Wednesday, August 23, 2017

શિક્ષણનું સપનું ઓક્સફર્ડ પહોંચ્યું

દિવ્યેશ વ્યાસ


દુનિયાના દરેક બાળક માટે શિક્ષણનું સપનું જોનારી બહાદુર મલાલા હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણશે


(આ ગ્રાફિક મલાલાની વેબસાઇટ પરથી લીધેલું છે.)

મલાલા. આ નામ સાંભળતાં જ આપણું મોં મલકાઈ જાય. એક બાળા જેણે દરેક બાળકના શિક્ષણના અધિકાર માટે સંઘર્ષ આદર્યો છે. મલાલાની અધિકૃત વેબસાઇટ www.malala.org પર મલાલા’ઝ સ્ટોરી પાન ખોલતાં જ  તેનું એક સચોટ વાક્ય વાંચવા મળે છે, I tell my story, not because it is unique, but because it is not. It is a the story of many girls. (હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.) મલાલા આ વાક્ય તેને શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત થયું, એ સમારંભમાં પોતાના વક્તવ્યમાં બોલી હતી. આ વક્તવ્યમાં જ તેણે કહેલું, ‘હું પણ એ 6 કરોડ 60 લાખ બાળાઓમાંની એક છું, જે શિક્ષણથી વંચિત છે.’ જોકે, મલાલાનું સદ્્ભાગ્ય (કરોડો બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત છે ત્યારે સદ્્ભાગ્ય જ ગણાય) છે કે તેને બ્રિટનની પ્રતિષ્ઠિત શાળામાં ભણવા મળ્યું અને તાજા સમાચાર મુજબ તેને વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળી ચૂક્યો છે. 17મી ઑગસ્ટે મલાલાએ જ ટ્વીટ કરીને આ સમાચાર આપતાં લખ્યું હતું, ‘So excited to go to Oxford!!!’ અહેવાલો મુજબ મલાલાએ એ લેવલની પરીક્ષા પાસ કરી છે. હવે તે ઓક્સફર્ડની સૌથી વધારે જાણીતા પીપીઈ (ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સ) વિભાગમાં અધ્યયન કરીને ઉચ્ચ ડિગ્રી હાંસલ કરશે.

મલાલાની શિક્ષણ માટેની તાલાવેલી અને પ્રતિબદ્ધતા હવે વિશ્વવિખ્યાત છે. આ એ જ મલાલા છે, જે શિક્ષણ માટે બંદૂકની ગોળીનો પણ સામનો કરી ચૂકી છે. આપણે સૌ જાણીએ છીએ કે 12 જુલાઈ, 1997ના રોજ શિક્ષક પિતાના ઘરે જન્મેલી મલાલાને પહેલેથી જ ભણવું ખૂબ જ ગમતું હતું. તે ભણીગણીને ડૉક્ટર થવા માગતી હતી! પાકિસ્તાનની સ્વાત ખીણમાં રહેતી મલાલાની નિયતિમાં કંઈક જુદું જ લખ્યું હતું. વર્ષ 2007માં તાલિબાનોએ સ્વાત ખીણ પર કબજો કરી લીધો અને ખીણમાં જાતજાતના પ્રતિબંધો લાદી દીધા, જેમાંનો એક પ્રતિબંધ કન્યાઓને ભણાવવાનો હતો. આ પ્રતિબંધ મલાલા માટે અન્યાયી જ નહીં, અસહ્ય હતો. બાર વર્ષની બાળા બીજું તો શું કરે, પણ પોતાના પપ્પાના પ્રોત્સાહનથી તેણે બીબીસીમાં પોતાની ઓળખ છુપાવીને ‘ગુલ મકઈ’ના નામે સ્વાત ખીણમાં તાલિબાની કુશાસન અંગે બ્લોગ લખવાનું શરૂ કર્યું. મલાલાએ પોતાના શિક્ષણના અધિકાર માટે પણ પ્રતિકાર કર્યો. તેનો બ્લોગ ચર્ચિત બન્યો અને ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ મલાલાના કાર્ય અંગે ટૂંકી ડોક્યુમેન્ટરી બનાવી. પાકિસ્તાને સ્વાત ખીણમાંથી તાલિબાનોને હટાવ્યા. સ્વાતમાં શાળાઓ ફરી ખૂલી અને બાળાઓનું શિક્ષણ શરૂ થયું. 2011માં મલાલાને પાકિસ્તાનનું પહેલું યૂથ પીસ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. આ પછી મલાલા તાલિબાનોના હિટ લિસ્ટમાં આવી ગઈ. 9 ઑક્ટોબર, 2012ના રોજ શાળાએ જઈ રહેલી મલાલા પર ઘાતક હુમલો કર્યો અને તેને માથામાં ગોળી મારવામાં આવી. મલાલા બચી ગઈ અને શિક્ષણ માટે ગોળી ખાનારી આ પાકિસ્તાની દીકરી રાતોરાત વિશ્વવિખ્યાત બની ગઈ.

