષ 2018ના માતૃભાષા દિવસની થીમ ‘ટકાઉ વિકાસ માટે ભાષાકીય વિવિધતા અને બહુભાષાવાદનું યોગદાન’ પસંદ કરવામાં આવી છે.

ભાષાને સમૃદ્ધ કરીને રળીયામણી બનાવવાની  હોય, તેના નામે રાજકારણ ન રમવાનું હોય. ગુજરાતી ભાષા જિંદાબાદ!
(‘દિવ્ય ભાસ્કર’ની 21મી ફેબ્રુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કટારની મૂળ પ્રત)

Wednesday, December 27, 2017

મહાન ‘ભક્ત’ મહાદેવભાઈ

દિવ્યેશ વ્યાસ


મહાત્મા ગાંધી અને કસ્તૂરબાના ‘પાંચમા પુત્ર’ મહાદેવભાઈની યાદમાં 1 જાન્યુઆરીને ‘ડાયરી લેખન દિવસ’ જાહેર કરવો જોઈએ




છાકો પાડીને છવાઈ જવાની અને અસત્ય વાતોથી લોકોને માત્ર આંજી જ ન નાખવા, પણ આંધળા કરી દેવાની ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હોય એવા રાજકીય માહોલમાં ‘ભક્ત’ શબ્દ હાંસીપાત્ર બની ગયો છે ત્યારે મહાદેવભાઈ દેસાઈને ‘મહાન ભક્ત’નું વિશેષણ લગાડવાથી ગેરસમજ થવાની શક્યતા છે. ભક્ત અને ભક્તિ જેવા પવિત્ર શબ્દોની પ્રતિષ્ઠા ખરડનારા કદાચ જાણતા નથી કે આ શબ્દોમાં સમર્પણભાવ ઠાંસોઠાંસ ભરેલો છે. મહાદેવભાઈના ગાંધીજી પ્રત્યેના સમર્પણના પુરાવારૂપ એક કિસ્સો ખૂબ જાણીતો છે: મહાદેવભાઈને પહેલેથી સંતોનું સાંનિધ્ય ગમતું હતું. જમનાલાલ બજાજ રમણ મહર્ષિના આશ્રમમાં જઈ આવ્યા હતા. તેમણે મહાદેવભાઈને એ આશ્રમ અંગે ઘણી વાતો કરી અને સૂચવ્યું કે તમે પણ જઈ આવો. મહાદેવભાઈએ ત્યાં જવાની તૈયારી કરી. જતી વખતે ગાંધીજીએ કહ્યું, ‘તમને ત્યાં શાંતિનો અનુભવ થાય તો ખુશીથી થોડા વધારે દિવસ રોકાઈ જજો. અહીંના કામની ચિંતા કરશો નહીં.’ ગાંધીજીથી છૂટા પડવાનું મહાદેવભાઈને ગમતું નહોતું. ‘વધારે દિવસ રોકાજો’ એ શબ્દોએ મહાદેવભાઈને ચમકાવ્યા. એમણે તરત ગાંધીજીને કહ્યું, ‘મેં જવાનો વિચાર માંડી વાળ્યો છે.’ ગાંધીજી કહે, ‘કેમ?’ મહાદેવભાઈ બોલ્યા, ‘મારે એક જ સ્વામી બસ છે.’

આગામી 1 જાન્યુઆરી, 2018ના દિવસે મહાદેવભાઈને આ ધરતી પર અવતર્યાને સવાસો વર્ષ થશે. મહાદેવભાઈ ગાંધીજીના સેક્રેટરી (રહસ્ય સચિવ) તરીકે જાણીતા છે, પરંતુ તેઓ સેક્રેટરીથી  વિશેષ ઘણું બધું હતા. રામચંદ્ર ગુહાએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે એક સમયગાળામાં ગાંધીજી માટે જવાહરલાલ નેહરુ અને સરદાર કરતાં પણ મહાદેવભાઈ વધારે મહત્ત્વ ધરાવતા હતા. ‘નવજીવન’ હોય, ‘યંગ ઇન્ડિયા’ હોય કે ‘હરિજન પત્રો’... ગાંધીજીનાં અખબારોના તંત્રી તરીકે તેમણે વર્ષો સુધી સેવાઓ આપી હતી. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ હોય કે ગીતા પરનું પુસ્તક ‘અનાસક્તિયોગ’, એના અંગ્રેજીમાં અનુવાદ પણ મહાદેવભાઈએ જ કર્યા હતા.

પચાસ વર્ષના જીવનમાં મહાદેવભાઈએ અડધોઅડધ પચીસ વર્ષ ગાંધીજીની નિશ્રા અને સેવામાં જ વિતાવ્યાં હતાં. અઢી દાયકા દરમિયાન તેમણે ગાંધીજીના એક એક શબ્દને ઝીલ્યા અને એક એક પ્રસંગને શબ્દદેહે પોતાની ડાયરીમાં ઉતાર્યા હતા. મહાદેવભાઈની ડાયરીના કુલ 23 ગ્રંથો થયા છે. સમગ્ર વિશ્વમાં ડાયરી-સાહિત્યની વાત નીકળે ત્યારે મહાદેવ દેસાઈનું નામ અચૂકપણે અને આદરપૂર્વક લેવાય છે. મહાદેવભાઈની ડાયરી ઉપલબ્ધ ન હોત તો આજે આપણી પાસે અધૂરા ગાંધી હોત, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. ગાંધીજીને મહાત્મા બનાવનારા ગણતરીના લોકોમાં એક મહાદેવભાઈનું નામ પણ અચૂક લેવું જ પડે.

મહાદેવભાઈનું નિધન થયું ત્યારે ગાંધીજીએ કહેલું, ‘મહાદેવ મારો દીકરો જ છે ને હું જ એના અગ્નિસંસ્કાર કરીશ.’ આગાખાન મહેલમાં જ મહાદેવભાઈની સમાધિ બનાવાઈ હતી. જેલમાં રહ્યા ત્યાં સુધી ગાંધીજી અને સાથીઓ રોજ એ સમાધિ પર પ્રાર્થના કરતા. કસ્તૂરતાનું માતૃહૃદય બોલી ઊઠતું કે, ‘આ તો મહાદેવનું મંદિર છે. આવા લાખેણા પુત્રનો ભોગ લીધો છે એટલે હવે આ (અંગ્રેજ) સરકાર ટકી શકશે જ નહીં.’ આમ, મહાદેવભાઈને ગાંધીજીના પાંચમા પુત્ર ગણવા પડે.

મહાદેવભાઈના અનેક સદ્્ગુણો જીવનમાં ઉતારવા જેવા છે. આપણાથી બીજું કંઈ ન થઈ શકે તો પણ તેમની જેમ ડાયરી લેખનની ટેવ પાડવા જેવી છે. નવું વર્ષ શરૂ થવાને થોડા દિવસ બચ્યા છે ત્યારે વર્ષના પહેલા જ દિવસે અને મહાદેવભાઈના જન્મ દિવસથી ડાયરી લેખન શરૂ કરવાનું પ્રણ લેવા જેવું છે. મહાદેવભાઈ અને તેમના જીવનકાર્યને સન્માનવું હોય તો 1 જાન્યુઆરીને ‘ડાયરી લેખન દિવસ’ જાહેર કરીને રાજ્યભરમાં તેની ઉજવણી કરવી જોઈએ.

(‘દિવ્ય ભાસ્કર’ની 27મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, August 30, 2017

ઉ. કોરિયાનું કમભાગ્ય

દિવ્યેશ વ્યાસ


સોવિયત સંઘે ગાંધીવિચારોમાં માનતા ચો મન સિકને બદલે કઠપૂતળી નેતા કિમ ઇલ સંગને સપોર્ટ કરીને ઉ. કોરિયાની ઘોર ખોદી

(દ. કોરિયામાં આવેલી ચો મન સિકની પ્રતિમા, જે આજે પણ એક-અખંડ કોરિયાના સ્વપ્નની પ્રતીક છે)

ઇતિહાસ અનેક ‘જો અને તો’ની વચ્ચે ઝોલા ખાતો હોય છે. આજે ઉત્તર કોરિયાના તુંડમિજાજી સરમુખત્યાર કિમ જોંગ ઉનને કારણે પરમાણુ યુદ્ધથી માંડીને વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે એક સવાલ જરૂર થાય છે કે ઉ. કોરિયાની ગાદી પર એક જ પરિવારનું સામંતી સામ્રાજ્ય ન હોત તો ઇતિહાસની સાથે સાથે વર્તમાન પણ જુદો હોત. સંસ્થાનવાદમાંથી આઝાદ થયેલાં બધાં રાષ્ટ્રો ભારત જેવાં સદ્્ભાગી નહોતાં કે તેમને ગાંધી-નેહરુ-સરદાર જેવા નેતા મળે. ગાંધીજીએ આઝાદી માટેનો આંદોલન કરવાનો જુસ્સો જગાડવાની સાથે સાથે રચનાત્મક કાર્યક્રમો થકી દેશમાં સામાજિક અને રાજકીય સુધારાની દિશાદોરી આપી હતી. નેહરુએ ભારતને સંકુચિત નહીં, પરંતુ સર્વસમાવેશક બનાવવા તથા દેશમાં લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થા સ્થાપવા માટે નેતૃત્વ પૂરું પાડ્યું તો સરદારસાહેબે ભારતને એક-અખંડ બનાવીને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. ઉ. કોરિયાના એટલા કમભાગ્ય કે તેને એક સારો અને સર્વમાન્ય નેતા જરૂર મળ્યો હતો, પરંતુ સત્તા અને પ્રભુત્વના કાવાદાવામાં તેણે શહીદી વહોરવી પડી હતી. આ નેતા એટલે ચો મન સિક.

ચો મન સિકનો કોરિયાના ગાંધી તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. ચો મન સિક સંપૂર્ણપણે ગાંધીવિચારોને સમર્પિત નહોતા, છતાં તેમના પર ગાંધીજીના વિચારોનો ખૂબ જ પ્રભાવ હતો. ચો મન સિકનો જન્મ ઉ. કોરિયાની હાલની રાજધાની પ્યોંગયોંગમાં 1 ફેબ્રુઆરી, 1883ના રોજ થયો હતો. યુવાની ફૂટતાં જરા આડે રસ્તે ચડી ગયેલા ચો મન સિક પછી ખ્રિસ્તી ધર્મ અને ધર્મગ્રંથોના સંપર્કમાં આવતાં તેમના જીવનનો માર્ગ બદલાઈ ગયો. તેઓ 1908થી 1913 દરમિયાન જાપાનમાં ભણવા ગયા. એ દરમિયાન પહેલા વિશ્વયુદ્ધમાં જાપાને કોરિયા પર કબજો જમાવી દીધો હતો. કોરિયામાં જાપાની સામ્રાજ્યથી આઝાદીનું આંદોલન વેગ પકડતું જતું હતું. જાપાનમાં અભ્યાસ દરમિયાન ચો મન સિકે સંસ્થાનવાદ વિરુદ્ધ ગાંધીજીના અહિંસક આંદોલન અંગે વાંચ્યું-જાણ્યું અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. સ્વદેશ પાછા ફરીને તેમણે શિક્ષકની નોકરી સ્વીકારી અને આગળ જતાં આચાર્ય પદ મેળવ્યું હતું, સાથે સાથે તેઓ આઝાદી આંદોલનમાં સક્રિય પણ બન્યા હતા. આંદોલનમાં સક્રિયતાને કારણે તેમણે આચાર્યપદ ગુમાવવું પડ્યું હતું અને 1919માં આઝાદી આંદોલનમાં જોડાવા બદલ તેમને એક વર્ષની જેલ થઈ હતી. 1922માં તેમણે કોરિયન પ્રોડક્ટ પ્રમોશન સોસાયટીની સ્થાપના કરીને જાપાન વિરુદ્ધ અહિંસક લોકઆંદોલન જગાવ્યું હતું. તેમણે જાપાની વસ્તુઓના બહિષ્કારની સાથે સાથે કોરિયન બનાવટની વસ્તુઓ જ વાપરવા લોકોને જાગૃત કર્યા હતા. આ આંદોલનને કારણે તેઓ સમગ્ર કોરિયામાં લોકનેતા તરીકે ઊભરી આવ્યા હતા.

જાપાન બીજું વિશ્વયુદ્ધ હારી ગયું અને તેણે 1945માં કોરિયાને પોતાના શાસનમાંથી મુક્ત કર્યું ત્યારે પ્રોવિઝનલ પીપલ્સ કમિટીની રચના કરીને દેશના વડા તરીકે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. જોકે, આંતરારાષ્ટ્રીય રાજકારણે કોરિયાનો ખેલ બગાડ્યો હતો. ‘મિત્ર રાષ્ટ્રો’ એવા અમેરિકા અને સોવિયત સંઘ કોરિયાને બે ભાગમાં - ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વહેંચીને એક એક ભાગનો વહીવટી સંભાળી લેવા ઉત્સુક હતા અને સંયુક્ત રાષ્ટ્ર પણ એ માટે તૈયાર હતું. જોકે, ચો મન સિકને ગાંધીજીની જેમ જ પોતાના દેશના ભાગલા મંજૂર નહોતા. ચો મન સિકના વતન એવા ઉ. કોરિયાનો વહીવટ સોવિયત સંઘને સોંપાયો હતો. ખ્રિસ્તી ધર્મમાં અપાર શ્રદ્ધા ધરાવનારા, ગાંધીજીના વિચારોથી પ્રભાવિત, સામ્યવાદીઓની રીતભાતોને પસંદ નહીં કરનારા અને કોરિયાની એકતાના હિમાયતી એવા સિક સર્વોચ્ચ અને લોકમાન્ય નેતા હોવા છતાં સોવિયત સંઘે તેમને સાઇડલાઇન કર્યા અને પોતાના હાથની કઠપૂતળી બનીને રહે એવા યુવા અને તોફાની નેતા કિમ ઇલ સંગને પ્રમોટ કર્યા અને ઉ. કોરિયાના લમણે એક સરમુખત્યાર લખાઈ ગયો.

આ સરમુખત્યાર સંગ ગાંધીજી અને ગાંધી વિચારો અંગે શું માનતા હતા, તેની ઝલક પણ બીબીસીના અહેવાલમાં બતાવાઈ છે. કિમ અલ સંગને ગાંધીજીના વિચારોમાં બિલકુલ શ્રદ્ધા નહોતી, તેમણે પોતાના પુસ્તક ‘વિથ ધ સેંચ્યુરી’માં લખ્યું છે, ‘જિલિનમાં થોડા દિવસના નિવાસ દરમિયાન ગાંધીનો પત્ર વાંચીને મેં પાર્ક સો સિમ સમક્ષ અહિંસાના સિદ્ધાંતની ટીકા કરી હતી. જિલિનમાં રહેનારા એકેય કોરિયન યુવાને ગાંધીની વિચારધારાને સ્વીકારી નહીં. કોઈ એટલું મૂર્ખ તો નહોતું જ કે જે એવી કલ્પના કરે કે અહિંસાના માર્ગે ચાલીશું તો જાપાન ચાંદીની તાસક પર અમને આઝાદી આપી દેશે.’

સોવિયત સંઘના ઇશારે પહેલાં તો સિકને નજરકેદ કરાયા, પરંતુ આગળ જતાં સંગે પોતાની સરકાર ઊથલાવી દેવાના કાવતરાનો આરોપ લગાવીને ઑક્ટોબર-1950માં છાનાછપના મૃત્યુદંડ આપી દેવાયો હતો. કહેવાય છે કે મૃત્યુદંડ આપતા પહેલાં અધિકારીઓએ તેમને પાછલા બારણે ભાગી જવાની સલાહ અને મદદ કરવાની ખાતરી આપી હોવા છતાં તેમણે પોતાના અન્ય સાથીઓની સાથે જેલમાં જ સબડવાનું અને દેશ માટે મૃત્યુને ગળે લગાડવાનું પસંદ કર્યું હતું. ચો મન સિકના મોત બાદ સરકારની ધોંશ વધતાં ખ્રિસ્તીઓએ ધીમે ધીમે ઉ. કોરિયામાંથી પલાયન શરૂ કર્યું હતું અને તેઓ મોટા ભાગે દ. કોરિયામાં સ્થાયી થયા હતા. મૂળ વતન એવું ઉ. કોરિયાએ તો ચો મન સિકની કદર ન કરી, પરંતુ દ. કોરિયાએ તેમના દેશની આઝાદીના યોગદાનની કદર કરીને ઈ.સ. 1970માં દેશના સર્વોચ્ચ પુરસ્કાર ‘ઓર્ડર ઑફ મેરીટ ફોર નેશનલ ફાઉન્ડેશન’થી નવાજ્યા હતા. દ. કોરિયામાં ચો મન સિકની વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. હવે તો ઉ. કોરિયામાં પણ એક નાનકડું સંગ્રહાલય તૈયાર કરાયું છે, જેમાં ચો મન સિક દ્વારા વપરાશમાં લેવાયેલી વસ્તુઓ તથા દસ્તાવેજો સાચવવામાં આવે છે.

ગાંધીવિચારોમાં માનનારા ચો મન સિક ઉ. કોરિયાના શાસક બન્યા હોત તો આ દેશની આવી હાલત ન હોત.

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, August 9, 2017

થોરો : 200 વર્ષની બૌદ્ધિકતા

દિવ્યેશ વ્યાસ


સરકારની અન્યાયી નીતિના વિરોધમાં ટેક્સ નહીં ભરીને જેલમાં જનારા હેન્રી ડેવિડ થોરોની પ્રસ્તુતતા વધતી જ જાય છે

(તસવીર ગૂગલ પરથી શોધીને મૂકી છે.)

