Wednesday, February 22, 2017

લોકહૃદયના બેતાજ બાદશાહ ઇન્દુલાલ યાજ્ઞિક

દિવ્યેશ વ્યાસ

ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે.


(ઇન્દુચાચાની આ તસવીર વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝા દ્વારા સંપાદિત પુસ્તક ‘ગુજરતાની અસ્મિતાના સ્વપ્નદૃષ્ટા ઇન્દુલાલ યાજ્ઞિક’ના આવરણ પરથી કાપીને લીધી છે.)

આંદોલનપુરુષ, ઇન્દુલાલ યાજ્ઞિક માટે વપરાયેલું વિશેષણ તેમના વ્યક્તિત્વને સૌથી વધારે બંધબેસતું છે. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આંદોલન-ધરણાંવાળા વગેરે શાસનવાળાનો જંગ જામ્યો હતો ત્યારે ઇન્દુચાચાનું સ્મરણ તીવ્ર બન્યું હતું, જેમણે આજીવન આંદોલન કર્યાં, કામદારો અને કિસાનો માટે અહિંસક લડતો લડયા, સ્થાપિત હિતો સામે જરૂર પડયે 'મુક્કો' બતાવ્યો અને સાથે સાથે ચૂંટણી જંગ પણ જીતી બતાવ્યા હતા. જો કે, ફકીરી પ્રકૃતિના ફાંકડા રાજનેતાને ક્યારે ય કોઈ પદ આર્કિષત કરી શક્યું નહોતું. મહાગુજરાત આંદોલનના અગ્રણી તરીકે તેમણે ધાર્યું હોત તો ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચતાં તેમને કદાચ કોઈ રોકી શક્યું ન હોત, પણ તેમને કોઈ પદમાં નહીં, માત્ર પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે. આજે ૨૨મી ફેબ્રુઆરીના રોજ ઇન્દુચાચાનો જન્મ દિવસ છે ત્યારે તેમની વંદના કરવાનું કેમ ચુકાય?

તસવીર : સૃષ્ટિ શુકલ
આજે (22 ફેબ્રુઆરી, 2015ના રોજ) અમદાવાદમાં સાબરમતીથી કલોલ જતા હાઇવે અને મોટેરા સ્ટેડિયમ જતા રસ્તાના ક્રોસિંગ પર ઇન્દુચાચાની નવ ફૂટની કાંસ્ય પ્રતિમા સાથેના સ્મારકના લોકાર્પણનો કાર્યક્રમ યોજાવાનો છે. ઇન્દુચાચાને મોટા ભાગના લોકો મહાગુજરાત આંદોલનના નાયક તરીકે ઓળખે છે, આ ઓળખાણ સાચી છે, પણ આખી નથી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં તેમનો ફાળો અનન્ય હતો એ કબૂલ, પરંતુ એ તો એમના જીવનકાર્યનો એક યશસ્વી અધ્યાય માત્ર હતો. આઝાદી આંદોલનમાં તેમનું યોગદાન નાનુસૂનું નહોતું. દેશને આઝાદી મળ્યા પછી સ્વરાજનું અમૃત ગરીબ-વંચિત-પછાત વર્ગના લોકો સુધી પહોંચાડવામાં તેમણે લીધેલી જહેમત યાદગાર છે. આઝાદ ભારતમાં ખેડૂતો અને આદિવાસીઓના કલ્યાણ માટે તેમણે સ્થાપિત હિતો સામે શિંગડાં ભરાવ્યાં હતાં. ગુજરાતના જ નહિ સમગ્ર દેશના ઇતિહાસમાં ઇન્દુચાચા એવું નામ છે, જેમને યાદ કર્યા વિના ચાલે જ નહીં, છતાં ઇન્દુચાચાની દેશમાં તો જવા દો ગુજરાતમાં પણ જોઈએ એવી કદર થઈ નથી, એ પીડાદાયક વાસ્તવિકતા છે.

આઝાદી આંદોલન વખતે ગાંધીજી સાથે ઇન્દુચાચાને આત્મીય સંબંધો હતા. સૌ જાણે છે કે ગાંધીજીનું 'નવજીવન' સાપ્તાહિક મૂળે તો ઇન્દુલાલ યાજ્ઞિકનું 'નવજીવન અને સત્ય' નામનું માસિક હતું, પણ ગાંધીજીની આત્મકથા જેટલું જ મહાન અને મહત્ત્વપૂર્ણ પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ'ના ગણેશજી એટલે કે લહિયા ઇન્દુચાચા હતા, એ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. ગાંધીજી અને ઇન્દુચાચા યરવડા જેલમાં અમુક મહિનાઓ સુધી સાથે હતા ત્યારે ઇન્દુચાચાએ જ ગાંધીજીએ અધૂરા લખેલા આ પુસ્તકને પૂરું કરવાનો આગ્રહ કર્યો હતો અને ગાંધીજી બોલે એને લખી લેવાની જવાબદારી તેમણે સામેથી જ ઉપાડી લીધી હતી. દેશના વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓનો બહિષ્કાર કરવાનું આહ્વાન આપવાના કાર્યક્રમની ચર્ચા ચાલતી હતી ત્યારે ઇન્દુચાચા જ હતા, જેમણે વિદ્યાર્થી સમક્ષ કોઈ વિકલ્પ આપવાની, શૈક્ષણિક કાર્યક્રમ મૂકવાનો આગ્રહ સેવ્યો હતો અને તેને પરિણામે જ રાષ્ટ્રીય શાળા સ્થાપવાનો વિચાર વિકસ્યો હતો. એ જ રીતે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં પણ તેમનું પાયાનું યોગદાન હતું. 'જનતા કરફ્યૂ' જેવું અહિંસક સાધન તેમની જ દેન છે.