મલાલાને યુએનની રાજદૂત બનાવવામાં આવી અને વર્ષ 2013માં તેના 16મા જન્મદિવસ નિમિત્તે યુએનમાં તેનું વક્તવ્ય ગોઠવાયું. યુએનમાં ‘ધ રાઇટ ઑફ એજ્યુકેશન ઑફ એવરી ચાઇલ્ડ’ વિષય પરના તેના ભાષણે સમગ્ર વિશ્વમાં ખાસ્સો પ્રભાવ ઊભો કર્યો હતો. વર્ષ 2014માં મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનું નોબેલ પારિતોષિત મળ્યું હતું. મલાલાએ સૌથી નાની વયે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર હાંસલ કર્યો. વર્ષ 2014માં તે ‘પર્સન ઑફ ધ યર’ બની અને ટાઇમના કવર પર ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિની યાદીમાં પણ મલાલાને ટૉપ ફાઇવમાં સ્થાન મળ્યું હતું. ઑગસ્ટ-2014માં તેનાં સંસ્મરણો અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ આવ્યું અને રાતોરાત બેસ્ટસેલર બની ગયું હતું. મલાલા પર એક ડઝનથી વધુ પુસ્તકો લખાઈ ચૂક્યાં છે.

મલાલા દૃઢપણે માને છે કે, ‘દુનિયામાં અનેક સમસ્યાઓ છે, પરંતુ મારા મતે આ તમામ સમસ્યાઓનો એક જ ઇલાજ છે, અને એ છે શિક્ષણ. તમારે તમામ કન્યાઓ અને કુમારોને ભણાવવા પડે. તમારે તેમને શીખવાની તક પૂરી પાડવી પડે.’ એટલું જ નહીં, મલાલા એક એવા દેશનું સપનું જુએ છે, જ્યાં શિક્ષણનું પ્રભુત્વ હોય. મલાલાનું બીજું એક જાણીતું વાક્ય છે, ‘એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક અને એક પેન દુનિયા બદલી શકે છે.’

આતંકવાદનો ભોગ બનેલી મલાલા એક સુંદર વાત કરે છે, ‘બંદૂકથી તમે આતંકવાદીઓને જ ઠાર કરી શકશો, પણ શિક્ષણ થકી તમે આતંકવાદને નાબૂદ કરી શકશો.’ મલાલા એક સુંદર વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’
મલાલાને આટઆટલી પ્રસિદ્ધિ મળવા છતાં તેણે પોતાના શિક્ષણ પરથી ધ્યાન હટાવ્યું નથી. મલાલા ધારે તો હવે તેણે એટલી પ્રસિદ્ધિ અને પૈસા કમાઈ લીધા છે કે તેણે ભણવાની કોઈ જરૂર નથી, છતાં તે ગંભીરતાથી ભણી રહી છે અને પોતાના પ્રભાવને વધારે પ્રભાવી બનાવી રહી છે.

મલાલા અધિકાર માટે અને અન્યાય સામે પ્રતિકારનું પણ પ્રતીક છે ત્યારે તેના એક વાક્ય સાથે જ લેખ પૂરો કરીએ, ‘જ્યારે આખું વિશ્વ મૌન પાળતું હોય ત્યારે એક અવાજ પણ શક્તિશાળી પુરવાર થાય છે.’

(‘દિવ્ય ભાસ્કર’ની 23મી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment