Wednesday, December 21, 2016

ટ્યૂનિશિયાના ક્રાંતિ+શાંતિકારી

દિવ્યેશ વ્યાસ


ટ્યૂનિશિયામાં ક્રાંતિ પછી શાંતિ અને સ્થિરતા લાવવા માટે રાશીદ ઘન્નુશીએ રાજકીય સ્તરે ગાંધીમાર્ગ અપનાવ્યો છે


(તસવીરો ગૂગલ પરથી મેળવેલી છે)

ડિસેમ્બર-2010માં ટ્યૂનિશિયામાં ક્રાંતિનો તણખો પ્રગટ્યો હતો અને ધીમે ધીમે આરબ વિશ્વમાં ક્રાંતિની જ્વાળાઓ પ્રજ્જ્વલિત થઈ હતી. એ જ્વાળાઓએ દાયકાઓથી એકહથ્થુ શાસન કરનારા સત્તાધીશોની રાજગાદીઓને આગ ચાંપી દીધી હતી અને તેમના રાજને ભસ્મીભૂત કરી દીધું હતું. અરબ વસંત તરીકે જાણીતી બનેલી એ ક્રાંતિની શરૂઆત ટ્યૂનિશિયાથી થઈ હતી, તેમ ક્રાંતિ પછી દેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવામાં પણ ટ્યૂનિશિયા અન્ય દેશો કરતાં અગ્રણી રહ્યું છે. ટ્યૂનિશિયાએ આજે પોતાનું બંધારણ રચી દીધું છે અને લોકશાહી સરકાર ચૂંટાઈને સારી રીતે શાસન ચલાવી રહી છે. ટ્યૂનિશિયામાં વહેલી શાંતિ અને રાજકીય સ્થિરતા સ્થપાવા પાછળ એક રાજનેતાની બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે, એ રાજનેતાનું નામ છે - રાશીદ ઘન્નુશી. રાશીદ ઘન્નુશીની રાજકીય સૂઝ, સમજદારી, સમતા, સહિષ્ણુતા, સમાદરની ભાવના તથા સર્વસમાવેશક અભિગમને કારણે ટ્યૂનિશિયા ઘણી આસાનીથી એક નવા રાષ્ટ્ર તરીકે ઉદયમાન થઈ શક્યું છે. રાશીદ ઘન્નુશીના રાજકીય અભિગમ અને વ્યવહારમાં ગાંધીમૂલ્યો ઝળક્યા કરે છે અને એટલે જ તેમને ટ્યૂનિશિયાના નેલ્શન મંડેલા પણ કહેવામાં આવે છે.

નોટબંધીના કકળાટને કારણે અનેક સારા સમાચારો આપણા ધ્યાન બહાર ગયા, એમાંના એક સમાચાર એ પણ હતા કે રાજકીય ક્ષેત્રમાં ગાંધીમાર્ગ અપનાવનારા રાશિદ ઘન્નુશીને ગયા નવેમ્બર મહિનામાં જ ભારત બહાર ગાંધીમૂલ્યોને પ્રોત્સાહન આપનારાઓને અપાતો પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો હતો.


રાશિદ ઘન્નુશીની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેઓ ઇસ્લામિક મૂલ્યોમાં જબરી શ્રદ્ધા ધરાવવાની સાથે સાથે એવો વિશ્વાસ પણ ધરાવે છે કે ઇસ્લામ અને લોકતાંત્રિક વ્યવસ્થા બહુ સારી રીતે એક સાથે ચાલી શકે છે. તેઓ ઇસ્લામના કટ્ટરતા કરતાં સર્વસમાવેશક પાસાંની વધારે હિમાયત કરે છે અને તેમના આ ઉદારવાદી દૃષ્ટિકોણનો લાભ સમગ્ર ટ્યૂનિશિયાને મળ્યો છે. ઘન્નુશીનો સુધારાવાદી એન્નાહદાહ પક્ષ ટ્યૂનિશિયામાં રાજકીય વર્ચસ્વ ધરાવે છે અને તેઓ ધારે તો આસાનીથી રાષ્ટ્રપ્રમુખ થઈ શકે એમ છે, પરંતુ તેમને સત્તા કરતાં દેશસેવામાં વધારે રસ છે. તેમણે જાહેર કરેલું છે કે તેમને રાષ્ટ્રપ્રમુખ સહિતના કોઈ રાજકીય પદમાં રસ નથી અને એટલે જ તેઓ દેશના રાષ્ટ્રપ્રમુખ કરતાં પણ વધારે લોકચાહના, સ્વીકાર્યતા અને સન્માન ધરાવે છે.

રાશિદ ઘન્નુશી વિદ્વાન છે અને ઇસ્લામના ઊંડા મર્મી છે. વળી, મુસ્લિમ બ્રધરહુડ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ અંગેનાં તેમનાં નિવેદનો જોઈને તમને તેઓ કટ્ટરવાદી નેતા પણ લાગી શકે, પરંતુ ટ્યૂનિશિયામાં તેમણે સેક્યુલર અભિગમ અપનાવ્યો છે અને સેક્યુલર પક્ષો, ડાબેરી પક્ષોને પણ સાથે લઈને ચાલી શક્યા છે. ટ્યૂનિશિયાના બંધારણમાં શરિયતની મોટા ભાગની બાબતોને આવરી લેવામાં આવી છે, છતાં પણ બંધારણને ઉદારમતવાદી અને સેક્યુલર બનાવી શકાયું છે. આવું કરવામાં કટ્ટરવાદી અગ્રણીઓનો ઉગ્ર વિરોધ પણ સહેવો પડી રહ્યો છે, છતાં ઘન્નુશી જેવા નેતૃત્વને કારણે સમતોલ અભિગમ લઈ શકાયો અને જાળવી શકાયો છે.

રાશિદ ઘન્નુશીની રાજનીતિનું સૌથી આકર્ષક પાસું રાજકારણમાં મહિલાઓની સહભાગિતા માટેની તેમની પ્રતિબદ્ધતા છે. તેમના પક્ષના ચૂંટાયેલા નેતાઓમાં મહિલાઓનું ઘણું ઊંચું પ્રમાણ છે. તેમની પહેલની સીધી અસર સમગ્ર રાષ્ટ્ર પર જોવા મળે છે. 2011ની ક્રાંતિ પછી દેશની બંધારણ સભાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મહિલા સભ્યો ચૂંટાઈને આવ્યાં હતાં. ઘન્નુશીના પક્ષ એન્નાહદાહની જ વાત કરીએ તો તેના 89 ચૂંટાયેલા સભ્યોમાંથી 42 મહિલા સભ્યો હતાં, જે પ્રમાણ ઘણું મોટું કહી શકાય. કોઈ મુસ્લિમબહુલ દેશમાં ટ્યૂનિશિયા આ બાબતે સૌથી અલગ તરી આવે છે. આ બાબત પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે.

આરબ ક્રાંતિ અગાઉનાં ઘણાં વર્ષો પહેલાંથી રાશિદ ઘન્નુશી દેશના રાજકારણમાં પરિવર્તન કરવા માટે સંઘર્ષરત હતા. દેશમાં એક પક્ષનું જ વર્ચસ્વ હતું ત્યારે એ રાજકીય માળખા સામે બળવો પોકારીને તેમણે બહુપક્ષીય લોકશાહીની હિમાયત કરી હતી. આ માટે તેમને ઘણાં વર્ષો જેલમાં પણ વિતાવવા પડ્યાં છે અને છેલ્લે તો તેમને દેશવટો જ આપી દેવામાં આવ્યો હતો.  ટ્યૂનિશિયામાં ક્રાંતિ થઈ અને બેન અલીના શાસનનો અંત આવ્યો પછી જ તેઓ સ્વદેશ પરત ફરી શક્યા હતા.

ક્રાંતિ પછી રાષ્ટ્રીય બંધારણ સભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ઘન્નુશીના એન્નાહદાહ પક્ષને બહુમતી પ્રાપ્ત થઈ હતી, છતાં ઘન્નુશીએ અન્ય પક્ષોને હંમેશાં પોતાની સાથે રાખ્યા અને નવા દેશના બંધારણમાં સૌનાં સૂચનો અને ભલામણોને આવકારીને સર્વસંમતિથી જ આગળ વધવાનો અભિગમ અપનાવ્યો હતો. વળી, તેમણે બેન અલીના શાસનમાં મોટા હોદ્દા ધરાવનારા લોકોને પણ આ પ્રક્રિયામાં સામેલ કર્યા હતા, આને કારણે પણ તેમને નેલ્સન મંડેલા સાથે સરખાવાય છે. બંધારણના ઘડતર પછી જ્યારે ચૂંટણી કરવાની વાત આવી ત્યારે નિષ્પક્ષ ચૂંટણીઓ થાય એ માટે તેમણે પોતાના પક્ષની સરકારને રાજીનામું અપાવીને તટસ્થ વહીવટીતંત્રની દેખરેખમાં ચૂંટણીઓ કરાવીને પણ લોકશાહી મૂલ્યો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુરવાર કરી હતી.

આજે જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બહુમતીવાદ વધી અને વકરી રહ્યો છે, ત્યારે ઘન્નુશીએ ટ્યૂનિશિયામાં બહુમતીવાદ ન વ્યાપે એની કાળજી લીધી છે. ઘન્નુશી જેવા સર્વસમાવેશક નેતા જ દેશને લાંબા ગાળાની સ્થિરતા અપાવી શકે. રાશિદ ઘન્નુશી જેવા નેતાઓની દરેક દેશને જરૂર હોય છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 21મી ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, December 14, 2016

રોહિંગ્યાનું ‘અરણ્ય’ રુદન

દિવ્યેશ વ્યાસ


ટ્રમ્પના જમાનામાં મ્યાનમારના લઘુમતી સમુદાય રોહિંગ્યા પર થઈ રહેલા સીતમની ભાગ્યે જ કોઈ નોંધ લે છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

કોઈ તમને પૂછે કે તમને યુદ્ધ ગમે કે શાંતિ? મોટાભાગના લોકોનો રોકડો જવાબ હશે - શાંતિ. આપણે શાંતિ ઇચ્છીએ છીએ, એની ના નહીં, પરંતુ આપણી ચર્ચા-વિચારણામાં તો યુદ્ધની જ બોલબાલા હોય છે. આ વાત સાચી લાગતી ન હોય તો જરા વિચાર કરજો કે તમે આતંકવાદ, સરહદ પરની તડાફડી બાબતે જેટલી ચર્ચા કે ચિંતા કરતા હશો, એટલી ચિંતા કે ચર્ચા શાંતિપૂર્ણ અને સુખચેનની જિંદગી માટે વલખાં મારતાં લોકો માટે કરો છો? શાંતિ અને ભાઈચારાની વાતો હવે જાણે આદર્શ બનીને રહી ગઈ છે ત્યારે દુનિયામાં આતંકવાદ જેટલી જ વિકરાળ સમસ્યા વિસ્થાપનની પેદા થઈ છે. લાખો લોકો ઘરબાર છોડી હિજરત કરવા લાચાર બન્યા છે, પણ આ અંગે બહુ ઓછા સમાચાર કે લેખો લખાય-છપાય છે.

આજના સમયમાં મુખ્ય ચાર કારણોથી લોકો વિસ્થાપન કરવા મજબૂર બને છે: એક, યુદ્ધ અને સરહદ પરની તંગદિલી. બીજું, આતંકવાદ, ત્રીજું, કોમી-વંશીય રમખાણો અને ચોથું, આર્થિક પ્રકલ્પો. વિવિધ કારણોથી થતાં વિસ્થાપનોમાં એક નોંધપાત્ર સામ્યતા એ છે કે ગરીબ, વંચિત, દલિત અને આદિવાસી સમુદાયો જ તેના સૌથી વધારે ભોગ બને છે. આ લોકો પહેલેથી હાંસિયામાં ધકેલાયેલા છે અને કદાચ એટલે જ મુખ્યધારાની ચિંતાઓમાં તેમનાં દુ:ખ-દર્દ ભાગ્યે જ પડઘાય છે. વિસ્થાપિતો માટે આપણા સમાજમાં પહેલેથી જ ઓછી સંવેદના જોવા મળે છે અને એટલે જ મુદ્દો કાશ્મીરી પંડિતોનો હોય, 2002ના કે મુઝ્ઝફરનગરના રમખાણગ્રસ્તોનો હોય કે બાંગ્લાદેશના શરણાર્થીઓનો હોય કે પછી ઇરાક-સીરિયાના હિજરતીઓનો હોય... યાદી લાંબી થઈ શકે, પણ મુખ્ય મુદ્દો એ છે કે આ વિસ્થાપિતોના પુન:સ્થાપન માટે, તેમની જિંદગીનાં બરબાદ થયેલાં નહીં તોય બાકી બચેલાં વર્ષોમાં ખુશહાલી લાવવા માટે, તેમનાં સંતાનોના શિક્ષણ અને વિકાસ માટે આપણો સમાજ કે સરકાર બહુ દરકાર લેતો નથી. માનવ અધિકારવાળાઓ ‘બખાળો’ કરે કે પછી ચૂંટણીમાં લાભ લેવા માટે થોડુંઘણું વળતર જાહેર કરી દેવાય છે, પણ લાંબા ગાળાની ન્યાયી અને નક્કર યોજનાઓ તૈયાર કરીને તેનો ચુસ્ત અમલ ભાગ્યે જ થતો જોવા મળ્યો છે. લેખમાં આગળ જોઈ એ વિસ્થાપિત સમુદાયની યાદીમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વધુ એક સમુદાયનું નામ જોડાયું છે - મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો.

આપણે એવી સૂફિયાણી વાતો સાંભળેલી છે કે દુનિયાએ યુદ્ધ કે બુદ્ધમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે, વાત બિલકુલ સાચી છે, પરંતુ એક વરવી વાસ્તવિકતા એ છે કે બુદ્ધને પૂજતા લોકોની બહુમતી ધરાવતા મ્યાનમારમાં જ લઘુમતી સમુદાય રોહિંગ્યા સાથે એવા અન્યાય અને અત્યાચાર થાય છે કે સંયુક્ત રાષ્ટ્રના મતે રોહિંગ્યા સૌથી વધારે પીડિત-પ્રતાડિત વિસ્થાપિત સમુદાય બની ગયો છે. વિશ્વના દર 7 વિસ્થાપિતોમાંથી એક વિસ્થાપિત રોહિંગ્યા સમુદાયનો હોય છે.

મ્યાનમારમાં રખાઇન વિસ્તારમાં વસતા રોહિંગ્યા સમુદાયની હિજરત 1970ના દાયકાથી જારી છે, પરંતુ વર્ષ 2012માં કોમી રમખાણો પછી લોકો મોટી સંખ્યામાં મ્યાનમાર છોડવા મજબૂર બન્યા છે. હમણાં ઑક્ટોબરમાં મૌંગડોવ સરહદે 9 સુરક્ષા કર્મચારીઓની હત્યા થઈ હતી. રોહિંગ્યા સમુદાયના લોકોએ જ હત્યા કરી હોવાનો આરોપ લગાવીને લશ્કરે મોટા પાયે ઑપરેશન શરૂ કર્યું છે, જેમાં કહેવાય છે કે રોહિંગ્યા સમુદાયના 100થી વધારે લોકોની કત્લેઆમ કરી દેવાઈ છે. નરસંહાર ઉપરાંત રોહિગ્યા સ્ત્રીઓ પર સામૂહિક બળાત્કાર સહિતના અમાનુષી અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. સેટેલાઇટ તસવીરો થકી જાણવા મળ્યું છે કે છેલ્લાં 6 સપ્તાહમાં રોહિંગ્યાનાં 1200 જેટલાં ઘરોને નષ્ટ કરી દેવાયાં છે. હજારો રોહિંગ્યા પોતાના દેશમાં જ વિસ્થાપિત બની ગયા છે.

ઐતિહાસિક કારણો અને ધાર્મિક કટ્ટરતાને કારણે મ્યાનમારના બહુમતી બૌદ્ધ લોકો લઘુમતી રોહિંગ્યાઓને ધિક્કારે છે, તેમને વિદેશથી અહીં આવી વસેલા જ ગણે છે. સદીઓથી વસતા આ સમુદાયના લોકોને આજે પણ વિદેશી જ ગણવામાં આવે છે. હદ તો એ છે કે મ્યાનમારમાં સૈન્ય સરકારના કાર્યકાળમાં ઈ.સ. 1982માં રોહિંગ્યાઓનું નાગરિકત્વ જ છીનવી લેવાયું હતું અને ત્યાર પછી તેમના જમીન-મકાનની માલિકી જેવા અધિકારો પણ છીનવી લેવાયા હતા. રોહિંગ્યા સમુદાય પર છાશવારે સાચા ખોટા આળ મૂકીને તેમને એ હદે રંજાડવામાં આવી રહ્યા છે કે તેઓ દેશ છોડીને ચાલ્યા જાય. મ્યાનમારના અધિકારીઓ આંતરરાષ્ટ્રીય મંચ પર એવાં નિવેદનો કરે છે કે રોહિંગ્યાની સમસ્યાનો એક જ ઇલાજ છે કે તેઓ મ્યાનમાર છોડીને ચાલી જાય! આજે લાખો રોહિંગ્યાઓએ બાંગ્લાદેશ, મલેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને ભારત જેવા દેશોમાં શરણ લીધું છે. આજે કોઈ દેશ આટલા બધા લોકોને શરણ આપવા સક્ષમ ન હોય, એ સમજાય એવી વાત છે.

દુનિયાના લોકશાહી દેશોમાં પણ બહુમતીવાદ માઝા મૂકી રહ્યો છે, ભારતમાં જમણેરી વિચારધારાનું સત્તારોહણ અને યુરોપમાં બ્રેક્ઝિટ પછી આનું તાજું અને તોરીલું ઉદાહરણ અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પના વિજયથી મળ્યું છે. લઘુમતી સમુદાય અને એ પણ જો અન્ય ધર્મનો હોય તો તેની સમસ્યાઓ કે તેમના પરના સિતમો પર દુર્લક્ષ્ય સેવવું જાણે સામાન્ય થતું જાય છે, જેનું સૌથી વરવું ઉદાહરણ મ્યાનમારે પૂરું પાડ્યું છે. આજના માહોલમાં રોહિંગ્યા સમુદાયના લોકોનો વિલાપ અરણ્ય રુદન સાબિત થઈ રહ્યો છે.
મ્યાનમારમાં તાજેતરનાં વર્ષોમાં જ અઢી દાયકા પછી ચૂંટાયેલી સરકાર સત્તામાં આવી છે. શાંતિનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને ગાંધીથી પ્રભાવિત મનાતાં આંગ સાન સૂ કીનો પક્ષ જ સત્તા પર છે, છતાં એક લઘુમતી સમુદાયે આ હદે સહન કરવું પડે છે, એ આઘાતજનક છે.

સૂ કી વ્યક્તિગત રીતે રોહિંગ્યા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય તોપણ તેમની મુશ્કેલી એ છે કે દેશની સુરક્ષા અને સરહદી સમસ્યાનો હવાલો આજે પણ સૈન્યના હાથમાં છે. સૈન્યને બહુમતી જનતાનું પીઠબળ મળેલું છે ત્યારે સૂ કી પણ કંઈ ખાસ કરી શકવા સક્ષમ હોય એવું લાગતું નથી. જોકે, સંયુક્ત રાષ્ટ્રે સૂ કીને રખાઇન વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિને થાળે પાડવા માટે સલાહ આપી છે. સૂ કી બહુમતીવાદમાં તણાઈને પાક્કા રાજકારણી પુરવાર થશે કે સત્તામોહને ત્યાગીને લઘુમતી સમુદાયના માનવ અધિકારોનું રક્ષણ કરીને મહાન નેતા પુરવાર થશે, એ તો સમય જ જણાવશે.

(‘દિવ્ય ભાસ્કર’ની 14મી ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, December 7, 2016

લાઓ ત્સેનું લિબર્ટેરિયનિઝમ

દિવ્યેશ વ્યાસ


દુનિયાના સૌપ્રથમ લિબર્ટેરિયન (મુક્તિવાદી) ગણાતા લાઓ ત્સેની નેતા અને શાસન અંગેની વાતો મનનીય છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

‘છેલ્લી પાંચ મિનિટ્સમાં આરબીઆઈનો કોઈ નવો નિયમ તો નથી આવી ગયોને? હું જરા વૉશરૂમમાં ગયેલો.’ નોટબંધી અને પછી નિતનવા નિયમો અને રોજેરોજ બદલાતા નિર્ણયોને લીધે સોશિયલ મીડિયા પર આ પ્રકારના મજાકિયા સંદેશાઓની હવે નવાઈ રહી નથી. નોટબંધીને કારણે સર્જાયેલી મુશ્કેલીઓ હળવી થતી નથી ત્યારે સરકાર હવે કેશલેસ ઇકોનોમીની ‘કેક’ને આગળ ધરી રહી છે. કંઈક સારું થશે એવી આશામાં સામાન્ય લોકો કડક ચા પણ લિજ્જતથી પી રહ્યા છે, તો બીજી તરફ ટેકસાવી યુવાનો સોશિયલ મીડિયા પર રમૂજો કરી કરીને તંગદિલી હળવી કરવા મથી રહ્યા છે. કાળું નાણું અને ભ્રષ્ટાચાર દેશને ઊધઈની જેમ કોરી રહ્યાં છે. આ સમસ્યાઓની નાબૂદી માટે કડક હાથે કામ લેવું જરૂરી છે, પરંતુ કડક હાથનો ફટકો કરોડો નિર્દોષ નાગરિકોને તો ન વાગવો જોઈએને! શાસકોની નીતિ-રીતિ એવી હોવી જોઈએ કે લોકોની વ્યક્તિગત સ્વતંત્રતા (અહીં નાણાકીય સ્વતંત્રતા) જાણે બાનમાં લઈ લેવાઈ હોય, એવો માહોલ પેદા ન થાય.

શાસકોનો મિજાજ અને દેશનો માહોલ જોતાં ચીનના વિખ્યાત ફિલોસોફર અને ધર્મગુરુ લાઓ ત્સેનું સ્મરણ તાજું થઈ આવ્યું. લાઓ ત્સે આમ તો તાઓવાદ (કે ધર્મ)ના પ્રણેતા ગણાય છે, પરંતુ શાસન અને નેતૃત્વ અંગેના તેમના વિચારોને જોઈને મુક્તિવાદીઓ (લિબર્ટેરિયન્સ) તેમને પ્રાચીન મુક્તવાદી તરીકે જ મૂલવે છે. જમણેરી-મુક્તિવાદી અર્થશાસ્ત્રી મૂરે રોથબાર્ડના મતે તો લાઓ ત્સે દુનિયાના સૌ પ્રથમ લિબર્ટેરિયન્સ હતા.

લિબર્ટેરિયનિઝમનો અર્થ ગુજરાતીમાં મુક્તિવાદ, ઉદારવાદ કે સ્વેચ્છાચારવાદ પણ કરવામાં આવે છે. આ વાદ એવી વ્યવસ્થાની હિમાયત કરે છે, જેમાં દરેક પોતાની રીતે મુક્ત હોય અને નાગરિકો પર ઓછામાં ઓછાં બંધનો હોય. લોકશાહી સહિતની કોઈ પણ રાજ્યવ્યવસ્થામાં કાયદાનાં બંધનો જરૂરી છે, પરંતુ કાયદા એવા હોવા જોઈએ કે રોજિંદી જિંદગીમાં માનવીને તે બંધનરૂપ ન લાગે. વ્યવસ્થાના નામે જ્યારે બંધનોની એક પછી એક બેડીઓ વધતી જાય ત્યારે માનવી સ્વાભાવિક રીતે જ બળવાખોર બની જાય. લાઓ ત્સે માનવીના પૂર્ણ વિકાસ માટે તેની મુક્તતાના હિમાયતી હતા. આપણે ત્યાં વિનોબા ભાવેનું એક વાક્ય જાણીતું છે, ઓછામાં ઓછું શાસન કરે, એ સૌથી સારું શાસન. રોજિંદા જીવનમાં શાસનની દખલ શરૂ થઈ જાય ત્યારે એ લોકશાહી વ્યવસ્થા માટે લાલ બત્તી સમાન સંકેતો ગણાય. માણસ માટે વ્યવસ્થા છે, વ્યવસ્થા માટે માણસને સહન કરવું પડે, ભોગ આપવો પડે, એ સ્થિતિ આવકાર્ય ન હોઈ શકે. શાસકોએ એવી સ્થિતિને નિવારવી જ રહી.

‘હજારો માઇલ લાંબી સફર એક ડગલાથી જ શરૂ થતી હોય છે.’ જેવાં અનેક અણમોલ સુવાક્યો આપનારા લાઓ ત્સેના નેતાઓ માટેના માપદંડ અને માર્મિક શિખામણો પર નજર નાખવા જેવી છે. લાઓ ત્સેનું એક સુખ્યાત સુવાક્ય છે, ‘શ્રેષ્ઠ નેતા એ ગણાય, જેની ઉપસ્થિતિ ભાગ્યે જ વર્તાતી હોય. શ્રેષ્ઠ નેતા કોઈ કામને એવી રીતે નિપટાવતા હોય છે કે લોકોને તો એમ જ લાગે કે આ કામ તો તેમણે પોતાની મેળે જ કર્યું છે.’ લાઓ ત્સેએ શાસકોને બહુ માર્મિક સલાહ આપેલી, ‘મહાન રાષ્ટ્રનું શાસન ચલાવવું એ નાની માછલી રાંધવા જેવું છે, વધારે પડતો હસ્તક્ષેપ કરશો તો બધું બગડશે.’ લાઓ ત્સેએ કહેલું કે ‘લોકોનું નેતૃત્વ કરવું હોય તો તેમની પાછળ ચાલો.’ બીજી એક સલાહ એવી પણ આપેલી કે, ‘નેતા બનો, પણ ક્યારેય અધિપતિ (માલિક) ન બનો.’

નેતાઓ ઉપરાંત સામાન્ય લોકોને પણ જીવનમાં ઉતારવા જેવી વાતો લાઓ ત્સે તરફથી મળી છે. લાઓ ત્સે કહેતા, ‘જે વ્યક્તિ અન્ય પર બહુ વિશ્વાસ મૂકતી ન હોય, તેના પર કદી વિશ્વાસ ન કરવો.’ મતાગ્રહના સંદર્ભે પણ લાઓ ત્સેનો વિચાર હતો કે ‘જે વ્યક્તિ પોતાની જ વાત પર બહુ ભાર મૂકતી હોય, તેને બહુ ઓછા લોકોનું સમર્થન મળતું હોય છે.’ આતંકવાદના માહોલમાં હિંસાને પણ ન્યાયિક ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ લાઓ ત્સેના મતે ‘હિંસા, સારા ઉદ્દેશથી કરાયેલી હિંસા પણ પોતાના તરફ જ પાછી વળતી હોય છે.’ લાઓ ત્સે હંમેશાં કહેતા, ‘મારી પાસે શીખવવા માટે ત્રણ જ બાબત છે -સાદગી, ધીરજ અને દયા. આ ત્રણેય તમારો સૌથી મોટો ખજાનો છે.’

લેખનો અંત પણ લાઓ ત્સેના માર્મિક વિધાનથી જ કરીએ, ‘એક ચાલતી કીડી ઊંઘી રહેલા બળદ કરતાં વધારે કામ કરતી હોય છે.’ ઊંઘ છોડો!

(‘દિવ્ય ભાસ્કર’ની 7 ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Thursday, December 1, 2016

રોઝા પાર્ક્સને યાદ કરવાનો તકાજો

દિવ્યેશ વ્યાસ


ડોનલ્ડ ટ્રમ્પના વિજય પછી અમેરિકામાં લઘુમતી, અશ્વેત અને વિદેશથી વસેલા લોકોની સ્થિતિ તંગ બનવાના એંધાણ વચ્ચે રોઝા પાર્ક્સનો વારસો વધુ પ્રસ્તુત બન્યો છે


(તસવીરનો સ્રોત : http://pedrawofficial.deviantart.com/art/Rosa-Parks-399050865)

વીતેલા સપ્તાહમાં અમેરિકાનાં એક ડઝનથી વધારે મુખ્ય શહેરોનો માહોલ ઉગ્ર બન્યો હતો. એમાં ય, ફર્ગ્યુસન ઉપરાંત ઓકલેન્ડ, કેલિફોર્નિયા વગેરે જગ્યાએ રમખાણો ફાટી નીકળ્યાંહતાં. આ રમખાણો પાછળનું કારણ હતું, ફર્ગ્યુસનના ૧૮ વર્ષીય અશ્વેત તરુણ માઇકલ બ્રાઉનનું કમોત. ૯ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ એક પોલીસે માઇકલ પર માત્ર શંકાના આધારે ધડાધડ બાર ગોળીઓ છોડીને તેને ઠાર માર્યો હતો અને એ કેસમાં કોર્ટે પોલીસ અધિકારીને નિર્દોષ છોડી મૂકતાં ફર્ગ્યુસનના લોકો અકળાયા હતા અને આક્રોશની આગ સમગ્ર અમેરિકામાં ફેલાઈ ગઈ. અમેરિકાએ આજે ભલે એક અશ્વેતને રાષ્ટ્રપ્રમુખ બનાવ્યા છે, છતાં વંશીય ભેદભાવમાંથી અમેરિકા સાવ બહાર આવી ગયું નથી, તેનો આ તાજો પુરાવો છે. જો કે, આજે એક સકારાત્મક વાત કરવી છે અને એ પણ એક ઐતિહાસિક સંઘર્ષની. કાલે એટલે કે (2014ની) પહેલી ડિસેમ્બરે એ ઘટનાને ૬૦મું વર્ષ બેસશે.

આ ઘટના છે, અલબામાના મોન્ટગોમરી શહેરની. ૧ ડિસેમ્બર, ૧૯૫૫ની સાંજે શહેરના લોકો નોકરી-ધંધા પરથી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. એક સિટી બસમાં ૪૨-૪૩ વર્ષનાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં દરજીકામ કરતાં એક અશ્વેત બહેન ચડયાં અને ગોરાઓ માટે આરક્ષિત રાખેલી સીટ ખાલી હોવાથી બેસી ગયાં. આગળ જતાં ગોરા મુસાફરો બસમાં ચડયા પણ જગ્યા નહોતી. બસના ડ્રાઇવરે ગોરાઓ માટે આરક્ષિત રાખેલી બેઠકોમાં બેસી ગયેલા અશ્વેત લોકોને તિરસ્કારપૂર્વક સીટ ખાલી કરીને બસની પાછળની તરફ ચાલ્યા જવાનું કહ્યું. અન્ય અશ્વેત મુસાફરો ઊભા થઈને બસની પાછળ ગયા પણ પેલા બહેન ઊભાં ન થયાં, એ જોઈને ડ્રાઇવર અકળાયો અને બસ ઊભી રાખીને બહેનને ધમકાવવા લાગ્યો. જો કે, પેલા બહેને તો નમ્રતાપૂર્વક કહી દીધું કે હું સીટ પરથી ઊભી નહીં થાઉં ! ધૂંઆપૂંઆ થયેલો ડ્રાઇવર બસમાંથી ઊતરીને પોલીસવાળાને લઈ આવ્યો, જેમણે પેલાં બહેનને પકડીને જેલમાં લઈ ગયાં.

બહેનને થોડા કલાકોમાં જામીન તો મળી ગયા, પણ પાંચમી ડિસેમ્બરે તેમના પર કેસ શરૂ થવાનો હતો. આ ઘટનાએ શહેરના અશ્વેત લોકોને ભેદભાવયુક્ત વ્યવસ્થા અને કાયદા સામે સંઘર્ષ કરવા સાબદા કર્યા. પાંચમી ડિસેમ્બરે એક તરફ પેલાં માનુની પર કેસ ચાલ્યો અને બીજી તરફ સિટી બસના બહિષ્કાર સાથે શરૂ થયું નાગરિક અધિકાર આંદોલન. કોર્ટે જિમ ક્રો લો નામના અશ્વેત લોકો સાથે ભેદભાવ કરતા કાયદા અંતર્ગત સજા અને દંડ ફટકાર્યો, પણ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. એક તરફ સુપ્રીમમાં કોર્ટ ચાલ્યો અને બીજી તરફ બસનો બહિષ્કાર, જેનું નેતૃત્વ ગાંધીજીના અહિંસક વિચારોમાં માનનારા માર્ટિન લ્યુથર કિંગને સોંપવામાં આવ્યું હતું. મોન્ટગોમરીમાં વસતાં ૧૭,૦૦૦ આફ્રિકન-અમેરિકન લોકોએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ લગભગ એક વર્ષ સુધી બસનો બહિષ્કાર ચાલું રાખ્યો.

આખરે સુપ્રીમ કોર્ટે ભેદભાવયુક્ત કાયદો ગેરબંધારણીય હોવાનો ચુકાદો આપ્યો અને અશ્વેત લોકો સાથેની ભેદભાવપૂર્વ વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી. ભેદભાવમુક્ત સિટી બસમાં સૌથી પહેલાં પેલા બહેનને બેસાડવામાં આવ્યાં, જેમણે અન્યાય સામે નમ્ર છતાં મક્કમપણે વ્યક્તિગત જંગ છેડી હતી. એ ગૌરવવંતા-ગૌરવદાતા મહિલાનું નામ છે - રોઝા પાર્ક્સ, જેમને અમેરિકામાં 'મધર ઓફ ધ સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ' તરીકે આજે પણ સન્માનવામાં આવે છે અને યુએસ કેપિટલના સ્ટેચ્યુટરી હોલમાં તેમની પૂર્ણકદની પ્રતીમા ઊભી કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં નાગરિક આંદોલન ક્ષેત્રે રોઝા પાર્ક્સ એક પ્રભાવી અને પ્રેરણાદાયી નામ છે, જેમને નેલ્સન મંડેલા પણ પોતાના 'હીરો' ગણતા હતા.

રોઝા પાર્ક્સના એક નાનકડા અને સહજ પગલાંએ અશ્વેત લોકોને થતાં અન્યાય વિરુદ્ધના સંઘર્ષને ચિનગારી પૂરી પાડી હતી, જે માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં ઐતિહાસિક અહિંસક આંદોલન બન્યું હતું. બસ બહિષ્કાર સમયે કિંગના ઘર પર બોમ્બ ફેંકાયો હતો અને છતાં કિંગે અશ્વેત લોકોને હિંસાનો સામનો અહિંસાથી કરવા સમજાવ્યા હતા. આજે ફરી અમેરિકામાં અશ્વેત લોકો અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે રોઝા પાર્ક્સ અને માર્ટિન લ્યુથર કિંગના સંઘર્ષ અને સંદેશને યાદ કરી લેવાનો તકાજો ઊભો થયો છે.

(‘સંદેશ’ની 30મી નવેમ્બર, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, November 30, 2016

નાલંદા ઇતિહાસમાં જ રહેશે?

દિવ્યેશ વ્યાસ

 

 નાલંદા વિદ્યાપીઠ ફરી વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવા સંજોગો દિવસે દિવસે નબળા પડતા જાય છે

(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

ભારતની નવી પેઢી દેશને દુનિયાની મહાસત્તા તરીકે જોવા માગે છે. જોકે, ભારતવર્ષનું સદીઓ જૂનું સપનું દેશને વિશ્વગુરુ તરીકે સ્થાપિત કરવાનું રહ્યું છે. એક જમાનો હતો જ્યારે અખંડ ભારતમાં નાલંદા અને તક્ષશિલા જેવાં વિદ્યાધામો ધમધમતાં હતાં. એક સમયે બનારસ વિદ્યાભ્યાસી યુવકોના મંત્રોચ્ચારથી ગુંજતું રહેતું હતું. જ્ઞાન અને વિદ્યાને સૌથી મૂલ્યવાન અને પવિત્ર ગણતી આપણી સંસ્કૃતિમાં બાહ્ય (વિદેશી-વિધર્મી શાસકો) અને આંતરિક (જાતિ-જ્ઞાતિવાદ વગેરે) પરિબળોના પાપે આપણી શિક્ષણ વ્યવસ્થાનું સતત અધ:પતન થતું ગયું.

આજે તક્ષશિલા વિદ્યાપીઠ પાકિસ્તાનમાં સ્મારક બનીને ધૂળ ખાય છે, બનારસ વિદ્યાધામને બદલે યાત્રાધામમાં ફેરવાઈ ગયું છે, પરંતુ નાલંદાનું નસીબ થોડું વધારે બળૂકું નીકળ્યું. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામને નાલંદાનું નવસર્જન કરવાનું સૂઝ્યું! નાલંદાની જ્ઞાનોજહાલી પાછી લાવવાના પ્રયાસમાં એશિયાના અન્ય દેશોએ પણ રસ દાખવ્યો. વર્ષ 2006માં ભારત ઉપરાંત ચીન, જાપાન, સિંગાપોર, થાઇલેન્ડ સહિત બાર દેશોએ નાલંદાના નવસર્જન માટે એક કરાર કર્યો, એટલું જ નહીં અમુક દેશોએ આર્થિક સહયોગ પણ પૂરો પાડ્યો. ભારત અને બિહાર સરકારની પ્રતિબદ્ધતા અને અમર્ત્ય સેન જેવાના પ્રબુદ્ધ નેતૃત્વને પરિણામે વર્ષ 2014માં આશરે 800 વર્ષ કરતાં લાંબા અંતરાલ પછી નાલંદામાં શિક્ષણ કાર્યનો પુન: પ્રારંભ થયો. એક સપનું સાકાર થતું હોય એવો ભાસ થયો. જોકે, માત્ર બે વર્ષના ગાળામાં રાજકીય-શાસકીય પરિબળોનો એવો ઉપાડો શરૂ થયો છે કે હવે નાલંદા વિદ્યાપીઠ ફરી વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવા સંજોગો દિવસે દિવસે નબળા પડતા જાય છે.

અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકથી સન્માનિત એવા ‘ભારત રત્ન’ અમર્ત્ય સેનને નાલંદા યુનિવર્સિટીના પહેલા કુલપતિ (ચાન્સેલર) બનાવાયા હતા. જોકે, વર્તમાન શાસકો સાથે સૈદ્ધાંતિક મતભેદોને પગલે તેમને આ પદ પર વધુ ટકી રહેવાનું મુનાસિબ ન લાગ્યું, છતાં નાલંદાની ગવર્નિંગ બોડી તથા નાલંદા મેન્ટર ગ્રૂપના સભ્ય તરીકે કાર્યરત હતા. જોકે, કેન્દ્ર સરકારે તાજેતરમાં નાલંદા યુનિવર્સિટીની નવી ગવર્નિંગ બોડીની રચના કરી અને અપેક્ષિત રીતે જ અમર્ત્ય સેનની તેમાંથી બાદબાકી કરી દેવામાં આવી. સરકારના આવા વલણ અને નિર્ણય સામે વિરોધ જતાવીને નાલંદા યુનિવર્સિટીના કુલપતિ જ્યોર્જ યોએ રાજીનામું ધરી દીધું છે. આ ઘટનાક્રમ અફસોસજનક છે. જ્યોર્જ યોએ પોતાની નારાજગી માટેનું સ્પષ્ટ કારણ દર્શાવ્યું છે કે યુનિવર્સિટીની સ્વાયત્તતા જોખમમાં છે અને આવી બાબતો શિક્ષણ સંસ્થાના વિકાસને અવરોધે છે.

