Wednesday, November 30, 2016

નાલંદા ઇતિહાસમાં જ રહેશે?

દિવ્યેશ વ્યાસ

 

 નાલંદા વિદ્યાપીઠ ફરી વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવા સંજોગો દિવસે દિવસે નબળા પડતા જાય છે

(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

ભારતની નવી પેઢી દેશને દુનિયાની મહાસત્તા તરીકે જોવા માગે છે. જોકે, ભારતવર્ષનું સદીઓ જૂનું સપનું દેશને વિશ્વગુરુ તરીકે સ્થાપિત કરવાનું રહ્યું છે. એક જમાનો હતો જ્યારે અખંડ ભારતમાં નાલંદા અને તક્ષશિલા જેવાં વિદ્યાધામો ધમધમતાં હતાં. એક સમયે બનારસ વિદ્યાભ્યાસી યુવકોના મંત્રોચ્ચારથી ગુંજતું રહેતું હતું. જ્ઞાન અને વિદ્યાને સૌથી મૂલ્યવાન અને પવિત્ર ગણતી આપણી સંસ્કૃતિમાં બાહ્ય (વિદેશી-વિધર્મી શાસકો) અને આંતરિક (જાતિ-જ્ઞાતિવાદ વગેરે) પરિબળોના પાપે આપણી શિક્ષણ વ્યવસ્થાનું સતત અધ:પતન થતું ગયું.

આજે તક્ષશિલા વિદ્યાપીઠ પાકિસ્તાનમાં સ્મારક બનીને ધૂળ ખાય છે, બનારસ વિદ્યાધામને બદલે યાત્રાધામમાં ફેરવાઈ ગયું છે, પરંતુ નાલંદાનું નસીબ થોડું વધારે બળૂકું નીકળ્યું. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામને નાલંદાનું નવસર્જન કરવાનું સૂઝ્યું! નાલંદાની જ્ઞાનોજહાલી પાછી લાવવાના પ્રયાસમાં એશિયાના અન્ય દેશોએ પણ રસ દાખવ્યો. વર્ષ 2006માં ભારત ઉપરાંત ચીન, જાપાન, સિંગાપોર, થાઇલેન્ડ સહિત બાર દેશોએ નાલંદાના નવસર્જન માટે એક કરાર કર્યો, એટલું જ નહીં અમુક દેશોએ આર્થિક સહયોગ પણ પૂરો પાડ્યો. ભારત અને બિહાર સરકારની પ્રતિબદ્ધતા અને અમર્ત્ય સેન જેવાના પ્રબુદ્ધ નેતૃત્વને પરિણામે વર્ષ 2014માં આશરે 800 વર્ષ કરતાં લાંબા અંતરાલ પછી નાલંદામાં શિક્ષણ કાર્યનો પુન: પ્રારંભ થયો. એક સપનું સાકાર થતું હોય એવો ભાસ થયો. જોકે, માત્ર બે વર્ષના ગાળામાં રાજકીય-શાસકીય પરિબળોનો એવો ઉપાડો શરૂ થયો છે કે હવે નાલંદા વિદ્યાપીઠ ફરી વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવા સંજોગો દિવસે દિવસે નબળા પડતા જાય છે.

અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકથી સન્માનિત એવા ‘ભારત રત્ન’ અમર્ત્ય સેનને નાલંદા યુનિવર્સિટીના પહેલા કુલપતિ (ચાન્સેલર) બનાવાયા હતા. જોકે, વર્તમાન શાસકો સાથે સૈદ્ધાંતિક મતભેદોને પગલે તેમને આ પદ પર વધુ ટકી રહેવાનું મુનાસિબ ન લાગ્યું, છતાં નાલંદાની ગવર્નિંગ બોડી તથા નાલંદા મેન્ટર ગ્રૂપના સભ્ય તરીકે કાર્યરત હતા. જોકે, કેન્દ્ર સરકારે તાજેતરમાં નાલંદા યુનિવર્સિટીની નવી ગવર્નિંગ બોડીની રચના કરી અને અપેક્ષિત રીતે જ અમર્ત્ય સેનની તેમાંથી બાદબાકી કરી દેવામાં આવી. સરકારના આવા વલણ અને નિર્ણય સામે વિરોધ જતાવીને નાલંદા યુનિવર્સિટીના કુલપતિ જ્યોર્જ યોએ રાજીનામું ધરી દીધું છે. આ ઘટનાક્રમ અફસોસજનક છે. જ્યોર્જ યોએ પોતાની નારાજગી માટેનું સ્પષ્ટ કારણ દર્શાવ્યું છે કે યુનિવર્સિટીની સ્વાયત્તતા જોખમમાં છે અને આવી બાબતો શિક્ષણ સંસ્થાના વિકાસને અવરોધે છે.

આપણે ત્યાં આજકાલ સ્વાયત્તતા જાણે કે સરકાર સામે બળવો કરવાનું લાઇસન્સ હોય, એ દૃષ્ટિએ તેને જોવામાં આવે છે. સંતાન હોય કે સંસ્થા, તેના વ્યક્તિત્વની પૂર્ણ ખીલવણી કે સંપૂર્ણ વિકાસ માટે તેને સ્વતંત્રતા-સ્વાયત્તતા આપ્યા વિના ચાલે નહીં, પણ કમનસીબે અસણસમજુ પિતા કે અસલામત સત્તાધીશને આ વાત ગળે ઉતારવી મુશ્કેલ છે.

નાલંદા મહાવિહારને હજુ ગત જુલાઈ-2016માં જ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. નાલંદાની જ્ઞાનોજહાલી ઇતિહાસવસ્તુ નહિ, પણ વર્તમાન વાસ્તવિકતા બનાવવાનું સપનું સેવાયું હતું, પરંતુ હાલના સંજોગોમાં સવાલ જાગે છે કે નાલંદા શું ઇતિહાસ જ બની રહેશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી નવેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - બિનસંપાદિત)

Wednesday, November 23, 2016

ટુંપાતા શ્વાસ, ધૂંધળી આશ

દિવ્યેશ વ્યાસ


વિશ્વભરમાં વાયુ પ્રદૂષણને કારણે થતાં મોતમાં ભારત ટોચના ક્રમાંકે પહોંચી ચૂક્યું છે. ક્યારે જાગીશું?

(તસવીર ગૂગલ પર શોધીને મેળવી છે)

વિશ્વવિખ્યાત ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હૉકિંગ્સે તાજેતરમાં એક ગંભીર આગાહી કરી છે. સ્ટીફન હૉકિંગ્સનું કહેવું છે કે છેલ્લાં પચાસ વર્ષમાં બ્રહ્માંડની તસવીર ઘણી બધી બદલાઈ ગઈ છે. મને નથી લાગતું કે બીજા રહેવાલાયક ગ્રહને શોધ્યા વિના ધરતી પર હવે એક હજાર વર્ષ કરતાં વધારે સમય જીવિત રહી શકાશે! એટલે કે પૃથ્વીની આપણે એવી હાલત કરી મૂકી છે કે ધરતી પર હવે માનવી માંડ એકાદ હજાર વર્ષ ટકી શકશે. આ સ્થિતિ જોતાં આપણી પાસે બે જ માર્ગ છે - એક, પૃથ્વી-કુદરત-પર્યાવરણની જાળવણી માટે સમયસર સભાન તેમજ સક્રિય બનવું અને કાં પછી માનવી માટે રહેવાલાયક બીજા ગ્રહની શોધ આદરવી. હૉકિંગ્સસાહેબના જણાવ્યા મુજબ મંગળ ગ્રહ પર માનવીને રહેવાલાયક વસાહત ઊભી કરવાનું કામ આગામી 100 વર્ષમાં પણ શક્ય બનવાનું લાગતું નથી એટલે આ મામલે વધારે ગંભીર બનવું જ રહ્યું!

માની લઈએ કે મંગળ ગ્રહ પર આગામી 100-150 વર્ષોમાં માનવવસાહત ઊભી કરી દેવામાં આવે તો પણ મંગળ સુધી પહોંચવાની તાકાત દુનિયામાંથી માંડ 100-150 લોકો જ ધરાવતા હશે! આમ, સો વાતની એક વાત પૃથ્વી, આપણા પર્યાવરણની કાળજી લીધા વિના આપણા અસ્તિત્વની આશા બહુ ધૂંધળી ભાસે છે. ગયા સપ્તાહે ગ્રીનપીસ નામની પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેના આંકડા ભારત માટે આઘાતજનક છે. ગ્રીનપીસના અધ્યયન અનુસાર વર્ષ 2015માં ઝેરી-પ્રદૂષિત હવાને કારણે મરનારાઓમાંથી સૌથી વધારે ભારતીય હતા. વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં રોજના 3283 લોકોનાં મોત થાય છે. વાયુ પ્રદૂષણને કારણે થતાં મોતની બાબતમાં ભારત હવે ટોચના ક્રમાંકે આવી ગયું છે. ભારત પછી ચીનનો ક્રમ આવે છે. ચીનમાં વાયુ પ્રદૂષણને કારણે દરરોજ 3233 લોકો મોતને ભેટે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વાયુ પ્રદૂષણથી મરનારાઓની બાબતમાં ચીન જ નંબર વન રહેતું હતું, પરંતુ વર્ષ 2015માં ભારતમાં મૃત્યુઆંક વધ્યો અને હવે ચીન કરતાં પણ વધારે લોકો આપણે ત્યાં મરવા લાગ્યા છે, એ ખરેખર ચિંતાજનક બાબત છે.

ઓર્ગેનાઇઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના અધ્યયન પ્રમાણે વાયુ પ્રદૂષણને કારણે વિશ્વમાં આશરે 2.6 ટ્રિલિયન ડૉલરનું (આશરે 169 લાખ કરોડ રૂપિયા) નુકસાન થાય છે. આ જ સંસ્થાના અંદાજ પ્રમાણે વાયુ પ્રદૂષણની સ્થિતિ નહીં સુધરે તો 2060 સુધીમાં 60થી 90 લાખ લોકો દર વર્ષે મોતના મુખમાં ધકેલાશે. થોડાં વર્ષો પહેલાં અમદાવાદમાં હોર્ડિંગ્સ લાગ્યાં હતાં - ‘અમદાવાદીઓ મરશો, પ્રદૂષણ મારશે’ એ સાવ સાચું ઠરી રહ્યું છે. આપણી આજુબાજુ વાઇરલ ઇન્ફેક્શનથી માંડીને કેન્સરના જે કોઈ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, તેના મૂળમાં પ્રદૂષણ રહેલું છે, એ શું આપણને નથી સમજાતું?

બળાત્કારના મામલે કુખ્યાત એવું દિલ્હી ગયા વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર જાહેર થયું હતું. દિલ્હી ઉપરાંત આપણાં અન્ય મોટાં શહેરોમાં પણ પ્રદૂષણ, એમાંય વાયુ પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક હદે કફોડી છે. પર્યાવરણ અને પ્રદૂષણના મુદ્દા હજુ પણ પર્યાવરણ સંબંધિત સેમિનારો ઉપરાંત ભાગ્યે જ ક્યાંક ચર્ચાય છે. દિલ્હીમાં તાજેતરમાં વ્યાપેલા વાયુ પ્રદૂષણની તસવીરો-વિડિયો જોઈને પણ હજુ આપણાં સરકારી તંત્રો તો ઠીક પણ કમનસીબે ખુદ આપણી પણ આંખો ઊઘડી નથી. ફાલતુ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી કરીને જડબા દુખાડનારા આપણે સૌએ હવે મૂળભૂત મુદ્દાઓ અને તેના ઉકેલો વિશે વિચારવાનું કષ્ટ ઉઠાવવું જરૂરી બન્યું છે. કાળી હવાઓને હવે કોણ નાથશે, એવા સવાલ કરતાં આપણે હવે ક્યારે જાગીશું, એ સવાલ વધારે રચનાત્મક છે. સાચું ને? તો પૂછો ખુદને!

(‘દિવ્ય ભાસ્કર’ની 23મી નવેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, November 16, 2016

બંદૂકવાલી ચાચી

દિવ્યેશ વ્યાસ


બંદૂક યુદ્ધ અને યાતનાનું જ પ્રતીક છે, પરંતુ એ જ બંદૂક યાતનાના અંત અને શાંતિના આરંભ માટે નિમિત્ત બન્યાનો કિસ્સો જોવા મળ્યો છે!


(તસવીરો મેલઓનલાઇન પરથી લેવામાં આવી છે)


‘મારી બંદૂક હવે મારો બીજો શૌહર છે. આ બંદૂક જ મારો સાથીદાર છે અને મને તેના વિના સહેજ પણ ચાલતું નથી. જ્યાં સુધી આ બંદૂક મારા હાથમાં છે, કોઈ પુરુષ મને તો શું અમારા જિલ્લાની કોઈ સ્ત્રીને હેરાન કરી નહીં શકે. એમને ખબર છે કે સ્ત્રીઓને રંજાડનારને હું ભડાકે દઈ દઉં!’ આ શબ્દો છે, 42 વર્ષનાં શહાના બેગમના. શહાના બેગમે આ વાત મેલઓનલાઇન નામની વિદેશી વેબસાઇટના પત્રકાર ગરેથ ડેવિડ્સ સમક્ષ કરી હતી, જેના આધારે તૈયાર થયેલાે અહેવાલ ચર્ચિત બન્યો હતો. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરનાં શહાના બેગમ તેમના વિસ્તારમાં ‘બંદૂકવાલી ચાચી’ના નામે જાણીતાં છે.

એક મુસ્લિમ પરિવારની મહિલા કઈ રીતે બંદૂકવાલી ચાચી બની, એ કહાણીમાં કરુણતા જરૂર છે, પરંતુ તેના કરતાં પણ ધ્યાનમાં ખેંચે એવી બાબત આ બહેનની ખુમારી અને ખુદ્દારી છે. ચાર સંતાનોનાં માતા એવાં શહાના બેગમના પતિનું મૃત્યુ આજથી 17 વર્ષ પહેલાં થયેલું. કૌટુંબિક ઝઘડામાં સગા ભાઈએ જ તેમના પતિને ગોળી મારેલી. જોકે, ગોળી વાગવાથી તેઓ નહોતા મર્યા, પણ થોડા દિવસ પછી અચાનક તેમને પેટમાં દુખાવો ઉપડેલો અને તેને કારણે તેમનું નિધન થયેલું. પતિના મૃત્યુ વખતે શહાના બેગમનો સૌથી નાનો દીકરો માત્ર ત્રણ દિવસનો હતો! તેમના દુ:ખના દહાડા શરૂ થયેલા. માહોલ એટલો તંગ હતો કે તેઓ એકલાં ઘરની બહાર પગ પણ ન મૂકી શકે, જીવનું જોખમ હતું! ગામમાં તેમને કોઈ મદદ કરવા પણ તૈયાર નહોતું. ન કોઈ ઘરમાં કમાનારું હતું, ન કોઈ પરિવારને સંભાળનારું હતું. સંતાનોની માતાની સાથે સાથે પરિવારના મોભી બન્યા વિના ચાલે એમ નહોતું. આખરે એક દિવસ તેમણે હિંમતે મર્દા તો મદદે ખુદા જેવો અભિગમ અપનાવ્યો. વર્ષ 1999માં સ્વરક્ષા માટે લાઇસન્સ મેળવીને તેઓ બંદૂકધારી બની ગયાં. બંદૂકે શહાના બેગમનું જીવન બદલી નાખ્યું.


બંદૂક આમ તો યુદ્ધ અને યાતના-અત્યાચારનું પ્રતીક ગણાય છે, પરંતુ ક્યારેક બંદૂક યાતનાના અંત અને કોઈના જીવનમાં શાંતિનું નિમિત્ત પણ બની શકે, એ વાત બંદૂકવાલી ચાચી એટલે કે શહાના બેગમના કિસ્સામાં પુરવાર થઈ. બંદૂકનો સાથ શહાના બેગમ માટે નવો નહોતો, કારણ કે તેમના પિતા તથા પતિ પણ બંદૂક રાખતા હતા. જોકે, શહાના બેગમને ક્યારેય બંદૂક ચલાવતાં આવડતું નહોતું. પછી તેઓ જાતે જ બંદૂક ચલાવતાં શીખ્યાં. બંદૂકે તેમને આત્મરક્ષણ પૂરું પાડવાની સાથે સાથે આત્મવિશ્વાસ અને આત્મસન્માન સાથે જીવતાં કર્યાં અને એટલે જ તેઓ આજે બંદૂકને જ પોતાનો બીજો ‘ધણી’ ગણે છે.

બંદૂકની સાથે શહાના બેગમની અને તેમનાં ચાર સંતાનો-બે દીકરીઓ, બે દીકરાઓની જિંદગી તો સુરક્ષિત બની જ, પરંતુ ધીમે ધીમે શહાના બેગમે પોતાની બંદૂકની ધાકનો ઉપયોગ આસપાસના વિસ્તારમાં રહેતી મહિલાઓ-બાળકોની જિંદગીને સુરક્ષિત બનાવવા માટે શરૂ કર્યો. જ્યાં પણ કોઈ સ્ત્રી પર અત્યાચાર થાય ત્યાં પહોંચી જઈને તેમણે પીડિતાને ન્યાય અપાવવાનું શરૂ કર્યું. શહાના બેગમે આજ સુધી કોઈ પર ગોળીબાર કર્યો નથી, છતાં ધીમે ધીમે તેમના જિલ્લામાં તેમની ધાક એટલી વધી ગઈ છે કે બળાત્કાર સહિતના સ્ત્રીઅત્યાચારો માટે કુખ્યાત ઉત્તર પ્રદેશના આ જિલ્લામાં કોઈ મરદનો બચ્ચો હવે કોઈ સ્ત્રી પર કુદૃષ્ટિ કરવાની હિંમત પણ કરતો નથી.

