Wednesday, November 29, 2017

જાતિવાદ : આ પણ એક ઉકેલ

દિવ્યેશ વ્યાસ


ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં હવે જુદા જુદા વંશના લોકો પ્રત્યે સમભાવ-સદભાવ પેદા કરતો કોર્સ ફરજિયાત કરાયો છે


(મેગડેલન કૉલેજ, ઓક્સફર્ડ યુનિવર્સિટીની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

જાતિવાદનો જ્વાળામુખી ચૂંટણીના માહોલમાં અચૂક ફાટતો હોય છે. આપણું રાજકારણ જાતિકેન્દ્રિત થઈ ગયું છે, તે વાસ્તવિકતા છે. રાજકીય પક્ષો દરેક જાતિને પોતાની મતબેન્કની જેમ જોતા હોય છે. ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણીની વ્યૂહરચનામાં જાતિનાં સમીકરણો જ કેન્દ્રસ્થાને હોય છે. રાજકીય પક્ષો ‘સારા’ નહિ, ’જીતાડે’ એવા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળતા હોય છે. મોટા ભાગના લોકો મત આપવા જાય ત્યારે ઉમેદવારની જાતિને અચૂક ધ્યાને લેતા હોય છે, એ રાજકારણીઓ જાણે છે. સત્તાલોલુપ રાજનેતાઓ લોકોની નાડ (આમ તો નબળી કડી) પારખી ગયા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓની ધમાધમી ચાલી રહી છે ત્યારે સામસામે જાતિવાદ ચલાવવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, છતાં સૌ જાણે છે કે બધા પક્ષો જાતિવાદનું રાજકારણ જ રમતા હોય છે. દરેક પક્ષ અન્ય પક્ષો પણ જાતિવાદ ચલાવવાનો આક્ષેપ અચૂક મૂકે છે, છતાં તેઓ જ્યારે ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણીનાં સમીકરણો માંડે ત્યારે જાતિવાદનું પડખું જરૂર સેવતા હોય છે.

જાતિવાદનો જ્વાળામુખી કોઈ જાતિનું ભલું કરી નાખે, એવું માનવાને કોઈ કારણ નથી. જાતિનાં સંગઠનોની પ્રવૃત્તિનો તમે ઝીણવટથી અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે આ બધી પ્રવૃત્તિ પર માન-મોભા-પ્રતિષ્ઠા માટે વધારે હોય છે, જાતિના મોટા ભા બનેલાઓ એકબીજાની પીઠ થાબડતા રહેતા હોય છે, પરંતુ તેનાથી જાતિના જ છેવાડેના, કચડાયેલા, વંચિત, ગરીબના જીવનમાં કોઈ મોટો ફરક આવતો નથી. જાતિના નામે નાની મોટી સખાવતો થાય છે, અમુક પ્રસંગો સચવાય છે, પરંતુ લાંબેગાળાનો હિસાબ માંડતા આ બધું સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવું જ બની રહેતું હોય છે.

જાતિ જાણે આપણા સામાજિક ડીએનએનો ભાગ બની ગઈ હોય, એટલી જડ છે, કદાચ એટલે જ વિનોબા ભાવે દ્વારા કહેવાયું હતું કે ‘જો જાતી નહિ વહ જાતિ હૈ!’ જોકે, આપણે ભારતને સુપરપાવર બનાવવા માગતા હોઈએ તો સમાજને જાતિના વાડાઓથી મુક્ત કર્યા વિના છૂટકો નથી. સત્તાલોલુપો જાતિવાદી રાજકારણ રમીને લોલીપોપથી વિશેષ કશું આપતા નથી અને તેને કારણે સમાજનો અને દેશનો વિકાસ રૂંધાતો રહે છે. આધુનિક સમયમાં જાતિવાદ ઓગળવાને બદલે વધારે ઘટ્ટ બન્યો છે ત્યારે આપણે એના વિશે વધારે ગંભીરતાથી વિચારવું રહ્યું.
ભારતમાં જેમ જાતિવાદ છે તેમ પશ્ચિમી દેશોમાં રંગભેદ અને વંશવાદ છે. અમેરિકા અને યુરોપે રંગભેદને મીટાવવા માટે વ્યવસ્થાગત-માળખાગત પગલાં (એફર્મેટિવ એક્શન્સ) ભરીને ઘણા અંશે સફળતા મેળવી છે. યુરોપમાં દુનિયાભરના અનેક દેશોના લોકો સ્થાયી થયા છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ત્યાં વંશવાદનો મુદ્દો ગંભીર બન્યો છે. યુરોપમાં પણ મૂળનિવાસી જેવા વંશો અંગેના સવાલો પેદા થયા છે. વંશવાદ વધુ વકરે તો સામાજિક ભેદભાવ આગળ જતાં રમખાણોનું પણ સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સ્થિતિને નિવારવા માટે ત્યાંના રાજનેતાઓ કેટલું વિચારે છે, એ ખબર નથી પરંતુ શિક્ષણ સંસ્થાઓએ પોતાની જવાબદારી સમજીને આગળ વધવાનું મુનાસિબ માન્યું છે.

તાજેતરમાં એવા સમાચાર મળ્યા હતા કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સૌથી માલદાર ગણાતી મેગડેલન કૉલેજે આવતા વર્ષથી નવા વિદ્યાર્થીઓ માટે વંશ જાગૃતિ અભ્યાસક્રમ ફરજિયાત કરી દીધો છે. આ કોર્સ અંતર્ગત યુરોપના પરંપરાગત લઘુમતી વંશો અંગે જાણકારી આપવામાં આવશે. જોકે, જાણકારી કોરી નહીં હોય, પરંતુ તેમણે એ વંશના લોકોની પરંપરાઓ, ભોજન, વસ્ત્રો વગેરેનો જાતઅનુભવ પણ મેળવવાનો રહેશે. યુરોપમાં ભારતીય લોકો સારી એવી સંખ્યામાં છે, તેને ધ્યાનમાં રાખીને આ કોર્સ અંતર્ગત ભારતીય ભોજનની વાનગી ઇન્ડિયન ફિશ પાઇનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે!

વિદ્યાર્થીઓને જુદા જુદા વંશ અને તેમની પરંપરાથી પરિચિત કરીને વંશવાદને બદલે તમામ વંશ પ્રત્યે સમભાવ-સદ્્ભાવ કેળવવાની આ કોશિશ ખરેખર અનુકરણીય જણાય છે. આપણે જો ખરેખર જાતિવાદથી મુક્ત થવા માગતા હોઈએ તો જાતિઓ વચ્ચે સંવાદ અને વ્યવહાર વધે એવા પ્રયાસોના ભાગ રૂપે નવી પેઢીને જુદા અભિગમથી કેળવવાની દિશામાં વિચારવું રહ્યું. ચૂંટણીની ચર્ચામાંથી ફ્રી પડો ત્યારે જરા વિચારજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 29મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિની ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment