Showing posts with label તકનીક. Show all posts
Showing posts with label તકનીક. Show all posts

Wednesday, May 30, 2018

શીતળતા આપે એવી શોધ

દિવ્યેશ વ્યાસ


ઉત્તર પ્રદેશની 16 વર્ષની દીકરી કલ્યાણીએ એવું દેશી એસી બનાવ્યું છે, જે સસ્તું છે અને સૌર ઊર્જાથી ચાલે છે




સમાજ તરીકે આપણી સૌથી મોટી નબળાઈ એ છે કે આપણે વૈજ્ઞાનિક અભિગમથી વિચારવાની અને વ્યવસ્થાપકીય ઉકેલો શોધવાની બાબતે ઘણા કાચા પડીએ છીએ. એવી અનેક સમસ્યાઓ છે, જેનો આપણે સદીઓથી સામનો કરતા આવ્યા છીએ અને છતાં તેનું વ્યાવહારિક સમાધાન શોધી શકતા નથી. આપણે આગે સે ચલી આઈની માનસિકતામાં રાચીએ છીએ અને કશું નવું વિચારવા બાબતે ઉદાસીન રહીએ છીએ. આવી ઉદાસીનતાને કારણે જ આપણે વૈજ્ઞાનિક શોધ-સંશોધનોની બાબતે અનેક ગરીબ દેશો કરતાં પણ પાછળ છીએ.

ગુજરાત પહેલેથી દુષ્કાળપીડિત રાજ્ય રહ્યું છે, છતાં જળસંચયની બાબતે આપણે આજે પણ ફાંફા મારીએ છીએ, એ હકીકત છે. ઉનાળાની ગરમી બાબતે પણ આપણું વલણ સમસ્યા-ઉકેલનું નહિ, પણ સહન કર્યા કરવાનું રહ્યું છે. દુનિયાના એવા કેટલાક દેશો છે, જ્યાં માઇનસમાં ઠંડી રહેતી હોય છે. એવા દેશોમાં ગરીબમાં ગરીબ વ્યક્તિના ઘરે પણ હિટરની વ્યવસ્થા હોય છે. માત્ર ઘર જ નહિ, રેલવે સ્ટેશન સહિતની જાહેરજગ્યાઓ પણ સેન્ટ્રલી હિટર ધરાવતી હોય છે. આપણે ત્યાં ઉનાળામાં અમદાવાદ સહિતનાં શહેરોમાં અગનગોળા વરસતા હોય છે. આપણી ધાર્મિક વૃત્તિને કારણે પાણીની પરબો ચોક્કસ બંધાય છે, પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગ લોકોના ઘર પણ ઠરે એ માટે કોઈ વિશેષ પગલાં ભરવામાં આવતાં નથી. એક વડીલે (લલિતભાઈ લાડ) થોડા વર્ષો પહેલાં અમદાવાદમાં આવેલા એક વિદેશીની વાત કરી, જેમને આશ્ચર્ય થયું હતું કે અહીં આટલી બધી ગરમી પડે છે અને અધૂરામાં પૂરું મોંઘા ભાવના વિદેશી બ્રાંડના ફ્રિજ વેચાઈ રહ્યાં છે, છતાં તમારી સરકાર દરેક પરિવારને સસ્તા દરે ફ્રિજ મળી રહે, એ માટે કોઈ તકનીક વિકસાવવા કેમ પ્રયાસો નથી કરતી? કાળઝાળ ગરમીમાં ફ્રિજ ઉપરાંત એસી પણ હવે લક્ઝરી નહિ પરંતુ જરૂરિયાત બની ગયું છે.

