Wednesday, December 6, 2017

ડૉ. આંબેડકર : એક વિચારસ્તંભ

દિવ્યેશ વ્યાસ


આજે બાબાસાહેબના પરિનિર્વાણ દિવસે તેમના વિચાર-વારસાની મૂડીની એક ઝલક મેળવવા જેવી છે


(આ તસવીર ડૉ. બાબાસાહેબ આંબેડકર, સંપૂર્ણ અક્ષરદેહ, ગ્રંથ - 19-ના મુખપૃષ્ઠ પરથી લીધેલી છે. લેખમાં ડૉ. આંબેડકરનાં જે પણ અવતરણો છે, તે પણ અક્ષરદેહમાંથી જ લીધાં છે.)

આજે 6ઠ્ઠી ડિસેમ્બર. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક જ આ દિવસે બાબરી ધ્વંસની 25મી વરસી નિમિત્તે જોરશોરથી ચર્ચા થવાની. દેશમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે વિસ્ફોટક વિભાજન કરનારી આ ઘટના અંગે ચર્ચા જરૂર થવી જોઈએ, પરંતુ મતબેન્કની લાલચે અને ધ્રુવીકરણના ઉદ્દેશ સાથે આ મુદ્દે ચર્ચા થાય છે ત્યારે વિમર્શ ગાયબ થઈ જાય છે અને વિવાદોની આગમાં રાજકીય રોટલા શેકાવાનું શરૂ થઈ જતું હોય છે. જોકે, આપણે 6ઠ્ઠી ડિસેમ્બરે સામાજિક વિખવાદ પેદા કરનારા મુદ્દાને ચર્ચવો બિલકુલ જરૂરી નથી. આપણે ધારીએ તો આ દિવસે સામાજિક સમાનતા અને ન્યાયની ચર્ચા-સમીક્ષા જરૂર કરી શકીએ, કારણ કે આ દિવસ ડૉ. બાબાસાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિન છે.

ઈ.સ. 1956ની 6ઠ્ઠી ડિસેમ્બરે બાબાસાહેબે અંતિમશ્વાસ લીધા હતા. બાબાસાહેબે એવી જિંદગી જીવી ગયા, એવો સંઘર્ષ કરી ગયા, એવો વિચારવારસો આપી ગયા છે કે તેમના દેહોત્સર્ગ પછી પણ તેઓ સદાય અમર રહેવાના છે. ડૉ. આંબેડકરની બંઘારણના ઘડવૈયા તરીકેની ઓળખ તો બહુ અધૂરી ગણાય. તેઓ એક સંઘર્ષવીર ઉપરાંત અર્થશાસ્ત્રી, રાજનેતા, કાયદાવિદ્, સંશોધક, લેખક અને મૌલિક વિચારક હતા. બાબાસાહેબ બહુઆયામી વિચારવારસો આપી ગયા છે. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના કેટલાક વિચારોની ઝાંખી મેળવીએ.

આજકાલ દેશમાં ઇતિહાસના મામલે બહુ રકઝક ચાલી રહી છે. ઇતિહાસ નવેસરથી લખવાનો વ્યાયામ પણ શરૂ થયો છે ત્યારે ડૉ. આંબેડકરના આ શબ્દો દિમાગમાં અંકિત કરી રાખવા જેવા છે: ‘એક ઇતિહાસકાર ચોક્કસ, નિખાલસ, નિષ્પક્ષ, આવેગમુક્ત, સ્વાર્થ, ભય અને અનુરાગથી પર તેમજ સત્યનિષ્ઠ હોવો જોઈએ. એક ઇતિહાસકાર ખુલ્લા દિમાગનો હોવો જોઈએ, પણ ખાલી દિમાગનો હોવો જોઈએ નહીં.’

આપણા દેશમાં આજકાલ બૌદ્ધિકોને ગાળો દેવાની ફેશન ચાલી રહી છે ત્યારે આંબેડકરજીની એક નિષ્પક્ષ વાત યાદ આવે છે, ‘કોઈ પણ દેશનું ભાવિ તેના બુદ્ધિજીવી વર્ગ પર નિર્ભર હોય છે, એ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. જો બુદ્ધિજીવી વર્ગ ઈમાનદાર, સ્વતંત્ર અને નિષ્પક્ષ હોય તો તેની ઉપર ભરોસો મૂકી શકાય કે તે સંકટના સમયમાં પહેલ કરી, ઉચિત નેતૃત્વ પ્રદાન કરે.’ આપણે ત્યાં પ્રશ્નો પૂછનારાને હતોત્સાહી કરવામાં આવે છે, શંકા કરનારાને શંકાની નજરે જોવામાં આવે છે ત્યારે આંબેડકરના શબ્દો યાદ કરવા જેવા છે, ‘એ વાત સ્પષ્ટ છે કે જ્યાં સુધી સંદેહ ઉપજતો નથી, ત્યાં સુધી પ્રગતિ થઈ શકતી નથી. જે વ્યક્તિ પોતાના જ્ઞાન અને વિચારોને સંપૂર્ણ માને છે, અને તેના જ્ઞાનના આધારને ઢંઢોળવાનું કષ્ટ ઉઠાવતા નથી તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થતી નથી.’

છેલ્લા કેટલાક સમયથી સમાજ સુધારણાની વાત આઉટ ઑફ ડેટ બની ગઈ હોય, એવો માહોલ પ્રવર્તે છે. પરંપરાપ્રેમ દિવસે દિવસે વધતો જાય છે અને કટ્ટરતાનું સંકીર્ણ સ્વરૂપ પકડતો જોયા છે. આ સંજોગોમાં ડૉ. આંબેડકરની વર્ષો પહેલાં કહેવાયેલી વાત આજે પણ ગાંઠે બાંધી રાખવા જેવી છે, ‘ભારતમાં સમાજ સુધારણાનો માર્ગ સ્વર્ગના માર્ગ જેટલો જ કઠિનતાઓથી ભરેલો છે. ભારતમાં સમાજ સુધારકોના પ્રશંસકો અલ્પ અને આલોચકો વધારે છે. મારા મનમાં એ પ્રશ્ને જરાય સંદેહ નથી કે જ્યાં સુધી આપણે વર્તમાન સમાજનો ઢાંચો નહીં બદલીએ ત્યાં સુધી પ્રગતિના રૂપમાં આપણે ખાસ કશું પામી શકવાના નથી.’

રાષ્ટ્રવાદની બોલબાલા દિવસે દિવસે વધી રહી છે. રાષ્ટ્રવાદના નામે ભળતીસળતી જ ગતિવિધિઓ ચાલતી હોય છે. દેશમાં અસમાનતાના માહોલમાં રાષ્ટ્રવાદ એક દંભ-દેખાડાથી વિશેષ કશું રહેતો નથી. બાબાસાહેબનું એક વાક્ય વાંચવા-વિચારવા જેવું છે: ‘રાષ્ટ્રવાદ ત્યારે જ ઔચિત્ય ગ્રહણ કરી શકે, કે જ્યારે લોકો જાતિ, કુળ અને ઉંચનીચના ભેદભાવ ભૂલી સામાજિક ભાતૃભાવને સર્વોચ્ચ સ્થાન આપે.’

ભાતૃભાવ કે બંધુત્વની લોકશાહીમાં શું ભૂમિકા છે, તે અંગે બાબાસાહેબની બીજી એક વાત પણ યાદ કરી લેવા જેવી છે, ‘આદર્શ સમાજ ગતિશીલ હોવો જોઈએ. તેમાં સામાજિક ઉર્ધ્વગામીતા હોવી જોઈએ. બંધુત્વ તો લોકશાહીના પર્યાયરૂપ છે. લોકશાહી તે સરકારનું સ્વરૂપ માત્ર નથી, તે મુખ્યત્વે તો સંયુક્ત જીવનની, અરસપરસના સંયુક્ત અનુભવોની રીતિ છે. દેશબાંધવો પ્રત્યેના માન તથા આદરનું તે આવશ્યક વલણ છે.’

લેખનો અંત પણ બાબાસાહેબના એક વાક્ય સાથે જ કરીએ: ‘જ્યારે કેટલાક લોકો એમ કહે છે, અમે હિંદુ અથવા મુસલમાન પહેલાં છીએ અને ત્યાર બાદ ભારતીય છીએ, તે મને ગમતું નથી. હું સાફ સાફ કહું છું કે મને તેનાથી સંતોષ થતો નથી. હું તમામ લોકોને ભારતીય પહેલાં અને ભારતીય છેલ્લા જોવા માગું છું. અને બીજું કશું જ નહિ પણ માત્ર ભારતીય જ જોવા માગું છું.’

(‘દિવ્ય ભાસ્કર’ની 6ઠ્ઠી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment