Showing posts with label ગાંધી. Show all posts
Showing posts with label ગાંધી. Show all posts

Tuesday, September 10, 2019

સાધુ તો સ્વામી આનંદ સરીખા હોય

આસારામ અને નિત્યાનંદ જેવા કહેવાતા સાધુ-સંતોની પાપલીલાઓ 'શ્રદ્ધાળુ' સમાજને આહત કરી રહી છે ત્યારે 'દો રોટી, એક લંગોટી'નું સૂત્ર ચરિતાર્થ કરનારા સ્વામી આનંદ જેવા પવિત્ર વ્યક્તિત્વનું સ્મરણ તીવ્રપણે થવું સ્વાભાવિક છે


(જગન મહેતાએ પાડેલી આ તસવીર ગુજરાત સાહિત્ય પરિષદની વેબસાઇટ પરથી લીધેલી છે.)

દિવ્યેશ વ્યાસ

સુરેન્દ્રનગર કહો કે ઝાલાવાડ કહો, ગુજરાતના પછાત જિલ્લા-વિસ્તારમાં જેની ગણતરી થાય છે, એવા આ પ્રદેશે ગુજરાતને અનેક ગૌરવવંતા વ્યક્તિત્વો આપ્યા છે. દલપતરામ, પંડિત સુખલાલજી, મનુભાઈ પંચોળી 'દર્શક', પ્રજારામ રાવળ, મીન પિયાસી, જયભિખ્ખુ, દલસુખ માલવણિયા (પદ્મશ્રી ભાષાશાસ્ત્રી) જેવા કવિ-સાહિત્યકારો-ચિંતકો તો મોતીલાલ દરજી, ગોપાળભાઈ દેસાઈ, ભક્તિબા, ફૂલચંદભાઈ શાહ, ચીમનભાઈ વૈષ્ણવ અને સ્વામી શિવાનંદ જેવા ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાનીઓની સાથે સાથે જુગતરામ દવે અને બબલભાઈ મહેતા જેવા મોટા ગજાના રચનાત્મક કાર્યકર્તાઓ ઉપરાંત રસિકલાલ પરીખ, ઘનશ્યામ ઓઝા અને તાજેતરમાં દેહાંત પામેલા અરવિંદ આચાર્ય જેવા ખરા અર્થમાં લોકસેવકો તેમ જ ભાનુભાઈ શુકલ જેવા પ્રજાકીય પત્રકારોથી માંડીને સી.યુ. શાહ જેવા દાનવીરો, જે ધરતીએ પેદા કર્યા છે, એ જ ધરતીએ 'જૂની મૂડી' સાચવી રાખનારા, જીવન-સાધનાની 'અનંતકળા' જાણનારા, 'ધરતીની આરતી ' ઉતારનાર અને એક પણ પૈસો કે સહેજ પણ પ્રતિષ્ઠાની ખેવના રાખ્યા વિના 'ધરતીનું લૂણ' ચૂકવનાર સ્વામી આનંદને પણ પેદા કરેલા છે.

આજે ૮ સપ્ટેમ્બરના રોજ સ્વામી આનંદનો જન્મ દિવસ છે. સ્વામીજી પોતાનો જન્મદિવસ ઊજવતા નહોતા કે જાહેર કરતા નહોતા એટલે ચોક્કસ જન્મતારીખ અંગે મતમતાંતર પ્રવર્તે છે. સ્વામીદાદાના ગદ્ય પર પીએચ.ડી. કરનાર ગુલાબભાઈ દેઢિયા તેમની જન્મ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૧૮૮૭ નોંધે છે, પણ મોટા ભાગે ૮મી સપ્ટેમ્બર સ્વીકૃત છે. અલબત્ત, સ્વામીદાદાની જન્મતારીખ જે પણ હોય, આજે જ્યારે આસારામો અને નિત્યાનંદ સ્વામીઓ જેવા પાખંડી સાધુ-સંતોની પાપલીલાઓના ભાંડા ફૂટી રહ્યા છે ત્યારે 'દો રોટી, એક લંગોટી'નું સૂત્ર ચરિતાર્થ કરનારા સ્વામી આનંદનું તીવ્ર સ્મરણ થયા વિના રહેતું નથી.

સ્વામી આનંદ સાધુ જરૂર હતા, પણ તેમની આ પૂરી ઓળખાણ નથી, કારણ કે સ્વામી આનંદ ગુજરાતી ભાષાના ઉત્તમ ગદ્યકારોમાંના એક સાહિત્યકાર પણ હતા અને લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધી જેવા નેતાઓની આગેવાની હેઠળ આઝાદીની લડાઈના એક યૌદ્ધા પણ હતા, રચનાત્મક સેવાકાર્યો કરનારા સમાજસેવક પણ હતા. ટૂંકમાં કહી શકાય કે સ્વામી આનંદ મનથી એક નિઃસ્પૃહ સાધુ હતા, વચન એટલે કે શબ્દો થકી તેમણે એક પત્રકાર-સાહિત્યકાર તરીકે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને કર્મથી તેઓ સ્વાતંત્ર્ય-સેનાની તેમ જ સમાજસેવક પણ હતા.

સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ દવે હતું. તેમનો જન્મ સુરેન્દ્રનગરના શિયાણી ગામે એક શિક્ષકના સાધારણ પરિવારમાં થયો હતો. સ્વામી આનંદ માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમની માતાએ તેમને પોતાની બહેનને ખોળે દીધા હતા. ત્યાર પછીનું તેમનું બાળપણ મુંબઈમાં માસીના ઘરે લાડકોડથી વીત્યું હતું. સ્વામી આનંદ માત્ર દસ વર્ષના હતા ત્યારે એક સાધુ તેમને 'ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું' એમ કહીને ભગાડી ગયેલો. સ્વામી જાતભાતના ચિત્ર-વિચિત્ર સાધુબાવાઓનાં સંપર્કમાં આવ્યા, પણ આખરે તેમને ધર્મ અને સેવાના સમન્વયમાં માનનારા રામકૃષ્ણ મિશનના સાધુઓનો ભેટો થયો. એ પછી તેઓ આજીવન રામકૃષ્ણ મિશનના સાધુ બનીને રહ્યા હતા. અલબત્ત, તેમણે ભગવા નહીં પણ સફેદ વસ્ત્રો જ આજીવન પહેર્યા હતા. તેમણે કોઈ આશ્રમમાં રહીને માત્ર સાધના કરવાને બદલે લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા પછી લેખન-સંપાદન, પ્રેસ સંચાલન તેમ જ રચનાત્મક કાર્યો થકી આઝાદીના આંદોલનમાં ઝંપલાવ્યું હતું. મહાત્મા ગાંધીના આંદોલન અને નવજીવન પ્રેસના વિકાસમાં સ્વામીજીનો કેટલો મોટો ફાળો હતો, તે માટે ગાંધીજીનું એક વાક્ય કાફી છે, ‘જો મને સ્વામી આનંદની અથાક કાર્યશક્તિ અને સૂઝસમજનો લાભ ન મળ્યો હોત તો આ નવજીવનની જવાબદારી ઉપાડવાની મેં ના પાડી દીધી હોત.’ નવજીવનમાં સ્વામી આનંદના યોગદાન વિશે ગુલાબ દેઢિયાએ નોંધ્યું છે કે ‘છ-સાત હજાર કિંમતના નાના છાપખાનામાંથી નવજીવન મુદ્રણાલયને અમદાવાદનું એક આગેવાન છાપખાનું બનાવીને સ્વામીજીએ નવજીવન પ્રેસ છોડયું ત્યારે તેની મિલકત લગભગ બે લાખ રૂપિયા અંકાઈ હતી. છતાં સૌ જાણે છે કે નિઃસ્પૃહી સ્વામીજીએ પોતાના પગારની પાઈ સરખીયે તેમાંથી લીધી નહોતી. સાધુનું નિઃસ્પૃહીપણું તેમનામાં હતું.’

રૂપિયાની તો તેમને કોઈ તમા નહોતી જ સાથે સાથે તેમને પોતાના નામ-પ્રસિદ્ધિની પણ કોઈ ખેવના નહોતી. ગાંધીજીએ પોતાના સદાબહાર બેસ્ટસેલર પુસ્તક એટલે કે આત્મકથાની પ્રસ્તાવનામાં આત્મકથા લખવાનો ધક્કો કઈ રીતે સ્વામીજી તરફથી મળ્યો એની વાત કરી છે, પણ તેમણે આનો ક્યાંય ઉલ્લેખ કર્યો નહોતો. ઘણાં વર્ષો સુધી તેમણે પોતાનાં લખાણોનાં પુસ્તકો પણ છપાવ્યાં નહોતાં.