ગુજરાતમાં તો ખબર નથી, પરંતુ ઉત્તરપ્રદેશના બુંદેલખંડ પ્રદેશની નવમા ધોરણમાં ભણતી કલ્યાણી શ્રીવાસ્તવ નામની તરુણીને વિચાર આવ્યો કે ગરમીથી ત્રસ્ત મારા પ્રદેશના લોકોને સસ્તા દરે એસી ઉપલબ્ધ થવું જોઈએ અને તેણે એ માટે પ્રયાસો શરૂ કર્યા. તેણે દેશી એસીનું મૉડલ તૈયાર કરવા માટે એક પછી એક અખતરા-પ્રયોગો કર્યા. બે વર્ષના અંતે તે જ્યારે 11મા ધોરણમાં લોકમાન્ય તિલક ઇન્ટર કૉલેજ, ઝાંસીમાં ભણતી હતી ત્યારે સૌર ઊર્જાથી ચાલતું દેશી એસીનું મૉડલ તૈયાર કર્યું. તેનું આ મૉડલ વિજ્ઞાન મેળામાં રજૂ કરવામાં આવ્યું અને તેનાથી શિક્ષકો અને વિજ્ઞાનીઓ એટલા પ્રભાવિત થયા કે તેનું મૉડલ આઈઆઈટી, દિલ્હીના રાષ્ટ્રીય સ્તરની મૉડલ કોમ્પિટિશનમાં પસંદગી પામ્યું. વર્ષ 2016માં દિલ્હીમાં આયોજિત બાળ વિજ્ઞાન મેળામાં દેશ-વિદેશના વિજ્ઞાનીઓ અને તકનીક-નિષ્ણાતો પણ કલ્યાણીના મૉડલની પ્રશંસા કર્યા વિના ન રહી શક્યા. જાપાનના વિજ્ઞાનીઓ તો એટલા પ્રભાવિત થયા કે જાપાન સરકાર દ્વારા બાળ વિજ્ઞાની સંમેલન માટે તેને આમંત્રિત કરવામાં આવી હતી.

હવે વાત કરીએ કલ્યાણીના દેશી એસીની. આ એસીની રચના સરળ છે. થર્મોકોલના આઈસબોક્સમાં 12 વોલ્ટના ડીસી ફેન(પંખા)થી બહારની હવા બોક્સમાં મોકલવામાં આવે છે અને હવા ઠંડી થઈને એલ્બો દ્વારા બહાર ફેંકાય છે. કલ્યાણીએ પહેલા તો પંખો ચલાવવા માટે વીજળીનો ઉપયોગ કરેલો, પરંતુ પછી તેણે ગ્રામીણ વિસ્તારને ધ્યાનમાં રાખીને સૌરઊર્જા થકી ચાલે એવું મૉડલ વિકસાવ્યું. આ દેશી એસી એક કલાકમાં ખંડનું તાપમાન 4થી 5 ડિગ્રી ઘટાડી શકે છે. વર્ષ 2016માં આ દેશી એસી માત્ર 1850માં પડતું હતું, જેનો ખર્ચ આજની સ્થિતિ મુજબ કદાચ રૂ. 2500 સુધી પહોંચે. આમ, આ સસ્તું, ટકાઉ અને પર્યાવરણ-મિત્ર એસી છે.

અનેક એસી બનાવતી કંપનીઓએ કલ્યાણીનો સંપર્ક કરેલો છે, પરંતુ તે હજું આ મૉડલને વિકસાવવા અને ઉત્કૃષ્ટ બનાવવા માગે છે. આપણે આશા રાખીએ કલ્યાણી જેવા યુવા વિજ્ઞાનીઓ વધુ ને વધુ સક્રિય થાય, તેમને વિવિધ સંશોધનો કરવા માટે સરકાર અને સમાજ તરફથી પ્રોત્સાહન મળતું રહે અને આપણી સમસ્યાઓનો વૈજ્ઞાનિક અને વ્યવહારુ ઉકેલ લાવવા કોશિશ કરે. કલ્યાણીની ટેલેન્ટને સલામ!

(દિવ્ય ભાસ્કરની 30મી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, May 25, 2016

ત્રીજા નેત્ર સમી તકનીક

દિવ્યેશ વ્યાસ


મે-2014માં યુરોપની એક મોબાઇલ કંપનીએ 3D પ્રિન્ટ ટેક્નોલોજીથી સજ્જ બ્રેઇલ ફોન લૉન્ચ કર્યો હતો. શું આ ફોન ભારતમાં ઉપલબ્ધ બન્યો છે?


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

શારીરિક રીતે વિકલાંગ લોકો માટે સહાનુભૂતિ હોય છે, પરંતુ તેમને સક્ષમ બનાવવા માટેની સભાનતાનો અભાવ પ્રવર્તતો હોય છે. વિકલાંગ લોકો સુધી તકનીકી વિકાસનાં ફળ પહોંચતાં નથી હોતાં ત્યારે પ્રજ્ઞાાચક્ષુઓ માટે વિકસાવાયેલા થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીથી સજ્જ બ્રેઇલ મોબાઇલે ઘણી મોટી આશા જગાવી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ વિશ્વમાં આશરે ૨૮ કરોડ ૫૦ લાખ લોકો નબળી આંખો ધરાવે છે. આમાંથી ૨૪ કરોડ ૬૦ લાખ લોકો વધુ-ઓછી દૃષ્ટિ ધરાવે છે, પણ ૩ કરોડ ૯૦ લાખ લોકો તો સાવ નેત્રહીન છે. વિશ્વની કુલ વસતીની દૃષ્ટિએ આ આંકડો બહુ મોટો નહીં ગણાય, પરંતુ એક સંખ્યા તરીકે આ આંકડો અનેક નાના દેશોની વસતી કરતાં પણ મોટો છે.
 
આંખ વિના તો સાવ અંધારું. આંખ નથી તો નથી રંગનો કંઈ અર્થ કે નથી આકારનો કોઈ મતલબ. જોકે, આંખ વિના પણ જીવન તો હોય જ છે! જીવન શું શું નથી માગતું? આંખ ન હોવા છતાં જીવનમાં આનંદ વિના ચાલતું નથી, સંબંધો અને સંપર્કો વિના ચાલતું નથી, સુવિધા વિના ચાલતું નથી કે નથી ચાલતું સિદ્ધિઓ હાંસલ કર્યા વિના. અલબત્ત, આંખ ન હોય ત્યારે અવરોધોનો કોઈ પાર હોતો નથી.

આપણા સમાજમાં વિકલાંગ લોકો માટે સૌનાં દિલમાં સહાનુભૂતિ તો ચોક્કસ હોય છે, પરંતુ તેમની જિંદગી કઈ રીતે સુગમ બને, તેઓ કઈ રીતે સશક્ત બની શકે, કઈ રીતે તેઓ પોતાની ખામીને ઈગ્નોર કરીને આગળ વધી શકે, એ અંગેની સભાનતાનો મોટા ભાગે અભાવ પ્રવર્તતો હોય છે. આપણે મકાન-ઇમારત બાંધતી વખતે ભાગ્યે જ ધ્યાન રાખીએ છીએ કે અંધ-અપંગ લોકોને તે અનુકૂળ આવશે કે નહીં. આપણી શાળા-દવાખાનાની રચનામાં પણ પ્રજ્ઞાાચક્ષુ-વિકલાંગ લોકોની સુગમતા માટે ભાગ્યે જ કોઈ વિશેષ સુવિધા ઊભી કરવાની સભાનતા જોવા મળતી હોય છે. જાહેર રસ્તા હોય કે બસસ્ટેન્ડ જેવાં જાહેરસ્થળો પર પણ વિકલાંગોની સુગમતા માટે કોઈ વ્યવસ્થા દેખાતી નથી. આ દુઃખદ બાબત છે. આ એક વર્ગની ચોખ્ખી અવગણના જ ગણાય. શું માનવજાતે સાધેલી પ્રગતિનાં ફળ ખાવા માટે વિકલાંગ લોકો હકદાર નથી? જોકે, છેલ્લા કેટલાક દાયકાઓમાં થોડી ઘણી જાગૃતિ વધી છે, જેનો શ્રેય વિકલાંગ લોકો માટે કાર્યરત સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓને આપવો પડે.

મે-2014માં પ્રક્ષાચક્ષુ લોકો માટે એક શુભ સમાચાર જાણવા મળ્યા હતા. લંડનની ઓન ફોન નામની કંપનીએ પ્રજ્ઞાાચક્ષુઓ માટે વિશ્વનો પ્રથમ થ્રી-ડી પ્રિન્ટ ટેક્નોલોજીથી સજ્જ બ્રેઇલ ફોન માર્કેટમાં મૂક્યો છે. આ મોબાઇલ ફોનથી પ્રજ્ઞાાચક્ષુ બંધુઓ પણ હવે આસાનીથી મોબાઇલ ટેક્નોલોજીનો લાભ ઉઠાવી શકશે અને પોતાના મિત્રો-સંબંધીઓના સંપર્કમાં રહી શકશે. બ્રેઇલ ફોન નામ સાંભળીને જ અંદાજ આવી જાય છે કે તેમાં બ્રેઇલ લિપિનો સમાવેશ થતો હશે. હા, આ ફોનમાં કોનો ફોન આવી રહ્યો છે, તેવી વિગતોથી માંડીને મળેલા એસએમએસને બ્રેઇલ લિપિમાં વાંચી શકાશે. બ્રેઇલ લિપિ એટલે ટપકાં ટપકાંથી રચાતી સંજ્ઞાાઓવાળી લિપિ, જેને સ્પર્શીને પ્રજ્ઞાાચક્ષુ લોકો લખેલું વાંચી શકે છે. વાચકોને હવે એ જાણવામાં રસ પડી શકે કે મોબાઇલમાં બ્રેઇલ સંજ્ઞાાઓ કઈ રીતે ઉપસશે. આ મોબાઇલની ઉપલી અને નીચલી સપાટીને થ્રી-ડી પ્રિન્ટ ટેક્નોલોજીથી સજ્જ બનાવાઈ છે. થ્રી-ડી પ્રિન્ટરની મદદથી જ મોબાઇલ પર બ્રેઇલ લિપિમાં લખાણ ઉપસી આવશે, જેને પ્રજ્ઞાાચક્ષુ મિત્રો આસાનીથી ઉકેલીને સંદેશાની આપ-લે કરી શકશે. બધા પ્રજ્ઞા ચક્ષુ લોકો બ્રેઇલ લિપિ જાણતા હોય, એવું જરૃરી નથી, એ વાસ્તવિકતા જોઈને કંપનીએ થ્રીડી પ્રિન્ટરની મદદથી અક્ષરો (સ્પેલિંગ) ઉપસાવી શકાય, એવો વિકલ્પ પણ તૈયાર રાખ્યો છે. આ ઉપરાંત અગત્યના બે-પાંચ સંપર્ક નંબર પહેલેથી જ ફિટ કરાવી શકાય અને અન્ય સુવિધાઓ પણ એડજસ્ટ કરાવી શકાય, એવી વ્યવસ્થા ગોઠવી છે. નિષ્ણાતો માને છે કે થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીને કારણે આ ફોન સસ્તો બનાવી શકાયો છે. નાનો અને અનેક રંગોમાં ઉપલબ્ધ બ્રેઇન ફોન બ્રિટનમાં ૬૦ પાઉન્ડની કિંમતે (રૂ. ૬૦૦૦) ઉપલબ્ધ છે. આમ, પ્રમાણમાં ગરીબને પણ આ કિંમત પરવડે એવી છે.

માર્કેટમાં વિશ્વનો પ્રથમ બ્રેઇલ ફોન આવી ગયો છે, પરંતુ અહીં ગૌરવ થાય એવી વાસ્તવિકતા એ છે કે બ્રેઇલ ફોનનો કોન્સેપ્ટ એક ભારતીય યુવાને વિકસાવ્યો હતો. અમદાવાદની એનઆઈડીમાં જ ભણેલા સુમિત ડગરની મહેનતના પરિણામે ભારતીય આઈટી કંપની ક્રિયેટે ૨૦૧૩માં બ્રેઇલ ફોનનો નમૂનો રજૂ કરીને અંધજનોને પોતાના સ્માર્ટ ફોનની આશા જગાવી હતી. સુમિતે ઇન્ટયુટિવ હેપ્ટિક ફીડબેક ટેક્નોલોજીની મદદથી બનાવેલા સ્માર્ટ ફોનમાં કી-પેડ બ્રેઇલ લિપિમાં હતું. મળતા ઈ-મેઇલ અને એસએમએસ બ્રેઇલ લિપિમાં કન્વર્ટ થાય, એવી તકનીક વિકસાવાઈ હતી. તેમાં અપાતા કમાંડ અંગેની સૂચના બીપ કે વાઇબ્રેશનથી મળતી હતી, જેથી પ્રજ્ઞાાચક્ષુ આસાનીથી ઓપરેટ કરી શકે.

વિશ્વના કુલ પ્રજ્ઞા ચક્ષુઓમાંના બાવીસ ટકા ભારતમાં વસે છે ત્યારે આશા રાખીએ કે આપણા દેશમાં પણ બ્રેઇલ ફોન ઝડપથી મળવા માંડે. આમીન!


(‘સંદેશ’ની 25 મે, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)