Showing posts with label વિશ્વયુદ્ધ. Show all posts
Showing posts with label વિશ્વયુદ્ધ. Show all posts

Wednesday, February 28, 2018

યુદ્ધ પહેલાંની શાંતિ?

દિવ્યેશ વ્યાસ


આક્રમક નેતાઓની બોલબાલા જોતાં કહેવાતો ‘દીર્ઘ શાંતિકાળ’ હજુ કેટલો ટકશે, એ મોટો સવાલ છે


(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધી છે.)

યુદ્ધમાં વિજય કે પરાજય મળે, એ તો એક મોટો ભ્રમ છે. યુદ્ધ એટલે યાતના. વિજેતા હોય કે પરાજિત, યુદ્ધ કરનાર તમામને યાતના ભોગવવી જ પડે છે. વિજેતા કદાચ જીત્યાનું અભિમાન દાખવી શકે, છતાં યાતનાથી બચી શકતો નથી. યુદ્ધની પીડા રણમેદાનમાં લડનારા સૈનિક સુધી સીમિત ન રહેતાં તેના પરિવાર અને સમાજ સુધી વિસ્તરતી હોય છે. યુદ્ધની કથા ભલે રમ્ય રીતે રજૂ કરાતી આવી હોય, બાકી વાસ્તવિકતા રમ્ય નહીં, રક્તરંજિત હોય છે. કોઈ પણ યુદ્ધનો અંત લોહી અને આંસુ જ હોય છે. ડાહ્યા લોકો યુદ્ધને ‘છેલ્લો ઉપાય’ તરીકે પસંદ કરતા હોય છે. અલબત્ત, ઇતિહાસના અનુભવો જોતાં કહી શકાય કે યુદ્ધથી કદાચ ઉકળાટની અભિવ્યક્તિ શક્ય બને પણ ઉકેલ ભાગ્યે જ મળતો હોય છે.

આપણે છેલ્લાં 70 વર્ષથી પ્રમાણમાં શાંતિપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં નાનાં-મોટાં યુદ્ધો જરૂર થયાં છે, છતાં મહાયુદ્ધો ટાળી શકાયાં છે. દુનિયા અને યુદ્ધો અંગે કોલોરાડો યુનિવર્સિટીના કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ ડૉ. એરોન ક્લોસેટ દ્વારા એક આંકડાકીય અભ્યાસ કરવામાં આવ્યો છે. ડૉ. એરોને ‘ધ કૉરલેટ ઑફ વૉર પ્રોજેક્ટ’ના અધિકૃત ગણાતા આંકડાના આધારે ઈ.સ. 1823થી 2003 દરમિયાન દુનિયામાં થયેલાં યુદ્ધોનું વિશ્લેષણ કરીને કેટલાંક રસપ્રદ તારણો કાઢ્યાં છે. 1823થી 2003નાં વર્ષોમાં દુનિયાએ કુલ 95 યુદ્ધો જોયાં છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધનો ઈ.સ. 1914થી 1945નો સમયગાળો માનવ ઇતિહાસનો સૌથી વધારે રક્તરંજિત સમયગાળો છે.

ડૉ. એરોને આ સમગ્ર સમયખંડને ત્રણ ભાગમાં વહેંચી દીધો છે. 1823થી 1914ના ગાળામાં ઘણાં મોટાં યુદ્ધો થયાં હતાં. આ ગાળામાં કુલ 19 મોટાં યુદ્ધો થયેલાં. આમ, દર 6.2 વર્ષે એક મોટું યુદ્ધ દુનિયાએ જોયું હતું. તે પછીનો 1914થી 1945ના તબક્કામાં દુનિયાએ ઉપરાઉપરી બે મહાયુદ્ધો જોયાં અને લાખો લોકોનાં લોહી વહ્યાં હતાં. દર 2.7 વર્ષે કોઈ ને કોઈ યુદ્ધ ફાટી નીકળ્યું હતું.