આપણે ત્યાં આજકાલ સ્વાયત્તતા જાણે કે સરકાર સામે બળવો કરવાનું લાઇસન્સ હોય, એ દૃષ્ટિએ તેને જોવામાં આવે છે. સંતાન હોય કે સંસ્થા, તેના વ્યક્તિત્વની પૂર્ણ ખીલવણી કે સંપૂર્ણ વિકાસ માટે તેને સ્વતંત્રતા-સ્વાયત્તતા આપ્યા વિના ચાલે નહીં, પણ કમનસીબે અસણસમજુ પિતા કે અસલામત સત્તાધીશને આ વાત ગળે ઉતારવી મુશ્કેલ છે.

નાલંદા મહાવિહારને હજુ ગત જુલાઈ-2016માં જ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. નાલંદાની જ્ઞાનોજહાલી ઇતિહાસવસ્તુ નહિ, પણ વર્તમાન વાસ્તવિકતા બનાવવાનું સપનું સેવાયું હતું, પરંતુ હાલના સંજોગોમાં સવાલ જાગે છે કે નાલંદા શું ઇતિહાસ જ બની રહેશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી નવેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - બિનસંપાદિત)

Wednesday, November 23, 2016

ટુંપાતા શ્વાસ, ધૂંધળી આશ

દિવ્યેશ વ્યાસ


વિશ્વભરમાં વાયુ પ્રદૂષણને કારણે થતાં મોતમાં ભારત ટોચના ક્રમાંકે પહોંચી ચૂક્યું છે. ક્યારે જાગીશું?

(તસવીર ગૂગલ પર શોધીને મેળવી છે)

વિશ્વવિખ્યાત ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હૉકિંગ્સે તાજેતરમાં એક ગંભીર આગાહી કરી છે. સ્ટીફન હૉકિંગ્સનું કહેવું છે કે છેલ્લાં પચાસ વર્ષમાં બ્રહ્માંડની તસવીર ઘણી બધી બદલાઈ ગઈ છે. મને નથી લાગતું કે બીજા રહેવાલાયક ગ્રહને શોધ્યા વિના ધરતી પર હવે એક હજાર વર્ષ કરતાં વધારે સમય જીવિત રહી શકાશે! એટલે કે પૃથ્વીની આપણે એવી હાલત કરી મૂકી છે કે ધરતી પર હવે માનવી માંડ એકાદ હજાર વર્ષ ટકી શકશે. આ સ્થિતિ જોતાં આપણી પાસે બે જ માર્ગ છે - એક, પૃથ્વી-કુદરત-પર્યાવરણની જાળવણી માટે સમયસર સભાન તેમજ સક્રિય બનવું અને કાં પછી માનવી માટે રહેવાલાયક બીજા ગ્રહની શોધ આદરવી. હૉકિંગ્સસાહેબના જણાવ્યા મુજબ મંગળ ગ્રહ પર માનવીને રહેવાલાયક વસાહત ઊભી કરવાનું કામ આગામી 100 વર્ષમાં પણ શક્ય બનવાનું લાગતું નથી એટલે આ મામલે વધારે ગંભીર બનવું જ રહ્યું!

માની લઈએ કે મંગળ ગ્રહ પર આગામી 100-150 વર્ષોમાં માનવવસાહત ઊભી કરી દેવામાં આવે તો પણ મંગળ સુધી પહોંચવાની તાકાત દુનિયામાંથી માંડ 100-150 લોકો જ ધરાવતા હશે! આમ, સો વાતની એક વાત પૃથ્વી, આપણા પર્યાવરણની કાળજી લીધા વિના આપણા અસ્તિત્વની આશા બહુ ધૂંધળી ભાસે છે. ગયા સપ્તાહે ગ્રીનપીસ નામની પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેના આંકડા ભારત માટે આઘાતજનક છે. ગ્રીનપીસના અધ્યયન અનુસાર વર્ષ 2015માં ઝેરી-પ્રદૂષિત હવાને કારણે મરનારાઓમાંથી સૌથી વધારે ભારતીય હતા. વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં રોજના 3283 લોકોનાં મોત થાય છે. વાયુ પ્રદૂષણને કારણે થતાં મોતની બાબતમાં ભારત હવે ટોચના ક્રમાંકે આવી ગયું છે. ભારત પછી ચીનનો ક્રમ આવે છે. ચીનમાં વાયુ પ્રદૂષણને કારણે દરરોજ 3233 લોકો મોતને ભેટે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વાયુ પ્રદૂષણથી મરનારાઓની બાબતમાં ચીન જ નંબર વન રહેતું હતું, પરંતુ વર્ષ 2015માં ભારતમાં મૃત્યુઆંક વધ્યો અને હવે ચીન કરતાં પણ વધારે લોકો આપણે ત્યાં મરવા લાગ્યા છે, એ ખરેખર ચિંતાજનક બાબત છે.

ઓર્ગેનાઇઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના અધ્યયન પ્રમાણે વાયુ પ્રદૂષણને કારણે વિશ્વમાં આશરે 2.6 ટ્રિલિયન ડૉલરનું (આશરે 169 લાખ કરોડ રૂપિયા) નુકસાન થાય છે. આ જ સંસ્થાના અંદાજ પ્રમાણે વાયુ પ્રદૂષણની સ્થિતિ નહીં સુધરે તો 2060 સુધીમાં 60થી 90 લાખ લોકો દર વર્ષે મોતના મુખમાં ધકેલાશે. થોડાં વર્ષો પહેલાં અમદાવાદમાં હોર્ડિંગ્સ લાગ્યાં હતાં - ‘અમદાવાદીઓ મરશો, પ્રદૂષણ મારશે’ એ સાવ સાચું ઠરી રહ્યું છે. આપણી આજુબાજુ વાઇરલ ઇન્ફેક્શનથી માંડીને કેન્સરના જે કોઈ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, તેના મૂળમાં પ્રદૂષણ રહેલું છે, એ શું આપણને નથી સમજાતું?

બળાત્કારના મામલે કુખ્યાત એવું દિલ્હી ગયા વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર જાહેર થયું હતું. દિલ્હી ઉપરાંત આપણાં અન્ય મોટાં શહેરોમાં પણ પ્રદૂષણ, એમાંય વાયુ પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક હદે કફોડી છે. પર્યાવરણ અને પ્રદૂષણના મુદ્દા હજુ પણ પર્યાવરણ સંબંધિત સેમિનારો ઉપરાંત ભાગ્યે જ ક્યાંક ચર્ચાય છે. દિલ્હીમાં તાજેતરમાં વ્યાપેલા વાયુ પ્રદૂષણની તસવીરો-વિડિયો જોઈને પણ હજુ આપણાં સરકારી તંત્રો તો ઠીક પણ કમનસીબે ખુદ આપણી પણ આંખો ઊઘડી નથી. ફાલતુ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી કરીને જડબા દુખાડનારા આપણે સૌએ હવે મૂળભૂત મુદ્દાઓ અને તેના ઉકેલો વિશે વિચારવાનું કષ્ટ ઉઠાવવું જરૂરી બન્યું છે. કાળી હવાઓને હવે કોણ નાથશે, એવા સવાલ કરતાં આપણે હવે ક્યારે જાગીશું, એ સવાલ વધારે રચનાત્મક છે. સાચું ને? તો પૂછો ખુદને!

(‘દિવ્ય ભાસ્કર’ની 23મી નવેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, November 16, 2016

બંદૂકવાલી ચાચી

દિવ્યેશ વ્યાસ


બંદૂક યુદ્ધ અને યાતનાનું જ પ્રતીક છે, પરંતુ એ જ બંદૂક યાતનાના અંત અને શાંતિના આરંભ માટે નિમિત્ત બન્યાનો કિસ્સો જોવા મળ્યો છે!


(તસવીરો મેલઓનલાઇન પરથી લેવામાં આવી છે)


‘મારી બંદૂક હવે મારો બીજો શૌહર છે. આ બંદૂક જ મારો સાથીદાર છે અને મને તેના વિના સહેજ પણ ચાલતું નથી. જ્યાં સુધી આ બંદૂક મારા હાથમાં છે, કોઈ પુરુષ મને તો શું અમારા જિલ્લાની કોઈ સ્ત્રીને હેરાન કરી નહીં શકે. એમને ખબર છે કે સ્ત્રીઓને રંજાડનારને હું ભડાકે દઈ દઉં!’ આ શબ્દો છે, 42 વર્ષનાં શહાના બેગમના. શહાના બેગમે આ વાત મેલઓનલાઇન નામની વિદેશી વેબસાઇટના પત્રકાર ગરેથ ડેવિડ્સ સમક્ષ કરી હતી, જેના આધારે તૈયાર થયેલાે અહેવાલ ચર્ચિત બન્યો હતો. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરનાં શહાના બેગમ તેમના વિસ્તારમાં ‘બંદૂકવાલી ચાચી’ના નામે જાણીતાં છે.

એક મુસ્લિમ પરિવારની મહિલા કઈ રીતે બંદૂકવાલી ચાચી બની, એ કહાણીમાં કરુણતા જરૂર છે, પરંતુ તેના કરતાં પણ ધ્યાનમાં ખેંચે એવી બાબત આ બહેનની ખુમારી અને ખુદ્દારી છે. ચાર સંતાનોનાં માતા એવાં શહાના બેગમના પતિનું મૃત્યુ આજથી 17 વર્ષ પહેલાં થયેલું. કૌટુંબિક ઝઘડામાં સગા ભાઈએ જ તેમના પતિને ગોળી મારેલી. જોકે, ગોળી વાગવાથી તેઓ નહોતા મર્યા, પણ થોડા દિવસ પછી અચાનક તેમને પેટમાં દુખાવો ઉપડેલો અને તેને કારણે તેમનું નિધન થયેલું. પતિના મૃત્યુ વખતે શહાના બેગમનો સૌથી નાનો દીકરો માત્ર ત્રણ દિવસનો હતો! તેમના દુ:ખના દહાડા શરૂ થયેલા. માહોલ એટલો તંગ હતો કે તેઓ એકલાં ઘરની બહાર પગ પણ ન મૂકી શકે, જીવનું જોખમ હતું! ગામમાં તેમને કોઈ મદદ કરવા પણ તૈયાર નહોતું. ન કોઈ ઘરમાં કમાનારું હતું, ન કોઈ પરિવારને સંભાળનારું હતું. સંતાનોની માતાની સાથે સાથે પરિવારના મોભી બન્યા વિના ચાલે એમ નહોતું. આખરે એક દિવસ તેમણે હિંમતે મર્દા તો મદદે ખુદા જેવો અભિગમ અપનાવ્યો. વર્ષ 1999માં સ્વરક્ષા માટે લાઇસન્સ મેળવીને તેઓ બંદૂકધારી બની ગયાં. બંદૂકે શહાના બેગમનું જીવન બદલી નાખ્યું.


બંદૂક આમ તો યુદ્ધ અને યાતના-અત્યાચારનું પ્રતીક ગણાય છે, પરંતુ ક્યારેક બંદૂક યાતનાના અંત અને કોઈના જીવનમાં શાંતિનું નિમિત્ત પણ બની શકે, એ વાત બંદૂકવાલી ચાચી એટલે કે શહાના બેગમના કિસ્સામાં પુરવાર થઈ. બંદૂકનો સાથ શહાના બેગમ માટે નવો નહોતો, કારણ કે તેમના પિતા તથા પતિ પણ બંદૂક રાખતા હતા. જોકે, શહાના બેગમને ક્યારેય બંદૂક ચલાવતાં આવડતું નહોતું. પછી તેઓ જાતે જ બંદૂક ચલાવતાં શીખ્યાં. બંદૂકે તેમને આત્મરક્ષણ પૂરું પાડવાની સાથે સાથે આત્મવિશ્વાસ અને આત્મસન્માન સાથે જીવતાં કર્યાં અને એટલે જ તેઓ આજે બંદૂકને જ પોતાનો બીજો ‘ધણી’ ગણે છે.

બંદૂકની સાથે શહાના બેગમની અને તેમનાં ચાર સંતાનો-બે દીકરીઓ, બે દીકરાઓની જિંદગી તો સુરક્ષિત બની જ, પરંતુ ધીમે ધીમે શહાના બેગમે પોતાની બંદૂકની ધાકનો ઉપયોગ આસપાસના વિસ્તારમાં રહેતી મહિલાઓ-બાળકોની જિંદગીને સુરક્ષિત બનાવવા માટે શરૂ કર્યો. જ્યાં પણ કોઈ સ્ત્રી પર અત્યાચાર થાય ત્યાં પહોંચી જઈને તેમણે પીડિતાને ન્યાય અપાવવાનું શરૂ કર્યું. શહાના બેગમે આજ સુધી કોઈ પર ગોળીબાર કર્યો નથી, છતાં ધીમે ધીમે તેમના જિલ્લામાં તેમની ધાક એટલી વધી ગઈ છે કે બળાત્કાર સહિતના સ્ત્રીઅત્યાચારો માટે કુખ્યાત ઉત્તર પ્રદેશના આ જિલ્લામાં કોઈ મરદનો બચ્ચો હવે કોઈ સ્ત્રી પર કુદૃષ્ટિ કરવાની હિંમત પણ કરતો નથી.

બંદૂકથી સ્ત્રીસશક્તીકરણ કંઈ આદર્શ ગણાય નહીં, છતાં શહાના બેગમનાં સાહસ અને હિંમતને સલામ કરવી જ રહી!

(‘દિવ્ય ભાસ્કર’ની 16 નવેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ. શહાના બેગમ વિશે વધુ જાણવા માટેની લિંક http://www.dailymail.co.uk/news/article-3923518/Shotgun-wedding-rapists-Rifle-wielding-mother-takes-streets-seeking-justice-victims-Indian-s-spiralling-sex-attacks-forcing-marry.html)

Friday, November 11, 2016

વિશ્વશાંતિના 'મનુ'નીય વિચારો

દિવ્યેશ વ્યાસ


મનુભાઈએ અત્યંત આત્મવિશ્વાસપૂર્વક સમજાવેલું છે કે બાળકોના ઉછેર અને કેળવણીમાં વિશેષ કાળજી રાખીને જ વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે શાંતિની સ્થાપના શક્ય બનશે


 (મનુભાઈ પંચોળી ‘દર્શક’ના ચિત્રની છબિ ડૉ. અશ્વિન ચૌહાણે લીધેલી છે.)

 દુનિયાએ પહેલી વખત જોયેલું વિશ્વવ્યાપી અને અત્યંત વિનાશક એવા પ્રથમ વિશ્વયુદ્ધને વર્ષ 2014માં 100 વર્ષ પૂરાં થયેલાં. પહેલું વિશ્વયુદ્ધ 11 નવેમ્બર, 1918ના રોજ પૂર્ણ જાહેર થયેલું. ઇ.સ. 1914થી 1918 સુધી, એમ ચારેક વર્ષ લાંબા ચાલેલા આ યુદ્ધમાં એક અંદાજ પ્રમાણે આશરે 85 લાખથી વધુ સૈનિકો અને 70 લાખ જેટલા સામાન્ય લોકોનાં મોત થયાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધને લીધે વેરાયેલા જાન-માલના વિનાશ પછી દુનિયાને ડહાપણ લાધ્યું હતું કે યુદ્ધ માનવજાત માટે કેટલું ખતરનાક છે. ફરી ક્યારે ય યુદ્ધ ન થાય એ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કરારો કરવામાં આવ્યા હતા અને જર્મની સહિતના દેશો પર અમુક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જોકે, આ શરતો અને સંધિઓએ જ બીજા વિશ્વયુદ્ધનાં બીજ વાવ્યાં હોવાનું કહેવાય છે. દુનિયાએ થોડાં જ વર્ષો પછી બીજા વિશ્વયુદ્ધના સાક્ષી અને પીડિત બનવું પડયું. બીજા વિશ્વયુદ્ધ પછી વચ્ચેના ગાળામાં શીત યુદ્ધ દરમિયાન દુનિયા બે જૂથમાં વહેંચાઈ હતી, પણ સામસામી આવી નહોતી. આમ તો આજ દિન સુધી ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી, પરંતુ દુનિયાભરમાં ઠેકઠેકાણે ચાલતાં નાનાં-મોટાં યુદ્ધ કે સંઘર્ષને કારણે રોજેરોજ અનેક લોકો જાન ગુમાવી રહ્યા છે, એ દુઃખદ સચ્ચાઈ છે. દુનિયાએ વાર્યે નહીં તો હાર્યે એક ને એક દિવસ તો યુદ્ધ અને સંઘર્ષનો માર્ગ છોડીને રચનાનો, સર્જનનો, શાંતિનો માર્ગ શોધવો જ પડશે.

પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દીની સમાંતરે રણજિતરામ સુવર્ણચંદ્રકથી લઈને પદ્મભૂષણ જેવા પુરસ્કારોથી પોંખાનારા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક'ની જન્મ શતાબ્દી પણ 2014માં ઊજવાઈ હતી. 'સોક્રેટિસ' અને 'ઝેર તો પીધાં જાણી જાણી' જેવી મહાન નવલકથા લખનારા મનુભાઈ મૂળે તો ઇતિહાસ અને સંસ્કૃિતના જાણતલ હતા. ગાંધી વિચારોમાં પ્રબળ નિષ્ઠા ધરાવતા મનુભાઈએ શિક્ષણ અને સાહિત્ય થકી સમાજને ઢંઢોળવા અને કેળવવાનું કાર્ય આજીવન કર્યું હતું. પરમ દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિની વર્ષગાંઠ છે ત્યારે દર્શકદાદાના વિશ્વશાંતિ અંગેના વિચારોને વાગોળવાની એક તક ઝડપવા જેવી છે. યુદ્ધના ઉકેલ અને વિશ્વશાંતિ સ્થાપવાનાં સૂચનો રજૂ કરતાં મનુભાઈનાં ચાર વ્યાખ્યાનોને સંપાદિત કરીને મોહન દાંડીકર અને પ્રવીણભાઈ શાહે 'વિશ્વશાંતિની ગુરુકિલ્લી' નામે એક પુસ્તિકા તૈયાર કરેલી છે. આ પુસ્તિકામાં મનુભાઈએ અત્યંત આત્મવિશ્વાસપૂર્વક સમજાવ્યું છે કે બાળકોના ઉછેર અને કેળવણીમાં વિશેષ કાળજી રાખીને જ વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે શાંતિની સ્થાપના શક્ય બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે બાળકનો ઉછેર અને કેળવણી એ રીતે થવાં જોઈએ કે તેના મનમાં અજંપો કે અપરાધનાં નહીં પણ સંવેદના અને સર્જનનાં બીજ રોપાય. એક પ્રવચનમાં દર્શકદાદાએ કહ્યું છે, "બાળકને સ્વાનુભવની બારાક્ષરી પર અનંતનો પરિચય થાય છે. અનુભવે એને ભાન થશે કે જગતમાં સજીવ-નિર્જીવ બે વસ્તુ છે. ઝાડને પાણી પાવું પડે છે. દેડકા, કીડીને પણ સુખ-દુઃખનો અનુભવ થાય છે. હું અને આ કૂતરું બંને સગાં છીએ. બંનેનાં સુખદુઃખ સમાન છે. આવી સંવેદના બાળકમાં જાગશે તો જગતમાં શાંતિ થશે. આપણે શાંતિ સ્થાપવા માટે અનેક પ્રયત્નો કરીએ છીએ, આંદોલનો ચલાવીએ છીએ, પણ છતાં ય શાંતિ સ્થપાતી નથી, કારણ કે બાળપણમાં માણસના ચિત્તમાં આ સમભાવના, સંવેદનાને પ્રગટ થવાની તક મળી નથી, ક્રમિકતાનો અનુભવ નથી મળ્યો, ચિત્તમાં પરભાવના ઉછરતી રહી છે. પછી મોટી ઉંમરે ઘણી ય મથામણ કરો, ભાગવત-ગીતાની પારાયણો કરો, પણ ખેતરના દાણા ચરી ગયા પછી ખેડૂત ઘણા ય હોંકારા-પડકારા કરે તેવી આ વાત છે."

