Monday, January 30, 2017

સર્વધર્મ પ્રાર્થના થકી શીખ્યા શિસ્ત અને શાંતિના પાઠ

ઇલા ર. ભટ્ટ


સર્વધર્મ પ્રાર્થના થકી ગાંધીજીએ દેશવાસીઓને સંગઠિત અને વૈચારિક-નૈતિક રીતે સુસજ્જ કરવામાં અસાધારણ સફળતા મેળવી હતી



મહાત્મા ગાંધીમાં જે બળ અને તેજ હતું, તેના મૂળમાં તેમની અપાર આધ્યાત્મિકતા હતી. આધ્યાત્મિકતા વિના તો આટલું બધું બળ આવે જ ક્યાંથી? સૂતેલા અજગર જેવા દેશને તેમણે હચમચાવીને બેઠો કરેલો. ગાંધીજીનું લક્ષ્ય માત્ર અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવા પૂરતું સીમિત ક્યારેય નહોતું, પરંતુ તેઓ દેશના દરેક વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ ઇચ્છતા હતા. હિંદુ સંસ્કૃતિનાં (ધર્મ નહીં!) મહામૂલાં મૂલ્યોની પુન:સ્થાપના કરવા માટે તેઓ આજીવન ઝઝૂમ્યા હતા. સત્ય અને અહિંસા જેવાં મૂલ્યોને જાહેરજીવનમાં સ્થાપવા માટે તેઓ ખૂબ મથ્યા હતા. આઝાદી આંદોલનની સાથે સાથે ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો, સમાજસુધારણાનાં કાર્યો સતત આગળ વધાર્યાં હતાં. ગાંધીજીની આધ્યાત્મિકતાની અસર તેમના આંદોલનો પર ચોખ્ખી વર્તાય છે. તેમણે આંદોલનો ચલાવવા માટે વૉર રૂમ્સ નહીં, પરંતુ આશ્રમો સ્થાપ્યા હતા! આશ્રમવાસીઓ માટે તેમણે અગિયાર વ્રતો ફરજિયાત કર્યા હતા. દેશમાં નૈતિક મૂલ્યોના પુન:સ્થાપન માટે તેમણે આશ્રમોને પ્રયોગશાળા કમ ધરુવાડિયામાં ફેરવી નાખ્યા હતા.

ગાંધીજીના આશ્રમો અને આંદોલનોમાં એક વિશેષ પાસું હતું - સર્વધર્મ પ્રાર્થના. વિવિધ ધર્મોનું પાલન કરનારા દેશવાસીઓમાં એકતા સ્થાપવા માટે, આધ્યાત્મિક પેદા કરવા માટે તેમણે પ્રાર્થનાનું માધ્યમ અપનાવ્યું હતું. પ્રાર્થના ગાંધીજીની દિનચર્યાનો અભિન્ન હિસ્સો હતી. સામુહિક સર્વધર્મ પ્રાર્થના થકી તેમણે દેશવાસીઓને સંગઠિત અને વૈચારિક-નૈતિક રીતે સુસજ્જ કરવામાં અસાધારણ સફળતા મેળવી હતી.
પ્રાર્થનામાં સામાન્ય રીતે આપણે ભગવાન પાસે કંઈક ને કંઈક માગતા હોઈએ છીએ, પણ ગાંધીજીએ સર્વધર્મ-સમૂહ પ્રાર્થનાનો મૌલિક ખ્યાલ આપીને પ્રાર્થનાની ભાવનાને કંઈક માગવાથી વિશેષ વ્યાપક બનાવી હતી. ગાંધીજીએ પ્રાર્થનામાં માત્ર પોતાનું નહીં, પરંતુ સમાજ, રાષ્ટ્ર અને એનાથી આગળ વધીને સમગ્ર વિશ્વનું કલ્યાણ ઇચ્છવાનું શીખવ્યું. ઈશ્વરનું સ્મરણ ચોક્કસ કરવાનું છે, પરંતુ સાથે સાથે આપણા અંત:કરણમાં પણ ઝાંખવાનું છે. માણસ નીતીના માર્ગે ચાલે એ માટે અંત:કરણની શુદ્ધિ અને જાગૃિત જરૂરી હોય છે અને આ બે વાનાં તમને પ્રાર્થના થકી પ્રાપ્ત થઈ શકે છે. આ કારણોસર જ ગાંધીજીએ પોતાના નિત્યક્રમમાં સવાર-સાંજની પ્રાર્થના દાખલ કરેલી. પ્રાર્થના માટે તેમણે બહુ ચૂંટી ચૂંટીને ભજનો-પદો-પ્રાર્થનાઓ પસંદ કરેલાં. જેને ‘આશ્રમ ભજનાવલી’માં સમાવવામાં આવ્યાં છે. આ ભજનો પર નજર નાખીએ તો તમને ખ્યાલ આવશે કે એક પણ ભજનમાં નથી કોઈ અંધશ્રદ્ધાનો અંશ કે નથી ભક્તિના નામે વેવલાવેડા!

ગાંધીજીની દરેક પ્રાર્થનાઓમાં અચૂક ગવાતું ભજન છે - વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે.... આ ભજનમાં દુનિયાના તમામ ધર્મોનો સાર આવી જાય છે. બહુ સરળ રીતે માનવતાનાં મૂલ્યો તેમાં સમજાવ્યાં છે. ધાર્મિકતા-આધ્યાત્મિકતા માટે બીજાં કોઈ પુસ્તકો ન વાંચો અને માત્ર આ ભજનને જો જીવનમાં ઉતારો તો તમારો બેડો પાર થઈ જાય!