ગાંધીજી પ્રત્યે ભારોભાર સન્માન હોવા છતાં ઇન્દુચાચા દેશના પહેલા એવા રાજનેતા છે, જેમણે ગેર-કોંગ્રેસવાદની હાકલ કરી હતી અને એ પણ ગાંધી અને સરદારની કોંગ્રેસ સામે ! ઇન્દુચાચા એક માત્ર એવા અપક્ષ ઉમેદવાર છે, જેમણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતી છે. ઇન્દુચાચાનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે તેઓ કોઈ પક્ષ, સંસ્થા કે સંગઠનમાં સમાઈ ન શકે.

ગાંધીજીની ઇચ્છા છતાં તેઓ કોંગ્રેસનું વિસર્જન કરાવી શક્યા નહોતા, જ્યારે અહિંસક લોકલડતથી અલગ ગુજરાત રાજ્ય હાંસલ કર્યા પછી તેમણે વિજયના દિવસે જ મળેલી વિરાટ સભામાં જાહેર કર્યું હતું, આપણામાંથી કોઈએ પ્રધાન બનવાનું નથી. આપણું ધ્યેય પ્રધાનપદ નહિ પણ મહાગુજરાત હતું, તે મળી ગયું છે અને મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે ... તેઓ પદલાલચુ નેતા નહીં પ્રજાના નેતા પુરવાર થયા હતા.

વિટાર વ્યક્તિત્વના સ્વામી ઇન્દુચાચાને જાણવા હોય તો તેમની છ ખંડોમાં વિસ્તરેલી આત્મકથા જરૂર વાંચવી જોઈએ. ગુજરાતની અસ્મિતાની ખરી લડત લડનારા ઇન્દુચાચા જેવા લોકનાયકનો લોકો આજે ય ઇન્તેજાર કરી રહ્યા છે. લીલાવતી કનૈયાલાલ મુનશીએ ઇન્દુચાચા માટે કહેલી વાત સાથે લેખ પૂર્ણ કરીએ : "ઇન્દુલાલ એટલે ટ્રેનની ઝડપ, ઇન્દુલાલ એટલે બાળકનાં તોફાન, ઇન્દુલાલ એટલે લશ્કરી સિપાઈ. ઇન્દુલાલમાં ઋષિમુનિનો સંયમ નથી પણ યૌદ્ધાઓનો નિગ્રહ છે. એમના બળવાન દેહમાં બાળકનો આત્મા વસે છે ... એ પણ અનંતના આંગણે રમતું બાળક જ છે. દેશકાર્યનું અસિધારાવ્રત એમણે લીધું છે. હનુમાન માફક એમના હૃદયમાં ઊંડા ભાગમાં 'દેશ' શબ્દ કોતરેલો હશે."

(‘સંદેશ’ની 22 ફેબ્રુઆરી, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

લગ્ન પર જ્ઞાતિવાદની લગામ

દિવ્યેશ વ્યાસ


આ લગનગાળામાં તમે કેટલાં આંતરજ્ઞાતીય લગ્નો જોયાં? જ્ઞાનયુગમાં પણ આપણે જ્ઞાતિગ્રસ્ત છીએ!

(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે)


ગુજરાતે તાજેતરનાં વર્ષોમાં એક પછી એક યુવા નેતાઓને ઉદય પામતા જોયા છે. આ નેતાઓ વચ્ચે વયજૂથ ઉપરાંતની બીજી એક સામ્યતા એ છે કે તેઓ પોતપોતાની જ્ઞાતિ-વર્ણના નેતા તરીકે ઊભર્યા છે, સમગ્ર રાજ્ય-સર્વસમાજના નેતા તરીકે નહીં. હા, તેઓ ધારે તો સર્વમાન્ય નેતા જરૂર બની શકે, પરંતુ એ માટે તેમણે પોતાનો જ્ઞાતિ-વર્ણવિશેષ એજન્ડાથી આગળ વધીને સર્વસમાવેશક અભિગમ અપનાવવો પડે. આ સ્થિતિ માટે દોષ માત્ર યુવા નેતાઓનો કાઢી શકાય એમ નથી. કૂવામાં હોય એ અવાડામાં આવે. આપણા સમાજમાં જ્ઞાતિ-જાતિના વાડા અને જાળાં એટલાં મજબૂત બનતાં ગયાં છે કે વૈચારિક રીતે જ્ઞાતિવાદી ન હોય છતાં પણ લોકસમર્થન મેળવવા માટે જ્ઞાતિનો સહકાર લીધા વિના ચાલતું નથી. આ કોઈ ઇચ્છનીય કે આદર્શ વાત બિલકુલ નથી, પરંતુ વરવી તો વરવી આ જ વાસ્તવિકતા છે, જે સ્વીકારવી અને સાથે મળીને સુધારવી રહી.

આપણા દેશમાં વિદેશી આક્રમણકારો ફાવ્યા છે, તેના પાયામાં આપણો જ્ઞાતિવાદ-વર્ણવ્યવસ્થા જવાબદાર હોવાનું ઐતિહાસિક રીતે પુરવાર થયું છે, છતાં આજેય આપણે જ્ઞાતિગ્રસ્ત છીએ! કેટલાક લોકો તરત કહેશે કે હવે ક્યાં પહેલાં જેવું છે? હા, શહેરીજીવનમાં સામાન્ય વ્યવહારમાં આવા ભેદભાવ સ્પષ્ટ જોવા મળતા નથી, પરંતુ મોટા ભાગના લોકોનાં માનસ હજુ જ્ઞાતિની ગ્રંથિથી મુક્ત થયાં નથી, એના જીવતાજાગતા પુરાવા જુદા જુદા સમાજની વાડીઓ-કોમ્યુનિટી હૉલ, છાત્રાલયો-હોસ્ટેલો, કાર્યક્રમો-સમારંભોમાં, સંસ્થાઓ-સંગઠનો અને હવે તો આંદોલનોમાં પણ સાંપડી રહ્યા છે. આટલા પુરાવા છતાં તમે આ વાત સાથે સહમત થતા ન હોય તો એક સવાલનો જવાબ વિચારજો, તમે તાજેતરના લગનગાળામાં આંતરજ્ઞાતીય લગ્નો કેટલાં જોયાં? તમે આવાં એકેય લગ્નમાં સામેલ થયાં? તમારો જવાબ ‘ના’ હોય તો વધુ કશું કહેવાનું રહેતું નથી.

ગયા વર્ષે મે-2016માં પ્રસિદ્ધ થયેલા ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે અનુસાર ભારતની 95 ટકા પરિણીત મહિલાઓએ પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરેલાં હતાં. સીધું ગણિત છે કે દેશમાં થતાં કુલ લગ્નોમાં માંડ 5 ટકા જ આંતરજ્ઞાતીય લગ્નો હોય છે. આ બીજો ઇન્ડિયન ડેવલપમેન્ટ સર્વે નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) અને યુનિવર્સિટી ઑફ મેરીલેન્ડ દ્વારા વર્ષ 2011-12માં કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રવ્યાપી સર્વેમાં કુલ 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વસતા 41,554 પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેનાં અન્ય તારણો પર નજર કરીએ તો સૌથી વધારે આંતરજ્ઞાતીય લગ્નોની બાબતે મિઝોરમ 55 ટકા સાથે નંબર વન રહ્યું હતું. બીજા ક્રમે મેઘાલય છે અને ત્રીજા ક્રમે સિક્કીમ છે, જ્યાં આંતરજ્ઞાતીય લગ્નનું પ્રમાણ અનુક્રમે 46 અને 38 ટકા છે. ચોથા ક્રમે 35 ટકા સાથે જમ્મુ-કાશ્મીર આવેલું જ્યારે આપણું ગુજરાત 13 ટકા સાથે પાંચમા ક્રમે રહ્યું હતું. આ સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ માંડ એક ટકો જ છે, ત્યારબાદ હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં પણ આ પ્રમાણ માંડ 2 ટકા છે. ગોવા જેવા શિક્ષિત-શહેરી રાજ્યમાં પણ 98 ટકા મહિલાઓએ સમાન જ્ઞાતિમાં જ લગ્ન કરેલાં. પંજાબ જેવા વિકસિત રાજ્યમાં પણ 97 ટકા મહિલાઓ પોતાની જ્ઞાતિમાં જ પરણેલી હતી.

આઝાદી મેળવ્યા પછી 1949માં હિન્દુ મેરેજીસ વેલિડિટી એક્ટ પસાર કરવામાં આવ્યો, જે અનુસાર જ્ઞાતિ કે પેટા જ્ઞાતિના પાત્ર સાથેનાં લગ્નને કોઈ પણ રીતે ગેરકાયદેસર ઠેરવી ન શકાય, એવું જાહેર કરાયું. 1954માં ધ સ્પેશિયલ મેરેજીસ એક્ટ અમલમાં આવ્યો, જેમાં આંતરજ્ઞાતીયની સાથે આંતરધર્મીય લગ્નોને પણ માન્યતા આપવામાં આવી. આખરે હિન્દુ મેરેજ એક્ટ, 1955માં અમલમાં આવ્યો, જેણે આંતરજ્ઞાતીય લગ્નોને વિધિવત્ કાયદેસરતા બક્ષી હતી. આંતરજ્ઞાતીય લગ્નોને કાયદેસરતા મળ્યાને પાંચ-પાંચ દાયકાઓ વીત્યા છતાં સમાજમાં કોઈ સુધારાવાદી વલણ પેદા થયું નથી. આજે પણ આંતરજ્ઞાતીય લગ્નોના મુદ્દે જ હરિયાણા, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહારમાં ઓનર કિલિંગની ઘટનાઓ બની રહી છે. અનેક પ્રેમીયુગલોએ જ્ઞાતિવાદને કારણે જ કાં પોતાના પ્રેમનું કે જીવનનું બલિદાન આપવું પડી રહ્યું છે.

ડૉ. આંબેડકરે નાતજાતના ભેદભાવ મિટાવવા માટે આંતરજ્ઞાતીય લગ્નોને એક ઉપાય તરીકે જોયાં હતાં તો ગાંધીજીએ તો આંતરજ્ઞાતીય લગ્ન હશે તો જ હું આશીર્વાદ આપવા હાજર રહીશ, એવું વલણ અપનાવ્યું હતું. આજે જાહેરજીવનમાં જ્ઞાતિવાદ વિરુદ્ધ કોઈ હરફ પણ ઉચ્ચારવા તૈયાર નથી! દેશ જ્યાં સુધી જ્ઞાતિગ્રસ્ત રહેશે ત્યાં સુધી આજનો જ્ઞાનયુગ પણ આપણું સામાજિક કલ્યાણ કરી શકે એમ નથી.

(‘દિવ્ય ભાસ્કર’ની 22મી ફેબ્રુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, February 15, 2017

ઇસરોના વિક્રમો અને વિક્રમભાઈ

દિવ્યેશ વ્યાસ

ઇસરોની સિદ્ધિઓને બિરદાવવાની સાથે સાથે તેના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈનું સ્મરણ કરવાનું રખે ભુલાય! 


(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે.)



આજે (તા. 15મી ફેબ્રુઆરી, 2017ના રોજ) તમે અખબાર વાંચી રહ્યા હશો ત્યારે ભારતને અંતરીક્ષ ક્ષેત્રે સુપરપાવરનો દરજ્જો અપાવનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા એક નવો વિશ્વવિક્રમ સર્જવામાં આવ્યો હશે. 15મી ફેબ્રુઆરી, 2017ના રોજ સવારે નવ-સાડા નવ વાગ્યે ઇસરોએ શ્રીહરિકોટા અંતરીક્ષ કેન્દ્ર પરથી સાગમટે અધધ 104 ઉપગ્રહો છોડીને પોતાની અનેક સિદ્ધિઓમાં વધુ એક સોનેરી સિદ્ધિનો ઉમેરો કરવાનું આયોજન કરેલું. આજે ઇસરો દ્વારા છોડવામાં આવેલા 104 ઉપગ્રહોમાંથી 101 તો વિદેશી ઉપગ્રહો છે. વિદેશી ઉપગ્રહોમાં સૌથી વધારે એકલા અમેરિકાના જ 96 ઉપગ્રહો છે, એ ઉપરાંત ઇઝરાયેલ, કઝાકિસ્તાન, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ અને સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના એક એક ઉપગ્રહો પણ ઇસરો દ્વારા છોડવામાં આવ્યા છે. 104 ઉપગ્રહોનું કુલ વજન 11378 કિલો જેટલું છે.

ઇસરો આ અગાઉ 22 જૂન, 2016ના રોજ એકસાથે 20 ઉપગ્રહો તો સફળતાપૂર્વક છોડી જ ચૂક્યું છે. જોકે, આ વખતે 104 ઉપગ્રહો છોડીને તે વિશ્વમાં એકસાથે સૌથી વધુ ઉપગ્રહ છોડવાના અમેરિકા અને રશિયાના રેકોર્ડનો ભાંગીને ભુક્કો કરી નાખશે. ‘ભાંગીને ભુક્કો’નો શબ્દપ્રયોગ કરવા માટેનું એક ખાસ કારણ એ છે કે અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નાસાએ 2013માં એકસાથે 29 ઉપગ્રહો છોડ્યા હતા તો એનો રેકોર્ડ તોડીને રશિયાએ વર્ષ 2014માં એકસાથે 37 ઉપગ્રહો છોડ્યા હતા. ભારત જૂના રેકોર્ડ કરતાં આશરે ત્રણ ગણા વધારે ઉપગ્રહોને સાગમટે અંતરીક્ષમાં પહોંચાડી દેવાનું છે ત્યારે જૂના રેકોર્ડના કેવા ચૂરેચૂરા થઈ જાય, એ સમજી શકાય છે. અલબત્ત, ભારત રેકોર્ડ તોડશે, એવું કહેવા કરતાં નવો રેકોર્ડ સર્જશે, એવું કહેવું વધારે ઉપયુક્ત છે.\

ઇસરોની પ્રગતિ આંખો ઠારે એવી છે. આ સિદ્ધિઓ કંઈ રાતોરાત મળી ગઈ નથી. આ સિદ્ધિઓ તો દાયકાઓની મહેનતનું ફળ છે. આ સિદ્ધિઓ તો એક વિઝનરીના આશીર્વાદના અમૃત સમી છે. એ વિઝનરી એટલે ગુજરાતના પનોતાપુત્ર ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ. એક વાત હંમેશાં ખટક્યા કરતી હોય છે કે વિક્રમભાઈ જેવા મેધાવી વ્યક્તિત્વનું ગુજરાતે જેટલું ગૌરવ લેવું અને કરવું જોઈએ, એટલું કરાતું નથી. વિક્રમભાઈના યોગદાનને એટલું અવગણવામાં આવ્યું છે કે આજે બહુ ઓછા ગુજરાતી યુવાનો તેમના વિશે જાણે છે. અમદાવાદના આંગણે વૈશ્વિક સ્તરની અનેક સંસ્થાઓ સ્થાપીને અમદાવાદ-ગુજરાતને ગૌરવ અપાવનારા વિક્રમભાઈ ગુજરાતી યુવાનોના આદર્શમૂર્તિ (રોલ મૉડલ) બનવા જોઈએ, પરંતુ દુ:ખની વાત એ છે કે વિક્રમભાઈ અમુક સંસ્થા કે એવોર્ડનાં નામોમાં જ શેષ રહી ગયા છે.

