Wednesday, August 30, 2017

ઉ. કોરિયાનું કમભાગ્ય

દિવ્યેશ વ્યાસ


સોવિયત સંઘે ગાંધીવિચારોમાં માનતા ચો મન સિકને બદલે કઠપૂતળી નેતા કિમ ઇલ સંગને સપોર્ટ કરીને ઉ. કોરિયાની ઘોર ખોદી

(દ. કોરિયામાં આવેલી ચો મન સિકની પ્રતિમા, જે આજે પણ એક-અખંડ કોરિયાના સ્વપ્નની પ્રતીક છે)

ઇતિહાસ અનેક ‘જો અને તો’ની વચ્ચે ઝોલા ખાતો હોય છે. આજે ઉત્તર કોરિયાના તુંડમિજાજી સરમુખત્યાર કિમ જોંગ ઉનને કારણે પરમાણુ યુદ્ધથી માંડીને વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે એક સવાલ જરૂર થાય છે કે ઉ. કોરિયાની ગાદી પર એક જ પરિવારનું સામંતી સામ્રાજ્ય ન હોત તો ઇતિહાસની સાથે સાથે વર્તમાન પણ જુદો હોત. સંસ્થાનવાદમાંથી આઝાદ થયેલાં બધાં રાષ્ટ્રો ભારત જેવાં સદ્્ભાગી નહોતાં કે તેમને ગાંધી-નેહરુ-સરદાર જેવા નેતા મળે. ગાંધીજીએ આઝાદી માટેનો આંદોલન કરવાનો જુસ્સો જગાડવાની સાથે સાથે રચનાત્મક કાર્યક્રમો થકી દેશમાં સામાજિક અને રાજકીય સુધારાની દિશાદોરી આપી હતી. નેહરુએ ભારતને સંકુચિત નહીં, પરંતુ સર્વસમાવેશક બનાવવા તથા દેશમાં લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થા સ્થાપવા માટે નેતૃત્વ પૂરું પાડ્યું તો સરદારસાહેબે ભારતને એક-અખંડ બનાવીને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. ઉ. કોરિયાના એટલા કમભાગ્ય કે તેને એક સારો અને સર્વમાન્ય નેતા જરૂર મળ્યો હતો, પરંતુ સત્તા અને પ્રભુત્વના કાવાદાવામાં તેણે શહીદી વહોરવી પડી હતી. આ નેતા એટલે ચો મન સિક.

ચો મન સિકનો કોરિયાના ગાંધી તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. ચો મન સિક સંપૂર્ણપણે ગાંધીવિચારોને સમર્પિત નહોતા, છતાં તેમના પર ગાંધીજીના વિચારોનો ખૂબ જ પ્રભાવ હતો. ચો મન સિકનો જન્મ ઉ. કોરિયાની હાલની રાજધાની પ્યોંગયોંગમાં 1 ફેબ્રુઆરી, 1883ના રોજ થયો હતો. યુવાની ફૂટતાં જરા આડે રસ્તે ચડી ગયેલા ચો મન સિક પછી ખ્રિસ્તી ધર્મ અને ધર્મગ્રંથોના સંપર્કમાં આવતાં તેમના જીવનનો માર્ગ બદલાઈ ગયો. તેઓ 1908થી 1913 દરમિયાન જાપાનમાં ભણવા ગયા. એ દરમિયાન પહેલા વિશ્વયુદ્ધમાં જાપાને કોરિયા પર કબજો જમાવી દીધો હતો. કોરિયામાં જાપાની સામ્રાજ્યથી આઝાદીનું આંદોલન વેગ પકડતું જતું હતું. જાપાનમાં અભ્યાસ દરમિયાન ચો મન સિકે સંસ્થાનવાદ વિરુદ્ધ ગાંધીજીના અહિંસક આંદોલન અંગે વાંચ્યું-જાણ્યું અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. સ્વદેશ પાછા ફરીને તેમણે શિક્ષકની નોકરી સ્વીકારી અને આગળ જતાં આચાર્ય પદ મેળવ્યું હતું, સાથે સાથે તેઓ આઝાદી આંદોલનમાં સક્રિય પણ બન્યા હતા. આંદોલનમાં સક્રિયતાને કારણે તેમણે આચાર્યપદ ગુમાવવું પડ્યું હતું અને 1919માં આઝાદી આંદોલનમાં જોડાવા બદલ તેમને એક વર્ષની જેલ થઈ હતી. 1922માં તેમણે કોરિયન પ્રોડક્ટ પ્રમોશન સોસાયટીની સ્થાપના કરીને જાપાન વિરુદ્ધ અહિંસક લોકઆંદોલન જગાવ્યું હતું. તેમણે જાપાની વસ્તુઓના બહિષ્કારની સાથે સાથે કોરિયન બનાવટની વસ્તુઓ જ વાપરવા લોકોને જાગૃત કર્યા હતા. આ આંદોલનને કારણે તેઓ સમગ્ર કોરિયામાં લોકનેતા તરીકે ઊભરી આવ્યા હતા.

