Wednesday, April 27, 2016

ચર્નોબિલ : ભૂલ ગયે પ્યારે?

દિવ્યેશ વ્યાસ

 

ચર્નોબિલ જેવી દુર્ઘટનાને ભૂલી ન શકાય, એની તીવ્ર પ્રતીતિ તાજેતરમાં ગુજરાતમાં વ્યારા નજીક આવેલ કાકરાપાર પરમાણુ પ્લાંટમાં થયેલી દુર્ઘટના પછી થયા વિના રહેતી નથી

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

ગઈ કાલે ચર્નોબિલ ખાતે 26મી એપ્રિલ, 1986ના રોજ બનેલી પરમાણુ દુર્ઘટનાને 30 વર્ષ પૂરાં થયાં. વિશ્વની સૌથી મોટી અને ઘાતક પરમાણુ દુર્ઘટનાને ત્રણ ત્રણ દાયકા વીત્યા હોવા છતાં આપણે એમાંથી ભાગ્યે જ કોઈ બોધપાઠ લીધો છે, ઊલટું આપણે પરમાણુ ઊર્જા માટે આંધળી દોડ લગાવી રહ્યા છીએ. ચર્નોબિલ જેવી દુર્ઘટનાને ભૂલી ન શકાય, એની તીવ્ર પ્રતીતિ તાજેતરમાં ગુજરાતમાં વ્યારા નજીક આવેલ કાકરાપાર પરમાણુ પ્લાંટમાં થયેલી દુર્ઘટના પછી થયા વિના રહેતી નથી.

આપણે ત્યાં જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં પરમાણુ મામલે મુશ્કેલી એ છે કે તેના અંગે સરકાર અને તંત્ર દ્વારા એટલી બધી ગોપનીયતા રાખવામાં ‌આવતી હોય છે કે ખરેખર શું બન્યું? કેટલું નુકસાન થયું? લોકોને કેવો ખતરો છે? જોખમથી બચવા માટે લોકોએ  શું ધ્યાનમાં રાખવું? વગેરે સવાલોના ભાગ્યે જ સાચા અને સરળ ઉત્તર મળી શકતા હોય છે. પરમાણુ દુર્ઘટનાની ભયંકર વાત એ છે કે તેનાં દુષ્પરિણામો વર્ષો સુધી ભોગવવા પડતાં હોય છે. વિજ્ઞાનીઓનું માનીએ તો પરમાણુનો અમુક કચરો  તો 2,50,000 વર્ષ સુધી વિઘાતક વિકિરણો ફેલાવતો રહે છે. રેડિયેશનના સંપર્કમાં આવનારા લોકોને વહેલામોડા કોઈને કોઈ પ્રકારનું કેન્સર થઈ જતું હોય છે અને રેડિયોએક્ટિવ પદાર્થોને કારણે બાળકો વિકલાંગ ને વિકૃત દશામાં પેદા થતા હોવાનું પણ જોવા મળે છે.

ચર્નોબિલ અત્યારે તો યુક્રેનમાં છે, પણ એ વખતે રશિયાનો તેના પર કબજો હતો. રશિયન સરકારે આ ઘટનાને દબાવી દેવાની કોશિશ કરેલી. જોકે, ચર્નોબિલથી આશરે 1,100 કિમી દૂર સ્વિડનના એક ન્યુકિલયર પ્લાન્ટના વિજ્ઞાનીઓએ પકડી પાડ્યું હતું કે ચર્નોબિલમાં કંઈક અઘટિત બન્યું છે અને રશિયાનો ભાંડો ફૂટ્યો હતો.

26મી એપ્રિલની પૂર્વ રાતે 1.23 કલાકે ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના એક રિએક્ટરમાં વીજપ્રવાહની કોઈ ખામી સર્જાતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રિએક્ટરનું એક હજાર ટનનું છાપરું ઊડી ગયું હતું. થોડી ક્ષણો પછી તરત બીજો વિસ્ફોટ થયો, જે પહેલાં કરતાં પણ જોરદાર હતો અને રિએક્ટરની ઈમારતને તહસનહસ કરી નાખી હતી. આ દુર્ઘટનામાં રિએક્ટરના કર્મચારીઓ અને ફાયરના 31 કર્મીઓ સહિત કુલ 64 લોકોનાં મોત થયાં હોવાનું સત્તાવાળાઓનું કહેવું હતું.જોકે, આ અકસ્માતને કારણે રેડિયોએક્ટિવ પદાર્થો જે આજુબાજુના વિસ્તારોમાં ફેલાયા, તેને કારણે મૃત્યુ પામનારા લોકોનો આંકડો લાખોમાં મંડાય છે. રશિયાના એક પ્રકાશન ‘ચર્નોબિલ'ના અંદાજ પ્રમાણે વર્ષ 1986 થી 2004 દરમિયાન રેડિઓએક્ટિવ અસરના કારણે લગભગ 9,85,000 લોકોનાં મોત થયાં છે.

ચર્નોબિલના અકસ્માત માટે કહેવાય છે કે હિરોશિમા અને નાગાસાકી કરતાં 200 ગણા વધારે રેડિયોએક્ટિવ આજુબાજુના વિસ્તારોમાં ફેલાયા હતા. ચર્નોબિલની દુર્ઘટના પછી આજુબાજુના વિસ્તારમાંથી લગભગ ૧ લાખ ૩૫ હજાર નાગરિકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. દુર્ઘટનાને કારણે પ્રસરેલા પરમાણુ વિકિરણોએ આજે પણ ચર્નોબિલના અમુક ઘેરાવામાં આવેલા યુક્રેન, બેલારૂસ અને રશિયાના વિસ્તારોના લોકોની જિંદગી બેહાલ કરી મૂકી છે.

તાજેતરમાં ગ્રીન પીસ દ્વારા ચર્નોબિલ અંગે જારી કરાયેલા અહેવાલ મુજબ દુર્ઘટનાનાં ત્રીસ વર્ષ પછી પણ આ વિસ્તારમાં રહેતા લોકો રેડિયો એક્ટિવથી દૂષિત ખાદ્યસામગ્રી આરોગવા મજબૂર છે. આ વિસ્તારમાં ઊગતી ખાદ્યસામગ્રી અને વન્ય પેદાશોમાં આજે પણ મર્યાદા કરતાં વધારે અને કેટલાક કિસ્સામાં તો 16 ગણું વધારે રેડિયેશનનું સ્તર જોવા મળે છે. ચર્નોબિલની આજુબાજુ વસતા લોકોને આજેય રેડિયેશન ફ્રી ફૂડ ખાવા મળતું નથી. ભોજન તો જવા દો દૂધ પણ ચોખ્ખું મળતું નથી, દૂધના નમૂનાઓમાં પણ રેડિયેશનનું ઊંચું સ્તર જોવા મળ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ ચર્નોબિલ દુર્ઘટનાને કારણે બેલારૂસ, યુક્રેન અને રશિયામાં નાના બાળકોમાં થાઇરોઇડ કેન્સરના પ્રમાણમાં મોટો વધારો જોવા મળ્યો છે.

વિકાસશીલ દેશ તરીકે આપણે સસ્તી ઊર્જાની ખાસ જરૂર છે, પરંતુ સલામતીના મુદ્દાને અવગણીને, લોકોની જિંદગીઓને જોખમમાં મૂકીને તેની પાછળ આંધળી દોડ ક્યારેક ચર્નોબિલ જેવી ઘાતકી ઘટનામાં પરિણમી શકે છે.
(‘દિવ્ય ભાસ્કર’ની 27મી એપ્રિલ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, April 20, 2016

ચંદાના પત્રનો ચળકાટ

દિવ્યેશ વ્યાસ


દેશનાં વિખ્યાત બેન્કર ચંદા કોચરે પોતાની દીકરીને લખેલો પત્ર એક વાર તો અચૂક વાંચવા જેવો છે


(તસવીર ચંદા કોચરની પુત્રી આરતીના ફેસબુક પેજ પરથી લીધી છે)

પત્ર-સાહિત્ય એ વળી કઈ બલા? એવો સવાલ આજના ઈ-મેઇલ, ટેક્સ્ટ મેસેજ અને ટ્વીટમાં રમમાણ લોકોને થઈ શકે છે. પત્રલેખન હવે આઉટ ઑફ ડેટ પ્રવૃત્તિ બની ગઈ છે, એ આજના જમાનાની મોટી કમનસીબી ગણવી રહી. લેખિત શબ્દની અને એમાંય વ્યક્તિગત સંબોધનથી લખાયેલી વાતની કેટલી મોટી અસર હોય છે, એનો અંદાજ આપણે ગુમાવતા જઈએ છીએ. વ્યક્તિની ઓળખનો ક્યાસ તેની આત્મકથા કરતાં પણ તેના પત્રો પરથી વધારે સારી રીતે કાઢી શકાય, એમાં બેમત નથી, કારણ કે પત્ર એ અંગત અને અનૌપચારિક માધ્યમ છે, જેમાં વ્યક્તિ ખૂલીને અને ખીલીને હૃદય ઠાલવતી હોય છે. ભગતસિંહ હોય કે ગાંધી-નેહરુ-પટેલ જેવા નેતાઓ કે પછી ટાગોર જેવા વિશ્વમાનવો કે કૃષ્ણમૂર્તિ જેવા આધ્યાત્મિક ચિંતકો... આ મહાનુભાવોના સંગ્રહિત પત્રો આજે મૂલ્યવાન મૂડી સમા છે. ગુજરાતના નેતાઓ અને મેઘાણી જેવા સાહિત્યકારોના પત્રોના સંપાદિત ગ્રંથો ઉપલબ્ધ છે, જેનું વાંચન દિલને ઠારે અને આંખને ઉઘાડે એવું ગુણકારી નીવડી શકે છે.

પત્ર-સાહિત્યની યાદ તાજી કરાવવાનું નિમિત્ત બન્યું છે સુધા મેનન દ્વારા સંપાદિત પુસ્તક ‘લીગસી : લેટર્સ ફ્રોમ એમિનન્ટ પેરેન્ટ્સ ટુ ધેર ડૉટર્સ’. આ પુસ્તકનું નામ સૂચવે છે એમ તેમાં માંધાતા માતા-પિતા દ્વારા તેમની દીકરીને લખાયેલા પત્રોનું સંપાદન કરાયું છે. ગયા સપ્તાહે આ પુસ્તકમાં સમાવિષ્ટ દેશનાં વિશ્વવિખ્યાત બેન્કર ચંદા કોચરનો તેમની દીકરી આરતીને લખેલો પત્ર વાઇરલ થયો હતો. આ પત્ર એક વાર અચૂક વાંચવા જેવો છે. વર્કિંગ વુમન તરીકે ચંદાબહેનના સંઘર્ષની વાતોની સાથે સાથે પોતાના અનુભવના નિચોડ રૂપ તેમણે પોતાની દીકરીને આપેલી શિખામણ સૌ કોઈ માટે પ્રેરક નીવડી શકે એવી સત્ત્વશીલ છે.

ચંદાબહેન પત્રમાં પોતાની દીકરીને ‘જોજે કોઈ તને ફોસલાવી ન જાય’ પ્રકારની કોઈ સલાહ આપતાં નથી અને એનું કારણ પત્રના પ્રારંભમાં તેમણે લખેલી એક વાત પરથી મળી જાય છે, ‘મારા જીવનનાં પ્રારંભિક વર્ષોમાં તેમણે (મારાં માતા-પિતાએ) જે મૂલ્યોનું મારામાં સિંચન કર્યું તેણે મારા વ્યક્તિત્વના પાયા ઘડ્યા, જેના પર આજેય હું જીવન જીવી રહી છું. અમારાં માતા-પિતાએ અમને ત્રણેય એટલે કે બે બહેનો અને એક ભાઈ સાથે કાયમ સમાન વ્યવહાર કર્યો. વાત શિક્ષણની હોય કે અમારા ભવિષ્યના આયોજનની. તેમણે અમારા લિંગના આધારે કદી પણ ભેદભાવ કર્યો નહોતો.’ આગળ લખે છે, ‘એ પ્રારંભિક પહેલે અમને આત્મવિશ્વાસી વ્યક્તિના સ્વરૂપે ઊભા કર્યા, જે પોતાના નિર્ણયો લેવા ખુદ સક્ષમ હોય.’