ઈ.સ. 1945થી આજ દિન સુધી 70 વર્ષમાં મોટાં કહી શકાય એવાં 10 યુદ્ધો જ થયાં છે. આમ, બીજા વિશ્વયુદ્ધ પછી દર 12.8 વર્ષે એક યુદ્ધ થયું છે. આમ, આ ગાળામાં યુદ્ધોની સંખ્યા અને યુદ્ધમાં મરનારાઓની સંખ્યાની સરખામણીએ ખાસ્સો ઘટાડો થયો હોવાથી આ સમયગાળાને ‘દીર્ઘ શાંતિકાળ’ ગણવામાં આવે છે. આ શાંતિકાળ લાંબો ચાલવા પાછળનાં પરિબળોની ચર્ચા નિષ્ણાતો વચ્ચે થતી રહે છે. દુનિયામાં વિસ્તરેલી અને વિકસતી લોકશાહી, વૈશ્વિકીકરણના સમયમાં બે દેશો વચ્ચે વધતું આર્થિક પરસ્પરાવલંબન તથા પરમાણુ યુદ્ધથી સાર્વત્રિક વિનાશનો ડર, આ ત્રણ કારણો બે કે તેથી વધુ દેશો વચ્ચેના યુદ્ધને અટકાવવા મજબૂર કરતાં હોવાનું મનાય છે.

ડૉ. એરોનનું એક તારણ છે કે બીજા વિશ્વયુદ્ધ જેવું વિનાશક મહાયુદ્ધ દર 205 વર્ષે થતું હોય છે. એ દૃષ્ટિએ આપણે આશ્વાસન લઈ શકીએ કે હવે પછીનું મહાયુદ્ધ 135 વર્ષે થશે. જોકે, વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ-સંજોગો જોતાં આ અંદાજ ગળે ઊતરે એમ નથી. ખુદ ડૉ. એરોન પણ સ્વીકારે છે કે આ માત્ર આંકડાકીય તારણ છે, એટલે કોઈ ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. દુનિયામાં અત્યારે જે પ્રકારનું નેતૃત્વ વિકસી રહ્યું છે. પુતિનનો ભાઈ ઘંટી ટ્રમ્પ સત્તામાં આવી રહ્યો છે, તે જોતાં યુદ્ધની આશંકા તીવ્ર બનતી જાય છે.

તાજેતરમાં સીરિયાના ઘોઉટા નગર પર સીરિયા અને રશિયાના લશ્કરે કરેલા હુમલામાં પાંચ દિવસમાં કુલ 462 લોકોનાં મોત થયાં અને એમાં 99 તો બાળકો હતાં, એ હકીકત જાણીને સમગ્ર વિશ્વમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ગમે તે માનો, લોકો વધારે સંવેદનશીલ બન્યા છે અને એટલે જ લોકશાહી ધરાવતા દેશો માટે યુદ્ધે ચડવું એટલું આસાન નથી. તમને લોકશાહી પસંદ છે કે લોહિયાળ યુદ્ધો?

(‘દિવ્ય ભાસ્કર’ની 28મી ફેબ્રુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Friday, November 11, 2016

વિશ્વશાંતિના 'મનુ'નીય વિચારો

દિવ્યેશ વ્યાસ


મનુભાઈએ અત્યંત આત્મવિશ્વાસપૂર્વક સમજાવેલું છે કે બાળકોના ઉછેર અને કેળવણીમાં વિશેષ કાળજી રાખીને જ વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે શાંતિની સ્થાપના શક્ય બનશે


 (મનુભાઈ પંચોળી ‘દર્શક’ના ચિત્રની છબિ ડૉ. અશ્વિન ચૌહાણે લીધેલી છે.)