વિખ્યાત કવિ રાલ્ફ વાલ્ડો ઇમર્સનને જેવી ખબર પડી કે પોતાના દિલોજાન દોસ્તને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે ત્યારે તેઓ દોડીને તેમને મળવા દોડી ગયા. જેલમાં સલાખોં કે પીછે પોતાના મિત્રને જોઈને ઇમર્સનથી સહજ પુછાઈ ગયું, ‘તું જેલમાં કેમ છો?’ ત્યારે દોસ્તે જવાબમાં સામો સવાલ કરેલો, ‘તું હજુ બહાર કેમ છો?’ આ જવાબ આપનાર દોસ્ત હતા અમેરિકાના વિશ્વવિખ્યાત બૌદ્ધિક, વિચારક અને લેખક હેન્રી ડેવિડ થોરો. થોરોના એ સણસણતા સવાલમાં જ એક માતબર જવાબ (અને મૌલિક વિચાર પણ) હતો: ‘જે રાજ્યમાં અન્યાય સામે લડનારાઓ જેલમાં પુરાય છે ત્યારે સમજવું કે ન્યાયપ્રિય લોકોનું સ્થાન જેલમાં છે.’ અમેરિકાની તત્કાલીન સરકારની કેટલીક અન્યાયી નીતિઓ અંગે પોતાનો વિરોધ નોંધાવવા માટે થોરોએ ટેક્સ ન ભરીને પ્રતિકાર કર્યો હતો. થોરો અમેરિકામાં ચાલતી ગુલામી પ્રથા અને તેને સમર્થન આપતા કાયદાઓના પ્રખર વિરોધી હતા. એ ઉપરાંત અમેરિકા દ્વારા મેક્સિકો સામે ચાલી રહેલા યુદ્ધના પણ ટીકાકાર હતા. ઈ.સ. 1846ની 24 કે 25મી જુલાઈના રોજ સેમ સ્ટેપલ્સ નામના કરવેરા અધિકારી થોરોના ઘરે ટેક્સ લેવા આવ્યા હતા. થોરોએ ટેક્સ ભરવાની ચોખ્ખી ના પાડી દીધી અને પોતે શા માટે સરકારી વેરો ભરવા માગતા નથી, એ જણાવ્યું. ટેક્સ ભરવાનો ઇનકાર કરવા બદલ તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. થોરોએ વિનમ્રતાપૂર્વક જેલની સજા સ્વીકારી પણ કરવેરો નહોતો ચૂકવ્યો. જોકે, પછી તેમના પરિવારની કોઈ મહિલાએ તેમની ઇચ્છા અને કદાચ જાણબહાર કરવેરો ભરી દેતાં તેમને એક જ દિવસમાં જેલમાંથી મુક્તિ મળી ગઈ હતી. સરકારની અનીતિ અને અન્યાયી નીતિઓ સામે છડેચોક પ્રતિકાર કરવાનું થોરોએ જ શીખવ્યું હતું. થોરોનો એક દિવસનો જેલવાસ અમેરિકન ઇતિહાસનું યશસ્વી પ્રકરણ બની રહ્યું છે અને તાજેતરનાં વર્ષોમાં ચાલેલી ઓક્યુપાઇ વૉલ સ્ટ્રીટ જેવી અનેક ચળવળોને પ્રેરણા પૂરું પાડી રહ્યું છે.

હેન્રી ડેવિડ થોરોનો 200મો જન્મદિવસ તાજેતરમાં 12મી જુલાઈના રોજ ઊજવાઈ ગયો. થોરોની દ્વિશતાબ્દી નિમિત્તે અમેરિકાની પોસ્ટલ સર્વિસ દ્વારા વોલ્ડન સરોવરના કાંઠે વિશેષ કાર્યક્રમ યોજીને તેમની પોસ્ટલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ સરકારી કાર્યક્રમ ઉપરાંત નોંધનીય ઉજવણી એ થઈ કે આ દિવસોમાં થોરોનાં બે જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે. કદાચ 50 વર્ષના લાંબા ગાળા પછી થોરો પરની માતબર જીવનકથા પ્રગટ થઈ છે. આ બે પુસ્તકોમાંથી એક પુસ્તક તો અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સે લખ્યું છે, જેનું શીર્ષક છે, હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોને સિદ્ધાંતો આધારિત જીવન જીવી જનારા મહાનુભાવ તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકનો ઝોક પર્યાવરણ પર વધારે જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે બે વર્ષ, બે મહિના અને બે દિવસ સુધી વોલ્ડન સરોવરની પાળે સાદું ઝૂંપડું બાંધીને રહેનારા થોરો પ્રકૃતિને ખૂબ જ ચાહતા હતા. થોરાના ‘વોલ્ડન’ પુસ્તકમાં તેમના પ્રકૃતિપ્રેમની સાથે સાથે પર્યા‌વરણ માટે આપણી જવાબદારીઓનો બોધપાઠ પણ મળે છે. લૌરાબહેને આજના ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારો સામે થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે સમજાવવા પ્રયાસ કર્યો છે.

થોરો પરનું બીજું પુસ્તક જર્મનીમાં લખાયું છે, જેના શીર્ષકનો અંગ્રેજી અનુવાદ ‘હેન્રી ડેવિડ થોરો : પાથ્સ ઑફ એન અમેરિકન ઓથર’ થઈ શકે. જર્મન લેખક ડાઇટર શુલ્ઝે એક ઇન્ટરવ્યૂમાં બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે કે થોરોના વિચારો આજે જેટલા પ્રસ્તુત છે, એટલા અગાઉ ક્યારેય પણ નહોતા.

થોરો એવા મહાન વિચારક હતા, જેમના વિચારોને ટૉલ્સ્ટૉય, ગાંધીજી, ઇમર્સન, યીસ્ટ, અર્નેસ્ટ હેમિંગ્વે, માર્ટિન લ્યૂથર કિંગ જૂ. અને જ્હોન એફ. કેનેડી જેવા મહાનુભાવોને પણ પ્રભાવિત કર્યા હતા. ગાંધીજીએ તો લેખિતમાં સ્વીકારેલું છે કે સવિનય કાનૂન ભંગ કે અસહકાર આંદોલનની પ્રેરણા થોરાના ‘નાગરિક પ્રતિકાર’ (Civil disobedience)માંથી સાંપડી હતી.

અમેરિકા અને ભારત સહિત તમામ દેશોમાં બહુમતીવાદ મજબૂત થતો જાય છે ત્યારે થોરોના વિચારો મનનીય બન્યા છે. થોરો માનતા હતા કે ‘સત્ય બહુમતી પાસે જ હોય એમ નહીં, પણ લઘુમતી કે એક વ્યક્તિની વિવેકબુદ્ધિમાંયે એ હોઈ શકે છે.’ લોકો શાંતિથી અન્યાયને જોતા રહે અને ન્યાય માટે આવતી ચૂંટણી સુધી રાહ જોતા રહે, એની સામે થોરોને વાંધો હતો. થોરો માનતા કે સરકારને આપણે સમાજવ્યવસ્થા બરાબર ચાલે એ માટે બનાવેલી છે. તે એક પ્રકારની મશીનરી છે. કોઈ મશીન બરાબર કામ ન કરે ત્યારે આપણે તેને બંધ કરીએ છીએ તેમ સરકાર જ્યારે યોગ્ય રીતે કામ ન કરે, અન્યાયી બને ત્યારે તેને કામ કરતી બંધ કરવા વિરોધ કરવો જોઈએ.

સૃષ્ટિ અને સરકાર/શાસન અંગેના થોરોના વિચારોનું (પુસ્તકોનું) વાંચન તથા મનન-ચિંતન કરીને જ તેમનું દ્વિશતાબ્દી વર્ષ ઊજવવું જોઈએ, ખરું ને?

(‘દિવ્ય ભાસ્કર’ની 9મી ઑગસ્ટ, 2017ની કળશ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 12, 2017

હિંદના દાદા : દેશવાસીઓના હમદર્દ

દિવ્યેશ વ્યાસ


હિંદના દાદા ગણાતા દાદાભાઈ નવરોજી ભારતના ખેડૂતોના દુ:ખો અને સમસ્યાઓથી સુપરિચિત-સુચિંતિત હતા


(ગૂગલ પરથી ઇમેજ મેળવેલી છે.)

મહાત્મા ગાંધીએ તેમને ‘હિંદના દાદા’ ગણાવીને વંદના કરી હતી, એવા દાદાભાઈ નવરોજીએ પોતાના 93 વર્ષના દીર્ઘજીવનમાં અનેક રીતે દેશસેવા કરી હતી. કોઈ પણ ક્ષેત્રે ‘દાદા’ કે ‘દાદુ’ (માસ્ટર) એમ જ બનાતું નથી. દાદાભાઈએ પોતાની બુદ્ધિ, સમજ, ક્ષમતા, વિવેક, મહેનત અને સંઘર્ષ થકી પોતાના નામને સાર્થક કરી બતાવ્યું હતું. ગત 30મી જૂનના રોજ દાદાસાહેબના નિધનને 100 વર્ષ થયાં એટલે ભારત માતાના આ લાલને યાદ કરવાનું એક મહત્ત્વપૂર્ણ નિમિત્ત ઊભું થયું છે.

મુંબઈમાં એક સાધારણ પારસી પરિવારમાં 4 સપ્ટેમ્બર, 1825ના રોજ જન્મેલા દાદાભાઈના જીવનમાં સંઘર્ષનું શરૂઆત બહુ નાની વયથી થઈ ચૂકી હતી. દાદાભાઈ માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા નવરોજી પાલનજીનું નિધન થયું. એ જમાનામાં માતા કંઈ ભણેલા નહોતા, પરંતુ તેમણે દીકરાને ભણાવ્યો અને મેધાવી વિદ્યાર્થી તરીકે દાદાભાઈએ વિખ્યાત એલ્ફિંસ્ટન કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. દાદાભાઈની જીવનમાં બધે સર્વપ્રથમ જ રહેવાની આદતનો પાયો એલ્ફિંસ્ટન કૉલેજથી જ નખાયો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી માત્ર 25 વર્ષની વયે તેમણે પોતાની માતૃસંસ્થા એટલે કે એલ્ફિંસ્ટન કૉલેજમાં ગણિતના પ્રોફેસરનું પદ હાંસલ કર્યું. એલ્ફિંસ્ટન જેવી શિક્ષણસંસ્થાઓમાં પ્રોફેસર જેવું સન્માનનીય પદ હાંસલ કરનારા તેઓ સર્વપ્રથમ ભારતીય હતા. પ્રોફેસર તરીકે તેમણે મહિલાઓના શિક્ષણ માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા હતા. દાદાભાઈની પ્રતિભાને જોઈને કામા બંધુઓએ તેમને પોતાની કંપનીમાં ભાગીદાર બનાવ્યા અને યુરોપમાં કંપનીના કામકાજની મોટી જવાબદારી સોંપી. ઈંગ્લેન્ડમાં કાર્યરત થનારી કામ એન્ડ કંપની દેશની પહેલી કંપની હતી અને તેનું સુકાન દાદાભાઈએ બખૂબી સંભાળ્યું હતું. આ કંપની છોડીને પછી તેમણે 1859માં પોતાની કંપની પણ ત્યાં સ્થાપી હતી. ઇંગ્લેન્ડમાં રહીને વેપારની સાથે સાથે દાદાભાઈએ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મદદરૂપ બનીને તેમને માર્ગદર્શન આપવાનું મોટું કામ કર્યું. મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા સહિતના અનેક ભારતીય વિદ્યાર્થીઓને દાદાસાહેબની હુંફ મળી હતી. આગળ જતાં દાદાસાહેબે જ્યારે જાહેરજીવનમાં જંપલાવ્યું ત્યારે ઝીણાએ તેમના સહાયક તરીકે પણ કામ કર્યું હતું!

દાદાભાઈની એ સમજને દાદ દેવી પડે કે તેમણે અંગ્રેજી રાજવહીવટમાં ભારતીયોની સામેલગીરીનો મુદ્દો પકડ્યો હતો. તેઓ દૃઢપણે માનતા હતા કે પ્રશાસનમાં પણ ભારતીયોનો સમાવેશ થવો જ જોઈએ તો જ ભારતીયોને ન્યાય મળી શકે. આ માટે તેમણે ઇંગ્લેન્ડમાં રહીને ખૂબ પ્રયાસો કર્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓને પ્રશાસનિક સેવાઓ માટે સજ્જ-સક્ષમ કરવા માટે પણ તેમણે ઘણી મહેનત કરી હતી. આ દૃષ્ટિકોણ સાથે જ સંસદીય પ્રણાલીના પ્રખર સમર્થક એવા દાદાભાઈએ બ્રિટિશ લોકસભા (હાઉસ ઑફ કૉમન્સ) માટે ચૂંટણી લડવાનું પણ સાહસ ખેડ્યું હતું. પહેલી વાર તો ચૂંટણી હારી ગયેલા, પરંતુ હતાશ થયા વિના તેમણે જાહેરજીવનમાં ધીમે ધીમે એવી પ્રતિષ્ઠા હાંસલ કરી કે 1892માં લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે માત્ર 3 મતની પાતળી બહુમતી સાથે પણ ચૂંટણી જીતીને હાઉસ ઑફ કોમન્સના સભ્ય બન્યા હતા. બ્રિટિશ પાર્લમેન્ટમાં સાંસદ બનનારા તેઓ સર્વપ્રથમ ભારતીય જ નહિ, એશિયન હતા!

તાજેતરમાં આપણે શશિ થરુરે બ્રિટનમાં આપેલા એક જુસ્સાદાર ભાષણથી ખૂબ પ્રભાવિત થઈ ચૂક્યા છીએ ત્યારે નોંધનીય વાત એ છે કે બ્રિટિશ સાંસદ તરીકેના પહેલા જ વક્તવ્યમાં દાદાસાહેબે ભારતમાં અંગ્રેજોની શોષણકારી આર્થિક નીતિને ઉઘાડી પાડી હતી. અંગ્રેજો કઈ રીતે ભારતને ગરીબ બનાવી રહ્યા છે, તેની અભ્યાસપૂર્ણ રજૂઆત કરીને સમગ્ર બ્રિટિશ સલ્તનતને હચમચાવી દીધી હતી. દાદાસાહેબે ‘ડ્રેઇન થિયરી’ રજૂ કરી હતી, જેમાં આંકડાકીય વિગતો સાથે તેમણે બ્રિટિશરો સમક્ષ સાબિત કરી દીધું હતું કે તેઓ ભારતનું મોટા પાયે આર્થિક શોષણ કરી રહ્યા છે, જે અન્યાયી અને અમાનવીય છે. દાદાસાહેબે ‘પોવર્ટી એન્ડ અન-બ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા’માં (1901) બ્રિટિશર્સ કેવા કેવા મોટા પાયે વેરા ઉઘરાવે છે, તથા ભારતીયોનું શોષણ કરીને આર્થિક સમૃદ્ધિ બ્રિટનમાં ખેંચી જવામાં આવે છે, એ વાતને સ્પષ્ટ અને સખત શબ્દોમાં વ્યક્ત કરી હતી.દાદાસાહેબનાં વક્તવ્યોમાં ભારતના ખેડૂતો માટેની હમદર્દી વારંવાર છલકાતી હતી. એક તરફ ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી ઊજવાઈ રહી છે તો બીજી તરફ ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો અટકતો નથી એવા સંજોગોમાં હિંદના દાદાની ખેડૂતો માટેની હમદર્દી વિશેષ પ્રસ્તુત બની છે. દેશમાં દુષ્કાળ અને અંગ્રેજોના આર્થિક શોષણ સામે દાદાસાહેબે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. આજે દેશમાં ખેડૂતોના હમદર્દ હોય એવા નેતાઓનો દુષ્કાળ છે ત્યારે દાદાસાહેબનું સ્મરણ વધુ તીવ્ર બને છે.

‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઑફ ઇન્ડિયા’ તરીકે જાણીતા દાદાસાહેબના દેશસેવામાં અગણિત યોગદાનોમાંનું એક મહત્ત્વપૂર્ણ યોગદાન છે - ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપનામાં સહભાગિતા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપના કરનારાઓમાં એ.ઓ. હ્યુમ અને દિનશૉ અદુલજી વાચા પછી ત્રીજા પાયાના પથ્થર હતા દાદાભાઈ નવરોજી. દાદાભાઈ 1886, 1893 અને 1906, એમ ત્રણ વખત કૉંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા. દાદાભાઈએ કૉંગ્રેસના યુવા નેતાઓ તરીકે લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે અને મહાત્મા ગાંધી જેવાને હંમેશાં પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બ્રિટિશ પાર્લમેન્ટના સાંસદ તરીકેના શપથ બાઇબલ પર હાથ મૂકીને નહીં પણ પોતાના પારસી ધર્મના ધર્મગ્રંથ પર હાથ મૂકીને લેવાનો આગ્રહ રાખનારા દાદાભાઈને પોતાના ધર્મ પ્રત્યે પૂરેપૂરો આદર અને ગર્વ જરૂર હતો, પરંતુ તેઓ ધર્મ કરતાં માતૃભૂમિને-દેશને વધારે મહત્ત્વ આપતા હતા. પોતાના ધર્મનું ઠાલું ગૌરવ લેવાનું તો આ બૌદ્ધિકને ક્યાંથી પોષાય? તેમણે પારસી ધર્મની સુધારણા માટે ઘણી જહેમત ઉઠાવીને પોતાના ધર્મ-સમુદાયની મોટી સેવા કરી હતી.

દાદાભાઈના ગુજરાત કનેક્શનની વાત કરીએ તો એક તો તેઓ ગુજરાતીભાષી પરિવારમાં જ ઉછર્યા હતા. બીજું તેમણે ‘રાસ્ત ગોફ્તાર’ નામનું ગુજરાતી સામયિક શરૂ કર્યું હતું અને વડોદરા રાજ્યના દીવાન તરીકે પણ સેવાઓ આપી હતી.

દાદાભાઈનું નિધન 30મી જૂન, 1917ના રોજ મુંબઈ ખાતે થયું હતું. તેમની યાદમાં મુંબઈમાં તેમના નામનો માર્ગ હોય કે પ્રતિમા હોય એ સ્વાભાવિક છે, પરંતુ દાદાભાઈનું તૈલચિત્ર બ્રિટિશ પાર્લમેન્ટમાં રાખવામાં આવી છે, તેમના મતક્ષેત્રમાં તેમના નામે માર્ગ છે, એટલું જ નહિ, પાકિસ્તાનના કરાચી શહેરમાં પણ તેમના નામનો માર્ગ છે!

હિંદના દાદાને હૃદયપૂર્વક વંદન!

(‘દિવ્ય ભાસ્કર’ની 12મી જુલાઈ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, February 22, 2017

લોકહૃદયના બેતાજ બાદશાહ ઇન્દુલાલ યાજ્ઞિક

દિવ્યેશ વ્યાસ

ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે.


(ઇન્દુચાચાની આ તસવીર વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝા દ્વારા સંપાદિત પુસ્તક ‘ગુજરતાની અસ્મિતાના સ્વપ્નદૃષ્ટા ઇન્દુલાલ યાજ્ઞિક’ના આવરણ પરથી કાપીને લીધી છે.)

આંદોલનપુરુષ, ઇન્દુલાલ યાજ્ઞિક માટે વપરાયેલું વિશેષણ તેમના વ્યક્તિત્વને સૌથી વધારે બંધબેસતું છે. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આંદોલન-ધરણાંવાળા વગેરે શાસનવાળાનો જંગ જામ્યો હતો ત્યારે ઇન્દુચાચાનું સ્મરણ તીવ્ર બન્યું હતું, જેમણે આજીવન આંદોલન કર્યાં, કામદારો અને કિસાનો માટે અહિંસક લડતો લડયા, સ્થાપિત હિતો સામે જરૂર પડયે 'મુક્કો' બતાવ્યો અને સાથે સાથે ચૂંટણી જંગ પણ જીતી બતાવ્યા હતા. જો કે, ફકીરી પ્રકૃતિના ફાંકડા રાજનેતાને ક્યારે ય કોઈ પદ આર્કિષત કરી શક્યું નહોતું. મહાગુજરાત આંદોલનના અગ્રણી તરીકે તેમણે ધાર્યું હોત તો ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચતાં તેમને કદાચ કોઈ રોકી શક્યું ન હોત, પણ તેમને કોઈ પદમાં નહીં, માત્ર પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે. આજે ૨૨મી ફેબ્રુઆરીના રોજ ઇન્દુચાચાનો જન્મ દિવસ છે ત્યારે તેમની વંદના કરવાનું કેમ ચુકાય?

તસવીર : સૃષ્ટિ શુકલ
આજે (22 ફેબ્રુઆરી, 2015ના રોજ) અમદાવાદમાં સાબરમતીથી કલોલ જતા હાઇવે અને મોટેરા સ્ટેડિયમ જતા રસ્તાના ક્રોસિંગ પર ઇન્દુચાચાની નવ ફૂટની કાંસ્ય પ્રતિમા સાથેના સ્મારકના લોકાર્પણનો કાર્યક્રમ યોજાવાનો છે. ઇન્દુચાચાને મોટા ભાગના લોકો મહાગુજરાત આંદોલનના નાયક તરીકે ઓળખે છે, આ ઓળખાણ સાચી છે, પણ આખી નથી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં તેમનો ફાળો અનન્ય હતો એ કબૂલ, પરંતુ એ તો એમના જીવનકાર્યનો એક યશસ્વી અધ્યાય માત્ર હતો. આઝાદી આંદોલનમાં તેમનું યોગદાન નાનુસૂનું નહોતું. દેશને આઝાદી મળ્યા પછી સ્વરાજનું અમૃત ગરીબ-વંચિત-પછાત વર્ગના લોકો સુધી પહોંચાડવામાં તેમણે લીધેલી જહેમત યાદગાર છે. આઝાદ ભારતમાં ખેડૂતો અને આદિવાસીઓના કલ્યાણ માટે તેમણે સ્થાપિત હિતો સામે શિંગડાં ભરાવ્યાં હતાં. ગુજરાતના જ નહિ સમગ્ર દેશના ઇતિહાસમાં ઇન્દુચાચા એવું નામ છે, જેમને યાદ કર્યા વિના ચાલે જ નહીં, છતાં ઇન્દુચાચાની દેશમાં તો જવા દો ગુજરાતમાં પણ જોઈએ એવી કદર થઈ નથી, એ પીડાદાયક વાસ્તવિકતા છે.

આઝાદી આંદોલન વખતે ગાંધીજી સાથે ઇન્દુચાચાને આત્મીય સંબંધો હતા. સૌ જાણે છે કે ગાંધીજીનું 'નવજીવન' સાપ્તાહિક મૂળે તો ઇન્દુલાલ યાજ્ઞિકનું 'નવજીવન અને સત્ય' નામનું માસિક હતું, પણ ગાંધીજીની આત્મકથા જેટલું જ મહાન અને મહત્ત્વપૂર્ણ પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ'ના ગણેશજી એટલે કે લહિયા ઇન્દુચાચા હતા, એ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. ગાંધીજી અને ઇન્દુચાચા યરવડા જેલમાં અમુક મહિનાઓ સુધી સાથે હતા ત્યારે ઇન્દુચાચાએ જ ગાંધીજીએ અધૂરા લખેલા આ પુસ્તકને પૂરું કરવાનો આગ્રહ કર્યો હતો અને ગાંધીજી બોલે એને લખી લેવાની જવાબદારી તેમણે સામેથી જ ઉપાડી લીધી હતી. દેશના વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓનો બહિષ્કાર કરવાનું આહ્વાન આપવાના કાર્યક્રમની ચર્ચા ચાલતી હતી ત્યારે ઇન્દુચાચા જ હતા, જેમણે વિદ્યાર્થી સમક્ષ કોઈ વિકલ્પ આપવાની, શૈક્ષણિક કાર્યક્રમ મૂકવાનો આગ્રહ સેવ્યો હતો અને તેને પરિણામે જ રાષ્ટ્રીય શાળા સ્થાપવાનો વિચાર વિકસ્યો હતો. એ જ રીતે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં પણ તેમનું પાયાનું યોગદાન હતું. 'જનતા કરફ્યૂ' જેવું અહિંસક સાધન તેમની જ દેન છે.

ગાંધીજી પ્રત્યે ભારોભાર સન્માન હોવા છતાં ઇન્દુચાચા દેશના પહેલા એવા રાજનેતા છે, જેમણે ગેર-કોંગ્રેસવાદની હાકલ કરી હતી અને એ પણ ગાંધી અને સરદારની કોંગ્રેસ સામે ! ઇન્દુચાચા એક માત્ર એવા અપક્ષ ઉમેદવાર છે, જેમણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતી છે. ઇન્દુચાચાનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે તેઓ કોઈ પક્ષ, સંસ્થા કે સંગઠનમાં સમાઈ ન શકે.

ગાંધીજીની ઇચ્છા છતાં તેઓ કોંગ્રેસનું વિસર્જન કરાવી શક્યા નહોતા, જ્યારે અહિંસક લોકલડતથી અલગ ગુજરાત રાજ્ય હાંસલ કર્યા પછી તેમણે વિજયના દિવસે જ મળેલી વિરાટ સભામાં જાહેર કર્યું હતું, આપણામાંથી કોઈએ પ્રધાન બનવાનું નથી. આપણું ધ્યેય પ્રધાનપદ નહિ પણ મહાગુજરાત હતું, તે મળી ગયું છે અને મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે ... તેઓ પદલાલચુ નેતા નહીં પ્રજાના નેતા પુરવાર થયા હતા.

વિટાર વ્યક્તિત્વના સ્વામી ઇન્દુચાચાને જાણવા હોય તો તેમની છ ખંડોમાં વિસ્તરેલી આત્મકથા જરૂર વાંચવી જોઈએ. ગુજરાતની અસ્મિતાની ખરી લડત લડનારા ઇન્દુચાચા જેવા લોકનાયકનો લોકો આજે ય ઇન્તેજાર કરી રહ્યા છે. લીલાવતી કનૈયાલાલ મુનશીએ ઇન્દુચાચા માટે કહેલી વાત સાથે લેખ પૂર્ણ કરીએ : "ઇન્દુલાલ એટલે ટ્રેનની ઝડપ, ઇન્દુલાલ એટલે બાળકનાં તોફાન, ઇન્દુલાલ એટલે લશ્કરી સિપાઈ. ઇન્દુલાલમાં ઋષિમુનિનો સંયમ નથી પણ યૌદ્ધાઓનો નિગ્રહ છે. એમના બળવાન દેહમાં બાળકનો આત્મા વસે છે ... એ પણ અનંતના આંગણે રમતું બાળક જ છે. દેશકાર્યનું અસિધારાવ્રત એમણે લીધું છે. હનુમાન માફક એમના હૃદયમાં ઊંડા ભાગમાં 'દેશ' શબ્દ કોતરેલો હશે."