જાપાન બીજું વિશ્વયુદ્ધ હારી ગયું અને તેણે 1945માં કોરિયાને પોતાના શાસનમાંથી મુક્ત કર્યું ત્યારે પ્રોવિઝનલ પીપલ્સ કમિટીની રચના કરીને દેશના વડા તરીકે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. જોકે, આંતરારાષ્ટ્રીય રાજકારણે કોરિયાનો ખેલ બગાડ્યો હતો. ‘મિત્ર રાષ્ટ્રો’ એવા અમેરિકા અને સોવિયત સંઘ કોરિયાને બે ભાગમાં - ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વહેંચીને એક એક ભાગનો વહીવટી સંભાળી લેવા ઉત્સુક હતા અને સંયુક્ત રાષ્ટ્ર પણ એ માટે તૈયાર હતું. જોકે, ચો મન સિકને ગાંધીજીની જેમ જ પોતાના દેશના ભાગલા મંજૂર નહોતા. ચો મન સિકના વતન એવા ઉ. કોરિયાનો વહીવટ સોવિયત સંઘને સોંપાયો હતો. ખ્રિસ્તી ધર્મમાં અપાર શ્રદ્ધા ધરાવનારા, ગાંધીજીના વિચારોથી પ્રભાવિત, સામ્યવાદીઓની રીતભાતોને પસંદ નહીં કરનારા અને કોરિયાની એકતાના હિમાયતી એવા સિક સર્વોચ્ચ અને લોકમાન્ય નેતા હોવા છતાં સોવિયત સંઘે તેમને સાઇડલાઇન કર્યા અને પોતાના હાથની કઠપૂતળી બનીને રહે એવા યુવા અને તોફાની નેતા કિમ ઇલ સંગને પ્રમોટ કર્યા અને ઉ. કોરિયાના લમણે એક સરમુખત્યાર લખાઈ ગયો.

આ સરમુખત્યાર સંગ ગાંધીજી અને ગાંધી વિચારો અંગે શું માનતા હતા, તેની ઝલક પણ બીબીસીના અહેવાલમાં બતાવાઈ છે. કિમ અલ સંગને ગાંધીજીના વિચારોમાં બિલકુલ શ્રદ્ધા નહોતી, તેમણે પોતાના પુસ્તક ‘વિથ ધ સેંચ્યુરી’માં લખ્યું છે, ‘જિલિનમાં થોડા દિવસના નિવાસ દરમિયાન ગાંધીનો પત્ર વાંચીને મેં પાર્ક સો સિમ સમક્ષ અહિંસાના સિદ્ધાંતની ટીકા કરી હતી. જિલિનમાં રહેનારા એકેય કોરિયન યુવાને ગાંધીની વિચારધારાને સ્વીકારી નહીં. કોઈ એટલું મૂર્ખ તો નહોતું જ કે જે એવી કલ્પના કરે કે અહિંસાના માર્ગે ચાલીશું તો જાપાન ચાંદીની તાસક પર અમને આઝાદી આપી દેશે.’