બંદૂકથી સ્ત્રીસશક્તીકરણ કંઈ આદર્શ ગણાય નહીં, છતાં શહાના બેગમનાં સાહસ અને હિંમતને સલામ કરવી જ રહી!

(‘દિવ્ય ભાસ્કર’ની 16 નવેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ. શહાના બેગમ વિશે વધુ જાણવા માટેની લિંક http://www.dailymail.co.uk/news/article-3923518/Shotgun-wedding-rapists-Rifle-wielding-mother-takes-streets-seeking-justice-victims-Indian-s-spiralling-sex-attacks-forcing-marry.html)

Friday, November 11, 2016

વિશ્વશાંતિના 'મનુ'નીય વિચારો

દિવ્યેશ વ્યાસ


મનુભાઈએ અત્યંત આત્મવિશ્વાસપૂર્વક સમજાવેલું છે કે બાળકોના ઉછેર અને કેળવણીમાં વિશેષ કાળજી રાખીને જ વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે શાંતિની સ્થાપના શક્ય બનશે


 (મનુભાઈ પંચોળી ‘દર્શક’ના ચિત્રની છબિ ડૉ. અશ્વિન ચૌહાણે લીધેલી છે.)

 દુનિયાએ પહેલી વખત જોયેલું વિશ્વવ્યાપી અને અત્યંત વિનાશક એવા પ્રથમ વિશ્વયુદ્ધને વર્ષ 2014માં 100 વર્ષ પૂરાં થયેલાં. પહેલું વિશ્વયુદ્ધ 11 નવેમ્બર, 1918ના રોજ પૂર્ણ જાહેર થયેલું. ઇ.સ. 1914થી 1918 સુધી, એમ ચારેક વર્ષ લાંબા ચાલેલા આ યુદ્ધમાં એક અંદાજ પ્રમાણે આશરે 85 લાખથી વધુ સૈનિકો અને 70 લાખ જેટલા સામાન્ય લોકોનાં મોત થયાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધને લીધે વેરાયેલા જાન-માલના વિનાશ પછી દુનિયાને ડહાપણ લાધ્યું હતું કે યુદ્ધ માનવજાત માટે કેટલું ખતરનાક છે. ફરી ક્યારે ય યુદ્ધ ન થાય એ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કરારો કરવામાં આવ્યા હતા અને જર્મની સહિતના દેશો પર અમુક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જોકે, આ શરતો અને સંધિઓએ જ બીજા વિશ્વયુદ્ધનાં બીજ વાવ્યાં હોવાનું કહેવાય છે. દુનિયાએ થોડાં જ વર્ષો પછી બીજા વિશ્વયુદ્ધના સાક્ષી અને પીડિત બનવું પડયું. બીજા વિશ્વયુદ્ધ પછી વચ્ચેના ગાળામાં શીત યુદ્ધ દરમિયાન દુનિયા બે જૂથમાં વહેંચાઈ હતી, પણ સામસામી આવી નહોતી. આમ તો આજ દિન સુધી ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી, પરંતુ દુનિયાભરમાં ઠેકઠેકાણે ચાલતાં નાનાં-મોટાં યુદ્ધ કે સંઘર્ષને કારણે રોજેરોજ અનેક લોકો જાન ગુમાવી રહ્યા છે, એ દુઃખદ સચ્ચાઈ છે. દુનિયાએ વાર્યે નહીં તો હાર્યે એક ને એક દિવસ તો યુદ્ધ અને સંઘર્ષનો માર્ગ છોડીને રચનાનો, સર્જનનો, શાંતિનો માર્ગ શોધવો જ પડશે.

પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દીની સમાંતરે રણજિતરામ સુવર્ણચંદ્રકથી લઈને પદ્મભૂષણ જેવા પુરસ્કારોથી પોંખાનારા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક'ની જન્મ શતાબ્દી પણ 2014માં ઊજવાઈ હતી. 'સોક્રેટિસ' અને 'ઝેર તો પીધાં જાણી જાણી' જેવી મહાન નવલકથા લખનારા મનુભાઈ મૂળે તો ઇતિહાસ અને સંસ્કૃિતના જાણતલ હતા. ગાંધી વિચારોમાં પ્રબળ નિષ્ઠા ધરાવતા મનુભાઈએ શિક્ષણ અને સાહિત્ય થકી સમાજને ઢંઢોળવા અને કેળવવાનું કાર્ય આજીવન કર્યું હતું. પરમ દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિની વર્ષગાંઠ છે ત્યારે દર્શકદાદાના વિશ્વશાંતિ અંગેના વિચારોને વાગોળવાની એક તક ઝડપવા જેવી છે. યુદ્ધના ઉકેલ અને વિશ્વશાંતિ સ્થાપવાનાં સૂચનો રજૂ કરતાં મનુભાઈનાં ચાર વ્યાખ્યાનોને સંપાદિત કરીને મોહન દાંડીકર અને પ્રવીણભાઈ શાહે 'વિશ્વશાંતિની ગુરુકિલ્લી' નામે એક પુસ્તિકા તૈયાર કરેલી છે. આ પુસ્તિકામાં મનુભાઈએ અત્યંત આત્મવિશ્વાસપૂર્વક સમજાવ્યું છે કે બાળકોના ઉછેર અને કેળવણીમાં વિશેષ કાળજી રાખીને જ વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે શાંતિની સ્થાપના શક્ય બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે બાળકનો ઉછેર અને કેળવણી એ રીતે થવાં જોઈએ કે તેના મનમાં અજંપો કે અપરાધનાં નહીં પણ સંવેદના અને સર્જનનાં બીજ રોપાય. એક પ્રવચનમાં દર્શકદાદાએ કહ્યું છે, "બાળકને સ્વાનુભવની બારાક્ષરી પર અનંતનો પરિચય થાય છે. અનુભવે એને ભાન થશે કે જગતમાં સજીવ-નિર્જીવ બે વસ્તુ છે. ઝાડને પાણી પાવું પડે છે. દેડકા, કીડીને પણ સુખ-દુઃખનો અનુભવ થાય છે. હું અને આ કૂતરું બંને સગાં છીએ. બંનેનાં સુખદુઃખ સમાન છે. આવી સંવેદના બાળકમાં જાગશે તો જગતમાં શાંતિ થશે. આપણે શાંતિ સ્થાપવા માટે અનેક પ્રયત્નો કરીએ છીએ, આંદોલનો ચલાવીએ છીએ, પણ છતાં ય શાંતિ સ્થપાતી નથી, કારણ કે બાળપણમાં માણસના ચિત્તમાં આ સમભાવના, સંવેદનાને પ્રગટ થવાની તક મળી નથી, ક્રમિકતાનો અનુભવ નથી મળ્યો, ચિત્તમાં પરભાવના ઉછરતી રહી છે. પછી મોટી ઉંમરે ઘણી ય મથામણ કરો, ભાગવત-ગીતાની પારાયણો કરો, પણ ખેતરના દાણા ચરી ગયા પછી ખેડૂત ઘણા ય હોંકારા-પડકારા કરે તેવી આ વાત છે."

બાળકોમાં આક્રમકતાને ઉત્તેજન નહીં આપવાની અપીલ કરતાં મનુભાઈએ કહ્યું હતું, "માસ્તર બાળકની હથેળીમાં આંકણી મારે છે ત્યારે વિદ્રોહનાં બીજ ચિત્તમાં વવાઈ જાય છે. બેઝિક રૂટ્સ ઓફ એગ્રેસન બાળચિત્તમાં વાવીએ અને પછી શાંતિ માટે રાત'દી દોડા કરીએ તો કેમ ચાલે? જે ચિત્તમાં વિરોધોનાં, વિદ્રોહનાં જાળાં નથી, તે લડવા માટે ઉત્સુક નહીં થાય. એટલે શાંતિનું સાચું ક્ષેત્ર બાળપણ છે. તમે (શિક્ષકો) સાચા શાંતિસૈનિક છો."

મનુભાઈ માને છે, "અવકાશયાનો, ઉપગ્રહો, આઈસીબીએમ એ બધાએ શિવનું ક્ષેત્ર નથી વધાર્યું. શક્તિનું વધાર્યું છે ... શક્તિ વધી તેના પ્રમાણમાં શિવત્વ વધ્યું નથી. આથી મેં કહ્યું કે મોટી શોધ અણુ કે પરમાણુ શક્તિને હું નથી ગણતો. છેલ્લાં પચાસ વર્ષમાં થયેલી મોટામાં મોટી શોધ હું બાલશિક્ષણશાસ્ત્રની ગણું છું. મારી અફર શ્રદ્ધા છે કે જો માનવજાતને મુક્તિનો અનુભવ લેવો હશે, તો તેણે બાલશિક્ષણની આ શોધ પાસે આવવું પડશે. ત્યારે જ શાંતિનું ક્ષેત્ર વિસ્તરશે, ત્યારે જ મુક્તિનું સાચું પ્રભાત ઊઘડશે."

"યુદ્ધ પહેલાં માણસોના હૃદયમાં શરૂ થાય છે ને ત્યાં જ તેને ડામવું જોઈએ. વ્યક્તિઓના હૃદયમાં જ પરિવર્તન કરવાની રીત માનવજાત જમાનાઓથી શોધતી આવી છે, કારણ કે વ્યક્તિ પોતે આક્રમણ ન કરે, કે આક્રમક ન હોય તો તોપો જાતે કાંઈ ફૂટવા માંડતી નથી." મનુભાઈનો કહેવાનો સાર એટલો જ હતો કે બાળકનો ઉછેર અને કેળવણી એ રીતે થવાં જોઈએ કે તેના મનમાં અજંપો, અપરાધનાં કે આક્રમકતાનાં નહીં પણ સંવેદના અને સર્જનનાં બીજ રોપાય તો અને ત્યારે જ વિશ્વશાંતિનું સપનું સાકાર થશે.

(‘સંદેશ’ની 9મી નવેમ્બર, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, થોડા સુધારા સાથે)

Wednesday, November 9, 2016

ટાર્ગેટ તણાવમુક્તિ

દિવ્યેશ વ્યાસ


આધુનિક સમયનો સૌથી મોટો અભિશાપ છે તણાવ. નવા વર્ષે તણાવમુક્તિ માટે સંકલ્પ અને સાધના જરૂરી છે



(આ તસવીર બિગસ્ટોક (Bigstock)ની છે.)

માનવજાતે વિકાસના નામે જે વાટ પકડી છે, તેણે કહેવાતી આધુનિકતા જરૂર બક્ષી છે, પરંતુ સાથે સાથે આપણા જીવનમાં અવલંબન અને આત્યંતિકતા વધારી દીધાં છે. આધુનિક જીવનશૈલીમાં વહેલા જાગવા માટે સ્માર્ટફોનમાં મૂકેલા એલાર્મથી માંડીને આધ્યાત્મિકતા માટેની એપ, એમ લગભગ દરેક બાબત માટે આપણે અન્ય પર અવલંબિત રહેવા માંડ્યા છીએ. ‘અતિ સદા વર્જયતે’, અતિની કોઈ ગતિ નહીં, જેવી શાણી પંક્તિઓ આપણે વિસરી ગયા છીએ અને અન્યથી આગળ નીકળી જવાની લાયમાં આપણે દરેક બાબતે આત્યંતિકતા તરફ ધસી રહ્યા છીએ. આ અવલંબન અને આત્યંતિકતાભરી આધુનિક જીવનશૈલીના પરિણામે માનસિક તણાવ (સ્ટ્રેસ) આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. તણાવ આધુનિક સમયનો સૌથી મોટો અભિશાપ બની ગયો છે. વૈશ્વિક સ્તરે જેમ ત્રાસવાદ સૌને પજવે છે, એ જ રીતે વ્યક્તિગત સ્તરે તણાવ ખતરનાક પુરવાર થઈ રહ્યો છે.

તણાવને કારણે આજનો માનવી શારીરિક તથા માનસિક બીમારીઓનો ભોગ બની રહ્યો છે. આજે નાની વયના યુવાનોમાં મોટી વયે કે વૃદ્ધાવસ્થામાં થતી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. તણાવ લોકોની જિંદગીમાંથી સુખ-ચેન છીનવી રહ્યો છે. આજે સુખ-સુવિધા-સગવડો વધી છે, પરંતુ તેને ભોગવવા, તેને માણવા માટેના સમય અને શાંતિનો અભાવ પ્રવર્તે છે. કોઈ પણ ભોગે સફળ થવાની આંધળી દોડમાં આપણે ઘણું બધું કમાઈએ છીએ, લખલૂંટ સંપત્તિ અર્જિત કરીએ છીએ, પણ જીવનનો આનંદ લગભગ ગુમાવી દેતા હોઈએ છીએ. નવું વિક્રમ સંવત શરૂ થયું છે ત્યારે આપણે જીવનને સારી રીતે માણવા માટે તણાવમુક્ત થવા માટે સંકલ્પ અને સાધના કરવા જરૂરી છે. તણાવમુક્તિ માટે જીવન અને કાર્ય પ્રત્યેના અભિગમમાં ધરમૂળથી બદલાવ જરૂરી છે, સાથે સાથે સ્વભાવમાં પણ સકારાત્મક રીતે સુધારા કરવા આવશ્યક
બને છે.

ગયા સપ્તાહમાં 2 નવેમ્બરના રોજ ઇંગ્લેન્ડમાં રાષ્ટ્રીય તણાવ જાગૃતિ દિવસ (નેશનલ સ્ટ્રેસ અવેરનેસ ડે) ઊજવાઈ ગયો. આ નિમિત્તે વનપોલ (OnePoll) દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 2000 બ્રિટિશર્સની મુલાકાતના આધારે નિષ્કર્ષ તારવવામાં આવ્યા છે. આ સર્વે અનુસાર એક વ્યક્તિ પોતાની જિંદગીમાં આશરે સાડા પાંચ વર્ષ તણાવને કારણે બરબાદ કરી નાખે છે. દરેક વ્યક્તિ દરરોજ સરેરાશ બે કલાક અને 11 મિનિટ્સ તણાવમાં પસાર કરતી હોય છે. આ હિસાબે દરેક માણસ દર અઠવાડિયે 15 કલાક અને વર્ષે 33 દિવસ સ્ટ્રેસનો ભોગ બનતો હોય છે. આ સર્વેક્ષણના એક તારણ મુજબ વ્યક્તિ 36 વર્ષની વયે સૌથી વધારે સ્ટ્રેસ ભોગવતી હોય છે. આ સર્વેક્ષણ આમ તો બ્રિટનમાં થયેલું છે, પરંતુ આપણે ત્યાં, એમાંય ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મોટા ભાગે બ્રિટન જેવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. નોકરી-વ્યવસાયના સ્ટ્રેસ ઉપરાંત આર્થિક અસુરક્ષાની ભાવના બળતામાં ઘી હોમવાનું કામ કરતી હોય છે. વિભક્ત પરિવારના વધતાં ચલણને કારણે સામાજિક-પારિવારિક તણાવમાં પણ વધારો થયો છે. આજના સ્પર્ધાના જમાનામાં તો બાળકો અને વિદ્યાર્થીઓ પણ સ્ટ્રેસથી બચી શકતાં નથી. સ્ટ્રેસને કારણે ઘણા યુવાનો વ્યસનના રવાડે ચડી જતા હોય છે અને તેની અનેક આડઅસરોનો ભોગ બનતા હોય છે. આપણી ટ્રાફિકથી માંડીને અન્ય અવ્યવસ્થાઓને કારણે પણ આપણું રોજિંદું જીવન વધારે તણાવપૂર્ણ બની રહ્યું છે.

તણાવથી બચવું મુશ્કેલ છે, પણ અશક્ય નથી. વ્યક્તિ ધારે તો પોતાની રોજિંદી જિંદગીમાં તણાવને નાબૂદ ન કરી શકે તો પણ ન્યૂનતમ (ઓછામાં ઓછો) તો કરી જ શકે છે. જીવનમાં પેદા થતા બિનજરૂરી તણાવ અંગે જાગૃતિ કેળવીને તેને દૂર કરવા મથવું જોઈએ. મોટા ભાગે તો આપણા ટાઇમ મેનેજમેન્ટના અભાવને કારણે પણ બિનજરૂરી તણાવ પેદા થતો હોય છે. વ્યક્તિ ધારે તો નિયમિતતા કેળવી, માનસિકતાને સકારાત્મક બનાવી, સ્વભાવમાં સુધારા કરીને ઘણા તણાવને ટાળી શકે એમ છે. નવા વર્ષે તણાવ અંગે સભાન થવાની સાથે સાથે તણાવમુક્તિ જીવન માટે સંકલ્પબદ્ધ થવાની અને તેના માટે સાધના કરવાની જરૂર છે. તમે નક્કી કરી લો, તણાવયુક્ત જીવન ઇચ્છો છો કે તરોતાજા જિંદગી?