(‘સંદેશ’ની 22 ફેબ્રુઆરી, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Monday, January 30, 2017

સર્વધર્મ પ્રાર્થના થકી શીખ્યા શિસ્ત અને શાંતિના પાઠ

ઇલા ર. ભટ્ટ


સર્વધર્મ પ્રાર્થના થકી ગાંધીજીએ દેશવાસીઓને સંગઠિત અને વૈચારિક-નૈતિક રીતે સુસજ્જ કરવામાં અસાધારણ સફળતા મેળવી હતી



મહાત્મા ગાંધીમાં જે બળ અને તેજ હતું, તેના મૂળમાં તેમની અપાર આધ્યાત્મિકતા હતી. આધ્યાત્મિકતા વિના તો આટલું બધું બળ આવે જ ક્યાંથી? સૂતેલા અજગર જેવા દેશને તેમણે હચમચાવીને બેઠો કરેલો. ગાંધીજીનું લક્ષ્ય માત્ર અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવા પૂરતું સીમિત ક્યારેય નહોતું, પરંતુ તેઓ દેશના દરેક વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ ઇચ્છતા હતા. હિંદુ સંસ્કૃતિનાં (ધર્મ નહીં!) મહામૂલાં મૂલ્યોની પુન:સ્થાપના કરવા માટે તેઓ આજીવન ઝઝૂમ્યા હતા. સત્ય અને અહિંસા જેવાં મૂલ્યોને જાહેરજીવનમાં સ્થાપવા માટે તેઓ ખૂબ મથ્યા હતા. આઝાદી આંદોલનની સાથે સાથે ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો, સમાજસુધારણાનાં કાર્યો સતત આગળ વધાર્યાં હતાં. ગાંધીજીની આધ્યાત્મિકતાની અસર તેમના આંદોલનો પર ચોખ્ખી વર્તાય છે. તેમણે આંદોલનો ચલાવવા માટે વૉર રૂમ્સ નહીં, પરંતુ આશ્રમો સ્થાપ્યા હતા! આશ્રમવાસીઓ માટે તેમણે અગિયાર વ્રતો ફરજિયાત કર્યા હતા. દેશમાં નૈતિક મૂલ્યોના પુન:સ્થાપન માટે તેમણે આશ્રમોને પ્રયોગશાળા કમ ધરુવાડિયામાં ફેરવી નાખ્યા હતા.

ગાંધીજીના આશ્રમો અને આંદોલનોમાં એક વિશેષ પાસું હતું - સર્વધર્મ પ્રાર્થના. વિવિધ ધર્મોનું પાલન કરનારા દેશવાસીઓમાં એકતા સ્થાપવા માટે, આધ્યાત્મિક પેદા કરવા માટે તેમણે પ્રાર્થનાનું માધ્યમ અપનાવ્યું હતું. પ્રાર્થના ગાંધીજીની દિનચર્યાનો અભિન્ન હિસ્સો હતી. સામુહિક સર્વધર્મ પ્રાર્થના થકી તેમણે દેશવાસીઓને સંગઠિત અને વૈચારિક-નૈતિક રીતે સુસજ્જ કરવામાં અસાધારણ સફળતા મેળવી હતી.
પ્રાર્થનામાં સામાન્ય રીતે આપણે ભગવાન પાસે કંઈક ને કંઈક માગતા હોઈએ છીએ, પણ ગાંધીજીએ સર્વધર્મ-સમૂહ પ્રાર્થનાનો મૌલિક ખ્યાલ આપીને પ્રાર્થનાની ભાવનાને કંઈક માગવાથી વિશેષ વ્યાપક બનાવી હતી. ગાંધીજીએ પ્રાર્થનામાં માત્ર પોતાનું નહીં, પરંતુ સમાજ, રાષ્ટ્ર અને એનાથી આગળ વધીને સમગ્ર વિશ્વનું કલ્યાણ ઇચ્છવાનું શીખવ્યું. ઈશ્વરનું સ્મરણ ચોક્કસ કરવાનું છે, પરંતુ સાથે સાથે આપણા અંત:કરણમાં પણ ઝાંખવાનું છે. માણસ નીતીના માર્ગે ચાલે એ માટે અંત:કરણની શુદ્ધિ અને જાગૃિત જરૂરી હોય છે અને આ બે વાનાં તમને પ્રાર્થના થકી પ્રાપ્ત થઈ શકે છે. આ કારણોસર જ ગાંધીજીએ પોતાના નિત્યક્રમમાં સવાર-સાંજની પ્રાર્થના દાખલ કરેલી. પ્રાર્થના માટે તેમણે બહુ ચૂંટી ચૂંટીને ભજનો-પદો-પ્રાર્થનાઓ પસંદ કરેલાં. જેને ‘આશ્રમ ભજનાવલી’માં સમાવવામાં આવ્યાં છે. આ ભજનો પર નજર નાખીએ તો તમને ખ્યાલ આવશે કે એક પણ ભજનમાં નથી કોઈ અંધશ્રદ્ધાનો અંશ કે નથી ભક્તિના નામે વેવલાવેડા!

ગાંધીજીની દરેક પ્રાર્થનાઓમાં અચૂક ગવાતું ભજન છે - વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે.... આ ભજનમાં દુનિયાના તમામ ધર્મોનો સાર આવી જાય છે. બહુ સરળ રીતે માનવતાનાં મૂલ્યો તેમાં સમજાવ્યાં છે. ધાર્મિકતા-આધ્યાત્મિકતા માટે બીજાં કોઈ પુસ્તકો ન વાંચો અને માત્ર આ ભજનને જો જીવનમાં ઉતારો તો તમારો બેડો પાર થઈ જાય!

ગાંધીજી દ્વારા સ્થાપિત મજૂર મહાજન સંઘના સંસ્કારોને કારણે મેં જ્યારે સેવાની સ્થાપના કરી ત્યારે સંસ્થામાં સમૂહ પ્રાર્થનાનો ઉપક્રમ આપોઆપ સામેલ થઈ ગયેલો. મારો અનુભવ છે કે પ્રાર્થનાને કારણે એક પ્રકારની શિસ્ત આવી જાય છે. આત્માનું અનુસંધાન તો દૂરનો મુકામ થયો પણ પ્રાર્થનાને લીધે વ્યક્તિના વ્યવહારમાં શિસ્ત જરૂર આવી જાય છે. સમૂહ પ્રાર્થનાને કારણે એક માહોલ રચાતો હોય છે, જેનાથી સમૂહભાવના-એકતા આપોઆપ ઊભી થતી હોય છે.

ભદ્રકાળી ચોકના પાથરણાવાળા-લારીવાળાઓ સાથેનો એક કિસ્સો અહીં જણાવવા માગું છું. કોઈ પણ મંદિર હોય ત્યારે તેની આજુબાજુ નાના-નાના વેપારીઓનું એક કુદરતી બજાર ઊભું થતું હોય છે. ભદ્રકાળી મંદિરની આજુબાજુ બેસતા પાથરણાવાળા-લારીવાળાઓને હટાવવાની તજવીજ કરવામાં આવી ત્યારે તેમની પાસે પોતાના અધિકાર માટે કોર્ટમાં ગયા વિના છૂટકો નહોતો. તેમની રોજગારી અને અધિકારની લડાઈમાં સેવા દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવ્યું. અમે ભદ્રકાળી ચોકમાં વેપાર કરનારાઓનું એક સંમેલન યોજ્યું. અમારી પરંપરા મુજબ સંમેલનના પ્રારંભે સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી. આ પ્રાર્થનાથી એક જબરદસ્ત માહોલ સર્જાયો. હાજર ભાઈઓ-બહેનો દ્રવિત થઈ ગયા, તેમનાં અંત:કરણ શુદ્ધ થયાં અને તેમના વચ્ચે એકતાની ભાવના તો ઊભી થઈ જ પરંતુ આ કેસમાં કશુંય ખોટું કરવું નથી, એવી પ્રતિબદ્ધતા પેદા થઈ. અમે તૈયાર કરેલી યાદીમાં ન કોઈએ ખોટું નામ ઉમેરાવ્યું, ન કોઈએ ખોટી વિગતો જણાવી. એ દિવસે મને પાક્કો પુરાવો મળી ગયો કે પ્રાર્થનામાં કેટલી બધી શક્તિ રહેલી છે.