ચંદાબહેનના પત્ર પરથી સ્પષ્ટ સમજાય છે કે તેમનાં માતાનો તેમના પર જબરો પ્રભાવ છે અને એટલે જ પોતે માતા પાસેથી શું શીખ્યાં એની વાત કરીને એ જ શીખવા-સમજવાની ભલામણ તેઓ વારંવાર કરે છે.
ચંદાબહેન માત્ર 13 વર્ષનાં હોય છે ત્યારે તેમના પિતાનું અવસાન થાય છે. એ સંજોગોમાં તેમની માતાએ કઈ રીતે ગૃહિણીમાંથી ગૃહલક્ષ્મી બનીને પરિવારની તમામ જવાબદારીઓ એકલા હાથે ઉઠાવી લીધેલી એ યાદ કરીને ચંદા લખે છે, ‘એકલા પડી ગયા પછી પરિવારની સમગ્ર જવાબદારી એકલા ખભે ઊંચકી લેવી, એ તેમના માટે કેટલો મોટો પડકાર હશે, પરંતુ તેમણે ક્યારેય અમને એ વાતનો અંદાજ પણ આવવા દીધો નહોતો.’ પછી આગળ લખ્યું છે, ‘મેં મારી માતા પાસેથી એ પણ શીખેલું કે કંઈ પણ થઈ જાય, જિંદગીમાં આગળ વધતાં રહેવા માટે એ બહુ જરૂરી છે કે કપરા સંજોગો સામે લડવા માટે ક્ષમતા હોવી જોઈએ. વિપરીત સંજોગોમાં તૂટી જવાને બદલે તમારે પડકારોનો સામનો કરવો પડશે અને મજબૂત બનીને ઊભા થવું પડશે.’ પોતાની માતા પાસેથી શીખેલી બીજી એક વાત પણ તેઓ પુત્રીને લખે છે, ‘હું મારી માતા પાસેથી એ પણ શીખી કે કોઈ અજાણ્યા ડરના સંજોગોમાં સામંજસ્ય સ્થાપવું કેટલું જરૂરી છે! ખુદની કરિયર માટે સખત મહેનત કરવાની સાથે સાથે મારે મારા પરિવારની પણ સંભાળ લેવી પડતી હતી. જરૂર પડ્યે માતા પાસે કે સાસરી પક્ષના લોકો પાસે પણ જવું પડતું હતું. આના બદલામાં તેમણે ઉદારતા દેખાડીને મારી કરિયરને સમર્થન આપ્યું અને કોઈ શરત વિનાનો પ્રેમ આપ્યો. ધ્યાન રાખજે કે સંબંધો બહુ જરૂરી હોય છે, તેને પાળવા-પોષવા પડે છે. હંમેશાં એ પણ ધ્યાન રાખજે કે સંબંધો દ્વિમાર્ગી હોય છે. એટલે કોઈ પણ સંબંધમાં તમને સામેવાળી વ્યક્તિ પાસેથી જે મેળવવાની અપેક્ષા હોય, એવું જ આપવા પણ તૈયાર રહેવું.’

પોતાના પતિના સહકારનો ઉલ્લેખ કરીને ચંદાએ લખ્યું છે, ‘ઘરની બહાર વીતતા મારા સમય અંગે તારા પિતાએ મને ક્યારેય પણ ફરિયાદ કરી નથી કરી, બાકી આજે મારી જે કારકિર્દી છે, એ પ્રકારની પ્રગતિ શક્ય ન બની હોત.’

પ્રારબ્ધ અને પુરુષાર્થ અંગે ચંદાએ પોતાની દીકરીને બહુ સરસ વાત લખી છે, ‘હું નિયતિમાં માનું છું, પરંતુ તેની સાથે સાથે એ વાત પણ માનું છું કે સખત મહેનત અને કર્મઠતાની આપણા જીવનમાં અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. વ્યાપક રીતે જોઈએ તો આપણે સૌ આપણી નિયતિ ખુદ ઘડતા હોઈએ છીએ. તમારા નસીબને તમારા હાથમાં લો, જે પ્રાપ્ત કરવા માગતા હો તેનાં સપનાં જુઓ અને એ મુજબ તમારું ભાગ્ય ઘડો.’

સફળતા અંગે સુંદર વાત કરતાં દીકરીને ચંદાએ લખ્યું છે, ‘હું ઇચ્છું છું કે સફળતાની સીડી એક એક કરીને ચડે. આસમાન જેવું લક્ષ્ય ભલે બનાવ, પણ માર્ગના દરેક ડગલાનો આનંદ ઉઠાવતાં ઉઠાવતાં ધીમે ધીમે આગળ વધ. આ નાનાં નાનાં પગલાં જ તને મંજિલ સુધી પહોંચાડશે.’

આજની પેઢી તણાવગ્રસ્ત છે ત્યારે ચંદાએ દીકરીને આપેલી ટિપ્સ સાથે લેખ સમાપ્ત કરીએ, ‘તું જો તણાવને તારા પર હાવી થવાની તક નહીં આપે તો એ ક્યારેય તારી જિંદગીમાં સમસ્યારૂપ નહીં બને.’

નોંધ : ચંદા કોચરનો આખો પત્ર હિંદીમાં વાંચવા માટે આ લિંક (http://hindi.catchnews.com/culture/everyone-should-read-this-letter-of-icici-ceo-chanda-kochhar-1460642943.html) ક્લિક કરો અને અંગ્રેજીમાં વાંચવા માટે આ લિંકની (http://indianexpress.com/article/trending/trending-in-india/chanda-kochhar-letter-to-daughter/) મદદ લો.

(‘દિવ્ય ભાસ્કર’ના 20મી એપ્રિલ, 2016ના અંક સાથે પ્રસિદ્ધ ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમનો બિનસંપાદિત લેખ)

Tuesday, April 19, 2016

આર્યભટ્ટ : એક શુકનવંતી શરૂઆત

દિવ્યેશ વ્યાસ


ચાર દાયકા પહેલાં ભારતે પોતાનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ છોડ્યો હતો. છેલ્લાં ચાળીસ વર્ષમાં આપણે અંતરીક્ષ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ સાધીને અંતરીક્ષ ક્ષેત્રે સુપરપાવર દેશ બની ગયા છીએ


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

આજનો દિવસ રળિયામણો છે. ભારતે જાતે બનાવેલો પહેલો ઉપગ્રહ 'આર્યભટ્ટ' છોડયાને ૧૯મી એપ્રિલ, 2015ના રોજ ૪૦ વર્ષ થયેલાં. ચાર દાયકાની અંતરીક્ષ ક્ષેત્રની વિકાસયાત્રાએ ભારતની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવવાનું કાર્ય કર્યું છે. ભારતના વિજ્ઞાનીઓએ જાતે બનાવેલા ઉપગ્રહ 'આર્યભટ્ટ'ને રશિયાની ધરતી પરથી છોડવો પડયો હતો, જ્યારે આજે ભારત અનેક વિદેશી ઉપગ્રહોને છોડી આપવાનું કાર્ય વ્યાવસાયિક ધોરણે કરવા સજ્જ બની ગયો છે. આમ, આ ચાળીસ વર્ષમાં આપણે અંતરીક્ષ ક્ષેત્રે અભૂતપૂર્વ અને અદભુત પ્રગતિ સાધી છે અને ભારત અંતરીક્ષ ક્ષેત્રે સુપરપાવર દેશ બની ગયો છે.