સ્વામીદાદાએ પોતાના 'અનંતકળા' નામના પુસ્તકના પ્રારંભમાં 'મારી કેફિયત' શીર્ષક હેઠળની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘સાધુ 'દો રોટી, એક લંગોટી'નો હકદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે, તેટલું અણહકનું, હકબહારનું. લીધેલાની દસ ગણી ફેડ એ ગૃહસ્થનો ગજ. સાધુનો સહસ્ત્રનો. સાધુ લે તેનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી, દુનિયાની ઘરેડે જ ચાલ્યો. અદકું કશું ન કર્યું. એથી વધુ કરે તેની વશેકાઈ.’ આજનો કયો સાધુ કે સંત આ કસોટીએ પાર ઊતરે? આજના પૈસા અને પ્રસિદ્ધિભૂખ્યા સાધુ-સંતો જોઈને રીતસર ચીતરી ચડે છે. આપણો સમાજ સ્વામી આનંદ જેવા સાધુઓને મનમાં આદર્શ તરીકે પણ યાદ રાખે તો ઝાંસારામો જેવાની શું મજાલ કે તેઓ પોતાની જાતને સાધુ કે સંત પણ કહેવડાવે!


(‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં 8મી સપ્ટેમ્બર, 2013ના અંકમાંપ્રકાશિત સમય સંકેત કૉલમ.)
(વિપુલભાઈ કલ્યાણીએ પોતાની વેબસાઇટ (https://opinionmagazine.co.uk/details/594/સાધુ-તો-સ્વામી-આનંદ-સરીખા-હોય) પર આ લેખ લીધેલો, એટલે અહીં આસાનીથી મૂકી શક્યો છું.)

Wednesday, July 18, 2018

મંડેલાનો સંઘર્ષ અને શીખ

દિવ્યેશ વ્યાસ


નેલ્સન મંડેલાની શતાબ્દી નિમિત્તે તેમના સંઘર્ષને સલામ કરવા સાથે તેમની શીખ પણ ગાંઠે બાંધવા જેવી છે


(નેલ્સન મંડેલાની આ તસવીર ગેટી ઇમેજીસની છે.)

‘લોકોના માનવ અધિકારની  અવગણના કરવી એટલે તેમનામાં રહેલી માનવતાને છંછેડવી.’ એક નાનકડા વાક્યમાં વિરાટ ડહાપણ સમાવવાની તાકાત તો મહાપુરુષો જ દાખવી શકે! હા, આ વાક્ય છે, નેલ્સન મંડેલાનું. નેલ્સન મંડેલા એટલે રંગભેદ સામે રણે ચડેલા શૂરવીર, માનવ અધિકારના વિશ્વવિખ્યાત હિમાયતી અને માનવતાનાં મૂલ્યોના પ્રહરી. 18 જુલાઈ, 1918ના રોજ દ. આફ્રિકાના એક રાજવંશમાં જન્મેલા નેલ્સન મંડેલાના પૃથ્વી પરના  અવતરણને આજે 100 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. નેલ્સલ મંડેલાની શતાબ્દી સમગ્ર વિશ્વમાં ઊજવાઈ રહી છે ત્યારે તેમના સંઘર્ષને સલામ કરવાની સાથે સાથે તેમણે પોતાનાં વચન અને કર્મથી આપેલી શીખને પણ ગાંઠે બાંધી લેવા જેવી છે.

આપણે સૌ જાણીએ છીએ કે  નેલ્સલ મંડેલાને દ. આફ્રિકાના ગાંધી કહેવામાં આવે છે. અલબત્ત, લડતના પ્રારંભિક તબક્કામાં મંડેલાને સશસ્ત્ર સંઘર્ષનો છોછ નહોતો. મંડેલાને 1961માં તેમના રાજકીય પક્ષ આફ્રિકન નેશનલ કૉંગ્રેસ તરફથી સશસ્ત્ર પાંખનું જ સુકાન સોંપાયું હતું. જોકે, મંડેલામાં માનવતા હતી અને એટલે જ તેમણે સરકારી સંસ્થાનો પર લોકોનો જાન ન લે એવા અહિંસક વિસ્ફોટો કરવાની સરકારની આંખો ઉઘાડવાની નીતિ અપનાવી હતી. દ. આફ્રિકાની ગોરી સરકારે આફ્રિકન નેશનલ કૉંગ્રેસને આતંકવાદી જૂથ ગણાવીને મંડેલા સહિતના સાથીદારોને જેલભેગા કરી દીધા હતા અને દાયકાઓ સુધી જેલમાં  ગોંધી રાખ્યા હતા. જોકે, મંડેલાના હૃદયમાં રહેલી માનવતા તેમને ગાંધીવિચાર સુધી લઈ ગઈ. સમયની સાથે તેઓ પરિપકવ બનતા ગયા અને તેમને સમજાયું કે ગાંધીચીંધ્યો માર્ગ જ વધારે સુફળદાયી છે.

મંડેલા જ્યારે જેલમાંથી મુક્ત થયા ત્યારે તેઓ અનેક અર્થમાં ‘મુક્ત’ થઈ ચૂક્યા હતા અને જેલબહાર આવીને તેમણે શુદ્ધ ગાંધીવાદી રાજનીતિનો માર્ગ અપનાવ્યો અને દ. આફ્રિકામાં શાંતિપૂર્ણ રીતે અશ્વેત લોકોને ન્યાય અપાવ્યો અને સમાજ-દેશમાંથી ગોરા-કાળાનો ભેદ હટાવવાનું યુગકાર્ય કર્યું. પ્રખર અભ્યાસુ અને વિચારક રામચંદ્ર ગુહાએ 2016માં ગૂજરાત વિદ્યાપીઠમાં આપેલા દીક્ષાંત પ્રવચનમાં ગાંધીજીની ચિરપ્રસ્તુતતાની વાત કરતાં કરતાં નેલ્સલ મંડેલા અંગે એક નિરીક્ષણ વ્યક્ત કર્યું હતું, ‘વિરોધકર્તા તરીકે નેલ્સન મંડેલાએ ગાંધીની જ પદ્ધતિઓનો ચુસ્તપણે ઉપયોગ કર્યો નહોતો, પણ એક શાસક તરીકે તેઓ ચોક્કસપણે ગાંધીવાદી પુરવાર થયા હતા. રંગભેદની નીતિનો અંત આવ્યા બાદ નેલ્સન મંડેલાએ શ્વેત પ્રજા સાથે પુનઃ સુમેળના પ્રયાસ શરૂ કર્યા અને દક્ષિણ આફ્રિકાના વિવિધ લોકોને મળવાનું ચાલુ રાખ્યું. પ્રજાસત્તાક આફ્રિકાનું બંધારણ કોઈ પણ જાતિ, ધર્મ કે ભાષાકીય જૂથના વિશેષાધિકારને નકારે છે.’ આમ, આ મહામાનવે ગાંધીવિચારની પ્રસ્તુતતાનો આપેલો સજ્જડ પુરાવો અનેક પેઢી સુધી પ્રેરણા આપતો રહેશે.

મંડેલાની જેલમુક્તિ પછી દ. આફ્રિકામાં પહેલી વખત મુક્ત ચૂંટણી યોજવામાં આવી હતી અને મંડેલાના રાજકીય પક્ષને 62 ટકા મતો સાથે જ્વલંત વિજય પ્રાપ્ત થયેલો. મંડેલાને બહુમતી મળી હોવા છતાં તેમણે રાષ્ટ્રીય એકતા ધરાવતી સંયુક્ત સરકાર રચી હતી. (આઝાદ ભારતની પહેલી નેહરુ સરકારની જેવી) મંડેલાની સરકારમાં ગોરા પ્રતિનિધિઓને પણ સન્માનનીય સ્થાન મળ્યું હતું અને એ રીતે શ્વેત-અશ્વેત વચ્ચેનું  સદીઓ  જૂનું અંતર મીટાવવાનો મંડેલાએ મહાપ્રયાસ આદર્યો હતો. ઈ.સ.  1994માં મંડેલા દ. આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા હતા. 75 વર્ષની વયે રાષ્ટ્રપ્રમુખ બનેલા મંડેલાએ ધાર્યું હોત તો તેઓ આજીવન રાષ્ટ્રપ્રમુખ પદે રહી શક્યા હોત, પરંતુ તેમને ન તો સત્તા-પદની લાલસા હતી કે ન હતી કોઈ પ્રકારની લઘુતાગ્રંથિ. તેમણે પહેલેથી જ નક્કી રાખ્યું હતું કે  માત્ર એક ટર્મ સુધી જ રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો સંભાળવો અને પછી સક્રિય રાજકારણ છોડીને માનવ અધિકાર, ગરીબીની નાબૂદી અને વિશ્વશાંતિ માટે સમર્પિત જીવન જીવવું. જીવનનાં કીમતી 27 વર્ષો જેલમાં વીતાવનારા મંડેલાને જેલમાં જીવતાં પણ આવડ્યું અને સમયસ સત્તાનો મહેલ છોડતાં પણ આવડ્યું. આ ગુણ જ તેમને મહાન નેતાઓની હરોળમાં મૂકે છે.

નેલ્સન મંડેલા ભારતને ખૂબ જ ચાહતા હતા. ભારતે પણ તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજ્યા હતા. શાંતિનો નોબેલ જીતનારા મંડેલાનાં એક સુવાક્યો પ્રેરણાદાયક છે, તેમના એક મનનીય વાક્યથી જ લેખ પૂરો કરીએ: ‘વિજેતા એ છે, જે સ્વપ્ન જુએ છે અને તેને પૂરું કર્યા વિના ક્યારેય હાર માનતો નથી.’

