Showing posts with label Dr. Ambedakar. Show all posts
Showing posts with label Dr. Ambedakar. Show all posts

Wednesday, December 6, 2017

ડૉ. આંબેડકર : એક વિચારસ્તંભ

દિવ્યેશ વ્યાસ


આજે બાબાસાહેબના પરિનિર્વાણ દિવસે તેમના વિચાર-વારસાની મૂડીની એક ઝલક મેળવવા જેવી છે


(આ તસવીર ડૉ. બાબાસાહેબ આંબેડકર, સંપૂર્ણ અક્ષરદેહ, ગ્રંથ - 19-ના મુખપૃષ્ઠ પરથી લીધેલી છે. લેખમાં ડૉ. આંબેડકરનાં જે પણ અવતરણો છે, તે પણ અક્ષરદેહમાંથી જ લીધાં છે.)

આજે 6ઠ્ઠી ડિસેમ્બર. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક જ આ દિવસે બાબરી ધ્વંસની 25મી વરસી નિમિત્તે જોરશોરથી ચર્ચા થવાની. દેશમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે વિસ્ફોટક વિભાજન કરનારી આ ઘટના અંગે ચર્ચા જરૂર થવી જોઈએ, પરંતુ મતબેન્કની લાલચે અને ધ્રુવીકરણના ઉદ્દેશ સાથે આ મુદ્દે ચર્ચા થાય છે ત્યારે વિમર્શ ગાયબ થઈ જાય છે અને વિવાદોની આગમાં રાજકીય રોટલા શેકાવાનું શરૂ થઈ જતું હોય છે. જોકે, આપણે 6ઠ્ઠી ડિસેમ્બરે સામાજિક વિખવાદ પેદા કરનારા મુદ્દાને ચર્ચવો બિલકુલ જરૂરી નથી. આપણે ધારીએ તો આ દિવસે સામાજિક સમાનતા અને ન્યાયની ચર્ચા-સમીક્ષા જરૂર કરી શકીએ, કારણ કે આ દિવસ ડૉ. બાબાસાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિન છે.

ઈ.સ. 1956ની 6ઠ્ઠી ડિસેમ્બરે બાબાસાહેબે અંતિમશ્વાસ લીધા હતા. બાબાસાહેબે એવી જિંદગી જીવી ગયા, એવો સંઘર્ષ કરી ગયા, એવો વિચારવારસો આપી ગયા છે કે તેમના દેહોત્સર્ગ પછી પણ તેઓ સદાય અમર રહેવાના છે. ડૉ. આંબેડકરની બંઘારણના ઘડવૈયા તરીકેની ઓળખ તો બહુ અધૂરી ગણાય. તેઓ એક સંઘર્ષવીર ઉપરાંત અર્થશાસ્ત્રી, રાજનેતા, કાયદાવિદ્, સંશોધક, લેખક અને મૌલિક વિચારક હતા. બાબાસાહેબ બહુઆયામી વિચારવારસો આપી ગયા છે. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના કેટલાક વિચારોની ઝાંખી મેળવીએ.

આજકાલ દેશમાં ઇતિહાસના મામલે બહુ રકઝક ચાલી રહી છે. ઇતિહાસ નવેસરથી લખવાનો વ્યાયામ પણ શરૂ થયો છે ત્યારે ડૉ. આંબેડકરના આ શબ્દો દિમાગમાં અંકિત કરી રાખવા જેવા છે: ‘એક ઇતિહાસકાર ચોક્કસ, નિખાલસ, નિષ્પક્ષ, આવેગમુક્ત, સ્વાર્થ, ભય અને અનુરાગથી પર તેમજ સત્યનિષ્ઠ હોવો જોઈએ. એક ઇતિહાસકાર ખુલ્લા દિમાગનો હોવો જોઈએ, પણ ખાલી દિમાગનો હોવો જોઈએ નહીં.’

આપણા દેશમાં આજકાલ બૌદ્ધિકોને ગાળો દેવાની ફેશન ચાલી રહી છે ત્યારે આંબેડકરજીની એક નિષ્પક્ષ વાત યાદ આવે છે, ‘કોઈ પણ દેશનું ભાવિ તેના બુદ્ધિજીવી વર્ગ પર નિર્ભર હોય છે, એ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. જો બુદ્ધિજીવી વર્ગ ઈમાનદાર, સ્વતંત્ર અને નિષ્પક્ષ હોય તો તેની ઉપર ભરોસો મૂકી શકાય કે તે સંકટના સમયમાં પહેલ કરી, ઉચિત નેતૃત્વ પ્રદાન કરે.’ આપણે ત્યાં પ્રશ્નો પૂછનારાને હતોત્સાહી કરવામાં આવે છે, શંકા કરનારાને શંકાની નજરે જોવામાં આવે છે ત્યારે આંબેડકરના શબ્દો યાદ કરવા જેવા છે, ‘એ વાત સ્પષ્ટ છે કે જ્યાં સુધી સંદેહ ઉપજતો નથી, ત્યાં સુધી પ્રગતિ થઈ શકતી નથી. જે વ્યક્તિ પોતાના જ્ઞાન અને વિચારોને સંપૂર્ણ માને છે, અને તેના જ્ઞાનના આધારને ઢંઢોળવાનું કષ્ટ ઉઠાવતા નથી તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થતી નથી.’