અંતરીક્ષ ક્ષેત્રની ભારતની સિદ્ધિઓની ચર્ચા કરતા પહેલાં થોડીક વાત દેશના પ્રથમ સ્વદેશી ઉપગ્રહ 'આર્યભટ્ટ'ની કરી લઈએ. આર્યભટ્ટને બેંગલુરુ નજીક પીન્યામાં તૈયાર કરવામાં આવ્યો હતો. આર્યભટ્ટ એક પ્રાયોગિક અને લઘુ ઉપગ્રહ હતો, જેનું વજન ૩૬૦ કિલોગ્રામ હતું. આર્યભટ્ટમાં મોટાભાગની સામગ્રી ભારતીય વિજ્ઞાાનીઓ દ્વારા તૈયાર કરાયેલી જ વાપરવામાં આવી હતી, છતાં તેમાં બેટરી અને સોલર પેનલ જેવી કેટલીક ચીજો રશિયા દ્વારા મૈત્રીભાવે પૂરી પાડવામાં આવી હતી.


દેશના પહેલા સ્વદેશી ઉપગ્રહને પ્રખ્યાત ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞા આર્યભટ્ટનું નામ આપવામાં આવ્યું હતું, જેમણે બીજ ગણિતનો ઉપયોગ કરવા ઉપરાંત પાઇનું પરફેક્ટ માપ ૩.૧૪૧૬ શોધી કાઢયું હતું. આર્યભટ્ટ જેવા મહાન વ્યક્તિના નામ સાથે જોડાયેલા આ પ્રાયોગિક ઉપગ્રહનો ઉદ્દેશ દેશના વિજ્ઞાાનીઓને ઉપગ્રહ નિર્માણ અને અંતરીક્ષમાં તેના સંચાલનનો અનુભવ મળે અને ભારત ભવિષ્યમાં અંતરીક્ષ વિજ્ઞાાનમાં સ્વાવલંબી બનવાની દિશામાં આગળ વધી શકે એવો હતો. આર્યભટ્ટ થકી વિજ્ઞાાનીઓ ખગોળવિદ્યા, વાયુ વિજ્ઞાાન અને સૌર ભૌતિકશાસ્ત્ર (સોલર ફિઝિક્સ) અંગે સંશોધન હાથ ધરીને વધુ જાણકારી મેળવવા ધારતા હતા.

આર્યભટ્ટને ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના રોજ સોવિયત સંઘ (આજનું રશિયા)ના કાપુસ્તિન યાર ખાતેથી સી-૧ ઇન્ટરકોસ્મોસ નામના લોંચિંગ વિહિકલ દ્વારા છોડવામાં આવ્યો હતો. આર્યભટ્ટ છોડવામાં આવ્યો ત્યારે તેનો કાર્યકાળ છ વર્ષ એટલે કે માર્ચ-૧૯૮૧ સુધી નિર્ધારિત કરાયો હતો. જોકે, આર્યભટ્ટ અંતરીક્ષમાં પહોંચ્યા પછી પોતાના પરિક્રમાપથ પર માંડ ચાર દિવસ કાર્યરત રહ્યો હતો અને પછી તેમાં વીજ પુરવઠામાં કંઈક ગરબડ પેદા થતાં તમામ પ્રક્રિયા બંધ કરવી પડી હતી. પાંચમા દિવસથી તો આર્યભટ્ટ તરફથી સિગ્નલ મળવાં જ બંધ થઈ ગયાં હતાં. જોકે, આ નિષ્ફળતાએ જ ભારતની અંતરીક્ષ ક્ષેત્રની જ્વલંત સફળતાઓનો પાયો નાખ્યો હતો. આર્યભટ્ટના સફળ પ્રક્ષેપણથી ભારતીય વિજ્ઞાાનીઓનો જુસ્સો અને આત્મવિશ્વાસ વધ્યા હતા અને તે દિવસ પછી ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (ઈસરો) અને આપણા વિજ્ઞાાનીઓએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી છે.


આર્યભટ્ટની સિદ્ધિ પાશેરામાં પહેલી પૂણી જેવી હતી, જેને સમગ્ર દેશ દ્વારા વધાવી લેવામાં આવી હતી. આર્યભટ્ટની યાદમાં રૂપિયા બેની ચલણી નોટની પાછળ તેનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું તથા ટપાલ ટિકિટમાં પણ તેનું ચિત્ર મૂકીને તેનાં મીઠાં સ્મરણને જાળવવાની કોશિશ થઈ છે. આર્યભટ્ટના પ્રક્ષેપણમાં મદદરૂપ થનાર રશિયાએ પોતે પણ આર્યભટ્ટની ટપાલ ટિકિટ બહાર પાડી હતી, એટલું જ નહીં ૨૦૧૨માં તેણે બેંગલુરુ ખાતે આર્યભટ્ટનું સ્મારક બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરેલો. ભારતે તેને મંજૂર રાખેલો, પણ પછી શું થયું, ભગવાન જાણે!

