Wednesday, August 2, 2017

આફત અને રાજનેતાનો આપદધર્મ

દિવ્યેશ વ્યાસ


મોરબી હોનારત વખતે તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની યશસ્વી કામગીરી આજેય યાદ આવે છે




અનરાધાર વરસાદે અડધા ગુજરાતને પૂરગ્રસ્ત હાલતમાં મૂકી દીધું છે. પૂરને કારણે હજારો ગુજરાતીઓ માટે નીચે ધરતી અને ઉપર આકાશ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યારે કમનસીબે રાજ્યના રાજકારણીઓ અને ધારાસભ્યો રાજકીય કાવાદાવામાં ફસાયેલા છે. સત્તાલોલુપ રાજકારણીઓ કાવાદાવામાં એટલા ખૂંપેલા છે કે કાદવ-કીચડવામાં ફસાયેલી જનતાની પીડા તરફ તેમની જાણે નજર પણ જતી નથી. ગુજરાતે અગાઉ પૂર, દુષ્કાળ, વાવાઝોડાં કે ધરતીકંપ જેવી અનેક કુદરતી આફતો જોઈ છે, પરંતુ રાજનેતાઓનું આવું દુર્લક્ષ્ય ભાગ્યે જ જોવા મળ્યું છે. ગુજરાતનું જાહેરજીવન અગાઉ ક્યારેય આટલું અસંવેદનશીલ નહોતું.
આસમાની આફત સમયે સુલતાની કાવાદાવા જોઈને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની યાદ તીવ્ર બનવી સ્વાભાવિક છે. બાબુભાઈ એક એવા લોકનેતા હતા, જેમણે સત્તા પર હોય કે ન હોય, હંમેશાં લોકસેવામાં પોતાનો ધર્મ જોયો હતો અને એમાંય કુદરતી આફતોના સમયમાં તો તેમણે એવી કામગીરી કરી છે કે ઇતિહાસમાં તેનો જોટો જડવો મુશ્કેલ છે.

ગુજરાતે જ નહીં સમગ્ર દુનિયાએ જોયેલી ભયાનક જળહોનારતોમાંની એક એવી જળહોનારત મોરબીમાં સર્જાઈ હતી. વાત 11 ઑગસ્ટ, 1979ની છે. અનરાધાર વરસાદને કારણે મચ્છુ નદી પરનો ડેમ તૂટી ગયો હતો. ધસમસતા જળપ્રવાહે મોરબીમાં મહાવિનાશ વેર્યો હતો. આજથી લગભગ ચાળીસ દાયકા પહેલાં નહોતી આટલી ટેક્નોલોજી કે નહોતાં તોતિંગ સાધનો-સંસાધનો, પરંતુ એક વાત હતી, એ વખતના રાજનેતાઓ આફત સમયે પોતાનો આપદ્્ધર્મ સારી રીતે જાણતા હતા અને એ રાજનેતાઓમાં શિરમોર હતા મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ.

મોરબી હોનારત અંગે મૂળ ગુજરાતી એવા હાર્વર્ડના સંશોધક ઉત્પલ સાંડેસરા અને તેમના સાથી ટોમ વૂટને છ-છ વર્ષ સુધી સંશોધન કરીને 400 પાનાંનું એક અભ્યાપૂર્ણ પુસ્તક લખ્યું હતું - ‘નો વન હેડ અ ટંગ ટુ સ્પીક : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ વન ઑફ હિસ્ટ્રીઝ ડેડલિએસ્ટ ફ્લડ્સ’. વર્ષ 2011માં પ્રકાશિત આ પુસ્તકના બીજા પ્રકરણનું શીર્ષક છે - ‘ધ ગવર્નમેન્ટ ડિસાઇડ્સ, એન્ડ ધ ગવર્નમેન્ટ બિલ્ડ્સ’. પ્રકરણનું શીર્ષક જ જણાવે છે કે તત્કાલીન રાજ્ય સરકારે સારી કામગીરી નિભાવી હતી. આ સારી કામગીરીનું સૌથી વધારે શ્રેય મુખ્યમંત્રી બાબુભાઈને જ જાય છે, કારણ કે તેઓ આ હોનારતના સમાચાર સાંભળીને મોરબી દોડી આવ્યા અને મોરબીમાં રહીને મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ એક સેવક તરીકે કામગીરી કરી હતી. આ પુસ્તકમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. તત્કાલીન ખેતીવાડી વિભાગના સચિવ એચ.કે. ખાનને તાત્કાલિક ધોરણે વિશેષ રાહત સચિવ (સ્પેશિયલ સેક્રેટરી ફોર રિલીફ) બનાવી દેવાયા અને રાહત-પુનર્વસનની સંપૂર્ણ જવાબદારી સોંપી દેવામાં આવી હતી. ખાન તત્કાળ મોરબી પહોંચી ગયા. તેમણે સ્થિતિનો ક્યાસ કાઢીને સંપૂર્ણ સત્તાની માગણી કરી અને મુખ્યમંત્રીએ નાણાકીય સહિતની તમામ સત્તા તેમને સોંપી દીધી. રાહત છાવણીમાં બનાવેલી ઑફિસમાં રોજ સવારે મિટિંગ કરવામાં આવતી. બાબુભાઈ મિટિંગમાં નિયમિત હાજર રહેતા, પરંતુ કોઈ એમની સલાહ માગે ત્યારે તરત ખાનસાહેબ તરફ આંગળી ચીંધીને કહી દેતા કે હું અહીંનો ઇન્ચાર્જ નથી, હું પણ વોલન્ટિયર જ છું!

આમ, બાબુભાઈએ ખરા અર્થમાં એક મુખ્યમંત્રી નહીં, પરંતુ મુખ્ય સેવક તરીકે ફરજ બજાવીને પોતાનો રાજધર્મ નિભાવ્યો હતો. કહેવાય છે કે મુખ્યમંત્રીનું ઘર અને ઑફિસ મોરબીમાં જ રહેતાં મોરબીમાં જ મિનિ સચિવાલય ઊભું થઈ ગયું હતું અને સમગ્ર રાજ્યનો વહીવટ પૂરરાહતની કામગીરીની સાથે સાથે ત્યાંથી જ થતો હતો.

એ વખતે રાજ્યના વિરોધ પક્ષ (કૉંગ્રેસ)ના નેતા માધવસિંહ સોલંકી હતા. તેમણે મોરબી હોનારતની જવાબદારી નક્કી કરવા માટે ન્યાયિક તપાસની માગણી કરી હતી. સત્તા પક્ષ એટલે જનતા મોરચાના સભ્યોએ આનો વિરોધ કર્યો, પરંતુ મુખ્યમંત્રી બાબુભાઈએ તરત જ આ માગણી સ્વીકારી લીધી હતી. તેમણે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ન્યાયિક તપાસપંચના અધ્યક્ષનું નામ સૂચવવા વિનંતી કરી અને ન્યાયમૂર્તિ બી.કે. મહેતાના અધ્યક્ષપદે તપાસપંચ નિમાયું હતું. આમ, પ્રતિબદ્ધતા અને સેવાની સાથે સાથે તેમણે પારદર્શકતાને પણ ઊની આંચ આવવા દીધી નહોતી.

અહીં બાબુભાઈના રાજકીય જીવનનો બીજો રસપ્રદ કિસ્સો પણ નોંધી લેવાની લાલચ રોકી શકાય એમ નથી. પછી માધવસિંહ મુખ્યમંત્રી બનેલા અને બાબુભાઈ વિપક્ષમાં હતા. દરમિયાન ગુજરાતમાં દુષ્કાળ પડતાં માધવસિંહે અછત રાહતનું કામ અન્ય કોઈને નહીં પણ બાબુભાઈને સોંપ્યું હતું. આનો વિરોધ પણ થયેલો ત્યારે માધવસિંહે કહેલું, આવું કામ બાબુભાઈથી વધુ સારું કોણ કરી શકે?

વર્તમાન રાજનેતાઓ રાજધર્મ તો જવા દો આપદ્્ધર્મ પણ સમજશે? કે પછી જનતાએ જ ત્રીજું નેત્ર ખોલીને સમજાવવું પડશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 2જી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment