Showing posts with label લોકશાહી. Show all posts
Showing posts with label લોકશાહી. Show all posts

Saturday, October 6, 2018

લોકશાહી શાસન પૂરતું નથી, લોકશાહી સમાજ હોવો જોઈએ : ગિરીશ પટેલ

દિવ્યેશ વ્યાસ
તેજસ વૈદ્ય

(ગિરીશભાઈની આ તસવીર https://counterview.org પરથી લીધેલી છે.)


પ્રશ્ન: લોકશાહી અંગે આપના વિચારો શું છે? આઝાદી પછી આપણે કયાં થાપ ખાધી છે?

ગિરીશભાઈ: ‘લોકશાહી’ના ખયાલનો વિકાસ તેની દાયકાઓ જૂની વ્યાખ્યા ‘લોકો દ્વારા ચાલતી, લોકો માટેની, લોકોની બનેલી સરકાર’ મુજબ થયેલો છે. જે રાજયમાં એકહથ્થું શાસન હોય, તેમાં બળનું એકત્રીકરણ હોય છે. કાયદો બનાવવાની, અમલમાં મૂકવાની અને કાયદામાં નિયમો બનાવવાની સત્તા એટલે સમાજને સ્પર્શતા દરેક સવાલ અંગે રાજ્ય પાસે સત્તા રહેલી છે.

એક જમાનામાં રાજાશાહીનો ખયાલ હતો કે રાજા રાજ ચલાવે અને લોકો તેની પ્રજા ગણાય. અલબત્ત, માત્ર સુશાસન હોય તે પૂરતું નથી, પરંતુ સ્વશાસન હોવું જરૂરી છે. સુશાસન એક વસ્તુ છે અને સ્વશાસન તેનાથી ઘણી જુદી વસ્તુ છે. લોકો પાસે સુખ-સુવિધા હોય, પણ તેમાં તેનું સ્થાન શું છે, તે મહત્ત્વનું છે. દરેક વ્યકિત સ્વતંત્ર વિચાર ધરાવે છે ત્યારે તેના વિકાસનો વિચાર બીજા કેમ કરી શકે? લોકોની જરૂરિયાતો સંતોષાતી હોય તોય લોકોને સ્વતંત્ર સ્વવિકાસની ઝંખના રહે જ છે. મનુષ્ય માત્ર મળેલું જીવન જીવવા જ અસ્તિત્વ ધરાવતો નથી, તેના માટે સ્વવિકાસ જરૂરી છે અને તે ત્યારે જ ફળીભૂત થઈ શકે જયારે મનુષ્ય સ્વતંત્રતા ભોગવતો હોય અને તંત્રમાં લેવાતા નિર્ણયોમાં તેની ભાગીદારી હોય. રાજય કે શાસન લોકો માટે હોય તે પૂરતું નથી, પરંતુ તે લોકોનું જ હોવું જોઈએ અને લોકો દ્વારા જ ચાલવું જોઈએ. સ્વશાસન ન હોય ત્યાં સુધી સુશાસન કદી સશક્ત ન બની શકે. આ બન્ને ખયાલો અલગ નથી, પણ પૂરક છે. લોકશાહીનો ખયાલ વિકસતો વિકસતો હવે વેલફેર સ્ટેટમાંથી આગળ વધીને વિકાસ રાજ્ય (ડેવલપમેન્ટ સ્ટેટ) સુધી પહોંચ્યો છે, જેમાં લોકોના વિકાસની ચિંતા સેવાય છે.

લોકોના વિકાસ માટે સ્વાતંત્ર્ય જરૂરી છે. તેનામાં ખુદનો અવાજ વ્યકત કરવાની અને પોતાના વિચારોને અમલમાં મૂકવાની શક્તિ હોવી જોઈએ. અલબત્ત, લોકશાહીમાં કોઈ એક વ્યક્તિ  માટે સમગ્ર વ્યવસ્થા નથી હોતી, સમગ્ર સમાજ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય છે. કોઈ વ્યવસ્થા કે પદ્ધતિ ઊભી કરવા પાછળનો ઉદ્દેશ માત્ર આ જ છે. અલબત્ત, કમનસીબે એવું બનતું હોય છે કે સંસ્થાકીય માળખું જ મહત્ત્વનું બની જાય છે અને તેનું હાર્દ મરી જાય છે. માત્ર માળખું જ રહે એ અગત્યનું નથી. લોકશાહી માળખા દ્વારા લોકોનું સ્વશાસન સિદ્ધ થયું છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. લોકશાહીનો ખયાલ આદર્શને સિદ્ધ કરવા માટેનો છે. સંસ્થાકીય માળખું અને લોકશાહી ત્યારે જ સફળ થાય જયારે આદર્શ અને માળખું બન્ને એક બને.

બંધારણનું આમુખ, મૂળભૂત અધિકારો ને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ ત્રણેય ભાગો બંધારણનો આત્મા છે. તેનો ઉદ્દેશ સુશાસન અને સ્વશાસન સ્થાપવાનો છે. માત્ર લોકશાહી રાજ્ય એટલું જ પૂરતું નથી, લોકશાહી સમાજ હોવો જરૂરી છે. બંધારણ લોકશાહી રાજ્ય સ્થાપે છે. કુટુંબ સહિત સમાજના દરેક ભાગમાં લોકશાહીની ભાવના વ્યક્ત થવી જોઈએ અને તેમાં ભાગીદારીપૂર્ણ લોકશાહી (પાર્ટીસીપેટરી ડેમોક્રસી) એ લોકશાહીનો આદર્શ હોવો જોઈએ. આપણે બંધારણ તો બનાવ્યું પણ તે મુજબનો સમાજ ન હતો. ઊંચ-નીચના ભેદ, ધર્મ-સંપ્રદાયના પ્રશ્નો, આદિવાસી-દલિતના પ્રશ્નો વગેરે અનેક સમસ્યાઓ હતી. ખ્યાલ એવો હતો કે નવું બંધારણ દેશમાં પરિવર્તન લાવવાનું બળ બનશે અને તે માટેના પ્રયત્નો કરવામાં આવશે, પરંતુ બન્યું એવું કે સામાજિક માળખું એટલી હદે બળવત્તર રહ્યું કે કે બંધારણને હડપ કરી ગયું. આમ, ખરેખર બંધારણ એ કોઈ સિદ્ધ થયેલી હકીકત ન હતી, સિદ્ધ કરવાનું હતું. આ ભૂલને લીધે સમાજનું પાયાગત પરિવર્તન થવું જોઈતું હતું, પરંતુ તે પ્રક્રિયા તૂટી ગઈ. પ્રજાની અંદર જ સહિષ્ણુતા અને લોકશાહીની ભાવના નહિ હોય તો લોકશાહી ટકશે નહીં. તેથી લોકશાહીમાં લોકોની જવાબદારી મહત્ત્વની છે.

ભારતમાં એકવીસમી સદીમાં પ્રવેશ્યું છે ત્યારે ઘણી વિપરીત પરિસ્થિતિઓ સામે આવીને ઊભી છે. લોકશાહી સમાજ માટેના પ્રયત્નો થવા જોઈએ, તે ન થયા તેને કારણે આમ થયું છે. આજે સક્રિયતા ઘણી જોવા મળે છે, તેની ના નહીં, પરંતુ ઘણું અઘકચરું રહી ગયું છે. કામ કરનારા ઓછા થતાં જાય છે, તંત્ર નબળું પડતું જાય છે. આજની પરિસ્થિતિ નિરાશાજનક છે. મૂલ્યો ઓછાં થતાં જાય છે. સ્ત્રીઓની આધુનિકતાની વાત ચાલે છે, પરંતુ સ્ત્રી કયાંય વ્યક્તિ બનતી નથી. એક જગ્યાએ સ્ત્રી મોડલ બને છે તો એક જગ્યાએ સ્ત્રીને સળગાવી દેવામાં આવે છે. વિજ્ઞાનની તકનીકોમાં આપણે ઘણી સિદ્ધિ મેળવી છે, પરંતુ પાયાનો સ્તર નબળો પડી રહ્યો છે.

ગિરીશભાઈના અમૃત પર્વ નિમિત્તે સન્માન સમિતિ દ્વારા પ્રકાશિત પુસ્તક
પ્રશ્ન: ન્યાયતંત્રમાં જાહેર હિતની અરજીનું મહત્ત્વ અને ફાળો શું છે?

ગિરીશભાઈ: આઝાદી પછી આપણે લોકોનું શાસન સ્થાપવાનું હતું, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તેવી હતી નહીં એટલે બંધારણ આવ્યા પછી આજે એનાં પરિણામે લોકોએ ચૂંટેલી સરકારો તો આવી, પરંતુ લોકોની સરકાર ન આવી. કાયદો ગમે તેટલો સારો હોય, પરંતુ તે કદી પોતાની મેળે અમલમાં આવતો નથી. જે કાયદા બન્યા છે, તેનો અમલ થવો જોઈએ. કાયદાના અસરકારક અમલ માટે લોકોમાં જાગૃતિ હોવી જરૂરી છે. જાગૃતિ પણ માત્ર ઉપરછલ્લી કે ખપ પૂરતી નહીં. માત્ર જ્ઞાન પૂરતું નથી, પરંતુ તે અમલમાં મૂકવાની ક્ષમતા હોવી જોઈએ.

આ પરિસ્થિતિમાં બંધારણ બન્યા પછી ઈ.સ. ૧૯૮૦ સુધી સામાન્ય લોકો કોર્ટમાં આવતા, પણ તેના માટે નાણાં અને ધીરજ જોઈએ. સામાન્ય માણસો એમના મૂળભૂત અધિકારો માટે લાચાર હતા. જેના અધિકારનું હનન થાય તે જ કોર્ટમાં જઈ શકે એ કાયદો બદલાયો. સુપ્રીમે ઈ.સ. ૧૯૮૨માં જાહેર હિતની અરજીનો સિદ્ધાંત સ્થાપ્યો.

જે કેસમાં વ્યકિતગત હિત નહિ, પરંતુ અનેક લોકોનું હિત સમાયેલું હોય તો તેના માટે કોણ લડે? જાહેર હિતમાં રાજ્યની સંપત્તિનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર વગેરે સામે લોકોના હિતને ઘ્યાનમાં રાખી અન્ય કોઈ અરજી કેમ ન કરી શકે? એવા સવાલ આવ્યા અને જાહેર હિતની અરજીનો સિદ્ધાંત સ્થપાતાં ગરીબો, વંચિતો, દલિતોના પ્રશ્નો, સામાજિક મૂલ્યોની જાળવણી, રાષ્ટ્રની સંપત્તિની સાચવણી વગેરે માટેનો કેસ ‘જેન્યુઇન’ માણસ કોર્ટમાં લાવે એવો શિરસ્તો શરૂ થયો. આમ, જાહેરજીવનમાં લોકોમાં સભાનતા-જાગૃતિ આવે અને કાયદાકીય રીતે તેમનું સશકિતકરણ થાય એવા ઉદ્દેશથી  જાહેર હિતની અરજી અમલમાં આવી. જોકે, કોર્ટમાં જાહેર હિતની અરજીનો ચુકાદો બે-ત્રણ વર્ષે આવે એટલે તેમાં હિત ન સચવાય, એવું પણ બને છે. આજે જાહિત હિતની અરજીનો ઉપયોગ પ્રસિદ્ધિ મેળવવા કે પછી વ્યકિતગત કે રાજકીય હિત સાધવા માટે પણ થઈ રહ્યો છે, તે દુ:ખદ બાબત છે.

પ્રશ્ન: કાયદાઓનો અસરકારક અમલ કઈ રીતે થઈ શકે? કાયદાના અમલની જવાબદારી કોની?

ગિરીશભાઈ: કાયદા હોવા છતાં અમલ થતો નથી, અસરકારકતા ઊભી થતી નથી, તેનાં અનેક કારણો છે. જેમકે, તે અંગેની જાગૃતિનો અભાવ, આ દેશમાં કાયદાની ભાષા અંગ્રેજી છે અને કાયદા અટપટા છે. વળી, કાયદો પણ એક ભાષા છે, તેથી તેના અનેક અર્થો નીકળી શકે. કાયદાઓમાં જાણ્યે-અજાણ્યે અનેક છટકબારી રહેલી છે. મૂળે કાયદાને સારો બનાવવાની ચીવટ હોવી જોઈએ, પણ એ બનતું નથી. ખરા અર્થમાં જાહેર હિત એ સામાજિક મૂલ્યોને સાચવવાની વાત છે. કોઈ કાયદામાં માત્ર પોલીસને જ સત્તા આપો તો લોકો શું કરી શકે? સપોર્ટિવ એકશન એન્ડ મેજર્સ ન હોય તો કાયદો નબળો પુરવાર થાય. કાયદાની બાબતમાં તેના અમલીકરણની પણ અગત્યતા છે. કાયદાની પ્રાયોરિટી અલગ હોય તો તેનું અમલીકરણ માત્ર કહેવાથી થઈ જતું નથી. વળી, કાયદાના પાલન માટે દૃષ્ટિ અને શકિત જ સમાજમાં ન હોય તો આંતરિક રીતે જ તે સ્વીકાર્ય બનતો નથી. કાયદો માત્ર ફોર્સ નથી, તેની પાછળ કન્સેપ્ટ હોય છે. કાયદાને સફળ બનાવવા માટે તેનો પ્રચાર જરૂરી છે. આમ, આવી અનેક બાબતો કાયદાની સક્રિયતા માટે જરૂરી છે, જેના અભાવથી કાયદાનો અમલમાં આવતો નથી.

પ્રશ્ન: પહેલાંના જમાનામાં ગામોમાં પંચ નિર્ણય કરતું, તો એવી કોઈ વ્યવસ્થા કોર્ટને બદલે સંભવે તે કેટલું યોગ્ય અને જરૂરી છે?

ગિરીશભાઈ: વિકલ્પો ત્યારે જ વિચારવા પડે જયારે ચાલુ વ્યવસ્થા નિષ્ફળ ગઈ હોય. કોર્ટને અસરકારક બનાવવાનાં પગલાં આપણે ક્યારેય લેતાં જ નથી. હાલની વ્યવસ્થાને કેટલા ટકા સુધારી શકાય તેની ચકાસણી કરી વ્યવસ્થા સુધારવા માટે કંઈક નક્કર કરવું જોઈએ. તે માટેના સેમિનારો યોજવાનો કોઈ મતલબ નથી. કોઈ પણ સમાજમાં માત્ર અદાલતો જ સમાજના તમામ પ્રશ્નો હલ ન કરી શકે. સમાજમાં એક જીવંત વ્યવસ્થા હોવી જોઈએ અને ન છૂટકે જ અદાલતની મદદ લેવાવી જોઈએ. જેમકે, કુટુંબના પ્રશ્નો કુટુંબમાં જ ઉકેલાવા જોઈએ. તેના માટે અદાલતમાં જવાની જરૂર ન ઊભી થવી જોઈએ.

ગામ સ્તરે ન્યાય માટે સારી સ્થાનિક સુવિધા વિકસે, એવી વ્યવસ્થા આવકાર્ય છે. ગામમાં પંચ બને, પણ પંચમાં અમુક જ્ઞાતિના લોકો જ બેસતા હોય તો તેનો કોઈ અર્થ નથી. અલબત્ત, ગામના દરેક પક્ષ-જ્ઞાતિના પ્રતિનિધિ હોય તો તે વધુ યોગ્ય અને અસરકારક બને છે. ગામમાં બધા એકબીજાને ઓળખતા હોય છે અને બધા બધું જાણતા જ હોય છે, તેથી ખોટી બાબતો ટકતી નથી. પંચ જેવી વૈકિલ્પક વ્યવસ્થા સારી છે, પરંતુ તેમાં પણ પ્રશ્નો ઊભા ન થાય એવું નથી.

પ્રશ્ન: માહિતી અધિકારની માગ સમાજમાંથી કેમ નથી ઊઠતી? (મુલાકાત સમયે  માહિતી અધિકારનો કાયદો અમલમાં નહોતો આવ્યો.) આપણા સમાજમાં માહિતી અધિકાર કેટલે અંશે સફળ થશે?

ગિરીશભાઈ: લોકો માહિતી અધિકાર માગતા જ હોય છે, પરંતુ તેમને ખ્યાલ નથી હોતો કે આવી માગ કયાં અને કેવી રીતે કરી શકાય? ભૂખ લાગે ત્યારે કહેવાની જરૂર નથી રહેતી, માણસ જાતે ખોરાક શોધવા માંડે છે. માહિતીની જરૂરિયાત લોકોને મહેસૂસ થાય છે, પરંતુ તેને ઉપલા સ્તરે લઈ જવી અને તેને અધિકારનું સ્વરૂપ આપવું, તે સમાજના જાગૃત નાગરિકોની ફરજ છે. સમાજ જ્યારે નાનો હતો ત્યારે માહિતી પ્રત્યક્ષ જ હતી, પરંતુ વખત જતાં સમાજ, સાધનો, વ્યવસ્થા વિકસતા ગયાં, સંકુલ થતાં ગયાં અને તેને લીધે લોકોને બધી વાતની જાણકારી હોતી નથી તથા તેમને એ ખ્યાલ નથી હોતો કે માહિતી કયાંથી મળે? અથવા તો હું માહિતી કેવી રીતે માગી શકું? માહિતી અધિકાર એ સમાજના ખુલ્લાપણાનું એક આગવું લક્ષણ છે. સંકુલ સમાજને ખુલવાની-ખીલવાની વાત માહિતી અધિકાર કરે છે. લોકશાહી એ સમાજનો આદર્શ હોય તો લોકોને માહિતી અધિકાર આપવો જ જોઈએ. લોકશાહીમાં લોકો પાસે માહિતી જ ન હોય તો લોકો કઈ રીતે નિર્ણય લઈ શકે? માહિતી માત્ર આપવાથી કંઈ વળતું નથી. કોઈ પણ અધિકાર મેળવવા માટે સમાજે મોટા પાયે સામાજિક ઝુંબેશ કરવી પડે છે. કાયદો સ્વયં તમને મદદ કરતો નથી. તેને માટે માણસે હિંમત દર્શાવવી પડે.

પ્રશ્ન: વર્ષોથી ચાલ્યા આવતા કાયદાઓમાં બદલાવ લાવવો કેટલો જરૂરી છે?

ગિરીશભાઈ: બદલાતા પરિપ્રેક્ષ્યમાં કાયદા તો બદલાતા જ રહે છે, પરંતુ તેની બદલાવવાની પદ્ધતિ કેવી છે, તે જોવું જરૂરી છે. તેના સંદર્ભો સમજવા જરૂરી છે. કાયદો મૂળે રૂઢિચુસ્ત હોય છે. સમાજમાં બદલાતી પરિસ્થિતિમાં પ્રતિક્ષણે કાયદો ન બદલાય. તે બદલાય તે માટેનું વાતાવરણ ઉપસ્થિત થવું જોઈએ. એ મુજબનું તંત્ર અને લોકોની તૈયારી હોવી જોઈએ.

આજે જેટલી ઝડપી પરિવર્તન આવી રહ્યાં છે, તે ઝડપે કાયદો બદલાવી શકાયો નથી. પરિવર્તનની સ્થિરતા જોઈને બદલાવ લાવવો જોઈએ. દર વખતે કાયદો ન બદલાવી શકાય, પરંતુ કેસને અનુરૂપ જરૂરી અર્થઘટન કરવું જોઈએ. જુદા જુદા વર્ગોએ કાયદા અંગે ચર્ચા કરવી જોઈએ. આપણે ત્યાં સમાજમાંથી ઊઠવો જોઈતો પ્રત્યાઘાત જોવા મળતો નથી.

(હું અને તેજસ વૈદ્ય પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (સીઈઈ) દ્વારા પ્રકાશિત ‘આસ્થા’ સામયિક સંભાળતા હતા ત્યારે દરેક અંકમાં એક મહાનુભાવની મુલાકાતનો સમાવેશ કરતા હતા. ગિરીશભાઈની આ મુલાકાત પણ એ વિભાગ અંતર્ગત જ પ્રકાશિત કરવામાં આવી હતી. ‘આસ્થા’ના જુલાઈ-૨૦૦૩ના અંકમાં આ મુલાકાત પ્રસિદ્ધ થઈ હતી. વિપુલભાઈ કલ્યાણીએ આ મુલાકાત ઓપિનિયનમાં પણ (http://opinionmagazine.co.uk/details/147/લોકશાહી-શાસન-પૂરતું-નથી--લોકશાહી-સમાજ-હોવો-જોઈએ-ગિરીશ-પટેલ- સમાવી હતી. ઓનલાઇન હોવાથી જ અહીં આસાનીથી ઉપલબ્ધ થઈ શકી છે.)

Wednesday, February 28, 2018

યુદ્ધ પહેલાંની શાંતિ?

દિવ્યેશ વ્યાસ


આક્રમક નેતાઓની બોલબાલા જોતાં કહેવાતો ‘દીર્ઘ શાંતિકાળ’ હજુ કેટલો ટકશે, એ મોટો સવાલ છે


(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધી છે.)

યુદ્ધમાં વિજય કે પરાજય મળે, એ તો એક મોટો ભ્રમ છે. યુદ્ધ એટલે યાતના. વિજેતા હોય કે પરાજિત, યુદ્ધ કરનાર તમામને યાતના ભોગવવી જ પડે છે. વિજેતા કદાચ જીત્યાનું અભિમાન દાખવી શકે, છતાં યાતનાથી બચી શકતો નથી. યુદ્ધની પીડા રણમેદાનમાં લડનારા સૈનિક સુધી સીમિત ન રહેતાં તેના પરિવાર અને સમાજ સુધી વિસ્તરતી હોય છે. યુદ્ધની કથા ભલે રમ્ય રીતે રજૂ કરાતી આવી હોય, બાકી વાસ્તવિકતા રમ્ય નહીં, રક્તરંજિત હોય છે. કોઈ પણ યુદ્ધનો અંત લોહી અને આંસુ જ હોય છે. ડાહ્યા લોકો યુદ્ધને ‘છેલ્લો ઉપાય’ તરીકે પસંદ કરતા હોય છે. અલબત્ત, ઇતિહાસના અનુભવો જોતાં કહી શકાય કે યુદ્ધથી કદાચ ઉકળાટની અભિવ્યક્તિ શક્ય બને પણ ઉકેલ ભાગ્યે જ મળતો હોય છે.

આપણે છેલ્લાં 70 વર્ષથી પ્રમાણમાં શાંતિપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં નાનાં-મોટાં યુદ્ધો જરૂર થયાં છે, છતાં મહાયુદ્ધો ટાળી શકાયાં છે. દુનિયા અને યુદ્ધો અંગે કોલોરાડો યુનિવર્સિટીના કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ ડૉ. એરોન ક્લોસેટ દ્વારા એક આંકડાકીય અભ્યાસ કરવામાં આવ્યો છે. ડૉ. એરોને ‘ધ કૉરલેટ ઑફ વૉર પ્રોજેક્ટ’ના અધિકૃત ગણાતા આંકડાના આધારે ઈ.સ. 1823થી 2003 દરમિયાન દુનિયામાં થયેલાં યુદ્ધોનું વિશ્લેષણ કરીને કેટલાંક રસપ્રદ તારણો કાઢ્યાં છે. 1823થી 2003નાં વર્ષોમાં દુનિયાએ કુલ 95 યુદ્ધો જોયાં છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધનો ઈ.સ. 1914થી 1945નો સમયગાળો માનવ ઇતિહાસનો સૌથી વધારે રક્તરંજિત સમયગાળો છે.

ડૉ. એરોને આ સમગ્ર સમયખંડને ત્રણ ભાગમાં વહેંચી દીધો છે. 1823થી 1914ના ગાળામાં ઘણાં મોટાં યુદ્ધો થયાં હતાં. આ ગાળામાં કુલ 19 મોટાં યુદ્ધો થયેલાં. આમ, દર 6.2 વર્ષે એક મોટું યુદ્ધ દુનિયાએ જોયું હતું. તે પછીનો 1914થી 1945ના તબક્કામાં દુનિયાએ ઉપરાઉપરી બે મહાયુદ્ધો જોયાં અને લાખો લોકોનાં લોહી વહ્યાં હતાં. દર 2.7 વર્ષે કોઈ ને કોઈ યુદ્ધ ફાટી નીકળ્યું હતું.

ઈ.સ. 1945થી આજ દિન સુધી 70 વર્ષમાં મોટાં કહી શકાય એવાં 10 યુદ્ધો જ થયાં છે. આમ, બીજા વિશ્વયુદ્ધ પછી દર 12.8 વર્ષે એક યુદ્ધ થયું છે. આમ, આ ગાળામાં યુદ્ધોની સંખ્યા અને યુદ્ધમાં મરનારાઓની સંખ્યાની સરખામણીએ ખાસ્સો ઘટાડો થયો હોવાથી આ સમયગાળાને ‘દીર્ઘ શાંતિકાળ’ ગણવામાં આવે છે. આ શાંતિકાળ લાંબો ચાલવા પાછળનાં પરિબળોની ચર્ચા નિષ્ણાતો વચ્ચે થતી રહે છે. દુનિયામાં વિસ્તરેલી અને વિકસતી લોકશાહી, વૈશ્વિકીકરણના સમયમાં બે દેશો વચ્ચે વધતું આર્થિક પરસ્પરાવલંબન તથા પરમાણુ યુદ્ધથી સાર્વત્રિક વિનાશનો ડર, આ ત્રણ કારણો બે કે તેથી વધુ દેશો વચ્ચેના યુદ્ધને અટકાવવા મજબૂર કરતાં હોવાનું મનાય છે.

ડૉ. એરોનનું એક તારણ છે કે બીજા વિશ્વયુદ્ધ જેવું વિનાશક મહાયુદ્ધ દર 205 વર્ષે થતું હોય છે. એ દૃષ્ટિએ આપણે આશ્વાસન લઈ શકીએ કે હવે પછીનું મહાયુદ્ધ 135 વર્ષે થશે. જોકે, વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ-સંજોગો જોતાં આ અંદાજ ગળે ઊતરે એમ નથી. ખુદ ડૉ. એરોન પણ સ્વીકારે છે કે આ માત્ર આંકડાકીય તારણ છે, એટલે કોઈ ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. દુનિયામાં અત્યારે જે પ્રકારનું નેતૃત્વ વિકસી રહ્યું છે. પુતિનનો ભાઈ ઘંટી ટ્રમ્પ સત્તામાં આવી રહ્યો છે, તે જોતાં યુદ્ધની આશંકા તીવ્ર બનતી જાય છે.

તાજેતરમાં સીરિયાના ઘોઉટા નગર પર સીરિયા અને રશિયાના લશ્કરે કરેલા હુમલામાં પાંચ દિવસમાં કુલ 462 લોકોનાં મોત થયાં અને એમાં 99 તો બાળકો હતાં, એ હકીકત જાણીને સમગ્ર વિશ્વમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ગમે તે માનો, લોકો વધારે સંવેદનશીલ બન્યા છે અને એટલે જ લોકશાહી ધરાવતા દેશો માટે યુદ્ધે ચડવું એટલું આસાન નથી. તમને લોકશાહી પસંદ છે કે લોહિયાળ યુદ્ધો?

(‘દિવ્ય ભાસ્કર’ની 28મી ફેબ્રુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, July 19, 2017

લોકશાહીના લડવૈયાની વિદાય

દિવ્યેશ વ્યાસ


લ્યૂ શ્યાબાઓનું નિધન માત્ર એક વ્યક્તિની વિદાય નથી, પણ ચીનમાં લોકશાહીના એક જીવતાજાગતાં સપનાનો અંત છે

(તસવીર ગૂગલ પરથી શોધીને મેળવેલી છે.)

Freedom of expression is the foundation of human rights, the source of humanity, and the mother of truth. (અભિવ્યક્તિની આઝાદી માનવ અધિકારનો પાયો છે, માનવતાનો સ્રોત છે અને સત્યની માતા છે.) આ શબ્દો છે ચીનમાં લોકશાહી, વ્યક્તિગત સ્વતંત્રતા, અભિવ્યક્તિની આઝાદી અને માનવ અધિકાર માટે આખરી શ્વાસ સુધી સંઘર્ષરત લ્યૂ શ્યાબાઓના. તાજેતરમાં ગયા ગુરુવારે 13મી જુલાઈ, 2017ના રોજ 61 વર્ષના લ્યૂ શ્યાબાઓનું નિધન થયું. મોતનું દેખીતું કારણ તો લીવરનું કેન્સર ગણાવાયું છે, પણ કેન્સર પીડિત કરતાં તેઓ ચીની શાસકોની ક્રુરતાથી વધારે પીડિત હતા. વર્ષ 2009થી 11 વર્ષની કેદની સજા કાપી રહેલા લ્યૂને કેન્સરનું નિદાન થવા છતાં ચીની સરકારે તેમને ઝડપી અને આધુનિક સારવાર આપવાની તસદી લીધી નહોતી. લ્યૂની તબિયત અત્યંત ખરાબ થઈ, કેન્સર લગભગ આખરી તબક્કામાં વ્યાપી-વકરી ગયું ત્યારે તેમના મેડિકલ પેરોલ મંજૂર કરાયા અને જૂનના આખરી સપ્તાહમાં જ તેમને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયા. આ માણસ હવે કોઈ કાળે બચશે નહીં એવી ખાતરી થયા પછી જ તેમની સારવાર શરૂ કરવામાં આવી અને એ પણ અત્યાધુનિક મેડિકલ સુવિધા વિનાની હોસ્પિટલમાં. ચીની શાસકો કોઈ પણ રીતે આ માણસને મારી જ નાખવા માગતા હતા, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

એક માણસ એવો તે કેટલો બળવાન કે એક મહાસત્તા તેના અંતિમ શ્વાસ સાથે નિરાંતનો દમ લે! એવું તે શું હતું લ્યૂ શ્યોબાઓમાં કે ચીની શાસકોને તેઓ આંખના કણાની જેમ ખટકતા હતા? લ્યૂ શ્યાબાઓ સાક્ષર હતા, શિક્ષક હતા, સવાલકર્તા હતા, બૌદ્ધિક હતા, આંદોલનકારી હતા, લેખક હતા, માનવ અધિકારવાદી હતા, લોકશાહીના સમર્થક હતા, અભિવ્યક્તિની આઝાદીના લડવૈયા હતા... આ બધાથી ઉપર સત્યના ચાહક હતા અને માનવતાના ઉપાસક હતા, તમે જ કહો આવાં લક્ષણો અને પ્રવૃત્તિઓવાળો માણસ તો કયું શાસન સાંખી લે?! શ્યાબાઓએ જેલ પસંદ કરી, સત્તાધીશોની સતામણી અને સીતમ સહન કર્યા પણ પોતાને જે સત્ય લાધ્યું તેની સાથે સમાધાન કદી ન કર્યું. અનેક દેશોના આશ્રય આપવાના પ્રસ્તાવો છતાં શ્યાબાઓએ કદી પોતાનો દેશ ન છોડ્યો અને દેશમાં કોઈ પણ ભોગે લોકશાહીની પોતાની લડત પણ ન છોડી.

લ્યૂ શ્યાબાઓનું નામ સૌથી પહેલા 1989ની સાલમાં તિઆનમેન ચોક પરના વિદ્યાર્થીઓના આંદોલન વખતે ચર્ચામાં આવ્યું હતું. ‘ફોર જેન્ટલમેન્સ ઑફ તિઆનમેન સ્ક્વેર’માંના એક એવા લ્યૂ ત્યારે કોલંબિયા યુનિવર્સિટીના વિઝિટિંગ સ્કોલર હતા. વિદ્યાર્થી આંદોલનમાં સહયોગ આપવા માટે તેઓ અમેરિકા છોડીને ચીનમાં પાછા ફર્યા અને આંદોલનના બીજા તબક્કા (ભૂખ હડતાળ) વખતે જોડાયા હતા. આ આંદોલન તેમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની ગયું. આંદોલન દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને હિંસક બનતાં અટકાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી તો 4 જૂન, 1989ના રોજ ચીની શાસકોએ આંદોલનને કચડી નાખવા માટે તિઆનમેન ચોક પર આંદોલન કરનારા વિદ્યાર્થીઓ પર બંદૂકની ગોળીઓ અને ટેન્કરોથી તોપગોળા છોડ્યા ત્યારે વિદ્યાર્થીઓને સલામતીપૂર્વક સ્થળ છોડી દેવા માટે રસ્તો કરી આપવા માટે પણ સત્તાધીશો સાથે વાટાઘાટો કરીને મૃત્યુઆંકને ઓછામાં ઓછો રાખવા મથ્યા હતા. આ આંદોલન પછી તેમને કારાવાસ ભોગવવો પડ્યો અને જીવનના આખરી શ્વાસ સુધી તેમણે ચીની સત્તાધીશો સામે ઝઝૂમવું પડ્યું હતું.

વર્ષ 2008માં તેમણે ‘ચાર્ટર 08’ના નામે જાણીતી થયેલી અરજી કરી હતી, જેમાં ચીનમાં રાજકીય ક્રાંતિ થકી ચીનની એક જ રાજકીય પક્ષ કમ્યૂનિસ્ટ પાર્ટીના આધિપત્યને ખતમ કરવાનું આહ્્વાન કર્યું હતું. ચીનમાં લોકશાહીની સ્થાપના માટે અવાજ બુલંદ કર્યો હતો. આ અરજીને કારણે તેમને 2009માં 11 વર્ષની જ જેલની સજા ફટકારવામાં આવી હતી. ચીન સરકારને તેમના પર એટલી બધી દાઝ હતી કે વર્ષ 2010માં તેમને જ્યારે શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો ત્યારે તેમને એ લેવા જવા દેવાયા નહોતા, ઊલટું તેમના પર સીતમ વધી ગયા. તેમનાં પત્નીને લ્યૂ શિયાને પણ નજરકેદ કરી લેવાયાં. (લ્યૂના નિધન પછી તેમને મુક્ત કર્યાના અહેવાલો છે.) લ્યૂએ પોતાને મળેલા નોબેલને 4 જૂન, 1989ના રોજ તિઆનમેન ચોક પર શહીદ થયેલા યુવાનોને અર્પણ કર્યો હતો!

આર્થિક વિકાસ સાધીને કોઈ દેશ મહાસત્તા બની શકે, પરંતુ પોતાના શ્રેષ્ઠ, બૌદ્ધિક-વિચારવંત અને ઉદારમતવાદી નાગરિકોની આઝાદી છીનવનાર, તેમને દબાવનાર-સતાવનાર દેશ ક્યારેય મહાન રાષ્ટ્ર બની શકે નહીં.

લ્યૂનું નિધન માત્ર એક વ્યક્તિની વિદાય નથી, પણ ચીનમાં લોકશાહીના એક જીવતાજાગતાં સપનાનો અંત છે! ૐ શાંતિ!

(‘દિવ્ય ભાસ્કર’ની 19મી જુલાઈ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 14, 2017

સંસદ પર હુમલાનો સિલસિલો

દિવ્યેશ વ્યાસ

સંસદો અને વિધાનસભાઓ પરના આતંકી હુમલા પુરવાર કરે છે કે કટ્ટરપંથીઓ લોકશાહીને ધિક્કારે છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

આતંકવાદી હુમલાનું પ્રમાણ દિવસે દિવસે ઘટવાને બદલે વધી રહ્યું છે. આતંકવાદીઓ જાહેર ભીડભાડવાળાં સ્થળો પર ત્રાટકીને વધુ ને વધુ લોકોની હત્યા કરીને હાહાકાર મચાવવાની ફિતરત ધરાવતા હોય છે. ધાર્મિક સ્થળો પણ તેમના નિશાના પર હોય છે. જોકે, સૌથી નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા કેટલાક સમયથી આતંકવાદીઓ જે તે દેશની સંસદ અને વિધાનસભાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. ગયા બુધવારે 7મી જૂન, 2017ના રોજ ઈરાનની સંસદ પર આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈરાનની રાજધાની તહેરાનમાં ઈરાનની સંસદ ઉપરાંત ક્રાંતિકારી નેતા આયાતોલ્લાહ ખોમેનીના મકબરા પર પણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 14 લોકોનાં મોત થયાં હતાં. આ આતંકી હુમલાની જવાબદારી કુખ્યાત આતંકી સંગઠન આઈએસઆઈએસે લીધી હતી. ચાર સશસ્ત્ર આતંકીઓ મહિલાનાં વસ્ત્રોમાં વિઝિટર્સ ગેટથી સંસદ પરિસરમાં ઘૂસ્યા હતા. રાઇફલ અને પિસ્તોલ જેવાં હથિયારોથી સજ્જ આતંકીઓ સંસદને બાનમાં લેવાનો ઇરાદો ધરાવતા હતા, પરંતુ તેમને ઠાર કરીને હુમલાને નિષ્ફળ બનાવાયો હતો. ઈરાન પછી આઈએસઆઈએસે હવે સાઉદ અરબને હુમલા માટે તૈયાર રહેવાની ધમકી ઉચ્ચારી હતી.

ઈરાનની સંસદ પર હુમલા અગાઉ આતંકીઓએ લંડન ખાતે પણ બ્રિટિશ સંસદ બહાર આતંકી હુમલો કર્યો હતો. 22મી માર્ચ, 2017ના રોજ બ્રિટિશ સંસદની બહાર ગોળીબારો કરવા ઉપરાંત આતંકીઓએ લોકોને કારની નીચે કચડી નાખીને હાહાકાર મચાવવાની પણ કોશિશ કરી હતી. સંસદની પાસે વેસ્ટમિનિસ્ટર બ્રિજ નજીક આતંકી હુમલો થયો ત્યારે બ્રિટિશ સંસદમાં આશરે 200 સાંસદો મોજૂદ હતા. આતંકી હુમલાને કારણે સંસદની કાર્યવાહી અટકાવી દઈને સંસદભવનને લૉક કરી દેવાયું હતું. આતંકી હુમલામાં એક મહિલાનું મોત થયું હતું તો ડઝનેક લોકો ઘવાયા હતા.

સંસદ પર આતંકી હુમલાની વાત નીકળે ત્યારે નવી દિલ્હી ખાતે આપણા સંસદભવન પર થયેલો હુમલો તો કેમ ભુલાય? 13 ડિસેમ્બર, 2001ના રોજ જૈશે મોહમ્મદના પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો. સફેદ એમ્બેસેડરમાં સંસદ પરિસરમાં ઘૂસી ગયેલા આતંકીઓએ 30 મિનિટ સુધી સંસદ પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. જોકે, સંસદમાં તૈનાત સુરક્ષાકર્મીઓએ આતંકીઓનો સામનો કરીને ઠાર માર્યા હતા. સુરક્ષા જવાનોએ ભારતીય સંસદ અને દેશની સુરક્ષાવ્યવસ્થાની લાજ બચાવી હતી. આતંકવાદીઓનો સામનો કરતાં કરતાં દિલ્હી પોલીસના પાંચ જવાન, સીઆરપીએફનાં એક મહિલા કોન્સ્ટેબલ અને સંસદના બે ગાર્ડ શહીદ થયા હતા તથા 16 જવાનો ઘાયલ થયા હતા. સંસદમાં ઘૂસેલા આતંકીઓ એકે-47 જેવાં શસ્ત્રો ઉપરાંત વિસ્ફોટકો પણ લાવ્યા હતા. એ વખતે સંસદ ચાલુ હતી અને આતંકીઓનો ઇરાદો સાંસદોને બાનમાં લેવાનો હતો. જોકે, આતંકીઓ ફાવી શક્યા નહોતા.

સંસદ ઉપરાંત વિધાનસભાઓ પણ આંતકી હુમલાનો ભોગ બનેલી છે. 1 ઑક્ટોબર, 2001ના રોજ જૈશે મોહમ્મદના ત્રણ આંતકીઓએ શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલો કર્યો હતો. કાર બૉમ્બથી વિધાનસભાને ઉડાવી દેવાનું ષડ્્યંત્ર રચાયું હતું. આતંકીઓ વિધાનસભાના મુખ્ય દ્વાર સુધી પહોંચી ગયા હતા અને કાર બૉમ્બ ફોડ્યો હતો, જેમાં 38 લોકો અને ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.

ભારત ઉપરાંત પાકિસ્તાનમાં લાહોર વિધાનસભા પણ આતંકી હુમલાનો ભોગ બની ચૂકી છે. 13 ફેબ્રુઆરી, 2017ના રોજ લાહોરની વિધાનસભાની બહાર આતંકી હુમલો કરાયો હતો, જેમાં 16 લોકોના જીવ ગયા હતા અને 81 નિર્દોષ નાગરિકો ઘવાયા હતા.

આતંકવાદીઓના સંસદ અને વિધાનસભા પરના હુમલાઓ પરથી સ્પષ્ટ છે કે કટ્ટરવાદીઓ લોકશાહીને ધિક્કારે છે. સંસદ લોકશાહીનું પ્રતીક જ નહીં મંદિર પણ છે. આતંકવાદીઓને લોકોનું શાસન, કાયદાનું શાસન પસંદ નથી, તેમને તો લોહીની નદીઓ વહાવવી હોય છે. લોકશાહી મૂલ્યો અને કટ્ટરતા ક્યારેય એકસાથે ચાલી શકે નહીં. આતંક સામે હંમેશાં લોકોની સત્તા અને એકતા જ જીતતી હોય છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 14મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, February 1, 2017

મોરારજીભાઈની પુરસ્કારબંધી

દિવ્યેશ વ્યાસ


બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે મોરારજી દેસાઈએ વડાપ્રધાન બન્યા પછી પદ્મ પુરસ્કારોની પ્રથા એક ઝાટકે બંધ કરી દીધેલી



ગુજરાતી વડાપ્રધાન હોવાનો એક ફાયદો ગુજરાતને ચોક્કસપણે મળી રહ્યો છે કે રાષ્ટ્રીય સ્તરના નાગરિક સન્માનોમાં હવે ગુજરાતીઓની સંખ્યા અગાઉની સરખામણીએ વધારે જોવા મળી રહી છે. તાજેતરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કુલ 89 સન્માનનીય નાગરિકોને પદ્મ પુરસ્કારો જાહેર થયાં, જેમાં સાત ગુજરાતીઓનો સમાવેશ થયો હતો. પદ્મ પુરસ્કૃતોની યાદીને રાજ્યવાર વહેંચીને જોઈએ તો આ વર્ષે સૌથી વધારે આઠ પુરસ્કાર મેળવીને મહારાષ્ટ્ર નંબર-1 રહ્યું તો 7-7 પદ્મ પુરસ્કાર હાંસલ કરીને ગુજરાત અને તામિલનાડુ બીજા ક્રમે રહ્યા. કેરળ અને કર્ણાટક 6-6 પદ્મ પુરસ્કાર સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાતીઓ પોંખાય અને દેશના ટોચનાં નાગરિક સન્માનો પ્રાપ્ત કરે, એ જોઈને ગુજરાતી તરીકે કોઈ પણને ગર્વ થાય જ. પદ્મ પુરસ્કાર મેળવનારા સૌ મહાનુભાવોને હાર્દિક અભિનંદન!

ગુજરાતમાં પીએચ.ડી.ની પદવીની જેમ જ પદ્મશ્રી સન્માન મેળવનારાઓની સંખ્યા પણ સતત વધતી જ જાય છે. અન્ય ક્ષેત્રની સરખામણીએ ગુજરાતના સાહિત્યકારોમાં બે મહત્ત્વાકાંક્ષાઓ ખાસ્સી ચર્ચાસ્પદ બને છે, એક - પદ્મ પુરસ્કાર અને બીજો રાજ્યસભાનું સભ્યપદ. રાજ્યસભાના નામાંકિત સભ્ય બનવાનું સપનું તો ભાગ્યે જ કોઈનું ફળે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી પદ્મશ્રી સન્માન મેળવનારાની સંખ્યા વધી રહી છે, એ નોંધપાત્ર હકીકત છે.

અલબત્ત, લેખનો ઉદ્દેશ પદ્મ પુરસ્કારનું મહત્ત્વ, પદ્મ પુરસ્કાર માટેના ધખારા કે એ માટેના પ્રયાસોની ચર્ચા કરવાનો બિલકુલ નથી.  આ લેખ લખવાનો ધક્કો પહોંચાડનાર ઐતિહાસિક હકીકત એ છે કે સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈએ સત્તા પર આવ્યા પછી પદ્મ પુરસ્કારો-નાગરિક સન્માનની પ્રથાને બંધ કરી હતી. હા, કટોકટી પછી ઇન્દિરા ગાંધીની કૉંગ્રેસનાં સૂપડાં સાફ કરીને સત્તામાં આવેલા જનતા મોરચાની દેશની સર્વપ્રથમ ગઠબંધન સરકારના વડા તરીકે મોરારજી દેસાઈએ જુલાઈ - 1977માં સરકાર દ્વારા અપાતાં સન્માનોને ‘વાહિયાત અને રાજકારણયુક્ત’ ગણાવીને તેની પ્રથાને એક ઝાટકે બંધ કરાવી દીધી હતી. નોટબંધીના દિવસોમાં મોરારજી દેસાઈએ પણ કાળાં નાણાંના દૂષણને ડામવા માટે ઈ.સ. 1978માં રૂ. 1000, રૂ. 5000 અને રૂ. 10,000ની નોટને ચલણમાંથી રદ કરી હતી તે ઘટનાને વારંવાર યાદ કરવામાં આવી હતી, પરંતુ મોરારજી દેસાઈએ પોતાના શાસનકાળ દરમિયાન નોટબંધી ઉપરાંત પુરસ્કારબંધી પણ કરી હતી, એ હકીકત બહુ ઓછા લોકો જાણતા હશે. મોરારજી દેસાઈએ પુરસ્કારબંધી કરી તેની પાછળનાં જે કારણો હતાં, તે આજે પણ અસ્તિત્વમાં છે, પણ હવે એ દિશામાં વિચારવાનું ભાગ્યે જ કોઈને ‘સાનુકૂળ’ જણાઈ રહ્યું છે. સત્તાધારી પક્ષ કરતાં જુદી વિચારધારા ધરાવનારાઓને આજે આવાં સન્માનો નથી મળી રહ્યા છતાં પણ તેઓ આ મામલે મૌન રાખવાનું જ વધારે પસંદ કરે છે, કારણ કે કાલે સરકાર બદલાય તો તેઓ પણ લાભાર્થી બની શકે!

મોરારજી દેસાઈની ગઠબંધન સરકાર તો માંડ બે-અઢી વર્ષ ચાલી અને ઇન્દિરા ગાંધી ફરી સત્તા પર આવ્યાં. તેમણે નાગરિક સન્માનોની પરંપરાને 1980ની સાલથી પુન:જીવિત કરી હતી. જોકે, 1992ના વર્ષમાં સરકાર દ્વારા અપાતાં સન્માનો વિરુદ્ધ જાહેર હિતની અરજીઓ કરવામાં આવી. એક અરજી ફેબ્રુઆરી-1992માં બાલાજી રાઘવન અને અન્યો દ્વારા કેરળ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી તો બીજી અરજી સત્યપાલ આનંદ દ્વારા ઑગસ્ટ-1992માં મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જાહેર હિતની અરજી કરનારાઓની મુખ્ય દલીલ એ હતી કે બંધારણની કલમ 18 (1) અનુસાર સરકાર દ્વારા અપાતા સન્માન-ઇલકાબને નાબૂદ કરવામાં આવ્યા છે ત્યારે પદ્મ પુરસ્કારો બંધારણ વિરુદ્ધ છે. 25 ઑગસ્ટ, 1992ના રોજ મધ્યપ્રદેશ હાઇકોર્ટે નાગરિક સન્માનો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચેલો અને પાંચ ન્યાયાધીશોની ડિવિજન બેન્ચને સોંપાયો હતો. આ ખંડપીઠે 15 ડિસેમ્બર, 1995ના રોજ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ભારત રત્ન અને પદ્મ પુરસ્કારો બંધારણમાં દર્શાવેલા ‘ટાઇટલ્સ’ અંતર્ગત આવતા નથી અને એ પછી પદ્મ પુરસ્કારો આપવાનું ફરી થયું હતું.

સન્માન-ઇલકાબ આપવાની પ્રણાલી બ્રિટિશ શાસનમાં ખૂબ પ્રચલિત હતી. સર, નાઇટ, લૉર્ડ, કિંગ વગેરે જાતભાતના નામધારી ઇલકાબો (ટાઇટલ્સ) સન્માનનીય (બ્રિટિશર્સની દૃષ્ટિએ) લોકોને અપાતા હતા. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને નાઇટનો ઇલકાબ તો સુધારાવાદી રામમોહન રાયને રાજા (કિંગ)નો ઇલકાબ બ્રિટિશર્સ દ્વારા જ અપાયા હતા. ટાગોરે તો જલિયાંવાલાબાગ હત્યાકાંડ પછી ઇલકાબ પાછો આપી દીધેલો.  બંધારણમાં આ ટાઇટલ્સને નાબૂદ કરવા માટે એક વિશેષ કલમ 18 ઉમેરવામાં આવી હતી. આઝાદી પછી છેક ઈ.સ. 1954માં નાગરિક સન્માનો શરૂ કરાયા હતા. આજે પણ નાગરિક સન્માનોનો ઉપયોગ તમે તમારા નામની આગળ કે પાછળ કરી શકતા નથી, કારણ કે આ સન્માન છે, પણ ઇલકાબ નથી. સરકારની અધિકૃત વેબસાઇટ (http://www.padmaawards.gov.in) પર આ સન્માનનો ઉલ્લેખ નામની આગળ કે પાછળ ન કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે, છતાં કેટલાક ઉત્સાહી લોકો પોતાના નામ આગળ ‘પદ્મશ્રી’ લખવા-લખાવવાનો મોહ છોડી શકતા નથી!

ખેર, પ્રશંસા-કદર-પુરસ્કાર વ્યક્તિને વધુ સારું કામ કરવા માટે પ્રોત્સાહક નીવડતા હોય છે. મોટાં સન્માનો વ્યક્તિને વધારે જવાબદાર પણ બનાવી શકે છે, છતાં સરકારી સન્માનોમાં રખાતા પક્ષપાત કે રમાતા રાજકારણવાળી મોરારજીભાઈની દલીલ સાથે કોણ સહમત નહીં થાય? સમાજમાં સન્માનો ચોક્કસપણે જરૂરી છે, પરંતુ જે તે ક્ષેત્રની સંસ્થાઓ તે આપે તો વધારે યોગ્ય ગણાય. લોકશાહી સરકારે ‘રાજા-મહારાજાવાળી’ કરવાનો કોઈ મતબલ કે જરૂર નથી.

(‘દિવ્ય ભાસ્કર’ની 1 ફેબ્રુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - મૂળ પ્રત)

Wednesday, January 25, 2017

યાદ રાખજો, તમે નાગરિક છો!

દિવ્યેશ વ્યાસ


દેશમાં વ્યાપ્ત આર્થિક, સામાજિક, શાસકીય અને રાજકીયથી માંડીને રોજિંદી સમસ્યાઓનાં મૂળમાં જઈએ જોઈશું તો ભારતીય નાગરિક તરીકેની આપણી અભાનતા અને ઉદાસીનતાનો અહેસાસ થયા વિના રહેશે નથી



(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

તમને કોઈ પૂછે કે તમે કોણ છો ત્યારે તમે સૌથી પહેલાં તમારું નામ જણાવતા હશો, ક્યારેક ઉત્સાહમાં અટક સાથેનું પૂરું નામ પણ જણાવતા હશો. અટકના આધારે સામેવાળા મોટા ભાગે તમારી જ્ઞાતિ કે ધર્મનો અંદાજ મેળવી લેતા હોય છે અને વહેમ પડે તો ખાતરી કરવા જ્ઞાતિ પણ પૂછી લેતા હોય છે. સામેવાળાને વધુ પરિચય આપવાનું યોગ્ય લાગે તો તમે વધુમાં તમારો વ્યવસાય કે ગામ-શહેરનું નામ પણ જણાવતા હશો. તમને એવો એકેય પ્રસંગ યાદ છે કે જ્યારે તમે તમારો પરિચય ‘ભારતના નાગરિક’ તરીકે આપ્યો હોય? વિદેશજનારે કદાચ પાસપોર્ટ ચેક કરાવતી વખતે કહેવું પડતું હશે કે હું ભારતીય છું કે પછી ભારતનો નાગરિક છું. બાકી ભાગ્યે જ આપણા મનમાં એવી ભાવના પેદા થતી હોય છે કે, બંદા તો ભારતના નાગરિક છે! ભારતીય હોવાનો ગર્વ લેવાની તક આપણને વારંવાર મળતી હોય છે, પરંતુ ભારતીય નાગરિક હોવાની આપણી ઓળખ અને ભૂમિકા અંગે વિચારવાનું બહુ જવલ્લેજ બનતું હોય છે. દેશમાં વ્યાપ્ત આર્થિક, સામાજિક, શાસકીય અને રાજકીયથી માંડીને રોજિંદી સમસ્યાઓનાં મૂળમાં જઈએ જોઈશું તો ભારતીય નાગરિક તરીકેની આપણી અભાનતા અને ઉદાસીનતાનો અહેસાસ થયા વિના રહેશે નથી.

આવતી કાલે 26મી જાન્યુઆરી એટલે કે આપણો પ્રજાસત્તાક દિન છે. આ દિવસ આપણને ભારતીય નાગરિક હોવાનો અહેસાસ કરવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. 26મી જાન્યુઆરીનો દિવસ આપણને હંમેશાં યાદ કરાવતો રહે છે કે આપણે માત્ર આઝાદ જ નહીં પરંતુ પ્રજાસત્તાક દેશના નાગરિકો છીએ. આ એ જ દિવસ છે, જ્યારે આપણે આઝાદી પછી ઝંખેલું સ્વરાજ પ્રાપ્ત કરવા માટે એક નાગરિકની રૂએ કેટલાક પાયાના અધિકારો-હકો હાંસલ કર્યા હતા અને સાથે સાથે કેટલીક જવાબદારીઓ પણ સ્વીકારી હતી. પ્રજાસત્તાકનો દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે હવે કોઈ રાજા-શાસકની રૈયત નથી રહ્યા, જે રાંકડી હોય, પણ આપણે દેશના શાસન માટે જવાબદાર નાગરિકો છીએ. લોકશાહી રાજવ્યવસ્થામાં પણ સત્તાનું સુકાન ચોક્કસપણે અમુક લોકોના હાથમાં રહે છે, પરંતુ નાગરિકો સભાન અને સક્રિય હોય તો એ સત્તાધારી લોકોને નિયંત્રણમાં જરૂર રાખી શકે છે. લોકશાહીમાં શાસકો લોકમતને અવગણવાની ભૂલ ભાગ્યે જ કરતા હોય છે. સજ્જ, સક્ષમ અને સમજદાર નાગરિક હોય એ દેશમાં નેતાઓ ભાગ્યે જ પોતાની મનમાની કરી શકે છે. આજે દેશમાં નેતાઓ બેફામ અને બેફિકર છે, તો એના માટે નાગરિકોનું બેજવાબદાર વલણ વધારે કારણભૂત છે.
આજે 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાર દિવસ છે. 25મી જાન્યુઆરી એ આમ તો ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. વર્ષ 2011માં ચૂંટણી પંચની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે સરકારે આ દિવસને રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે મનાવવાનું શરૂ કર્યું હતું. આ દિવસ ખાસ તો મતદારોને જાગૃત કરીને તેમને નિયમિત મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો, સાથે સાથે કોઈ નાગરિક મતદારયાદીમાંથી બહાર ન રહે, મતદાનથી વંચિત ન રહે, એ સુનિશ્ચિત કરવાનો પણ હતો. મતદાર તરીકે આપણે સારી વ્યક્તિને આપણો નેતા-શાસક તરીકે ચૂંટવાનો હોય છે. મતદાર જેવું વાવે છે, દેશને એવું જ લણવાનું હોય છે.

અલબત્ત, નાગરિક એટલે માત્ર મતદાર જ નહીં. મતદાર તરીકે તો પાંચ વર્ષે એક વખત કે પછી અલગ અલગ સ્તરની ચૂંટણીઓ માટે વધીને ચાર-પાંચ વખત મતદાન કરીને ફરજ બજાવવાની હોય છે, પરંતુ નાગરિકની ભૂમિકા તો 24 X 7 નિભાવવાની હોય છે. પોતે માત્ર મતદાર નથી, પરંતુ આ દેશના જવાબદાર નાગરિક છે, એ વાતનો અહેસાસ સૌથી પહેલાં જનતાને થવો જરૂરી છે, પછી નેતાઓને તો એ વાત આપોઆપ સમજાઈ જવાની. મતબેન્કનું રાજકારણ હોય કે પછી કોમવાદી-જ્ઞાતિવાદી-પ્રાંતવાદી રાજકારણ, આ બદીઓ એક જ ઝાટકે નામશેષ થઈ જાય તો દેશનો દરેક વ્યક્તિ પોતાની નાત-જાત-કોમ-વર્ગ-ભાષા-પ્રદેશ વગેરે સાંકડા વાડાઓ ભૂલીને નાગરિક તરીકે વર્તતો થઈ જાય. પણ તમે સાંકડી ઓળખો ભૂલવા માટે તૈયાર છો?

દેશના બંધારણે આપણને નાગરિક તરીકેની ઓળખ આપી છે અને ઓળખ સાથે જ આપણા અધિકારો અને જવાબદારીઓ પણ જોડાયેલી છે. 26મી જાન્યુઆરીએ બીજું કંઈ થઈ શકે કે નહીં, ક્યાંકથી શોધીને પણ બંધારણના આમુખની સાથે સાથે નાગરિક તરીકેના અધિકારો અને ફરજો પર પણ એક નજર નાખી લેજો... પછી તમારે જે કરવું હોય તે, તમારી મરજી!

(‘દિવ્ય ભાસ્કર’ની 25મી જાન્યુઆરી, 20174ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, December 21, 2016

ટ્યૂનિશિયાના ક્રાંતિ+શાંતિકારી

દિવ્યેશ વ્યાસ


ટ્યૂનિશિયામાં ક્રાંતિ પછી શાંતિ અને સ્થિરતા લાવવા માટે રાશીદ ઘન્નુશીએ રાજકીય સ્તરે ગાંધીમાર્ગ અપનાવ્યો છે


(તસવીરો ગૂગલ પરથી મેળવેલી છે)

ડિસેમ્બર-2010માં ટ્યૂનિશિયામાં ક્રાંતિનો તણખો પ્રગટ્યો હતો અને ધીમે ધીમે આરબ વિશ્વમાં ક્રાંતિની જ્વાળાઓ પ્રજ્જ્વલિત થઈ હતી. એ જ્વાળાઓએ દાયકાઓથી એકહથ્થુ શાસન કરનારા સત્તાધીશોની રાજગાદીઓને આગ ચાંપી દીધી હતી અને તેમના રાજને ભસ્મીભૂત કરી દીધું હતું. અરબ વસંત તરીકે જાણીતી બનેલી એ ક્રાંતિની શરૂઆત ટ્યૂનિશિયાથી થઈ હતી, તેમ ક્રાંતિ પછી દેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવામાં પણ ટ્યૂનિશિયા અન્ય દેશો કરતાં અગ્રણી રહ્યું છે. ટ્યૂનિશિયાએ આજે પોતાનું બંધારણ રચી દીધું છે અને લોકશાહી સરકાર ચૂંટાઈને સારી રીતે શાસન ચલાવી રહી છે. ટ્યૂનિશિયામાં વહેલી શાંતિ અને રાજકીય સ્થિરતા સ્થપાવા પાછળ એક રાજનેતાની બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે, એ રાજનેતાનું નામ છે - રાશીદ ઘન્નુશી. રાશીદ ઘન્નુશીની રાજકીય સૂઝ, સમજદારી, સમતા, સહિષ્ણુતા, સમાદરની ભાવના તથા સર્વસમાવેશક અભિગમને કારણે ટ્યૂનિશિયા ઘણી આસાનીથી એક નવા રાષ્ટ્ર તરીકે ઉદયમાન થઈ શક્યું છે. રાશીદ ઘન્નુશીના રાજકીય અભિગમ અને વ્યવહારમાં ગાંધીમૂલ્યો ઝળક્યા કરે છે અને એટલે જ તેમને ટ્યૂનિશિયાના નેલ્શન મંડેલા પણ કહેવામાં આવે છે.

નોટબંધીના કકળાટને કારણે અનેક સારા સમાચારો આપણા ધ્યાન બહાર ગયા, એમાંના એક સમાચાર એ પણ હતા કે રાજકીય ક્ષેત્રમાં ગાંધીમાર્ગ અપનાવનારા રાશિદ ઘન્નુશીને ગયા નવેમ્બર મહિનામાં જ ભારત બહાર ગાંધીમૂલ્યોને પ્રોત્સાહન આપનારાઓને અપાતો પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો હતો.


રાશિદ ઘન્નુશીની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેઓ ઇસ્લામિક મૂલ્યોમાં જબરી શ્રદ્ધા ધરાવવાની સાથે સાથે એવો વિશ્વાસ પણ ધરાવે છે કે ઇસ્લામ અને લોકતાંત્રિક વ્યવસ્થા બહુ સારી રીતે એક સાથે ચાલી શકે છે. તેઓ ઇસ્લામના કટ્ટરતા કરતાં સર્વસમાવેશક પાસાંની વધારે હિમાયત કરે છે અને તેમના આ ઉદારવાદી દૃષ્ટિકોણનો લાભ સમગ્ર ટ્યૂનિશિયાને મળ્યો છે. ઘન્નુશીનો સુધારાવાદી એન્નાહદાહ પક્ષ ટ્યૂનિશિયામાં રાજકીય વર્ચસ્વ ધરાવે છે અને તેઓ ધારે તો આસાનીથી રાષ્ટ્રપ્રમુખ થઈ શકે એમ છે, પરંતુ તેમને સત્તા કરતાં દેશસેવામાં વધારે રસ છે. તેમણે જાહેર કરેલું છે કે તેમને રાષ્ટ્રપ્રમુખ સહિતના કોઈ રાજકીય પદમાં રસ નથી અને એટલે જ તેઓ દેશના રાષ્ટ્રપ્રમુખ કરતાં પણ વધારે લોકચાહના, સ્વીકાર્યતા અને સન્માન ધરાવે છે.

રાશિદ ઘન્નુશી વિદ્વાન છે અને ઇસ્લામના ઊંડા મર્મી છે. વળી, મુસ્લિમ બ્રધરહુડ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ અંગેનાં તેમનાં નિવેદનો જોઈને તમને તેઓ કટ્ટરવાદી નેતા પણ લાગી શકે, પરંતુ ટ્યૂનિશિયામાં તેમણે સેક્યુલર અભિગમ અપનાવ્યો છે અને સેક્યુલર પક્ષો, ડાબેરી પક્ષોને પણ સાથે લઈને ચાલી શક્યા છે. ટ્યૂનિશિયાના બંધારણમાં શરિયતની મોટા ભાગની બાબતોને આવરી લેવામાં આવી છે, છતાં પણ બંધારણને ઉદારમતવાદી અને સેક્યુલર બનાવી શકાયું છે. આવું કરવામાં કટ્ટરવાદી અગ્રણીઓનો ઉગ્ર વિરોધ પણ સહેવો પડી રહ્યો છે, છતાં ઘન્નુશી જેવા નેતૃત્વને કારણે સમતોલ અભિગમ લઈ શકાયો અને જાળવી શકાયો છે.

રાશિદ ઘન્નુશીની રાજનીતિનું સૌથી આકર્ષક પાસું રાજકારણમાં મહિલાઓની સહભાગિતા માટેની તેમની પ્રતિબદ્ધતા છે. તેમના પક્ષના ચૂંટાયેલા નેતાઓમાં મહિલાઓનું ઘણું ઊંચું પ્રમાણ છે. તેમની પહેલની સીધી અસર સમગ્ર રાષ્ટ્ર પર જોવા મળે છે. 2011ની ક્રાંતિ પછી દેશની બંધારણ સભાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મહિલા સભ્યો ચૂંટાઈને આવ્યાં હતાં. ઘન્નુશીના પક્ષ એન્નાહદાહની જ વાત કરીએ તો તેના 89 ચૂંટાયેલા સભ્યોમાંથી 42 મહિલા સભ્યો હતાં, જે પ્રમાણ ઘણું મોટું કહી શકાય. કોઈ મુસ્લિમબહુલ દેશમાં ટ્યૂનિશિયા આ બાબતે સૌથી અલગ તરી આવે છે. આ બાબત પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે.

આરબ ક્રાંતિ અગાઉનાં ઘણાં વર્ષો પહેલાંથી રાશિદ ઘન્નુશી દેશના રાજકારણમાં પરિવર્તન કરવા માટે સંઘર્ષરત હતા. દેશમાં એક પક્ષનું જ વર્ચસ્વ હતું ત્યારે એ રાજકીય માળખા સામે બળવો પોકારીને તેમણે બહુપક્ષીય લોકશાહીની હિમાયત કરી હતી. આ માટે તેમને ઘણાં વર્ષો જેલમાં પણ વિતાવવા પડ્યાં છે અને છેલ્લે તો તેમને દેશવટો જ આપી દેવામાં આવ્યો હતો.  ટ્યૂનિશિયામાં ક્રાંતિ થઈ અને બેન અલીના શાસનનો અંત આવ્યો પછી જ તેઓ સ્વદેશ પરત ફરી શક્યા હતા.

ક્રાંતિ પછી રાષ્ટ્રીય બંધારણ સભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ઘન્નુશીના એન્નાહદાહ પક્ષને બહુમતી પ્રાપ્ત થઈ હતી, છતાં ઘન્નુશીએ અન્ય પક્ષોને હંમેશાં પોતાની સાથે રાખ્યા અને નવા દેશના બંધારણમાં સૌનાં સૂચનો અને ભલામણોને આવકારીને સર્વસંમતિથી જ આગળ વધવાનો અભિગમ અપનાવ્યો હતો. વળી, તેમણે બેન અલીના શાસનમાં મોટા હોદ્દા ધરાવનારા લોકોને પણ આ પ્રક્રિયામાં સામેલ કર્યા હતા, આને કારણે પણ તેમને નેલ્સન મંડેલા સાથે સરખાવાય છે. બંધારણના ઘડતર પછી જ્યારે ચૂંટણી કરવાની વાત આવી ત્યારે નિષ્પક્ષ ચૂંટણીઓ થાય એ માટે તેમણે પોતાના પક્ષની સરકારને રાજીનામું અપાવીને તટસ્થ વહીવટીતંત્રની દેખરેખમાં ચૂંટણીઓ કરાવીને પણ લોકશાહી મૂલ્યો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુરવાર કરી હતી.

આજે જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બહુમતીવાદ વધી અને વકરી રહ્યો છે, ત્યારે ઘન્નુશીએ ટ્યૂનિશિયામાં બહુમતીવાદ ન વ્યાપે એની કાળજી લીધી છે. ઘન્નુશી જેવા સર્વસમાવેશક નેતા જ દેશને લાંબા ગાળાની સ્થિરતા અપાવી શકે. રાશિદ ઘન્નુશી જેવા નેતાઓની દરેક દેશને જરૂર હોય છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 21મી ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)