સોવિયત સંઘના ઇશારે પહેલાં તો સિકને નજરકેદ કરાયા, પરંતુ આગળ જતાં સંગે પોતાની સરકાર ઊથલાવી દેવાના કાવતરાનો આરોપ લગાવીને ઑક્ટોબર-1950માં છાનાછપના મૃત્યુદંડ આપી દેવાયો હતો. કહેવાય છે કે મૃત્યુદંડ આપતા પહેલાં અધિકારીઓએ તેમને પાછલા બારણે ભાગી જવાની સલાહ અને મદદ કરવાની ખાતરી આપી હોવા છતાં તેમણે પોતાના અન્ય સાથીઓની સાથે જેલમાં જ સબડવાનું અને દેશ માટે મૃત્યુને ગળે લગાડવાનું પસંદ કર્યું હતું. ચો મન સિકના મોત બાદ સરકારની ધોંશ વધતાં ખ્રિસ્તીઓએ ધીમે ધીમે ઉ. કોરિયામાંથી પલાયન શરૂ કર્યું હતું અને તેઓ મોટા ભાગે દ. કોરિયામાં સ્થાયી થયા હતા. મૂળ વતન એવું ઉ. કોરિયાએ તો ચો મન સિકની કદર ન કરી, પરંતુ દ. કોરિયાએ તેમના દેશની આઝાદીના યોગદાનની કદર કરીને ઈ.સ. 1970માં દેશના સર્વોચ્ચ પુરસ્કાર ‘ઓર્ડર ઑફ મેરીટ ફોર નેશનલ ફાઉન્ડેશન’થી નવાજ્યા હતા. દ. કોરિયામાં ચો મન સિકની વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. હવે તો ઉ. કોરિયામાં પણ એક નાનકડું સંગ્રહાલય તૈયાર કરાયું છે, જેમાં ચો મન સિક દ્વારા વપરાશમાં લેવાયેલી વસ્તુઓ તથા દસ્તાવેજો સાચવવામાં આવે છે.

ગાંધીવિચારોમાં માનનારા ચો મન સિક ઉ. કોરિયાના શાસક બન્યા હોત તો આ દેશની આવી હાલત ન હોત.

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, August 23, 2017

શિક્ષણનું સપનું ઓક્સફર્ડ પહોંચ્યું

દિવ્યેશ વ્યાસ


દુનિયાના દરેક બાળક માટે શિક્ષણનું સપનું જોનારી બહાદુર મલાલા હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણશે


(આ ગ્રાફિક મલાલાની વેબસાઇટ પરથી લીધેલું છે.)

મલાલા. આ નામ સાંભળતાં જ આપણું મોં મલકાઈ જાય. એક બાળા જેણે દરેક બાળકના શિક્ષણના અધિકાર માટે સંઘર્ષ આદર્યો છે. મલાલાની અધિકૃત વેબસાઇટ www.malala.org પર મલાલા’ઝ સ્ટોરી પાન ખોલતાં જ  તેનું એક સચોટ વાક્ય વાંચવા મળે છે, I tell my story, not because it is unique, but because it is not. It is a the story of many girls. (હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.) મલાલા આ વાક્ય તેને શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત થયું, એ સમારંભમાં પોતાના વક્તવ્યમાં બોલી હતી. આ વક્તવ્યમાં જ તેણે કહેલું, ‘હું પણ એ 6 કરોડ 60 લાખ બાળાઓમાંની એક છું, જે શિક્ષણથી વંચિત છે.’ જોકે, મલાલાનું સદ્્ભાગ્ય (કરોડો બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત છે ત્યારે સદ્્ભાગ્ય જ ગણાય) છે કે તેને બ્રિટનની પ્રતિષ્ઠિત શાળામાં ભણવા મળ્યું અને તાજા સમાચાર મુજબ તેને વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળી ચૂક્યો છે. 17મી ઑગસ્ટે મલાલાએ જ ટ્વીટ કરીને આ સમાચાર આપતાં લખ્યું હતું, ‘So excited to go to Oxford!!!’ અહેવાલો મુજબ મલાલાએ એ લેવલની પરીક્ષા પાસ કરી છે. હવે તે ઓક્સફર્ડની સૌથી વધારે જાણીતા પીપીઈ (ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સ) વિભાગમાં અધ્યયન કરીને ઉચ્ચ ડિગ્રી હાંસલ કરશે.