ગાંધીજી દ્વારા સ્થાપિત મજૂર મહાજન સંઘના સંસ્કારોને કારણે મેં જ્યારે સેવાની સ્થાપના કરી ત્યારે સંસ્થામાં સમૂહ પ્રાર્થનાનો ઉપક્રમ આપોઆપ સામેલ થઈ ગયેલો. મારો અનુભવ છે કે પ્રાર્થનાને કારણે એક પ્રકારની શિસ્ત આવી જાય છે. આત્માનું અનુસંધાન તો દૂરનો મુકામ થયો પણ પ્રાર્થનાને લીધે વ્યક્તિના વ્યવહારમાં શિસ્ત જરૂર આવી જાય છે. સમૂહ પ્રાર્થનાને કારણે એક માહોલ રચાતો હોય છે, જેનાથી સમૂહભાવના-એકતા આપોઆપ ઊભી થતી હોય છે.

ભદ્રકાળી ચોકના પાથરણાવાળા-લારીવાળાઓ સાથેનો એક કિસ્સો અહીં જણાવવા માગું છું. કોઈ પણ મંદિર હોય ત્યારે તેની આજુબાજુ નાના-નાના વેપારીઓનું એક કુદરતી બજાર ઊભું થતું હોય છે. ભદ્રકાળી મંદિરની આજુબાજુ બેસતા પાથરણાવાળા-લારીવાળાઓને હટાવવાની તજવીજ કરવામાં આવી ત્યારે તેમની પાસે પોતાના અધિકાર માટે કોર્ટમાં ગયા વિના છૂટકો નહોતો. તેમની રોજગારી અને અધિકારની લડાઈમાં સેવા દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવ્યું. અમે ભદ્રકાળી ચોકમાં વેપાર કરનારાઓનું એક સંમેલન યોજ્યું. અમારી પરંપરા મુજબ સંમેલનના પ્રારંભે સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી. આ પ્રાર્થનાથી એક જબરદસ્ત માહોલ સર્જાયો. હાજર ભાઈઓ-બહેનો દ્રવિત થઈ ગયા, તેમનાં અંત:કરણ શુદ્ધ થયાં અને તેમના વચ્ચે એકતાની ભાવના તો ઊભી થઈ જ પરંતુ આ કેસમાં કશુંય ખોટું કરવું નથી, એવી પ્રતિબદ્ધતા પેદા થઈ. અમે તૈયાર કરેલી યાદીમાં ન કોઈએ ખોટું નામ ઉમેરાવ્યું, ન કોઈએ ખોટી વિગતો જણાવી. એ દિવસે મને પાક્કો પુરાવો મળી ગયો કે પ્રાર્થનામાં કેટલી બધી શક્તિ રહેલી છે.

સમૂહ પ્રાર્થનાથી આપણે સૌ એક પિતાના સંતાન છીએ, એકબીજા સાથે અનુબંધિત છીએ એવી સામૂહિક ચેતના કેળવાય છે, સંગઠન મજબૂત બને છે અને દરેક વ્યકિતમાં નૈતિકતા ઊભી થાય છે. નીતિ વિના ધર્મ હોઈ જ ન શકે અને સામાન્ય લોકો માટે તો ભજન-પ્રાર્થના એ જ ધર્મ હોય છે. પ્રાર્થનાના શબ્દો રોજ આપણા દિલોદિમાગ પર પડઘાતા હોય છે અને વહેલી કે મોડી તેની અસર થયા વિના રહેતી નથી.

આજે દેશનો માહોલ જોતાં સર્વધર્મ પ્રાર્થના વધારે પ્રસ્તુત બની છે. આજે ગામ કે શહેરના વોર્ડમાં સામૂહિક સર્વધર્મ પ્રાર્થના ફરી શરૂ કરવા જેવી પરંપરા છે. જોકે, આવી પ્રાર્થના સ્વૈચ્છિક રાખવી જોઈએ અને તદ્દન બિનરાજકીય હોવી જોઈએ. કોમી એકતા અને નૈતિક મૂલ્યોનું ધોવાણ અટકાવવામાં સર્વધર્મ પ્રાર્થના બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે.

(ઇલા ર. ભટ્ટ સેવા સંસ્થાના સંસ્થાપક ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ અને ગાંધી આશ્રમના ચેરમેન છે.)

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી જાન્યુઆરી, 2017ની ‘ધર્મદર્શન’ પૂર્તિ માટે ઇલાબહેન સાથે થયેલી વાતચીતના આધારે લખેલો લેખ - મૂળ પ્રત)

Wednesday, January 25, 2017

યાદ રાખજો, તમે નાગરિક છો!

દિવ્યેશ વ્યાસ


દેશમાં વ્યાપ્ત આર્થિક, સામાજિક, શાસકીય અને રાજકીયથી માંડીને રોજિંદી સમસ્યાઓનાં મૂળમાં જઈએ જોઈશું તો ભારતીય નાગરિક તરીકેની આપણી અભાનતા અને ઉદાસીનતાનો અહેસાસ થયા વિના રહેશે નથી