 દુનિયાએ પહેલી વખત જોયેલું વિશ્વવ્યાપી અને અત્યંત વિનાશક એવા પ્રથમ વિશ્વયુદ્ધને વર્ષ 2014માં 100 વર્ષ પૂરાં થયેલાં. પહેલું વિશ્વયુદ્ધ 11 નવેમ્બર, 1918ના રોજ પૂર્ણ જાહેર થયેલું. ઇ.સ. 1914થી 1918 સુધી, એમ ચારેક વર્ષ લાંબા ચાલેલા આ યુદ્ધમાં એક અંદાજ પ્રમાણે આશરે 85 લાખથી વધુ સૈનિકો અને 70 લાખ જેટલા સામાન્ય લોકોનાં મોત થયાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધને લીધે વેરાયેલા જાન-માલના વિનાશ પછી દુનિયાને ડહાપણ લાધ્યું હતું કે યુદ્ધ માનવજાત માટે કેટલું ખતરનાક છે. ફરી ક્યારે ય યુદ્ધ ન થાય એ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કરારો કરવામાં આવ્યા હતા અને જર્મની સહિતના દેશો પર અમુક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જોકે, આ શરતો અને સંધિઓએ જ બીજા વિશ્વયુદ્ધનાં બીજ વાવ્યાં હોવાનું કહેવાય છે. દુનિયાએ થોડાં જ વર્ષો પછી બીજા વિશ્વયુદ્ધના સાક્ષી અને પીડિત બનવું પડયું. બીજા વિશ્વયુદ્ધ પછી વચ્ચેના ગાળામાં શીત યુદ્ધ દરમિયાન દુનિયા બે જૂથમાં વહેંચાઈ હતી, પણ સામસામી આવી નહોતી. આમ તો આજ દિન સુધી ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી, પરંતુ દુનિયાભરમાં ઠેકઠેકાણે ચાલતાં નાનાં-મોટાં યુદ્ધ કે સંઘર્ષને કારણે રોજેરોજ અનેક લોકો જાન ગુમાવી રહ્યા છે, એ દુઃખદ સચ્ચાઈ છે. દુનિયાએ વાર્યે નહીં તો હાર્યે એક ને એક દિવસ તો યુદ્ધ અને સંઘર્ષનો માર્ગ છોડીને રચનાનો, સર્જનનો, શાંતિનો માર્ગ શોધવો જ પડશે.

પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દીની સમાંતરે રણજિતરામ સુવર્ણચંદ્રકથી લઈને પદ્મભૂષણ જેવા પુરસ્કારોથી પોંખાનારા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક'ની જન્મ શતાબ્દી પણ 2014માં ઊજવાઈ હતી. 'સોક્રેટિસ' અને 'ઝેર તો પીધાં જાણી જાણી' જેવી મહાન નવલકથા લખનારા મનુભાઈ મૂળે તો ઇતિહાસ અને સંસ્કૃિતના જાણતલ હતા. ગાંધી વિચારોમાં પ્રબળ નિષ્ઠા ધરાવતા મનુભાઈએ શિક્ષણ અને સાહિત્ય થકી સમાજને ઢંઢોળવા અને કેળવવાનું કાર્ય આજીવન કર્યું હતું. પરમ દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિની વર્ષગાંઠ છે ત્યારે દર્શકદાદાના વિશ્વશાંતિ અંગેના વિચારોને વાગોળવાની એક તક ઝડપવા જેવી છે. યુદ્ધના ઉકેલ અને વિશ્વશાંતિ સ્થાપવાનાં સૂચનો રજૂ કરતાં મનુભાઈનાં ચાર વ્યાખ્યાનોને સંપાદિત કરીને મોહન દાંડીકર અને પ્રવીણભાઈ શાહે 'વિશ્વશાંતિની ગુરુકિલ્લી' નામે એક પુસ્તિકા તૈયાર કરેલી છે. આ પુસ્તિકામાં મનુભાઈએ અત્યંત આત્મવિશ્વાસપૂર્વક સમજાવ્યું છે કે બાળકોના ઉછેર અને કેળવણીમાં વિશેષ કાળજી રાખીને જ વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે શાંતિની સ્થાપના શક્ય બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે બાળકનો ઉછેર અને કેળવણી એ રીતે થવાં જોઈએ કે તેના મનમાં અજંપો કે અપરાધનાં નહીં પણ સંવેદના અને સર્જનનાં બીજ રોપાય. એક પ્રવચનમાં દર્શકદાદાએ કહ્યું છે, "બાળકને સ્વાનુભવની બારાક્ષરી પર અનંતનો પરિચય થાય છે. અનુભવે એને ભાન થશે કે જગતમાં સજીવ-નિર્જીવ બે વસ્તુ છે. ઝાડને પાણી પાવું પડે છે. દેડકા, કીડીને પણ સુખ-દુઃખનો અનુભવ થાય છે. હું અને આ કૂતરું બંને સગાં છીએ. બંનેનાં સુખદુઃખ સમાન છે. આવી સંવેદના બાળકમાં જાગશે તો જગતમાં શાંતિ થશે. આપણે શાંતિ સ્થાપવા માટે અનેક પ્રયત્નો કરીએ છીએ, આંદોલનો ચલાવીએ છીએ, પણ છતાં ય શાંતિ સ્થપાતી નથી, કારણ કે બાળપણમાં માણસના ચિત્તમાં આ સમભાવના, સંવેદનાને પ્રગટ થવાની તક મળી નથી, ક્રમિકતાનો અનુભવ નથી મળ્યો, ચિત્તમાં પરભાવના ઉછરતી રહી છે. પછી મોટી ઉંમરે ઘણી ય મથામણ કરો, ભાગવત-ગીતાની પારાયણો કરો, પણ ખેતરના દાણા ચરી ગયા પછી ખેડૂત ઘણા ય હોંકારા-પડકારા કરે તેવી આ વાત છે."