મલાલાની શિક્ષણ માટેની તાલાવેલી અને પ્રતિબદ્ધતા હવે વિશ્વવિખ્યાત છે. આ એ જ મલાલા છે, જે શિક્ષણ માટે બંદૂકની ગોળીનો પણ સામનો કરી ચૂકી છે. આપણે સૌ જાણીએ છીએ કે 12 જુલાઈ, 1997ના રોજ શિક્ષક પિતાના ઘરે જન્મેલી મલાલાને પહેલેથી જ ભણવું ખૂબ જ ગમતું હતું. તે ભણીગણીને ડૉક્ટર થવા માગતી હતી! પાકિસ્તાનની સ્વાત ખીણમાં રહેતી મલાલાની નિયતિમાં કંઈક જુદું જ લખ્યું હતું. વર્ષ 2007માં તાલિબાનોએ સ્વાત ખીણ પર કબજો કરી લીધો અને ખીણમાં જાતજાતના પ્રતિબંધો લાદી દીધા, જેમાંનો એક પ્રતિબંધ કન્યાઓને ભણાવવાનો હતો. આ પ્રતિબંધ મલાલા માટે અન્યાયી જ નહીં, અસહ્ય હતો. બાર વર્ષની બાળા બીજું તો શું કરે, પણ પોતાના પપ્પાના પ્રોત્સાહનથી તેણે બીબીસીમાં પોતાની ઓળખ છુપાવીને ‘ગુલ મકઈ’ના નામે સ્વાત ખીણમાં તાલિબાની કુશાસન અંગે બ્લોગ લખવાનું શરૂ કર્યું. મલાલાએ પોતાના શિક્ષણના અધિકાર માટે પણ પ્રતિકાર કર્યો. તેનો બ્લોગ ચર્ચિત બન્યો અને ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ મલાલાના કાર્ય અંગે ટૂંકી ડોક્યુમેન્ટરી બનાવી. પાકિસ્તાને સ્વાત ખીણમાંથી તાલિબાનોને હટાવ્યા. સ્વાતમાં શાળાઓ ફરી ખૂલી અને બાળાઓનું શિક્ષણ શરૂ થયું. 2011માં મલાલાને પાકિસ્તાનનું પહેલું યૂથ પીસ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. આ પછી મલાલા તાલિબાનોના હિટ લિસ્ટમાં આવી ગઈ. 9 ઑક્ટોબર, 2012ના રોજ શાળાએ જઈ રહેલી મલાલા પર ઘાતક હુમલો કર્યો અને તેને માથામાં ગોળી મારવામાં આવી. મલાલા બચી ગઈ અને શિક્ષણ માટે ગોળી ખાનારી આ પાકિસ્તાની દીકરી રાતોરાત વિશ્વવિખ્યાત બની ગઈ.

મલાલાને યુએનની રાજદૂત બનાવવામાં આવી અને વર્ષ 2013માં તેના 16મા જન્મદિવસ નિમિત્તે યુએનમાં તેનું વક્તવ્ય ગોઠવાયું. યુએનમાં ‘ધ રાઇટ ઑફ એજ્યુકેશન ઑફ એવરી ચાઇલ્ડ’ વિષય પરના તેના ભાષણે સમગ્ર વિશ્વમાં ખાસ્સો પ્રભાવ ઊભો કર્યો હતો. વર્ષ 2014માં મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનું નોબેલ પારિતોષિત મળ્યું હતું. મલાલાએ સૌથી નાની વયે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર હાંસલ કર્યો. વર્ષ 2014માં તે ‘પર્સન ઑફ ધ યર’ બની અને ટાઇમના કવર પર ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિની યાદીમાં પણ મલાલાને ટૉપ ફાઇવમાં સ્થાન મળ્યું હતું. ઑગસ્ટ-2014માં તેનાં સંસ્મરણો અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ આવ્યું અને રાતોરાત બેસ્ટસેલર બની ગયું હતું. મલાલા પર એક ડઝનથી વધુ પુસ્તકો લખાઈ ચૂક્યાં છે.

મલાલા દૃઢપણે માને છે કે, ‘દુનિયામાં અનેક સમસ્યાઓ છે, પરંતુ મારા મતે આ તમામ સમસ્યાઓનો એક જ ઇલાજ છે, અને એ છે શિક્ષણ. તમારે તમામ કન્યાઓ અને કુમારોને ભણાવવા પડે. તમારે તેમને શીખવાની તક પૂરી પાડવી પડે.’ એટલું જ નહીં, મલાલા એક એવા દેશનું સપનું જુએ છે, જ્યાં શિક્ષણનું પ્રભુત્વ હોય. મલાલાનું બીજું એક જાણીતું વાક્ય છે, ‘એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક અને એક પેન દુનિયા બદલી શકે છે.’

આતંકવાદનો ભોગ બનેલી મલાલા એક સુંદર વાત કરે છે, ‘બંદૂકથી તમે આતંકવાદીઓને જ ઠાર કરી શકશો, પણ શિક્ષણ થકી તમે આતંકવાદને નાબૂદ કરી શકશો.’ મલાલા એક સુંદર વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’
મલાલાને આટઆટલી પ્રસિદ્ધિ મળવા છતાં તેણે પોતાના શિક્ષણ પરથી ધ્યાન હટાવ્યું નથી. મલાલા ધારે તો હવે તેણે એટલી પ્રસિદ્ધિ અને પૈસા કમાઈ લીધા છે કે તેણે ભણવાની કોઈ જરૂર નથી, છતાં તે ગંભીરતાથી ભણી રહી છે અને પોતાના પ્રભાવને વધારે પ્રભાવી બનાવી રહી છે.

મલાલા અધિકાર માટે અને અન્યાય સામે પ્રતિકારનું પણ પ્રતીક છે ત્યારે તેના એક વાક્ય સાથે જ લેખ પૂરો કરીએ, ‘જ્યારે આખું વિશ્વ મૌન પાળતું હોય ત્યારે એક અવાજ પણ શક્તિશાળી પુરવાર થાય છે.’

(‘દિવ્ય ભાસ્કર’ની 23મી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, August 9, 2017

થોરો : 200 વર્ષની બૌદ્ધિકતા

દિવ્યેશ વ્યાસ


સરકારની અન્યાયી નીતિના વિરોધમાં ટેક્સ નહીં ભરીને જેલમાં જનારા હેન્રી ડેવિડ થોરોની પ્રસ્તુતતા વધતી જ જાય છે

(તસવીર ગૂગલ પરથી શોધીને મૂકી છે.)

વિખ્યાત કવિ રાલ્ફ વાલ્ડો ઇમર્સનને જેવી ખબર પડી કે પોતાના દિલોજાન દોસ્તને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે ત્યારે તેઓ દોડીને તેમને મળવા દોડી ગયા. જેલમાં સલાખોં કે પીછે પોતાના મિત્રને જોઈને ઇમર્સનથી સહજ પુછાઈ ગયું, ‘તું જેલમાં કેમ છો?’ ત્યારે દોસ્તે જવાબમાં સામો સવાલ કરેલો, ‘તું હજુ બહાર કેમ છો?’ આ જવાબ આપનાર દોસ્ત હતા અમેરિકાના વિશ્વવિખ્યાત બૌદ્ધિક, વિચારક અને લેખક હેન્રી ડેવિડ થોરો. થોરોના એ સણસણતા સવાલમાં જ એક માતબર જવાબ (અને મૌલિક વિચાર પણ) હતો: ‘જે રાજ્યમાં અન્યાય સામે લડનારાઓ જેલમાં પુરાય છે ત્યારે સમજવું કે ન્યાયપ્રિય લોકોનું સ્થાન જેલમાં છે.’ અમેરિકાની તત્કાલીન સરકારની કેટલીક અન્યાયી નીતિઓ અંગે પોતાનો વિરોધ નોંધાવવા માટે થોરોએ ટેક્સ ન ભરીને પ્રતિકાર કર્યો હતો. થોરો અમેરિકામાં ચાલતી ગુલામી પ્રથા અને તેને સમર્થન આપતા કાયદાઓના પ્રખર વિરોધી હતા. એ ઉપરાંત અમેરિકા દ્વારા મેક્સિકો સામે ચાલી રહેલા યુદ્ધના પણ ટીકાકાર હતા. ઈ.સ. 1846ની 24 કે 25મી જુલાઈના રોજ સેમ સ્ટેપલ્સ નામના કરવેરા અધિકારી થોરોના ઘરે ટેક્સ લેવા આવ્યા હતા. થોરોએ ટેક્સ ભરવાની ચોખ્ખી ના પાડી દીધી અને પોતે શા માટે સરકારી વેરો ભરવા માગતા નથી, એ જણાવ્યું. ટેક્સ ભરવાનો ઇનકાર કરવા બદલ તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. થોરોએ વિનમ્રતાપૂર્વક જેલની સજા સ્વીકારી પણ કરવેરો નહોતો ચૂકવ્યો. જોકે, પછી તેમના પરિવારની કોઈ મહિલાએ તેમની ઇચ્છા અને કદાચ જાણબહાર કરવેરો ભરી દેતાં તેમને એક જ દિવસમાં જેલમાંથી મુક્તિ મળી ગઈ હતી. સરકારની અનીતિ અને અન્યાયી નીતિઓ સામે છડેચોક પ્રતિકાર કરવાનું થોરોએ જ શીખવ્યું હતું. થોરોનો એક દિવસનો જેલવાસ અમેરિકન ઇતિહાસનું યશસ્વી પ્રકરણ બની રહ્યું છે અને તાજેતરનાં વર્ષોમાં ચાલેલી ઓક્યુપાઇ વૉલ સ્ટ્રીટ જેવી અનેક ચળવળોને પ્રેરણા પૂરું પાડી રહ્યું છે.