છેલ્લા કેટલાક સમયથી સમાજ સુધારણાની વાત આઉટ ઑફ ડેટ બની ગઈ હોય, એવો માહોલ પ્રવર્તે છે. પરંપરાપ્રેમ દિવસે દિવસે વધતો જાય છે અને કટ્ટરતાનું સંકીર્ણ સ્વરૂપ પકડતો જોયા છે. આ સંજોગોમાં ડૉ. આંબેડકરની વર્ષો પહેલાં કહેવાયેલી વાત આજે પણ ગાંઠે બાંધી રાખવા જેવી છે, ‘ભારતમાં સમાજ સુધારણાનો માર્ગ સ્વર્ગના માર્ગ જેટલો જ કઠિનતાઓથી ભરેલો છે. ભારતમાં સમાજ સુધારકોના પ્રશંસકો અલ્પ અને આલોચકો વધારે છે. મારા મનમાં એ પ્રશ્ને જરાય સંદેહ નથી કે જ્યાં સુધી આપણે વર્તમાન સમાજનો ઢાંચો નહીં બદલીએ ત્યાં સુધી પ્રગતિના રૂપમાં આપણે ખાસ કશું પામી શકવાના નથી.’

રાષ્ટ્રવાદની બોલબાલા દિવસે દિવસે વધી રહી છે. રાષ્ટ્રવાદના નામે ભળતીસળતી જ ગતિવિધિઓ ચાલતી હોય છે. દેશમાં અસમાનતાના માહોલમાં રાષ્ટ્રવાદ એક દંભ-દેખાડાથી વિશેષ કશું રહેતો નથી. બાબાસાહેબનું એક વાક્ય વાંચવા-વિચારવા જેવું છે: ‘રાષ્ટ્રવાદ ત્યારે જ ઔચિત્ય ગ્રહણ કરી શકે, કે જ્યારે લોકો જાતિ, કુળ અને ઉંચનીચના ભેદભાવ ભૂલી સામાજિક ભાતૃભાવને સર્વોચ્ચ સ્થાન આપે.’

ભાતૃભાવ કે બંધુત્વની લોકશાહીમાં શું ભૂમિકા છે, તે અંગે બાબાસાહેબની બીજી એક વાત પણ યાદ કરી લેવા જેવી છે, ‘આદર્શ સમાજ ગતિશીલ હોવો જોઈએ. તેમાં સામાજિક ઉર્ધ્વગામીતા હોવી જોઈએ. બંધુત્વ તો લોકશાહીના પર્યાયરૂપ છે. લોકશાહી તે સરકારનું સ્વરૂપ માત્ર નથી, તે મુખ્યત્વે તો સંયુક્ત જીવનની, અરસપરસના સંયુક્ત અનુભવોની રીતિ છે. દેશબાંધવો પ્રત્યેના માન તથા આદરનું તે આવશ્યક વલણ છે.’

લેખનો અંત પણ બાબાસાહેબના એક વાક્ય સાથે જ કરીએ: ‘જ્યારે કેટલાક લોકો એમ કહે છે, અમે હિંદુ અથવા મુસલમાન પહેલાં છીએ અને ત્યાર બાદ ભારતીય છીએ, તે મને ગમતું નથી. હું સાફ સાફ કહું છું કે મને તેનાથી સંતોષ થતો નથી. હું તમામ લોકોને ભારતીય પહેલાં અને ભારતીય છેલ્લા જોવા માગું છું. અને બીજું કશું જ નહિ પણ માત્ર ભારતીય જ જોવા માગું છું.’

(‘દિવ્ય ભાસ્કર’ની 6ઠ્ઠી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Thursday, April 14, 2016

નર્યા આદર્શો નહિ, નક્કર અધિકારોની વકીલાત કરનારા ડૉ. આંબેડકર

દિવ્યેશ વ્યાસ


ડૉ. આંબેડકર નામના 'ભારત રત્ન'ને માત્ર દલિત રત્ન તરીકે મૂલવવાની ભૂલ વહેલીતકે સુધારી લેવા જેવી છે.