બાળકોમાં આક્રમકતાને ઉત્તેજન નહીં આપવાની અપીલ કરતાં મનુભાઈએ કહ્યું હતું, "માસ્તર બાળકની હથેળીમાં આંકણી મારે છે ત્યારે વિદ્રોહનાં બીજ ચિત્તમાં વવાઈ જાય છે. બેઝિક રૂટ્સ ઓફ એગ્રેસન બાળચિત્તમાં વાવીએ અને પછી શાંતિ માટે રાત'દી દોડા કરીએ તો કેમ ચાલે? જે ચિત્તમાં વિરોધોનાં, વિદ્રોહનાં જાળાં નથી, તે લડવા માટે ઉત્સુક નહીં થાય. એટલે શાંતિનું સાચું ક્ષેત્ર બાળપણ છે. તમે (શિક્ષકો) સાચા શાંતિસૈનિક છો."

મનુભાઈ માને છે, "અવકાશયાનો, ઉપગ્રહો, આઈસીબીએમ એ બધાએ શિવનું ક્ષેત્ર નથી વધાર્યું. શક્તિનું વધાર્યું છે ... શક્તિ વધી તેના પ્રમાણમાં શિવત્વ વધ્યું નથી. આથી મેં કહ્યું કે મોટી શોધ અણુ કે પરમાણુ શક્તિને હું નથી ગણતો. છેલ્લાં પચાસ વર્ષમાં થયેલી મોટામાં મોટી શોધ હું બાલશિક્ષણશાસ્ત્રની ગણું છું. મારી અફર શ્રદ્ધા છે કે જો માનવજાતને મુક્તિનો અનુભવ લેવો હશે, તો તેણે બાલશિક્ષણની આ શોધ પાસે આવવું પડશે. ત્યારે જ શાંતિનું ક્ષેત્ર વિસ્તરશે, ત્યારે જ મુક્તિનું સાચું પ્રભાત ઊઘડશે."

"યુદ્ધ પહેલાં માણસોના હૃદયમાં શરૂ થાય છે ને ત્યાં જ તેને ડામવું જોઈએ. વ્યક્તિઓના હૃદયમાં જ પરિવર્તન કરવાની રીત માનવજાત જમાનાઓથી શોધતી આવી છે, કારણ કે વ્યક્તિ પોતે આક્રમણ ન કરે, કે આક્રમક ન હોય તો તોપો જાતે કાંઈ ફૂટવા માંડતી નથી." મનુભાઈનો કહેવાનો સાર એટલો જ હતો કે બાળકનો ઉછેર અને કેળવણી એ રીતે થવાં જોઈએ કે તેના મનમાં અજંપો, અપરાધનાં કે આક્રમકતાનાં નહીં પણ સંવેદના અને સર્જનનાં બીજ રોપાય તો અને ત્યારે જ વિશ્વશાંતિનું સપનું સાકાર થશે.

(‘સંદેશ’ની 9મી નવેમ્બર, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, થોડા સુધારા સાથે)

Wednesday, November 9, 2016

ટાર્ગેટ તણાવમુક્તિ

દિવ્યેશ વ્યાસ


આધુનિક સમયનો સૌથી મોટો અભિશાપ છે તણાવ. નવા વર્ષે તણાવમુક્તિ માટે સંકલ્પ અને સાધના જરૂરી છે



(આ તસવીર બિગસ્ટોક (Bigstock)ની છે.)

માનવજાતે વિકાસના નામે જે વાટ પકડી છે, તેણે કહેવાતી આધુનિકતા જરૂર બક્ષી છે, પરંતુ સાથે સાથે આપણા જીવનમાં અવલંબન અને આત્યંતિકતા વધારી દીધાં છે. આધુનિક જીવનશૈલીમાં વહેલા જાગવા માટે સ્માર્ટફોનમાં મૂકેલા એલાર્મથી માંડીને આધ્યાત્મિકતા માટેની એપ, એમ લગભગ દરેક બાબત માટે આપણે અન્ય પર અવલંબિત રહેવા માંડ્યા છીએ. ‘અતિ સદા વર્જયતે’, અતિની કોઈ ગતિ નહીં, જેવી શાણી પંક્તિઓ આપણે વિસરી ગયા છીએ અને અન્યથી આગળ નીકળી જવાની લાયમાં આપણે દરેક બાબતે આત્યંતિકતા તરફ ધસી રહ્યા છીએ. આ અવલંબન અને આત્યંતિકતાભરી આધુનિક જીવનશૈલીના પરિણામે માનસિક તણાવ (સ્ટ્રેસ) આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. તણાવ આધુનિક સમયનો સૌથી મોટો અભિશાપ બની ગયો છે. વૈશ્વિક સ્તરે જેમ ત્રાસવાદ સૌને પજવે છે, એ જ રીતે વ્યક્તિગત સ્તરે તણાવ ખતરનાક પુરવાર થઈ રહ્યો છે.

તણાવને કારણે આજનો માનવી શારીરિક તથા માનસિક બીમારીઓનો ભોગ બની રહ્યો છે. આજે નાની વયના યુવાનોમાં મોટી વયે કે વૃદ્ધાવસ્થામાં થતી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. તણાવ લોકોની જિંદગીમાંથી સુખ-ચેન છીનવી રહ્યો છે. આજે સુખ-સુવિધા-સગવડો વધી છે, પરંતુ તેને ભોગવવા, તેને માણવા માટેના સમય અને શાંતિનો અભાવ પ્રવર્તે છે. કોઈ પણ ભોગે સફળ થવાની આંધળી દોડમાં આપણે ઘણું બધું કમાઈએ છીએ, લખલૂંટ સંપત્તિ અર્જિત કરીએ છીએ, પણ જીવનનો આનંદ લગભગ ગુમાવી દેતા હોઈએ છીએ. નવું વિક્રમ સંવત શરૂ થયું છે ત્યારે આપણે જીવનને સારી રીતે માણવા માટે તણાવમુક્ત થવા માટે સંકલ્પ અને સાધના કરવા જરૂરી છે. તણાવમુક્તિ માટે જીવન અને કાર્ય પ્રત્યેના અભિગમમાં ધરમૂળથી બદલાવ જરૂરી છે, સાથે સાથે સ્વભાવમાં પણ સકારાત્મક રીતે સુધારા કરવા આવશ્યક
બને છે.

ગયા સપ્તાહમાં 2 નવેમ્બરના રોજ ઇંગ્લેન્ડમાં રાષ્ટ્રીય તણાવ જાગૃતિ દિવસ (નેશનલ સ્ટ્રેસ અવેરનેસ ડે) ઊજવાઈ ગયો. આ નિમિત્તે વનપોલ (OnePoll) દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 2000 બ્રિટિશર્સની મુલાકાતના આધારે નિષ્કર્ષ તારવવામાં આવ્યા છે. આ સર્વે અનુસાર એક વ્યક્તિ પોતાની જિંદગીમાં આશરે સાડા પાંચ વર્ષ તણાવને કારણે બરબાદ કરી નાખે છે. દરેક વ્યક્તિ દરરોજ સરેરાશ બે કલાક અને 11 મિનિટ્સ તણાવમાં પસાર કરતી હોય છે. આ હિસાબે દરેક માણસ દર અઠવાડિયે 15 કલાક અને વર્ષે 33 દિવસ સ્ટ્રેસનો ભોગ બનતો હોય છે. આ સર્વેક્ષણના એક તારણ મુજબ વ્યક્તિ 36 વર્ષની વયે સૌથી વધારે સ્ટ્રેસ ભોગવતી હોય છે. આ સર્વેક્ષણ આમ તો બ્રિટનમાં થયેલું છે, પરંતુ આપણે ત્યાં, એમાંય ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મોટા ભાગે બ્રિટન જેવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. નોકરી-વ્યવસાયના સ્ટ્રેસ ઉપરાંત આર્થિક અસુરક્ષાની ભાવના બળતામાં ઘી હોમવાનું કામ કરતી હોય છે. વિભક્ત પરિવારના વધતાં ચલણને કારણે સામાજિક-પારિવારિક તણાવમાં પણ વધારો થયો છે. આજના સ્પર્ધાના જમાનામાં તો બાળકો અને વિદ્યાર્થીઓ પણ સ્ટ્રેસથી બચી શકતાં નથી. સ્ટ્રેસને કારણે ઘણા યુવાનો વ્યસનના રવાડે ચડી જતા હોય છે અને તેની અનેક આડઅસરોનો ભોગ બનતા હોય છે. આપણી ટ્રાફિકથી માંડીને અન્ય અવ્યવસ્થાઓને કારણે પણ આપણું રોજિંદું જીવન વધારે તણાવપૂર્ણ બની રહ્યું છે.

તણાવથી બચવું મુશ્કેલ છે, પણ અશક્ય નથી. વ્યક્તિ ધારે તો પોતાની રોજિંદી જિંદગીમાં તણાવને નાબૂદ ન કરી શકે તો પણ ન્યૂનતમ (ઓછામાં ઓછો) તો કરી જ શકે છે. જીવનમાં પેદા થતા બિનજરૂરી તણાવ અંગે જાગૃતિ કેળવીને તેને દૂર કરવા મથવું જોઈએ. મોટા ભાગે તો આપણા ટાઇમ મેનેજમેન્ટના અભાવને કારણે પણ બિનજરૂરી તણાવ પેદા થતો હોય છે. વ્યક્તિ ધારે તો નિયમિતતા કેળવી, માનસિકતાને સકારાત્મક બનાવી, સ્વભાવમાં સુધારા કરીને ઘણા તણાવને ટાળી શકે એમ છે. નવા વર્ષે તણાવ અંગે સભાન થવાની સાથે સાથે તણાવમુક્તિ જીવન માટે સંકલ્પબદ્ધ થવાની અને તેના માટે સાધના કરવાની જરૂર છે. તમે નક્કી કરી લો, તણાવયુક્ત જીવન ઇચ્છો છો કે તરોતાજા જિંદગી?

Friday, October 28, 2016

આવા 'પ્રકાશ' થકી જ સુધરી શકે દેશની દિવાળી

દિવ્યેશ વ્યાસ


આજે એક એવા માનવદીપકની વાત કરવી છે, જેણે પોતાનું પ્રકાશ નામ સાર્થક કરીને મહારાષ્ટ્રના એક અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં એવો ઉજાસ ફેલાવ્યો છે, જેનો ઝગમગાટ પાવક, પ્રેરક અને પ્રોત્સાહક છે


(તસવીર રીડિફ ડોટ કોમ પરથી મેળવી છે.)

દિવાળી એ અંધકાર પર અજવાળાના વિજયનો ઉત્સવ છે. દિવાળીના દિવસોમાં દીપ પ્રગટાવીને આપણે અંધકાર સામે ઝીંક ઝીલવાનો જુસ્સો દેખાડીએ છીએ. જો કે, દેશ અને સમાજમાં અખંડ દિવાળી લાવવી હોય તો અજ્ઞાન, અંધશ્રદ્ધા, અસમાનતા અને અન્યાયના અંધકાર સામે જંગ માંડવો પડે. આ જંગ પ્રતિબદ્ધ માનવદીપકો વિના કેમ લડી શકાય? આજે એક એવા માનવદીપકની વાત કરવી છે, જેણે પોતાનું પ્રકાશ નામ સાર્થક કરીને મહારાષ્ટ્રના એક અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં એવો ઉજાસ ફેલાવ્યો છે, જેનો ઝગમગાટ પાવક, પ્રેરક અને પ્રોત્સાહક છે. તાજેતરમાં ડો. પ્રકાશ આમટેના જીવન અને કાર્યને રજૂ કરતી ફિલ્મ 'ડો. પ્રકાશ બાબા આમટે - ધ રિયલ હીરો' મરાઠી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ રિલીઝ થઈ છે. (વાત 2014ની છે) નાના પાટેકર અભિનીત આ ફિલ્મ સારી બની છે, પરંતુ અહીં આ ફિલ્મની નહીં, પણ એ નિમિત્તે ડો. પ્રકાશ આમટેના સાદગીભર્યા જીવન અને સંઘર્ષપૂર્ણ સેવાકાર્યની વાત કરવી છે.

પદ્મશ્રી, પદ્મભૂષણ અને રેમન મેગસેસે જેવાં ખ્યાતિપ્રાપ્ત સન્માનો મેળવનારા મહારાષ્ટ્રના સમાજસેવક બાબા આમટે અને સાધના આમટેના ઘરે ૨૬ ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ જન્મેલા ડો. પ્રકાશ આમટેને સમાજસેવા તો જાણે ડી.એન.એ.માં જ મળી હતી. ડો. પ્રકાશ અને તેમના મોટા ભાઈ વિકાસ આમટેએ પિતાના સેવાના વારસાને માત્ર જાળવ્યો અને ઉજાળ્યો નથી, બલકે પોતાની આગલી પેઢીમાં આગળ પણ વધાર્યો છે. આજે આ બે ભાઈઓનાં ઉચ્ચ ડિગ્રીપ્રાપ્ત સંતાનો પણ સમાજસેવાના મિશનમાં સક્રિય છે. ડો. પ્રકાશ આમટે પદ્મશ્રી સન્માન ઉપરાંત પોતાનાં પત્ની ડો. મંદા સાથે એશિયાના નોબેલ પારિતોષિક ગણાતા રેમન મેગસેસે એવોર્ડથી પોંખાયાં છે.

ડો. પ્રકાશ આમટે અને તેમનાં પત્ની ડો. મંદા અભ્યાસે અને વ્યવસાયે ડોક્ટર છે. ડોક્ટરનું ભણ્યા પછી તેમણે ધાર્યું હોત તો લાખો રૂપિયા કમાઈને સુખી-સમૃદ્ધ જીવન જીવી શક્યાં હોત, પણ તેમના લોહીમાં અને દિલમાં રહેલી સમાજસેવાની ભાવનાને કારણે તેમણે સાદગીપૂર્ણ જીવન અને સંઘર્ષભર્યો જનસેવાનો માર્ગ અપનાવ્યો. સેવા કરવા માટે એમણે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશની સરહદો જ્યાં મળે છે, એવા અંતરિયાળ, અતિ પછાત અને અડાબીડ અગવડોવાળા હેમલકસા અને તેની આજુબાજુના વિસ્તાર પર પસંદગી ઉતારી. માર્ચ-૧૯૭૪થી આ દંપતી જ્યાં વસ્યું એ હેમલકસામાં ન તો વીજળી હતી, ન સડક, ન સંદેશાવ્યવહારનાં સાધનો. આટલું અધૂરું હોય એમ તેઓ જે માડિયા ગોંડ આદિવાસી લોકોની સેવા કરવા તત્પર હતા, એ લોકોએ તેમને સહકાર તો ઠીક શરૂઆતના ગાળામાં સ્વીકાર્યા પણ નહોતા ! દુનિયાથી સાવ અલિપ્ત અને પ્રાણીઓનો શિકાર કરીને પેટ ભરનારા આદિવાસી લોકો માટે તેઓ પરગ્રહવાસી જેવા હતા. લોકો તેમને જોઈને સંતાઈ જતા હતા. વળી, તેમની ભાષા અલગ અને સંસ્કૃિત પણ સાવ નોખી. આ લોકો માટે બીમારી એટલે કાં તો દેવીનો કોપ કે પછી કોઈએ મૂઠ મારી હોય, એવી અંધશ્રદ્ધા. સારવાર લેવાનું તો તેમને ગળે જ ન ઊતરે. આવા લોકોની ટાંચાં સાધનો સાથે સારવાર કરવા કરતાં પણ અઘરું કામ હતું, તેમને સારવાર લેતા કરવાનું. જો કે, ડો. પ્રકાશ અને તેમના સાથીઓના વ્યવહાર અને ભાવનાશીલ વર્તનને કારણે ધીમે ધીમે લોકોના વલણમાં પરિવર્તન આવ્યું. ગરીબ અને પછાત આદિવાસીઓ સાથે હમદર્દીની હદ તો જુઓ કે આદિવાસી પાસે પહેરવા માટે પૂરતાં કપડાં નહોતાં, એ જોઈને ડો. પ્રકાશે રોજિંદા જીવનમાં અરધી ચડ્ડી અને બંડ્ડી પહેરવાનું જ અપનાવી લીધું! આખરે ડો. પ્રકાશ અને તેમના સાથીઓની ભાવના અને મહેનત રંગ લાવ્યાં. હેમલકસાનાં લોકો જ નહીં પ્રાણીઓ (ડો. પ્રકાશ પ્રાણીઓ માટે અનાથાલય પણ ચલાવે છે.) સહિત સમગ્ર વિસ્તારે તેમને પોતીકા બનાવી લીધા છે. આજે આશરે ચારેક દાયકાની મહેનત પછી હેમલકસાનો એટલો વિકાસ થયો છે કે ત્યાંની નવી પેઢી સમાજના મુખ્ય પ્રવાહમાં વહેતી થઈ છે. લોક બિરાદરી પ્રકલ્પ અંતર્ગત ચાલતી શાળામાં ભણેલાં બાળકો આજે શિક્ષકો, ડોક્ટરો, પોલીસ, વનરક્ષકો, વકીલો બન્યાં છે.

એક ડોક્ટર તરીકે પ્રકાશભાઈને થયેલા અનુભવો ગમે તેવા કઠણ હૃદયના માણસને હચમચાવે એવા છે, સાથે સાથે પ્રેરણારૂપ પણ છે. ડો. પ્રકાશે પોતાનાં સંભારણાંઓ મરાઠીમાં 'પ્રકાશ વાટા' નામના પુસ્તકમાં સમાવ્યાં છે. જેનો ગુજરાતી અનુવાદ 'પ્રકાશની પગદંડીઓ'ના નામે સંજય શ્રીપાદ ભાવેએ કરેલો છે.

દેશના દરેક પછાત-અંતરિયાળ વિસ્તારને ડો. પ્રકાશ આમટે જેવો ડોક્ટર મળવો જોઈએ. ડો. પ્રકાશ જેવા લોકો સમગ્ર દેશમાં ફેલાય-કાર્યરત થાય તો દેશમાં ન રહે બીમારી, ન રહે અજ્ઞાાન કે અંધશ્રદ્ધાનો અંધકાર કે ન રહે નક્સલવાદ જેવી સમસ્યાઓ.

દેશની દિવાળી સુધારવા માટે આવા અનેક પ્રકાશ પેદા થાય, એવી પરમપ્રભુને પ્રાર્થના.

(‘સંદેશ’ની 19 ઑક્ટોબર, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, October 26, 2016

‘ભગવાન કે નામ પે કુછ દે દે!’

દિવ્યેશ વ્યાસ


આ વખતે લક્ષ્મીપૂજનમાં પોતાના ઉપરાંત દેશના ભિખારીઓ પર પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય એવા આશીર્વાદ માગજો!


(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

સપ્ટેમ્બર 2012માં ડૉ. પ્રકાશ આમટે પોતાની જીવનકથાની ગુજરાતી આવૃત્તિ ‘પ્રકાશની પગદંડીઓ’ના વિમોચન પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. પ્રકાશ આમટે મહારાષ્ટ્રના સાવ અંતરિયાળ આદિવાસી વિસ્તાર ગઢચિરોલીના હેમલકસા ગામમાં રહે છે અને આશરે સાડા ચાર દાયકાથી આ વિસ્તારના આદિવાસીઓની સેવા કરી રહ્યા છે. તેમણે એ સાંજે પોતાના અનુભવો વર્ણવતાં એક જબરદસ્ત વાત કરેલી કે ગઢચિરોલીમાં વસતા આદિવાસીઓ અતિશય નિર્ધન છે. બે ટંક પેટ ભરવા માટે પણ તેમણે સખત પરિશ્રમ કરવો પડે છે, છતાં તેઓ ક્યારેય ભીખ માગતા નથી. કોઈ સામેથી કશું આપે તો પણ તે લેવાનો સ્વાભિમાનપૂર્વક ઇનકાર કરતા હોય છે! એ વિસ્તારમાં અતિશય ગરીબ અને ભૂખમરાથી પીડિત લોકો જોયા, પણ ક્યારેય ભિખારી જોવા મળ્યો નથી. ભીખ માગવી એ આપણી સંસ્કૃતિમાં શરમજનક બાબત ગણાય છે. આજેય ગામડાંઓમાં ગરીબ લોકો મોટી સંખ્યામાં છે, પણ લોકો ભીખ માગતા તો શું કશુંક ઉછીનું માગતાં પણ પારાવાર શરમ અનુભવતા હોય છે. ધાર્મિક સ્થળો ઉપરાંત આપણાં મોટા ભાગનાં નગરો અને શહેરોમાં ભિખારીઓની ભરમાર જોવા મળે છે. શહેરના મુખ્ય ચાર રસ્તાઓના સિગ્નલ પર વાહન રોકાતાં દયામણું મોં કરીને કરગરતા ચહેરાઓ અચૂક જોવા મળી જતા હોય છે.

એક તરફ દેશ સુપરપાવર બનવાનું સપનું જોઈ રહ્યો છે ત્યારે લાખો લોકો માગીભીખીને બે ટંકનું ભોજન માંડ મેળવી રહ્યા છે, એ દેશ માટે શરમજનક છે. જાણીતાં પ્રવાસન કેન્દ્રો, શ્રદ્ધાધામો અને શહેરનાં જાહેરસ્થળો પર મોટી સંખ્યામાં ભિખારીઓની ઉપસ્થિતિ આપણા દેશની આર્થિકની સાથે સાથે સાંસ્કૃતિક દરિદ્રતાનાં પણ દર્શન કરાવે છે. સત્તાવાર આંકડા દેશમાં ભિખારીઓની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે. વર્ષ 2001ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર દેશમાં 6,30,940 ભિખારીઓ હતા, જેમાં દસ વર્ષમાં મોટો ઘટાડો થયો અને વર્ષ 2011ના સેન્સસ ડેટા મુજબ દેશમાં 3,72,217 ભિખારીઓ હતા. લેટેસ્ટ આંકડા જોઈએ તો ઑગસ્ટ 2015માં એક પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાયના રાજ્યમંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશમાં 4,13,670 ભિખારીઓ છે. 2.2 લાખ પુરુષો અને 1.91 લાખ સ્ત્રીઓ ભિક્ષાવૃત્તિથી પેટ ભરી રહ્યાં છે. આ આંકડા સત્તાવાર છે, પરંતુ વાસ્તવિક આંકડો આનાથી મોટો-વિકરાળ હોઈ શકે છે.  દેશમાં સૌથી વધારે ભિખારી ધરાવતું રાજ્ય પશ્ચિમ બંગાળ છે અને દેશમાં સૌથી વધુ ભિખારી ધરાવતું શહેર દિલ્હી છે, જ્યાં 81,000 ભિખારીઓ છે. દેશની રાજધાની દિલ્હીમાં જ મોટી સંખ્યામાં ભિખારીઓ હોવાને કારણે દિલ્હીને ભિખારીમુક્ત બનાવવાની ઝુંબેશ છેલ્લાં કેટલાંય વર્ષોથી ચાલી રહી છે.

ભીખ માગનારા મૂળભૂત રીતે ગરીબ-બેકાર-લાચાર લોકો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ ભિખારીઓના કલ્યાણ (વેલફેર) માટે કેટલાક લોકો અને માનવ અધિકાર માટે કાર્યરત સંસ્થાઓ પ્રયત્નશીલ છે. ભિખારીઓને સન્માનપૂર્વકની જિંદગી આપવા માટે અનેક પ્રયાસોની સાથે સાથે કાયદાની મદદ પણ લેવાઈ રહી છે. તાજેતરમાં જ ભિખારીઓના મૂળભૂત નાગરિક અધિકારો અંગે થયેલી જાહેર હિતની બે અરજીઓની દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. કેન્દ્રના સામાજિક ન્યાય મંત્રાલય અને દિલ્હી સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે અમે ટૂંક સમયમાં પર્સન્સ ઇન ડિસ્ટિટ્યુશન (પ્રોટેક્શન, કેર એન્ડ રિહેબિલિટેશન) મૉડલ બિલ, 2016 લાવી રહ્યા છીએ, જે ભિખારીઓના મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરશે, તેમને રક્ષણ પૂરું પાડશે, તેમની સંભાળ લેશે અને તેઓને તાલીમ આપીને રોજગારી પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવશે. કોર્ટને આ વિધેયકની નકલ પણ આપવામાં આવી હતી. ગયા બુધવારે જ આ વિધેયક અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી.

ભિખારીઓ અને ઘરબાર કે કશાય આધારવિહોણા લોકો માટેના આ વિધેયકની રચના આમ તો વર્ષ 2015માં જ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેને સંસદમાંથી પસાર કરીને નક્કર કાયદાનું સ્વરૂપ મળી શક્યું નથી. ભિખારી અંગે આપણા દેશમાં કાયદો તો છે, પરંતુ તે વ્યક્તિને ભિખારી બનાવતા સંજોગો કે વ્યવસ્થાની વિરુદ્ધ નહીં, પરંતુ ભિક્ષાવૃત્તિ કરવા મજબૂર લોકોની વિરુદ્ધ છે! વર્ષ 1959માં મુંબઈ સરકારે (એ વખતે મહારાષ્ટ્ર રાજ્ય મુંબઈ સ્ટેટ તરીકે જાણીતું હતું) ધ બૉમ્બે પ્રિવેન્ટિંગ ઑફ બેગિંગ એક્ટ ઘડેલો અને પછી આ કાયદાને લગભગ તમામ રાજ્યોએ અપનાવેલો. આ કાયદો ભિક્ષાવૃત્તિ નાબૂદ કરવા માટે ભિખારીઓને પકડીને કાં તો સંરક્ષણ ગૃહમાં કે પછી જેલમાં ધકેલી દેવાના માર્ગે લઈ જનારો છે. આ કાયદા મુજબ માત્ર ભીખ માગનારા જ નહીં, પરંતુ જાહેર માર્ગો કે સ્થળો પર ગીત ગાઈને, નૃત્ય કરીને કે કરતબ બતાવીને લોકો પાસેથી રૂપિયા મેળવતા લોકોને પણ લાગુ પડે છે. આ કાયદામાં ભીખ માગવાનો ગુનો કરનારને દસ વર્ષ સુધીની જેલ થઈ શકે છે! જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી આ કાયદાનો સખત વિરોધ થઈ રહ્યો છે અને સરકાર આ કાયદાને નાબૂદ કરવા માટે વિચારણા કરી રહી છે. કેન્દ્ર સરકાર જો પર્સન્સ ઇન ડિસ્ટિટ્યુશન એક્ટ વહેલી તકે અમલમાં મૂકે, એવી આશા રાખીએ.

ભિક્ષુકોના હાલહવાલ અને અંગભંગિમાઓ જોઈને સંવેદનશીલ લોકોનું હૃદય પીગળી જતું હોય છે અને તેઓ બે-પાંચ રૂપિયા આપતાં જોવા મળે છે. ઘણા લોકોને ભિખારીઓની દયા આવે છે, પરંતુ તેઓ રૂપિયા આપવાનું પસંદ કરતાં નથી, કારણ કે આજકાલ ભિક્ષાવૃત્તિને વ્યવસાય બનાવી દેનારાની પણ કમી નથી! ભીખ માગવાની રીતો પણ હવે લોકોને ઠગ બનાવવા જેવી સ્માર્ટ થતી જાય છે! છતાં એક વાત સ્વીકારવી અને સમજવી રહી કે આપણો દેશ-સમાજ અને સરકાર જો ધારે તો દરેક હાથને કામ અને રોટી માટે વ્યવસ્થા કરી શકે છે, દરેક નાગરિક સન્માનપૂર્વકની આજીવિકા રળી શકે, એ માટે યોજના બનાવી શકે છે. જોકે, છેવાડેના માણસો માટે હજુ આપણા રાજકીય-સામાજિક નેતાઓની સંવેદના ઓછી પડે છે. દિવાળીના દિવસોમાં તમે લક્ષ્મીપૂજન કરો ત્યારે પોતાની સાથે સાથે દેશના એ લાખો ભિખારીઓ અને કરોડો ગરીબ દેશબાંધવો પર પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય એવા આશીર્વાદ માગજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 26મી ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, બિનસંપાદિત)

વાહ રાજા! Wow રાજા!

દિવ્યેશ વ્યાસ


એકવીસમી સદીમાં પણ જાપાન અને થાઇલેન્ડના રાજાઓએ મેળવેલી લોકચાહના નોંધપાત્ર છે


(બે રાજા અને એક મહારાણીનું રંગીન કોલાજ શોએબ મન્સુરીએ બનાવેલું છે.)

થાઇલેન્ડના રાજા ભૂમિબોલ અતુલ્યતેજનું (થાઇમાં અદુલ્યદેજ)  13મી ઑક્ટોબર, 2016ના રોજ 88 વર્ષની વયે નિધન થયું. થાઇલેન્ડમાં માતમ છવાઈ ગયો. રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે ઘેરાયેલા આ દેશમાં લોકોના ચહેરા પર નોધારાં થઈ ગયાં હોય એવા ભાવ સ્પષ્ટ વર્તાતા હતા. રાજા ભૂમિબોલ વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા સમ્રાટોમાંના છે. માત્ર 18 વર્ષની વયે રાજા બનનારા ભૂમિબોલે પાક્કા સાત દાયકા સુધી ગાદી સંભાળી. પોતાની લોકપ્રિયતાની તાકાત અને સૂઝબૂઝથી રાજા ભૂમિબોલે અનેક ઉતારચડાવ અને અફરાતફરીના ગાળામાં પણ દેશમાં સ્થિરતા ટકાવી રાખવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી અને એને કારણે જ તેમના પ્રત્યે સમગ્ર દેશને માન હતું.

રાજા ભૂમિબોલને જ્યારથી રાજગાદી મળી ત્યારથી રાજા તરીકે તેમને કોઈ વિશેષ સત્તાઓ કે અધિકારો મળ્યા નહોતા. તેમનું રાજાપણું પ્રતીકાત્મક હતું, કારણ કે દેશમાં નવા બંધારણ અનુસાર લોકશાહીની સ્થાપના થઈ ચૂકી હતી અને વચ્ચે વચ્ચે લશ્કર બળવો કરીને સત્તા પર આધિપત્ય જમાવી દેતું હતું. જોકે, ભૂમિબોલે જરૂર પડી ત્યારે પોતાના સત્તાક્ષેત્રમાં ન હોય એવી બાબતોમાં પણ હસ્તક્ષેપ કર્યો અને પોતાની રાજકીય કુનેહથી અસ્થિર અને અનિશ્ચિત સ્થિતિઓમાંથી દેશને હંમેશાં ઉગાર્યો હતો. રાજાની આ ઓથ અને સાથ ગુમાવતાં થાઇલેન્ડ શોકમાં સરી પડ્યું છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં ચૂંટાયેલી સરકારો શાસન સંભાળી રહી છે, છતાં આજે પણ ભૂમિબોલ જેવા સમ્રાટોએ પોતાની પ્રસ્તુતતા અને લોકપ્રિયતા ગુમાવી નથી એ નોંધપાત્ર બાબત છે.

થાઇલેન્ડ ઉપરાંત જાપાનના રાજા અકિહિતો પણ એટલા જ લોકપ્રિય છે. એકદમ ઉદારવાદી વિચાર ધરાવનારા અને સત્તાથી સાવ નિર્લેપ એવા અકિહિતોને પણ લોકોનો પ્રેમ મળ્યો છે. અકિહિતો પણ સીમિત સત્તાઓ ધરાવે છે. રોજિંદા શાસનમાં તેમની કોઈ ભૂમિકા નથી, પરંતુ દેશના પ્રતિનિધિ તરીકે તેઓ વિશ્વસ્તરે એક સ્ટેટ્સમેન તરીકે ઊભરી આવ્યા છે. ગત ઑગસ્ટ મહિનામાં જ તેમણે પોતાની વય અને શારીરિક સમસ્યાઓનો હવાલો આપીને પોતે નિવૃત્ત થવા માગે છે, એવું કહીને મોટો આંચકો આપ્યો હતો. જોકે, લોકોના પ્રતિભાવ અને જાપાનની પરંપરાને ધ્યાનમાં રાખીને તેઓ પદત્યાગ બાબદે કોઈ નક્કર નિર્ણય સુધી આવ્યા નથી, પરંતુ લોકોની પ્રતિક્રિયાએ તેમની લોકપ્રિયતા વધુ એકવાર પુરવાર કરી દીધી.
બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ બીજા પણ ખાસ્સાં લોકપ્રિય છે. તેમણે તો 75 વર્ષ સુધી શાસન કર્યું છે. 90 ક્રિસમસ જોઈ ચૂકેલાં એલિઝાબેથ હજુ કડેધડે છે અને પ્રિન્સ ચાર્લ્સ આજીવન પ્રિન્સ જ રહી શકે એવી સંભાવના જણાય છે. એલિઝાબેથે પોતાનો ઠસ્સો આજેય અકબંધ રાખ્યો છે.

આપણા દેશમાં પણ લોકશાહી હોવા છતાં ઘણા રાજપરિવારો દ્વારા રાજ્યાભિષેકના સમાચારો આવતા હોય છે. રાજાઓને માન-સન્માન મળે છે. લોકશાહીના વૈશ્વિક માહોલમાં રાજાશાહી હવે અપ્રસ્તુત બની છે, છતાં કેટલાક રાજાઓ ‘તાજ’ વિના પણ પોતાની લોકપ્રિયતા જાળવી શક્યા છે. રાજા એટલે કે લીડરમાં લોકો વિશ્વાસ મૂકે છે, પણ તેનું ટકાઉપણું રાજાના ચારિત્ર્ય પર આધારિત છે. નેતૃત્વ ક્યારેય સત્તાનું મોહતાજ  હોતું નથી!

(‘દિવ્ય ભાસ્કર’ની 19 ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

ગેરસમજ હટાવીશું કે ગાંધીને?

દિવ્યેશ વ્યાસ


ઘાના યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના દબાણથી મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવાઈ. સબ કો સન્મતિ દે ભગવાન!

ગાંધીજીની આ પ્રતિમા હટાવવામાં આવી

વિખ્યાતિ અને વિવાદ ક્યારેક તો બે સિક્કાની બે બાજુ હોય એટલાં એકબીજા સાથે જોડાયેલાં લાગે. બહુ ઓછા વિખ્યાત લોકો ઇતિહાસે જોયા છે, જેમની સાથે કોઈ ને કોઈ વિવાદ ન જોડાયેલો હોય. વીસમી સદીના મહામાનવ ગણાયેલા મહાત્મા ગાંધી પણ વિવાદથી પર રહી શક્યા નહોતા. ગાંધીજી તેમના જીવનકાળ દરમિયાન તો ઠીક આજે તેમના મૃત્યુને સાત દાયકા કરતાં વધારે સમય વીતી ગયો છે, છતાં તેમના નામે કોઈ ને કોઈ વિવાદ ચાલુ જ રહેતો હોય છે. ગાંધીજી અંગેની વાંધાજનક ટિપ્પણીઓથી પેદા થયેલા વિવાદોની પરવા ન કરીએ તોપણ ગાંધીજીનાં કાર્યો, વિચારો અને અભિગમ અંગે ચાલતી ચર્ચા અને તેમાંથી સર્જાતો વિવાદ અવગણી ન શકાય. ગાંધીજી પણ ટીકાથી પર ન હોઈ શકે, ગાંધીજીના આચાર-વિચાર અંગે ચર્ચા થવી જ જોઈએ, તેમના વિચારોને પ્રસ્તુતતાની કસોટીએ કસવા સામે પણ કોઈ વાંધો-વિરોધ ન હોઈ શકે. અલબત્ત, ચર્ચાનો ઉદ્દેશ ગાંધીજીની છબીને ખરડવાનો નહીં, પણ તેમની ખામી કે ખૂબીમાંથી કંઈક શીખવાનો હોય તો એ કવાયત ચોક્કસપણે સાર્થક નીવડી શકે.

ગયા સપ્ટેમ્બર મહિનામાં ઘાનામાં મહાત્મા ગાંધીને લઈને એક નવો વિવાદ પેદા થયો હતો. જૂન-2016માં આપણા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ઘાનાની મુલાકાત લીધી હતી. પ્રણવદાની મુલાકાત દરમિયાન ઘાના યુનિવર્સિટીના સંકુલમાં ગાંધીજીની માનવકદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંધીજીની પ્રતિમાનું સ્થાપન ત્યાંના કેટલાક પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને પસંદ આવ્યું નહોતું. પ્રતિમાનો વિરોધ શરૂ થયો અને ધીમે ધીમે જોર પકડતો ગયો. સપ્ટેમ્બર મહિનાથી ગાંધીજીની પ્રતિમાને હટાવવા માટે વ્યવસ્થિત ઝુંબેશ શરૂ થઈ ગઈ. આ લોકોના મતે ગાંધીજી વંશવાદી હતા. તેમના તરફથી ગાંધીજી માટે એવો આક્ષેપ પણ કરાયો કે તેઓ ભારતીયોની સરખામણીમાં આફ્રિકાના અશ્વેત લોકોને ઊતરતાં ગણતા હતા. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા એક ઓનલાઇન પિટિશન પણ ચલાવવામાં આવી હતી, જેમાં ગાંધીજીના 1894ના ‘નાતાલ મર્ક્યુરી’ નામના અખબારમાં પ્રસિદ્ધ ખુલ્લા પત્રનો હવાલો આપીને કહેવાયું છે કે ગાંધીજીએ આફ્રિકન લોકો માટે ‘કાફિર’ જેવો હીણો શબ્દપ્રયોગ કર્યો હતો. આ પિટિશનમાં ગાંધીજીની ભારતીય સંસ્કૃતિની વર્ણવ્યવસ્થાના સમર્થન તરીકે પણ ટીકા કરવામાં આવી છે. આ પિટિશનને એક હજારથી વધારે લોકોએ સમર્થન આપ્યું છે.
સ્થાનિક વિરોધ અને ઊહાપોહને જોઈને ત્યાંની સરકારે ઘાના યુનિવર્સિટીમાંથી ગાંધીજીની પ્રતિમાને હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ચોક્કસપણ અફસોસજનક છે, પણ વિરોધીઓ પ્રતિમાને કોઈ નુકસાન પહોંચાડે કે તેનું અપમાન થાય, એ પહેલાં વિવાદને શાંત પાડવા માટે સરકારે આવો નિર્ણય કર્યો હશે, એવું સમજી શકાય.

