Showing posts with label Oxford. Show all posts
Showing posts with label Oxford. Show all posts

Wednesday, November 29, 2017

જાતિવાદ : આ પણ એક ઉકેલ

દિવ્યેશ વ્યાસ


ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં હવે જુદા જુદા વંશના લોકો પ્રત્યે સમભાવ-સદભાવ પેદા કરતો કોર્સ ફરજિયાત કરાયો છે


(મેગડેલન કૉલેજ, ઓક્સફર્ડ યુનિવર્સિટીની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

જાતિવાદનો જ્વાળામુખી ચૂંટણીના માહોલમાં અચૂક ફાટતો હોય છે. આપણું રાજકારણ જાતિકેન્દ્રિત થઈ ગયું છે, તે વાસ્તવિકતા છે. રાજકીય પક્ષો દરેક જાતિને પોતાની મતબેન્કની જેમ જોતા હોય છે. ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણીની વ્યૂહરચનામાં જાતિનાં સમીકરણો જ કેન્દ્રસ્થાને હોય છે. રાજકીય પક્ષો ‘સારા’ નહિ, ’જીતાડે’ એવા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળતા હોય છે. મોટા ભાગના લોકો મત આપવા જાય ત્યારે ઉમેદવારની જાતિને અચૂક ધ્યાને લેતા હોય છે, એ રાજકારણીઓ જાણે છે. સત્તાલોલુપ રાજનેતાઓ લોકોની નાડ (આમ તો નબળી કડી) પારખી ગયા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓની ધમાધમી ચાલી રહી છે ત્યારે સામસામે જાતિવાદ ચલાવવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, છતાં સૌ જાણે છે કે બધા પક્ષો જાતિવાદનું રાજકારણ જ રમતા હોય છે. દરેક પક્ષ અન્ય પક્ષો પણ જાતિવાદ ચલાવવાનો આક્ષેપ અચૂક મૂકે છે, છતાં તેઓ જ્યારે ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણીનાં સમીકરણો માંડે ત્યારે જાતિવાદનું પડખું જરૂર સેવતા હોય છે.

જાતિવાદનો જ્વાળામુખી કોઈ જાતિનું ભલું કરી નાખે, એવું માનવાને કોઈ કારણ નથી. જાતિનાં સંગઠનોની પ્રવૃત્તિનો તમે ઝીણવટથી અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે આ બધી પ્રવૃત્તિ પર માન-મોભા-પ્રતિષ્ઠા માટે વધારે હોય છે, જાતિના મોટા ભા બનેલાઓ એકબીજાની પીઠ થાબડતા રહેતા હોય છે, પરંતુ તેનાથી જાતિના જ છેવાડેના, કચડાયેલા, વંચિત, ગરીબના જીવનમાં કોઈ મોટો ફરક આવતો નથી. જાતિના નામે નાની મોટી સખાવતો થાય છે, અમુક પ્રસંગો સચવાય છે, પરંતુ લાંબેગાળાનો હિસાબ માંડતા આ બધું સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવું જ બની રહેતું હોય છે.

જાતિ જાણે આપણા સામાજિક ડીએનએનો ભાગ બની ગઈ હોય, એટલી જડ છે, કદાચ એટલે જ વિનોબા ભાવે દ્વારા કહેવાયું હતું કે ‘જો જાતી નહિ વહ જાતિ હૈ!’ જોકે, આપણે ભારતને સુપરપાવર બનાવવા માગતા હોઈએ તો સમાજને જાતિના વાડાઓથી મુક્ત કર્યા વિના છૂટકો નથી. સત્તાલોલુપો જાતિવાદી રાજકારણ રમીને લોલીપોપથી વિશેષ કશું આપતા નથી અને તેને કારણે સમાજનો અને દેશનો વિકાસ રૂંધાતો રહે છે. આધુનિક સમયમાં જાતિવાદ ઓગળવાને બદલે વધારે ઘટ્ટ બન્યો છે ત્યારે આપણે એના વિશે વધારે ગંભીરતાથી વિચારવું રહ્યું.
ભારતમાં જેમ જાતિવાદ છે તેમ પશ્ચિમી દેશોમાં રંગભેદ અને વંશવાદ છે. અમેરિકા અને યુરોપે રંગભેદને મીટાવવા માટે વ્યવસ્થાગત-માળખાગત પગલાં (એફર્મેટિવ એક્શન્સ) ભરીને ઘણા અંશે સફળતા મેળવી છે. યુરોપમાં દુનિયાભરના અનેક દેશોના લોકો સ્થાયી થયા છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ત્યાં વંશવાદનો મુદ્દો ગંભીર બન્યો છે. યુરોપમાં પણ મૂળનિવાસી જેવા વંશો અંગેના સવાલો પેદા થયા છે. વંશવાદ વધુ વકરે તો સામાજિક ભેદભાવ આગળ જતાં રમખાણોનું પણ સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સ્થિતિને નિવારવા માટે ત્યાંના રાજનેતાઓ કેટલું વિચારે છે, એ ખબર નથી પરંતુ શિક્ષણ સંસ્થાઓએ પોતાની જવાબદારી સમજીને આગળ વધવાનું મુનાસિબ માન્યું છે.

તાજેતરમાં એવા સમાચાર મળ્યા હતા કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સૌથી માલદાર ગણાતી મેગડેલન કૉલેજે આવતા વર્ષથી નવા વિદ્યાર્થીઓ માટે વંશ જાગૃતિ અભ્યાસક્રમ ફરજિયાત કરી દીધો છે. આ કોર્સ અંતર્ગત યુરોપના પરંપરાગત લઘુમતી વંશો અંગે જાણકારી આપવામાં આવશે. જોકે, જાણકારી કોરી નહીં હોય, પરંતુ તેમણે એ વંશના લોકોની પરંપરાઓ, ભોજન, વસ્ત્રો વગેરેનો જાતઅનુભવ પણ મેળવવાનો રહેશે. યુરોપમાં ભારતીય લોકો સારી એવી સંખ્યામાં છે, તેને ધ્યાનમાં રાખીને આ કોર્સ અંતર્ગત ભારતીય ભોજનની વાનગી ઇન્ડિયન ફિશ પાઇનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે!

વિદ્યાર્થીઓને જુદા જુદા વંશ અને તેમની પરંપરાથી પરિચિત કરીને વંશવાદને બદલે તમામ વંશ પ્રત્યે સમભાવ-સદ્્ભાવ કેળવવાની આ કોશિશ ખરેખર અનુકરણીય જણાય છે. આપણે જો ખરેખર જાતિવાદથી મુક્ત થવા માગતા હોઈએ તો જાતિઓ વચ્ચે સંવાદ અને વ્યવહાર વધે એવા પ્રયાસોના ભાગ રૂપે નવી પેઢીને જુદા અભિગમથી કેળવવાની દિશામાં વિચારવું રહ્યું. ચૂંટણીની ચર્ચામાંથી ફ્રી પડો ત્યારે જરા વિચારજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 29મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિની ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, August 23, 2017

શિક્ષણનું સપનું ઓક્સફર્ડ પહોંચ્યું

દિવ્યેશ વ્યાસ


દુનિયાના દરેક બાળક માટે શિક્ષણનું સપનું જોનારી બહાદુર મલાલા હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણશે


(આ ગ્રાફિક મલાલાની વેબસાઇટ પરથી લીધેલું છે.)

મલાલા. આ નામ સાંભળતાં જ આપણું મોં મલકાઈ જાય. એક બાળા જેણે દરેક બાળકના શિક્ષણના અધિકાર માટે સંઘર્ષ આદર્યો છે. મલાલાની અધિકૃત વેબસાઇટ www.malala.org પર મલાલા’ઝ સ્ટોરી પાન ખોલતાં જ  તેનું એક સચોટ વાક્ય વાંચવા મળે છે, I tell my story, not because it is unique, but because it is not. It is a the story of many girls. (હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.) મલાલા આ વાક્ય તેને શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત થયું, એ સમારંભમાં પોતાના વક્તવ્યમાં બોલી હતી. આ વક્તવ્યમાં જ તેણે કહેલું, ‘હું પણ એ 6 કરોડ 60 લાખ બાળાઓમાંની એક છું, જે શિક્ષણથી વંચિત છે.’ જોકે, મલાલાનું સદ્્ભાગ્ય (કરોડો બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત છે ત્યારે સદ્્ભાગ્ય જ ગણાય) છે કે તેને બ્રિટનની પ્રતિષ્ઠિત શાળામાં ભણવા મળ્યું અને તાજા સમાચાર મુજબ તેને વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળી ચૂક્યો છે. 17મી ઑગસ્ટે મલાલાએ જ ટ્વીટ કરીને આ સમાચાર આપતાં લખ્યું હતું, ‘So excited to go to Oxford!!!’ અહેવાલો મુજબ મલાલાએ એ લેવલની પરીક્ષા પાસ કરી છે. હવે તે ઓક્સફર્ડની સૌથી વધારે જાણીતા પીપીઈ (ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સ) વિભાગમાં અધ્યયન કરીને ઉચ્ચ ડિગ્રી હાંસલ કરશે.

