Saturday, October 6, 2018

લોકશાહી શાસન પૂરતું નથી, લોકશાહી સમાજ હોવો જોઈએ : ગિરીશ પટેલ

દિવ્યેશ વ્યાસ
તેજસ વૈદ્ય

(ગિરીશભાઈની આ તસવીર https://counterview.org પરથી લીધેલી છે.)


પ્રશ્ન: લોકશાહી અંગે આપના વિચારો શું છે? આઝાદી પછી આપણે કયાં થાપ ખાધી છે?

ગિરીશભાઈ: ‘લોકશાહી’ના ખયાલનો વિકાસ તેની દાયકાઓ જૂની વ્યાખ્યા ‘લોકો દ્વારા ચાલતી, લોકો માટેની, લોકોની બનેલી સરકાર’ મુજબ થયેલો છે. જે રાજયમાં એકહથ્થું શાસન હોય, તેમાં બળનું એકત્રીકરણ હોય છે. કાયદો બનાવવાની, અમલમાં મૂકવાની અને કાયદામાં નિયમો બનાવવાની સત્તા એટલે સમાજને સ્પર્શતા દરેક સવાલ અંગે રાજ્ય પાસે સત્તા રહેલી છે.

એક જમાનામાં રાજાશાહીનો ખયાલ હતો કે રાજા રાજ ચલાવે અને લોકો તેની પ્રજા ગણાય. અલબત્ત, માત્ર સુશાસન હોય તે પૂરતું નથી, પરંતુ સ્વશાસન હોવું જરૂરી છે. સુશાસન એક વસ્તુ છે અને સ્વશાસન તેનાથી ઘણી જુદી વસ્તુ છે. લોકો પાસે સુખ-સુવિધા હોય, પણ તેમાં તેનું સ્થાન શું છે, તે મહત્ત્વનું છે. દરેક વ્યકિત સ્વતંત્ર વિચાર ધરાવે છે ત્યારે તેના વિકાસનો વિચાર બીજા કેમ કરી શકે? લોકોની જરૂરિયાતો સંતોષાતી હોય તોય લોકોને સ્વતંત્ર સ્વવિકાસની ઝંખના રહે જ છે. મનુષ્ય માત્ર મળેલું જીવન જીવવા જ અસ્તિત્વ ધરાવતો નથી, તેના માટે સ્વવિકાસ જરૂરી છે અને તે ત્યારે જ ફળીભૂત થઈ શકે જયારે મનુષ્ય સ્વતંત્રતા ભોગવતો હોય અને તંત્રમાં લેવાતા નિર્ણયોમાં તેની ભાગીદારી હોય. રાજય કે શાસન લોકો માટે હોય તે પૂરતું નથી, પરંતુ તે લોકોનું જ હોવું જોઈએ અને લોકો દ્વારા જ ચાલવું જોઈએ. સ્વશાસન ન હોય ત્યાં સુધી સુશાસન કદી સશક્ત ન બની શકે. આ બન્ને ખયાલો અલગ નથી, પણ પૂરક છે. લોકશાહીનો ખયાલ વિકસતો વિકસતો હવે વેલફેર સ્ટેટમાંથી આગળ વધીને વિકાસ રાજ્ય (ડેવલપમેન્ટ સ્ટેટ) સુધી પહોંચ્યો છે, જેમાં લોકોના વિકાસની ચિંતા સેવાય છે.

લોકોના વિકાસ માટે સ્વાતંત્ર્ય જરૂરી છે. તેનામાં ખુદનો અવાજ વ્યકત કરવાની અને પોતાના વિચારોને અમલમાં મૂકવાની શક્તિ હોવી જોઈએ. અલબત્ત, લોકશાહીમાં કોઈ એક વ્યક્તિ  માટે સમગ્ર વ્યવસ્થા નથી હોતી, સમગ્ર સમાજ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય છે. કોઈ વ્યવસ્થા કે પદ્ધતિ ઊભી કરવા પાછળનો ઉદ્દેશ માત્ર આ જ છે. અલબત્ત, કમનસીબે એવું બનતું હોય છે કે સંસ્થાકીય માળખું જ મહત્ત્વનું બની જાય છે અને તેનું હાર્દ મરી જાય છે. માત્ર માળખું જ રહે એ અગત્યનું નથી. લોકશાહી માળખા દ્વારા લોકોનું સ્વશાસન સિદ્ધ થયું છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. લોકશાહીનો ખયાલ આદર્શને સિદ્ધ કરવા માટેનો છે. સંસ્થાકીય માળખું અને લોકશાહી ત્યારે જ સફળ થાય જયારે આદર્શ અને માળખું બન્ને એક બને.

બંધારણનું આમુખ, મૂળભૂત અધિકારો ને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ ત્રણેય ભાગો બંધારણનો આત્મા છે. તેનો ઉદ્દેશ સુશાસન અને સ્વશાસન સ્થાપવાનો છે. માત્ર લોકશાહી રાજ્ય એટલું જ પૂરતું નથી, લોકશાહી સમાજ હોવો જરૂરી છે. બંધારણ લોકશાહી રાજ્ય સ્થાપે છે. કુટુંબ સહિત સમાજના દરેક ભાગમાં લોકશાહીની ભાવના વ્યક્ત થવી જોઈએ અને તેમાં ભાગીદારીપૂર્ણ લોકશાહી (પાર્ટીસીપેટરી ડેમોક્રસી) એ લોકશાહીનો આદર્શ હોવો જોઈએ. આપણે બંધારણ તો બનાવ્યું પણ તે મુજબનો સમાજ ન હતો. ઊંચ-નીચના ભેદ, ધર્મ-સંપ્રદાયના પ્રશ્નો, આદિવાસી-દલિતના પ્રશ્નો વગેરે અનેક સમસ્યાઓ હતી. ખ્યાલ એવો હતો કે નવું બંધારણ દેશમાં પરિવર્તન લાવવાનું બળ બનશે અને તે માટેના પ્રયત્નો કરવામાં આવશે, પરંતુ બન્યું એવું કે સામાજિક માળખું એટલી હદે બળવત્તર રહ્યું કે કે બંધારણને હડપ કરી ગયું. આમ, ખરેખર બંધારણ એ કોઈ સિદ્ધ થયેલી હકીકત ન હતી, સિદ્ધ કરવાનું હતું. આ ભૂલને લીધે સમાજનું પાયાગત પરિવર્તન થવું જોઈતું હતું, પરંતુ તે પ્રક્રિયા તૂટી ગઈ. પ્રજાની અંદર જ સહિષ્ણુતા અને લોકશાહીની ભાવના નહિ હોય તો લોકશાહી ટકશે નહીં. તેથી લોકશાહીમાં લોકોની જવાબદારી મહત્ત્વની છે.

ભારતમાં એકવીસમી સદીમાં પ્રવેશ્યું છે ત્યારે ઘણી વિપરીત પરિસ્થિતિઓ સામે આવીને ઊભી છે. લોકશાહી સમાજ માટેના પ્રયત્નો થવા જોઈએ, તે ન થયા તેને કારણે આમ થયું છે. આજે સક્રિયતા ઘણી જોવા મળે છે, તેની ના નહીં, પરંતુ ઘણું અઘકચરું રહી ગયું છે. કામ કરનારા ઓછા થતાં જાય છે, તંત્ર નબળું પડતું જાય છે. આજની પરિસ્થિતિ નિરાશાજનક છે. મૂલ્યો ઓછાં થતાં જાય છે. સ્ત્રીઓની આધુનિકતાની વાત ચાલે છે, પરંતુ સ્ત્રી કયાંય વ્યક્તિ બનતી નથી. એક જગ્યાએ સ્ત્રી મોડલ બને છે તો એક જગ્યાએ સ્ત્રીને સળગાવી દેવામાં આવે છે. વિજ્ઞાનની તકનીકોમાં આપણે ઘણી સિદ્ધિ મેળવી છે, પરંતુ પાયાનો સ્તર નબળો પડી રહ્યો છે.

ગિરીશભાઈના અમૃત પર્વ નિમિત્તે સન્માન સમિતિ દ્વારા પ્રકાશિત પુસ્તક
પ્રશ્ન: ન્યાયતંત્રમાં જાહેર હિતની અરજીનું મહત્ત્વ અને ફાળો શું છે?

ગિરીશભાઈ: આઝાદી પછી આપણે લોકોનું શાસન સ્થાપવાનું હતું, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તેવી હતી નહીં એટલે બંધારણ આવ્યા પછી આજે એનાં પરિણામે લોકોએ ચૂંટેલી સરકારો તો આવી, પરંતુ લોકોની સરકાર ન આવી. કાયદો ગમે તેટલો સારો હોય, પરંતુ તે કદી પોતાની મેળે અમલમાં આવતો નથી. જે કાયદા બન્યા છે, તેનો અમલ થવો જોઈએ. કાયદાના અસરકારક અમલ માટે લોકોમાં જાગૃતિ હોવી જરૂરી છે. જાગૃતિ પણ માત્ર ઉપરછલ્લી કે ખપ પૂરતી નહીં. માત્ર જ્ઞાન પૂરતું નથી, પરંતુ તે અમલમાં મૂકવાની ક્ષમતા હોવી જોઈએ.

આ પરિસ્થિતિમાં બંધારણ બન્યા પછી ઈ.સ. ૧૯૮૦ સુધી સામાન્ય લોકો કોર્ટમાં આવતા, પણ તેના માટે નાણાં અને ધીરજ જોઈએ. સામાન્ય માણસો એમના મૂળભૂત અધિકારો માટે લાચાર હતા. જેના અધિકારનું હનન થાય તે જ કોર્ટમાં જઈ શકે એ કાયદો બદલાયો. સુપ્રીમે ઈ.સ. ૧૯૮૨માં જાહેર હિતની અરજીનો સિદ્ધાંત સ્થાપ્યો.

જે કેસમાં વ્યકિતગત હિત નહિ, પરંતુ અનેક લોકોનું હિત સમાયેલું હોય તો તેના માટે કોણ લડે? જાહેર હિતમાં રાજ્યની સંપત્તિનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર વગેરે સામે લોકોના હિતને ઘ્યાનમાં રાખી અન્ય કોઈ અરજી કેમ ન કરી શકે? એવા સવાલ આવ્યા અને જાહેર હિતની અરજીનો સિદ્ધાંત સ્થપાતાં ગરીબો, વંચિતો, દલિતોના પ્રશ્નો, સામાજિક મૂલ્યોની જાળવણી, રાષ્ટ્રની સંપત્તિની સાચવણી વગેરે માટેનો કેસ ‘જેન્યુઇન’ માણસ કોર્ટમાં લાવે એવો શિરસ્તો શરૂ થયો. આમ, જાહેરજીવનમાં લોકોમાં સભાનતા-જાગૃતિ આવે અને કાયદાકીય રીતે તેમનું સશકિતકરણ થાય એવા ઉદ્દેશથી  જાહેર હિતની અરજી અમલમાં આવી. જોકે, કોર્ટમાં જાહેર હિતની અરજીનો ચુકાદો બે-ત્રણ વર્ષે આવે એટલે તેમાં હિત ન સચવાય, એવું પણ બને છે. આજે જાહિત હિતની અરજીનો ઉપયોગ પ્રસિદ્ધિ મેળવવા કે પછી વ્યકિતગત કે રાજકીય હિત સાધવા માટે પણ થઈ રહ્યો છે, તે દુ:ખદ બાબત છે.

પ્રશ્ન: કાયદાઓનો અસરકારક અમલ કઈ રીતે થઈ શકે? કાયદાના અમલની જવાબદારી કોની?

ગિરીશભાઈ: કાયદા હોવા છતાં અમલ થતો નથી, અસરકારકતા ઊભી થતી નથી, તેનાં અનેક કારણો છે. જેમકે, તે અંગેની જાગૃતિનો અભાવ, આ દેશમાં કાયદાની ભાષા અંગ્રેજી છે અને કાયદા અટપટા છે. વળી, કાયદો પણ એક ભાષા છે, તેથી તેના અનેક અર્થો નીકળી શકે. કાયદાઓમાં જાણ્યે-અજાણ્યે અનેક છટકબારી રહેલી છે. મૂળે કાયદાને સારો બનાવવાની ચીવટ હોવી જોઈએ, પણ એ બનતું નથી. ખરા અર્થમાં જાહેર હિત એ સામાજિક મૂલ્યોને સાચવવાની વાત છે. કોઈ કાયદામાં માત્ર પોલીસને જ સત્તા આપો તો લોકો શું કરી શકે? સપોર્ટિવ એકશન એન્ડ મેજર્સ ન હોય તો કાયદો નબળો પુરવાર થાય. કાયદાની બાબતમાં તેના અમલીકરણની પણ અગત્યતા છે. કાયદાની પ્રાયોરિટી અલગ હોય તો તેનું અમલીકરણ માત્ર કહેવાથી થઈ જતું નથી. વળી, કાયદાના પાલન માટે દૃષ્ટિ અને શકિત જ સમાજમાં ન હોય તો આંતરિક રીતે જ તે સ્વીકાર્ય બનતો નથી. કાયદો માત્ર ફોર્સ નથી, તેની પાછળ કન્સેપ્ટ હોય છે. કાયદાને સફળ બનાવવા માટે તેનો પ્રચાર જરૂરી છે. આમ, આવી અનેક બાબતો કાયદાની સક્રિયતા માટે જરૂરી છે, જેના અભાવથી કાયદાનો અમલમાં આવતો નથી.

પ્રશ્ન: પહેલાંના જમાનામાં ગામોમાં પંચ નિર્ણય કરતું, તો એવી કોઈ વ્યવસ્થા કોર્ટને બદલે સંભવે તે કેટલું યોગ્ય અને જરૂરી છે?

ગિરીશભાઈ: વિકલ્પો ત્યારે જ વિચારવા પડે જયારે ચાલુ વ્યવસ્થા નિષ્ફળ ગઈ હોય. કોર્ટને અસરકારક બનાવવાનાં પગલાં આપણે ક્યારેય લેતાં જ નથી. હાલની વ્યવસ્થાને કેટલા ટકા સુધારી શકાય તેની ચકાસણી કરી વ્યવસ્થા સુધારવા માટે કંઈક નક્કર કરવું જોઈએ. તે માટેના સેમિનારો યોજવાનો કોઈ મતલબ નથી. કોઈ પણ સમાજમાં માત્ર અદાલતો જ સમાજના તમામ પ્રશ્નો હલ ન કરી શકે. સમાજમાં એક જીવંત વ્યવસ્થા હોવી જોઈએ અને ન છૂટકે જ અદાલતની મદદ લેવાવી જોઈએ. જેમકે, કુટુંબના પ્રશ્નો કુટુંબમાં જ ઉકેલાવા જોઈએ. તેના માટે અદાલતમાં જવાની જરૂર ન ઊભી થવી જોઈએ.

ગામ સ્તરે ન્યાય માટે સારી સ્થાનિક સુવિધા વિકસે, એવી વ્યવસ્થા આવકાર્ય છે. ગામમાં પંચ બને, પણ પંચમાં અમુક જ્ઞાતિના લોકો જ બેસતા હોય તો તેનો કોઈ અર્થ નથી. અલબત્ત, ગામના દરેક પક્ષ-જ્ઞાતિના પ્રતિનિધિ હોય તો તે વધુ યોગ્ય અને અસરકારક બને છે. ગામમાં બધા એકબીજાને ઓળખતા હોય છે અને બધા બધું જાણતા જ હોય છે, તેથી ખોટી બાબતો ટકતી નથી. પંચ જેવી વૈકિલ્પક વ્યવસ્થા સારી છે, પરંતુ તેમાં પણ પ્રશ્નો ઊભા ન થાય એવું નથી.

પ્રશ્ન: માહિતી અધિકારની માગ સમાજમાંથી કેમ નથી ઊઠતી? (મુલાકાત સમયે  માહિતી અધિકારનો કાયદો અમલમાં નહોતો આવ્યો.) આપણા સમાજમાં માહિતી અધિકાર કેટલે અંશે સફળ થશે?

ગિરીશભાઈ: લોકો માહિતી અધિકાર માગતા જ હોય છે, પરંતુ તેમને ખ્યાલ નથી હોતો કે આવી માગ કયાં અને કેવી રીતે કરી શકાય? ભૂખ લાગે ત્યારે કહેવાની જરૂર નથી રહેતી, માણસ જાતે ખોરાક શોધવા માંડે છે. માહિતીની જરૂરિયાત લોકોને મહેસૂસ થાય છે, પરંતુ તેને ઉપલા સ્તરે લઈ જવી અને તેને અધિકારનું સ્વરૂપ આપવું, તે સમાજના જાગૃત નાગરિકોની ફરજ છે. સમાજ જ્યારે નાનો હતો ત્યારે માહિતી પ્રત્યક્ષ જ હતી, પરંતુ વખત જતાં સમાજ, સાધનો, વ્યવસ્થા વિકસતા ગયાં, સંકુલ થતાં ગયાં અને તેને લીધે લોકોને બધી વાતની જાણકારી હોતી નથી તથા તેમને એ ખ્યાલ નથી હોતો કે માહિતી કયાંથી મળે? અથવા તો હું માહિતી કેવી રીતે માગી શકું? માહિતી અધિકાર એ સમાજના ખુલ્લાપણાનું એક આગવું લક્ષણ છે. સંકુલ સમાજને ખુલવાની-ખીલવાની વાત માહિતી અધિકાર કરે છે. લોકશાહી એ સમાજનો આદર્શ હોય તો લોકોને માહિતી અધિકાર આપવો જ જોઈએ. લોકશાહીમાં લોકો પાસે માહિતી જ ન હોય તો લોકો કઈ રીતે નિર્ણય લઈ શકે? માહિતી માત્ર આપવાથી કંઈ વળતું નથી. કોઈ પણ અધિકાર મેળવવા માટે સમાજે મોટા પાયે સામાજિક ઝુંબેશ કરવી પડે છે. કાયદો સ્વયં તમને મદદ કરતો નથી. તેને માટે માણસે હિંમત દર્શાવવી પડે.

પ્રશ્ન: વર્ષોથી ચાલ્યા આવતા કાયદાઓમાં બદલાવ લાવવો કેટલો જરૂરી છે?

ગિરીશભાઈ: બદલાતા પરિપ્રેક્ષ્યમાં કાયદા તો બદલાતા જ રહે છે, પરંતુ તેની બદલાવવાની પદ્ધતિ કેવી છે, તે જોવું જરૂરી છે. તેના સંદર્ભો સમજવા જરૂરી છે. કાયદો મૂળે રૂઢિચુસ્ત હોય છે. સમાજમાં બદલાતી પરિસ્થિતિમાં પ્રતિક્ષણે કાયદો ન બદલાય. તે બદલાય તે માટેનું વાતાવરણ ઉપસ્થિત થવું જોઈએ. એ મુજબનું તંત્ર અને લોકોની તૈયારી હોવી જોઈએ.

આજે જેટલી ઝડપી પરિવર્તન આવી રહ્યાં છે, તે ઝડપે કાયદો બદલાવી શકાયો નથી. પરિવર્તનની સ્થિરતા જોઈને બદલાવ લાવવો જોઈએ. દર વખતે કાયદો ન બદલાવી શકાય, પરંતુ કેસને અનુરૂપ જરૂરી અર્થઘટન કરવું જોઈએ. જુદા જુદા વર્ગોએ કાયદા અંગે ચર્ચા કરવી જોઈએ. આપણે ત્યાં સમાજમાંથી ઊઠવો જોઈતો પ્રત્યાઘાત જોવા મળતો નથી.

(હું અને તેજસ વૈદ્ય પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (સીઈઈ) દ્વારા પ્રકાશિત ‘આસ્થા’ સામયિક સંભાળતા હતા ત્યારે દરેક અંકમાં એક મહાનુભાવની મુલાકાતનો સમાવેશ કરતા હતા. ગિરીશભાઈની આ મુલાકાત પણ એ વિભાગ અંતર્ગત જ પ્રકાશિત કરવામાં આવી હતી. ‘આસ્થા’ના જુલાઈ-૨૦૦૩ના અંકમાં આ મુલાકાત પ્રસિદ્ધ થઈ હતી. વિપુલભાઈ કલ્યાણીએ આ મુલાકાત ઓપિનિયનમાં પણ (http://opinionmagazine.co.uk/details/147/લોકશાહી-શાસન-પૂરતું-નથી--લોકશાહી-સમાજ-હોવો-જોઈએ-ગિરીશ-પટેલ- સમાવી હતી. ઓનલાઇન હોવાથી જ અહીં આસાનીથી ઉપલબ્ધ થઈ શકી છે.)

Wednesday, July 25, 2018

દવાખાનું કોઈને દેખાડશો નહીં!

દિવ્યેશ વ્યાસ


બીમારી કે અકસ્માતની સારવાર એટલી મોંઘી પડી રહી છે કે પરિવારની આર્થિક હાલત સિરીયસ થઈ જાય છે!

(તસવીર પ્રતીકાત્મક છે અને ઇન્ટરનેટ પરથી મેળવેલી છે.)

પરિવારના વૃદ્ધજનોના મોંઢે કદાચ તમે સાંભળ્યું હશે કે ‘ભગવાન, ત્રણ વસ્તુથી કાયમ અમને દૂર રાખજે : દવાખાનું, કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશન’. આ ત્રણની યાદીમાં સૌથી પહેલું સ્થાન દવાખાનાને મળ્યું છે, તેનાં ચોક્કસ કારણો છે. શાંતિપૂર્વક જીવન જીવો, નિયમ-કાયદાનું પાલન કરો અને ટંટાફસાદથી દૂર રહો તો તમે આસાથીની કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશનથી દૂર રહી શકો છો, પરંતુ તબિયત કે તંદુરસ્તી પર એક હદથી વધારે આપણું નિયંત્રણ રહેતું નથી. બીમાર પડવાનાં એટલાં બધાં કારણો છે કે ક્યારેક તો કોઈને કોઈ આપણને લપેટમાં લઈ લે છે અને દવાખાનાભેગા થવું પડે છે. એમાંય અકસ્માતમાં તો વગરવાંકે પણ ઉપાધિ માથે પડી શકે છે. આવા સંજોગોમાં સારવાર અર્થે હોસ્પિટલમાં જઈને સારવાર લીધા સિવાય છૂટકો હોતો નથી. અમુક ઉંમર પછી કેટલીક તકલીફો અને બીમારીઓ લાગુ પડ્યા વિના રહેતી નથી ત્યારે શરીરને સ્વસ્થ-સાજું રાખવા માટે દવા-સારવાર કરવી આવશ્યક હોય છે. બીપી અને ડાયાબિટીસ જેવી વ્યાધિઓમાં તો નિયમિતપણે દવાઓ લેવી જરૂરી બને છે. આમ, દવાખાને જવું તો કોઈને ગમતું નથી, પરંતુ દવાખાને ગયા વિના ક્યાં કોઈને ચાલે છે?

બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, નિરક્ષર હોય કે સાક્ષર, ગરીબ હોય કે અમીર, ગ્રામીણ હોય કે શહેરી, દરેકને દવાખાના-સારવારની જરૂર ક્યારેક ને ક્યારેક પડે જ છે. આરોગ્ય અને શિક્ષણ એવાં બે ક્ષેત્રો છે, જેમાં સેવાની જેટલી તક મળે છે, એટલો જ મોકો મેવા ખાવાનો (કમાણી કરવાનો) પણ મળતો હોય છે. ખાનગીકરણના દોર પછી આરોગ્ય ક્ષેત્રમાં ખાનગી હોસ્પિટલો-કોર્પોરેટ હોસ્પિટલોનો દબદબો સતત વધતો રહ્યો છે. સ્વાસ્થ્ય સેવાઓ અને દવાઓ એટલી મોંઘી બની રહી છે કે સામાન્ય લોકોને પોષાતી નથી.

સરકારી દવાખાનાં અને આરોગ્ય કેન્દ્રો પોતે જ સ્વાસ્થ્ય ઝંખી રહ્યા હોય, એવી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે ખાનગી દવાખાનામાં જવું જાણે ફરજિયાત થઈ ગયું છે. આરોગ્ય ક્ષેત્ર ધમધમતી કમાણીનું સાધન બની ગયું છે અને એને કારણે સારવાર પછી વ્યક્તિની હાલત તો સુધરી જાય છે, પરંતુ પરિવારની આર્થિક હાલત બગડી જતી હોય છે. તાજેતરમાં ઇન્ડિયાસ્પેન્ડ ડૉટકૉમ નામના પોર્ટલ પર બીએમજે જર્નલના સંશોધનના આધારે એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેમાં અધિકૃત સરકારી આંકડાઓના આધારે તારણ કાઢવામાં આવ્યું હતું કે વર્ષ 2011-12માં આરોગ્ય-સારવાર પર હદથી વધારે ખર્ચો થવાને કારણે 5 કરોડ 50 લાખ લોકો રાતોરાત ગરીબીરેખા હેઠળ ધકેલાઈ ગયા હતા! અહેવાલમાં જ આંકડા અપાયેલા છે કે આ સંખ્યા દ. કોરિયા, સ્પેન અને કેન્યા જેવા દેશોની વસતી કરતાં પણ વધારે છે. આ સંશોધન વાંચતાં અર્થશાસ્ત્રના અભ્યાસુ અને પ્રખર રાજનેતા સનત મહેતાનો એક દસ-બાર વર્ષ જૂનો લેખ યાદ આવી ગયો, જેમાં તેમણે લખેલું કે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને ગરીબી રેખા વચ્ચે માત્ર એક મોટી બીમારીનું જ અંતર હોય છે! એમાંય મોટી બીમારી હોય તો અમીર પરિવાર પણ રાતોરાત ગરીબી રેખા હેઠળ પહોંચી જતો હોય છે.

આજકાલ હૃદયરોગ અને કેન્સરની બીમારી દાવાનળની જેમ ફેલાઈ રહી છે અને પહોંચ બહારનો ખર્ચો કરાવવામાં પણ આ બે બીમારીઓ જ મુખ્યપણે કારણભૂત હોવાનું અભ્યાસોમાં જણાયું છે. પરિવારજનના સ્વાસ્થ્ય માટે દેણું કરીને પણ સારવાર કરાવવામાં આવે છે અને દેવાનો ખાડો પુરવામાં જમીન-જાયદાદ વેચવાનો પણ વારો આવતો હોય છે. ભારતમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવે છે, તેને કારણે લાખો લોકોને પ્રમાણમાં સસ્તી સારવાર મળી રહે છે, પરંતુ દવાઓના ઊંચા ભાવના ડામ તો સહેવા જ પડતાં હોય છે.

ભારતમાં સરકારો દ્વારા આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવે છે. એક અભ્યાસ અનુસાર વર્ષ 2015માં સરકાર દ્વારા જીડીપીના માત્ર 1.02 ટકા જ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા હતા. જાહેર આરોગ્ય માટે સરકાર દર વર્ષે વ્યક્તિદીઠ રૂ. 1,112નો જ ખર્ચ કરે છે. આ હિસાબે રોજના માત્ર રૂ. 3! આરોગ્ય ક્ષેત્રે વધારે નાણાં-સંસાધનો ફાળવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ જરૂરી વધારો કરવામાં ઠાગાઠૈયા જ કરવામાં આવે છે.

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારે નાણાકીય સંસાધનો ફાળવવા જરૂરી છે. કોઈ પણ દેશ સ્વસ્થ નાગરિકો વિના સશક્ત બની શકે નહીં.

(દિવ્ય ભાસ્કરની 25મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 18, 2018

મંડેલાનો સંઘર્ષ અને શીખ

દિવ્યેશ વ્યાસ


નેલ્સન મંડેલાની શતાબ્દી નિમિત્તે તેમના સંઘર્ષને સલામ કરવા સાથે તેમની શીખ પણ ગાંઠે બાંધવા જેવી છે


(નેલ્સન મંડેલાની આ તસવીર ગેટી ઇમેજીસની છે.)

‘લોકોના માનવ અધિકારની  અવગણના કરવી એટલે તેમનામાં રહેલી માનવતાને છંછેડવી.’ એક નાનકડા વાક્યમાં વિરાટ ડહાપણ સમાવવાની તાકાત તો મહાપુરુષો જ દાખવી શકે! હા, આ વાક્ય છે, નેલ્સન મંડેલાનું. નેલ્સન મંડેલા એટલે રંગભેદ સામે રણે ચડેલા શૂરવીર, માનવ અધિકારના વિશ્વવિખ્યાત હિમાયતી અને માનવતાનાં મૂલ્યોના પ્રહરી. 18 જુલાઈ, 1918ના રોજ દ. આફ્રિકાના એક રાજવંશમાં જન્મેલા નેલ્સન મંડેલાના પૃથ્વી પરના  અવતરણને આજે 100 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. નેલ્સલ મંડેલાની શતાબ્દી સમગ્ર વિશ્વમાં ઊજવાઈ રહી છે ત્યારે તેમના સંઘર્ષને સલામ કરવાની સાથે સાથે તેમણે પોતાનાં વચન અને કર્મથી આપેલી શીખને પણ ગાંઠે બાંધી લેવા જેવી છે.

આપણે સૌ જાણીએ છીએ કે  નેલ્સલ મંડેલાને દ. આફ્રિકાના ગાંધી કહેવામાં આવે છે. અલબત્ત, લડતના પ્રારંભિક તબક્કામાં મંડેલાને સશસ્ત્ર સંઘર્ષનો છોછ નહોતો. મંડેલાને 1961માં તેમના રાજકીય પક્ષ આફ્રિકન નેશનલ કૉંગ્રેસ તરફથી સશસ્ત્ર પાંખનું જ સુકાન સોંપાયું હતું. જોકે, મંડેલામાં માનવતા હતી અને એટલે જ તેમણે સરકારી સંસ્થાનો પર લોકોનો જાન ન લે એવા અહિંસક વિસ્ફોટો કરવાની સરકારની આંખો ઉઘાડવાની નીતિ અપનાવી હતી. દ. આફ્રિકાની ગોરી સરકારે આફ્રિકન નેશનલ કૉંગ્રેસને આતંકવાદી જૂથ ગણાવીને મંડેલા સહિતના સાથીદારોને જેલભેગા કરી દીધા હતા અને દાયકાઓ સુધી જેલમાં  ગોંધી રાખ્યા હતા. જોકે, મંડેલાના હૃદયમાં રહેલી માનવતા તેમને ગાંધીવિચાર સુધી લઈ ગઈ. સમયની સાથે તેઓ પરિપકવ બનતા ગયા અને તેમને સમજાયું કે ગાંધીચીંધ્યો માર્ગ જ વધારે સુફળદાયી છે.

મંડેલા જ્યારે જેલમાંથી મુક્ત થયા ત્યારે તેઓ અનેક અર્થમાં ‘મુક્ત’ થઈ ચૂક્યા હતા અને જેલબહાર આવીને તેમણે શુદ્ધ ગાંધીવાદી રાજનીતિનો માર્ગ અપનાવ્યો અને દ. આફ્રિકામાં શાંતિપૂર્ણ રીતે અશ્વેત લોકોને ન્યાય અપાવ્યો અને સમાજ-દેશમાંથી ગોરા-કાળાનો ભેદ હટાવવાનું યુગકાર્ય કર્યું. પ્રખર અભ્યાસુ અને વિચારક રામચંદ્ર ગુહાએ 2016માં ગૂજરાત વિદ્યાપીઠમાં આપેલા દીક્ષાંત પ્રવચનમાં ગાંધીજીની ચિરપ્રસ્તુતતાની વાત કરતાં કરતાં નેલ્સલ મંડેલા અંગે એક નિરીક્ષણ વ્યક્ત કર્યું હતું, ‘વિરોધકર્તા તરીકે નેલ્સન મંડેલાએ ગાંધીની જ પદ્ધતિઓનો ચુસ્તપણે ઉપયોગ કર્યો નહોતો, પણ એક શાસક તરીકે તેઓ ચોક્કસપણે ગાંધીવાદી પુરવાર થયા હતા. રંગભેદની નીતિનો અંત આવ્યા બાદ નેલ્સન મંડેલાએ શ્વેત પ્રજા સાથે પુનઃ સુમેળના પ્રયાસ શરૂ કર્યા અને દક્ષિણ આફ્રિકાના વિવિધ લોકોને મળવાનું ચાલુ રાખ્યું. પ્રજાસત્તાક આફ્રિકાનું બંધારણ કોઈ પણ જાતિ, ધર્મ કે ભાષાકીય જૂથના વિશેષાધિકારને નકારે છે.’ આમ, આ મહામાનવે ગાંધીવિચારની પ્રસ્તુતતાનો આપેલો સજ્જડ પુરાવો અનેક પેઢી સુધી પ્રેરણા આપતો રહેશે.

મંડેલાની જેલમુક્તિ પછી દ. આફ્રિકામાં પહેલી વખત મુક્ત ચૂંટણી યોજવામાં આવી હતી અને મંડેલાના રાજકીય પક્ષને 62 ટકા મતો સાથે જ્વલંત વિજય પ્રાપ્ત થયેલો. મંડેલાને બહુમતી મળી હોવા છતાં તેમણે રાષ્ટ્રીય એકતા ધરાવતી સંયુક્ત સરકાર રચી હતી. (આઝાદ ભારતની પહેલી નેહરુ સરકારની જેવી) મંડેલાની સરકારમાં ગોરા પ્રતિનિધિઓને પણ સન્માનનીય સ્થાન મળ્યું હતું અને એ રીતે શ્વેત-અશ્વેત વચ્ચેનું  સદીઓ  જૂનું અંતર મીટાવવાનો મંડેલાએ મહાપ્રયાસ આદર્યો હતો. ઈ.સ.  1994માં મંડેલા દ. આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા હતા. 75 વર્ષની વયે રાષ્ટ્રપ્રમુખ બનેલા મંડેલાએ ધાર્યું હોત તો તેઓ આજીવન રાષ્ટ્રપ્રમુખ પદે રહી શક્યા હોત, પરંતુ તેમને ન તો સત્તા-પદની લાલસા હતી કે ન હતી કોઈ પ્રકારની લઘુતાગ્રંથિ. તેમણે પહેલેથી જ નક્કી રાખ્યું હતું કે  માત્ર એક ટર્મ સુધી જ રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો સંભાળવો અને પછી સક્રિય રાજકારણ છોડીને માનવ અધિકાર, ગરીબીની નાબૂદી અને વિશ્વશાંતિ માટે સમર્પિત જીવન જીવવું. જીવનનાં કીમતી 27 વર્ષો જેલમાં વીતાવનારા મંડેલાને જેલમાં જીવતાં પણ આવડ્યું અને સમયસ સત્તાનો મહેલ છોડતાં પણ આવડ્યું. આ ગુણ જ તેમને મહાન નેતાઓની હરોળમાં મૂકે છે.

નેલ્સન મંડેલા ભારતને ખૂબ જ ચાહતા હતા. ભારતે પણ તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજ્યા હતા. શાંતિનો નોબેલ જીતનારા મંડેલાનાં એક સુવાક્યો પ્રેરણાદાયક છે, તેમના એક મનનીય વાક્યથી જ લેખ પૂરો કરીએ: ‘વિજેતા એ છે, જે સ્વપ્ન જુએ છે અને તેને પૂરું કર્યા વિના ક્યારેય હાર માનતો નથી.’

(દિવ્ય ભાસ્કરની 18મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 11, 2018

મલાલાને આટલું માન શા માટે?

દિવ્યેશ વ્યાસ


દર વર્ષે 12મી જુલાઈના રોજ મલાલા ડે ઊજવાય છે. આ યુવતીમાં એવું તે શું છે કે સંયુક્ત રાષ્ટ્ર તેનો દિવસ મનાવે છે?




આવતી કાલે 12મી જુલાઈએ અનેક મહાનુભાવોનો જન્મ દિવસ છે. કાલે સમગ્ર વિશ્વમાં વિખ્યાત એવા વિચારક અને સાહિત્યકાર હેન્રી ડેવિડ થોરોની સાથે સાથે ચિલીના ખ્યાતનામ કવિ અને રાજદૂત પાબ્લો નેરુદાની જયંતી છે. રોલ ફિલ્મના શોધક જ્યોર્જ ઇસ્ટમેનનો પણ જન્મ દિવસ છે તો એકવીસમી સદીના યુવાનોના રોલમૉડલ એવા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો પણ બર્થ ડે છે... છતાં 12મી જુલાઈ પાકિસ્તાનની યુવતી મલાલા યૂસુફજઈના નામે બોલે છે. વર્ષ 2013માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 12મી જુલાઈને મલાલા ડે જાહેર કરવામાં આવ્યો હતો અને દર વર્ષે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાની જૂજ વ્યક્તિઓના નામે સંયુક્ત રાષ્ટ્ર કોઈ દિવસ ઊજવે છે, ત્યારે મલાલાએ માત્ર 16 વર્ષની વયે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું.

મલાલાને મળેલા સન્માન-પુરસ્કારની યાદી ઘણી લાંબી છે, પરંતુ એક હી નામ કાફી હૈ - નોબેલ પુરસ્કાર.  મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનો નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો. આટલી નાની વયે આજદિન સુધી કોઈ આ પુરસ્કાર મેળવી શક્યું નથી. વર્ષ 2014માં ભારતના કૈલાશ સત્યાર્થી અને મલાલાને સંયુક્ત રીતે આ પારિતોષિક અપાયો હતો. આ ઉપરાંત તે વર્ષ 2014માં ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પોંખાઈ હતી અને ‘ટાઇમ’ મેગેઝિનના કવર પેજ પર પણ ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વની સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદીમાં પણ મલાલાને ટોચના પાંચ વ્યક્તિની હરોળમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. 2013ના ઑક્ટરોબરમાં યુરોપિયન સંસદ દ્વારા મલાલાને ‘સેખરોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઑફ થોટ’ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. 2014માં જ તેને અધધ 50,000 અમેરિકન ડૉલરનું વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝ અપાયું હતું. વર્ષ 2017માં કેનેડાએ મલાલાને કેનેડાનું માનદ્ નાગરિકત્વ આપવા ઉપરાંત કેનેડાની સંસદમાં સંબોધન કરવા આમંત્રિત કરી હતી. માત્ર 16 વર્ષની વયે મલાલાએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું અને તેનું વક્તવ્ય ખૂબ જ પોંખાયું હતું.

મલાલાને મળેલાં સન્માનો ઉપરાંત તેની બીજી સિદ્ધિઓની વાત કરીએ તો ઑગસ્ટ-2014માં તેનાં સંભારણાં અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ પ્રસિદ્ધ થયું હતું અને આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરની યાદીમાં આવી ગયું હતું. મલાલા પર ‘હી નેમ્ડ મી મલાલા’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે 2015ના ઓસ્કર એવોર્ડમાં શોર્ટલિસ્ટ થઈ હતી. મલાલા પર એક ડઝન જેટલાં પુસ્તકો લખાયાં છે અને તેના પર લખાયેલા અખબારી લેખોની સંખ્યા તો અગણિત છે.

આટલી બધી સિદ્ધિઓ અને અધધ પ્રસિદ્ધિ માત્ર 20 વર્ષની ઉંમરમાં પ્રાપ્ત કરનારી મલાલા અંગે ઘણાને સવાલ થઈ શકે કે આટલી નાની વયે તાલિબાનોની ગોળી ખાધા સિવાય એવું તે આ છોકરીએ શું કરી નાંખ્યું છે? આ સવાલ સાથે એક માહિતી જાણવી રસપ્રદ છે કે મલાલાએ તાજેતરમાં માર્ચ મહિનામાં જ્યારે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે લાહોરની અનેક શાળાઓમાં 30મી માર્ચના રોજ ‘આઈ એમ નોટ મલાલા’ દિવસની ઉજવણી કરી હતી! શું મલાલા માત્ર ઇસ્લામિક કટ્ટરપંથ-વિરોધી હોવાને કારણે જ તેને આટલાં માન-પાન મળે છે? ના, બિલકુલ નહીં. આ યુવતીના ઉચ્ચ વિચારો અને બાળકોના શિક્ષણ માટેનું તેનું સંપૂર્ણ સમર્પણ કાબિલે દાદ છે. મલાલાએ પોતાની અધિકૃત વેબસાઇટમાં પોતાના સંઘર્ષની કથાવાળા પાના પર એક વાક્ય લખ્યું છે, ‘હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.’ આ વાક્ય મલાલાની ઊંડી સમજ અને સંવેદનાને વ્યક્ત કરે છે.

મલાલાએ પોતાના નામનું એક ફંડ ઊભું કર્યું છે, જેનો ઉપયોગ તે દુનિયાભરના દેશોનાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝના અધધ 50,000 અમેરિકન ડૉલર્સ તેણે  ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇનના વિસ્થાપિતોનાં બાળકો માટે શાળા ચલાવવા માટે દાનમાં આપી દીધી હતી. સીરિયામાં પણ તેણે શાળાઓ શરૂ કરાવી છે.

મલાલા પર ગોળીબાર કરનારાઓને પાકિસ્તાનની કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. જોકે, મલાલા તાલિબાનો માટે ઉમદા વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’ શિક્ષણ માટેનું આ સમર્પણ જ તેને મૂઠ્ઠી ઊંચેરા માનવીને શ્રેણીમાં મૂકે છે.

(દિવ્ય ભાસ્કરની 11મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 4, 2018

જંગલની જાત્રાનો જાદુ

દિવ્યેશ વ્યાસ


હેન્રી ડેવિડ થોરોએ વોલ્ડન તળાવના કાંઠે સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ કર્યો હતો

(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધેલી છે.)

આજે ચોથી જુલાઈ એટલે અમેરિકાનો આઝાદી દિવસ છે. અમેરિકા ઈ.સ. 1776માં બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવીને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. અમેરિકામાં આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના ઇતિહાસમાં ચોથી જુલાઈના દિવસે એક બીજી મોટી ઘટના પણ ઘટી હતી. આઝાદી દિનની ઉજવણીમાં આ ઘટના વિસરાતી જતી હોય છે. આ ઘટના માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે પણ યાદગાર ગણી શકાય એવી છે. વર્ષ 1845માં ચોથી જુલાઈના રોજ હેન્રી ડેવિડ થોરોએ સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ શરૂ કર્યો હતો અને તેઓ વોલ્ડન તળાવના કાંઠે કુટિર બાંધીને રહેવા ગયા હતા.

વોલ્ડનના કાંઠે થોરો બે વર્ષ, બે મહિના અને બે દિવસ રહ્યા હતા. વોલ્ડન કાંઠે વિતાવેલા ગોલ્ડન પિરિયડ દરમિયાન થોરોને જે અનુભવો અને અનુભૂતિઓ થઈ તેને તેમણે પોતાના પુસ્તક ‘વોલ્ડન : લાઇફ ઇન ધ વૂડ્સ’માં શબ્દસ્થ કરેલી છે. થોરોની આ જંગલ જાત્રાની પ્રસાદી આ પુસ્તકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. થોરોના વિચારો અને વોલ્ડન પુસ્તકની વાતો આજે એમના જમાના કરતાં પણ વધારે પ્રસ્તુત બની છે. આજે જ્યારે ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ ચેઇન્જના પડકારોની ચિંતા વધતી જાય છે ત્યારે સાદું અને પર્યાવરણ-સંગત (ઇકો ફ્રેન્ડલી) જીવનની ઉપયોગિતા હવે દુનિયાને સમજાઈ રહી છે.

થોરોના જન્મને આગામી 12મી જુલાઈના રોજ 200 વર્ષ પૂરાં થશે. ગત વર્ષે થોરોની 200મી જન્મજયંતી નિમિત્તે અમેરિકામાં એક પુસ્તક પ્રગટ થયું હતું. અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સનાં એ પુસ્તકનું શીર્ષક છે, ‘હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોના સમગ્ર જીવનમાંથી તેમણે વોલ્ડન તળાવના કાંઠે વિતાવેલાં બે વર્ષ કરતાં વધારે સમયને વધારે મહત્ત્વ આપ્યું છે અને થોરોના પર્યાવરણ-સૃષ્ટિ અંગેના વિચારોને વધારે અગ્રતા આપવામાં આવી છે. આજના ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારોના સમયમાં થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે લોરાબહેને વિગતે સમજાવ્યું છે.

થોરો સૃષ્ટિ પ્રત્યે અનહદ ચાહના ધરાવતા હતા. ‘વોલ્ડન’માં પ્રકૃતિનાં મનોહર વર્ણનોની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીઓના બોધપાઠ પણ મળે છે. તેમણે સાદું જીવન અને ઉચ્ચ વિચારોનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું. થોરોનું એક જાણીતું વાક્ય છે, ‘તમામ પ્રકારની લક્ઝરી અને સુવિધાઓના સન્માન સાથે સૌથી સમજદાર વ્યક્તિ વધુમાં વધુ સાદું જીવન જીવે છે અને ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવે છે.’ પ્રકૃતિ સાથે ઓતપ્રોત થવામાં સાર્થકતા સમજતા થોરો કહેતાં, ‘પ્રકૃતિ આપણી નબળાઈઓ અને ખૂબીઓ સાથે તાલમેળ સાધી લેતી હોય છે.’ મોર્નિંગ વૉક માટે પ્રેરે એવું થોરોનું એક વાક્ય છે, ‘પ્રાત:કાળે ચાલવા નીકળવું એ સમગ્ર દિવસ માટે વરદાનરૂપ છે.’

જીવન અંગેના થોરોના વિચારો પણ બહુ મનનીય છે. તેમણે એક બહુ સુંદર વાત કરેલી છે, ‘કોઈ પણ વસ્તુની કિંમત એ હોય છે કે તમે તેના બદલામાં તમારી જિંદગીનો કેટલો સમય ફાળવો છો.’ થોરોનું બીજું એક વાક્ય પણ આ સાથે યાદ આવે છે, ‘વ્યસ્ત રહેવું પૂરતું નથી, કારણ કે વ્યસ્ત તો કીડીઓ પણ રહે છે, મૂળ સવાલ એ છે કે આપણે શાના માટે વ્યસ્ત રહીએ છીએ.’ થોરોના પ્રાર્થનાની પંક્તિ સમાન એક વાક્ય સાથે લેખ પૂરો કરીએ: ‘પ્રેમ કરતાં, પૈસા કરતાં, પ્રસિદ્ધિ કરતાં મને સત્ય આપજે.’

(દિવ્ય ભાસ્કરની 4 જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 27, 2018

જેલ ખાલી કરો અભિયાન

દિવ્યેશ વ્યાસ


ઇંગ્લેન્ડમાં હોમ ડિટેક્શન કર્ફ્યૂ યોજના અંતર્ગત સામાન્ય ગુનેગારોને વહેલા મુક્ત કરવામાં આવે છે


(આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)

જંગલમાં જેલ હોતી નથી. જંગલનો કાયદો કોઈ પણ નાનો કે મોટો ગુનો કરનારને એક જ સજા ફરમાવે છે, સજા-એ-મોત. માનવીએ આ જંગલમાં જ પોતાની અલગ વસાહત ઊભી કરી. વસાહતના પોતાના અલગ કાયદા બનાવવામાં આવ્યા, જે ‘માનવીય’ હોવા જોઈએ, એવી સમજ ધીમે ધીમે કેળવાતી ગઈ. ગુના મુજબ સજા કરવા માટે દંડ સંહિતાઓ રચવામાં આવી. સજાનાં સ્વરૂપો અને પ્રકારો પણ સમય સાથે બદલાતાં રહ્યાં છે. આજના સમયની વાત કરીએ તો મૃત્યુદંડની પદ્ધતિ બદલવી જોઈએથી માંડીને મૃત્યુદંડ નાબૂદ જ કરી દેવા સુધીની ચર્ચાઓ ચાલી રહી છે. આવા માહોલમાં સજા તરીકે કારાવાસનો જ વિકલ્પ વધારે અજમાવાય છે. ભારત અને ચીન જ નહિ, પરંતુ અમેરિકા અને યુરોપના દેશોમાં પણ જેલની ક્ષમતા કરતાં કેદીઓની સંખ્યા વધતી જાય છે. આ કારણે જેલનું ભારણ-ખર્ચમાં વધારો થાય છે, સાથે સાથે વ્યવસ્થાપનના પ્રશ્નો વધી રહ્યા છે. આ સમસ્યા દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.

ઇંગ્લેન્ડમાં આ સમસ્યાનો ઉકેલ ‘જેલ ખાલી કરો’ના અભિગમ સાથે શરૂ કરવામાં આવેલી નવી યોજના દ્વારા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ઇંગ્લેડની સ્થિતિ પર નજર નાખીએ તો વર્ષ 1993થી 2016ના ગાળામાં જેલોમાં કેદીઓની સંખ્યા બમણી થઈ ગઈ. ઓવરક્રાઉડેડ જેલની વધતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે સામાન્ય પ્રકારના ગુનામાં પકડાયેલા કેદીઓને સમય કરતાં થોડા વહેલા છોડવાની નીતિ અખત્યાર કરવામાં આવી. આ માટે ક્રાઇમ એન્ડ ડિસઓર્ડર એક્ટ - 1998 અંતર્ગત હોમ ડિટેક્શન કર્ફ્યૂ (HDC) યોજનાને કાયદાકીય રીતે સ્વીકારવામાં આવી અને વર્ષ 1999થી હોમ  ડિટેક્શન કરફ્યૂ સ્કીમનો પ્રારંભ કરવામાં આવ્યો. જોકે, ગુનેગારને વહેલો છોડવાની પ્રક્રિયા ખૂબ જટિલ હતી અને કેદીઓની અરજીઓ લાલફિતાશાહીમાં અટવાઈ જતી હતી. યોજના અમલમાં મૂક્યા છતાં જેલની સ્થિતિમાં કોઈ સુધારો ન જણાયો. વર્ષ 2016માં 35,000 કેદીઓ મુક્તિ મેળવવા માટે લાયક જણાયા હતા, પરંતુ માત્ર 9000ને (21 ટકા)આ યોજનાનો ફાયદો અપાયો હતો.  આમ, યોજનાનો હેતુ બર આવતો નહોતો. યોજનાના અમલીકરણમાં ક્યાં મુશ્કેલી આવે છે અને મામલો ક્યાં અટવાય છે તેનો અભ્યાસ કર્યા પછી આ વર્ષના પ્રારંભે જાન્યુઆરીથી એક નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી અને HDCની પ્રક્રિયાને સુગમ કરવામાં આવી.

ઇંગ્લેન્ડમાં હોમ ડિટેક્શન કર્ફ્યૂ યોજના હવે ગતિ પકડી રહી છે અને તેનાં સારાં પરિણામો પણ મળી રહ્યા છે. ગત 22મી જૂનના રોજ એક જ દિવસમાં કુલ 1,108 કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા અને આ જૂન મહિનામાં જ 22મી તારીખ સુધીમાં 2,196 કેદીઓને જેલમુક્તિ અપાઈ છે. આ સાથે જેલમાં બંધ કેદીઓની સંખ્યા છેલ્લાં આઠ વર્ષની સપાટી પર પહોંચી ગઈ છે. જાન્યુઆરી 2010માં ઇંગ્લેન્ડની જેલોમાં કેદીઓની કુલ સંખ્યા 82,653 હતી અને હવે 22મી જૂન, 2018ના રોજ કેદીઓની સંખ્યાનો આંક 82,694ની સપાટીએ પહોંચ્યી શક્યો છે.

હોમ ડિટેક્શન કર્ફ્યૂ યોજનાનો લાભ દરેક કેદી લઈ શકતો નથી. તેના માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. ચાર વર્ષથી વધુ સજા મળી હોય એવા કેદીઓ જેમણે ગંભીર ગુનો કર્યો હોય, તેમને આ યોજનાનો લાભ મળતો નથી તો છેડતી કે બળાત્કાર જેવા જાતિય ગુનાઓમાં દોષિત ઠરેલાને પણ આ યોજનામાં છૂટછાટ મળતી નથી. યોજના અંતર્ગત ત્રણ મહિનાથી ચાર વર્ષની જેલની સજા ભોગવતા કેદીઓની વર્તણૂકના આધારે તેમને આ યોજનાનો લાભ આપવાનું નિર્ધારિત થાય છે. આ કેદીઓને છોડી મૂકવામાં કેટલું જોખમ રહેલું છે, તેનો પણ અંદાજ કાઢીને નિર્ણય લેવામાં આવે છે. કેદીને બે અઠવાડિયાથી લઈને 120 દિવસ વહેલા છોડવામાં આવે છે.

હોમ ડિટેક્શન કરફ્યૂ અંતર્ગત કેદીને વહેલો મુક્ત કરવામાં આવે છે, પરંતુ તેની હલચલ પર દેખરેખ રાખવામાં આવે છે. કેદીના શરીર પર ઇલેક્ટ્રોનિક ટેગ લગાડવામાં આવે છે, જેના થકી તેની હલચલનું મોનિટરિંગ થઈ શકે. કેદીએ આપેલા સરનામા પર સાંજે 7થી સવારના 7 સુધી ફરજિયાતપણે રહેવું પડે છે. તેઓ રાત્રે ક્યાંય જઈ શકતા નથી. કેદીના ઘરમાં પણ એક મશીન લગાવાય છે, જેના આધારે ખ્યાલ આવે છે કે કેદી ખરેખર ઘરમાં જ છે. આમ, જેલમુક્ત કરાયેલા કેદીને સાવ છોડી મૂકવામાં નથી આવતો. વળી, આવા કેદી જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરે તો તેને ફરી જેલમાં મોકલવામાં આવે છે અને અગાઉ કરતાં વધારે સમય માટે જેલમાં રાખવામાં આવે છે.આમ, આ યોજના થકી કેદીઓની મુક્તિની સાથે સાથે સમાજમાં કોઈ જોખમ ઊભું ન થાય, તેની પણ કાળજી રાખવામાં આવે છે.

જેલ ખરેખર તો સુધારણા ગૃહ બનવી જોઈએ, પરંતુ એવું ભાગ્યે જ બનતું હોય છે અને તેનું એક કારણ જેલની ક્ષમતા કરતાં કેદીઓની વધારે સંખ્યા પણ છે. સામાન્ય ગુનો કરનારા કે આવેશમાં આવી જઈને ગુનો આચરી નાખનારાને સુધરવા માટે, સામાન્ય જીવન જીવવા માટે અને પોતાની ભૂલ સુધારવા માટે તક જરૂર મળવી જોઈએ.

ઇંગ્લેન્ડ ઉપરાંત સ્કોટલેન્ડ જેવા દેશોમાં પણ HDC અમલમાં છે. આપ ણા દેશમાં તો કાચા કામના કેદીઓની સંખ્યા પણ મોટા પાયે છે. આપણી જેલોની હાલત ગંભીર છે ત્યારે HDC જેવી યોજનાઓ લાગુ પાડવાની દિશામાં વિચારવા જેવું છે.

(દિવ્ય ભાસ્કરની 27મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 20, 2018

શરણાર્થીઓની સિતમયાત્રા

દિવ્યેશ વ્યાસ


સમગ્ર વિશ્વમાં શરણાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વિસ્થાપન એક વૈશ્વિક સમસ્યા બની ગયું છે

(શરણાર્થી શિબિરની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધીને મૂકી છે)

‘મુઝસે મિલને કે લિયે, કિસી કો ખટખટાના નહીં હોગા દરવાજા, કેવલ ફટેહાલ સરકારી તંબૂ કા પર્દા સરકાના હોગા’ વિસ્થાપિત કાશ્મીરી પંડિત અને કવિ મહારાજ કૃષ્ણ ભરતની આ પંક્તિમાં છુપાયેલા દર્દની આપણે તો પૂરી કલ્પના પણ ન કરી શકીએ. જિંદગીમાં એક વસ્તુ ખોવાઈ જાય કે એક વ્યક્તિ સાથેનો નાતો તૂટી જાય, એનું દુ:ખ પણ આપણાથી જીરવાતું નથી હોતું ત્યારે પોતાના જીવનનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, એવી વ્યક્તિનું દર્દ કેટલું વસમું હશે, એ તો જેના પર વીતી હોય એ જ જાણે! 21મી સદીમાં દુનિયા જે અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, એમાંની એક સૌથી મોટી સમસ્યા વિસ્થાપનની છે. દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા સતત વધતી જાય છે, એમ એમ વિસ્થાપનની સમસ્યા વકરતી જાય છે.

શરણાર્થી બનવા જેવી મોટી લાચારી બીજી કોઈ હોઈ ન શકે. પોતાનું ઘર છૂટી જાય, પોતાનું ગામ છૂટી જાય, પોતાનાં સગાંસંબંધીઓનો સાથ છૂટી જાય, નસીબ ફૂટેલાં હોય તો પરિવારજનો પણ છૂટી જાય, પોતાની જમીન-જાયદાદ છૂટી જાય, નોકરી-ધંધો છૂટી જાય... શું શું નથી છૂટી જતું એક શરણાર્થીના જીવનમાંથી? ટૂંકમાં, જીવનમાં જે કંઈ પોતાનું ગણીને પ્રેમથી જીવન જીવી રહ્યા હોઈએ, એ સઘળું એક ઝાટકે છૂટી જાય ત્યારે બચેલું જીવન વરદાન છે કે શાપ, એ નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે. આજે વિશ્વ શરણાર્થી દિવસ (20 જૂન, વર્લ્ડ રેફ્યુજી ડે) છે ત્યારે શરણાર્થીઓની સિતમયાત્રાને જાણવી અને સંવેદવી જરૂરી છે.

વર્તમાન વિશ્વમાં વ્યક્તિને શરણાર્થી બનાવતાં મુખ્ય ચાર કારણો પર નજર નાખીએ તો સૌથી પહેલાં આવે છે, યુદ્ધ. બે દેશોની સરહદ પર તણખા ઝરે ત્યારે ઘર-ગામ છોડવા પડતાં હોય છે. બીજું કારણ છે, આતંકવાદ. અમુક ક્ષેત્રોમાં જ્યારે કટ્ટરવાદીઓનું વર્ચસ્વ વધી જાય ત્યારે સામાન્ય લોકો ગામ-દેશ છોડવા મજબૂર બનતા હોય છે. ત્રીજું કારણ છે કોમી-વંશીય રમખાણો. રોહિંગ્યા મુસ્લિમોએ હાલમાં મ્યાનમાર છોડવા મજબૂર બનવું પડ્યું છે, તે આ કારણનું જલદ ઉદાહરણ છે. ચોથું અને સામાન્ય લોકોને ધ્યાનમાં ન આવતું કારણ છે, આર્થિક પરિયોજનાઓ. વિકાસના નામે ચાલતા પ્રોજેક્ટને કારણે હજારો લોકોએ વિસ્થાપિત થવું પડે છે. વિકાસ કરવો હોય તો ભોગ તો આપવો પડે, એ બોલવું સહેલું છે, પરંતુ મૂળ સાથે ઊખડવાની પીડા તો જેણે ભોગવી હોય એ જ જાણતું હોય છે. વિસ્થાપન માટેનાં કારણો જુદાં જુદાં હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના વિસ્થાપનોમાં એક નોંધપાત્ર સામ્યતા એ જોવા મળી છે કે ગરીબ, વંચિત, પછાત, હાંસિયામાં ધકેલાયેલા અને આદિવાસી સમૂહોએ જ વિસ્થાપનની વસમી પીડા વધારે ભોગવવી પડતી હોય છે, કારણ કે તેઓ પોતાનો અવાજ રજૂ કરવા માટે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સક્ષમ હોતા નથી. આથી તેમણે વસવાટ માટે અન્ય પ્રદેશ અપનાવવો પડે છે અને નવા પ્રકારની આજીવિકા ઊભી કરવા માટે મથવું પડે છે. અજાણ્યા લોકો, અજાણ્યા દેશ-પ્રદેશમાં જ્યાં પોતાનું કોઈ નથી હોતું ત્યાં તેમણે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવું પડે છે. શૂન્યમાંથી સર્જન કરવા માટે ઓછામાં ઓછી એક પેઢીએ તો ભોગ આપવો જ પડે છે.

શરણાર્થીઓને સામનો કરવો પડે એવી બીજી સમસ્યા એ છે કે દુનિયાના ભાગ્યે જ કોઈ સ્થળે તેમને આવકાર મળતો હોય છે. બહારથી આવેલાને શંકાથી કે ડરથી જોવામાં આવતાં હોય છે. વળી, શરણાર્થીઓના પુન:સ્થાપન માટે રાજ્ય કે દેશ પર જે આર્થિક ભારણ આવે છે, એની પણ અવગણના થઈ શકે નહીં.

શરણાર્થીઓની સિતમયાત્રા ઘણી લાંબી ચાલતી હોય છે. ચાલો, આપણે એવો સમાજ રચીએ, વિકાસનો એવો અભિગમ અપનાવીએ કે કદી કોઈએ વિસ્થાપિત ન થવું પડે.

(દિવ્ય ભાસ્કરની 20મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 13, 2018

યત્ર નાર્યસ્તુ શાસન્તિ...

દિવ્યેશ વ્યાસ


સ્પેનમાં વિશ્વનું સૌથી વધારે મહિલા મંત્રીઓ ધરાવતું મંત્રીમંડળ રચાયું છે, જે આગામી શાસકીય પરિવર્તનનો સંકેત છે

(સ્પેનના નવા મંત્રીમંડળની તસવીર જેમાં 11 મહિલા મંત્રીઓ નજરે પડે છે. તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધેલી છે.)


લેખનું શીર્ષક વાંચીને કોઈને શંકા પડી શકે કે કંઈક લોચો વાગ્યો છે, શીર્ષક તો ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે...’ હોવું જોઈએ. પણ ના, કોઈ લોચો વાગ્યો નથી. વાત નારીની જ્યાં પૂજા થતી હોય તેની નથી કરવી, પરંતુ નારી જ્યાં શાસન કરતી હોય એની કરવી છે. ગયા સપ્તાહે 7મી જૂને સ્પેનમાં નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. કેબિનેટના જે 17 મંત્રીઓએ શપથ લીધા, તેમાં 6 પુરુષ મંત્રીઓની સામે મહિલા મંત્રીઓની સંખ્યા અધધ લાગે એટલી 11 હતી! સ્પેન અને યુરોપ જ નહિ, કદાચ વિશ્વની કોઈ પણ સરકારમાં આટલી મોટી સંખ્યામાં મહિલાઓનું નેતૃત્વ જોવા મળ્યું નથી. સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર આશરે 65 ટકા મહિલા મંત્રીઓ સાથે આ નવું સ્પેનિશ મંત્રીમંડળ વિશ્વનું સૌથી વધુ મહિલા વર્ચસ્વ ધરાવતું મંત્રીમંડળ છે.
કોઈ પણ દેશની સરકારમાં મોટી સંખ્યામાં મહિલાઓને પ્રતિનિધિત્વ મળ્યું હોય, એવો આ પહેલાનો દાખલો સ્વીડનનો છે. સ્વીડનમાં 12 મહિલા અને 11 પુરુષ મંત્રીઓ ધરાવતી સરકાર રચાઈ ચૂકી છે. હાલમાં મહિલા મંત્રીઓ મોટી સંખ્યામાં હોય એવું મંત્રીમંડળ ફ્રાંસ, સ્વીડન અને કેનેડા ધરાવે છે. આ ત્રણેય દેશોના મંત્રીમંડળોમાં આશરે 50 ટકા જેટલાં મહિલા મંત્રીઓ ફરજ બજાવી રહ્યાં છે. આ આંકડા દર્શાવે છે કે રાજકીય-શાસકીય ક્ષેત્રે મહિલાઓનો દબદબો વધી રહ્યો છે. એમાંય સ્પેને સ્થાપેલો નવો રેકોર્ડ, આગામી શાસકીય પરિવર્તનનો એક મોટો સંકેત ગણી શકાય.

સ્પેનની રાજકીય સ્થિતિની થોડી વિગતો જોઈએ તો ભ્રષ્ટાચારના મુદ્દે વર્તમાન સરકાર પડી ભાંગતાં નવી સરકાર રચવાની નોબત આવી. વર્ષ 2011થી સત્તા પર રહેલા વડાપ્રધાન મારિયાનો રાજોયને તેમના પક્ષના કાર્યકરો-નેતાઓ દ્વારા આચરવામાં આવેલાં કૌભાંડોનો ભાંડો ફૂટતાં તેમણે સત્તાથી હાથ ધોવા પડ્યા. નવી સ્થિતિમાં 350 સંસદીય બેઠકોમાંથી માત્ર 84 બેઠકો ધરાવતા સ્પેનિશ સોશિયાલિસ્ટ વર્કર્સ પાર્ટીના યુવા નેતા પેડ્રો સાંચેઝને યુરોપીયન યુનિયનના સપોર્ટને કારણે સરકાર રચવાની તક મળી ગઈ. અર્થશાસ્ત્રના પ્રોફેસર રહી ચૂકેલા માત્ર 46 વર્ષના સાંચેઝે હવે લઘુમતી સરકાર ચલાવવાની છે. સાંચેઝે મંત્રીમંડળમાં પોતાના પક્ષના નેતાઓ ઉપરાંત અન્ય પક્ષના નેતાઓને તેમજ જે તે ક્ષેત્રના નિષ્ણાતોને પણ મંત્રીમંડળમાં સમાવીને સંતુલન સાધવાની કોશિશ કરી છે, પરંતુ આ કોશિશમાં તેમણે પોતાના મંત્રીમંડળમાં શક્ય એટલી વધારે મહિલાઓને સમાવીને એક તીરે અનેક લક્ષ્ય સાધી લીધા છે. તેમના આ નિર્ણયે તેમને વિશ્વભરમાં રાતોરાત પ્રસિદ્ધિ અપાવવા ઉપરાંત તેમણે સ્પેન દેશની મહિલાઓના દિલ પણ જીતી લીધા છે.

સાંચેઝે માત્ર દેખાડા પૂરતું જ મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન નથી આપ્યું, બલકે સરકારનાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયોનાં સુકાન નારીશક્તિને સોંપ્યાં છે. સૌથી પહેલાં તો તેમણે નાયબ વડાપ્રધાનનું પદ એક મહિલા નેતાને આપ્યું છે. આ ઉપરાંત નાણાં, સંરક્ષણ, કાયદા,  શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન, પર્યાવરણ અને સાંસ્કૃતિક બાબતો જેવા મહત્ત્વપૂર્ણ ખાતાં-મંત્રાલયોની જવાબદારી મહિલા મંત્રીઓને સોંપી છે. અનુભવી મહિલા નેતા કાર્મન કાલ્વોને નાયબ વડાપ્રધાન બનાવવા ઉપરાંત તેમને સમાનતા મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. કાર્મન કાલ્વોએ શપથગ્રહણ પછી નિવેદન આપ્યું હતું કે ‘આ સરકાર લોકશાહી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવું અસમાનતા ઘટાડવાનું કામ રોજેરોજ કરશે અને દેશમાં વ્યાપકપણે સમાનતા, ખાસ કરીને પુરુષ અને મહિલા વચ્ચેની સમાનતા લાવવા માટે મથશે.’

વડાપ્રધાન સાંચેઝે જણાવ્યું હતું કે અમારું મંત્રીમંડળ ‘પ્રો-જેન્ડર ઇક્વાલિટી, ક્રોસ જનરેશનલ, સમગ્ર વિશ્વ માટે ખુલ્લું છતાં યુરોપીયન યુનિયન સાથે જોડાયેલું છે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમે દેશ-સમાજમાં સમાનતા સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

સ્પેનના મંત્રીમંડળમાં મહિલાઓને મોટી સંખ્યામાં સ્થાન મળ્યું એ માટે એ દેશની મહિલાઓની વધતી જાગૃતિ અને તાકાત જવાબદાર છે. ભારતમાં મહિલા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવું તો દૂરની વાત છે, પરંતુ 30 ટકા અનામત આપવાનું વિધેયક પણ સંસદમાં વર્ષોથી ઠેબાં ખાઈ રહ્યું છે. રાજકીય પક્ષો જાગવાના નથી, મહિલાઓએ જ જાગવું પડશે!

(દિવ્ય ભાસ્કરની 13 મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)

Wednesday, June 6, 2018

ભાષાની ભૂલ કેમ ચલાવાય?

દિવ્યેશ વ્યાસ


ટ્રમ્પના પત્રમાં ભાષાની ભૂલો જોઈને નિવૃત્ત શિક્ષિકા અકળાઈ ઊઠ્યાં. આપણે ભાષા પ્રત્યે સભાન છીએ?


ધારી લો કે તમારા પર દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કે પછી મુખ્યમંત્રીનો પત્ર આવે તો તમે શું કરો? તમે રાજી રાજી થઈ જાવ. પત્ર આખા ઘરને અને સોસાયટીને બતાવી આવો કે જુઓ, કોણે મને પત્ર લખ્યો છે. તમારો વટ પાડવા માટે તમે એ પત્રને સોશિયલ મીડિયા પર પણ અચૂક મૂકો જ... ખરું ને? પણ શું તમે એ પત્રની ભાષા અને જોડણીની ચકાસણી કરો? શું એ પત્રમાં રહેલી વ્યાકરણની ભૂલો જોઈને નારાજ થાવ ખરા? એ અંગે ફરિયાદ કરો ખરા? ભાગ્યે જ કોઈનો જવાબ ‘હા’માં હશે. આપણે પત્રમાં જે વાત લખી હોય તેનાથી સંતોષ થઈ જાય પછી ભાષા-વ્યાકરણની ‘માથાકૂટ’માં પડવામાં માનતા નથી. જોકે, અમેરિકાનાં નિવૃત્ત શિક્ષિકા ઈવોન મેસન જરા જુદી માટીનાં છે. ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના 28 મે, 2018ના અંકમાં ‘OMG This Is Wrong!’ શીર્ષક સાથે એક અહેવાલ પ્રગટ થયો હતો, જેમાં ઈવોન મેસને રાષ્ટ્રપતિ ટ્રમ્પના પત્રમાં જોવા મળેલી ભાષા અને વ્યાકરણની ભૂલો અંગે વ્યક્ત કરેલા રોષની વાત લખવામાં આવી હતી.

61 વર્ષનાં ઈવોન મેસન એટલાન્ટા શહેરમાં રહે છે. તેઓ હાઈસ્કૂલમાં અંગ્રેજી ભાષાનાં શિક્ષિકા હતાં. વર્ષ 2017માં જ તેઓ નિવૃત્ત થયાં. ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર વર્ષ 2018 શરૂ થયું હતું ત્યારે તેમણે એક સંકલ્પ કર્યો હતો કે વ્હાઇટ હાઉસને રોજ એક પોસ્ટકાર્ડ લખવું અને જરૂરી મુદ્દાઓ ઉઠાવવા.

ગત ફેબ્રુઆરીમાં ઈવોન મેસને પોતાના પત્રમાં ફ્લોરિડાના પાર્કલેન્ડ ખાતે એક શાળામાં થયેલા ખુલ્લેઆમ ફાયરિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ટ્રમ્પને ફાયરિંગમાં માર્યા ગયેલાઓના પરિવારજનોને મળવાની સલાહ પણ આપી હતી. આ પત્રનો પ્રતિભાવ વ્હાઇટ હાઉસ તરફથી 3 મેના રોજ અપાયો, જેમાં નીચે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના હસ્તાક્ષર પણ હતા. આ પત્રમાં વાક્યરચના અને વ્યાકરણની અનેક ભૂલો હતી, જે જોઈને ઈવોનબહેન ખાસ્સા નારાજ થઈ ગયાં. તેમણે વિદ્યાર્થીનું લખાણ ચેક કરતાં હોય એ રીતે પત્રમાં રહેલી ભૂલો કાઢી. એ પત્ર વ્હાઇટ હાઉસને પાછો મોકલતાં પહેલાં તેની તસવીર લઈને તેને પોતાના ફેસબુક પેજ પર મૂક્યો હતો. ભાષાની ભૂલોવાળો ટ્રમ્પનો આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો હતો.

ઈવોન મેસને આ પત્ર સંદર્ભે ન્યૂ યૉર્ક ટાઇમ્સને જણાવેલું કે, ‘તે ભૂલોભરેલી ભાષામાં લખાયેલો લેખિત પત્ર હતો. ભૂલોભરેલી ભાષા કે લખાણ હું સહન કરી શકતી નથી.’ ઈવોનબહેનની છાપ આમ પણ કશું ખોટું સહન ન કરી શકનાર તરીકેની છે. તેઓ શિક્ષિકા તરીકે વિદ્યાર્થીઓને હંમેશાં કહેતાં કે તમે ભલે મત આપવા જેવડા નથી થયા છતાં તમારો અવાજ મહત્ત્વ ધરાવે છે. તમે (આ દેશ માટે) મહત્ત્વપૂર્ણ જ છો. (દેશમાં) જે કંઈ ચાલી રહ્યું છે, તમારે તેનો હિસ્સો બનવાની જરૂર છે, તમારે તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

ઈવોનબહેન ભાષાની પ્રમાણમાં સામાન્ય ભૂલ ગણાય, એ માટે પણ પોતાના રાષ્ટ્રપ્રમુખનું ધ્યાન દોરવાની ખુમારી ધરાવે છે. ઈવોનબહેનની સામે આપણે આપણી જાતને મૂકીને જોઈએ તો તરત સમજાઈ જાય કે પોતાની ભાષા માટે તેઓ જેટલા પ્રતિબદ્ધ છે, એટલા કદાચ આપણે નથી. આપણને તો ઈવોનબહેન જેવો વિચાર જ કદાચ ન આવે, કારણ કે પહેલાં તો આવી ભૂલને પકડવા માટે જરૂર જોડણી કે વ્યાકરણની સમજ આપણામાંના મોટા ભાગનાને હોતી જ નથી. બીજું કે સામેવાળાની, એમાંય સરકારી કચેરીઓમાં તો આવું જ ચાલે, આ તો સામાન્ય ભૂલ કહેવાય, એવું આપણે જાણે માની લીધું છે.

ગુજરાતી ભાષા બચાવવી હોય, સુધારવી હોય, ઉચ્ચ સ્તરે પહોંચાડવી હોય તો ઈવોનબહેનની જેમ ભાષાની ખામી જ્યાં જ્યાં (સૌ પ્રથમ પોતાનાં લખાણોમાં) નજરે ચડે ત્યાં ખમીર સાથે લડવા તૈયાર થવું જોઈએ.

(દિવ્ય ભાસ્કરની 6 જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)
(નોંધ: નિમિત્તજોગે કળશના આ જ અંકમાં મધુ રાયે પણ આ વિષય પર જ લખેલું. જેમાં તેમણે બહેનના નામનો ઉચ્ચાર ઇવોન કરેલો. સ્પેલિંગના આધારે મેં યવોન્ન (Yvonne)લખેલું, પછી બ્લોગ પર સુધારી લીધું છે.)

Wednesday, May 30, 2018

શીતળતા આપે એવી શોધ

દિવ્યેશ વ્યાસ


ઉત્તર પ્રદેશની 16 વર્ષની દીકરી કલ્યાણીએ એવું દેશી એસી બનાવ્યું છે, જે સસ્તું છે અને સૌર ઊર્જાથી ચાલે છે




સમાજ તરીકે આપણી સૌથી મોટી નબળાઈ એ છે કે આપણે વૈજ્ઞાનિક અભિગમથી વિચારવાની અને વ્યવસ્થાપકીય ઉકેલો શોધવાની બાબતે ઘણા કાચા પડીએ છીએ. એવી અનેક સમસ્યાઓ છે, જેનો આપણે સદીઓથી સામનો કરતા આવ્યા છીએ અને છતાં તેનું વ્યાવહારિક સમાધાન શોધી શકતા નથી. આપણે આગે સે ચલી આઈની માનસિકતામાં રાચીએ છીએ અને કશું નવું વિચારવા બાબતે ઉદાસીન રહીએ છીએ. આવી ઉદાસીનતાને કારણે જ આપણે વૈજ્ઞાનિક શોધ-સંશોધનોની બાબતે અનેક ગરીબ દેશો કરતાં પણ પાછળ છીએ.

ગુજરાત પહેલેથી દુષ્કાળપીડિત રાજ્ય રહ્યું છે, છતાં જળસંચયની બાબતે આપણે આજે પણ ફાંફા મારીએ છીએ, એ હકીકત છે. ઉનાળાની ગરમી બાબતે પણ આપણું વલણ સમસ્યા-ઉકેલનું નહિ, પણ સહન કર્યા કરવાનું રહ્યું છે. દુનિયાના એવા કેટલાક દેશો છે, જ્યાં માઇનસમાં ઠંડી રહેતી હોય છે. એવા દેશોમાં ગરીબમાં ગરીબ વ્યક્તિના ઘરે પણ હિટરની વ્યવસ્થા હોય છે. માત્ર ઘર જ નહિ, રેલવે સ્ટેશન સહિતની જાહેરજગ્યાઓ પણ સેન્ટ્રલી હિટર ધરાવતી હોય છે. આપણે ત્યાં ઉનાળામાં અમદાવાદ સહિતનાં શહેરોમાં અગનગોળા વરસતા હોય છે. આપણી ધાર્મિક વૃત્તિને કારણે પાણીની પરબો ચોક્કસ બંધાય છે, પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગ લોકોના ઘર પણ ઠરે એ માટે કોઈ વિશેષ પગલાં ભરવામાં આવતાં નથી. એક વડીલે (લલિતભાઈ લાડ) થોડા વર્ષો પહેલાં અમદાવાદમાં આવેલા એક વિદેશીની વાત કરી, જેમને આશ્ચર્ય થયું હતું કે અહીં આટલી બધી ગરમી પડે છે અને અધૂરામાં પૂરું મોંઘા ભાવના વિદેશી બ્રાંડના ફ્રિજ વેચાઈ રહ્યાં છે, છતાં તમારી સરકાર દરેક પરિવારને સસ્તા દરે ફ્રિજ મળી રહે, એ માટે કોઈ તકનીક વિકસાવવા કેમ પ્રયાસો નથી કરતી? કાળઝાળ ગરમીમાં ફ્રિજ ઉપરાંત એસી પણ હવે લક્ઝરી નહિ પરંતુ જરૂરિયાત બની ગયું છે.

ગુજરાતમાં તો ખબર નથી, પરંતુ ઉત્તરપ્રદેશના બુંદેલખંડ પ્રદેશની નવમા ધોરણમાં ભણતી કલ્યાણી શ્રીવાસ્તવ નામની તરુણીને વિચાર આવ્યો કે ગરમીથી ત્રસ્ત મારા પ્રદેશના લોકોને સસ્તા દરે એસી ઉપલબ્ધ થવું જોઈએ અને તેણે એ માટે પ્રયાસો શરૂ કર્યા. તેણે દેશી એસીનું મૉડલ તૈયાર કરવા માટે એક પછી એક અખતરા-પ્રયોગો કર્યા. બે વર્ષના અંતે તે જ્યારે 11મા ધોરણમાં લોકમાન્ય તિલક ઇન્ટર કૉલેજ, ઝાંસીમાં ભણતી હતી ત્યારે સૌર ઊર્જાથી ચાલતું દેશી એસીનું મૉડલ તૈયાર કર્યું. તેનું આ મૉડલ વિજ્ઞાન મેળામાં રજૂ કરવામાં આવ્યું અને તેનાથી શિક્ષકો અને વિજ્ઞાનીઓ એટલા પ્રભાવિત થયા કે તેનું મૉડલ આઈઆઈટી, દિલ્હીના રાષ્ટ્રીય સ્તરની મૉડલ કોમ્પિટિશનમાં પસંદગી પામ્યું. વર્ષ 2016માં દિલ્હીમાં આયોજિત બાળ વિજ્ઞાન મેળામાં દેશ-વિદેશના વિજ્ઞાનીઓ અને તકનીક-નિષ્ણાતો પણ કલ્યાણીના મૉડલની પ્રશંસા કર્યા વિના ન રહી શક્યા. જાપાનના વિજ્ઞાનીઓ તો એટલા પ્રભાવિત થયા કે જાપાન સરકાર દ્વારા બાળ વિજ્ઞાની સંમેલન માટે તેને આમંત્રિત કરવામાં આવી હતી.

હવે વાત કરીએ કલ્યાણીના દેશી એસીની. આ એસીની રચના સરળ છે. થર્મોકોલના આઈસબોક્સમાં 12 વોલ્ટના ડીસી ફેન(પંખા)થી બહારની હવા બોક્સમાં મોકલવામાં આવે છે અને હવા ઠંડી થઈને એલ્બો દ્વારા બહાર ફેંકાય છે. કલ્યાણીએ પહેલા તો પંખો ચલાવવા માટે વીજળીનો ઉપયોગ કરેલો, પરંતુ પછી તેણે ગ્રામીણ વિસ્તારને ધ્યાનમાં રાખીને સૌરઊર્જા થકી ચાલે એવું મૉડલ વિકસાવ્યું. આ દેશી એસી એક કલાકમાં ખંડનું તાપમાન 4થી 5 ડિગ્રી ઘટાડી શકે છે. વર્ષ 2016માં આ દેશી એસી માત્ર 1850માં પડતું હતું, જેનો ખર્ચ આજની સ્થિતિ મુજબ કદાચ રૂ. 2500 સુધી પહોંચે. આમ, આ સસ્તું, ટકાઉ અને પર્યાવરણ-મિત્ર એસી છે.

અનેક એસી બનાવતી કંપનીઓએ કલ્યાણીનો સંપર્ક કરેલો છે, પરંતુ તે હજું આ મૉડલને વિકસાવવા અને ઉત્કૃષ્ટ બનાવવા માગે છે. આપણે આશા રાખીએ કલ્યાણી જેવા યુવા વિજ્ઞાનીઓ વધુ ને વધુ સક્રિય થાય, તેમને વિવિધ સંશોધનો કરવા માટે સરકાર અને સમાજ તરફથી પ્રોત્સાહન મળતું રહે અને આપણી સમસ્યાઓનો વૈજ્ઞાનિક અને વ્યવહારુ ઉકેલ લાવવા કોશિશ કરે. કલ્યાણીની ટેલેન્ટને સલામ!

(દિવ્ય ભાસ્કરની 30મી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, May 23, 2018

ઉનાળાને માણી શકાય?

દિવ્યેશ વ્યાસ


ઉનાળો એવો જામ્યો છે કે કાકાસાહેબ કાલેલકરના લલિત નિબંધ ‘મધ્યાહનનું કાવ્ય’ને ફરી વાંચવાનું મન થઈ જાય



‘શાંતિનિકેતનમાં ઉનાળાના દિવસો હતા. ખરે બપોરે કવિશ્રીને મળવા ગયો હતો. મેં એમને કહ્યું: ‘કઅવસરે આવીને આપને તકલીફ આપું છું.’ એમણે કહ્યું: ‘તમે પણ તકલીફ ઉઠાવી છે સ્તો.’ મેં કહ્યું: ‘ના, મને તો તડકો ગમે છે; હું તો એનો આનંદ લૂંટું છું.’ આ સાંભળતાંવેંત કવિશ્રી એકાએક પ્રસન્ન થયા અને કહે, ‘હેં, તમને પણ તડકામાં આનંદ આવે છે? હું તો ખૂબ તડકો હોય છે ત્યારે બારી આગળ આરામખુરશી નાખીને લૂમાં નાહું છું. મને એમાં ખૂબ જ આનંદ આવે છે. પણ હું તો માનતો હતો કે એવો શોખીન હું એકલો જ છું.’ મેં બીતાં બીતાં વિનોદ કર્યો: ‘રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય!’

કાકા સાહેબનો આ સુંદર સ્કેચ અશોકભાઈ ખાંટે બનાવેલો છે
ગરમીનું નામ પડતાં જેઓ રાતાચોળ થઈ જતા હોય, તેમને આ સંવાદ વાંચીને આશ્ચર્ય થઈ શકે, પરંતુ ઉનાળા અને તડકા પર આવો રસિક અને ‘કૂલ’ સંવાદ થયો હતો કાકાસાહેબ કાલેલકર અને મહાકવિ રવીન્દ્રનાથ ટાગોર વચ્ચે. કાકાસાહેબે પોતાના વિખ્યાત લલિત નિબંધ ‘મધ્યાહનનું કાવ્ય’ના અંતે આ પ્રસંગ ટાંકેલો છે.

ઉનાળાનો તાપ-તડકો સહન કરવો આકરો થઈ પડતો હોય છે. ભાગ્યે જ કોઈ એવું હશે, જે કહેતું હોય કે ઉનાળો મારી સૌથી વધુ ગમતી (ફેવરિટ) ઋતુ છે. ઉનાળાને પસંદ કરનારા લોકો આપણે ત્યાં લઘુમતી નહિ પણ અણુમતીમાં જ હોવાના. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એ વાત ઉનાળાને ચાહવાની બાબતમાં પણ  સાચી ઠરે છે. રવીન્દ્રનાથની સૌંદર્યદૃષ્ટિ ગ્રીષ્મને પણ ગળે ન લગાડે તો જ નવાઈ! ઉપરના સંવાદ પરથી બીજી એક વાત પણ બહાર આવે છે કે રવિબાબુ લૂમાં નહાવાનો આનંદ લે છે તો કાકાસાહેબ પણ ઉનાળાનો આનંદ લૂંટે છે!

કાકાસાહેબે ઉનાળાનો આનંદ માત્ર લૂંટ્યો જ નથી, બલકે એ આનંદને પોતાના વિખ્યાત નિબંધ ‘મધ્યાહનનું કાવ્ય’ થકી સૌ સાથે વહેંચ્યો પણ છે. આ લલિત નિબંધ વાંચતાં કાકાસાહેબની સૌંદર્યદૃષ્ટિ અને સમજનો પણ અંદાજ આવી શકે છે. કાકાસાહેબે લખ્યું છે, ‘સાચે જ તડકાનો રંગ મને ખૂબ ગમે છે. કેટલીક વસ્તુઓ પ્રત્યે આપણે તટસ્થ નથી થઈ શકતા તેથી તેનું સૌંદર્ય ગુમાવીએ છીએ.’ આગળ બિહારના તળાવમાં બાઝતી નયનરમ્ય લાલ રંગની લીલનું ઉદાહરણ આપીને સમજાવે છે, ‘માણસ ઉપયોગિતાના ખ્યાલમાંથી ઊગરી ન જાય ત્યાં સુધી સૌંદર્યનું હાર્દ સમજી ન શકે. મારી દલીલ એ છે કે જે તડકામાં કુમળાં ફૂલો પણ ખીલે છે તે તડકાનો વાંક તમે શી રીતે કાઢી શકો? જે તડકો કેળના પેટમાંનું પાણી પણ લૂંટતો નથી તેને તમે ત્રાસદાયક કહો શા હિસાબે?’

ઉનાળાના તકડામાં આપણને ભડકા દેખાતા હોય છે, પરંતુ કાકા તો સાવ જુદું જુએ છે, ‘તડકો પુરજોશમાં પડતો હોય તે વખતે આકાશની શોભા ખાસ જોવા લાયક હોય છે. ભેંસો દૂધ દેતી વખતે જેમ આંખ મીંચીને નિસ્તબ્ધ ઊભી રહે છે તેમ આકાશ તડકાની સેરો છોડતું જ રહે છે. ન મળે વાદળાં, ન મળે ચાંદલો. ચાંદો હોય તોયે વાસી રોટલાના કકડા જેવો ક્યાંક પડ્યો હોય. બધે એક જ રસ ફેલાયેલો હોય છે. એને વીરરસ કહીએ કે રૌદ્ર? હું તો એને શાંતરસ જ કહું! શાંતરસ શીતળ જ શા માટે હોય? તપ્ત પણ કેમ ન હોય?’ સાચી વાત છે, ઉનાળાની બપોરે શહેરોના માર્ગો પર શાંતિરસ જરૂર છવાતો હોય છે!

કાકાસાહેબ નિબંધમાં એક સુંદર ટકોર કરી છે, ‘તડકાનો આનંદ પ્રત્યક્ષ મળતો હોય તો તે વખતે શબ્દો લખવાનું પણ સૂઝવું ન જોઈએ. લાંબું લખીએ તો લેખિની પણ સુકાઈ જવી જોઈએ. ’ ચાલો, આપણે પણ લેખ ટૂંકાવીએ. ઉનાળાને પણ માણીએ, ન હોય તો કાકાસાહેબ સરીખા સૌંદર્યપૂજકોની સૌંદર્યદૃષ્ટિ ઉધાર લઈને!

(દિવ્ય ભાસ્કરની 23મી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)
(કાકા કાલેલકરનો આ વિખ્યાત નિંબંધ તમે આ લિંક http://www.readgujarati.com/2012/04/24/madhyan-kavya/ પરથી વાંચી શકો છો.)

Wednesday, May 16, 2018

મારે પીડિતા બની રહેવું નથી!

દિવ્યેશ વ્યાસ


ગેંગરેપનો ભોગ બનનાર ડૉ. સુનિતા પીડાને પછાડીને સાહસ અને હિંમતની લહેરોની લહાણી કરી રહ્યાં છે


એક સમાજ તરીકે આપણે બળાત્કાર-પીડિતાને પીડિત કરવામાં પીએચડી થયેલા છીએ.’ અત્યંત કડવી છતાં સાવ સાચી વાત કરી છે ડૉ. સુનિતા કૃષ્ણને. સુનિતાબહેનનું આ વાક્ય આપણા દિલોદિમાગમાં આરપાર ઊતરી જાય એવું છે. તેમના આ વાક્યની ધાર માટે સત્ય ઉપરાંત તેમનો સ્વાનુભવ પણ એટલો જ જવાબદાર છે. કેરળમાં એક સુખી-સમૃદ્ધ પરિવારમાં 1972માં જન્મેલાં સુનિતાબહેનને નાનપણથી જ સામાજિક કાર્ય કરવાનો શોખ હતો. માત્ર આઠ વર્ષની વયે તેમણે મેન્ટલી ચેલેન્જ્ડ બાળકોને નૃત્ય શીખવવાનું શરૂ કરેલું. તેઓ 15 વર્ષનાં હતાં ત્યારે તેમણે સાક્ષરતા અભિયાનમાં જોડાઈને દલિત સમાજના લોકોને ભણાવવાનું બીડું ઝડપ્યું. જોકે, સમાજના કેટલાક લોકોથી એ સહન ન થતાં તેમને પાઠ ભણાવવા માટે આઠ પુરુષો દ્વારા તેમના પર ગેંગરેપ કરવામાં આવ્યો. એક તરફ ગેંગરેપનો અસહ્ય આઘાત અને બીજી તરફ સગાંસંબંધીઓ અને સમાજના લોકો દ્વારા સાંત્વનાની જગ્યાએ સલાહ-મારો ભોગવતાં ભોગવતાં પણ સુનિતાબહેને સ્વ કરતાં સર્વનો વિચાર કર્યો. પોતે ભોગવ્યું, એવું કોઈ ન ભોગવે, એવી ભાવનાને કારણે તેમને પોતાનું જીવનકાર્ય જડ્યું

સુનિતાબહેને નિર્ધાર કર્યો કે મારે પીડિતા બની રહેવું નથી. તેમણે સંઘર્ષ અને સમાજસેવાનો માર્ગ પસંદ કર્યો. સુનિતાબહેને વિચાર્યું કે આપણા સમાજમાં એક એવી સંસ્થા સ્થાપવાની અત્યંત જરૂર છે, જ્યાં સેક્સ ટ્રાફિકિંગ અને સેક્સ ક્રાઇમનો ભોગ બનતાં બાળકો અને સ્ત્રીઓને આશ્રય મળે. એક એવું રહેઠાણ જ્યાં પીડિતાને ન કોઈ સવાલ કરવામાં આવે, ન સાંત્વનાને નામે દંભી શીખામણો આપવામાં આવે. એવી સંસ્થા જ્યાં પીડિત વ્યક્તિ પોતાના આઘાતમાંથી ધીમે ધીમે બહાર આવી શકે અને એટલી શક્તિશાળી અને સાહસિક બની શકે કે પોતાની બાકીની જિંદગી સન્માનપૂર્વક જીવી શકે.

સુનિતાબહેન પોતાના સ્વપ્નની સંસ્થા સ્થાપીને જ રહ્યાં. તેમની સંસ્થાનું નામ છે - પ્રજ્વલા. પ્રજ્વલા સંસ્થા થકી તેમણે હજારો પીડિતાઓને ‘પીડિતા’ના કોચલામાંથી બહાર નીકળીને સામાન્ય જીવન જીવવા, પગભર થવાનો માર્ગ બતાવ્યો છે. પીડિતાને બચાવવી આસાન નથી હોતી, અનેક પારિવારિક-સામાજિક સમસ્યાઓ સામે ઝઝૂમવું પડતું હોય છે. સુનિતાબહેન પર આ કામ કરવા બદલ એક-બે નહિ પણ 17 વખત હુમલાઓ થઈ ચૂક્યા છે. એક વાર તો તેમના પર એસિડ એટેક પણ કરવામાં આવ્યો હતો, પરંતુ બચી ગયેલા. આવા હુમલાઓમાં તેમણે પોતાનો કાન ગુમાવ્યો છે અને તેમના એક હાથમાં કાયમી ખોટ રહી જવા પામી છે. સુનિતાબહેનના સંઘર્ષની સૌથી મોટી સિદ્ધિ એ છે કે સેક્સ ટ્રાફિકિંગ અને ક્રાઇમનો ભોગ બનેલાં 17,800 બાળકો અને મહિલાઓને નવજીવન પ્રાપ્ત થયું છે. પોતાની સામાજિક સેવાને કારણે સુનિતાબહેનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં અનેક પુરસ્કારો અને સન્માનો પણ પ્રાપ્ત થયાં છે. વર્ષ 2016માં તેમને પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.

સુનિતાબહેન આજકાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે, કારણ કે માનવતાને જાગૃત કરવા માટે અપાતા પ્રતિષ્ઠિત ઓરોરા પ્રાઇઝના ત્રણ નામાંકિતોમાં તેમનો પણ સમાવેશ થયો છે. ઓરોરા પ્રાઇઝનો પ્રારંભ વર્ષ 2015થી થયો છે અને તેને આપવાની શરૂઆત 2016 જ થઈ છે, છતાં તેણે સમગ્ર વિશ્વમાં એક પ્રતિષ્ઠા ઊભી કરી છે. આ એવોર્ડનો ઇતિહાસ રસપ્રદ છે. આર્મેનિયામાં 1915થી 1923નાં વર્ષો દરમિયાન ભયંકર નરસંહાર થયો હતો. આ નરસંહાર માનવતાના ઇતિહાસના કલંક સમાન ગણાય છે. વર્ષ 2015માં નરસંહારને સો વર્ષ થયાં ત્યારે આર્મેનિયાના લોકોએ આ આઘાતજનક ઘટનાની શતાબ્દી જુદી રીતે ઊજવવાનું નક્કી કર્યું અને કેટલાક કાર્યક્રમો શરૂ કર્યા, જેમાંથી એક કાર્યક્રમ માનવતાના ક્ષેત્રે કામ કરનારા લોકોને સન્માનીને એક લાખ અમેરિકન ડૉલરનું (રૂ. 66.3 લાખ ) અધધ મોટું ઈનામ આપવાનું નક્કી થયું. આ વર્ષે 115 દેશોના 509 લોકોમાંથી સુનિતાબહેન ઉપરાંત બીજા બે સંઘર્ષવીરોનું પણ નામાંકન કરવામાં આવ્યું છે, કોને પ્રાઇઝ મળશે, તેનો ખ્યાલ તો આગમી 9મી જૂનના રોજ આવશે, પરંતુ આ પ્રાઇઝ માટે પહેલી વખત એક ભારતીયનું નામાંકન થયું છે, એ ગૌરવ લેવા જેવી વાત છે. પ્રાર્થના કરીએ કે સુનિતાબહેનને આ પ્રાઇઝ મળે. વળી, આ પ્રાઇઝની ખાસિયત એ છે કે પ્રાઇઝ મેળવનાર વ્યક્તિ જે સંસ્થાઓની ભલામણ કરે તેને પણ કુલ દસ લાખ અમેરિકન ડૉલરની (રૂ. 6.63 કરોડ) આર્થિક સહાય પણ આપવામાં આવે છે.

સુનિતાબહેનના મિજાજને સમજવામાં મદદરૂપ થાય એવા તેમના એક વાક્ય સાથે લેખ પૂર્ણ કરીએ: ‘બાહ્ય જગતને તો પીડિતાને પીડિતા તરીકે જોવી જ ગમે છે. તેઓ ઇચ્છે છે કે પીડિતાએ રડવું જોઈએ, તેઓ ઇચ્છે છે કે પીડિતાએ પોતાનો ચહેરો છુપાવીને રહેવું જોઈએ. હું આ બાબતે સાવ ઊલટું વિચારું છું. મને હંમેશાં લાગ્યું છે કે કોઈએ મારી સાથે ઊભા રહેવાની જરૂર નથી. હું મારી રીતે જીવવા પૂર્ણપણે સક્ષમ છું.’


(દિવ્ય ભાસ્કરની 16મી માર્ચ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, May 9, 2018

ગોખલે અને માતૃભાષા

દિવ્યેશ વ્યાસ


ગાંધીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે સાથે માતૃભાષાનો એક સુંદર કિસ્સો જોડાયેલો છે




9મી મે, 1866ના રોજ જન્મેલા પ્રખર દેશસેવક ગોપાલકૃષ્ણ ગોખલેનો આજે જન્મ દિવસ છે. ગોખલે ગાંધીજીના ગુરુ હતા. ગાંધીજીએ લખેલું છે, ‘ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને તે ક્ષેત્રપરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. એમના કહેવાને વિશે કે એમની આજ્ઞાને વિશે મને તર્કવિતર્ક કદી ન થતા.’ તો આવા ગુરુ ગોખલે વિશે ગાંધીજીએ પોતાની આત્મકથામાં અનેક વખત ઉલ્લેખ કર્યો છે. ‘ગોખલે સાથે એક માસ-1’ પ્રકરણમાં ગાંધીજીએ લખ્યું છે, ‘ગોખલેની કામ કરવાની પદ્ધતિથી મને જેટલો આનંદ થયો તેટલું જ શીખવાનું મળ્યું. તેઓ પોતાની એક પણ ક્ષણ નકામી ન જવા દેતા. તેમના બધા સંબંધો દેશકાર્યને અંગે જ હતા, એમ મેં અનુભવ્યું. બધી વાતો પણ દેશકાર્યને ખાતર. વાતોમાં મેં ક્યાંયે મલિનતા, દંભ કે જૂઠ ન જોયાં. હિંદુસ્તાનની કંગાલિયત અને પરાધીનતા તેમને પ્રતિક્ષણ ખૂંચતી.’

દ. આફ્રિકાની લડત દરમિયાન ગાંધીજી એક વાર ભારત આવેલા ત્યારે પૂના ગયેલા અને ત્યાં ત્રણ મહાનુભાવોને મળેલા. આનો ઉલ્લેખ તેમણે આત્મકથામાં ‘પૂનામાં’ નામના પ્રકરણમાં કર્યો છે. તેમાં લખ્યું છે, ‘સર ફિરોજશા તો મને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા, તેમાં હું નાહી શકું. હિમાલય ચડાય નહીં, સમુદ્રમાં ડૂબવાનો ભય રહે. ગંગાની તો ગોદમાં રમાય. તેમાં હોડકાં લઈને તરાય.’ આમ, ગોખલેજી માટે ગાંધીજીને અપાર આદર અને સ્નેહ હતો.

ગોખલેજીના નિધન પછીના એક પ્રસંગની વાત કરતાં ગાંધીજીએ પોતાની આત્મકથામાં નોંધ્યું છે, ‘ભારતવર્ષના તોફાની સમુદ્રમાં ઝંપલાવતાં મને સુકાનીની જરૂર હતી, ને ગોખલે જેવા સુકાનીની નીચે હું સુરક્ષિત હતો.’

ગોખલેજીએ કેવો સ્નેહ અને સુરક્ષા આપી હતી, તેનો એક પ્રસંગ પણ ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યો છે. ‘ગોખલેની સાથે પૂનામાં’ પ્રકરણમાં ગાંધીજીએ નોંધ્યું છે, ‘ગુજરાતમાં ક્યાંક સ્થિર થવું (આશ્રમ ઊભો કરી) એવી મારી ઇચ્છા હતી. ગોખલેને આ વિચાર ગમ્યો હતો, તેથી તેમણે કહ્યું, ‘તમે જરૂર એમ કરજો. સભ્યોની સાથે વાતચીતનું ગમે તે પરિણામ આવે, પણ તમારે આશ્રમને સારુ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે. તેને હું મારો જ આશ્રમ ગણવાનો છું.’... ગાંધીજી સ્વદેશ પાછા ફર્યા પછી ગોખલે લાંબું જીવ્યા નહોતા, પરંતુ તેમનો સપોર્ટ ઐતિહાસિક હતો.

દ. આફ્રિકાની લડતમાં પણ ગાંધીજીને ગોપાલકૃષ્ણ ગોખલેની ખૂબ હૂંફ મળી હતી. લડત દરમિયાન દ. આફ્રિકામાં ભારતીયોની સ્થિતિ અને લડતને જોવા ગોખલે દ. આફ્રિકા ગયા હતા. ગિરિરાજ કિશોરે ગાંધીજીના દ. આફ્રિકાના જીવન પર કેન્દ્રિત નવલકથા ‘પહેલો ગિરમીટિયો’ લખી છે, જેમાં લેખકે ગોખલેના દ. આફ્રિકા પ્રવાસ દરમિયાનનો માતૃભાષા સંબંધિત એક સુંદર પ્રસંગ વર્ણવ્યો છેઃ

‘એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન એ ઊભો થયો કે જાહેરસભામાં કઈ ભાષામાં બોલવું? મોહનદાસે કહ્યું: ‘તમે હિંદુસ્તાનીમાં બોલો.’

ગોખલેએ કહ્યું: ‘ભાંગીતૂટી હિંદુસ્તાનીમાં બોલીશ તો લોકો હસશે. ન હું વાત સમજાવી શકીશ, ન તેઓ સમજશે.’

‘હું પણ એ જ ભાષા બોલું છું.’

ગોખલે ચિંતામાં પડી ગયા. એટલે મોહનદાસે કહ્યું: ‘તમે મરાઠીમાં બોલો તો?’

‘દક્ષિણ આફ્રિકામાં મરાઠીમાં બોલવું એ તો વધુ હાસ્યાસ્પદ થશે. એનો પણ અનુવાદ તો કરવો જ પડે. એટલે સારું એ થશે, હું અંગ્રેજીમાં બોલું.’

‘મારી તમને વિનંતી છે, તમે હિંદુસ્તાનીમાં ન બોલો તો મરાઠીમાં બોલો. અહીંના લોકો એ જાણીને ગૌરવ અનુભવશે કે હિંદુસ્તાનના આટલા મોટા નેતા પોતાની માતૃભાષાને ચાહે છે.’

ગોખલે મરાઠીમાં જ બોલ્યા. મોહનદાસે હિંદુસ્તાનીમાં તેનો તરજુમો કર્યો. એક વાર એમણે મરાઠીમાં બોલવાનું શરૂ કર્યું. પછી તો છેક ઝાંઝીબાર (પ્રવાસના છેલ્લા મુકામ) સુધી મરાઠીમાં જ બોલ્યા.’

ગુજરાતમાં માતૃભાષા અંગે માહોલ બની રહ્યો છે ત્યારે ગોખલે અને ગાંધીનો આ કિસ્સો પ્રેરણા પૂરી પાડે એવો છે.

(દિવ્ય ભાસ્કરની 9મી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)

Wednesday, May 2, 2018

આંખના ઈશારાઓની ભાષા

દિવ્યેશ વ્યાસ


વિશ્વમાં પહેલીવાર ભારતમાં આંખોની ભાષા તૈયાર કરવામાં આવી છે. ‘બ્લિન્ક ટુ સ્પીક’ પુસ્તિકા વાચાહીનો માટે આશીર્વાદસમી છે


(બ્લિન્ક ટુ સ્પીક પુસ્તકનું એક પાન)

ગત ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન્સના દિવસોમાં પ્રિયા પ્રકાશ વરિયરનો આંખોના ઈશારા કરતો  એક વિડિયો જબરદસ્ત વાઇરલ થયો હતો. પ્રિયાના વિડિયો સાથે જ આંખના ઈશારાની ભાષા પણ ચર્ચામાં આવી હતી અને વાત છેક આપણાં પરંપરાગત નૃત્યોમાં આંખોના હાવભાવ સુધી પહોંચી હતી. માનવીના શરીરમાં તેની આંખો સૌથી વધારે બોલકી ગણાય છે. વ્યક્તિ જ્યારે કશું છુપાવવા માગતી હોય ત્યારે તે સામેવાળાથી પોતાની નજરો છુપાવતી હોય છે, કારણ કે આંખોમાં તમે તમારા ભાવ-લાગણીઓને છુપાવી શકતા નથી. ગુજરાતીમાં આંખોને લગતી અનેક કહેવતો પણ છે, જેનાથી ખ્યાલ આવે છે કે સંવાદ સાધવામાં કે સંદેશા પાઠવવામાં આંખોની કેટલી મોટી ભૂમિકા હોય છે.

સંદેશાવ્યવહારમાં આંખોની અસરકારકતાને ધ્યાનમાં રાખીને જ વાચાહીન લોકો માટે આંખોના ચોક્કસ ઈશારા થકી ચોક્કસ પ્રકારનો સંદેશો પહોંચાડવા માટે એક નવી જ ભાષા ઘડવામાં આવી છે. ભારત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે વિશ્વની પહેલી આંખ-ભાષા આપણા દેશમાં તૈયાર કરવામાં આવી છે. કેટલાકને સવાલ થઈ શકે કે મૂકબધિર લોકો માટે આપણે ત્યાં હોઠ, આંખો અને હાથના ઈશારાની ભાષા તો છે જ તો પછી આ આંખ-ભાષાની જરૂરિયાત શું છે? આ ભાષા ખાસ કરીને બ્રેઇન સ્ટ્રોક કે સ્પાઇનલ કોડની ઈજાઓને કારણે લકવાગ્રસ્ત સ્થિતિમાં આવી ગયા પછી બોલવા માટે સક્ષમ રહ્યા નથી, એવા લોકો માટે વિકસાવવામાં આવી છે. વળી, આ ભાષા એમિયોટ્રોફિક લેટરલ સ્કલરોસિસ (ALS)અને મોટર ન્યૂટ્રોન ડિસીઝથી (MND) પીડાતા લોકો માટે પણ આશીર્વાદસમી છે. આ બધી બીમારીઓમાં સાજીસારી વ્યક્તિ અચાનક પોતાની વાચા ગુમાવી બેસે છે. હાથ-પગ પણ જ્યારે પેરેલાઇઝ્ડ થઈ ગયા હોય ત્યારે ઈશારો કરવા પણ સક્ષમ હોતા નથી. આવા લોકો માટે વધીને આંખના હાવભાવ થકી સંદેશો આપી શકે, પરંતુ તેઓ એક હદથી વધારે પોતાની વાત કરી શકતા નથી. આંતરરાષ્ટ્રીય એડ એજન્સી TBWA Indiaમાં ક્રિએટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત ગીત રાઠીને એએલએસથી પીડિત વ્યક્તિના સંપર્કમાં આવવાનું બન્યું અને તેને વિચાર આવ્યો કેે આંખોના ચોક્કસ ઈશારા થકી ચોક્ક્સ સંદેશા પહોંચાડવા માટે નવી જ આંખ-ભાષા વિકસાવવામાં આવે તો આવા દર્દીઓનું જીવન થોડુંઘણું આસાન થઈ શકે. આ ઉત્સાહી યુવતીએ પોતાનો વિચાર કંપનીના સાથીઓ સમક્ષ રજૂ કર્યો અને તેમણે આંખ-ભાષા વિકસાવવાનો મનસૂબો ઘડ્યો અને આર્શિયા જૈન વગેરે સાથીઓના સહયોગથી પાર પણ પાડ્યો. તેમણે દર્દીઓ, ડૉક્ટર્સ, સારવાર-સંભાળ કરનારા કર્મચારીઓ, દર્દીનાં સગાંસંબંધીઓ સાથે વાતચીતો - ચર્ચાઓ કરીને આંખના એવા પચાસથી વધારે ઈશારા નક્કી કર્યા, જેના થકી દર્દી અને સારવારકર્તા કે સંબંધી વચ્ચેનો વ્યવહાર આસાન થાય.

આંખને પટપટાવી શકાય, એક આંખ બંધ-ખોલ કરી શકાય, આંખની કીકીઓને ડાબે-જમણે કે ઉપર-નીચે લઈ જઈ શકાય છે, કીકીઓને ગોળ ગોળ ફેરવી શકાય. આંખના આવા ઈશારાને જ આંખ-ભાષાના આલ્ફાબેટ્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે. વ્યક્તિ એક સાથે એક કે એકથી વધુ ઈશારા કરીને પોતાની વાત જણાવી શકે છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિ એક વાર આંખ પટપટાવે તો ‘હા’ સમજવાનું અને બે વાર પટપટાવે તો ‘ના’. વ્યક્તિ સતત ત્રણ વખત આંખ પટપટાવીને તેને સારું છે, એમ જણાવી શકે અને આંખની કીકીને પહેલા ડાબી તરફ પછી જમણી તરફ લઈને જો આંખ એક વખત પટપટાવે તો તેને સારું નથી લાગતું, એવું જણાવી શકે છે. આંખ એક વાર પટપટાવીને કીકી જમણી તરફ ફેરવીને ડૉક્ટરને બોલાવવાનું કહી શકે છે... આવા તો પચાસ ઈશારા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અંગ્રેજીના દરેક મૂળાક્ષર (આલ્ફાબેટ) માટે પણ આંખના જુદા જુદા ઈશારા નક્કી કરાયા છે, જેનાથી વ્યક્તિ પોતાની વાત રજૂ કરી શકે છે.

દર્દીઓ અને ડૉક્ટર સહિતના તેમને સંભાળનારા લોકોને આંખ-ભાષા શીખવતી એક પુસ્તિકા ‘બ્લિન્ક ટુ સ્પીક’ તાજેતરમાં જ પ્રકાશિત કરવામાં આવી છે. આશા એક હોપ ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા તથા ન્યૂરોજેન બ્રેઇન એન્ડ સ્પાઇન ઇનસ્ટિટ્યૂટ દ્વારા આ પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સૌથી સારી વાત એ છે કે આ પુસ્તિકા તમે પીડીએફ સ્વરૂપે ફ્રીમાં ઇન્ટરનેટ (http://www.ashaekhope.com/pdf/blink-to-speak.pdf) પરથી ડાઉનલોડ કરી શકો છો. સંસ્થા ભારતની તમામ ભાષાઓમાં આ માર્ગદર્શક પુસ્તિકાની આવૃત્તિ કરવા માગે છે.

વ્યક્તિની વાચા હણાઈ જાય ત્યારે તે જાણે લાચાર સ્થિતિમાં મુકાઈ જાય છે, પરંતુ આશા રાખીએ આ નવી આંખ-ભાષા તેમના જીવનને આસાન બનાવશે.

(દિવ્ય ભાસ્કરની 2જી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, April 25, 2018

શ્યામ હોવાનો સંતાપ

દિવ્યેશ વ્યાસ


મુંબઈમાં રહેતાં હેમાબહેને પોતાના કાવ્ય દ્વારા શ્યામ રંગની સ્ત્રીએ શું શું સહેવું પડે છે, તેનો હૃદયવિદારક ચિતાર આપ્યો છે




‘તડકામાં બહાર રમવા ન જશો, કાળા પડી જશો!’ ઉનાળાના દિવસોમાં બાળકોને એમાંય ખાસ કરીને દીકરીઓને કહેવાતાં આ વાક્યને સૂચના ગણવી કે ચેતવણી, એ કહેવું મુશ્કેલ છે. કાળા પડી જવું તો આપણા સમાજમાં કોઈને નથી પોષાતું, સૌ જાણે છે કે પોતાનો શ્યામ રંગ તેમને ક્યાંક ને ક્યાંક તો જરૂર નડવાનો છે! કોઈનું વિધાન સાંભળેલું છે, રૂપાળો ચહેરો પ્રમાણપત્રની ગરજ  સારે છે. દુનિયામાં રૂપાળી વ્યક્તિને શ્યામવર્ણની ટેલેન્ટેડ વ્યક્તિ કરતાં વધારે મહત્ત્વ મળે, એ સાવ સહજ મનાય છે.

ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે ઘડાયેલા ડીએનએ મુજબ આપણને આપણો વર્ણ (વાન, ત્વચાનો રંગ) સાંપડતો હોય છે. વ્યક્તિની ટેલેન્ટને તેના વાન સાથે કોઈ લેવાદેવા હોતી નથી, છતાં મોટા ભાગના લોકો વ્યક્તિની મૂલવણી માટે સૌથી પહેલા તેના વાનને ધ્યાનમાં લેતા હોય છે. આપણે ત્યાં અમેરિકા સહિતના પશ્ચિમી દેશોની જેમ રંગભેદ ભલે નથી, છતાં શ્યામવર્ણની વ્યક્તિને ગોરી વ્યક્તિ કરતાં ઊતરતી માનવાની માનસિકતા બધે છવાયેલી જોવા મળે છે.

શ્યામ રંગના લોકો, એમાંય ખાસ કરીને સ્ત્રીઓએ જીવનના તમામ તબક્કે ભેદભાવ સહન કરવા પડતા હોય છે. મુંબઈમાં રહેતાં હેમાબહેન ગોપીનાથન સાહે શ્યામવર્ણી મહિલાઓએ આજીવન સહેવા પડતાં ભેદભાવોનો હૃદયવિદારક ચિતાર એક કાવ્ય થકી રજૂ કર્યો છે. હેમાબહેનના આ અછાંદસ કાવ્યનું શીર્ષક છે, ‘કાલી’. આ કાવ્યની ચર્ચા કરતાં પહેલાં થોડી વાત હેમાબહેન વિશે જાણી લેવા જેવી છે. તેઓ ‘યુ આર એ નથિંગ’ (www.youareanothing.com) નામનો બ્લોગ લખે છે, જેમાં કળા, ફિલ્મ, હોમસ્કૂલિંગ, માયથોલોજી જેવા વિષયો પર પોતાની વાત લખવા ઉપરાંત પોતાનાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ પણ મૂકતાં હોય છે.

આ બ્લોગમાં તેમણે પોતાનો પરિચય આપવાની સાથે સાથે બ્લોગના નામકરણ પાછળની નાની સ્ટોરી પણ લખી છે. હેમાબહેન લખે છે, ‘તમે તો કશું નથી (યુ આર એ નથિંગ), આ આરોપ મારી ચાર વર્ષની દીકરીએ મારા પર કરેલો. તેના આ આરોપ પાછળનું કારણ એ છે કે તેના સહપાઠીઓની માતાઓમાં કોઈ બેન્કર છે, ડૉક્ટર છે, શિક્ષક છે અને હું એવું કોઈ પદ ધરાવતી નથી. વળી, હું એવું કોઈ કામ કરતી નથી, જેના આધારે તે મને આવા કોઈ ચોકઠામાં બેસાડી શકે.’ હા, આવાં હેમાબહેન એવાં કાવ્યો જરૂર રચે છે, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થાય. હેમાબહેને 9મી એપ્રિલ, 2018ના રોજ ફેસબુક પર ‘કાલી’ કાવ્ય રજૂ કર્યું અને જોતજોતાંમાં તેમના કાવ્યને 9600થી વધારે લાઇક્સ મળી, 575થી વધુ કૉમેન્ટ મળી અને અધધ 5600થી વધારે લોકોએ તેને શેર કરતાં તેમનું કાવ્ય વાઇરલ બન્યું અને અખબારોએ પણ નોંધ લેવી પડી હતી.

‘કાલી’ કાવ્યનો પ્રારંભ જ જોરદાર છે, ‘વાંક મારી માતાનો હતો, જેણે મને કાવેરીના કાંઠે જન્મ આપ્યો, તેણે પ્રયાસ તો કરી જોયો હશે, પણ તે મારા ચહેરાનો કાંપવાળી માટી જેવો કાળો રંગ ધોઈ શકી નહોતી...’ આખા કાવ્યનો અનુવાદ આપવાનો અર્થ નથી, એ તો મૂળ અંગ્રેજીમાં જ સારી રીતે માણી શકાશે, પણ કાવ્યના કેટલાક ચોટદાર અંશો જોઈએ: મારા મમ્મીના ભાઈ (મામા) મને ‘કોલસાનો નાનકડો ટુકડો’ કહીને બોલાવતા’ તો પપ્પા ‘ઓવનમાં સહેજ વધારે શેકાઈ ગયેલ’ કહીને મારા પર હસતા. હું માત્ર છ વર્ષની હતી ત્યારે સમજાઈ ગયેલું કે મારે ભલે 99 ટકા આવ્યા હોય, છતાં મારી ખાસ બહેનપણી, જેને મારા કરતાં ગોરી હોવાનો ગર્વ હતો, તે 73 ટકા માર્ક્સ સાથે પણ મારા કરતાં આગળ હતી! ત્રીજા ધોરણમાં મારી સાથે ભણતો રાહત અલી મને જાતભાતના નામે બોલાવીને ચીડવતો. કાવ્યમાં વધુ એક હૃદયદ્રાવક અનુભૂતિ વર્ણવતાં હેમાબહેને લખ્યું છે, આરંગેત્રમ વખતે ચહેરો ધોળો પણ કાળી ડોક દેખાતી હોય એવો મેક-અપ જોઈને મને શરમ આવેલી. હું કદાચ રંગલા જેવી દેખાતી હતી, છતાં એટલિસ્ટ બે કલાક ગોરી બનેલી, એનો છુપો આનંદ પણ હતો!

લગ્નની વાત આવે ત્યારે વ્યક્તિનો રંગનો મુદ્દો રાતોરાત મહત્ત્વપૂર્ણ બની જતો હોય છે. કાવ્યમાં લખ્યું છે, એક અમીર પરિવારની માતા પોતાના દીકરા માટે ‘દૂધ જેવી ધોળી’ યુવતી શોધી રહ્યાં હતાં! દીકરી કાળી ન પડી જાય કે પછી વધારે કાળી ન દેખાય, એ માટે કેવી કેવી ચેતવણીઓ અપાતી હોય છે, તેની ઝલક પણ કાવ્યમાં રજૂ કરવામાં આવી છે. કાવ્યના અંતે મા કાલીનું પણ જોરદાર સ્મરણ કરવામાં આવ્યું છે.

હેમાબહેને આ કાવ્યની સાથે એક શ્યામ વર્ણની તરુણીની તસવીર મૂકી છે. કાવ્યના અંતે નોંધ લખી છે કે આ મારી યુવા મિત્ર કેથરીન છે, જે માંડ 17 વર્ષની છે. તેને ખુદની તસવીરો લેવી બહુ ગમે છે. તે જ્યારે પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં મૂકે છે ત્યારે કેટલાક લોકો દ્વારા તેના રંગ અંગે ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવે છે, તેના પરથી મને આ કાવ્ય લખવાની પ્રેરણા મળી છે. શ્યામ વર્ણને કારણે ક્યાં સુધી સાવ નિર્દોષ દીકરીઓએ સહન કરવું પડશે? આપણો સમાજ ક્યારે ‘ગોરાપણા’ની ગુલામીમાંથી છૂટશે?

હેમાબહેને કઠુઆની ઘટના પછી ‘એક માતાનું શોકગીત’ (એ મધર્સ લમેન્ટ ) નામનું હૃદયદ્રાવક કાવ્ય લખ્યું છે, સમય મળ્યે તેમના બ્લોગ પર જઈ વાંચી આવજો!

(દિવ્ય ભાસ્કરની 25મી એપ્રિલ, 2017ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)