(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

તમને કોઈ પૂછે કે તમે કોણ છો ત્યારે તમે સૌથી પહેલાં તમારું નામ જણાવતા હશો, ક્યારેક ઉત્સાહમાં અટક સાથેનું પૂરું નામ પણ જણાવતા હશો. અટકના આધારે સામેવાળા મોટા ભાગે તમારી જ્ઞાતિ કે ધર્મનો અંદાજ મેળવી લેતા હોય છે અને વહેમ પડે તો ખાતરી કરવા જ્ઞાતિ પણ પૂછી લેતા હોય છે. સામેવાળાને વધુ પરિચય આપવાનું યોગ્ય લાગે તો તમે વધુમાં તમારો વ્યવસાય કે ગામ-શહેરનું નામ પણ જણાવતા હશો. તમને એવો એકેય પ્રસંગ યાદ છે કે જ્યારે તમે તમારો પરિચય ‘ભારતના નાગરિક’ તરીકે આપ્યો હોય? વિદેશજનારે કદાચ પાસપોર્ટ ચેક કરાવતી વખતે કહેવું પડતું હશે કે હું ભારતીય છું કે પછી ભારતનો નાગરિક છું. બાકી ભાગ્યે જ આપણા મનમાં એવી ભાવના પેદા થતી હોય છે કે, બંદા તો ભારતના નાગરિક છે! ભારતીય હોવાનો ગર્વ લેવાની તક આપણને વારંવાર મળતી હોય છે, પરંતુ ભારતીય નાગરિક હોવાની આપણી ઓળખ અને ભૂમિકા અંગે વિચારવાનું બહુ જવલ્લેજ બનતું હોય છે. દેશમાં વ્યાપ્ત આર્થિક, સામાજિક, શાસકીય અને રાજકીયથી માંડીને રોજિંદી સમસ્યાઓનાં મૂળમાં જઈએ જોઈશું તો ભારતીય નાગરિક તરીકેની આપણી અભાનતા અને ઉદાસીનતાનો અહેસાસ થયા વિના રહેશે નથી.

આવતી કાલે 26મી જાન્યુઆરી એટલે કે આપણો પ્રજાસત્તાક દિન છે. આ દિવસ આપણને ભારતીય નાગરિક હોવાનો અહેસાસ કરવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. 26મી જાન્યુઆરીનો દિવસ આપણને હંમેશાં યાદ કરાવતો રહે છે કે આપણે માત્ર આઝાદ જ નહીં પરંતુ પ્રજાસત્તાક દેશના નાગરિકો છીએ. આ એ જ દિવસ છે, જ્યારે આપણે આઝાદી પછી ઝંખેલું સ્વરાજ પ્રાપ્ત કરવા માટે એક નાગરિકની રૂએ કેટલાક પાયાના અધિકારો-હકો હાંસલ કર્યા હતા અને સાથે સાથે કેટલીક જવાબદારીઓ પણ સ્વીકારી હતી. પ્રજાસત્તાકનો દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે હવે કોઈ રાજા-શાસકની રૈયત નથી રહ્યા, જે રાંકડી હોય, પણ આપણે દેશના શાસન માટે જવાબદાર નાગરિકો છીએ. લોકશાહી રાજવ્યવસ્થામાં પણ સત્તાનું સુકાન ચોક્કસપણે અમુક લોકોના હાથમાં રહે છે, પરંતુ નાગરિકો સભાન અને સક્રિય હોય તો એ સત્તાધારી લોકોને નિયંત્રણમાં જરૂર રાખી શકે છે. લોકશાહીમાં શાસકો લોકમતને અવગણવાની ભૂલ ભાગ્યે જ કરતા હોય છે. સજ્જ, સક્ષમ અને સમજદાર નાગરિક હોય એ દેશમાં નેતાઓ ભાગ્યે જ પોતાની મનમાની કરી શકે છે. આજે દેશમાં નેતાઓ બેફામ અને બેફિકર છે, તો એના માટે નાગરિકોનું બેજવાબદાર વલણ વધારે કારણભૂત છે.
આજે 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાર દિવસ છે. 25મી જાન્યુઆરી એ આમ તો ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. વર્ષ 2011માં ચૂંટણી પંચની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે સરકારે આ દિવસને રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે મનાવવાનું શરૂ કર્યું હતું. આ દિવસ ખાસ તો મતદારોને જાગૃત કરીને તેમને નિયમિત મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો, સાથે સાથે કોઈ નાગરિક મતદારયાદીમાંથી બહાર ન રહે, મતદાનથી વંચિત ન રહે, એ સુનિશ્ચિત કરવાનો પણ હતો. મતદાર તરીકે આપણે સારી વ્યક્તિને આપણો નેતા-શાસક તરીકે ચૂંટવાનો હોય છે. મતદાર જેવું વાવે છે, દેશને એવું જ લણવાનું હોય છે.

અલબત્ત, નાગરિક એટલે માત્ર મતદાર જ નહીં. મતદાર તરીકે તો પાંચ વર્ષે એક વખત કે પછી અલગ અલગ સ્તરની ચૂંટણીઓ માટે વધીને ચાર-પાંચ વખત મતદાન કરીને ફરજ બજાવવાની હોય છે, પરંતુ નાગરિકની ભૂમિકા તો 24 X 7 નિભાવવાની હોય છે. પોતે માત્ર મતદાર નથી, પરંતુ આ દેશના જવાબદાર નાગરિક છે, એ વાતનો અહેસાસ સૌથી પહેલાં જનતાને થવો જરૂરી છે, પછી નેતાઓને તો એ વાત આપોઆપ સમજાઈ જવાની. મતબેન્કનું રાજકારણ હોય કે પછી કોમવાદી-જ્ઞાતિવાદી-પ્રાંતવાદી રાજકારણ, આ બદીઓ એક જ ઝાટકે નામશેષ થઈ જાય તો દેશનો દરેક વ્યક્તિ પોતાની નાત-જાત-કોમ-વર્ગ-ભાષા-પ્રદેશ વગેરે સાંકડા વાડાઓ ભૂલીને નાગરિક તરીકે વર્તતો થઈ જાય. પણ તમે સાંકડી ઓળખો ભૂલવા માટે તૈયાર છો?