ગાંધીજીની વિશ્વમાં એટલી પ્રતિમાઓ છે કે ક્યાંકથી પ્રતિમા હટાવી લેવાય, એનાથી તેમની પ્રતિષ્ઠાને કોઈ મોટો ફરક પડી જવાનો નથી. એટલે અફસોસ પ્રતિમા હટાવવા કરતાં પણ ગાંધીજી અંગે જે ગેરસમજ ઊભી થઈ, તે માટે કરવો જોઈએ. ગાંધીજીએ આફ્રિકન લોકો માટે ‘કાફિર’ શબ્દ લખેલો, એનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી, પરંતુ આ શબ્દપ્રયોગ જે જમાનામાં થયો હતો, ત્યારે એને આજના જેટલો અપમાનજનક કે વાંધાજનક માનવામાં આવતો નહોતો. (કદાચ એટલે તો ત્યાંના અખબારે પણ છાપ્યો હતો.) આફ્રિકાનો ઇતિહાસ જોઈએ તો અરબના જે મુસ્લિમ વેપારીઓ આફ્રિકામાં વ્યવસાય અર્થે આવતાં તેઓ આફ્રિકાના મૂળ નિવાસી જૂલુ લોકો માટે કાફિર શબ્દ વાપરતા હતા. ત્યાર પછી આ પ્રદેશોમાં સ્થાયી થયેલા યુરોપિયન લોકોએ પણ અજાણ્યે જ આ શબ્દ બોલવા લાગેલા. જેમ કોલંબસે અમેરિકાના મૂળ નિવાસીઓને ઇન્ડિયન માનેલા અને તેઓ રેડ ઇન્ડિયન તરીકે આજે પણ જાણીતા છે, એવું જ આફ્રિકન લોકો માટે કાફિર શબ્દનું થયેલું. ગાંધીજી આફ્રિકા ગયા એ પછી આશરે 85 વર્ષ પછી એટલે કે છેક 1976માં કાફર શબ્દને આફ્રિકામાં કાનૂની દૃષ્ટિએ વાંધાજનક અને દંડનીય ઠેરવવામાં આવ્યો હતો. આમ, ગાંધીજીના એક સદીજૂના શબ્દપ્રયોગને આધાર બનાવીને તેમનો વિરોધ કરવો બિલકુલ વાજબી નથી. પિટિશનમાં પ્રતિમા કોઈ આફ્રિકનની હોવી જોઈએ, એવી માગણીમાં સ્થાનિક અસ્મિતાના રાજકારણની ગંધ આવે છે. ખેર, જેની જેવી સમજ! સબ કો સન્મતિ દે ભગવાન!

(‘દિવ્ય ભાસ્કર’ની 12મી ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - મૂળ પ્રત)

Tuesday, October 11, 2016

જયપ્રકાશ નારાયણ : કાલીઘેલી વાતોના નહિ, પણ ક્રાંતિના લોકનાયક

દિવ્યેશ વ્યાસ


યુવાનીમાં આઝાદી આંદોલનમાં ઝુકાવનારા અને જીવનના ઉત્તરાર્ધમાં દેશની અવળે માર્ગે ચડી જઈને તાનાશાહીમાં ફેરવાતી લોકશાહીને ટકાવનારા નેતા તરીકે જયપ્રકાશ નારાયણ ખરા અર્થમાં 'ભારત રત્ન' હતા



બિહાર વિધાનસભાની ચૂંટણીની ચર્ચા સમગ્ર દેશમાં ચાલી રહી છે. બિહારની ચૂંટણીમાં વારંવાર લેવાતું એક નામ છે - જયપ્રકાશ નારાયણ, ટૂંકમાં જેપી. એક તરફના નેતાઓ ખુદને જેપીના શિષ્યો ગણાવી રહ્યા છે તો બીજી તરફનાં લોકો પણ જયપ્રકાશનું સપનું સાકાર કરવાનો દાવો કરી રહ્યા છે. અલબત્ત, ખુદને જેપીના શિષ્યો ગણાવનારા હોય કે જેપી માટે ભારોભાર માન હોવાનો દાવો કરનારા હોય, તમામને જેપીનાં નામે 'સારા' દેખાઈને મતો મેળવવા છે, બાકી લોકનાયક જયપ્રકાશ નારાયણે કલ્પેલી સંપૂર્ણ ક્રાંતિ અંગેની સમર્પણભરી સમજ કે પછી સંપૂર્ણ ક્રાંતિ માટે જરૂરી સંઘર્ષ આદરવાનું સાહસ ભાગ્યે જ કોઈનામાં શોધ્યું જડે એમ છે.

યુવાનીમાં આઝાદી આંદોલનમાં ઝુકાવનારા અને જીવનના ઉત્તરાર્ધમાં દેશની અવળે માર્ગે ચડી જઈને તાનાશાહીમાં ફેરવાતી લોકશાહીને ટકાવનારા નેતા તરીકે જયપ્રકાશ નારાયણ ખરા અર્થમાં 'ભારત રત્ન' હતા. ૧૯૭૦ના દાયકામાં દેશભરમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી અને રાજકીય અંધાધૂંધી પ્રવર્તતી હતી એવા માહોલમાં દેશના યુવાનો અકળાઈ ઊઠયા હતા. યુવાનોની અકળામણ અને આક્રોશની એ આગને યોગ્ય દિશા દઈને દેશહિતમાં વાળનારા જયપ્રકાશ જેવા નેતાની ખોટ આજે 'આંદોલનમય' ગુજરાતને પણ સાલી રહી છે ત્યારે ચાલો, આજે ૧૧મી ઓક્ટોબરે જયપ્રકાશ નારાયણના જન્મદિવસ નિમિત્તે તેમનાં વ્યક્તિગત કદ અને કાર્યક્ષેત્રની વિશાળતાની ઝલક મેળવવા સાથે તેમના ક્રાંતિકારી વિચારો વાગોળીએ ...


આજીવન રાજકીય ક્ષેત્રે સક્રિય અને લોકપ્રિય છતાં સત્તાનો મોહ તેમને ભાગ્યે જ ચળાવી શક્યો હતો. જયપ્રકાશના ક્રાંતિકારી જીવે તેમને ક્યારે ય સત્તાકારી બનવા જ ન દીધા. બાકી ભારતને હજુ આઝાદી નહોતી મળી ત્યારે જ તેઓ પોતાનાં વિચારો અને કાર્યોથી આંતરરાષ્ટ્રીય સ્તરે  ખ્યાતિ ધરાવતા હતા. ૧૯૪૨ના આંદોલન વખતે તેઓ 'યુવાહૃદય સમ્રાટ'નું બિરૂદ પામેલા. એક જમાનામાં જવાહરલાલ પછી ભારતના વડા પ્રધાન તરીકે તેમની જ યોગ્યતાનાં ગુણગાન ચારેકોર ગવાતાં હતાં. જેપી થોડીક 'વ્યાવહારિકતા' દાખવીને કોંગ્રેસમાં જ રહ્યા હોત તો વડા પ્રધાનપદ માટે તેમણે કોઈ ખાસ પ્રયાસો કરવાની જરૂર પડી ન હોત પણ તેમની દૃષ્ટિ ક્યારે ય ખુરશી-સત્તા તરફ રહી જ નહીં, દેશના આમ આદમીની ભલાઈ પર રહી અને તેઓ સામાન્ય જનતાની સેવા માટે અવિરત કાર્યરત રહ્યા. જેપી ક્રાંતિદૃષ્ટા હતા. જેપી ઝુઝારુ લડવૈયા ખરા પણ એ ઉપરાંત તેમનામાં બાહોશ સેનાપતિના ગુણો અને ચતુર મંત્રી તથા શાણા રાજા પેઠે દેશનું લાંબા ગાળાનું ભલું વિચારવાની કુનેહ પણ હતી અને એને કારણે જ તેઓ કાલીઘેલી ને ઠાલી વાતો નહિ ક્રાંતિના 'લોકનાયક' પુરવાર થયા હતા.

સ્વાતંત્રોત્તર ભારતમાં આંદોલનોનો ઇતિહાસ લખાશે ત્યારે જેપીનું સંપૂર્ણ ક્રાંતિનું આંદોલન સુવર્ણ અક્ષરે લખાશે. જેપીએ આદરેલું દરેક આંદોલન વિશાળ પટે ફેલાયેલું રહેતું, તે કદી એકાંગી જોવા ન મળે. જયપ્રકાશ નારાયણે જ્યારે બિહાર સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ચાલી રહેલા આંદોલનનું સુકાન સંભાળ્યું ત્યારે તેમણે માત્ર નેતાઓ અને સરકારી અધિકારીઓ જ ભ્રષ્ટ છે, એ દૃષ્ટિએ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને દરેક સ્તરેથી તેને દૂર કરવો જરૂરી છે, એવી દીર્ઘદૃષ્ટિ સાથે આંદોલન આગળ વધારેલું. બિહાર આંદોલન સંદર્ભે ગુજરાતે ગર્વ લેવા જેવી વાત એ છે કે ગુજરાતના યુવાનોએ મોંઘવારી અને ભ્રષ્ટાચાર બાબતે ચીમનભાઈ પટેલની સરકાર વિરુદ્ધ ચલાવેલા નવનિર્માણ આંદોલ થકી જેપીને આશા અને દિશા સાંપડેલી. નવનિર્માણ આંદોલનથી સફળતા બાદ દેશના યુવાનોમાં ચેતના વ્યાપી ગયેલી. ૧૯૭૪ના પ્રારંભમાં બિહારમાં પણ કોંગ્રેસી સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ પોતાની મેળે આંદોલન શરૂ કરેલું, જેની કુલ ૧૨ માગણીઓ હતી. આઠ માગણીઓ શિક્ષણ અને વિદ્યાર્થીઓને સંબંધિત હતી જ્યારે બાકીની ચાર માગણીઓ રાષ્ટ્રજીવન સંબંધિત હતી, જેમાં ભ્રષ્ટાચાર દૂર કરો, મોંઘવારી દૂર કરો, બેકારી દૂર કરો અને શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાની માગણી સામેલ હતી. બિહાર સરકારે વિદ્યાર્થી આંદોલનને લક્ષ્યમાં લીધું નહોતું અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર કાળો કેર વર્તાવ્યો હતો. લાઠીચાર્જ તો ઠીક ગોળીબારો પણ કરાયા હતા. જેપીની તબિયત સાથ નહોતી આપતી છતાં તેમણે વિદ્યાર્થીઓની વિનંતીઓ અને સરકારનાં અમાનુષી વલણ-વર્તન જોઈને આંદોલનનો દોર પોતાના હાથમાં સંભાળ્યો હતો.

તેમણે આંદોલન પૂર્ણપણે અહિંસક રાખવા માટે લોકો-યુવાનોનું ઘડતર શરૂ કરેલું. તેમણે પટનામાં મૌન સરઘસ યોજ્યું અને જાહેરસભામાં જે વાત કરેલી એ યાદ રાખવા જેવી છે, "આ શાંતિમય આંદોલનનો પ્રારંભ છે, હવે પછી આપણે સત્યાગ્રહની ભૂમિકામાં કામ કરવાનું છે. એક સરકાર જશે અને બીજી સરકાર આવશે તેટલા માત્રથી આપણું કામ સરવાનું નથી, એ તો ભૂત જશે અને પલીત જાગશે! માટે આપણે સમાજના રોગોનાં મૂળમાં જવાનું છે. હું તમારી સામે કાર્યક્રમ રજૂ કરીશ, પરંતુ આ લાંબી યાત્રા છે. આ કાંઈ અમુક પ્રધાનમંડળને ઊથલાવવાનું કામ નથી." અહિંસક આંદોલનની નીંભર સરકાર પર કોઈ અસર જ નહોતી જોવા મળતી, ઊલટું સરકાર તો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આંદોલનને કચડવા અને જેપીને બદનામ કરવા પર ઊતરી આવી હતી, આખરે જેપીને વિધાનસભા વિસર્જનની માગણી કરવાનું ઉપયુક્ત લાગ્યું હતું.

પાંચ જૂન, ૧૯૭૪ના રોજ પટણામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું. રાજ્યભરમાં લાખો લોકોએ વિધાનસભાનાં વિસર્જનનાં આવેદનપત્રો પર સહીઓ કરી હતી. સહી કરેલાં આવેદનપત્રોની એક આખી ટ્રક ભરાયેલી જે રાજ્યપાલને સોંપવામાં આવેલી ત્યાર બાદ જનસભામાં જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિનું એલાન કર્યું હતું. તેમણે પોતાનાં ભાષણમાં કહેલું કે "હવે આ સંઘર્ષ માત્ર વિદ્યાર્થીઓના બાર મુદ્દા પૂરતો અને સરકારની બરતરફી અને વિધાનસભાનાં વિસર્જન પૂરતો જ મર્યાદિત રહેતો નથી, આ હવે સમગ્ર જનતાની સંપૂર્ણ ક્રાંતિ માટે લડત બને છે." જેપીનું બિહાર આંદોલનથી સરકાર ઊથલવા જેવું દેખીતું મોટું પરિવર્તન નહીં આવેલું, પરંતુ આ આંદોલને દેશની ચેતનાને જગાડી હતી. દેશનો યુવાન સરકારના અનાચાર-ભ્રષ્ટાચાર સામે જાગ્રત થઈ ગયો હતો, જેણે કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીની ઊંઘ પણ હરામ કરી હતી.

જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિને સપ્તક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં સમાજનાં સર્વ અંગોના ઝડપી પરિવર્તનની આહ્લેક હતી, જેપી માત્ર રાજકીય પરિવર્તન જ નહીં, પરંતુ મૂલ્યોનું, મનોવૃત્તિનું, સંબંધોનું, માળખાનું પરિવર્તન ઇચ્છતા હતા. જેપીએ કહેલું કે "સાત પ્રકારની ક્રાંતિઓ મળીને એક સંપૂર્ણ ક્રાંતિ બને છે - સામાજિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, રાજનૈતિક ક્રાંતિ, સાંસ્કૃિતક ક્રાંતિ, વૈચારિક અથવા બૌદ્ધિક ક્રાંતિ, શૈક્ષણિક ક્રાંતિ અને નૈતિક કે આધ્યાત્મિક ક્રાંતિ. આ ક્રાંતિ શબ્દમાં પરિવર્તન અને નવનિર્માણ બંને અભિપ્રેત છે." આમ, જેપી જડમૂળમાંથી પરિવર્તન આવે એવી ક્રાંતિમાં માનનારા હતા.

સંપૂર્ણ ક્રાંતિના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા હતા, તેવામાં ઇન્દિરા ગાંધીએ ૨૬ જૂન, ૧૯૭૫ના રોજ દેશ પર કટોકટી લાદી. જયપ્રકાશ જેવા મોટા મોટા તમામ નેતાઓને રાતોરાત જેલભેગા કરી દેવામાં આવેલા, જો કે જયપ્રકાશે જગાવેલી આંદોલનની જ્યોતિને પ્રતાપે ઇન્દિરાજીએ ઝૂકવું પડયું અને કટોકટી હટાવીને ચૂંટણીઓ જાહેર કરવી પડી, જેમાં ઇન્દિરા ગાંધી ખરાબ રીતે હારી ગયેલાં. દેશમાં મોરચા સરકાર આવેલી, જે આંતરિક ડખાઓને કારણે લાંબું ટકી શકેલી નહીં અને જેપીનું ભ્રષ્ટાચાર નાબૂદીનું સપનું રોળાઈ ગયેલું.

જેપીનું આ સપનું સાકાર કરવાની દાનત આજે કોનામાં દેખાય છે?

(‘સંદેશ’ની 11 ઑક્ટોબર, 2015ની ‘સંદેશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Friday, October 7, 2016

માથે મેલુંના મુદ્દે બેશરમ તંત્ર-સમાજ સુધરશે?

દિવ્યેશ વ્યાસ


માથે મેલું જેવી અમાનવીય અને સામાજિક શરમસમી પ્રવૃત્તિની નાબૂદી કરાવવાની જરૂર છે. દશેરાના દિવસે દસથી પણ વધારે માથાંવાળા અસ્પૃશ્યતા-અમાનવીયતાના રાવણને હણવાની જરૂર છે. તમે તૈયાર છો?

(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

સંસદનું ચોમાસુ સત્ર પૂરું થયું પછી કેન્દ્ર સરકારે (વર્ષ 2013માં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર હતી.) હાશકારો અનુભવ્યો હશે, કારણ કે તે પોતાના માટે મતના ડુંગરા ખડા કરે એવાં બે વિધેયકો - ખાદ્ય સુરક્ષા વિધેયક અને જમીન સંપાદન વિધેયક પસાર કરાવવામાં આખરે સફળ થઈ હતી. આ મહત્ત્વાકાંક્ષી વિધેયકોની ચર્ચામાં અન્ય એક મહત્ત્વપૂર્ણ વિધેયકની ચર્ચા કોરાણે રહી ગઈ, ન સત્તાધારી પક્ષ કે ન તો વિપક્ષોમાંથી કોઈને એ વિધેયક માટે કોઈ ખાસ પરવા હતી, કારણ કે તેનાથી નહોતો ફાયદો કોઈ ચૂંટણી ભંડોળ છલકાવતી મલ્ટિનેશનલ કંપનીઓનો કે નહોતો કોઈ મોટી મતબેન્કનો. એટલે આખરે આ વિધેયકની નિયતિ પણ એ જે લોકો માટે ઘડાયું છે એમના જેવી થઈ!

આ વિધેયક માથે મેલું ઉપાડવા જેવી અમાનવીય અને સામાજિક શરમસમી પ્રવૃત્તિની નાબૂદી માટેનું અને આ પ્રવૃત્તિમાં જોડાયેલા લોકોના પુનર્વસનનું છે. આ વિધેયકનું પૂરું નામ છે - ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન બિલ, ૨૦૧૨. ૬ સપ્ટેમ્બર, ૨૦૧૩ ને શુક્રવારના રોજ આ વિધેયક લોકસભામાં પસાર કરાયું અને બીજા દિવસે એટલે કે શનિવારે તેને રાજ્યસભામાંથી પણ પસાર કરી દેવાયું. ધ એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ડ્રાઇ લેટ્રીન્સ (પ્રોહિબિશન) એક્ટ, ૧૯૯૩ને બદલે હવે આ નવી-સુધારેલી જોગવાઈઓ સાથેનો કાયદો અમલમાં આવશે. જૂના કાયદાની જગ્યાએ આવેલો નવો કાયદો ચોક્કસ કેટલીક આવકાર્ય જોગવાઈઓ ધરાવે છે, છતાં કાયદાકીય જાણકારો અને દલિત અધિકારો માટે વર્ષોથી કાર્યરત સામાજિક કાર્યકરોના મતે આ વિધેયકમાં ઠેર ઠેર 'કન્ડિશન એપ્લાય'વાળી ફુદરડીઓ નજરે પડે છે, જેના કારણે માથે મેલું ઉપાડનારા અને સફાઈ કામદારોનાં જીવનમાં રાતોરાત કંઈ પરિવર્તનનો પ્રકાશ વ્યાપી જશે, એવું માનીને રાજી થવા જેવું નથી.