સમૂહ પ્રાર્થનાથી આપણે સૌ એક પિતાના સંતાન છીએ, એકબીજા સાથે અનુબંધિત છીએ એવી સામૂહિક ચેતના કેળવાય છે, સંગઠન મજબૂત બને છે અને દરેક વ્યકિતમાં નૈતિકતા ઊભી થાય છે. નીતિ વિના ધર્મ હોઈ જ ન શકે અને સામાન્ય લોકો માટે તો ભજન-પ્રાર્થના એ જ ધર્મ હોય છે. પ્રાર્થનાના શબ્દો રોજ આપણા દિલોદિમાગ પર પડઘાતા હોય છે અને વહેલી કે મોડી તેની અસર થયા વિના રહેતી નથી.

આજે દેશનો માહોલ જોતાં સર્વધર્મ પ્રાર્થના વધારે પ્રસ્તુત બની છે. આજે ગામ કે શહેરના વોર્ડમાં સામૂહિક સર્વધર્મ પ્રાર્થના ફરી શરૂ કરવા જેવી પરંપરા છે. જોકે, આવી પ્રાર્થના સ્વૈચ્છિક રાખવી જોઈએ અને તદ્દન બિનરાજકીય હોવી જોઈએ. કોમી એકતા અને નૈતિક મૂલ્યોનું ધોવાણ અટકાવવામાં સર્વધર્મ પ્રાર્થના બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે.

(ઇલા ર. ભટ્ટ સેવા સંસ્થાના સંસ્થાપક ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ અને ગાંધી આશ્રમના ચેરમેન છે.)

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી જાન્યુઆરી, 2017ની ‘ધર્મદર્શન’ પૂર્તિ માટે ઇલાબહેન સાથે થયેલી વાતચીતના આધારે લખેલો લેખ - મૂળ પ્રત)

Wednesday, June 8, 2016

બિરસા મુંડાની ખરી મુક્તિ

દિવ્યેશ વ્યાસ


બિરસા મુંડાની ખરી મુક્તિ દેશના વનવાસીઓના રોજિંદા સંઘર્ષના સકારાત્મક અંતમાં છે


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

કાલે 9મી જૂન છે, અંગ્રેજો સામે અન્યાય વિરુદ્ધ લડનારા વિરલ યોદ્ધા બિરસા મુંડાની પુણ્યતિથિ. તમે નોંધજો એકેય અખબારમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતી આખા પાના તો ઠીક અરધા કે પોણા પાનાનીય જાહેરખબર જોવા નહીં મળે! (ઝારખંડ અપવાદ હોઈ શકે) બની શકે કે ઘણા વાચકોને બિરસા મુંડા નામ પણ અજાણ્યું લાગ્યું હોય. આમાં સામાન્ય વાચકોનો કોઈ વાંક નથી, આપણે ત્યાં ઇતિહાસ લેખનમાં પણ ધરાર ભેદભાવ અને પૂર્વગ્રહો રખાતા હોય છે. અંગ્રેજો સામે લડનારા યોદ્ધાઓમાં સુપરહીરોની કક્ષાના બિરસા મુંડાનું નામ તમને આઝાદીની લડાઈના લેખો-પુસ્તકો-કાર્યક્રમોમાં ભાગ્યે જ વાંચવા-સાંભળવા મળશે. શું તેમનો એટલો જ વાંક હતો કે તેમણે શહેરી અને ઉજળિયાત વર્ગ માટે નહીં પણ અંતરિયાળ વિસ્તારમાં વસતા વનવાસીઓના અધિકાર માટે શહીદી વહોરી હતી? માત્ર 25 વર્ષની વયે અંગ્રેજોની જેલમાં જ શહીદી પામનારા આ ઐતિહાસિક વીરને આપણે વીસરી ગયા છીએ, એ આપણી જ કમનસીબી છે અને એના પાપે જ આપણે ફાલતુ અને ભ્રષ્ટ લોકોને વીર તરીકે બિરદાવવા પડે છે!


ગયા સપ્તાહે બિરસા મુંડા સમાચારોમાં ચમક્યા હતા. ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો કે બિરસા મુંડાની પ્રતિમાઓ બેડીઓથી મુક્ત થવી જોઈએ. ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું હતું કે બેડીઓથી જકડાયેલી બિરસા મુંડાની પ્રતિમાઓ અંગ્રેજોની ગુલામીની પ્રતીક છે, જેનાથી આજની યુવા પેઢીની મનોભાવના પર ખરાબ અસર પડી શકે છે. એટલે બેડીઓમાં જકડાયેલા બિરસા મુંડાની તસવીરો અને પ્રતિમાઓને તત્કાળ હટાવી દેવામાં આવશે. બિરસા મુંડાના મૃત્યુના આશરે 116 વર્ષ પછી તેમની પ્રતિમાઓને બેડીઓથી મુક્ત કરવામાં આવશે, એ ચોક્કસ આવકાર્ય ઘટના છે. જોકે, વિચારવાનો અને શરમજનક મુદ્દો એ છે ઇતિહાસના આ અવગણાયેલા વીરની પ્રતિમાઓને બેડીઓથી મુક્ત કરવાનો વિચાર આપણને આઝાદીના સાત દાયકા પછી આવ્યો છે!

જોકે, મૂળ મુદ્દો એ છે કે શું મૂર્તિઓની બેડીઓ હટાવી દેવા માત્રથી બિરસા મુંડાને મુક્તિ મળી જશે? શું બિરસા મુંડાનું આદિવાસીઓની શોષણમુક્તિનું સપનું પૂરું થઈ જશે? આજે પણ આપણે ત્યાં આદિવાસીઓની સ્થિતિ એટલી બદતર છે કે તેઓ પોતાના મૂળભૂત અધિકારો માટે પણ હથિયાર ઉપાડવા મજબૂર છે. આપણે નક્સલવાદની સમસ્યાના સમાચાર વાંચીએ કે સાંભળીએ છીએ ત્યારે આપણને આ સમસ્યાનાં મૂળ અંગે ભાગ્યે જ અંદાજ હોય છે. આઝાદીના સાત દાયકા પછી પણ દેશના આદિવાસીઓને મુખ્યધારામાં સમાવી શકાયા નથી, ઊલટું ખાણમાફિયાઓ અને શોષણખોરો દ્વારા તેમની જિંદગી હરામ થઈ રહી છે, એ શરમજનક હકીકત છે.

આદિવાસી સમાજમાં ‘ધરતીબાબા’ તરીકે પૂજાતા બિરસા મુંડાએ અંગ્રેજોની જળ, જમીન અને જંગલમાં ખોટી દખલ અને દાદાગીરી સામે સંઘર્ષ માંડ્યો હતો. બિરસાના નેતૃત્વમાં 1897થી 1900 દરમિયાન મુંડાઓ અને અંગ્રેજી સૈનિકો વચ્ચે અનેક નાની-મોટી લડાઈઓ થઈ હતી અને મુંડાઓએ અનેક લડાઈ જીતી હતી. અંગ્રેજોની બંદૂકો અને તોપો સામે વિષયુક્ત તીરોથી તેમણે શૌર્યપૂર્ણ સંઘર્ષ કર્યો હતો. બિરસાએ માત્ર અંગ્રેજો સામે જ નહિ, સામંતી અને જમીનદારી પ્રથાને કારણે થતાં આદિવાસીઓના શોષણ સામે પણ સંઘર્ષ આદર્યો હતો. બિરસાના ‘ઉલગુલાન’ (ભારે કોલાહલ અને ઊથલપાથલ) આંદોલનનો અંત 3 ફેબ્રુઆરી, 1900ના રોજ તેમની ચક્રધરપુરમાં થયેલી ધરપકડ બાદ આવ્યો હતો. 9મી જૂન, 1900ના રોજ માંડ 25 વર્ષના બિરસાને રાંચીની જેલમાં જ શહીદી પ્રાપ્ત થઈ હતી. કહેવાય છે કે તેમને અંગ્રેજોએ ધીમું ઝેર આપ્યું હતું.

ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને આજે ભગવાન તરીકે પૂજવામાં આવે છે. બિરસા મુંડાની ખરી મુક્તિ ઇચ્છતા હોઈએ તો દેશના આદિવાસીઓને શોષણમુક્ત કરવા પડશે, તેમને તેમના અધિકારો સોંપવા પડશે. તેમને સન્માનપૂર્ણ-ભેદભાવમુક્ત જીવન જીવવાની તક આપવી પડશે. શું આ માટે આપણે પ્રતિબદ્ધ છીએ?

(‘દિવ્ય ભાસ્કર’ની 8 જૂન, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Thursday, April 14, 2016

નર્યા આદર્શો નહિ, નક્કર અધિકારોની વકીલાત કરનારા ડૉ. આંબેડકર

દિવ્યેશ વ્યાસ


ડૉ. આંબેડકર નામના 'ભારત રત્ન'ને માત્ર દલિત રત્ન તરીકે મૂલવવાની ભૂલ વહેલીતકે સુધારી લેવા જેવી છે.