દેશના બંધારણે આપણને નાગરિક તરીકેની ઓળખ આપી છે અને ઓળખ સાથે જ આપણા અધિકારો અને જવાબદારીઓ પણ જોડાયેલી છે. 26મી જાન્યુઆરીએ બીજું કંઈ થઈ શકે કે નહીં, ક્યાંકથી શોધીને પણ બંધારણના આમુખની સાથે સાથે નાગરિક તરીકેના અધિકારો અને ફરજો પર પણ એક નજર નાખી લેજો... પછી તમારે જે કરવું હોય તે, તમારી મરજી!

(‘દિવ્ય ભાસ્કર’ની 25મી જાન્યુઆરી, 20174ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, January 18, 2017

‘ચૂપ રહે, ક્યાંય ખોવાઈ જઈશ!’

દિવ્યેશ વ્યાસ

 

પાકિસ્તાનમાં સામાજિક કાર્યકરો અને બ્લોગરોનું ભેદી રીતે ગુમ થવું બતાવે છે કે ત્યાં લોકશાહી આજેય દિવાસ્વપ્ન છે




‘સરકાર દ્વારા નાગરિક સમાજ વિરુદ્ધ ખેદજનક, ગેરકાયદેસર જંગ શરૂ થતાં દેશના ઇતિહાસનું વધુ એક કાળું પ્રકરણ આરંભાયું છે.’ આ આકરા શબ્દો છે, પાકિસ્તાનના જાણીતા અખબાર ‘ડૉન’ના 10મી જાન્યુઆરીના તંત્રીલેખના, જેનું શીર્ષક હતું - ‘મિસિંગ એક્ટિવિસ્ટ્સ’. એક સાથે પાંચ-પાંચ સામાજિક કાર્યકરો અને બ્લોગરોના અચાનક ગુમ થવાની ઘટના સંદર્ભે ‘ડૉને’ શબ્દો ચોર્યા વિના લખ્યું છે કે ‘ખોવાયેલા લોકો’ કે ‘ગુમ થયેલા’ જેવા રૂપાળા શબ્દો થકી તમે ‘બિહામણા સત્ય’ને (અગ્લી ટ્રુથ) છુપાવી ન શકો.’ તંત્રીલેખમાં આગળ લખ્યું છે, ‘સરકાર અને પોલીસ માત્ર એટલું કહીને અટકી ન શકે કે તપાસ ચાલી રહી છે. તેમની જવાબદારી બને છે કે ગુમ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સહીસલામત તેમના ઘરે પહોંચાડી દે.’ માત્ર ‘ડૉન’ જ નહિ, પાકિસ્તાનનાં મોટા ભાગનાં અખબારો-ટીવી ચેનલોમાં ગુમ થયેલા સામાજિક કાર્યકરો-બ્લોગરોનો મુદ્દો ખાસ્સો ચર્ચાયો હતો. પાકિસ્તાન ઉપરાંત આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ મુદ્દાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી.

સૌથી પહેલા તો આ મામલો સમજી લઈએ. 2017ના નવા વર્ષની શરૂઆત પાકિસ્તાનના ઉદારમતવાદી, લોકશાહીના ચાહકો, બિનસાંપ્રદાયિક (સેક્યુલર) અને ડાબેરી વિચારધારાના લોકો માટે આઘાતજનક રહી છે. વર્ષ 2017ના પ્રથમ સપ્તાહમાં જ એક નહિ પણ પાંચ પાંચ સામાજિક કાર્યકરો અને બ્લોગરો ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા છે. આ પાંચેય લોકો અત્યારે ક્યાં છે? કઈ હાલતમાં રખાયા છે? કોના કબજા હેઠળ છે? તેમના પર શું વીતી રહી છે? બીજું તો બધું ઠીક, પણ તેઓ અત્યારે જીવે છે કે મારી નંખાયા છે? એની પણ કોઈને ગંધ સુધ્ધાં નથી.

આ પાંચ ગુમ થયેલાઓમાંથી સૌથી મોટું નામ ડૉ. સલમાન હૈદરનું છે. કવિ, સંપાદક, શિક્ષણકાર અને માનવ અધિકાર કર્મશીલ એવા ‘સલ્લુભાઈ’ તરીકે જાણીતા ડૉ. સલમાન હૈદર ફાતિમા ઝીણા વીમેન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. બલુચિસ્તાનના લોકો માટે ભારોભાર સંવેદના ધરાવતા ડૉ. સલમાન પાકિસ્તાનની સરકાર અને સૈન્યને ન ખટકે તો જ નવાઈ! તેઓ ‘તાંકીદ’ નામનું રાજનીતિ અને સંસ્કૃતિને લગતું સામયિક ચલાવે છે. બલુચિસ્તાન મુદ્દે સરકાર અને સૈન્ય વિરુદ્ધ સતત લખતાં-બોલતાં રહ્યા હોવાથી જ તેમનું અપહરણ કરાયું હોવાનું મનાય છે. આ માનવ અધિકાર કર્મશીલ ગત છઠ્ઠી જાન્યુઆરીથી ગાયબ છે. તેમના છેલ્લા સગડ ઇસ્લામાબાદના બની ગલા વિસ્તારમાંથી મળેલા, જ્યારે તેમની કાર કોરલ ચોક વિસ્તારમાંથી મળી આવી છે. ડૉ. સલમાન માટે સોશિયલ મીડિયા પર ‘રિકવર સલમાન હૈદર’ના હેશટેગ સાથે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જોકે, સલમાન હૈદરની સાથે સાથે અહેમદ વકાસ ગોરયા, આસીમ સઈદ, અહેમદ રઝા નાસીર અને સમર અબ્બાસ જેવા બ્લોગરોનું પણ અપહરણ કરાયું છે, એટલે ‘રિકવર ઑલ એક્ટિવિસ્ટ્સ’ હેશટેગ સાથે ઝુંબેશ ઉગ્ર બની ગઈ છે. એક જ સમયગાળામાં પાંચ પાંચ સામાજિક કાર્યકર અને બ્લોગરોનું અપહરણ થતાં પાકિસ્તાનમાં રાષ્ટ્રીય સ્તરે હોબાળો મચી ગયો છે.

જોવાની વાત એ છે કે બ્લોગર અહેમદ વકાસ ગોરયા તો હોલેન્ડમાં રહે છે તો આસીમ સઈદ સિંગાપોરમાં નોકરી કરે છે. તેઓ આ દિવસોમાં પોતાના વતનની મુલાકાતે લાહોર આવ્યા હતા અને તેમનું અપહરણ કરી લેવાયું છે અને એ પણ એક જ દિવસે-4થી જાન્યુઆરીએ. જાણે અપહરણકર્તાઓ લાગ જોઈને જ બેઠા હતા અને એકદમ આયોજનપૂર્વક તેમનું અપહરણ કરાયું હોય, એવું લાગે છે. આ બન્ને બ્લોગરોની વિશેષતા એ છે કે તેઓ પાકિસ્તાની સૈન્યના પ્રખર ટીકાકાર રહ્યા છે. તેઓ ‘મોચી’ નામના બ્લોગ ઉપરાંત ફેસબુક પર પણ આ જ નામનું પેજ ધરાવે છે. પાકિસ્તાની સૈન્ય દ્વારા લોકોની થતી કનડગત, જોરજુલમ, રાજકારણમાં દખલગીરી-દાદાગીરી અને તેમના અફસરો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેઓ સતત અવાજ બુલંદ કરતા રહ્યા છે. ફેસબુક પેજ પર કવર ફોટોની સાથે તેમણે તીખા મરચા જેવું વાક્ય ટાંક્યું છે, ‘અમે પાકિસ્તાનના સૈન્યને એટલું જ માન આપીએ છીએ, જેટલું તે પાકિસ્તાનના બંધારણને આપે છે.’
પોલિયોગ્રસ્ત બ્લોગર અહેમદ રઝા નાસીર પણ પોતાના બ્લોગ થકી સૈન્યના દુરાચારો વિરુદ્ધ ખુલ્લેઆમ લખતા રહ્યા છે. નાસીરને પણ 7મી જાન્યુઆરીએ લાહોરના શૈખુપુરા ગામમાં આવેલી તેની દુકાનમાંથી જ પરિવારજનોની નજર સામે ઉઠાવી જવાયો છે. કરાચીથી 7મી જાન્યુઆરીના રોજ ઇસ્લામાબાદ આવેલા બ્લોગર સમર અબ્બાસનો પણ 11મી જાન્યુઆરી પછી કોઈ અત્તોપત્તો મળી રહ્યો નથી.

આ પાંચેય લોકો સતત ભ્રષ્ટાચાર અને પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ લખતાં હોવાથી જ તેમના અપહરણ પાછળ સરકારી અધિકારી કે પછી લશ્કરના અફસરોનો હાથ હોવાની શંકા પ્રબળ રીતે સેવાઈ રહી છે. વળી, સામાન્ય રીતે આતંકવાદીઓ કોઈનું અપહરણ કરે તો તેઓ જવાબદારી લેતા હોય છે અને અપહૃતને છોડાવવા માટે શરતો મૂકતા હોય છે, પરંતુ આ પાંચેય માટે કોઈએ નથી જવાબદારી લીધી કે નથી કોઈ શરત મૂકી. આમ, શંકાની સોય પાકિસ્તાની સૈન્ય તરફ જ તકાઈ રહી છે. વળી, સરકાર તથા પોલીસ તંત્ર પણ જે રીતે મોળી મોળી વાતો કરે છે, તેને કારણે આ શંકા દૃઢ બની રહી છે. જોકે, સરકાર આવા આક્ષેપોને નિરાધાર ગણાવે છે.

આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને હ્યુમન રાઇટ્સ વૉચ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ બહુ ગંભીરતાથી લીધો છે અને પાકિસ્તાનમાં અભિવ્યક્તિની આઝાદી બાબતે ચિંતા વ્યક્ત કરી છે તો અમેરિકાના વિદેશ મંત્રાલયે પણ આની ગંભીર નોંધ લીધી છે. પાકિસ્તાનના લેખકો, પત્રકારો અને સામાજિક કર્મશીલોના મતે સરકાર અને સૈન્ય દ્વારા અખબાર અને ટીવી પછી હવે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પર ધાક અને ધોંસ જમાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ રીતે લોકોની અભિવ્યક્તિની આઝાદી છીનવાઈ રહી છે.

પાકિસ્તાનની મથરાવટી જોતાં આવી ઘટના સહજ લાગી શકે, પરંતુ જે રીતે પાકિસ્તાનના માનવ અધિકાર કર્મશીલો, પત્રકારો, સામાજિક કાર્યકરો અને સામાન્ય જનતાએ ઇસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવાં શહેરોની સડક પર ઊતરીને વિરોધ નોંધાવ્યો છે, એ બદલાતા માહોલનો સંકેત છે. પાકિસ્તાનમાં છેલ્લાં થોડાંક વર્ષોથી લોકશાહી સરકાર સ્થિર રીતે શાસન કરતી થઈ છે, છતાં દેશમાં લોકશાહી માહોલ આજે પણ દિવાસ્વપ્ન સમાન છે.

પાકિસ્તાન નિમિત્તે અહીં બાંગ્લાદેશમાં બ્લોગરોની હત્યા કે આપણે ત્યાં દાભોળકર, પાનસરે અને કલબુર્ગી વગેરેની હત્યાના કિસ્સાઓ યાદ આવ્યા વિના રહેતા નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશની ચિંતા છોડીએ તોપણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ઘરઆંગણે સર્જાયેલા માહોલમાં દેશના ઉદારમતવાદીઓ, માનવ અધિકાર કર્મશીલો, બૌદ્ધિકો અને બિનસાંપ્રદાયિક-લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારા લોકોનો ઉચાટ વધ્યો છે, એ વાસ્તવિકતાની અવગણના ન થઈ શકે. ભૂતકાળમાં આપણે અનેક વ્હીસલબ્લોઅર્સનાં કરુણ મોત જોયાં છે, છતાં સંસદમાં વ્હીસલબ્લોઅર વિધેયકને પસાર કરાવવાની જાણે કોઈને ઉતાવળ નથી, એ ચિંતાપ્રેરક છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 18મી જાન્યુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, January 11, 2017

લોહી પર મૃત્યુના વાહકનું લાંછન

દિવ્યેશ વ્યાસ


છેલ્લાં સાત વર્ષમાં ચેપી લોહી ચડાવવાને કારણે 14 હજારથી વધુ લોકો HIVના ભોગ બની ચૂક્યા છે



નવા જમાનામાં રક્તદાન મહાદાન ગણાય છે, કારણ કે તમારા લોહીને કારણે કોઈ અન્ય વ્યક્તિને નવજીવન મળી શકતું હોય છે, પરંતુ શું તમે ધારી શકો કે દાતા તરફથી લોહી મેળવનારા લોકોને ક્યારેક જીવનને બદલે મોત પણ મળી જતું હશે? હા, બ્લડ બેન્કોની બેદરકારીને કારણે એવા અનેક કિસ્સા સામે આવ્યા છે કે દર્દીને ચેપી લોહી ચડાવી દેવામાં આવે છે અને પરિણામે દર્દીના શરીરમાં બકરું કાઢતાં ઊંટ પેસવા જેવું થતું હોય છે. ચેપી લોહી જીવલેણ બીમારી લઈને આવતું હોય છે અને રહ્યાસહ્યા જીવનને પણ જીવવાલાયક રહેવા દેતું નથી. આ તે કેવી કરુણતા કે બ્લડ બેન્કના સ્ટાફની સભાનતા અને સંભાળના અભાવે જીવન બક્ષતું લોહી જ ઘાતક ચેપનું વાહક બનીને લોકોની જિંદગી છીનવી લેવા માંડ્યું છે.

ગુજરાતે આજથી પાંચ વર્ષ પહેલાં એટલે કે 2011માં જુનાગઢ એઆઈવી કાંડ નજરે જોયો છે, જેમાં 28 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને એચઆઈવીગ્રસ્ત લોહી ચડાવી દેવાયું હતું. (આમાંનાં આઠ માસૂમ બાળકો હવે ઈશ્વરને પ્યારાં થઈ ગયાં છે!) આવો જ વધુ એક ઘોર બેદરકારીભર્યો એચઆઈવી કાંડ વડોદરામાં પણ થયાનું તાજેતરમાં બહાર આવ્યું છે. વડોદરાની બે ખાનગી બ્લડ બેન્કોએ પરીક્ષણ કર્યા વિના જ 15 દર્દીઓને એઆઈવી, હિપેટાઇટીસ-બી અને હિપેટાઇટીસ-સીના ચેપવાળું લોહી ચડાવી દીધાનો કિસ્સો ખરેખર ચોંકાવનારો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ તથા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ-CDSOના સંયુક્ત તપાસ અહેવાલમાં ખુલાસો થયો છે કે વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરક્તમ્ બ્લડ બેન્કની બેદરકારીને કારણે 3 દર્દીઓને એચઆઈવી, 7 દર્દીઓને હિપેટાઇટીસ-સી અને 5 દર્દીઓને હિપેટાઇટીસ-બીના ચેપવાળું લોહી ચડાવી દેવામાં આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે આવી જીવલેણ બેદરકારી કઈ રીતે ચલાવી શકાય?

વાત ગુજરાત પૂરતી જ સીમિત નથી. સમગ્ર ભારતમાં ચેપી લોહી ચડાવી દેવાની બેદરકારીને કારણે હજારો લોકો ગંભીર બીમારીના ભોગ બન્યાના કિસ્સા જોવા મળ્યા છે. ઇન્ડિયાસ્પેન્ડ નામની રિસર્ચ ન્યૂઝ પોર્ટલના નિખિલ એમ. બાબુએ તાજેતરમાં આ અંગે એક વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. આ અહેવાલમાં રજૂ થયેલા આંકડા ખરેખર આંચકાજનક છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન-NACOના આંકડા અનુસાર ભારતમાં છેલ્લાં 7 વર્ષમાં અધધ 14,474 લોકો માત્ર ને માત્ર ચેપી લોહી ચડાવવાને કારણે એચઆઈવી-એઇડ્સનો ભોગ બન્યા છે! અહીં નોંધનીય બાબત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ચેપી રોગ ચડાવવાથી એઇડ્સનો ભોગ બનનારાની સંખ્યા થોડી થોડી ઘટતી જતી હતી, પરંતુ તાજેતરના વર્ષમાં આ સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે. વર્ષ 2014-15માં 1424 લોકો ચેપી લોહીને કારણે એઇડ્સનો ભોગ બનેલા, જ્યારે વર્ષ 2015-16માં આ સંખ્યા ઘટવાને બદલે 10 ટકા વધીને 1559 જેટલી થઈ ગઈ છે. આ આંકડો ખરેખર ચિંતાજનક છે.