12 ઑગસ્ટ, 1919ના રોજ અમદાવાદ ખાતે ધનકુબેર અંબાલાલ સારાભાઈના ઘરે જન્મેલા વિક્રમભાઈ બાળપણથી જ મેધાવી હતા. વિક્રમભાઈનાં બહેન લીનાબહેને ‘અખંડ દીવો’ પુસ્તકમાં નોંધ્યું છે કે રિટ્રીટ બંગલામાં રહેવા આવેલા કવિવર રવીન્દ્રનાથ ટાગોરે બાળ વિક્રમનું લલાટ જોઈને કહેલું કે આ છોકરો બહુ મેધાવી છે! ટાગોરની વાતને સાચી પાડતાં વિક્રમભાઈએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોસ્મિક કિરણો પર સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી હાંસલ હતી. અભ્યાસ પતાવીને સ્વદેશ પરત ફર્યા પછી વિક્રમભાઈએ અમદાવાદ ખાતે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)ની સ્થાપના કરી હતી. સંસ્થાઓ સ્થાપવામાં વિક્રમભાઈને કોઈ ન પહોંચે. કહેવાય છે કે તેમણે પોતાના પ્રમાણમાં ટૂંકા જીવનકાળ દરમિયાન આશરે 40 જેટલી સંસ્થાઓની સ્થાપના કરી હતી, આમાંની જ એક સંસ્થા એટલે ઈસરો.

ઇસરોની સ્થાપનાનો ઇતિહાસ રસપ્રદ છે. શીતયુદ્ધના સમયગાળામાં વર્ષ 1957માં સોવિયત સંઘ (રશિયા) દ્વારા અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહ લૉન્ચ કરવામાં આવ્યો. આ મોટી વૈજ્ઞાનિક ઘટનાથી સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગઈ હતી. વિક્રમભાઈએ એ વખતે એક સપનું જોયું હતું કે ભારત પણ એક દિવસ પોતાના ઉપગ્રહ જાતે છોડશે. વિક્રમભાઈએ 1960માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સમક્ષ ભારતીય અવકાશ કાર્યક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. દેશને આઝાદ થયાને માંડ એક દાયકો વીત્યો હતો અને અવકાશ કાર્યક્રમ માટે આવશ્યક અધધ નાણાં ખર્ચી શકાય એવી દેશની સ્થિતિ નહોતી. જોકે, નેહરુ અને વિક્રમભાઈ આ દિશામાં ધીરજપૂર્વક છતાં નક્કર પગલાં ભરવાં સહમત થયા અને 1962માં કેન્દ્ર સરકારના પરમાણુ ઊર્જા મંત્રાલય અંતર્ગત ‘ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ’ની સ્થાપના કરવામાં આવી. ડૉ. વિક્રમ સારાભાઈને જ આ સમિતિના અધ્યક્ષ બનાવાયા. પ્રારંભમાં આ સમિતિનું કામકાજ પીઆરએલ, અમદાવાદની ઑફિસમાંથી જ ચાલતું હતું. તેજ ગતિએ ગાડી હંકારવાના શોખીન વિક્રમભાઈને કોઈ કામ ધીમી ગતિએ ચાલે એ મંજૂર નહોતું. 1963ના નવેમ્બર મહિનામાં તો ભારતે પોતાની ધરતી પરથી પ્રથમ રોકેટ સફળતાપૂર્વક છોડી બતાવ્યું હતું! આમ, વિક્રમભાઈના નેતૃત્વમાં ભારતે અંતરીક્ષ ક્ષેત્રમાં પગરણ પાડ્યા. પરમાણુ કાર્યક્રમ અને અંતરીક્ષ કાર્યક્રમ સ્વતંત્ર રીતે ઝડપથી આગળ વધે એવા હેતુથી ઈ.સ. 1969માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના પ્રથમ અધ્યક્ષ પણ ડૉ. વિક્રમ સારાભાઈ જ હતા.

અંતરીક્ષ ક્ષેત્રે એક પછી એક હરણફાળ ભરી રહેલી ઇસરો સંસ્થા આજે અમેરિકાની નાસા જેવી સંસ્થાઓની હરોળમાં સ્થાન જમાવી ચૂકી છે. ઇસરોની સિદ્ધિઓ માટે જરૂર ગર્વ અનુભવીએ, પરંતુ તેની સાથે સાથે તેના પાયાના પથ્થર સમા ગૌરવવંતા ગુજરાતી ડૉ. વિક્રમ સારાભાઈનું સ્મરણ પણ કરવું જ રહ્યું. આશા રાખીએ કે નવી પેઢી અઢળક પૈસા કમાનાર સફળ બિઝનેસમેન બિલ ગેટ્સ કે ઝકરબર્ગ કરતાં ડૉ. વિક્રમ સારાભાઈ જેવાને પોતાના રોલ મૉડલ ગણે, જેઓ દેશને ખરા અર્થમાં આધુનિક તબક્કામાં પહોંચાડવા માટે છેલ્લા શ્વાસ સુધી મથ્યા હતા. ઇસરોની વિક્રમી સિદ્ધિ સાથે લોકોને આ ‘વિક્રમ’ પણ યાદ રહેશે તો આપણો બેડો પાર થશે!

(‘દિવ્ય ભાસ્કર’ની 15 ફેબ્રુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, February 8, 2017

મણિપુરમાં ઇરોમની ‘વ્હીસલ’

દિવ્યેશ વ્યાસ


ઇરોમ શર્મિલાએ હવે મણિપુરના ચૂંટણી શમરાંગણમાં ઝુકાવ્યું છે. ઇરોમની ‘અનઅપેક્ષિત’ સફળતા સમગ્ર દેશને ફળી શકે છે

 (તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

‘ચૂંટણીનું નામ પડતાં હંમેશાં મને ઝણઝણાટી અનુભવાય છે. મારે ઈશ્વરને કહેવું છે કે તું ઇચ્છે એ થવા દે. હું કંઈ જાણતી નથી. હું કંઈ છું નહીં. ચૂંટણી લડવા માટે મારે કંઈ ખાસ કરવાનું નથી, મારે તો માત્ર લોકોનાં દિલ જીતવાના છે.’ આ શબ્દો છે ‘આયર્ન લેડી ઑફ મણિપુર’ના નામે સુવિખ્યાત ઇરોમ ચાનુ શર્મિલાના. ઇરોમે અત્યારે મણિપુર વિધાનસભાની ચૂંટણીઓમાં ઝુકાવ્યું છે. આમરણ ઉપવાસ આંદોલનનો માર્ગ છોડીને હવે રાજકીય પ્રભાવ ઊભો કરીને તેઓ આફસ્પા (આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ) હટાવવા માટે કટિબદ્ધ છે.

પાંચ રાજ્યોની ચૂંટણીઓમાંથી ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગોવાની તો ક્યારેક વધીને ઉત્તરાખંડની ચર્ચા થાય છે, પરંતુ ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુરની ચૂંટણીઓની ચર્ચા બહુ ઓછી થઈ રહી છે. આમ જોવા જઈએ તો બાકીનાં ચાર રાજ્યોમાં પરંપરાગત રાજકીય આકાઓ અને આખલાઓ જ જલ્લીકુટ્ટી જલ્લીકુટ્ટી રમી રહ્યા છે, જ્યારે મણિપુરમાં ઇરોમ શર્મિલાને કારણે ભારતીય રાજકારણમાં નવો અધ્યાય રચાઈ રહ્યો છે. અલબત્ત, ઇરોમ શર્મિલાને રાતોરાત કોઈ મોટી રાજકીય સફળતા મળવાની સંભાવના ઓછી વર્તાય છે, છતાં ઇરોમના સંઘર્ષ અને મણિપુરના લોકોની આફસ્પા વિરુદ્ધની લડાઈને અવગણી શકાય એમ નથી.

ઇરોમ શર્મિલાએ ગત 9મી ઑગસ્ટ, 2016ના રોજ 16 વર્ષે પોતાનું આમરણ ઉપવાસ આંદોલન સમેટ્યું ત્યારે તેમના ઘણા સમર્થકો નારાજ થયા હતા. કેટલાકને એવું લાગ્યું હતું કે ઇરોમનું ધ્યાન લક્ષ્ય પરથી હટી ગયું છે. તેઓ આ લડતને મઝધારે છોડી દેવા માગે છે. જોકે, ઇરોમે થોડા દિવસ પછી સ્પષ્ટતા કરેલી કે તેઓ હવે રાજકીય રીતે સક્ષમ બનીને આફસ્પા હટાવવા માટે મથશે. તેમણે રાજકીય પક્ષ સ્થાપીને વિધાનસભા ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર કરેલો. ઇરોમ શર્મિલાએ 18મી ઑક્ટોબર, 2016ના રોજ પોતાના નવા પક્ષની રચના કરી. પક્ષનું નામ રાખ્યું - પીપલ્સ રિસર્જન્સ એન્ડ જસ્ટિસ અલાયન્સ (PRaJA-પ્રજા), જેનું ગુજરાતી કરી શકાય, લોકોનું નવજાગરણ અને ન્યાય ગઠબંધન. આ પક્ષના પાયામાં મુખ્ય ચાર સિદ્ધાંતો રખાયા છે - ન્યાય, પ્રેમ, સમજ અને શાંતિ. આ પક્ષ આફસ્પા, ભ્રષ્ટાચાર, વિભાજક રાજકારણ અને બેરોજગારીના મુદ્દે ચૂંટણી લડી રહ્યો છે.

ઇરોમનો પક્ષ મણિપુરમાં કેવી રાજકીય સફળતા હાંસલ કરે છે, એ તો ટૂંક સમયમાં ખબર પડી જશે, પરંતુ આ પક્ષે પહેલા જ ધડાકે મણિપુરના રાજકીય ઇતિહાસમાં બે નવા વાના જરૂર ઉમેર્યા છે: એક, તે રાજ્યનો પહેલો ક્રાઉડ-ફન્ડેડ રાજકીય પક્ષ બન્યો છે. અને બે, આ પક્ષે એક મુસ્લિમ મહિલાને ટિકિટ આપી છે. મણિપુરની વિધાનસભા ચૂંટણીઓના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મુસ્લિમ મહિલા આ સ્તરની ચૂંટણી લડવાનાં છે.

આંદોલન છોડીને રાજકારણમાં ઝંપલાવવાની બાબતે ઇરોમ શર્મિલા અરવિંદ કેજરીવાલના રસ્તે ચાલ્યા છે. ઇરોમ કેજરીવાલ જેટલા લાઉડ નથી, છતાં તેમણે સળંગ ત્રણ વખત ચૂંટણી જીતેલા વર્તમાન મુખ્યમંત્રી ઓકરામ ઇબોબીસિંહની વિરુદ્ધ જ થોબલ મતક્ષેત્ર પરથી ચૂંટણી લડવાનું સાહસ દાખવ્યું છે. ઇરોમ થોબલ ઉપરાંત ખુરાઈ બેઠક પરથી પણ ચૂંટણી લડવાનાં છે. ઇરોમનો પક્ષ રાજ્યની કુલ 60 બેઠકોમાંથી માત્ર 20 બેઠકો પર જ ચૂંટણી લડી રહ્યો છે. કદાચ આ નવા પક્ષ પાસે પર્યાપ્ત નાણાં-સંસાધનો તથા અનુભવ ન હોવાને કારણે પણ ચર્ચામાં નથી, પરંતુ તેનો ઉદ્દેશ અને સાહસ ચોક્કસ સલામ અને શાબાશીને પાત્ર છે.