(દિવ્ય ભાસ્કરની 18મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, May 9, 2018

ગોખલે અને માતૃભાષા

દિવ્યેશ વ્યાસ


ગાંધીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે સાથે માતૃભાષાનો એક સુંદર કિસ્સો જોડાયેલો છે




9મી મે, 1866ના રોજ જન્મેલા પ્રખર દેશસેવક ગોપાલકૃષ્ણ ગોખલેનો આજે જન્મ દિવસ છે. ગોખલે ગાંધીજીના ગુરુ હતા. ગાંધીજીએ લખેલું છે, ‘ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને તે ક્ષેત્રપરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. એમના કહેવાને વિશે કે એમની આજ્ઞાને વિશે મને તર્કવિતર્ક કદી ન થતા.’ તો આવા ગુરુ ગોખલે વિશે ગાંધીજીએ પોતાની આત્મકથામાં અનેક વખત ઉલ્લેખ કર્યો છે. ‘ગોખલે સાથે એક માસ-1’ પ્રકરણમાં ગાંધીજીએ લખ્યું છે, ‘ગોખલેની કામ કરવાની પદ્ધતિથી મને જેટલો આનંદ થયો તેટલું જ શીખવાનું મળ્યું. તેઓ પોતાની એક પણ ક્ષણ નકામી ન જવા દેતા. તેમના બધા સંબંધો દેશકાર્યને અંગે જ હતા, એમ મેં અનુભવ્યું. બધી વાતો પણ દેશકાર્યને ખાતર. વાતોમાં મેં ક્યાંયે મલિનતા, દંભ કે જૂઠ ન જોયાં. હિંદુસ્તાનની કંગાલિયત અને પરાધીનતા તેમને પ્રતિક્ષણ ખૂંચતી.’

દ. આફ્રિકાની લડત દરમિયાન ગાંધીજી એક વાર ભારત આવેલા ત્યારે પૂના ગયેલા અને ત્યાં ત્રણ મહાનુભાવોને મળેલા. આનો ઉલ્લેખ તેમણે આત્મકથામાં ‘પૂનામાં’ નામના પ્રકરણમાં કર્યો છે. તેમાં લખ્યું છે, ‘સર ફિરોજશા તો મને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા, તેમાં હું નાહી શકું. હિમાલય ચડાય નહીં, સમુદ્રમાં ડૂબવાનો ભય રહે. ગંગાની તો ગોદમાં રમાય. તેમાં હોડકાં લઈને તરાય.’ આમ, ગોખલેજી માટે ગાંધીજીને અપાર આદર અને સ્નેહ હતો.

ગોખલેજીના નિધન પછીના એક પ્રસંગની વાત કરતાં ગાંધીજીએ પોતાની આત્મકથામાં નોંધ્યું છે, ‘ભારતવર્ષના તોફાની સમુદ્રમાં ઝંપલાવતાં મને સુકાનીની જરૂર હતી, ને ગોખલે જેવા સુકાનીની નીચે હું સુરક્ષિત હતો.’

ગોખલેજીએ કેવો સ્નેહ અને સુરક્ષા આપી હતી, તેનો એક પ્રસંગ પણ ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યો છે. ‘ગોખલેની સાથે પૂનામાં’ પ્રકરણમાં ગાંધીજીએ નોંધ્યું છે, ‘ગુજરાતમાં ક્યાંક સ્થિર થવું (આશ્રમ ઊભો કરી) એવી મારી ઇચ્છા હતી. ગોખલેને આ વિચાર ગમ્યો હતો, તેથી તેમણે કહ્યું, ‘તમે જરૂર એમ કરજો. સભ્યોની સાથે વાતચીતનું ગમે તે પરિણામ આવે, પણ તમારે આશ્રમને સારુ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે. તેને હું મારો જ આશ્રમ ગણવાનો છું.’... ગાંધીજી સ્વદેશ પાછા ફર્યા પછી ગોખલે લાંબું જીવ્યા નહોતા, પરંતુ તેમનો સપોર્ટ ઐતિહાસિક હતો.

દ. આફ્રિકાની લડતમાં પણ ગાંધીજીને ગોપાલકૃષ્ણ ગોખલેની ખૂબ હૂંફ મળી હતી. લડત દરમિયાન દ. આફ્રિકામાં ભારતીયોની સ્થિતિ અને લડતને જોવા ગોખલે દ. આફ્રિકા ગયા હતા. ગિરિરાજ કિશોરે ગાંધીજીના દ. આફ્રિકાના જીવન પર કેન્દ્રિત નવલકથા ‘પહેલો ગિરમીટિયો’ લખી છે, જેમાં લેખકે ગોખલેના દ. આફ્રિકા પ્રવાસ દરમિયાનનો માતૃભાષા સંબંધિત એક સુંદર પ્રસંગ વર્ણવ્યો છેઃ

‘એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન એ ઊભો થયો કે જાહેરસભામાં કઈ ભાષામાં બોલવું? મોહનદાસે કહ્યું: ‘તમે હિંદુસ્તાનીમાં બોલો.’

ગોખલેએ કહ્યું: ‘ભાંગીતૂટી હિંદુસ્તાનીમાં બોલીશ તો લોકો હસશે. ન હું વાત સમજાવી શકીશ, ન તેઓ સમજશે.’

‘હું પણ એ જ ભાષા બોલું છું.’

ગોખલે ચિંતામાં પડી ગયા. એટલે મોહનદાસે કહ્યું: ‘તમે મરાઠીમાં બોલો તો?’

‘દક્ષિણ આફ્રિકામાં મરાઠીમાં બોલવું એ તો વધુ હાસ્યાસ્પદ થશે. એનો પણ અનુવાદ તો કરવો જ પડે. એટલે સારું એ થશે, હું અંગ્રેજીમાં બોલું.’

‘મારી તમને વિનંતી છે, તમે હિંદુસ્તાનીમાં ન બોલો તો મરાઠીમાં બોલો. અહીંના લોકો એ જાણીને ગૌરવ અનુભવશે કે હિંદુસ્તાનના આટલા મોટા નેતા પોતાની માતૃભાષાને ચાહે છે.’

ગોખલે મરાઠીમાં જ બોલ્યા. મોહનદાસે હિંદુસ્તાનીમાં તેનો તરજુમો કર્યો. એક વાર એમણે મરાઠીમાં બોલવાનું શરૂ કર્યું. પછી તો છેક ઝાંઝીબાર (પ્રવાસના છેલ્લા મુકામ) સુધી મરાઠીમાં જ બોલ્યા.’

ગુજરાતમાં માતૃભાષા અંગે માહોલ બની રહ્યો છે ત્યારે ગોખલે અને ગાંધીનો આ કિસ્સો પ્રેરણા પૂરી પાડે એવો છે.

(દિવ્ય ભાસ્કરની 9મી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)

Monday, January 30, 2017

સર્વધર્મ પ્રાર્થના થકી શીખ્યા શિસ્ત અને શાંતિના પાઠ

ઇલા ર. ભટ્ટ


સર્વધર્મ પ્રાર્થના થકી ગાંધીજીએ દેશવાસીઓને સંગઠિત અને વૈચારિક-નૈતિક રીતે સુસજ્જ કરવામાં અસાધારણ સફળતા મેળવી હતી



મહાત્મા ગાંધીમાં જે બળ અને તેજ હતું, તેના મૂળમાં તેમની અપાર આધ્યાત્મિકતા હતી. આધ્યાત્મિકતા વિના તો આટલું બધું બળ આવે જ ક્યાંથી? સૂતેલા અજગર જેવા દેશને તેમણે હચમચાવીને બેઠો કરેલો. ગાંધીજીનું લક્ષ્ય માત્ર અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવા પૂરતું સીમિત ક્યારેય નહોતું, પરંતુ તેઓ દેશના દરેક વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ ઇચ્છતા હતા. હિંદુ સંસ્કૃતિનાં (ધર્મ નહીં!) મહામૂલાં મૂલ્યોની પુન:સ્થાપના કરવા માટે તેઓ આજીવન ઝઝૂમ્યા હતા. સત્ય અને અહિંસા જેવાં મૂલ્યોને જાહેરજીવનમાં સ્થાપવા માટે તેઓ ખૂબ મથ્યા હતા. આઝાદી આંદોલનની સાથે સાથે ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો, સમાજસુધારણાનાં કાર્યો સતત આગળ વધાર્યાં હતાં. ગાંધીજીની આધ્યાત્મિકતાની અસર તેમના આંદોલનો પર ચોખ્ખી વર્તાય છે. તેમણે આંદોલનો ચલાવવા માટે વૉર રૂમ્સ નહીં, પરંતુ આશ્રમો સ્થાપ્યા હતા! આશ્રમવાસીઓ માટે તેમણે અગિયાર વ્રતો ફરજિયાત કર્યા હતા. દેશમાં નૈતિક મૂલ્યોના પુન:સ્થાપન માટે તેમણે આશ્રમોને પ્રયોગશાળા કમ ધરુવાડિયામાં ફેરવી નાખ્યા હતા.

ગાંધીજીના આશ્રમો અને આંદોલનોમાં એક વિશેષ પાસું હતું - સર્વધર્મ પ્રાર્થના. વિવિધ ધર્મોનું પાલન કરનારા દેશવાસીઓમાં એકતા સ્થાપવા માટે, આધ્યાત્મિક પેદા કરવા માટે તેમણે પ્રાર્થનાનું માધ્યમ અપનાવ્યું હતું. પ્રાર્થના ગાંધીજીની દિનચર્યાનો અભિન્ન હિસ્સો હતી. સામુહિક સર્વધર્મ પ્રાર્થના થકી તેમણે દેશવાસીઓને સંગઠિત અને વૈચારિક-નૈતિક રીતે સુસજ્જ કરવામાં અસાધારણ સફળતા મેળવી હતી.
પ્રાર્થનામાં સામાન્ય રીતે આપણે ભગવાન પાસે કંઈક ને કંઈક માગતા હોઈએ છીએ, પણ ગાંધીજીએ સર્વધર્મ-સમૂહ પ્રાર્થનાનો મૌલિક ખ્યાલ આપીને પ્રાર્થનાની ભાવનાને કંઈક માગવાથી વિશેષ વ્યાપક બનાવી હતી. ગાંધીજીએ પ્રાર્થનામાં માત્ર પોતાનું નહીં, પરંતુ સમાજ, રાષ્ટ્ર અને એનાથી આગળ વધીને સમગ્ર વિશ્વનું કલ્યાણ ઇચ્છવાનું શીખવ્યું. ઈશ્વરનું સ્મરણ ચોક્કસ કરવાનું છે, પરંતુ સાથે સાથે આપણા અંત:કરણમાં પણ ઝાંખવાનું છે. માણસ નીતીના માર્ગે ચાલે એ માટે અંત:કરણની શુદ્ધિ અને જાગૃિત જરૂરી હોય છે અને આ બે વાનાં તમને પ્રાર્થના થકી પ્રાપ્ત થઈ શકે છે. આ કારણોસર જ ગાંધીજીએ પોતાના નિત્યક્રમમાં સવાર-સાંજની પ્રાર્થના દાખલ કરેલી. પ્રાર્થના માટે તેમણે બહુ ચૂંટી ચૂંટીને ભજનો-પદો-પ્રાર્થનાઓ પસંદ કરેલાં. જેને ‘આશ્રમ ભજનાવલી’માં સમાવવામાં આવ્યાં છે. આ ભજનો પર નજર નાખીએ તો તમને ખ્યાલ આવશે કે એક પણ ભજનમાં નથી કોઈ અંધશ્રદ્ધાનો અંશ કે નથી ભક્તિના નામે વેવલાવેડા!

ગાંધીજીની દરેક પ્રાર્થનાઓમાં અચૂક ગવાતું ભજન છે - વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે.... આ ભજનમાં દુનિયાના તમામ ધર્મોનો સાર આવી જાય છે. બહુ સરળ રીતે માનવતાનાં મૂલ્યો તેમાં સમજાવ્યાં છે. ધાર્મિકતા-આધ્યાત્મિકતા માટે બીજાં કોઈ પુસ્તકો ન વાંચો અને માત્ર આ ભજનને જો જીવનમાં ઉતારો તો તમારો બેડો પાર થઈ જાય!

ગાંધીજી દ્વારા સ્થાપિત મજૂર મહાજન સંઘના સંસ્કારોને કારણે મેં જ્યારે સેવાની સ્થાપના કરી ત્યારે સંસ્થામાં સમૂહ પ્રાર્થનાનો ઉપક્રમ આપોઆપ સામેલ થઈ ગયેલો. મારો અનુભવ છે કે પ્રાર્થનાને કારણે એક પ્રકારની શિસ્ત આવી જાય છે. આત્માનું અનુસંધાન તો દૂરનો મુકામ થયો પણ પ્રાર્થનાને લીધે વ્યક્તિના વ્યવહારમાં શિસ્ત જરૂર આવી જાય છે. સમૂહ પ્રાર્થનાને કારણે એક માહોલ રચાતો હોય છે, જેનાથી સમૂહભાવના-એકતા આપોઆપ ઊભી થતી હોય છે.

ભદ્રકાળી ચોકના પાથરણાવાળા-લારીવાળાઓ સાથેનો એક કિસ્સો અહીં જણાવવા માગું છું. કોઈ પણ મંદિર હોય ત્યારે તેની આજુબાજુ નાના-નાના વેપારીઓનું એક કુદરતી બજાર ઊભું થતું હોય છે. ભદ્રકાળી મંદિરની આજુબાજુ બેસતા પાથરણાવાળા-લારીવાળાઓને હટાવવાની તજવીજ કરવામાં આવી ત્યારે તેમની પાસે પોતાના અધિકાર માટે કોર્ટમાં ગયા વિના છૂટકો નહોતો. તેમની રોજગારી અને અધિકારની લડાઈમાં સેવા દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવ્યું. અમે ભદ્રકાળી ચોકમાં વેપાર કરનારાઓનું એક સંમેલન યોજ્યું. અમારી પરંપરા મુજબ સંમેલનના પ્રારંભે સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી. આ પ્રાર્થનાથી એક જબરદસ્ત માહોલ સર્જાયો. હાજર ભાઈઓ-બહેનો દ્રવિત થઈ ગયા, તેમનાં અંત:કરણ શુદ્ધ થયાં અને તેમના વચ્ચે એકતાની ભાવના તો ઊભી થઈ જ પરંતુ આ કેસમાં કશુંય ખોટું કરવું નથી, એવી પ્રતિબદ્ધતા પેદા થઈ. અમે તૈયાર કરેલી યાદીમાં ન કોઈએ ખોટું નામ ઉમેરાવ્યું, ન કોઈએ ખોટી વિગતો જણાવી. એ દિવસે મને પાક્કો પુરાવો મળી ગયો કે પ્રાર્થનામાં કેટલી બધી શક્તિ રહેલી છે.

સમૂહ પ્રાર્થનાથી આપણે સૌ એક પિતાના સંતાન છીએ, એકબીજા સાથે અનુબંધિત છીએ એવી સામૂહિક ચેતના કેળવાય છે, સંગઠન મજબૂત બને છે અને દરેક વ્યકિતમાં નૈતિકતા ઊભી થાય છે. નીતિ વિના ધર્મ હોઈ જ ન શકે અને સામાન્ય લોકો માટે તો ભજન-પ્રાર્થના એ જ ધર્મ હોય છે. પ્રાર્થનાના શબ્દો રોજ આપણા દિલોદિમાગ પર પડઘાતા હોય છે અને વહેલી કે મોડી તેની અસર થયા વિના રહેતી નથી.

આજે દેશનો માહોલ જોતાં સર્વધર્મ પ્રાર્થના વધારે પ્રસ્તુત બની છે. આજે ગામ કે શહેરના વોર્ડમાં સામૂહિક સર્વધર્મ પ્રાર્થના ફરી શરૂ કરવા જેવી પરંપરા છે. જોકે, આવી પ્રાર્થના સ્વૈચ્છિક રાખવી જોઈએ અને તદ્દન બિનરાજકીય હોવી જોઈએ. કોમી એકતા અને નૈતિક મૂલ્યોનું ધોવાણ અટકાવવામાં સર્વધર્મ પ્રાર્થના બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે.

(ઇલા ર. ભટ્ટ સેવા સંસ્થાના સંસ્થાપક ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ અને ગાંધી આશ્રમના ચેરમેન છે.)

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી જાન્યુઆરી, 2017ની ‘ધર્મદર્શન’ પૂર્તિ માટે ઇલાબહેન સાથે થયેલી વાતચીતના આધારે લખેલો લેખ - મૂળ પ્રત)

Wednesday, December 21, 2016

ટ્યૂનિશિયાના ક્રાંતિ+શાંતિકારી

દિવ્યેશ વ્યાસ


ટ્યૂનિશિયામાં ક્રાંતિ પછી શાંતિ અને સ્થિરતા લાવવા માટે રાશીદ ઘન્નુશીએ રાજકીય સ્તરે ગાંધીમાર્ગ અપનાવ્યો છે


(તસવીરો ગૂગલ પરથી મેળવેલી છે)

ડિસેમ્બર-2010માં ટ્યૂનિશિયામાં ક્રાંતિનો તણખો પ્રગટ્યો હતો અને ધીમે ધીમે આરબ વિશ્વમાં ક્રાંતિની જ્વાળાઓ પ્રજ્જ્વલિત થઈ હતી. એ જ્વાળાઓએ દાયકાઓથી એકહથ્થુ શાસન કરનારા સત્તાધીશોની રાજગાદીઓને આગ ચાંપી દીધી હતી અને તેમના રાજને ભસ્મીભૂત કરી દીધું હતું. અરબ વસંત તરીકે જાણીતી બનેલી એ ક્રાંતિની શરૂઆત ટ્યૂનિશિયાથી થઈ હતી, તેમ ક્રાંતિ પછી દેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવામાં પણ ટ્યૂનિશિયા અન્ય દેશો કરતાં અગ્રણી રહ્યું છે. ટ્યૂનિશિયાએ આજે પોતાનું બંધારણ રચી દીધું છે અને લોકશાહી સરકાર ચૂંટાઈને સારી રીતે શાસન ચલાવી રહી છે. ટ્યૂનિશિયામાં વહેલી શાંતિ અને રાજકીય સ્થિરતા સ્થપાવા પાછળ એક રાજનેતાની બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે, એ રાજનેતાનું નામ છે - રાશીદ ઘન્નુશી. રાશીદ ઘન્નુશીની રાજકીય સૂઝ, સમજદારી, સમતા, સહિષ્ણુતા, સમાદરની ભાવના તથા સર્વસમાવેશક અભિગમને કારણે ટ્યૂનિશિયા ઘણી આસાનીથી એક નવા રાષ્ટ્ર તરીકે ઉદયમાન થઈ શક્યું છે. રાશીદ ઘન્નુશીના રાજકીય અભિગમ અને વ્યવહારમાં ગાંધીમૂલ્યો ઝળક્યા કરે છે અને એટલે જ તેમને ટ્યૂનિશિયાના નેલ્શન મંડેલા પણ કહેવામાં આવે છે.