ભારતે ૧૯૭૫માં આર્યભટ્ટ છોડયો ત્યારે પોતાનો ઉપગ્રહ છોડનારો તે ૧૧મો દેશ બન્યો હતો, જ્યારે આજે તેણે અંતરીક્ષ ક્ષેત્રે ટોપ ફાઇવ દેશોમાં દબદબાભેર સ્થાન હાંસલ કરી લીધું છે. આર્યભટ્ટ પછી ભારતે ભાસ્કર-૧ અને ૨, એપ્પલ, રોહિણી, આઈઆરએસ શ્રેણી, ઇનસેટ શ્રેણી, એજ્યુસેટ શ્રેણી, જીસેટ શ્રેણીના ઉપગ્રહો સહિત કુલ ૭૨ ઉપગ્રહો છોડયા છે. આટઆટલા ઉપગ્રહો ઉપરાંત ભારતે ૨૦૦૮માં ચંદ્રયાન-૧ અને ૨૦૧૩માં મંગળયાનનું સફળ પ્રક્ષેપણ કરીને દુનિયાને આપણી અંતરીક્ષ તાકાત દેખાડી દીધી છે. પોતાના પહેલાં બે-ત્રણ ઉપગ્રહો છોડવા માટે વિદેશી લોન્ચિંગ સ્ટેશન પર આધાર રાખનાર ભારત આજે વિદેશી ઉપગ્રહો લોંચ કરવાની વરદી મેળવીને વર્ષે દસ-દસ ઉપગ્રહ છોડતો થઈ ગયો છે. આનંદો!

ભારતીય અંતરીક્ષ વિજ્ઞાાનના જનક અને વિઝનરી ગુજરાતી વિજ્ઞાાની ડો. વિક્રમ સારાભાઈનો જય હો!

(‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં 19મી એપ્રિલ, 2015ના રોજ પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Thursday, April 14, 2016

નર્યા આદર્શો નહિ, નક્કર અધિકારોની વકીલાત કરનારા ડૉ. આંબેડકર

દિવ્યેશ વ્યાસ


ડૉ. આંબેડકર નામના 'ભારત રત્ન'ને માત્ર દલિત રત્ન તરીકે મૂલવવાની ભૂલ વહેલીતકે સુધારી લેવા જેવી છે.


(ડૉ. આંબેડકરની આ જાણીતી તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

દર વર્ષે ૧૪ એપ્રિલના રોજ આંબેડકર જયંતી ઊજવાય છે. આ વર્ષે (વર્ષ 2014) આંબેડકર જયંતી બહુ રંગેચંગે ઊજવાશે, કારણ કે (લોકસભાની રાષ્ટ્રીય) ચૂંટણીઓના માહોલમાં દેશના ૨૦ કરોડથી વધારે દલિત મતોની લાયમાં નાના નેતાઓથી માંડીને મોટાં માથાંઓની આંબેડકરભક્તિ જોર પડકશે. અહીં નોંધનીય વાત એ છે કે ૧૪ એપ્રિલ,૧૮૯૧ પોતાનો સાચો જન્મ દિવસ છે કે નહીં, એ બાબતે ખુદ આંબેડકર આશંકિત હતા! તેમણે પોતાના એક આત્મકથનાત્મક લખાણમાં જણાવ્યું છે, "મારા જન્મની કોઈ નોંધ નથી. એમને (પિતાજીને) મારી જન્મતારીખ લખી રાખવાની જરૂર નહીં લાગી હોય. હકીકતમાં એ બહુ સામાન્ય બાબત હતી. તેમ છતાં એટલું પણ એમનાથી થઈ શક્યું નહીં. એટલે આજે મારી જે જન્મતારીખ છે, તે સાચી હોવાનો દાવો હું કરી શકતો નથી." ખેર, આંબેડકર ૧૪મી એપ્રિલે જન્મ્યા હતા કે નહીં એના કરતાં આવા મહાનુભાવને આપણે કોઈ ને કોઈ નિમિત્ત ઊભું કરીને પણ યાદ કરવા જોઈએ, એ વધારે મહત્ત્વપૂર્ણ છે.

ડૉ. ભીમરાવ આંબેડકરને આપણે સૌ બંધારણના ઘડવૈયા તરીકે કે પછી આઝાદ ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે કે વધુમાં વધુ દલિત મસિહા તરીકે ઓળખીએ છીએ અને દુઃખની વાત એ છે કે એમના વિશેની જાણકારી આટલેથી પૂરી થઈ જતી હોય છે. આંબેડકરના સંઘર્ષમય જીવન કે ક્રાંતિકારી કાર્યો વિશે બહુ ઓછા લોકો જાણે છે. ડૉ. આંબેડકરને માત્ર દલિત નેતા તરીકે ઓળખીને આપણે તેમની સાથે બહુ મોટો અન્યાય કરતાં આવ્યા છીએ. દલિત કર્મશીલો અને દલિત મતદારો પર આધારિત રાજકીય પક્ષો ડૉ. આંબેડકરનું નામ આગળ કરતાં હોવાથી ડૉ. આંબેડકરની છબિ સંકુચિત રહી જવા પામી હશે, પણ ખરેખર તો સામાજિક સમાનતા માટે આજીવન મથનારા બાબાસાહેબનું ભારતીય સમાજમાં મહાન પ્રદાન રહ્યું છે, જેને કોઈ અવગણી શકે નહીં. બાબાસાહેબે દલિતો-વંચિતોના ઉદ્ધાર કે તેમના ન્યાય માટે જે સંઘર્ષ આદર્યો હતો તે આખરે તો આપણા સમાજને વધારે તંદુરસ્ત, સંગઠિત, સશક્ત અને ન્યાયપૂર્ણ બનાવવા માટે જ હતો ને!

ડૉ. આંબેડકરના જીવન અને સંઘર્ષ વિશે અનેક પુસ્તકો લખાયાં છે. આંબેડકરની જીવનકથા આલેખતાં પુસ્તકો પણ ઉપલબ્ધ છે, પણ તેમની આત્મકથા નથી. જોકે, તેમના આત્મકથનાત્મક લેખો, લખાણો અને પ્રવચનોનો ગુજરાતીમાં અનુવાદ કરીને ચંદુભાઈ મહેરિયા અને ઉર્વીશ કોઠારી દ્વારા 'દિલના દરવાજે દસ્તક' નામનું એક પુસ્તક તૈયાર કરાયું છે. આ પુસ્તકમાં આંબેડકરના બાળપણના પ્રસંગો ઉપરાંત વડોદરા અને અન્ય જગ્યાએ અછૂત તરીકે થયેલા કડવા અનુભવો જાણવા મળે છે. આ લખાણોના આધારે અંદાજ આવે છે કે બાબાસાહેબે એક દલિત તરીકે કેટકેટલું વેઠવું પડયું હતું.

'દિલના દરવાજે દસ્તક'માં આંબેડકરના બાળપણ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણવા મળે છે. તેમના જન્મ પછી કોઈ જ્યોતિષે કહેલું કે આ છોકરો અપશુકનિયાળ છે. જોકે, પોતાની પ્રતિભા અને પ્રચંડ કાર્યો થકી આંબેડકર દેશના કરોડો દલિતો માટે શુકનિયાળ સાબિત થયા છે! કોલંબિયા યુનિર્વિસટી, યુનિર્વિસટી ઓફ લંડન અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જેવી વિશ્વવિખ્યાત યુનિર્વિસટીઓમાં ભણેલા આંબેડકર નાના હતા ત્યારે તેમને ભણવાનું ગમતું નહોતું. આંબેડકરના શબ્દોમાં જ આ વાત જોઈએ : "શરૂઆતના વર્ષોમાં મને ભણવામાં રસ પડતો ન હતો. એ વખતે મને થતું, 'ભણીને શું ફાયદો?' છ મહિના સુધી મેં બાગકામ કર્યું... આજે વિચારતા લાગે છે કે કેવી હતી મારી એ જિંદગી!" તમને તરત પ્રશ્ન થશે તો પછી ભણવામાં રસ કેવી રીતે પડયો? આંબેડકરે લખ્યું છે, "મારા પિતાજી ઘણી વાર કહેતા, છાંયડામાં થાય એવું જ કામ કરજે." તેમના પિતાજી માત્ર શીખામણ આપીને અટકી ગયા નહોતા પણ બાબાસાહેબ જે કોઈ પુસ્તકની માગણી કરે તે બહેનોનાં ઘરેણાં ગિરવે મૂકીને પણ તેમને લાવી આપતા હતા!

આંબેડકરને બાળપણમાં અસ્પૃશ્યતાના અનેક આકરા અનુભવો થયેલા પરંતુ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને સ્વદેશ આવ્યા પછી તેમની લાયકાત, વિદ્વતા અને ક્ષમતા છતાં તેમને વડોદરા સહિતનાં સ્થળોએ જે કડવા અનુભવો થયા તેણે તેમના જીવનની દિશા બદલી નાખી. આંબેડકરે સમાજના બહિષ્કૃત લોકોના ન્યાય માટે લાંબી અને સંઘર્ષપૂર્ણ લડત આપી.

છૂતાછૂતને કારણે અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ આંબેડકરે આહલેક જગાવી હતી. ગાંધીજી પણ અશ્પૃશ્યતા નિવારણ માટે મથતા હતા. જોકે, આપણે ત્યાં મહાત્મા ગાંધી અને ડો. આંબેડકર એકબીજાના વિરોધી હોવાનું ચિતરવામાં આવે છે. તેમની વચ્ચે મતભેદ ચોક્કસપણે હતા. પણ અહીં યાદ રાખવું જોઈએ કે ડો. આંબેડકરે દલિતોને થતાં અન્યાય સામે ક્યારેય હથિયાર ઉપાડવાની હિમાયત કરી નહોતી, ઊલટું તેમણે ગાંધીચીંધ્યા માર્ગે અહિંસામય આંદોલનો જ ચલાવ્યાં હતાં. ગાંધી અને આંબેડકર બન્ને દલિતોનો ઉદ્ધાર અને સામાજિક-આર્થિક સમાનતા ઇચ્છતા હતા, પણ બન્નેના અભિગમમાં મુખ્ય તફાવત એ હતો કે ગાંધીજી મૂલ્યસ્થાપનામાં માનતા હતા, જ્યારે આંબેડકર માળખા (સામાજિક-આર્થિક-રાજકીય વ્યવસ્થા)માં ફેરફાર કરવાની હિમાયત કરતા હતા. ગાંધીજી આદર્શવાદી વિચારો ધરાવતા હતા, જ્યારે આંબેડકર અધિકારો થકી સશક્તિકરણની વકાલત કરતા હતા. ગાંધીજી આંબેડકરના આ અભિગમને બરાબર પામ્યા હતા અને એટલે જ તેમણે આંબેડકરને બંધારણ સભામાં સમાવવાનો આગ્રહ રાખ્યો હતો.

ડૉ. આંબેડકર નામના 'ભારત રત્ન'ને માત્ર દલિત રત્ન તરીકે મૂલવવાની ભૂલ વહેલીતકે સુધારી લેવા જેવી છે.

(મારી ‘સમય સંકેત’ કૉલમનો આ પહેલો લેખ છે, જે આંબેડકર જયંતી નિમિત્તે લખેલો. 
આ કૉલમ ‘સંદેશ’ની રવિવારની ‘સંસ્કાર’ પૂર્તિમાં 13મી એપ્રિલ, 2014ના રોજ પ્રકાશિત થયેલી.)

Wednesday, April 13, 2016

ખુશીઓને ઘણી ખમ્મા!

દિવ્યેશ વ્યાસ


ખૌફ અને ખુશી વચ્ચે ઝૂલતી દુનિયામાં આનંદ માટે જે સભાનતા વધી છે, એ આવકાર્ય છે


 (તસવીરો ગૂગલ પરથી મેળવી છે)

આપણાં ઉપનિષદ અનુસાર 'આનંદ બ્રહ્મ છે. આનંદ સાચું જ્ઞાન છે.' શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણને થયેલાં સંબોધનોમાંનું એક સંબોધન 'સચ્ચિદાનંદઘન' છે. આપણી સંસ્કૃતિમાં આનંદને કેન્દ્રમાં રાખીને તત્ત્વવિચાર કરાયો છે. આમ તો દરેક ધર્મનો ઉદ્દેશ માનવજાતની ખુશહાલી રહ્યો છે. આજના વિશ્વમાં આતંક અને આનંદ વચ્ચે જંગ જામ્યો છે. જોકે, ખૌફ અને ખુશી વચ્ચે ઝૂલતી દુનિયામાં આનંદ માટેની સભાનતા વધી રહી છે, એ આવકાર્ય છે. આનંદ માટેની વ્યાપક સભાનતાના બે પુરાવા એપ્રિલના પહેલા સપ્તાહમાં મળ્યા. એક, મધ્યપ્રદેશમાં હેપીનેસ મંત્રાલય સ્થપાયું અને બીજા, સ્પેનના વડાપ્રધાને કામના કલાકોમાં કાપ મૂકવાની જાહેરાત કરી. બન્ને જાહેરાતોનો દેખીતો ઉદ્દેશ તો જનતાની ખુશહાલી છે.


મધ્યપ્રદેશ દ્વારા સ્થાપિત હેપીનેસ મંત્રાલય દેશનું પ્રથમ આવું મંત્રાલય બન્યું છે. જોકે, યુએઈમાં સરકાર દ્વારા હેપીનેસ મંત્રાલય ચાલે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક વિકાસના ઇન્ડેક્સની જેમ હેપીનેસ ઇન્ડેક્સની પણ આકારણી શરૂ થઈ છે અને જીડીપીની સાથે સાથે હેપીનેસ ઇન્ડેક્સને પણ મહત્ત્વ મળવા લાગ્યું છે. ભૂતાન જેવો ભારતનો પાડોશી દેશ આર્થિક રીતે સધ્ધર નથી, પણ લોકોનાં સુખ-સંતોષનું સ્તર એટલું ઊંચું છે કે તે હેપીનેસ ઇન્ડેક્સમાં મેદાન મારી જાય છે. આર્થિક વિકાસદર અને ઝડપથી વિકસતા અર્થતંત્રમાં ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ છે, પરંતુ હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે 118મા ક્રમે છીએ. આવા સમયે મધ્યપ્રદેશ સરકારની પહેલ આવકાર્ય છે.



સ્પેનના વડાપ્રધાને પણ એક શકવર્તી નિર્ણય કરીને કામના કુલ કલાકોમાંથી બે કલાકનો કાપ મૂકીને લોકો વહેલાસર ઘરે પરત ફરી શકે એવી વ્યવસ્થા અમલમાં મૂકી છે. સ્પેન જનારા જાણે છે કે ત્યાં રોજ બપોરે 'રાજકોટવાળી' થતી હોય છે, એટલે કે બપોરના ત્રણ કલાક વામકુક્ષી માટે ફાળવાય છે. લોકો સવારે 10 વાગ્યે કાર્યસ્થળે પહોંચે ને રાતે આઠ વાગ્યે છૂટા થાય, પણ વચ્ચે ત્રણ કલાક આરામના મળે. સ્પેન સરકારે હવે ત્રણ કલાકમાંથી બે કલાકનો કાપ મૂકીને કર્મચારીને સાંજે વહેલા ઘરે જવાની સુવિધા કરી આપી છે, જેથી તેઓ પરિવાર સાથે વધારે સમય વિતાવી શકે અને પરિવારમાં ખુશહાલી પ્રવર્તે.
સ્વિડન પણ સપ્તાહમાં 6 દિવસોમાં માત્ર 36 કલાક કામ કરાવવાની યોજના પર વિચારણા કરી રહ્યું છે. અમુક સંસ્થાઓમાં કામના 8ને બદલે 6 કલાક કરી દેવાથી કર્મચારીના વર્તન અને કાર્યક્ષમતા બાબતે સકારાત્મક પરિણામો સાંપડ્યાં છે ત્યારે તેઓ દિશામાં આગળ વધવા ઉત્સુક છે.


(આનંદ-ઉત્સાહને વ્યક્ત કરતું પિંકી પુનિયાનું પેઇન્ટિંગ)

દુનિયામાં દરેક વ્યક્તિને સુખી-ખુશહાલ જીવન મળે માટેનાં સંસાધનોની કમી નથી, અસલી સમસ્યા આપણી માનસિકતા અને મેનેજમેન્ટની છે. લોકોને કામના કલાકો ઘટતાં સુખ મળી જશે કે પછી હેપીનેસ મંત્રાલય સૌની જિંદગીને હેપી હેપી કરી દેશે, એવી અપેક્ષા રાખી શકાય નહીં. આમેય સરકારી વ્યવસ્થા થકી ઘરે નળમાંથી ટપકતું પાણી વરસાદ જેવો આનંદ કે આહ્લાદકતા ક્યારેય આપી શકે નહીં. સત્યના સૂરજથી તપેલાં ભલાઈનાં વૃક્ષોની તપસ્યા થકી બંધાયેલાં સ્નેહનાં વાદળાં જ્યારે કરુણા રૂપે વરસે છે ત્યારે સાચું સુખ અને આનંદ અનુ‌ભવાય છે. આનંદ વિશે ઓશો રજનીશે કહેલી વાત યાદ રાખવા જેવી છે, 'આનંદ એવી વસ્તુ છે, જે તમારી પાસે હોય તોપણ તમે ધારો તો બીજાને આપી શકો છો.' આનંદ વહેંચવાથી વધે છે, તો તમે જાણો છોને?
(‘દિવ્ય ભાસ્કર’ની 13મી એપ્રિલ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ) 

Wednesday, April 6, 2016

હેન્રી ફોર્ડનો વારસો

દિવ્યેશ વ્યાસ

 

 7મી એપ્રિલે હેન્રી ફોર્ડની પુણ્યતિથિ છે ત્યારે તેમના વિચારો અને વારસાનું સ્મરણ કરીએ

(ઇલસ્ટ્રેશન - હોલી સિમોન, ફ્લોરિડા),
(સૌજન્યઃ http://www.mosi.org/what-to-do/mosi-outside/historic-tree-grove/henry-ford-sycamore.aspx)

ઑટોમોબાઇલ્સ ક્ષેત્રે સૌથી અવ્વલ એવું નામ એટલે હેન્રી ફોર્ડ (1863-1947). કાલે એટલે કે 7મી એપ્રિલે હેન્રી ફોર્ડની પુણ્યતિથિ છે. અમેરિકાના મહાન ઉદ્યોગસાહસિક તરીકે જ નહીં, પરંતુ મહાન શખ્સિયત તરીકે તેઓ અમર છે. હેન્રી ફોર્ડની મહાનતા એ હતી કે તેમણે અમેરિકાના મધ્યમ વર્ગના લોકોને મોટરકારમાં ફરતાં જોવાનું સપનું જોયું અને પોતાના અદમ્ય સાહસ અને સૂઝબૂઝથી એ સપનું સાકાર પણ કરી બતાવ્યું હતું. 1 ઑક્ટોબર, 1908ના રોજ તેમણે પોતાની ફોર્ડ કંપનીની કારનું ‘મૉડલ-ટી’ લૉન્ચ કર્યું અને અમેરિકાની ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી દીધી હતી.