વર્ષ 2005માં નોબેલ માટે નામાંકન મેળવનારાં ઇરોમ શર્મિલાના પ્રજા પક્ષે ચૂંટણીપંચ પાસે પક્ષના પ્રતીક તરીકે વ્હીસલ (સિસોટી)ની માગણી કરેલી. ઇરોમ જેવા જ વ્હીસલ બ્લોઅરની દેશના રાજકારણને તાતી જરૂર છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 8મી ફેબ્રુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, February 1, 2017

મોરારજીભાઈની પુરસ્કારબંધી

દિવ્યેશ વ્યાસ


બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે મોરારજી દેસાઈએ વડાપ્રધાન બન્યા પછી પદ્મ પુરસ્કારોની પ્રથા એક ઝાટકે બંધ કરી દીધેલી



ગુજરાતી વડાપ્રધાન હોવાનો એક ફાયદો ગુજરાતને ચોક્કસપણે મળી રહ્યો છે કે રાષ્ટ્રીય સ્તરના નાગરિક સન્માનોમાં હવે ગુજરાતીઓની સંખ્યા અગાઉની સરખામણીએ વધારે જોવા મળી રહી છે. તાજેતરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કુલ 89 સન્માનનીય નાગરિકોને પદ્મ પુરસ્કારો જાહેર થયાં, જેમાં સાત ગુજરાતીઓનો સમાવેશ થયો હતો. પદ્મ પુરસ્કૃતોની યાદીને રાજ્યવાર વહેંચીને જોઈએ તો આ વર્ષે સૌથી વધારે આઠ પુરસ્કાર મેળવીને મહારાષ્ટ્ર નંબર-1 રહ્યું તો 7-7 પદ્મ પુરસ્કાર હાંસલ કરીને ગુજરાત અને તામિલનાડુ બીજા ક્રમે રહ્યા. કેરળ અને કર્ણાટક 6-6 પદ્મ પુરસ્કાર સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાતીઓ પોંખાય અને દેશના ટોચનાં નાગરિક સન્માનો પ્રાપ્ત કરે, એ જોઈને ગુજરાતી તરીકે કોઈ પણને ગર્વ થાય જ. પદ્મ પુરસ્કાર મેળવનારા સૌ મહાનુભાવોને હાર્દિક અભિનંદન!

ગુજરાતમાં પીએચ.ડી.ની પદવીની જેમ જ પદ્મશ્રી સન્માન મેળવનારાઓની સંખ્યા પણ સતત વધતી જ જાય છે. અન્ય ક્ષેત્રની સરખામણીએ ગુજરાતના સાહિત્યકારોમાં બે મહત્ત્વાકાંક્ષાઓ ખાસ્સી ચર્ચાસ્પદ બને છે, એક - પદ્મ પુરસ્કાર અને બીજો રાજ્યસભાનું સભ્યપદ. રાજ્યસભાના નામાંકિત સભ્ય બનવાનું સપનું તો ભાગ્યે જ કોઈનું ફળે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી પદ્મશ્રી સન્માન મેળવનારાની સંખ્યા વધી રહી છે, એ નોંધપાત્ર હકીકત છે.

અલબત્ત, લેખનો ઉદ્દેશ પદ્મ પુરસ્કારનું મહત્ત્વ, પદ્મ પુરસ્કાર માટેના ધખારા કે એ માટેના પ્રયાસોની ચર્ચા કરવાનો બિલકુલ નથી.  આ લેખ લખવાનો ધક્કો પહોંચાડનાર ઐતિહાસિક હકીકત એ છે કે સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈએ સત્તા પર આવ્યા પછી પદ્મ પુરસ્કારો-નાગરિક સન્માનની પ્રથાને બંધ કરી હતી. હા, કટોકટી પછી ઇન્દિરા ગાંધીની કૉંગ્રેસનાં સૂપડાં સાફ કરીને સત્તામાં આવેલા જનતા મોરચાની દેશની સર્વપ્રથમ ગઠબંધન સરકારના વડા તરીકે મોરારજી દેસાઈએ જુલાઈ - 1977માં સરકાર દ્વારા અપાતાં સન્માનોને ‘વાહિયાત અને રાજકારણયુક્ત’ ગણાવીને તેની પ્રથાને એક ઝાટકે બંધ કરાવી દીધી હતી. નોટબંધીના દિવસોમાં મોરારજી દેસાઈએ પણ કાળાં નાણાંના દૂષણને ડામવા માટે ઈ.સ. 1978માં રૂ. 1000, રૂ. 5000 અને રૂ. 10,000ની નોટને ચલણમાંથી રદ કરી હતી તે ઘટનાને વારંવાર યાદ કરવામાં આવી હતી, પરંતુ મોરારજી દેસાઈએ પોતાના શાસનકાળ દરમિયાન નોટબંધી ઉપરાંત પુરસ્કારબંધી પણ કરી હતી, એ હકીકત બહુ ઓછા લોકો જાણતા હશે. મોરારજી દેસાઈએ પુરસ્કારબંધી કરી તેની પાછળનાં જે કારણો હતાં, તે આજે પણ અસ્તિત્વમાં છે, પણ હવે એ દિશામાં વિચારવાનું ભાગ્યે જ કોઈને ‘સાનુકૂળ’ જણાઈ રહ્યું છે. સત્તાધારી પક્ષ કરતાં જુદી વિચારધારા ધરાવનારાઓને આજે આવાં સન્માનો નથી મળી રહ્યા છતાં પણ તેઓ આ મામલે મૌન રાખવાનું જ વધારે પસંદ કરે છે, કારણ કે કાલે સરકાર બદલાય તો તેઓ પણ લાભાર્થી બની શકે!

મોરારજી દેસાઈની ગઠબંધન સરકાર તો માંડ બે-અઢી વર્ષ ચાલી અને ઇન્દિરા ગાંધી ફરી સત્તા પર આવ્યાં. તેમણે નાગરિક સન્માનોની પરંપરાને 1980ની સાલથી પુન:જીવિત કરી હતી. જોકે, 1992ના વર્ષમાં સરકાર દ્વારા અપાતાં સન્માનો વિરુદ્ધ જાહેર હિતની અરજીઓ કરવામાં આવી. એક અરજી ફેબ્રુઆરી-1992માં બાલાજી રાઘવન અને અન્યો દ્વારા કેરળ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી તો બીજી અરજી સત્યપાલ આનંદ દ્વારા ઑગસ્ટ-1992માં મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જાહેર હિતની અરજી કરનારાઓની મુખ્ય દલીલ એ હતી કે બંધારણની કલમ 18 (1) અનુસાર સરકાર દ્વારા અપાતા સન્માન-ઇલકાબને નાબૂદ કરવામાં આવ્યા છે ત્યારે પદ્મ પુરસ્કારો બંધારણ વિરુદ્ધ છે. 25 ઑગસ્ટ, 1992ના રોજ મધ્યપ્રદેશ હાઇકોર્ટે નાગરિક સન્માનો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચેલો અને પાંચ ન્યાયાધીશોની ડિવિજન બેન્ચને સોંપાયો હતો. આ ખંડપીઠે 15 ડિસેમ્બર, 1995ના રોજ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ભારત રત્ન અને પદ્મ પુરસ્કારો બંધારણમાં દર્શાવેલા ‘ટાઇટલ્સ’ અંતર્ગત આવતા નથી અને એ પછી પદ્મ પુરસ્કારો આપવાનું ફરી થયું હતું.

સન્માન-ઇલકાબ આપવાની પ્રણાલી બ્રિટિશ શાસનમાં ખૂબ પ્રચલિત હતી. સર, નાઇટ, લૉર્ડ, કિંગ વગેરે જાતભાતના નામધારી ઇલકાબો (ટાઇટલ્સ) સન્માનનીય (બ્રિટિશર્સની દૃષ્ટિએ) લોકોને અપાતા હતા. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને નાઇટનો ઇલકાબ તો સુધારાવાદી રામમોહન રાયને રાજા (કિંગ)નો ઇલકાબ બ્રિટિશર્સ દ્વારા જ અપાયા હતા. ટાગોરે તો જલિયાંવાલાબાગ હત્યાકાંડ પછી ઇલકાબ પાછો આપી દીધેલો.  બંધારણમાં આ ટાઇટલ્સને નાબૂદ કરવા માટે એક વિશેષ કલમ 18 ઉમેરવામાં આવી હતી. આઝાદી પછી છેક ઈ.સ. 1954માં નાગરિક સન્માનો શરૂ કરાયા હતા. આજે પણ નાગરિક સન્માનોનો ઉપયોગ તમે તમારા નામની આગળ કે પાછળ કરી શકતા નથી, કારણ કે આ સન્માન છે, પણ ઇલકાબ નથી. સરકારની અધિકૃત વેબસાઇટ (http://www.padmaawards.gov.in) પર આ સન્માનનો ઉલ્લેખ નામની આગળ કે પાછળ ન કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે, છતાં કેટલાક ઉત્સાહી લોકો પોતાના નામ આગળ ‘પદ્મશ્રી’ લખવા-લખાવવાનો મોહ છોડી શકતા નથી!

ખેર, પ્રશંસા-કદર-પુરસ્કાર વ્યક્તિને વધુ સારું કામ કરવા માટે પ્રોત્સાહક નીવડતા હોય છે. મોટાં સન્માનો વ્યક્તિને વધારે જવાબદાર પણ બનાવી શકે છે, છતાં સરકારી સન્માનોમાં રખાતા પક્ષપાત કે રમાતા રાજકારણવાળી મોરારજીભાઈની દલીલ સાથે કોણ સહમત નહીં થાય? સમાજમાં સન્માનો ચોક્કસપણે જરૂરી છે, પરંતુ જે તે ક્ષેત્રની સંસ્થાઓ તે આપે તો વધારે યોગ્ય ગણાય. લોકશાહી સરકારે ‘રાજા-મહારાજાવાળી’ કરવાનો કોઈ મતબલ કે જરૂર નથી.

(‘દિવ્ય ભાસ્કર’ની 1 ફેબ્રુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - મૂળ પ્રત)