મલાલાની શિક્ષણ માટેની તાલાવેલી અને પ્રતિબદ્ધતા હવે વિશ્વવિખ્યાત છે. આ એ જ મલાલા છે, જે શિક્ષણ માટે બંદૂકની ગોળીનો પણ સામનો કરી ચૂકી છે. આપણે સૌ જાણીએ છીએ કે 12 જુલાઈ, 1997ના રોજ શિક્ષક પિતાના ઘરે જન્મેલી મલાલાને પહેલેથી જ ભણવું ખૂબ જ ગમતું હતું. તે ભણીગણીને ડૉક્ટર થવા માગતી હતી! પાકિસ્તાનની સ્વાત ખીણમાં રહેતી મલાલાની નિયતિમાં કંઈક જુદું જ લખ્યું હતું. વર્ષ 2007માં તાલિબાનોએ સ્વાત ખીણ પર કબજો કરી લીધો અને ખીણમાં જાતજાતના પ્રતિબંધો લાદી દીધા, જેમાંનો એક પ્રતિબંધ કન્યાઓને ભણાવવાનો હતો. આ પ્રતિબંધ મલાલા માટે અન્યાયી જ નહીં, અસહ્ય હતો. બાર વર્ષની બાળા બીજું તો શું કરે, પણ પોતાના પપ્પાના પ્રોત્સાહનથી તેણે બીબીસીમાં પોતાની ઓળખ છુપાવીને ‘ગુલ મકઈ’ના નામે સ્વાત ખીણમાં તાલિબાની કુશાસન અંગે બ્લોગ લખવાનું શરૂ કર્યું. મલાલાએ પોતાના શિક્ષણના અધિકાર માટે પણ પ્રતિકાર કર્યો. તેનો બ્લોગ ચર્ચિત બન્યો અને ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ મલાલાના કાર્ય અંગે ટૂંકી ડોક્યુમેન્ટરી બનાવી. પાકિસ્તાને સ્વાત ખીણમાંથી તાલિબાનોને હટાવ્યા. સ્વાતમાં શાળાઓ ફરી ખૂલી અને બાળાઓનું શિક્ષણ શરૂ થયું. 2011માં મલાલાને પાકિસ્તાનનું પહેલું યૂથ પીસ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. આ પછી મલાલા તાલિબાનોના હિટ લિસ્ટમાં આવી ગઈ. 9 ઑક્ટોબર, 2012ના રોજ શાળાએ જઈ રહેલી મલાલા પર ઘાતક હુમલો કર્યો અને તેને માથામાં ગોળી મારવામાં આવી. મલાલા બચી ગઈ અને શિક્ષણ માટે ગોળી ખાનારી આ પાકિસ્તાની દીકરી રાતોરાત વિશ્વવિખ્યાત બની ગઈ.

મલાલાને યુએનની રાજદૂત બનાવવામાં આવી અને વર્ષ 2013માં તેના 16મા જન્મદિવસ નિમિત્તે યુએનમાં તેનું વક્તવ્ય ગોઠવાયું. યુએનમાં ‘ધ રાઇટ ઑફ એજ્યુકેશન ઑફ એવરી ચાઇલ્ડ’ વિષય પરના તેના ભાષણે સમગ્ર વિશ્વમાં ખાસ્સો પ્રભાવ ઊભો કર્યો હતો. વર્ષ 2014માં મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનું નોબેલ પારિતોષિત મળ્યું હતું. મલાલાએ સૌથી નાની વયે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર હાંસલ કર્યો. વર્ષ 2014માં તે ‘પર્સન ઑફ ધ યર’ બની અને ટાઇમના કવર પર ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિની યાદીમાં પણ મલાલાને ટૉપ ફાઇવમાં સ્થાન મળ્યું હતું. ઑગસ્ટ-2014માં તેનાં સંસ્મરણો અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ આવ્યું અને રાતોરાત બેસ્ટસેલર બની ગયું હતું. મલાલા પર એક ડઝનથી વધુ પુસ્તકો લખાઈ ચૂક્યાં છે.

મલાલા દૃઢપણે માને છે કે, ‘દુનિયામાં અનેક સમસ્યાઓ છે, પરંતુ મારા મતે આ તમામ સમસ્યાઓનો એક જ ઇલાજ છે, અને એ છે શિક્ષણ. તમારે તમામ કન્યાઓ અને કુમારોને ભણાવવા પડે. તમારે તેમને શીખવાની તક પૂરી પાડવી પડે.’ એટલું જ નહીં, મલાલા એક એવા દેશનું સપનું જુએ છે, જ્યાં શિક્ષણનું પ્રભુત્વ હોય. મલાલાનું બીજું એક જાણીતું વાક્ય છે, ‘એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક અને એક પેન દુનિયા બદલી શકે છે.’

આતંકવાદનો ભોગ બનેલી મલાલા એક સુંદર વાત કરે છે, ‘બંદૂકથી તમે આતંકવાદીઓને જ ઠાર કરી શકશો, પણ શિક્ષણ થકી તમે આતંકવાદને નાબૂદ કરી શકશો.’ મલાલા એક સુંદર વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’
મલાલાને આટઆટલી પ્રસિદ્ધિ મળવા છતાં તેણે પોતાના શિક્ષણ પરથી ધ્યાન હટાવ્યું નથી. મલાલા ધારે તો હવે તેણે એટલી પ્રસિદ્ધિ અને પૈસા કમાઈ લીધા છે કે તેણે ભણવાની કોઈ જરૂર નથી, છતાં તે ગંભીરતાથી ભણી રહી છે અને પોતાના પ્રભાવને વધારે પ્રભાવી બનાવી રહી છે.

મલાલા અધિકાર માટે અને અન્યાય સામે પ્રતિકારનું પણ પ્રતીક છે ત્યારે તેના એક વાક્ય સાથે જ લેખ પૂરો કરીએ, ‘જ્યારે આખું વિશ્વ મૌન પાળતું હોય ત્યારે એક અવાજ પણ શક્તિશાળી પુરવાર થાય છે.’

(‘દિવ્ય ભાસ્કર’ની 23મી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)