(ડૉ. આંબેડકરની આ જાણીતી તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

દર વર્ષે ૧૪ એપ્રિલના રોજ આંબેડકર જયંતી ઊજવાય છે. આ વર્ષે (વર્ષ 2014) આંબેડકર જયંતી બહુ રંગેચંગે ઊજવાશે, કારણ કે (લોકસભાની રાષ્ટ્રીય) ચૂંટણીઓના માહોલમાં દેશના ૨૦ કરોડથી વધારે દલિત મતોની લાયમાં નાના નેતાઓથી માંડીને મોટાં માથાંઓની આંબેડકરભક્તિ જોર પડકશે. અહીં નોંધનીય વાત એ છે કે ૧૪ એપ્રિલ,૧૮૯૧ પોતાનો સાચો જન્મ દિવસ છે કે નહીં, એ બાબતે ખુદ આંબેડકર આશંકિત હતા! તેમણે પોતાના એક આત્મકથનાત્મક લખાણમાં જણાવ્યું છે, "મારા જન્મની કોઈ નોંધ નથી. એમને (પિતાજીને) મારી જન્મતારીખ લખી રાખવાની જરૂર નહીં લાગી હોય. હકીકતમાં એ બહુ સામાન્ય બાબત હતી. તેમ છતાં એટલું પણ એમનાથી થઈ શક્યું નહીં. એટલે આજે મારી જે જન્મતારીખ છે, તે સાચી હોવાનો દાવો હું કરી શકતો નથી." ખેર, આંબેડકર ૧૪મી એપ્રિલે જન્મ્યા હતા કે નહીં એના કરતાં આવા મહાનુભાવને આપણે કોઈ ને કોઈ નિમિત્ત ઊભું કરીને પણ યાદ કરવા જોઈએ, એ વધારે મહત્ત્વપૂર્ણ છે.

ડૉ. ભીમરાવ આંબેડકરને આપણે સૌ બંધારણના ઘડવૈયા તરીકે કે પછી આઝાદ ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે કે વધુમાં વધુ દલિત મસિહા તરીકે ઓળખીએ છીએ અને દુઃખની વાત એ છે કે એમના વિશેની જાણકારી આટલેથી પૂરી થઈ જતી હોય છે. આંબેડકરના સંઘર્ષમય જીવન કે ક્રાંતિકારી કાર્યો વિશે બહુ ઓછા લોકો જાણે છે. ડૉ. આંબેડકરને માત્ર દલિત નેતા તરીકે ઓળખીને આપણે તેમની સાથે બહુ મોટો અન્યાય કરતાં આવ્યા છીએ. દલિત કર્મશીલો અને દલિત મતદારો પર આધારિત રાજકીય પક્ષો ડૉ. આંબેડકરનું નામ આગળ કરતાં હોવાથી ડૉ. આંબેડકરની છબિ સંકુચિત રહી જવા પામી હશે, પણ ખરેખર તો સામાજિક સમાનતા માટે આજીવન મથનારા બાબાસાહેબનું ભારતીય સમાજમાં મહાન પ્રદાન રહ્યું છે, જેને કોઈ અવગણી શકે નહીં. બાબાસાહેબે દલિતો-વંચિતોના ઉદ્ધાર કે તેમના ન્યાય માટે જે સંઘર્ષ આદર્યો હતો તે આખરે તો આપણા સમાજને વધારે તંદુરસ્ત, સંગઠિત, સશક્ત અને ન્યાયપૂર્ણ બનાવવા માટે જ હતો ને!

ડૉ. આંબેડકરના જીવન અને સંઘર્ષ વિશે અનેક પુસ્તકો લખાયાં છે. આંબેડકરની જીવનકથા આલેખતાં પુસ્તકો પણ ઉપલબ્ધ છે, પણ તેમની આત્મકથા નથી. જોકે, તેમના આત્મકથનાત્મક લેખો, લખાણો અને પ્રવચનોનો ગુજરાતીમાં અનુવાદ કરીને ચંદુભાઈ મહેરિયા અને ઉર્વીશ કોઠારી દ્વારા 'દિલના દરવાજે દસ્તક' નામનું એક પુસ્તક તૈયાર કરાયું છે. આ પુસ્તકમાં આંબેડકરના બાળપણના પ્રસંગો ઉપરાંત વડોદરા અને અન્ય જગ્યાએ અછૂત તરીકે થયેલા કડવા અનુભવો જાણવા મળે છે. આ લખાણોના આધારે અંદાજ આવે છે કે બાબાસાહેબે એક દલિત તરીકે કેટકેટલું વેઠવું પડયું હતું.

'દિલના દરવાજે દસ્તક'માં આંબેડકરના બાળપણ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણવા મળે છે. તેમના જન્મ પછી કોઈ જ્યોતિષે કહેલું કે આ છોકરો અપશુકનિયાળ છે. જોકે, પોતાની પ્રતિભા અને પ્રચંડ કાર્યો થકી આંબેડકર દેશના કરોડો દલિતો માટે શુકનિયાળ સાબિત થયા છે! કોલંબિયા યુનિર્વિસટી, યુનિર્વિસટી ઓફ લંડન અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જેવી વિશ્વવિખ્યાત યુનિર્વિસટીઓમાં ભણેલા આંબેડકર નાના હતા ત્યારે તેમને ભણવાનું ગમતું નહોતું. આંબેડકરના શબ્દોમાં જ આ વાત જોઈએ : "શરૂઆતના વર્ષોમાં મને ભણવામાં રસ પડતો ન હતો. એ વખતે મને થતું, 'ભણીને શું ફાયદો?' છ મહિના સુધી મેં બાગકામ કર્યું... આજે વિચારતા લાગે છે કે કેવી હતી મારી એ જિંદગી!" તમને તરત પ્રશ્ન થશે તો પછી ભણવામાં રસ કેવી રીતે પડયો? આંબેડકરે લખ્યું છે, "મારા પિતાજી ઘણી વાર કહેતા, છાંયડામાં થાય એવું જ કામ કરજે." તેમના પિતાજી માત્ર શીખામણ આપીને અટકી ગયા નહોતા પણ બાબાસાહેબ જે કોઈ પુસ્તકની માગણી કરે તે બહેનોનાં ઘરેણાં ગિરવે મૂકીને પણ તેમને લાવી આપતા હતા!

આંબેડકરને બાળપણમાં અસ્પૃશ્યતાના અનેક આકરા અનુભવો થયેલા પરંતુ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને સ્વદેશ આવ્યા પછી તેમની લાયકાત, વિદ્વતા અને ક્ષમતા છતાં તેમને વડોદરા સહિતનાં સ્થળોએ જે કડવા અનુભવો થયા તેણે તેમના જીવનની દિશા બદલી નાખી. આંબેડકરે સમાજના બહિષ્કૃત લોકોના ન્યાય માટે લાંબી અને સંઘર્ષપૂર્ણ લડત આપી.

છૂતાછૂતને કારણે અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ આંબેડકરે આહલેક જગાવી હતી. ગાંધીજી પણ અશ્પૃશ્યતા નિવારણ માટે મથતા હતા. જોકે, આપણે ત્યાં મહાત્મા ગાંધી અને ડો. આંબેડકર એકબીજાના વિરોધી હોવાનું ચિતરવામાં આવે છે. તેમની વચ્ચે મતભેદ ચોક્કસપણે હતા. પણ અહીં યાદ રાખવું જોઈએ કે ડો. આંબેડકરે દલિતોને થતાં અન્યાય સામે ક્યારેય હથિયાર ઉપાડવાની હિમાયત કરી નહોતી, ઊલટું તેમણે ગાંધીચીંધ્યા માર્ગે અહિંસામય આંદોલનો જ ચલાવ્યાં હતાં. ગાંધી અને આંબેડકર બન્ને દલિતોનો ઉદ્ધાર અને સામાજિક-આર્થિક સમાનતા ઇચ્છતા હતા, પણ બન્નેના અભિગમમાં મુખ્ય તફાવત એ હતો કે ગાંધીજી મૂલ્યસ્થાપનામાં માનતા હતા, જ્યારે આંબેડકર માળખા (સામાજિક-આર્થિક-રાજકીય વ્યવસ્થા)માં ફેરફાર કરવાની હિમાયત કરતા હતા. ગાંધીજી આદર્શવાદી વિચારો ધરાવતા હતા, જ્યારે આંબેડકર અધિકારો થકી સશક્તિકરણની વકાલત કરતા હતા. ગાંધીજી આંબેડકરના આ અભિગમને બરાબર પામ્યા હતા અને એટલે જ તેમણે આંબેડકરને બંધારણ સભામાં સમાવવાનો આગ્રહ રાખ્યો હતો.

ડૉ. આંબેડકર નામના 'ભારત રત્ન'ને માત્ર દલિત રત્ન તરીકે મૂલવવાની ભૂલ વહેલીતકે સુધારી લેવા જેવી છે.

(મારી ‘સમય સંકેત’ કૉલમનો આ પહેલો લેખ છે, જે આંબેડકર જયંતી નિમિત્તે લખેલો. 
આ કૉલમ ‘સંદેશ’ની રવિવારની ‘સંસ્કાર’ પૂર્તિમાં 13મી એપ્રિલ, 2014ના રોજ પ્રકાશિત થયેલી.)