મૉડલ-ટી થકી એફોર્ડેબલ કારનો કૉન્સેપ્ટ આપનારા હેન્રી ફોર્ડનો ઉત્પાદન પ્રક્રિયામાં મૂવિંગ એસેમ્બ્લી લાઇન્સનો કૉન્સેપ્ટ માસ પ્રોડક્શન ક્ષેત્રે અતિ ઉપકારક નીવડ્યો છે. આશરે 161 પેટન્ટ પોતાના નામે ધરાવતા હેન્રી ફોર્ડને બાળપણથી જ યંત્રોમાં અખૂટ રસ હતો, છતાં તેમની માનસિકતામાં ક્યારેય યાંત્રિકતા પ્રવેશી નહોતી. તેઓ આજીવન ‘દેશી’ અને સંવેદનશીલ માનવી તરીકે જીવન જીવ્યા હતા. તેમનું લક્ષ્ય માત્ર કમાણી નહોતી, પરંતુ માનવીઓનું કલ્યાણ પણ હતું, કદાચ એટલે જ તેમને અને તેમના દીકરા એડ્સેલને માનવ-સમાજના કલ્યાણ અને વિકાસ માટે ‘ફોર્ડ ફાઉન્ડેશન’ નામની ચેરિટેબલ સંસ્થા સ્થાપવાનું સૂઝ્યું હતું.

 

(તસવીરમાં હેન્રી ફોર્ડની સાથે તેમના પુત્ર એડ્સેલ ફોર્ડ નજરે પડે છે. આ સહિતની તસવીરો ગૂગલ પરથી મેળવેલી છે.)

આજે બિલ ગેટ્સ અને માર્ક ઝકરબર્ગની દાનવૃત્તિથી અંજાયેલી પેઢીએ યાદ રાખવું રહ્યું કે હેન્રી અને એડ્સેલ ફોર્ડે પોતાની સંપત્તિમાંથી 90 ટકા સંપત્તિ આ સંસ્થાને સમર્પિત કરી દીધી હતી. આપણે ત્યાં ફોર્ડ ફાઉન્ડેશન માટે છેલ્લા કેટલાક સમયથી આશંકાઓ વ્યક્ત થઈ રહી છે, પરંતુ હેન્રી ફોર્ડે 1936માં સ્થાપેલી આ સંસ્થા આજે વિશ્વની ટોચની પાંચ દાનવીર સંસ્થાઓમાં સામેલ છે. વીસમી સદીના મહાન ઉદ્યોગપતિ અને ઉદારદિલ મહામાનવ એવા હેન્રી ફોર્ડના જીવનમાં કેટલાક રસપ્રદ કોર્ટકેસ પણ જોવા મળે છે.
 
ફોર્ડનાં યહૂદીઓ અંગેના નિવેદન મામલે તેમના પર (અમેરિકાના ઇતિહાસમાં સર્વપ્રથમ) હેટ સ્પીચનો કેસ થયેલો. બીજો માનહાનિનો કેસ ફોર્ડે પોતે ‘શિકાગો ટ્રિબ્યુન’ નામના અખબાર સામે કરેલો, જેણે ફોર્ડને એનાર્કિસ્ટ (અરાજકતાવાદી) અને ‘વિચાર કરવા માટે અક્ષમ’ ગણાવેલા. આ બન્ને કેસમાં ફોર્ડનો વિજય થયેલો. કૉલેજનું પગથિયુંય નહીં ચડેલા પણ કોઠાસૂઝથી સફળ થયેલા એવા હેન્રી ફોર્ડના વિચારો આજે પણ પ્રસ્તુત અને પ્રેરણાદાયી છે. ચાલો તેમના કેટલાક વિચારો સ્મરી લઈએ.

સફળતા માટે સંપ-એકતાનો મહિમા કરતાં હેન્રી ફોર્ડે કહેલું, ‘એકસાથે ભેગા થવું-મળવું શરૂઆત છે, એકસાથે રહેવું પ્રગતિ છે, એકસાથે કામ કરવું સફળતા છે.’ નિષ્ફળતા અંગેના ફોર્ડના વિચારો પણ હટકે છે, ‘નિષ્ફળતા તો ફરી પ્રયાસ શરૂ કરવાની તક છે અને એ પણ પહેલાં કરતાં વધારે સમજદારીપૂર્વક.’ ફેસબુક ફ્રેન્ડ સાથેના વર્બલ સંબંધોથી ઘેરાયેલા યુવાનોએ મિત્રની પસંદગી બાબતે ફોર્ડનું એક વાક્ય ધ્યાનમાં રાખવા જેવું છે, ‘મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર એ છે જે મારામાંથી સર્વશ્રેષ્ઠને બહાર લાવે છે.’

હેન્રી ફોર્ડે શીખતા રહેવા અંગે સરસ વાત કરેલી, ‘જે કોઈ પણ શીખવાનું છોડી દે છે, એ વૃદ્ધ છે, પછી ભલે તે વીસ વર્ષનો હોય કે એંશી વર્ષનો. જે શીખતો રહે છે તે યુવાન છે. દુનિયામાં સૌથી મહાન ચીજ છે, ખુદના દિમાગને યુવા બનાવી રાખો.’ ફોર્ડે એક સીધી અને સટ્ટ વાત કરેલી, ‘ઊણપ નહીં, ઉકેલ શોધો’, જે આજના મેનેજર્સ માટે પણ પ્રેરણાદાયી છે.

સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયા પર મળતા રેડીમેઇડ સંદેશાઓને સમજ્યા-વિચાર્યા વિના ફોરવર્ડ કરીને રાજી થનારાની સંખ્યા વધતી જાય છે ત્યારે હેન્રી ફોર્ડના એક વ્યંગ-વિધાન સાથે લેખ પૂરો કરીએ, ‘સૌથી અઘરું કામ છે - વિચારવું, કદાચ એટલે જ બહુ ઓછા લોકો વિચાર કરવાની તસ્દી લેતા હોય છે!’

(‘દિવ્ય ભાસ્કર’ની 6 એપ્રિલ, 2016ના રોજ પ્રકાશિત ‘કળશ’ પૂર્તિની ‘સમય સંકેત’ કૉલમ)