(ડૉ. આંબેડકરની આ જાણીતી તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

દર વર્ષે ૧૪ એપ્રિલના રોજ આંબેડકર જયંતી ઊજવાય છે. આ વર્ષે (વર્ષ 2014) આંબેડકર જયંતી બહુ રંગેચંગે ઊજવાશે, કારણ કે (લોકસભાની રાષ્ટ્રીય) ચૂંટણીઓના માહોલમાં દેશના ૨૦ કરોડથી વધારે દલિત મતોની લાયમાં નાના નેતાઓથી માંડીને મોટાં માથાંઓની આંબેડકરભક્તિ જોર પડકશે. અહીં નોંધનીય વાત એ છે કે ૧૪ એપ્રિલ,૧૮૯૧ પોતાનો સાચો જન્મ દિવસ છે કે નહીં, એ બાબતે ખુદ આંબેડકર આશંકિત હતા! તેમણે પોતાના એક આત્મકથનાત્મક લખાણમાં જણાવ્યું છે, "મારા જન્મની કોઈ નોંધ નથી. એમને (પિતાજીને) મારી જન્મતારીખ લખી રાખવાની જરૂર નહીં લાગી હોય. હકીકતમાં એ બહુ સામાન્ય બાબત હતી. તેમ છતાં એટલું પણ એમનાથી થઈ શક્યું નહીં. એટલે આજે મારી જે જન્મતારીખ છે, તે સાચી હોવાનો દાવો હું કરી શકતો નથી." ખેર, આંબેડકર ૧૪મી એપ્રિલે જન્મ્યા હતા કે નહીં એના કરતાં આવા મહાનુભાવને આપણે કોઈ ને કોઈ નિમિત્ત ઊભું કરીને પણ યાદ કરવા જોઈએ, એ વધારે મહત્ત્વપૂર્ણ છે.

ડૉ. ભીમરાવ આંબેડકરને આપણે સૌ બંધારણના ઘડવૈયા તરીકે કે પછી આઝાદ ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે કે વધુમાં વધુ દલિત મસિહા તરીકે ઓળખીએ છીએ અને દુઃખની વાત એ છે કે એમના વિશેની જાણકારી આટલેથી પૂરી થઈ જતી હોય છે. આંબેડકરના સંઘર્ષમય જીવન કે ક્રાંતિકારી કાર્યો વિશે બહુ ઓછા લોકો જાણે છે. ડૉ. આંબેડકરને માત્ર દલિત નેતા તરીકે ઓળખીને આપણે તેમની સાથે બહુ મોટો અન્યાય કરતાં આવ્યા છીએ. દલિત કર્મશીલો અને દલિત મતદારો પર આધારિત રાજકીય પક્ષો ડૉ. આંબેડકરનું નામ આગળ કરતાં હોવાથી ડૉ. આંબેડકરની છબિ સંકુચિત રહી જવા પામી હશે, પણ ખરેખર તો સામાજિક સમાનતા માટે આજીવન મથનારા બાબાસાહેબનું ભારતીય સમાજમાં મહાન પ્રદાન રહ્યું છે, જેને કોઈ અવગણી શકે નહીં. બાબાસાહેબે દલિતો-વંચિતોના ઉદ્ધાર કે તેમના ન્યાય માટે જે સંઘર્ષ આદર્યો હતો તે આખરે તો આપણા સમાજને વધારે તંદુરસ્ત, સંગઠિત, સશક્ત અને ન્યાયપૂર્ણ બનાવવા માટે જ હતો ને!

ડૉ. આંબેડકરના જીવન અને સંઘર્ષ વિશે અનેક પુસ્તકો લખાયાં છે. આંબેડકરની જીવનકથા આલેખતાં પુસ્તકો પણ ઉપલબ્ધ છે, પણ તેમની આત્મકથા નથી. જોકે, તેમના આત્મકથનાત્મક લેખો, લખાણો અને પ્રવચનોનો ગુજરાતીમાં અનુવાદ કરીને ચંદુભાઈ મહેરિયા અને ઉર્વીશ કોઠારી દ્વારા 'દિલના દરવાજે દસ્તક' નામનું એક પુસ્તક તૈયાર કરાયું છે. આ પુસ્તકમાં આંબેડકરના બાળપણના પ્રસંગો ઉપરાંત વડોદરા અને અન્ય જગ્યાએ અછૂત તરીકે થયેલા કડવા અનુભવો જાણવા મળે છે. આ લખાણોના આધારે અંદાજ આવે છે કે બાબાસાહેબે એક દલિત તરીકે કેટકેટલું વેઠવું પડયું હતું.

'દિલના દરવાજે દસ્તક'માં આંબેડકરના બાળપણ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણવા મળે છે. તેમના જન્મ પછી કોઈ જ્યોતિષે કહેલું કે આ છોકરો અપશુકનિયાળ છે. જોકે, પોતાની પ્રતિભા અને પ્રચંડ કાર્યો થકી આંબેડકર દેશના કરોડો દલિતો માટે શુકનિયાળ સાબિત થયા છે! કોલંબિયા યુનિર્વિસટી, યુનિર્વિસટી ઓફ લંડન અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જેવી વિશ્વવિખ્યાત યુનિર્વિસટીઓમાં ભણેલા આંબેડકર નાના હતા ત્યારે તેમને ભણવાનું ગમતું નહોતું. આંબેડકરના શબ્દોમાં જ આ વાત જોઈએ : "શરૂઆતના વર્ષોમાં મને ભણવામાં રસ પડતો ન હતો. એ વખતે મને થતું, 'ભણીને શું ફાયદો?' છ મહિના સુધી મેં બાગકામ કર્યું... આજે વિચારતા લાગે છે કે કેવી હતી મારી એ જિંદગી!" તમને તરત પ્રશ્ન થશે તો પછી ભણવામાં રસ કેવી રીતે પડયો? આંબેડકરે લખ્યું છે, "મારા પિતાજી ઘણી વાર કહેતા, છાંયડામાં થાય એવું જ કામ કરજે." તેમના પિતાજી માત્ર શીખામણ આપીને અટકી ગયા નહોતા પણ બાબાસાહેબ જે કોઈ પુસ્તકની માગણી કરે તે બહેનોનાં ઘરેણાં ગિરવે મૂકીને પણ તેમને લાવી આપતા હતા!

આંબેડકરને બાળપણમાં અસ્પૃશ્યતાના અનેક આકરા અનુભવો થયેલા પરંતુ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને સ્વદેશ આવ્યા પછી તેમની લાયકાત, વિદ્વતા અને ક્ષમતા છતાં તેમને વડોદરા સહિતનાં સ્થળોએ જે કડવા અનુભવો થયા તેણે તેમના જીવનની દિશા બદલી નાખી. આંબેડકરે સમાજના બહિષ્કૃત લોકોના ન્યાય માટે લાંબી અને સંઘર્ષપૂર્ણ લડત આપી.

છૂતાછૂતને કારણે અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ આંબેડકરે આહલેક જગાવી હતી. ગાંધીજી પણ અશ્પૃશ્યતા નિવારણ માટે મથતા હતા. જોકે, આપણે ત્યાં મહાત્મા ગાંધી અને ડો. આંબેડકર એકબીજાના વિરોધી હોવાનું ચિતરવામાં આવે છે. તેમની વચ્ચે મતભેદ ચોક્કસપણે હતા. પણ અહીં યાદ રાખવું જોઈએ કે ડો. આંબેડકરે દલિતોને થતાં અન્યાય સામે ક્યારેય હથિયાર ઉપાડવાની હિમાયત કરી નહોતી, ઊલટું તેમણે ગાંધીચીંધ્યા માર્ગે અહિંસામય આંદોલનો જ ચલાવ્યાં હતાં. ગાંધી અને આંબેડકર બન્ને દલિતોનો ઉદ્ધાર અને સામાજિક-આર્થિક સમાનતા ઇચ્છતા હતા, પણ બન્નેના અભિગમમાં મુખ્ય તફાવત એ હતો કે ગાંધીજી મૂલ્યસ્થાપનામાં માનતા હતા, જ્યારે આંબેડકર માળખા (સામાજિક-આર્થિક-રાજકીય વ્યવસ્થા)માં ફેરફાર કરવાની હિમાયત કરતા હતા. ગાંધીજી આદર્શવાદી વિચારો ધરાવતા હતા, જ્યારે આંબેડકર અધિકારો થકી સશક્તિકરણની વકાલત કરતા હતા. ગાંધીજી આંબેડકરના આ અભિગમને બરાબર પામ્યા હતા અને એટલે જ તેમણે આંબેડકરને બંધારણ સભામાં સમાવવાનો આગ્રહ રાખ્યો હતો.

ડૉ. આંબેડકર નામના 'ભારત રત્ન'ને માત્ર દલિત રત્ન તરીકે મૂલવવાની ભૂલ વહેલીતકે સુધારી લેવા જેવી છે.

(મારી ‘સમય સંકેત’ કૉલમનો આ પહેલો લેખ છે, જે આંબેડકર જયંતી નિમિત્તે લખેલો. 
આ કૉલમ ‘સંદેશ’ની રવિવારની ‘સંસ્કાર’ પૂર્તિમાં 13મી એપ્રિલ, 2014ના રોજ પ્રકાશિત થયેલી.)