હેન્રી ડેવિડ થોરોનો 200મો જન્મદિવસ તાજેતરમાં 12મી જુલાઈના રોજ ઊજવાઈ ગયો. થોરોની દ્વિશતાબ્દી નિમિત્તે અમેરિકાની પોસ્ટલ સર્વિસ દ્વારા વોલ્ડન સરોવરના કાંઠે વિશેષ કાર્યક્રમ યોજીને તેમની પોસ્ટલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ સરકારી કાર્યક્રમ ઉપરાંત નોંધનીય ઉજવણી એ થઈ કે આ દિવસોમાં થોરોનાં બે જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે. કદાચ 50 વર્ષના લાંબા ગાળા પછી થોરો પરની માતબર જીવનકથા પ્રગટ થઈ છે. આ બે પુસ્તકોમાંથી એક પુસ્તક તો અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સે લખ્યું છે, જેનું શીર્ષક છે, હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોને સિદ્ધાંતો આધારિત જીવન જીવી જનારા મહાનુભાવ તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકનો ઝોક પર્યાવરણ પર વધારે જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે બે વર્ષ, બે મહિના અને બે દિવસ સુધી વોલ્ડન સરોવરની પાળે સાદું ઝૂંપડું બાંધીને રહેનારા થોરો પ્રકૃતિને ખૂબ જ ચાહતા હતા. થોરાના ‘વોલ્ડન’ પુસ્તકમાં તેમના પ્રકૃતિપ્રેમની સાથે સાથે પર્યા‌વરણ માટે આપણી જવાબદારીઓનો બોધપાઠ પણ મળે છે. લૌરાબહેને આજના ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારો સામે થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે સમજાવવા પ્રયાસ કર્યો છે.

થોરો પરનું બીજું પુસ્તક જર્મનીમાં લખાયું છે, જેના શીર્ષકનો અંગ્રેજી અનુવાદ ‘હેન્રી ડેવિડ થોરો : પાથ્સ ઑફ એન અમેરિકન ઓથર’ થઈ શકે. જર્મન લેખક ડાઇટર શુલ્ઝે એક ઇન્ટરવ્યૂમાં બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે કે થોરોના વિચારો આજે જેટલા પ્રસ્તુત છે, એટલા અગાઉ ક્યારેય પણ નહોતા.

થોરો એવા મહાન વિચારક હતા, જેમના વિચારોને ટૉલ્સ્ટૉય, ગાંધીજી, ઇમર્સન, યીસ્ટ, અર્નેસ્ટ હેમિંગ્વે, માર્ટિન લ્યૂથર કિંગ જૂ. અને જ્હોન એફ. કેનેડી જેવા મહાનુભાવોને પણ પ્રભાવિત કર્યા હતા. ગાંધીજીએ તો લેખિતમાં સ્વીકારેલું છે કે સવિનય કાનૂન ભંગ કે અસહકાર આંદોલનની પ્રેરણા થોરાના ‘નાગરિક પ્રતિકાર’ (Civil disobedience)માંથી સાંપડી હતી.

અમેરિકા અને ભારત સહિત તમામ દેશોમાં બહુમતીવાદ મજબૂત થતો જાય છે ત્યારે થોરોના વિચારો મનનીય બન્યા છે. થોરો માનતા હતા કે ‘સત્ય બહુમતી પાસે જ હોય એમ નહીં, પણ લઘુમતી કે એક વ્યક્તિની વિવેકબુદ્ધિમાંયે એ હોઈ શકે છે.’ લોકો શાંતિથી અન્યાયને જોતા રહે અને ન્યાય માટે આવતી ચૂંટણી સુધી રાહ જોતા રહે, એની સામે થોરોને વાંધો હતો. થોરો માનતા કે સરકારને આપણે સમાજવ્યવસ્થા બરાબર ચાલે એ માટે બનાવેલી છે. તે એક પ્રકારની મશીનરી છે. કોઈ મશીન બરાબર કામ ન કરે ત્યારે આપણે તેને બંધ કરીએ છીએ તેમ સરકાર જ્યારે યોગ્ય રીતે કામ ન કરે, અન્યાયી બને ત્યારે તેને કામ કરતી બંધ કરવા વિરોધ કરવો જોઈએ.

સૃષ્ટિ અને સરકાર/શાસન અંગેના થોરોના વિચારોનું (પુસ્તકોનું) વાંચન તથા મનન-ચિંતન કરીને જ તેમનું દ્વિશતાબ્દી વર્ષ ઊજવવું જોઈએ, ખરું ને?

(‘દિવ્ય ભાસ્કર’ની 9મી ઑગસ્ટ, 2017ની કળશ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, August 2, 2017

આફત અને રાજનેતાનો આપદધર્મ

દિવ્યેશ વ્યાસ


મોરબી હોનારત વખતે તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની યશસ્વી કામગીરી આજેય યાદ આવે છે




અનરાધાર વરસાદે અડધા ગુજરાતને પૂરગ્રસ્ત હાલતમાં મૂકી દીધું છે. પૂરને કારણે હજારો ગુજરાતીઓ માટે નીચે ધરતી અને ઉપર આકાશ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યારે કમનસીબે રાજ્યના રાજકારણીઓ અને ધારાસભ્યો રાજકીય કાવાદાવામાં ફસાયેલા છે. સત્તાલોલુપ રાજકારણીઓ કાવાદાવામાં એટલા ખૂંપેલા છે કે કાદવ-કીચડવામાં ફસાયેલી જનતાની પીડા તરફ તેમની જાણે નજર પણ જતી નથી. ગુજરાતે અગાઉ પૂર, દુષ્કાળ, વાવાઝોડાં કે ધરતીકંપ જેવી અનેક કુદરતી આફતો જોઈ છે, પરંતુ રાજનેતાઓનું આવું દુર્લક્ષ્ય ભાગ્યે જ જોવા મળ્યું છે. ગુજરાતનું જાહેરજીવન અગાઉ ક્યારેય આટલું અસંવેદનશીલ નહોતું.
આસમાની આફત સમયે સુલતાની કાવાદાવા જોઈને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની યાદ તીવ્ર બનવી સ્વાભાવિક છે. બાબુભાઈ એક એવા લોકનેતા હતા, જેમણે સત્તા પર હોય કે ન હોય, હંમેશાં લોકસેવામાં પોતાનો ધર્મ જોયો હતો અને એમાંય કુદરતી આફતોના સમયમાં તો તેમણે એવી કામગીરી કરી છે કે ઇતિહાસમાં તેનો જોટો જડવો મુશ્કેલ છે.

ગુજરાતે જ નહીં સમગ્ર દુનિયાએ જોયેલી ભયાનક જળહોનારતોમાંની એક એવી જળહોનારત મોરબીમાં સર્જાઈ હતી. વાત 11 ઑગસ્ટ, 1979ની છે. અનરાધાર વરસાદને કારણે મચ્છુ નદી પરનો ડેમ તૂટી ગયો હતો. ધસમસતા જળપ્રવાહે મોરબીમાં મહાવિનાશ વેર્યો હતો. આજથી લગભગ ચાળીસ દાયકા પહેલાં નહોતી આટલી ટેક્નોલોજી કે નહોતાં તોતિંગ સાધનો-સંસાધનો, પરંતુ એક વાત હતી, એ વખતના રાજનેતાઓ આફત સમયે પોતાનો આપદ્્ધર્મ સારી રીતે જાણતા હતા અને એ રાજનેતાઓમાં શિરમોર હતા મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ.

મોરબી હોનારત અંગે મૂળ ગુજરાતી એવા હાર્વર્ડના સંશોધક ઉત્પલ સાંડેસરા અને તેમના સાથી ટોમ વૂટને છ-છ વર્ષ સુધી સંશોધન કરીને 400 પાનાંનું એક અભ્યાપૂર્ણ પુસ્તક લખ્યું હતું - ‘નો વન હેડ અ ટંગ ટુ સ્પીક : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ વન ઑફ હિસ્ટ્રીઝ ડેડલિએસ્ટ ફ્લડ્સ’. વર્ષ 2011માં પ્રકાશિત આ પુસ્તકના બીજા પ્રકરણનું શીર્ષક છે - ‘ધ ગવર્નમેન્ટ ડિસાઇડ્સ, એન્ડ ધ ગવર્નમેન્ટ બિલ્ડ્સ’. પ્રકરણનું શીર્ષક જ જણાવે છે કે તત્કાલીન રાજ્ય સરકારે સારી કામગીરી નિભાવી હતી. આ સારી કામગીરીનું સૌથી વધારે શ્રેય મુખ્યમંત્રી બાબુભાઈને જ જાય છે, કારણ કે તેઓ આ હોનારતના સમાચાર સાંભળીને મોરબી દોડી આવ્યા અને મોરબીમાં રહીને મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ એક સેવક તરીકે કામગીરી કરી હતી. આ પુસ્તકમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. તત્કાલીન ખેતીવાડી વિભાગના સચિવ એચ.કે. ખાનને તાત્કાલિક ધોરણે વિશેષ રાહત સચિવ (સ્પેશિયલ સેક્રેટરી ફોર રિલીફ) બનાવી દેવાયા અને રાહત-પુનર્વસનની સંપૂર્ણ જવાબદારી સોંપી દેવામાં આવી હતી. ખાન તત્કાળ મોરબી પહોંચી ગયા. તેમણે સ્થિતિનો ક્યાસ કાઢીને સંપૂર્ણ સત્તાની માગણી કરી અને મુખ્યમંત્રીએ નાણાકીય સહિતની તમામ સત્તા તેમને સોંપી દીધી. રાહત છાવણીમાં બનાવેલી ઑફિસમાં રોજ સવારે મિટિંગ કરવામાં આવતી. બાબુભાઈ મિટિંગમાં નિયમિત હાજર રહેતા, પરંતુ કોઈ એમની સલાહ માગે ત્યારે તરત ખાનસાહેબ તરફ આંગળી ચીંધીને કહી દેતા કે હું અહીંનો ઇન્ચાર્જ નથી, હું પણ વોલન્ટિયર જ છું!

આમ, બાબુભાઈએ ખરા અર્થમાં એક મુખ્યમંત્રી નહીં, પરંતુ મુખ્ય સેવક તરીકે ફરજ બજાવીને પોતાનો રાજધર્મ નિભાવ્યો હતો. કહેવાય છે કે મુખ્યમંત્રીનું ઘર અને ઑફિસ મોરબીમાં જ રહેતાં મોરબીમાં જ મિનિ સચિવાલય ઊભું થઈ ગયું હતું અને સમગ્ર રાજ્યનો વહીવટ પૂરરાહતની કામગીરીની સાથે સાથે ત્યાંથી જ થતો હતો.

એ વખતે રાજ્યના વિરોધ પક્ષ (કૉંગ્રેસ)ના નેતા માધવસિંહ સોલંકી હતા. તેમણે મોરબી હોનારતની જવાબદારી નક્કી કરવા માટે ન્યાયિક તપાસની માગણી કરી હતી. સત્તા પક્ષ એટલે જનતા મોરચાના સભ્યોએ આનો વિરોધ કર્યો, પરંતુ મુખ્યમંત્રી બાબુભાઈએ તરત જ આ માગણી સ્વીકારી લીધી હતી. તેમણે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ન્યાયિક તપાસપંચના અધ્યક્ષનું નામ સૂચવવા વિનંતી કરી અને ન્યાયમૂર્તિ બી.કે. મહેતાના અધ્યક્ષપદે તપાસપંચ નિમાયું હતું. આમ, પ્રતિબદ્ધતા અને સેવાની સાથે સાથે તેમણે પારદર્શકતાને પણ ઊની આંચ આવવા દીધી નહોતી.

અહીં બાબુભાઈના રાજકીય જીવનનો બીજો રસપ્રદ કિસ્સો પણ નોંધી લેવાની લાલચ રોકી શકાય એમ નથી. પછી માધવસિંહ મુખ્યમંત્રી બનેલા અને બાબુભાઈ વિપક્ષમાં હતા. દરમિયાન ગુજરાતમાં દુષ્કાળ પડતાં માધવસિંહે અછત રાહતનું કામ અન્ય કોઈને નહીં પણ બાબુભાઈને સોંપ્યું હતું. આનો વિરોધ પણ થયેલો ત્યારે માધવસિંહે કહેલું, આવું કામ બાબુભાઈથી વધુ સારું કોણ કરી શકે?

વર્તમાન રાજનેતાઓ રાજધર્મ તો જવા દો આપદ્્ધર્મ પણ સમજશે? કે પછી જનતાએ જ ત્રીજું નેત્ર ખોલીને સમજાવવું પડશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 2જી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)