અહીં સૌથી વધુ ચિંતાજનક અને આપણા માટે આઘાતજનક વાત એ છે કે ચેપી લોહીને કારણે એઇડ્સનો ભોગ બનનારાઓની સંખ્યામાં ગુજરાત નંબર -1 છે! વર્ષ 2009થી 2016ના સમયગાળામાં ગુજરાતમાં 2518 લોકો ચેપી લોહીને કારણે એઇડ્સગ્રસ્ત બન્યા છે. આ બાબતે બીજા ક્રમે ઉત્તરપ્રદેશ (1807) અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર (1585) આવે છે. આ આંકડાઓ પુરવાર કરે છે કે ગુજરાતમાં આ મામલે ખરેખર ગંભીર સ્થિતિ પ્રવર્તે છે. જુનાગઢના એઆઈવી કાંડ પછી પણ આપણા આરોગ્ય વિભાગની કે બ્લડ બેન્કોની આંખો ખૂલતી નથી અને એટલે જ વડોદરાકાંડ સર્જાય છે.

લોહી તો જીવન આપે, એને મૃત્યુના વાહકનું લાંછન લગાડતી લચર વ્યવસ્થા ક્યારે સુધારવામાં આવશે? હોસ્પિટલ્સ-બ્લડ બેન્કના બેદરકાર કર્મીઓ વિરુદ્ધ કડક પગલાં ક્યારે ભરાશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 11 જાન્યુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, January 4, 2017

પેટ ઠારવાનું ‘પુણ્ય’

દિવ્યેશ વ્યાસ


કેટલાંક રાજ્યોમાં ગરીબ વર્ગ માટે સસ્તા ભાવે ભોજન પૂરું પાડવાની સરકારી યોજનાઓને કેવી રીતે જોઈશું?


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

કોઈ પણ સવાલનો ઉત્તમ જવાબ આપવા માટે જાણીતી બનેલી ક્વોરા.કોમ નામની વેબસાઇટે થોડા સમય પહેલાં પોતાના વાચકોને પ્રશ્ન પૂછેલો, તમારી જિંદગીમાં આંખ ઉઘાડનારો સૌથી મોટો બનાવ કે અનુભવ કયો છે? અનેક વાચકોના અનુભવોમાંથી કેટલાક કિસ્સાઓ હૃદયસ્પર્શી હતા. મુંબઈના અબ્દુલ કાદિર સૈફીએ પોતાનો કિસ્સો વર્ણવ્યો હતો : ‘એક દિવસ મિત્રો સાથે અમે ભોજન લીધું. વધેલું ભોજન ફેંકી દેવાને બદલે ભૂખ્યા લોકોને આપી દેવાનું વિચાર્યું. ત્યારે રાતના લગભગ બે વાગ્યા હતા એટલે અમને થયું કે અત્યારે કોણ ભૂખ્યું હશે? તો પણ અમે રસ્તા પર જઈને મોટા અવાજે બોલ્યા કે અમારી પાસે ભોજન છે, કોઈને ભૂખ લાગી છે? ભોજનનું નામ પડતાં ચાર-પાંચ લોકો તરત જાગી ગયા. અમે તેમને ભોજન આપ્યું. તેઓ જે ઝડપથી જમતા હતા, તેના પરથી સ્પષ્ટ ખ્યાલ આવતો હતો કે તેઓ સાવ ભૂખ્યા જ સૂઈ ગયા હશે. એ દૃશ્ય જોયા પછી મને જિંદગીમાં પહેલી વખત ભૂખ કેવી ચીજ છે, તેનો અહેસાસ થયો અને પછી મેં ક્યારેય થાળીમાં ભોજન એંઠું નથી મૂક્યું અને ભોજન વધ્યું હોય તો ફેંકી દેવાને બદલે ભૂખ્યા માણસને શોધીને આપી દઉં છું.’

ભૂખનું દુ:ખ સૌથી વધારે કપરું હોય છે. પેટની આગ દુનિયાને સળગાવી દે એટલી કાતિલ બની શકે છે અને એટલે જ આપણા મહાકવિ ઉમાશંકર જોશીએ લખેલું, ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાધશે.’ આપણા દેશમાં આજે પણ આશરે 60 ટકા લોકો ગરીબીરેખા હેઠળ જીવી રહ્યા છે અને દેશમાં કરોડો લોકોને માત્ર એક ટંકનું જ ભોજન નસીબ થાય છે ત્યારે ભૂખનો મુદ્દો સૌથી વધારે ગંભીર ગણાવો જોઈએ.