નોટબંધીના કકળાટને કારણે અનેક સારા સમાચારો આપણા ધ્યાન બહાર ગયા, એમાંના એક સમાચાર એ પણ હતા કે રાજકીય ક્ષેત્રમાં ગાંધીમાર્ગ અપનાવનારા રાશિદ ઘન્નુશીને ગયા નવેમ્બર મહિનામાં જ ભારત બહાર ગાંધીમૂલ્યોને પ્રોત્સાહન આપનારાઓને અપાતો પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો હતો.


રાશિદ ઘન્નુશીની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેઓ ઇસ્લામિક મૂલ્યોમાં જબરી શ્રદ્ધા ધરાવવાની સાથે સાથે એવો વિશ્વાસ પણ ધરાવે છે કે ઇસ્લામ અને લોકતાંત્રિક વ્યવસ્થા બહુ સારી રીતે એક સાથે ચાલી શકે છે. તેઓ ઇસ્લામના કટ્ટરતા કરતાં સર્વસમાવેશક પાસાંની વધારે હિમાયત કરે છે અને તેમના આ ઉદારવાદી દૃષ્ટિકોણનો લાભ સમગ્ર ટ્યૂનિશિયાને મળ્યો છે. ઘન્નુશીનો સુધારાવાદી એન્નાહદાહ પક્ષ ટ્યૂનિશિયામાં રાજકીય વર્ચસ્વ ધરાવે છે અને તેઓ ધારે તો આસાનીથી રાષ્ટ્રપ્રમુખ થઈ શકે એમ છે, પરંતુ તેમને સત્તા કરતાં દેશસેવામાં વધારે રસ છે. તેમણે જાહેર કરેલું છે કે તેમને રાષ્ટ્રપ્રમુખ સહિતના કોઈ રાજકીય પદમાં રસ નથી અને એટલે જ તેઓ દેશના રાષ્ટ્રપ્રમુખ કરતાં પણ વધારે લોકચાહના, સ્વીકાર્યતા અને સન્માન ધરાવે છે.

રાશિદ ઘન્નુશી વિદ્વાન છે અને ઇસ્લામના ઊંડા મર્મી છે. વળી, મુસ્લિમ બ્રધરહુડ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ અંગેનાં તેમનાં નિવેદનો જોઈને તમને તેઓ કટ્ટરવાદી નેતા પણ લાગી શકે, પરંતુ ટ્યૂનિશિયામાં તેમણે સેક્યુલર અભિગમ અપનાવ્યો છે અને સેક્યુલર પક્ષો, ડાબેરી પક્ષોને પણ સાથે લઈને ચાલી શક્યા છે. ટ્યૂનિશિયાના બંધારણમાં શરિયતની મોટા ભાગની બાબતોને આવરી લેવામાં આવી છે, છતાં પણ બંધારણને ઉદારમતવાદી અને સેક્યુલર બનાવી શકાયું છે. આવું કરવામાં કટ્ટરવાદી અગ્રણીઓનો ઉગ્ર વિરોધ પણ સહેવો પડી રહ્યો છે, છતાં ઘન્નુશી જેવા નેતૃત્વને કારણે સમતોલ અભિગમ લઈ શકાયો અને જાળવી શકાયો છે.

રાશિદ ઘન્નુશીની રાજનીતિનું સૌથી આકર્ષક પાસું રાજકારણમાં મહિલાઓની સહભાગિતા માટેની તેમની પ્રતિબદ્ધતા છે. તેમના પક્ષના ચૂંટાયેલા નેતાઓમાં મહિલાઓનું ઘણું ઊંચું પ્રમાણ છે. તેમની પહેલની સીધી અસર સમગ્ર રાષ્ટ્ર પર જોવા મળે છે. 2011ની ક્રાંતિ પછી દેશની બંધારણ સભાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મહિલા સભ્યો ચૂંટાઈને આવ્યાં હતાં. ઘન્નુશીના પક્ષ એન્નાહદાહની જ વાત કરીએ તો તેના 89 ચૂંટાયેલા સભ્યોમાંથી 42 મહિલા સભ્યો હતાં, જે પ્રમાણ ઘણું મોટું કહી શકાય. કોઈ મુસ્લિમબહુલ દેશમાં ટ્યૂનિશિયા આ બાબતે સૌથી અલગ તરી આવે છે. આ બાબત પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે.

આરબ ક્રાંતિ અગાઉનાં ઘણાં વર્ષો પહેલાંથી રાશિદ ઘન્નુશી દેશના રાજકારણમાં પરિવર્તન કરવા માટે સંઘર્ષરત હતા. દેશમાં એક પક્ષનું જ વર્ચસ્વ હતું ત્યારે એ રાજકીય માળખા સામે બળવો પોકારીને તેમણે બહુપક્ષીય લોકશાહીની હિમાયત કરી હતી. આ માટે તેમને ઘણાં વર્ષો જેલમાં પણ વિતાવવા પડ્યાં છે અને છેલ્લે તો તેમને દેશવટો જ આપી દેવામાં આવ્યો હતો.  ટ્યૂનિશિયામાં ક્રાંતિ થઈ અને બેન અલીના શાસનનો અંત આવ્યો પછી જ તેઓ સ્વદેશ પરત ફરી શક્યા હતા.

ક્રાંતિ પછી રાષ્ટ્રીય બંધારણ સભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ઘન્નુશીના એન્નાહદાહ પક્ષને બહુમતી પ્રાપ્ત થઈ હતી, છતાં ઘન્નુશીએ અન્ય પક્ષોને હંમેશાં પોતાની સાથે રાખ્યા અને નવા દેશના બંધારણમાં સૌનાં સૂચનો અને ભલામણોને આવકારીને સર્વસંમતિથી જ આગળ વધવાનો અભિગમ અપનાવ્યો હતો. વળી, તેમણે બેન અલીના શાસનમાં મોટા હોદ્દા ધરાવનારા લોકોને પણ આ પ્રક્રિયામાં સામેલ કર્યા હતા, આને કારણે પણ તેમને નેલ્સન મંડેલા સાથે સરખાવાય છે. બંધારણના ઘડતર પછી જ્યારે ચૂંટણી કરવાની વાત આવી ત્યારે નિષ્પક્ષ ચૂંટણીઓ થાય એ માટે તેમણે પોતાના પક્ષની સરકારને રાજીનામું અપાવીને તટસ્થ વહીવટીતંત્રની દેખરેખમાં ચૂંટણીઓ કરાવીને પણ લોકશાહી મૂલ્યો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુરવાર કરી હતી.

આજે જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બહુમતીવાદ વધી અને વકરી રહ્યો છે, ત્યારે ઘન્નુશીએ ટ્યૂનિશિયામાં બહુમતીવાદ ન વ્યાપે એની કાળજી લીધી છે. ઘન્નુશી જેવા સર્વસમાવેશક નેતા જ દેશને લાંબા ગાળાની સ્થિરતા અપાવી શકે. રાશિદ ઘન્નુશી જેવા નેતાઓની દરેક દેશને જરૂર હોય છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 21મી ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Thursday, December 1, 2016

રોઝા પાર્ક્સને યાદ કરવાનો તકાજો

દિવ્યેશ વ્યાસ


ડોનલ્ડ ટ્રમ્પના વિજય પછી અમેરિકામાં લઘુમતી, અશ્વેત અને વિદેશથી વસેલા લોકોની સ્થિતિ તંગ બનવાના એંધાણ વચ્ચે રોઝા પાર્ક્સનો વારસો વધુ પ્રસ્તુત બન્યો છે


(તસવીરનો સ્રોત : http://pedrawofficial.deviantart.com/art/Rosa-Parks-399050865)

વીતેલા સપ્તાહમાં અમેરિકાનાં એક ડઝનથી વધારે મુખ્ય શહેરોનો માહોલ ઉગ્ર બન્યો હતો. એમાં ય, ફર્ગ્યુસન ઉપરાંત ઓકલેન્ડ, કેલિફોર્નિયા વગેરે જગ્યાએ રમખાણો ફાટી નીકળ્યાંહતાં. આ રમખાણો પાછળનું કારણ હતું, ફર્ગ્યુસનના ૧૮ વર્ષીય અશ્વેત તરુણ માઇકલ બ્રાઉનનું કમોત. ૯ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ એક પોલીસે માઇકલ પર માત્ર શંકાના આધારે ધડાધડ બાર ગોળીઓ છોડીને તેને ઠાર માર્યો હતો અને એ કેસમાં કોર્ટે પોલીસ અધિકારીને નિર્દોષ છોડી મૂકતાં ફર્ગ્યુસનના લોકો અકળાયા હતા અને આક્રોશની આગ સમગ્ર અમેરિકામાં ફેલાઈ ગઈ. અમેરિકાએ આજે ભલે એક અશ્વેતને રાષ્ટ્રપ્રમુખ બનાવ્યા છે, છતાં વંશીય ભેદભાવમાંથી અમેરિકા સાવ બહાર આવી ગયું નથી, તેનો આ તાજો પુરાવો છે. જો કે, આજે એક સકારાત્મક વાત કરવી છે અને એ પણ એક ઐતિહાસિક સંઘર્ષની. કાલે એટલે કે (2014ની) પહેલી ડિસેમ્બરે એ ઘટનાને ૬૦મું વર્ષ બેસશે.

આ ઘટના છે, અલબામાના મોન્ટગોમરી શહેરની. ૧ ડિસેમ્બર, ૧૯૫૫ની સાંજે શહેરના લોકો નોકરી-ધંધા પરથી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. એક સિટી બસમાં ૪૨-૪૩ વર્ષનાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં દરજીકામ કરતાં એક અશ્વેત બહેન ચડયાં અને ગોરાઓ માટે આરક્ષિત રાખેલી સીટ ખાલી હોવાથી બેસી ગયાં. આગળ જતાં ગોરા મુસાફરો બસમાં ચડયા પણ જગ્યા નહોતી. બસના ડ્રાઇવરે ગોરાઓ માટે આરક્ષિત રાખેલી બેઠકોમાં બેસી ગયેલા અશ્વેત લોકોને તિરસ્કારપૂર્વક સીટ ખાલી કરીને બસની પાછળની તરફ ચાલ્યા જવાનું કહ્યું. અન્ય અશ્વેત મુસાફરો ઊભા થઈને બસની પાછળ ગયા પણ પેલા બહેન ઊભાં ન થયાં, એ જોઈને ડ્રાઇવર અકળાયો અને બસ ઊભી રાખીને બહેનને ધમકાવવા લાગ્યો. જો કે, પેલા બહેને તો નમ્રતાપૂર્વક કહી દીધું કે હું સીટ પરથી ઊભી નહીં થાઉં ! ધૂંઆપૂંઆ થયેલો ડ્રાઇવર બસમાંથી ઊતરીને પોલીસવાળાને લઈ આવ્યો, જેમણે પેલાં બહેનને પકડીને જેલમાં લઈ ગયાં.

બહેનને થોડા કલાકોમાં જામીન તો મળી ગયા, પણ પાંચમી ડિસેમ્બરે તેમના પર કેસ શરૂ થવાનો હતો. આ ઘટનાએ શહેરના અશ્વેત લોકોને ભેદભાવયુક્ત વ્યવસ્થા અને કાયદા સામે સંઘર્ષ કરવા સાબદા કર્યા. પાંચમી ડિસેમ્બરે એક તરફ પેલાં માનુની પર કેસ ચાલ્યો અને બીજી તરફ સિટી બસના બહિષ્કાર સાથે શરૂ થયું નાગરિક અધિકાર આંદોલન. કોર્ટે જિમ ક્રો લો નામના અશ્વેત લોકો સાથે ભેદભાવ કરતા કાયદા અંતર્ગત સજા અને દંડ ફટકાર્યો, પણ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. એક તરફ સુપ્રીમમાં કોર્ટ ચાલ્યો અને બીજી તરફ બસનો બહિષ્કાર, જેનું નેતૃત્વ ગાંધીજીના અહિંસક વિચારોમાં માનનારા માર્ટિન લ્યુથર કિંગને સોંપવામાં આવ્યું હતું. મોન્ટગોમરીમાં વસતાં ૧૭,૦૦૦ આફ્રિકન-અમેરિકન લોકોએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ લગભગ એક વર્ષ સુધી બસનો બહિષ્કાર ચાલું રાખ્યો.

આખરે સુપ્રીમ કોર્ટે ભેદભાવયુક્ત કાયદો ગેરબંધારણીય હોવાનો ચુકાદો આપ્યો અને અશ્વેત લોકો સાથેની ભેદભાવપૂર્વ વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી. ભેદભાવમુક્ત સિટી બસમાં સૌથી પહેલાં પેલા બહેનને બેસાડવામાં આવ્યાં, જેમણે અન્યાય સામે નમ્ર છતાં મક્કમપણે વ્યક્તિગત જંગ છેડી હતી. એ ગૌરવવંતા-ગૌરવદાતા મહિલાનું નામ છે - રોઝા પાર્ક્સ, જેમને અમેરિકામાં 'મધર ઓફ ધ સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ' તરીકે આજે પણ સન્માનવામાં આવે છે અને યુએસ કેપિટલના સ્ટેચ્યુટરી હોલમાં તેમની પૂર્ણકદની પ્રતીમા ઊભી કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં નાગરિક આંદોલન ક્ષેત્રે રોઝા પાર્ક્સ એક પ્રભાવી અને પ્રેરણાદાયી નામ છે, જેમને નેલ્સન મંડેલા પણ પોતાના 'હીરો' ગણતા હતા.

રોઝા પાર્ક્સના એક નાનકડા અને સહજ પગલાંએ અશ્વેત લોકોને થતાં અન્યાય વિરુદ્ધના સંઘર્ષને ચિનગારી પૂરી પાડી હતી, જે માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં ઐતિહાસિક અહિંસક આંદોલન બન્યું હતું. બસ બહિષ્કાર સમયે કિંગના ઘર પર બોમ્બ ફેંકાયો હતો અને છતાં કિંગે અશ્વેત લોકોને હિંસાનો સામનો અહિંસાથી કરવા સમજાવ્યા હતા. આજે ફરી અમેરિકામાં અશ્વેત લોકો અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે રોઝા પાર્ક્સ અને માર્ટિન લ્યુથર કિંગના સંઘર્ષ અને સંદેશને યાદ કરી લેવાનો તકાજો ઊભો થયો છે.

(‘સંદેશ’ની 30મી નવેમ્બર, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Tuesday, August 2, 2016

તિરંગાના સર્જકનું સ્મરણ અને સલામ

દિવ્યેશ વ્યાસ


‘ઝંડા વેંકૈયા’ તરીકે જાણીતા પિંગલી વેંકૈયાનો જન્મ દિવસ 2 ઑગસ્ટે આવે છે. આઝાદીની લડતમાં તેમના પ્રદાન અને યોગદાનને જાણવા જોઈએ


(તસવીરો પિંગલી વેંકૈયાના નામે ચાલતા ટ્રસ્ટની વેબસાઇટ અને ગૂગલ પરથી મેળવી છે.)

 તિરંગો મારી શાન છે, તિરંગો મારું અભિમાન છે ... વગેરે વાતો આપણાં ગીતો અને સંવાદોમાં વારંવાર સાંભળવા મળતી હોય છે, પરંતુ દેશની આન, બાન અને શાન સમા તિરંગાના સર્જક વિશે બહુ ઓછા લોકો જાણે છે.

તિરંગાના સર્જક છે - પિંગલી વેંકૈયા, જેમનો આજે જન્મ દિવસ છે. પિંગલી વેંકૈયાનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૮૭૬ના રોજ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમની નજીક ભટાલા પેનમરુ નામના ગામમાં થયો હતો. તમિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પિંગલી વેંકૈયાના પિતાનું નામ પિંગલી હનમંત રાયડુ અને માતનું નામ વેંકટરત્નમ્મા હતું. પિંગલી વેંકૈયાને આપણે માત્ર તિરંગાના સર્જક તરીકે જ નહીં પણ બહુઆયામી પ્રતિભા તરીકે પણ યાદ રાખવા જોઈએ. તેમને અનેક ક્ષેત્રોનું ઊંડું જ્ઞાન હતું. વેંકૈયાને હીરાની ખાણો વિશે એટલું જ્ઞાન હતું કે તેઓ 'ડાયમંડ વેંકૈયા' તરીકે પણ ઓળખાતા હતા તો કૃષિપેદાશના સંશોધનમાં પણ તેમનું મોટું યોગદાન હતું અને કપાસની એક જાત શોધી હોવાથી તેમને 'પત્તી વેંકૈયા' (કોટન વેંકૈયા) એવું નામ પણ મળ્યું હતું. તેમણે મછલીપટ્ટનમમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપીને કેળવણીકાર તરીકે પણ નામના મેળવી હતી. તેમના વિશે બહુ ઓછી વિગતો જાણીતી છે, બાકી તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ આજની પેઢીને પ્રેરણા પૂરી પાડે એવું છે.