૧૯૯૩ના કાયદા કરતાં આ નવા કાયદામાં સજાની જોગવાઈ કડક કરવામાં આવી છે. માથે મેલું ઉપાડવાની પ્રવૃત્તિ કરાવનાર સામે હવે ક્રિમિનલ કેસ થશે અને એ બિનજામીનપાત્ર ગુનો ગણાશે. વળી, સજાની જોગવાઈ પણ વધારવામાં આવી છે. બે વર્ષની કેદ કે વધુમાં વધુ ૫૦,૦૦૦નો દંડ અથવા તો બન્નેની સજા ફટકારી શકાશે. કોઈ વ્યક્તિએ મેન્યુઅલી સાફ કરવાં પડે એવાં સૂકાં શૌચાલયોના બાંધકામ પર જ પ્રતિબંધ છે અને એવાં હયાત શૌચાલયોને તોડી પાડવાની વાત પણ કરવામાં આવી છે. મેન હોલમાં ઊતરીને સફાઈ કરવાની થતી હોય ત્યાં જરૂરી સુરક્ષાનાં સાધનો અને માસ્ક વગેરે પૂરાં પાડવાની પણ ફરજ પાડવામાં આવી છે. વળી, અત્યારે જે લોકો આ વ્યવસાયમાં છે, તેમના માટે વૈકલ્પિક રોજગારીનું નિર્માણ કરીને તેમનું પુનર્વસન કરવાની પણ આવકારદાયક બાબતોનો સમાવેશ કરાયો છે, છતાં ખાટલે મોટી ખોટ એ છે કે તેમાં રેલવે સહિતનાં સરકારી તંત્રો અને નિગમોને પહેલેથી જ કેટલીક છૂટછાટ આપી દેવામાં આવી છે, જે આ કાયદાની હવા કાઢી નાખવા માટે પૂરતી છે.

જો સરકારી તંત્રોમાં જ આનો અમલ કરવામાં ઢીલાશ રાખવામાં આવશે તો પછી ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિગત ધોરણે તો તમે કઈ રીતે ચુસ્ત અમલ કરાવી શકવાના? બીજો મોટો મુદ્દો એ છે કે આ કાયદાના અમલીકરણ અને તેની દેખરેખની જવાબદારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર જ છોડી દેવામાં આવી છે. સ્થાનિક તંત્ર પોતે જ આ અંગે સર્વે કરશે, એનો અહેવાલ બનાવશે અને તેના પર કાર્યવાહી કરશે, એવી વ્યવસ્થા છે. હવે કયું તંત્ર સામેથી ગુનો કબૂલશે, એને સુધારવાની તસ્દી લેશે કે સજા ભોગવશે? ગુજરાતમાં હાઈકોર્ટના ચુકાદા છતાં પણ આજે ય સફાઈ કર્મચારીઓ મેઇન હોલમાં ડૂબી કે ગૂંગળાઈને કમોતે મરી રહ્યા છે. એ કર્મચારીના પરિવારને વળતરની વાત તો દૂર રહી પણ આ મામલે ખાનગી કોન્ટ્રાક્ટો પર નિર્ભર બનેલું સરકારી તંત્ર પાછું શાણું થઈને પોતાનો બચાવ કરતું હોય છે અને આવી કોઈ સ્થિતિ હોવાનો ઇનકાર કરતું હોય છે. ગરીબી ઘટયાનું સાબિત કરવા માટે બીપીએલ કાર્ડ ઇશ્યૂ ન કરતાં રીઢા તંત્ર પાસે આ કાયદાના અમલ માટે કેટલી આશા રાખી શકાય, એ યક્ષપ્રશ્ન છે.

વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર દેશમાં ૭,૫૦,૦૦૦ એવા પરિવારો છે, જે મેલું ઉપાડવાના અમાનવીય વ્યવસાયમાં સંકળાયેલા છે. વળી, માથે મેલું ઉપાડનારામાં ૯૮ ટકા તો મહિલા જ હોય છે, જે દલિતોમાં પણ પછાત કે અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિમાંથી આવતી હોય છે. આ ઉપરાંત આપણાં મોટા ભાગની ગટર વ્યવસ્થા અને તેની સાફ-સફાઈની પદ્ધતિ આજે પણ જરીપુરાણી છે અને એટલે ગંધાતી ગટરને સાફ કરવા માટે સફાઈકર્મીઓએ મેઇન હોલમાં ઊતરવું પડે છે, જે માથે મેલું ઉપાડવા કરતાં ક્યાંક વધારે જોખમી અને દુષ્કર હોય છે. ઈ-ગવર્નન્સની શેખીઓ મારતી સરકારોને ગટર સાફ કરવાનાં આધુનિક સાધનો વસાવવાનું કેમ સૂઝતું નહીં હોય? આપણે આધુનિક સમાજ હોવાનો ગર્વ અનુભવીએ છીએ, પણ આપણી વર્ણવ્યવસ્થાથી પેદા થયેલી અસ્પૃશ્યતાએ અમુક વર્ગ માટે સર્જેલી અમાનવીય સ્થિતિ બાબતે લાપરવા છીએ. કાયદાની જરૂર ત્યારે પડે જ્યારે સમાજને તે અંગે સભાનતા ન હોય અને આવી સ્થિતિમાં કાયદો જરૂરી હોય ત્યારે એ કાયદો કલ્યાણકારી, સ્પષ્ટ અને છટકબારી વિનાનો હોવો જોઈએ.

દશેરાના દિવસે દસથી પણ વધારે માથાંવાળા અસ્પૃશ્યતા-અમાનવીયતાના રાવણને હણવાની જરૂર છે. તમે તૈયાર છો?

(‘સંદેશ’ની 6 ઑક્ટોબર, 2013ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, October 5, 2016

એસિડ એટેક વિ. આર્ટ એક્ટ

દિવ્યેશ વ્યાસ


એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓ ઉપરાંત સમગ્ર સમાજ માટે સંદેશો આપતી કૉમિક બુક ‘પ્રિયાઝ મિરર’ એક કાબિલેદાદ પ્રયાસ છે


(તસવીરો પ્રિયાઝ મિરરની અધિકૃત વેબસાઇટ પરથી મેળવી છે)

ભારત નં.1 દેશ બને, એ તો આપણા સૌનું સપનું છે, પરંતુ આપણો દેશ આજેય કેટલીક એવી બાબતોમાં નંબર વન છે, જેના માટે આપણું શીશ શરમથી ઝૂકી શકે છે. તમને જાણીને આઘાત લાગી શકે કે મહિલાઓ પર થતાં એસિડ એટેકની બાબતમાં ભારત વિશ્વમાં પહેલા નંબરે આવે છે. દુનિયામાં થતાં કુલ એસિડ એટેકમાંથી સૌથી વધારે આપણા દેશમાં થઈ રહ્યા છે અને દુખદ વાત એ છે કે તેમાં સતત વધારો થતો જાય છે. વર્ષ 2011માં ભારતમાં એસિડ એટેકના 83 કેસ નોંધાયા હતા, પરંતુ એ આંકડો 2015માં ઉછળીને 349 થઈ ગયો હતો. દેશમાં એસિડ એટેકના વધતાં કેસને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એસિડના વેચાણ પર નિયંત્રણો મૂકવાનો આદેશ આજથી ત્રણ વર્ષ અગાઉ આપેલો છે, છતાં સ્થિતિમાં જોઈએ એવો સુધારો જોવા મળતો નથી.

સ્ત્રીઓ પર થતાં અત્યાચારોમાં એસિડ એટેકને બળાત્કાર કરતાં પણ વધારે ક્રૂર, અમાનવીય અને ઘાતક માનવામાં આવે છે. એસિડ એટેકનો ભોગ બનેલી યુવતી પોતાનો મૂળ દેખાવ કે ચહેરાની ઓળખ ગુમાવી બેસે છે. કેટલાક કિસ્સાઓમાં તો તેની આંખો બળી જવાથી અંધાપો પણ આવી જાય છે. સારવારમાં, ખાસ કરીને પ્લાસ્ટિક સર્જરીના અનેક ઑપરેશન્સ જરૂરી બને છે, જેમાં લાખો રૂપિયા ખર્ચાય છે, જે પીડિતાના પરિવારને આર્થિક રીતે બરબાદ કરી નાખે છે. (નોંધ. સરકાર એસિટ એટેકની પીડિતાને વળતર પેટે રૂ. 3 લાખ ચૂકવે છે, જ્યારે શ્રેણીબદ્ધ પ્લાસ્ટક સર્જરીનો ખર્ચ 35થી 50 લાખ થઈ જતો હોય છે.) ગમે તેટલી સારવાર પછી પણ યુવતીનો મૂળ દેખાવ કે ચહેરો તો પાછો લાવી શકાતો નથી. એસિડ એટેકની નિશાનીઓ આજીવન તેના ચહેરા પર અંકિત થઈ જાય છે, જે તેને સમાજમાં સામાન્ય જીવન જીવવા દેતી નથી. પુરુષવાદી સમાજમાં એસિડ હુમલાનો ભોગ બનનારી યુવતી માટે ફરી હસીખુશીથી જિંદગી જીવવી કે આજીવિકા રળવી અશક્યવત્ અઘરું થઈ પડતું હોય છે.


યુવતીઓ પર થઈ રહેલા એસિડ એટેક પુરુષના ક્રોધ અને ક્રૂરતા ઉપરાંત તેના અહંકારનું આત્યંતિક પરિણામ હોય છે. સ્ત્રીની ‘ના’ નહીં સહી શકનારા પુરુષોનો અહં ઘવાય છે, ત્યારે તે હિંસક સ્વરૂપ ધારણ કરે છે. ‘તું મારી ન થઈ શકે તો બીજા કોઈની પણ નહીં થવા દઉં’, ‘તને બરબાદ કરી દઈશ’, ‘તારી જિંદગી નર્ક બનાવી નાખીશ’ એવા વિચારો કે વાતો જ્યારે દેખાડી દેવાની હદે તીવ્ર બને છે ત્યારે એસિડ એટેક સર્જાય છે, જે યુવતીના જીવનની સાથે તેના પરિવારને પણ બેહાલ કરી મૂકતા હોય છે.

2012માં દિલ્હી ગેંગરેપની ઘટના પછી રામ દેવીનેની નામના ફિલ્મમેકરને બળાત્કાર પીડિતાને જ સુપરહીરોના સ્વરૂપે દર્શાવીને આ સમસ્યાનો સર્જનાત્મકતાથી સામનો કરવાનો વિચાર આવ્યો અને તેણે ડેન ગોલ્ડમેન સાથે મળીને ‘પ્રિયા શક્તિ’ નામની એક કોમિક બુક તૈયાર કરી, જેને દેશ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બહુ પ્રશંસા સાંપડી હતી. રામભાઈએ હવે ‘પ્રિયા શક્તિ’ શ્રેણીની બીજી કૉમિક બુક તૈયાર કરી છે, જેનું નામ છે - ‘પ્રિયાઝ મિરર’. આ કૉમિક બુક એસિડ એટેકની પીડિતાઓના પુનર્વસનનો સંદેશ લઈને આવી છે. આ કૉમિક બુકનું લૉન્ચિંગ ન્યૂ યૉર્ક ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન લિંકન સેન્ટર ખાતે બીજી ઑક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે જ કરાયું.

‘પ્રિયાઝ મિરર’ પણ ‘પ્રિયા શક્તિ’ની જેવી જ પૌરાણિક કથા આધારિત પાત્રોને સામેલ કરીને એસિડ એટેક અને તેની પીડિતાઓની વ્યથા તેમજ કઈ રીતે તેઓ તેમાંથી બહાર આવી શકે, એની વાત કરે છે. ‘પ્રિયાઝ મિરર’માં નામ પ્રમાણે જ પ્રિયા એવો અરીસો લઈને આવે છે, જે એસિડ એટેકની પીડિતાઓને પોતાની વાસ્તવિકતાને સ્વીકારી-પચાવીને, પોતાની જિંદગી આનાથી પણ વિશેષ છે, એવો સુંદર સંદેશ પાઠવે છે. આ કૉમિક સમાજ સામે પણ અરીસો ધરે છે.

ક્રૂરતા વિરુદ્ધ ક્રિએટિવિટીનો આ સંઘર્ષ ખરેખર મનનીય અને પ્રશંસનીય છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 5મી ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)
(આ કૉમિક બુક ચાર ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને ફ્રીમાં ડાઉનલોડ કરવા
ક્લિક કરો આ લિંક - http://www.priyashakti.com/ )

Wednesday, September 28, 2016

આ દુશ્મનનો ખાતમો જરૂરી

દિવ્યેશ વ્યાસ


દર વર્ષે સેંકડો દેશવાસીઓ મલેરિયા સહિતની મચ્છરજન્ય બીમારીઓને કારણે જીવ ગુમાવે છે. તેની સામે યુદ્ધે ક્યારે ચડીશું?


(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે.)

ઉરી હુમલામાં દેશના 18 જવાનો શહીદ થયા પછી દેશમાં પાકિસ્તાન પ્રત્યેનો આક્રોશ ચરમ પર પહોંચી ગયો છે. આ માહોલમાં લોકોને પૂછવામાં આવે કે દેશનો સૌથી મોટો દુશ્મન કોણ? તો 90 ટકાથી વધારે લોકો પાકિસ્તાનનું જ નામ આપશે. બની શકે કે બે-પાંચ ટકા દબાતી જીભે ચીનનું નામ પણ દઈ દે. મોટાભાગના લોકો પાકિસ્તાન પર યુદ્ધ કરીને તેને પાઠ ભણાવવા તલપાપડ છે, પરંતુ પાકિસ્તાન કરતાં પણ વધારે ખતરનાક દુશ્મનો અંગે આપણે ભારોભાર દુર્લક્ષ્ય દાખવતા આવ્યા છીએ. પાકિસ્તાન સરહદ પર ગમે તેટલાં અળવીતરાં કરે કે મોકો મળે ત્યારે પઠાણકોટ કે ઉરી જેવા હુમલાઓને અંજામ આપે છતાં હકીકત એ છે કે ભારત જેવા વિરાટ અને વિકાસમાન દેશનું તે કંઈ બગાડી શકવા સક્ષમ નથી, જ્યારે બીજા કેટલાક દુશ્મન તો એવા છે, જે દર વર્ષે સેંકડો દેશવાસીઓને કમોતે મારે છે અને દેશના અર્થતંત્રને પણ કરોડોનો ચૂનો લગાડે છે. આ દુશ્મનો એટલે મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં માથું ઊંચકતા આ રોગરાક્ષસો સામે આપણું લોહી કેમ નથી ઉકળતું? આપણી ચર્ચાઓમાં સરહદની ચિંતા જેટલી ઝળકે છે, એટલી આપણાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની કથળેલી હાલતની ચિંતા વ્યક્ત થતી નથી. સરહદની ચિંતા જરૂર કરીએ, પણ સ્વાસ્થ્ય બાબતે બેદરકાર ન બનવું જોઈએ. આપણી બેદરકારી-બેપરવાહીને કારણે જ આરોગ્યના મુદ્દે આપણાં તંત્રો અને સરકારો પણ જોઈએ એટલી સભાન-સક્રીય જોવા મળતી નથી. પરિણામ એ આવ્યું છે કે હેલ્થ ઇન્ડેક્સમાં 188 દેશોમાં ભારતનો ક્રમ બહુ પાછળ 143મો આવ્યો છે.

આજકાલ દેશમાં આરોગ્યની સ્થિતિ એટલી કથળી છે કે દિલ્હી હાઈકોર્ટે હોસ્પિટલોને આદેશ આપવો પડ્યો છે કે પથારીના અભાવે પણ દર્દીઓને પાછા ન કાઢવા! ડેન્ગ્યૂ અને મલેરિયાનો પ્રકોપ આજકાલ આપણા દેશવાસીઓના જીવનો દુશ્મન બન્યો છે. એક અહેવાલ અનુસાર આ વર્ષે દેશમાં અત્યાર સુધીમાં મલેરિયાના 8 લાખ કેસો સામે આવ્યા છે, એટલું જ નહીં, પરંતુ આશરે સવાસો લોકોએ મલેરિયાને કારણે જીવ ખોયા છે. દેશની 95 ટકા વસ્તી સુધી મલેરિયાના મચ્છરોનું ન્યૂસન્સ ફેલાયેલું છે. દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં નિદાન અને સારવારના અભાવે લાખો લોકો મલેરિયાથી પીડાય છે. મલેરિયાની સૌથી કષ્ટદાયક હકીકત એ છે કે તે આપણાં નવજાત શિશુઓ અને સગર્ભા માતાઓને સૌથી વધુ શિકાર બનાવે છે.

સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) આપણા પાડોશી દેશ શ્રીલંકાને મલેરિયામુક્ત રાષ્ટ્ર જાહેર કર્યું હતું. વર્ષ 2012 પછી શ્રીલંકામાં મલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી. 1960ના દાયકામાં મલેરિયાથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાંના એક એવા શ્રીલંકાએ રાજકીય-વહીવટી પ્રતિબદ્ધતા થકી મલેરિયામુક્તિ હાંસલ કરી લીધી છે. ભારત કરતાં વિસ્તાર અને વિકાસની દૃષ્ટિએ ટચૂકડો એવો શ્રીલંકા મલેરિયામુક્ત બનવાની સિદ્ધિ હાંસલ કરી શક્યો છે, જ્યારે ભારતમાં સ્થિતિ ઊલટી છે. દેશમાં વર્ષ 2012માં મલેરિયાને કારણે 519 લોકોનાં મોત થયાં હતાં, જે આંકડો ઘટવાને બદલે 2014માં વધીને 562 થયો હતો.

ભારતમાં ઈ.સ. 1953થી મલેરિયા વિરુદ્ધ કાર્યક્રમ ચાલે છે, સમયાંતરે તેનાં નામો બદલાય છે, પરંતુ પરિસ્થિતિ બદલાતી નથી. આરોગ્ય એ રાજ્ય સરકારનો વિષય છે. રાજ્ય સરકારો કેન્દ્ર પાસેથી ફંડ ન મળતું હોવાનાં રોદણાં રડે છે, પરંતુ તાજેતરમાં આંકડા જારી થયા છે કે 2015-16માં રાજ્યોને મચ્છરજન્ય રોગોના સામના માટે 620 કરોડ ફાળવાયા હતા, પરંતુ તેમાંથી માત્ર 259 કરોડ જ વપરાયા છે, બાકીનાં નાણાં પડ્યાં રહ્યાં છે. હવે બોલો, આ રીતે મલેરિયાથી મુક્તિ ક્યારે મળશે? મિલિટન્ટ જેટલો જ આક્રોશ મલેરિયા સામે પેદા થાય તો વાત બને!

(‘દિવ્ય ભાસ્કર’ની 28 સપ્ટેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, બિનસંપાદિત)

Wednesday, September 21, 2016

વહાલો લાગે છે વાદળી રંગ!

દિવ્યેશ વ્યાસ



એક રિસર્ચ અનુસાર  ઇન્ટરનેટ પર વાદળી રંગની બોલબાલા છે. વાદળી રંગ પર વહાલનાં કારણો જાણો છો?


(કોલાજ ‘દિવ્ય ભાસ્કર’ના ડિઝાઇનર શોએબ મન્સુરીએ તૈયાર કરેલું છે)

ગુજરાતી ભાષાનાં નિતાંત સ-રસ પુસ્તકોમાંનું એક એટલે ‘શિયાળાની સવારનો તડકો’. વાડીલાલ ડગલીના આ નિબંધસંગ્રહના પહેલા જ નિબંધનું શીર્ષક છે - ‘આકાશ બધે આસમાની છે’. પૃથ્વી પર આમ પણ વાદળી રંગનું પ્રભુત્વ રહ્યું છે. બ્રહ્માંડના ગ્રહો પર નજર નાખીશું તો તેમાં પૃથ્વી પોતે જ વાદળી રંગની જોવા મળશે! વાદળી રંગનો પ્રભાવ આપણા પર એટલો બધો છે કે આપણા આદિદેવ શિવ પણ વાદળી રંગના જ દર્શાવાય છે, એટલું જ નહીં, વિષ્ણુ ઉપરાંત તેમના અવતાર મનાતા શ્રીરામ અને શ્રીકૃષ્ણને પણ આપણે વાદળી રંગના જ ભજીએ છીએ. આમ, વાદળી રંગ પ્રત્યેનું વહાલ પૌરાણિક કાળથી ચાલ્યું આવે છે અને આજે પણ અકબંધ છે! તાજેતરમાં ઇન્ટરનેટ પર વેબસાઇટ્સમાં વપરાતા રંગો પર એક સંશોધન હાથ ધરાયું હતું, જેમાં વાદળી રંગની બોલબાલા જોવા મળી છે.

વાત એમ છે કે પૉલ હેબર્ટ નામના ડિઝાઇનરે ઇન્ટરનેટ પરની સૌથી લોકપ્રિય એવી દસ વેબસાઇટ્સનો રંગની દૃષ્ટિએ અભ્યાસ કર્યો. આ વેબસાઇટ્સના હોમપેજ અને સ્ટાઇલશીટમાં વાપરવામાં આવેલા રંગો અને તેના શેડ્સનું વિસ્તૃત વિશ્લેષણ કરતાં તેને જોવા મળ્યું કે મોટા ભાગની વેબસાઇટ્સ વાદળી રંગને પસંદ કરે છે અને પ્રાધાન્ય આપે છે. લાલ અને પીળા કરતાં વાદળી રંગનો બે ગણો વધારે ઉપયોગ જોવા મળે છે, તો લીલા રંગ કરતાં તો વાદળી રંગ ત્રણ ગણો વધારે વપરાતો હોવાનું જોવા મળ્યું છે. આમ તો ઇન્ટરનેટ પર 47 લાખથી વધારે વેબસાઇટ્સ છે, તેની સામે માત્ર 10 વેબસાઇટ્સનો નમૂનો બહુ નાનો જ કહેવાય, છતાં આ 10 વેબસાઇટ્સમાં ગૂગલ, યુટ્યૂબ, ફેસબુક, બૈદુ (ચીનની સોશિયલ સાઇટ), યાહૂ, વિકિપીડિયા, એમેઝોન, ટ્વિટર વગેરેનો સમાવેશ થાય છે. આમાંની કેટલીક વેબસાઇટ્સનો દબદબો તો એટલો બધો છે કે તે ઇન્ટરનેટના પર્યાય સમાન જ ગણાય છે! આમ, ઇન્ટરનેટ પર વાદળી રંગ છવાયેલો છે, એવું ચોક્કસ કહી શકાય. વાડીલાલ ડગલીના નિબંધના શીર્ષકની તર્જ પર એવું પણ કહેવાનું મન થાય કે ઇન્ટરનેટ બધે આસમાની છે!


વાદળી રંગ પ્રત્યેનું વહાલ ઇન્ટરનેટ ઉપરાંત કપડાંથી લઈને કોર્પોરેટ વર્લ્ડ સુધી વિસ્તરતું જ રહે છે. યુવાનોમાં જીન્સની લોકપ્રિયતા હવે આસમાને પહોંચી છે અને જીન્સમાં તો પહેલેથી આસમાની-વાદળી રંગ જ સૌથી વધારે પોપ્યુલર રહ્યો છે. જીન્સ પહેરનાર ભાગ્યે જ હશે, જેની પાસે બ્લૂ જીન્સ ન હોય. કોર્પોરેટ ક્ષેત્રે પણ લોગોથી માંડીને ફર્નિચરમાં બ્લૂ શેડ્સ વધારે પસંદગી પામી રહ્યા છે. હવે તો માર્કેટિંગના ક્ષેત્રમાં પણ રંગોની બહુ મોટી ભૂમિકા સ્વીકારવામાં આવી છે. મનોવિજ્ઞાનના આધારે કેમ્પેઇનમાં રંગોની પસંદગી કરવામાં આવતી હોય છે. બજારનું મનોવિજ્ઞાન કહે છે કે વાદળી રંગ પહેરનારા પ્રામાણિક અને વિશ્વાસપાત્ર હોવાની છાપ પેદા થતી હોય છે અને એટલે જ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ કે બેન્કકર્મી માટે વાદળી કે તેના જુદા જુદા શેડ્સના રંગોનાં વસ્ત્રો પહેરવાનો આગ્રહ રખાતો હોય છે.


આકાશનો રંગ વાદળી છે અને એટલે આ રંગ સાથે આપોઆપ વિશાળતા પણ જોડાઈ જતી હોય છે. વાદળી રંગ સર્વસમાવેશકતાનો પણ ભાવ ધરાવે છે અને એટલે દલિત આંદોલનો અને દલિત રાજકારણ કરનારા પક્ષો પણ પોતાના ધ્વજ અને ચિહ્્નોમાં વાદળી રંગ પર પસંદગી ઉતારતા હોય છે. વાદળી રંગ આક્રમક રંગ નથી તથા તે સુખદાયક, શાંતિ અને સ્થિરતાનો રંગ ગણાય છે. ફેંગશૂઈમાં વાદળી રંગ પ્રગતિ અને સકારાત્મક પરિવર્તનનો રંગ મનાય છે. વાદળી રંગ પૃથ્વી પર જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં 70 ટકા પાણીનો ભાગ હોય છે ત્યારે વાદળી રંગ પ્રત્યે વહાલ ન ઊપજે તો જ નવાઈ!



(‘દિવ્ય ભાસ્કર’ની 21મી સપ્ટેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, September 14, 2016

ચાર પત્રોના ચોકઠામાં સ્ત્રી

દિવ્યેશ વ્યાસ


લેખિત પત્રો હવે દુર્લભ બન્યા છે, એવા સમયમાં ચાર પત્રોએ બહુ ચર્ચા જગાવી છે


(તસવીર અમિતાભ બચ્ચનના ટ્વીટર એકાઉન્ટ પરથી લીધી છે.)

મોબાઇલ SMS અને વૉટ્સએપ મેસેજીસના પૂરમાં લેખિત પત્રો હવે જુનવાણી જણસ બની ગયા છે. પત્રલેખનની કળા હવે મીડિયામાં પ્રકાશિત થતાં ખુલ્લા પત્ર પૂરતી સીમિત થઈ ગઈ છે. કોઈનો હાથેથી લખેલો પત્ર આપણને મળે, એ ઘટના દુર્લભ બની ગઈ છે એવામાં તાજેતરના દિવસોમાં ચાર પત્રો મીડિયામાં ચમક્યા છે. નોંધનીય એ છે કે આ ચારેય પત્રોના કેન્દ્રમાં સ્ત્રી છે!

સૌથી પહેલા વાત કરીએ હિંદી સિનેમાના શહેનશાહ અમિતાબ બચ્ચને પોતાની પૌત્રી-દોહિત્રીને લખેલા પત્રની. બચ્ચને આ પત્ર તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે લખ્યો હોવાની આશંકા અને આક્ષેપોમાં ચોક્કસ દમ છે, છતાં પત્રમાં તેમણે જે વિચારો વ્યક્ત કર્યા છે, તે પ્રેરક છે. બચ્ચનદાદાના પત્રમાં નોંધનીય બાબત એ ઊપસી આવી છે કે ઉચ્ચ-આધુનિક વર્ગની, હાઇ સોસાયટીની અને પ્રતિષ્ઠિત પરિવારની દીકરી હોવા છતાં સમાજ તો તેને એક યુવતી કે સ્ત્રીની જ નજરે જોતો હોય છે અને એટલું જ નહીં તેના પર પોતાના વિચારો-બંધનો લાદતો હોય છે. બચ્ચન રૂઢીમાં કે જ્યોતિષમાં માનતા હશે, એની ના નહીં, છતાં મહિલાઓ અને તેમની સ્વતંત્રતા અંગેના તેમના વિચારો ઘણા આધુનિક છે અને એટલે જ તેમનો પત્ર દરેક દીકરી માટે વાંચનીય રહ્યો. (બચ્ચનના હસ્તાક્ષરમાં આ પત્ર વાંચવા ક્લિક કરો આ લિંકhttp://indianexpress.com/article/entertainment/bollywood/amitabh-bachchan-letter-to-aaradhya-navya-naveli-is-a-must-read-for-every-girl-3014245/ )

બીજો પત્ર હરિયાણાની ગાયક-નર્તક સપના ચૌધરીનો છે અને તે સુસાઇડ નોટ તરીકે લખાયો છે! હરિયાણા જ નહીં પરંતુ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ લોકપ્રિય એવી સપનાએ ગત ફેબ્રુઆરી મહિનામાં ચકકરપુર ગામે એક કાર્યક્રમમાં લોકોની ડિમાંડ પર ‘બિગડ્યા’ નામની રાગિણી (ગીત) ગાયલી, જેમાં જાતિસૂચક ઉલ્લેખો હતાં. આ ગીત ગાવા બદલ તેના વિરુદ્ધ એટ્રોસિટીનો કેસ નોંધાયો હતો. જોકે, સપનાએ આ ગીત 40 વર્ષ પહેલાં લખાયેલું અને અનેક લોકો દ્વારા ગવાયેલું હોવાનો બચાવ કરવા સાથે જાહેરમાં માફી માગી લીધેલી છતાં તેનો ઉગ્ર વિરોધ જારી રહ્યો હતો. સપનાએ સુસાઇડ નોટમાં લખ્યું છે, ‘મને માફ કરવાનું તો દૂરની વાત તેણે (સપના વિરુદ્ધ કેસ કરનાર) મારા ચારિત્ર્ય અંગે પણ ખોટી-ગંદી વાતોનો પ્રયોગ કર્યો અને પોતાની ફેસબુક આઈડી પર બહુ જ અશ્લીલ શબ્દોનો ઉપયોગ મારા વિશે કર્યો. જેમકે, નચનિયા, વેશ્યા, જિસ્મ વેચનારી, આની જગ્યા તો પાકિસ્તાનમાં છે, આણે હરિયાણાને બદનામ કર્યું છે.’ ગાતી-નાચતી સ્ત્રીને જોઈને મોજમાં આવી જનારા પુરુષો જાણે આવી સ્ત્રીને ભરપેટ ભાંડવાની તકની રાહ જ જોતાં હોય છે, એ અસહ્ય વાસ્તવિકતાને આ પત્રે ખુલ્લી પાડી છે. સ્ત્રી સાથે વાંધો પડતાં સીધો તેના ચારિત્ર્ય પર જ હુમલો  કરવાની ગંદી માનસિકતામાંથી પુરુષ ક્યારે બહાર આવશે? (સપના ચૌધરીની સ્યુસાઇડ નોટ  વાંચવા ક્લિક કરો આ લિંક http://www.sapnaharyanvi.in/sapna-dancer-death-news-suicide-letter-is-sapna-chaudhary-alive-or-not-read-full-story-in-hindi.html )


ત્રીજો પત્ર પાકિસ્તાનની એક બલુચ દીકરી હનીનો છે, જેના પિતા અબ્દુલ વાહિદ બલુચનું જુલાઈ મહિનામાં અપહરણ કરાયું હતું અને આજદિન સુધી તેમનો કોઈ અત્તોપત્તો નથી. હનીનો પત્ર પાકિસ્તાની મીડિયામાં બહુ ચર્ચિત બન્યો છે. દીકરીએ હૃદયવિદારક પત્રમાં લખ્યું છે, ‘પપ્પા તમે મને બધું જ શીખવાડ્યું, પરંતુ તમારા વિના રહેતા નહોતું શીખવ્યું!’ આ પત્ર આંખ ભીની ન કરે તો જ નવાઈ! (હનીનો પત્ર વાંચવા ક્લિક કરો આ લિંક http://www.dawn.com/news/1282017/papa-im-sorry-i-am-your-useless-daughter)

ચોથો અને આખરી પત્ર એક મહિલા પ્રશંસકનો છે, જેણે એરપોર્ટ પર મળી ગયેલા સુનિલ ગ્રોવરને ઉતાવળે ટિશ્યૂ પેપર પર લખીને આપ્યો હતો. ટૂંકા પત્રમાં લખ્યું છે, ‘છેલ્લા છ મહિના બહુ કપરા નીકળ્યા. મેં મારા એકના એક દીકરાને કેન્સરને કારણે ગુમાવી દીધો. એ મુશ્કેલ સમયમાં પણ તેં અમને હસાવ્યા. આભાર!’ એક સારો કલાકાર કઈ રીતે જાણ્યે-અજાણ્યે લોકોના જીવનને સુખી-આનંદપૂર્ણ બનાવી શકે, એનો આ પુરાવો છે. (હસ્તલિખિત પત્ર જોવા ક્લિક કરો આ લિંક https://twitter.com/WhoSunilGrover/status/771960132959952896/photo/1)

આ ચારેય પત્રોમાં સ્ત્રી અંગેના જુદાં જુદાં ચાર પરિમાણો ઊપસી આવ્યાં છે, જે ફાલતું ચર્ચા નહીં પણ વિચાર કરવા પ્રેરે છે. પત્રો ક્યાંકથી મેળવીને વાંચજો અને વિચારજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 14મી સપ્ટેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, September 7, 2016

હવે તો જાગી છે સંવેદના

દિવ્યેશ વ્યાસ


દાનો માંઝી વગેરેની ઘટનાઓ અને દલિત અત્યાચારોનું ચમકવું એ ખરેખર તો આપણી સંવેદના વધુ તીવ્ર બન્યાના પુરાવા છે


(અમાનવીય ઘટનાઓની તસવીરોનું આ કોલાજ ‘દિવ્ય ભાસ્કર’ના ડિઝાઇનર શોએબ મન્સુરીએ તૈયાર કર્યું છે.)

ઓડિશા રાજ્યના કાલાહાંડી વિસ્તારની કમનસીબી એ છે કે ત્યાંથી આપણાં કાળજાં બળે એવા જ સમાચારો મળતા હોય છે. ભૂખમરા માટે કુખ્યાત આ વિસ્તારમાંથી ઑગસ્ટના છેલ્લા સપ્તાહમાં બે સમાચારે માત્ર આપણા દેશના જ નહીં, પરંતુ વિશ્વભરના લોકોની લાગણીને ઝકઝોળી હતી. દાનાે માંઝીની પત્નીનું ટીબીની સારવાર દરમિયાન મોત થયું. નાણાંના અભાવે કોઈ વાહન ન મળતાં આખરે દાનોભાઈએ પત્નીની લાશને કાપડથી વીંટાળીને ખભે ચડાવીને પોતાના ગામ તરફ ચાલતી પકડી. ખભે પત્નીની લાશ લઈ જતાં દાનો માંઝી અને ચોધાર આંસુએ રડતી દીકરીનાં દૃશ્યો ન્યૂઝ ચેનલ્સ અને અખબારોમાં ચકમતાં કરોડો લોકોની આંખો ભીની થઈ હતી. દાનો માંઝીના સમાચાર ક્લિક થતાં બાલાસોર વિસ્તારની 24 ઑગસ્ટની ઘટના પણ પ્રકાશમાં આવી. સોલોમની બારિક નામની આધેડ મહિલાનું અંજીગ્રામ સ્ટેશન પર ટ્રેનથી ટકરાવાથી મોત થયું. અકડાઈ ગયેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માટે તેના થાપાનું હાડકું તોડીને પોટલું વાળી દેવાયું!

આ બે સમાચારે એટલી ચકચાર જગાવી કે આ પ્રકારની ઘટનાઓને અચાનક પ્રાધાન્ય મળવા લાગ્યું અને આવા ન્યૂઝની હારમાળા સર્જાઈ. મધ્યપ્રદેશના દામોહમાં ચાલુ બસમાં એક બીમાર મહિલાનું મોત થયું. ડ્રાઇવરે એ મહિલાના પતિ રામસિંહ, તેમની માતા અને માત્ર પાંચ દિવસની નવજાત બાળકીને પત્નીના મૃતદેહ સાથે જંગલમાં વચ્ચે જ બસમાંથી ઉતારી દીધાં. તો બીજી ઘટના મધ્યપ્રદેશના જ બડામલહરામાં બની. વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે ગર્ભવતી મહિલાએ પ્રસૂતિ માટે 6 કિલોમીટર ચાલીને દવાખાને જવું પડ્યાના સમાચાર ચમક્યા.

અન્ય એક ઘટના ઉત્તર પ્રદેશ કાનપુરમાં ઘટી. 12 વર્ષના અંશને મોડી રાતથી તાવ આવ્યો હતો. પિતા હોસ્પિટલ લઈ ગયા, પરંતુ સારવાર મળે એ પહેલાં ખભે સુવડાવી રાખેલો પુત્ર હંમેશ માટે પોઢી ગયો!
આવી એક આઘાતજનક ઘટના ગુજરાતમાં વડોદરા ખાતે પણ ઘટી. રવિ કિશોરશંકર રાવ નામના યુવકનું બીમારીને કારણે મોત થયું. નાણાં અને કાંધિયાના અભાવે તેનાં માતા-પિતાએ મૃતદેહ લઈને દસ-બાર કલાક બેસી રહેવું પડ્યું હતું.

આવી ઘટનાઓના ન્યૂઝ જોઈને ઉતાવળે એવાં તારણો કાઢવામાં આવી રહ્યાં છે કે આપણી માનવતા મરી પરવારી છે. આજનો માણસ-સમાજ સંવેદનહીન બની ગયો છે. આપણી સરકાર નિષ્ક્રિય-નિષ્ઠુર છે વગેરે વગેરે. જોકે, સાવ એવું નથી. આ ઘટનાઓ બેશક એવી જ છે કે આપણી સંવેદનાઓ સામે સવાલ ઊભા કરી શકાય, પરંતુ જરાક અલગથી અને લાંબું વિચારતાં સમજાય છે કે આ ઘટનાઓનું આપણાં મુખ્યધારાનાં માધ્યમોમાં ચમકવું એ ખરેખર તો આપણી સંવેદના જાગી હોવાના જ સંકેત આપે છે. આવી ઘટનાઓ અગાઉ નહોતી બનતી એવું તો છે જ નહીં, પરંતુ હવે બને છે ત્યારે લોકો એની નોંધ લઈ રહ્યા છે, સોશિયલ મીડિયા પર એની ચર્ચા કરવા માંડ્યા છે અને પરિણામે માધ્યમોને પણ હવે તેમાં ‘ન્યૂઝ વેલ્યૂ’ દેખાવા માંડી છે.

દલિત અત્યાચારના મામલે પણ આવું જ બન્યું છે. ઉના પછી અચાનક દલિત અત્યાચારના સમાચારોની સંખ્યા વધી ગઈ છે. અત્યાચાર તો થતાં જ હતા, પરંતુ હવે તેને માધ્યમોમાં સ્થાન મળી રહ્યું છે. આમ, દાનો માંઝી વગેરેની ઘટનાઓ અને દલિત અત્યાચારોનું ચમકવું એ ખરેખર તો આપણી સંવેદના વધુ તીવ્ર બન્યાના પુરાવા છે. આશા રાખીએ આવી ઘટનાઓ અંગે ઊહાપોહ થતો રહે અને તેના ઉપાયો-ઉપચાર અંગે ગંભીર વિચારણા થાય.

(‘દિવ્ય ભાસ્કર’ની 7 સપ્ટેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)