બાળકોમાં આક્રમકતાને ઉત્તેજન નહીં આપવાની અપીલ કરતાં મનુભાઈએ કહ્યું હતું, "માસ્તર બાળકની હથેળીમાં આંકણી મારે છે ત્યારે વિદ્રોહનાં બીજ ચિત્તમાં વવાઈ જાય છે. બેઝિક રૂટ્સ ઓફ એગ્રેસન બાળચિત્તમાં વાવીએ અને પછી શાંતિ માટે રાત'દી દોડા કરીએ તો કેમ ચાલે? જે ચિત્તમાં વિરોધોનાં, વિદ્રોહનાં જાળાં નથી, તે લડવા માટે ઉત્સુક નહીં થાય. એટલે શાંતિનું સાચું ક્ષેત્ર બાળપણ છે. તમે (શિક્ષકો) સાચા શાંતિસૈનિક છો."

મનુભાઈ માને છે, "અવકાશયાનો, ઉપગ્રહો, આઈસીબીએમ એ બધાએ શિવનું ક્ષેત્ર નથી વધાર્યું. શક્તિનું વધાર્યું છે ... શક્તિ વધી તેના પ્રમાણમાં શિવત્વ વધ્યું નથી. આથી મેં કહ્યું કે મોટી શોધ અણુ કે પરમાણુ શક્તિને હું નથી ગણતો. છેલ્લાં પચાસ વર્ષમાં થયેલી મોટામાં મોટી શોધ હું બાલશિક્ષણશાસ્ત્રની ગણું છું. મારી અફર શ્રદ્ધા છે કે જો માનવજાતને મુક્તિનો અનુભવ લેવો હશે, તો તેણે બાલશિક્ષણની આ શોધ પાસે આવવું પડશે. ત્યારે જ શાંતિનું ક્ષેત્ર વિસ્તરશે, ત્યારે જ મુક્તિનું સાચું પ્રભાત ઊઘડશે."

"યુદ્ધ પહેલાં માણસોના હૃદયમાં શરૂ થાય છે ને ત્યાં જ તેને ડામવું જોઈએ. વ્યક્તિઓના હૃદયમાં જ પરિવર્તન કરવાની રીત માનવજાત જમાનાઓથી શોધતી આવી છે, કારણ કે વ્યક્તિ પોતે આક્રમણ ન કરે, કે આક્રમક ન હોય તો તોપો જાતે કાંઈ ફૂટવા માંડતી નથી." મનુભાઈનો કહેવાનો સાર એટલો જ હતો કે બાળકનો ઉછેર અને કેળવણી એ રીતે થવાં જોઈએ કે તેના મનમાં અજંપો, અપરાધનાં કે આક્રમકતાનાં નહીં પણ સંવેદના અને સર્જનનાં બીજ રોપાય તો અને ત્યારે જ વિશ્વશાંતિનું સપનું સાકાર થશે.

(‘સંદેશ’ની 9મી નવેમ્બર, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, થોડા સુધારા સાથે)