પિંગલી વેંકૈયાએ મછલીપટ્ટનમમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેઓ વધુ અભ્યાસ માટે કોલંબો ગયા હતા. આગળ જતાં તેઓ બ્રિટિશ આર્મીમાં જોડાયા હતા. જોવાની વાત એ છે કે એ વખતે તેમને એંગ્લો-બોઅર યુદ્ધ માટે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં તેઓ મહાત્મા ગાંધીને મળ્યા હતા. ગાંધીજીને મળ્યા પછી તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા, પરંતુ ભારતીય આઝાદી આંદોલનમાં ગાંધીજીની કોઈ ભૂમિકા નહોતી એટલે ભારત આવીને તેમણે રેલવેમાં નોકરી કરી હતી. નાનકડા જાપાને યુદ્ધમાં જ્યારે ચીનને હરાવ્યું ત્યારે તેઓ જાપાનથી એટલા પ્રભાવિત થયેલા કે તેમણે જાપાનીઝ શીખવાનું નક્કી કર્યું. લાહોરની એંગ્લો-વેદિક કોલેજમાં ઉર્દૂ અને જાપાનીઝના અભ્યાસ માટે જોડાયા. લાહોરમાં તેઓ આઝાદી આંદોલન સાથે સઘનપણે સંકળાયા હતા.


૧૯૦૬માં કોલકાતા ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેની અધ્યક્ષતા દાદાભાઈ નવરોજીએ કરી હતી. દાદાભાઈએ પોતાના વક્તવ્યમાં વેંકૈયાની સક્રિયતાની નોંધ લીધેલી. એ વખતે અધિવેશનમાં યુનિયન જેકને લહેરાવવામાં આવ્યો હતો, જેને જોઈને વેંકૈયા બહુ વ્યથિત થયા હતા. એ દિવસથી જ તેમણે ભારતીય ધ્વજ તૈયાર કરવાનું મનોમન નક્કી કરી લીધું અને ભારતીય ધ્વજની ડિઝાઈન તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા. ૧૯૧૬માં તેમણે 'અ નેશનલ ફ્લેગ ફોર ઇન્ડિયા' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ માટે ૩૦ નમૂના તૈયાર કરીને રજૂ કર્યા હતા. તેમના આ પુસ્તકની નોંધ મહાત્મા ગાંધીએ પોતાના અખબારના તંત્રીલેખમાં પણ લીધી હતી. કાકીનાડામાં કોંગ્રેસના સંમેલનમાં પિંગલી વેંકૈયાએ ભારતનો પોતાનો ધ્વજ હોવો જોઈએ, એવી રજૂઆત કરી હતી. ગાંધીજીને તેમનો પ્રસ્તાવ પસંદ આવ્યો હતો અને તેમણે દેશનો ધ્વજ તૈયાર કરવાની જવાબદારી વેંકૈયાને જ સોંપી હતી. પાંચેક વર્ષના સમયગાળામાં પિંગલી વૈંકેયાએ ભારતીય ધ્વજની ડિઝાઇન પર કામ કર્યું હતું અને ૧૯૨૧માં વિજયવાડા ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનમાં મધ્યમાં ચરખો હોય એવો ધ્વજ રજૂ કર્યો હતો. લાલ અને લીલા રંગના બે પટ્ટામાં ચરખાનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું. આ ધ્વજ સૌ કોઈને બહુ પસંદ આવ્યો હતો. કોંગ્રેસના ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા નહોતી મળી છતાં તે કોંગ્રેસના કાર્યક્રમોમાં લહેરાવવામાં આવતો હતો. અમુક લોકોએ આ ધ્વજમાં સુધારાવધારા પણ સૂચવ્યા હતા. આખરે કેસરી, સફેદ અને લીલા રંગના તિરંગાની ડિઝાઇન ફાઇનલ થઈ, જેમાં વચ્ચે ચરખાનું ચિત્ર યથાવત્ રાખ્યું હતું. આ તિરંગાને ૧૯૩૧માં કરાચી ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા મળી હતી. આ જ તિરંગામાં ચરખાની જગ્યાએ અશોક ચક્રને સમાવીને ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ તેને આઝાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો.

જીવનનાં આખરી વર્ષો ગરીબીમાં વિતાવનારા પિંગલી વેંકૈયાનું નિધન ૪ જુલાઈ, ૧૯૬૩ના રોજ થયું હતું. ભારતને તિરંગાની ભેટ આપનારા પિંગલી વેંકૈયાને આપણે ભૂલી ગયા, એ શરમજનક હકીકત છે. તેમના મૃત્યુનાં પૂરાં ૪૬ વર્ષ પછી છેક ઓગસ્ટ-૨૦૦૯માં આપણી સરકારને તેમની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવાનું સૂઝ્યું હતું.

ખેર, આજે તેમના જન્મ દિવસે એટલું પ્રણ લઈએ કે જ્યારે જ્યારે તિરંગાને સલામ કરીશું ત્યારે પિંગલી વેંકૈયાનું સ્મરણ અચૂકપણે કરીશું.

(‘સંદેશ’ની 2 ઑગસ્ટ, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, June 29, 2016

એક ડૉક્ટર-રત્નનું સ્મરણ

દિવ્યેશ વ્યાસ


ડૉ. બિધાન ચંદ્ર રૉયની યાદમાં 1લી જુલાઈએ રાષ્ટ્રીય ડૉક્ટર દિન ઊજવાય છે.  ભારત રત્ન ડૉ. બી.સી. રૉયના નામ અને કામથી તમે પરિચિત છો?


(ડૉ. બી.સી. રૉયનું ચિત્ર http://saltyart.in/potrait/ પરથી લીધેલું છે.)

યરવડા જેલમાં હરિજનકાર્ય ન કરવા દેવાના મુદ્દે ગાંધીજીએ 1933માં આમરણ ઉપવાસ શરૂ કરેલા. અંગ્રેજ સરકારે ગભરાઈને ગાંધીજીને જેલમુક્ત કર્યા. ગાંધીજીએ પૂનામાં જ સર વિઠ્ઠલદાસ ઠાકરશીના ‘પર્ણકુટી’ બંગલામાં રહેવાનો નિર્ણય કર્યો. ઉપવાસને કારણે તેમની તબિયત લથડી હતી. એક યુવાન ડૉક્ટરે તેમને દવાઓ આપી.  ગાંધીએ પૂછ્યું, ‘મારે તમારી સારવાર શા માટે લેવી જોઈએ? શું તમે મારા ચાળીસ કરોડ દેશવાસીઓને નિ:શુલ્ક સારવાર આપશો?’ પેલા યુવાન ડૉક્ટરે જવાબ આપ્યો, ‘ના ગાંધીજી, હું તમામ દર્દીઓની મફતમાં સારવાર ન કરી શકું. હા, હું મો.ક. ગાંધીની સારવાર નથી કરતો, પણ હું એ વ્યક્તિની સારવાર કરું છું, જે દેશના ચાળીસ કરોડ દેશબંધુઓનું પ્રતિનિધિત્વ કરે છે.’ આવો જવાબ સાંભળીને ગાંધીજી દવા-સારવાર લેવા તૈયાર થઈ ગયેલા.
 

વિશ્વભરમાં ભારતીય સિનેમાની શિરમોર ગણાતી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ માટે સત્યજિત રેને કોઈ નાણાં ધીરવા તૈયાર નહોતું. ફિલ્મ અટવાઈ પડી હતી. આખરે સત્યજિત રેએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને અડધી-અધૂરી ફિલ્મ બતાવી અને કળાપારખું મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે રાજ્ય સરકાર જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે અને દેશ-દુનિયાને એક ઉત્તમ સિનેકૃતિ ઉપલબ્ધ થઈ હતી.

ગાંધીજીની સારવાર કરનારા ડૉક્ટર અને સત્યજિત રેને મદદ કરનાર મુખ્યમંત્રી હતા - ડૉ. બિધાન ચંદ્ર રૉય. પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉ. બી.સી. રૉય આધુનિક પશ્ચિમ બંગાળના નિર્માતા ગણાય છે. રૉયસાહેબે આઝાદી જંગના લડવૈયા, પરોપકારી ચિકિત્સક, આરોગ્ય ક્ષેત્રમાં મેડિકલ સંસ્થાઓ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વગેરે)ના સ્થાપક અને કુશળ રાજકર્તા તરીકે દેશની મહામૂલી સેવા કરી હતી. આઝાદી પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ કરતાં તેમને તો દર્દીઓની સેવા વહાલી હતી, પરંતુ ગાંધીજીના અનુરોધને આંખે ચડાવીને તેમણે મુખ્યમંત્રી પદ સંભાળેલું. જોકે, દિવસનો એક કલાક તેઓ ગરીબ દર્દીઓની સારવાર-સંભાળ માટે ફાળવતા હતા. એક ડૉક્ટર તરીકે તેમનું પ્રદાન વધારે ઉત્કૃષ્ટ હતું કે એક રાજનેતા તરીકેનું, એનો નિર્ણય અઘરો પડે, એવાં અનેક મહાકાર્યો ડૉ. રૉયના નામે બોલે છે. અને એટલે જ તેમને ઈ.સ. 1961માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.
 

પરમ દિવસે એટલે કે પહેલી જુલાઈના રોજ દેશમાં રાષ્ટ્રીય ડૉક્ટર ડેની ઉજવણી કરાશે. દેશમાં મેડિકલ ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપનારા ડૉ. બી.સી. રૉયના સ્મરણમાં જ રાષ્ટ્રીય ડૉક્ટર ડે ઊજવાય છે. ડૉ. રૉય અને શેક્સપિયર વચ્ચે એક સામ્યતા એ છે કે બન્નેના જન્મ દિવસ અને મૃત્યુ દિવસ એક જ તારીખે આવે છે. આમ, 1 જુલાઈ, 1882ના રોજ બિહારના પટના ખાતે જન્મેલા ડૉ. રૉયનું નિધન કોલકાતા ખાતે 1 જુલાઈ, 1962ના રોજ થયું હતું. 

આજે મેડિકલ ક્ષેત્રનું વેપારીકરણ થઈ ગયું છે અને ડૉક્ટરની ભાવના અને ભૂમિકામાં બહુ ફરક પડી ગયો છે. ડૉક્ટરમાં દેવનાં દર્શન કરનારા દર્દીઓ જ્યારે હોસ્પિટલનું બિલ જુએ છે ત્યારે જાણે કોઈ દૈત્યે લૂંટી લીધા હોય, એવા ભાવ જાગી જાય એવો સમય આવી ગયો છે. દેશના ડૉક્ટર્સ જો ડૉ. બી.સી. રૉય જેવાને પોતાના રોલમૉડલ ગણે તો ભાગ્યે જ કોઈ દર્દી સારવારથી વંચિત રહે. જીવન અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે, પણ દેશના દરેક નાગરિકને સમયસર સારવાર મળે, એ તો દેશના ડૉક્ટરની નૈતિક ફરજ છે. દર્દીના દુ:ખો દૂર કરનારા ડૉક્ટર્સને સલામ સાથે હેપી ડૉક્ટર્સ ડે ઇન એડવાન્સ!


(‘દિવ્ય ભાસ્કર’ની 29 જૂન, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Tuesday, June 21, 2016

સૌમ્ય સત્યાગ્રહીની શાણી ફિલસૂફી

દિવ્યેશ વ્યાસ


વર્ષ 2015માં પ્રથમ વિશ્વ યોગ દિવસ અને દલાઈ લામાના 80મા જન્મ દિનનો સુભગ સમન્વય સધાયો હતો

 
(તસવીર ‘હફિંગ્ટન પોસ્ટ’ની વેબસાઇટ પરથી મેળવેલી છે)

આશરે સાડા પાંચ દાયકાથી નિરાશ્રિત જીવન જીવતા હોવા છતાં તિબેટિયનોના ૧૪મા ધર્મગુરુ એવા દલાઈ લામા પ્રત્યે સમગ્ર વિશ્વમાં સહાનુભૂતિને બદલે સન્માનની ભાવના જોવા મળે છે, એ જ તેમની મહાનતાનો સૌથી મોટો પુરાવો છે. આજે સમગ્ર વિશ્વમાં ધર્મના નામે ધિક્કાર વધારે ફેલાવવામાં આવે છે ત્યારે દલાઈ લામા એક એવું વ્યક્તિત્વ છે, જે પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ અસ્ખલિતપણે વહાવી રહ્યા છે. ધર્મને પોથીપંથી કે જડ પરંપરાવાદી બનાવવાને બદલે સતત વહેતી કરુણાની નદી જેવો રાખવા માટેની તેમની મથામણ જ સૌને તેમના પ્રત્યે માન ઉપજાવે છે. બુદ્ધનો ૭૪મો અવતાર ગણાતા દલાઈ લામાને આજે યાદ કરવાનું વિશેષ નિમિત્ત છે, તેમનો ૮૦મો જન્મદિવસ. આમ તો દલાઈ લામાનો જન્મદિવસ છઠ્ઠી જુલાઈએ આવશે, પરંતુ તિબેટિયન તારીખિયા અનુસાર પાંચમા ચંદ્ર માસનો પાંચમો દિવસ દલાઈ લામાનો જન્મદિન છે, જે આ વર્ષે (2015) ૨૧મી જૂને એટલે કે આજે છે. સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે હંમેશાં પ્રસન્ન યોગમાં રાચતા સૌમ્ય સત્યાગ્રહી એવા દલાઈ લામાના જન્મદિવસે અનોખો સંયોગ રચી આપ્યો છે.

મહાત્મા ગાંધીના વિચારોને અનુસરનારા દલાઈ લામાને પોતાના 'રાજપાટ' પડાવી લેનારા ચીન પ્રત્યે પણ સહેજેય કડવાશ નથી, ઊલટું તેઓ ચીનને એક મહાન દેશ ગણાવવાની ઉદારતા દાખવી શકે છે, એટલું જ નહીં ભારત-ચીનની દોસ્તીને દ્વેષરહિત દિલે આવકારી શકે છે. હા, ચીનમાં લોકશાહી વ્યવસ્થા હોવી જોઈએ અને દુનિયાના દેશોએ એ માટે મથવું જોઈએ, એવું આંતરરાષ્ટ્રીય મંચો પરથી કહેવાનું સાહસ દાખવવામાં તેઓ કદી પાછા પડતા નથી.

દલાઈ લામા આજે બૌદ્ધધર્મીઓના જ નહીં કરોડો લોકોના આદર્શ-સન્માનનીય વ્યક્તિ છે. ટ્વિટર પર સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાં દલાઈ લામાનો સમાવેશ થાય છે. એ જ બતાવે છે કે આજની યુવા પેઢીને તેમના વિચારો આકર્ષી રહ્યા છે. દલાઈ લામાના ૮૦મા જન્મદિનની ઉજવણીમાં આપણે ભલે ધર્મશાળા ન જઈ શકીએ, પરંંતુ તેમની ફિલસૂફી જાણીને હેપ્પી બર્થડે જરૂર મનાવી શકીએ.

પ્રસન્નતા પર બેસ્ટસેલર પુસ્તકો લખનારા દલાઈ લામા દૃઢપણે માને છે કે, "ખુશ રહેવું આપણા જીવનનો ઉદ્દેશ છે." જોકે, ખુશી કે પ્રસન્નતા બાબતે તેઓ બહુ સ્પષ્ટ છે. "પ્રસન્નતા કંઈ રેડીમેઇડ મળતી ચીજ નથી, તે આપણાં પોતાનાં કાર્યોમાંથી જ સર્જાય છે." દલાઈ લામા ખુશીની ચાવી પણ આપે છે, "તમે જો અન્યોનેે ખુશ જોવા માગતા હોવ તો કરુણાનો ભાવ રાખો. જો તમે પોતે પણ ખુશ રહેવા માગતા હોવ તોપણ કરુણાનો ભાવ રાખો."

દલાઈ લામાની સમગ્ર ફિલસૂફી ભગવાન બૌદ્ધની કરુણા અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતના પાયા પર ઊભેલી જોવા મળે છે. તેઓ કહે છે, "બને ત્યાં સુધી દયાવાન બની રહો અને દયાવાન બની રહેવું હંમેશાં શક્ય છે." સંગઠિત ધર્મનાં દૂષણોથી વાકેફ દલાઈ લામા ખુદ ધર્મગુરુ હોવા છતાં બિન્ધાસ્તપણે કહી શકે છે, "તમે કોઈ એક વિશેષ શ્રદ્ધા કે ધર્મમાં આસ્થા રાખતા હોવ તો એ સારી વાત છે, બાકી તમે તેના વિના પણ જીવતા રહી શકો છો." તેઓ દૃઢપણે માને છે કે, "આપણે ધર્મ અને ચિંતન વિના રહી શકીએ, માનવીય પ્રેમ વિના નહીં."

તેમણે કહ્યું છે, "નથી મંદિરોની જરૂર કે નથી જટિલ તત્ત્વજ્ઞાાનની. મારું દિમાગ અને મારું દિલ મારાં મંદિરો છે અને મારી ફિલસૂફી છે - કરુણા." દુનિયાના ચોથા ક્રમના સૌથી મોટા ધર્મ એવા બૌદ્ધના ધર્મગુરુ હોવા છતાં દલાઈ લામા એમ નથી કહેતા કે મારો ધર્મ બૌદ્ધ છે, તેઓ કહે છે, "મારો ધર્મ બહુ સરળ છે, મારો ધર્મ કરુણા છે." દુનિયાના દરેક ધર્મ શાશ્વત માનવમૂલ્યોની જ વાત કરે છે, છતાં પણ દરેક ધર્મગુરુ માનવમૂલ્યોનો જ સંદેશ આપતા નથી. બધાય દલાઈ લામા જેવા થોડા હોય? કદાચ આજના વિશ્વની આ જ સૌથી મોટી કરુણતા છે!

(‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિના 21મી જૂન, 2015ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)