દેશમાં લાખો નાગરિકો કુપોષણથી પીડાય છે અને દર વર્ષે હજારો લોકો ભૂખમરાને કારણે જાન ગુમાવી રહ્યા છે, છતાં ‘દરેક હાથને રોટી’નું સપનું પૂરું કરવાની રાજકીય કે શાસકીય પ્રતિબદ્ધતાનો અભાવ પ્રવર્તે છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષથી દેશની કેટલીક રાજ્ય સરકારોએ સસ્તા અનાજની દુકાન કે મધ્યાન ભોજનથી આગળ વધીને ધ્યાનાકર્ષક પહેલ કરી છે. હમણાં તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાનાં નિધન પછી તેમને અપાયેલી શ્રદ્ધાંજલિઓમાં સૌથી વધારે  અન્ના કેન્ટિનનો ઉલ્લેખ જોવા મળ્યો. જયલલિતાએ વર્ષ 2013થી સસ્તા ભોજન માટે ‘અમ્મા ઉનાવગમ’ એટલે કે અમ્મા કેન્ટિનની યોજના શરૂ કરી હતી, જેમાં રૂ. એકમાં ઈડલી અને પાંચ રૂપિયામાં ભાત-સાંભાર પીરસવામાં આવે છે. જયલલિતાએ તામિલનાડુની ચૂંટણી સળંગ બીજી વખત જીતવાનો રેકોર્ડ કર્યો, એમાં આ યોજનાનો સવિશેષ ફાળો ગણાય છે. આમ તો, ગરીબજનો માટે સસ્તાં ભોજન કેન્દ્રોની શરૂઆત મહારાષ્ટ્રમાં 1995ની સાલમાં થયેલી. તત્કાલીન ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકારે ‘ઝુણકા-ભાખર કેન્દ્રો’ શરૂ કરાવેલાં, જે એક રૂપિયામાં જમાડતાં હતાં. જોકે, સરકાર બદલાયા પછી એ યોજના લાંબી ચાલી નહોતી. તામિલનાડુમાં આ યોજનાને કારણે જયલલિતાને મળેલી સફળતા પછી અન્ય રાજ્ય સરકારો પણ આવી યોજના ચલાવવા આકર્ષાઈ છે. દિલ્હીની શિલા દીક્ષિતની સરકારે પંદર રૂપિયામાં આખું ભાણું જમાડતાં ‘જન આહાર કેન્દ્રો’ શરૂ કરાવેલાં. કેજરીવાલે સત્તા પર આવીને જન આહાર કેન્દ્રોને બદલે ‘આમ આદમી કેન્ટિન’ ખોલવાનું વિચારેલું, જેનો અમલ હજુ થઈ શક્યો નથી. ઉત્તરાખંડની કૉંગ્રેસી સરકારે પણ વર્ષ 2015માં ઇન્દિરા અમ્મા ભોજનાલયો શરૂ કરાવેલાં તો તાજેતરમાં જ રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ‘અન્નપૂર્ણા રસોઈ’ યોજના શરૂ કરી છે, જેમાં 5 રૂપિયામાં નાસ્તો અને 8 રૂપિયામાં થાળી ઉપલબ્ધ કરાવાશે. થોડા સમય પહેલાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ રાજ્યમાં ગરીબોને રૂ. 10માં એક ટંકનું ભોજન મળી રહે, એવી યોજના લાવવાની જાહેરાત કરી હતી.

આમ, એક પછી એક રાજ્યમાં ગરીબો માટે સસ્તા ભોજનનાં આવાં કેન્દ્રો શરૂ થઈ રહ્યાં છે. ગરીબો માટેની આવી યોજનાઓને તો આવકાર જ હોય, પરંતુ સૌથી મોટી ચિંતા યોજનામાં થતાં ભ્રષ્ટાચારની છે. આપણે ત્યાં મધ્યાહ્ન ભોજન યોજનાની શું હાલત છે, એ જાણીએ જ છીએ. એટલે મુદ્દો યોજનાના ઉદ્દેશ કરતાં પણ યોજનાના અમલીકરણનો ઊભો થાય છે. અમલીકરણમાં પ્રતિબદ્ધતા અને સજ્જડ વ્યવસ્થાના અભાવે જ અન્ય રાજ્યોમાં આવી યોજનાને તામિલનાડુ જેવી સફળતા મળી રહી નથી.

આ મામલે બીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે આવી યોજનાઓ ટૂંકા ગાળાનું સમાધાન હોઈ શકે, પરંતુ લાંબા ગાળે સસ્તા કે મફતની યોજનાઓ લોકો, સરકાર, અર્થતંત્ર કે દેશ માટે ફાયદાકારક હોતી નથી. એક કહેવત છે કે કોઈને માછલી પકડીને દાનમાં આપવા કરતાં તેને માછલી પકડતા શીખવવું વધુ બહેતર છે. કોઈ પણ પક્ષની સરકાર ગરીબોના પેટ ઠારવાનું ‘પુણ્યֹ’ કમાઈને સત્તાનું સ્વર્ગ કન્ફર્મ કરાવાની ફિરાકમાં રહે, એ લાંબા ગાળે ગરીબો માટે કે દેશ માટે હિતાવહ ન ગણાય. સરકારે ખરેખર તો ગરીબોને રોજગારી અને આર્થિક ઉન્નતિ માટેની તક પૂરી પાડવી જોઈએ. આ માટે લાંબા ગાળાની ચોક્કસ નીતિઓ અને આયોજન જરૂરી છે. જોકે, ટી-20 સ્ટાઇલથી રાજકારણ રમનારા નેતાઓને આવી વાત માફક આવતી નથી. પરિણામે ગરીબોએ સસ્તાં ભોજન કેન્દ્રોથી પેટને ઠારવું પડે છે અને મનને મનાવવું પડે છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 4 જાન્યુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)