Wednesday, June 27, 2018

જેલ ખાલી કરો અભિયાન

દિવ્યેશ વ્યાસ


ઇંગ્લેન્ડમાં હોમ ડિટેક્શન કર્ફ્યૂ યોજના અંતર્ગત સામાન્ય ગુનેગારોને વહેલા મુક્ત કરવામાં આવે છે


(આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)

જંગલમાં જેલ હોતી નથી. જંગલનો કાયદો કોઈ પણ નાનો કે મોટો ગુનો કરનારને એક જ સજા ફરમાવે છે, સજા-એ-મોત. માનવીએ આ જંગલમાં જ પોતાની અલગ વસાહત ઊભી કરી. વસાહતના પોતાના અલગ કાયદા બનાવવામાં આવ્યા, જે ‘માનવીય’ હોવા જોઈએ, એવી સમજ ધીમે ધીમે કેળવાતી ગઈ. ગુના મુજબ સજા કરવા માટે દંડ સંહિતાઓ રચવામાં આવી. સજાનાં સ્વરૂપો અને પ્રકારો પણ સમય સાથે બદલાતાં રહ્યાં છે. આજના સમયની વાત કરીએ તો મૃત્યુદંડની પદ્ધતિ બદલવી જોઈએથી માંડીને મૃત્યુદંડ નાબૂદ જ કરી દેવા સુધીની ચર્ચાઓ ચાલી રહી છે. આવા માહોલમાં સજા તરીકે કારાવાસનો જ વિકલ્પ વધારે અજમાવાય છે. ભારત અને ચીન જ નહિ, પરંતુ અમેરિકા અને યુરોપના દેશોમાં પણ જેલની ક્ષમતા કરતાં કેદીઓની સંખ્યા વધતી જાય છે. આ કારણે જેલનું ભારણ-ખર્ચમાં વધારો થાય છે, સાથે સાથે વ્યવસ્થાપનના પ્રશ્નો વધી રહ્યા છે. આ સમસ્યા દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.

ઇંગ્લેન્ડમાં આ સમસ્યાનો ઉકેલ ‘જેલ ખાલી કરો’ના અભિગમ સાથે શરૂ કરવામાં આવેલી નવી યોજના દ્વારા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ઇંગ્લેડની સ્થિતિ પર નજર નાખીએ તો વર્ષ 1993થી 2016ના ગાળામાં જેલોમાં કેદીઓની સંખ્યા બમણી થઈ ગઈ. ઓવરક્રાઉડેડ જેલની વધતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે સામાન્ય પ્રકારના ગુનામાં પકડાયેલા કેદીઓને સમય કરતાં થોડા વહેલા છોડવાની નીતિ અખત્યાર કરવામાં આવી. આ માટે ક્રાઇમ એન્ડ ડિસઓર્ડર એક્ટ - 1998 અંતર્ગત હોમ ડિટેક્શન કર્ફ્યૂ (HDC) યોજનાને કાયદાકીય રીતે સ્વીકારવામાં આવી અને વર્ષ 1999થી હોમ  ડિટેક્શન કરફ્યૂ સ્કીમનો પ્રારંભ કરવામાં આવ્યો. જોકે, ગુનેગારને વહેલો છોડવાની પ્રક્રિયા ખૂબ જટિલ હતી અને કેદીઓની અરજીઓ લાલફિતાશાહીમાં અટવાઈ જતી હતી. યોજના અમલમાં મૂક્યા છતાં જેલની સ્થિતિમાં કોઈ સુધારો ન જણાયો. વર્ષ 2016માં 35,000 કેદીઓ મુક્તિ મેળવવા માટે લાયક જણાયા હતા, પરંતુ માત્ર 9000ને (21 ટકા)આ યોજનાનો ફાયદો અપાયો હતો.  આમ, યોજનાનો હેતુ બર આવતો નહોતો. યોજનાના અમલીકરણમાં ક્યાં મુશ્કેલી આવે છે અને મામલો ક્યાં અટવાય છે તેનો અભ્યાસ કર્યા પછી આ વર્ષના પ્રારંભે જાન્યુઆરીથી એક નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી અને HDCની પ્રક્રિયાને સુગમ કરવામાં આવી.

ઇંગ્લેન્ડમાં હોમ ડિટેક્શન કર્ફ્યૂ યોજના હવે ગતિ પકડી રહી છે અને તેનાં સારાં પરિણામો પણ મળી રહ્યા છે. ગત 22મી જૂનના રોજ એક જ દિવસમાં કુલ 1,108 કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા અને આ જૂન મહિનામાં જ 22મી તારીખ સુધીમાં 2,196 કેદીઓને જેલમુક્તિ અપાઈ છે. આ સાથે જેલમાં બંધ કેદીઓની સંખ્યા છેલ્લાં આઠ વર્ષની સપાટી પર પહોંચી ગઈ છે. જાન્યુઆરી 2010માં ઇંગ્લેન્ડની જેલોમાં કેદીઓની કુલ સંખ્યા 82,653 હતી અને હવે 22મી જૂન, 2018ના રોજ કેદીઓની સંખ્યાનો આંક 82,694ની સપાટીએ પહોંચ્યી શક્યો છે.

હોમ ડિટેક્શન કર્ફ્યૂ યોજનાનો લાભ દરેક કેદી લઈ શકતો નથી. તેના માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. ચાર વર્ષથી વધુ સજા મળી હોય એવા કેદીઓ જેમણે ગંભીર ગુનો કર્યો હોય, તેમને આ યોજનાનો લાભ મળતો નથી તો છેડતી કે બળાત્કાર જેવા જાતિય ગુનાઓમાં દોષિત ઠરેલાને પણ આ યોજનામાં છૂટછાટ મળતી નથી. યોજના અંતર્ગત ત્રણ મહિનાથી ચાર વર્ષની જેલની સજા ભોગવતા કેદીઓની વર્તણૂકના આધારે તેમને આ યોજનાનો લાભ આપવાનું નિર્ધારિત થાય છે. આ કેદીઓને છોડી મૂકવામાં કેટલું જોખમ રહેલું છે, તેનો પણ અંદાજ કાઢીને નિર્ણય લેવામાં આવે છે. કેદીને બે અઠવાડિયાથી લઈને 120 દિવસ વહેલા છોડવામાં આવે છે.

હોમ ડિટેક્શન કરફ્યૂ અંતર્ગત કેદીને વહેલો મુક્ત કરવામાં આવે છે, પરંતુ તેની હલચલ પર દેખરેખ રાખવામાં આવે છે. કેદીના શરીર પર ઇલેક્ટ્રોનિક ટેગ લગાડવામાં આવે છે, જેના થકી તેની હલચલનું મોનિટરિંગ થઈ શકે. કેદીએ આપેલા સરનામા પર સાંજે 7થી સવારના 7 સુધી ફરજિયાતપણે રહેવું પડે છે. તેઓ રાત્રે ક્યાંય જઈ શકતા નથી. કેદીના ઘરમાં પણ એક મશીન લગાવાય છે, જેના આધારે ખ્યાલ આવે છે કે કેદી ખરેખર ઘરમાં જ છે. આમ, જેલમુક્ત કરાયેલા કેદીને સાવ છોડી મૂકવામાં નથી આવતો. વળી, આવા કેદી જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરે તો તેને ફરી જેલમાં મોકલવામાં આવે છે અને અગાઉ કરતાં વધારે સમય માટે જેલમાં રાખવામાં આવે છે.આમ, આ યોજના થકી કેદીઓની મુક્તિની સાથે સાથે સમાજમાં કોઈ જોખમ ઊભું ન થાય, તેની પણ કાળજી રાખવામાં આવે છે.

જેલ ખરેખર તો સુધારણા ગૃહ બનવી જોઈએ, પરંતુ એવું ભાગ્યે જ બનતું હોય છે અને તેનું એક કારણ જેલની ક્ષમતા કરતાં કેદીઓની વધારે સંખ્યા પણ છે. સામાન્ય ગુનો કરનારા કે આવેશમાં આવી જઈને ગુનો આચરી નાખનારાને સુધરવા માટે, સામાન્ય જીવન જીવવા માટે અને પોતાની ભૂલ સુધારવા માટે તક જરૂર મળવી જોઈએ.

ઇંગ્લેન્ડ ઉપરાંત સ્કોટલેન્ડ જેવા દેશોમાં પણ HDC અમલમાં છે. આપ ણા દેશમાં તો કાચા કામના કેદીઓની સંખ્યા પણ મોટા પાયે છે. આપણી જેલોની હાલત ગંભીર છે ત્યારે HDC જેવી યોજનાઓ લાગુ પાડવાની દિશામાં વિચારવા જેવું છે.

(દિવ્ય ભાસ્કરની 27મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 20, 2018

શરણાર્થીઓની સિતમયાત્રા

દિવ્યેશ વ્યાસ


સમગ્ર વિશ્વમાં શરણાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વિસ્થાપન એક વૈશ્વિક સમસ્યા બની ગયું છે

(શરણાર્થી શિબિરની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધીને મૂકી છે)

‘મુઝસે મિલને કે લિયે, કિસી કો ખટખટાના નહીં હોગા દરવાજા, કેવલ ફટેહાલ સરકારી તંબૂ કા પર્દા સરકાના હોગા’ વિસ્થાપિત કાશ્મીરી પંડિત અને કવિ મહારાજ કૃષ્ણ ભરતની આ પંક્તિમાં છુપાયેલા દર્દની આપણે તો પૂરી કલ્પના પણ ન કરી શકીએ. જિંદગીમાં એક વસ્તુ ખોવાઈ જાય કે એક વ્યક્તિ સાથેનો નાતો તૂટી જાય, એનું દુ:ખ પણ આપણાથી જીરવાતું નથી હોતું ત્યારે પોતાના જીવનનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, એવી વ્યક્તિનું દર્દ કેટલું વસમું હશે, એ તો જેના પર વીતી હોય એ જ જાણે! 21મી સદીમાં દુનિયા જે અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, એમાંની એક સૌથી મોટી સમસ્યા વિસ્થાપનની છે. દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા સતત વધતી જાય છે, એમ એમ વિસ્થાપનની સમસ્યા વકરતી જાય છે.

શરણાર્થી બનવા જેવી મોટી લાચારી બીજી કોઈ હોઈ ન શકે. પોતાનું ઘર છૂટી જાય, પોતાનું ગામ છૂટી જાય, પોતાનાં સગાંસંબંધીઓનો સાથ છૂટી જાય, નસીબ ફૂટેલાં હોય તો પરિવારજનો પણ છૂટી જાય, પોતાની જમીન-જાયદાદ છૂટી જાય, નોકરી-ધંધો છૂટી જાય... શું શું નથી છૂટી જતું એક શરણાર્થીના જીવનમાંથી? ટૂંકમાં, જીવનમાં જે કંઈ પોતાનું ગણીને પ્રેમથી જીવન જીવી રહ્યા હોઈએ, એ સઘળું એક ઝાટકે છૂટી જાય ત્યારે બચેલું જીવન વરદાન છે કે શાપ, એ નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે. આજે વિશ્વ શરણાર્થી દિવસ (20 જૂન, વર્લ્ડ રેફ્યુજી ડે) છે ત્યારે શરણાર્થીઓની સિતમયાત્રાને જાણવી અને સંવેદવી જરૂરી છે.

વર્તમાન વિશ્વમાં વ્યક્તિને શરણાર્થી બનાવતાં મુખ્ય ચાર કારણો પર નજર નાખીએ તો સૌથી પહેલાં આવે છે, યુદ્ધ. બે દેશોની સરહદ પર તણખા ઝરે ત્યારે ઘર-ગામ છોડવા પડતાં હોય છે. બીજું કારણ છે, આતંકવાદ. અમુક ક્ષેત્રોમાં જ્યારે કટ્ટરવાદીઓનું વર્ચસ્વ વધી જાય ત્યારે સામાન્ય લોકો ગામ-દેશ છોડવા મજબૂર બનતા હોય છે. ત્રીજું કારણ છે કોમી-વંશીય રમખાણો. રોહિંગ્યા મુસ્લિમોએ હાલમાં મ્યાનમાર છોડવા મજબૂર બનવું પડ્યું છે, તે આ કારણનું જલદ ઉદાહરણ છે. ચોથું અને સામાન્ય લોકોને ધ્યાનમાં ન આવતું કારણ છે, આર્થિક પરિયોજનાઓ. વિકાસના નામે ચાલતા પ્રોજેક્ટને કારણે હજારો લોકોએ વિસ્થાપિત થવું પડે છે. વિકાસ કરવો હોય તો ભોગ તો આપવો પડે, એ બોલવું સહેલું છે, પરંતુ મૂળ સાથે ઊખડવાની પીડા તો જેણે ભોગવી હોય એ જ જાણતું હોય છે. વિસ્થાપન માટેનાં કારણો જુદાં જુદાં હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના વિસ્થાપનોમાં એક નોંધપાત્ર સામ્યતા એ જોવા મળી છે કે ગરીબ, વંચિત, પછાત, હાંસિયામાં ધકેલાયેલા અને આદિવાસી સમૂહોએ જ વિસ્થાપનની વસમી પીડા વધારે ભોગવવી પડતી હોય છે, કારણ કે તેઓ પોતાનો અવાજ રજૂ કરવા માટે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સક્ષમ હોતા નથી. આથી તેમણે વસવાટ માટે અન્ય પ્રદેશ અપનાવવો પડે છે અને નવા પ્રકારની આજીવિકા ઊભી કરવા માટે મથવું પડે છે. અજાણ્યા લોકો, અજાણ્યા દેશ-પ્રદેશમાં જ્યાં પોતાનું કોઈ નથી હોતું ત્યાં તેમણે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવું પડે છે. શૂન્યમાંથી સર્જન કરવા માટે ઓછામાં ઓછી એક પેઢીએ તો ભોગ આપવો જ પડે છે.

શરણાર્થીઓને સામનો કરવો પડે એવી બીજી સમસ્યા એ છે કે દુનિયાના ભાગ્યે જ કોઈ સ્થળે તેમને આવકાર મળતો હોય છે. બહારથી આવેલાને શંકાથી કે ડરથી જોવામાં આવતાં હોય છે. વળી, શરણાર્થીઓના પુન:સ્થાપન માટે રાજ્ય કે દેશ પર જે આર્થિક ભારણ આવે છે, એની પણ અવગણના થઈ શકે નહીં.

શરણાર્થીઓની સિતમયાત્રા ઘણી લાંબી ચાલતી હોય છે. ચાલો, આપણે એવો સમાજ રચીએ, વિકાસનો એવો અભિગમ અપનાવીએ કે કદી કોઈએ વિસ્થાપિત ન થવું પડે.

(દિવ્ય ભાસ્કરની 20મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 13, 2018

યત્ર નાર્યસ્તુ શાસન્તિ...

દિવ્યેશ વ્યાસ


સ્પેનમાં વિશ્વનું સૌથી વધારે મહિલા મંત્રીઓ ધરાવતું મંત્રીમંડળ રચાયું છે, જે આગામી શાસકીય પરિવર્તનનો સંકેત છે

(સ્પેનના નવા મંત્રીમંડળની તસવીર જેમાં 11 મહિલા મંત્રીઓ નજરે પડે છે. તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધેલી છે.)


લેખનું શીર્ષક વાંચીને કોઈને શંકા પડી શકે કે કંઈક લોચો વાગ્યો છે, શીર્ષક તો ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે...’ હોવું જોઈએ. પણ ના, કોઈ લોચો વાગ્યો નથી. વાત નારીની જ્યાં પૂજા થતી હોય તેની નથી કરવી, પરંતુ નારી જ્યાં શાસન કરતી હોય એની કરવી છે. ગયા સપ્તાહે 7મી જૂને સ્પેનમાં નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. કેબિનેટના જે 17 મંત્રીઓએ શપથ લીધા, તેમાં 6 પુરુષ મંત્રીઓની સામે મહિલા મંત્રીઓની સંખ્યા અધધ લાગે એટલી 11 હતી! સ્પેન અને યુરોપ જ નહિ, કદાચ વિશ્વની કોઈ પણ સરકારમાં આટલી મોટી સંખ્યામાં મહિલાઓનું નેતૃત્વ જોવા મળ્યું નથી. સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર આશરે 65 ટકા મહિલા મંત્રીઓ સાથે આ નવું સ્પેનિશ મંત્રીમંડળ વિશ્વનું સૌથી વધુ મહિલા વર્ચસ્વ ધરાવતું મંત્રીમંડળ છે.
કોઈ પણ દેશની સરકારમાં મોટી સંખ્યામાં મહિલાઓને પ્રતિનિધિત્વ મળ્યું હોય, એવો આ પહેલાનો દાખલો સ્વીડનનો છે. સ્વીડનમાં 12 મહિલા અને 11 પુરુષ મંત્રીઓ ધરાવતી સરકાર રચાઈ ચૂકી છે. હાલમાં મહિલા મંત્રીઓ મોટી સંખ્યામાં હોય એવું મંત્રીમંડળ ફ્રાંસ, સ્વીડન અને કેનેડા ધરાવે છે. આ ત્રણેય દેશોના મંત્રીમંડળોમાં આશરે 50 ટકા જેટલાં મહિલા મંત્રીઓ ફરજ બજાવી રહ્યાં છે. આ આંકડા દર્શાવે છે કે રાજકીય-શાસકીય ક્ષેત્રે મહિલાઓનો દબદબો વધી રહ્યો છે. એમાંય સ્પેને સ્થાપેલો નવો રેકોર્ડ, આગામી શાસકીય પરિવર્તનનો એક મોટો સંકેત ગણી શકાય.

સ્પેનની રાજકીય સ્થિતિની થોડી વિગતો જોઈએ તો ભ્રષ્ટાચારના મુદ્દે વર્તમાન સરકાર પડી ભાંગતાં નવી સરકાર રચવાની નોબત આવી. વર્ષ 2011થી સત્તા પર રહેલા વડાપ્રધાન મારિયાનો રાજોયને તેમના પક્ષના કાર્યકરો-નેતાઓ દ્વારા આચરવામાં આવેલાં કૌભાંડોનો ભાંડો ફૂટતાં તેમણે સત્તાથી હાથ ધોવા પડ્યા. નવી સ્થિતિમાં 350 સંસદીય બેઠકોમાંથી માત્ર 84 બેઠકો ધરાવતા સ્પેનિશ સોશિયાલિસ્ટ વર્કર્સ પાર્ટીના યુવા નેતા પેડ્રો સાંચેઝને યુરોપીયન યુનિયનના સપોર્ટને કારણે સરકાર રચવાની તક મળી ગઈ. અર્થશાસ્ત્રના પ્રોફેસર રહી ચૂકેલા માત્ર 46 વર્ષના સાંચેઝે હવે લઘુમતી સરકાર ચલાવવાની છે. સાંચેઝે મંત્રીમંડળમાં પોતાના પક્ષના નેતાઓ ઉપરાંત અન્ય પક્ષના નેતાઓને તેમજ જે તે ક્ષેત્રના નિષ્ણાતોને પણ મંત્રીમંડળમાં સમાવીને સંતુલન સાધવાની કોશિશ કરી છે, પરંતુ આ કોશિશમાં તેમણે પોતાના મંત્રીમંડળમાં શક્ય એટલી વધારે મહિલાઓને સમાવીને એક તીરે અનેક લક્ષ્ય સાધી લીધા છે. તેમના આ નિર્ણયે તેમને વિશ્વભરમાં રાતોરાત પ્રસિદ્ધિ અપાવવા ઉપરાંત તેમણે સ્પેન દેશની મહિલાઓના દિલ પણ જીતી લીધા છે.

સાંચેઝે માત્ર દેખાડા પૂરતું જ મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન નથી આપ્યું, બલકે સરકારનાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયોનાં સુકાન નારીશક્તિને સોંપ્યાં છે. સૌથી પહેલાં તો તેમણે નાયબ વડાપ્રધાનનું પદ એક મહિલા નેતાને આપ્યું છે. આ ઉપરાંત નાણાં, સંરક્ષણ, કાયદા,  શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન, પર્યાવરણ અને સાંસ્કૃતિક બાબતો જેવા મહત્ત્વપૂર્ણ ખાતાં-મંત્રાલયોની જવાબદારી મહિલા મંત્રીઓને સોંપી છે. અનુભવી મહિલા નેતા કાર્મન કાલ્વોને નાયબ વડાપ્રધાન બનાવવા ઉપરાંત તેમને સમાનતા મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. કાર્મન કાલ્વોએ શપથગ્રહણ પછી નિવેદન આપ્યું હતું કે ‘આ સરકાર લોકશાહી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવું અસમાનતા ઘટાડવાનું કામ રોજેરોજ કરશે અને દેશમાં વ્યાપકપણે સમાનતા, ખાસ કરીને પુરુષ અને મહિલા વચ્ચેની સમાનતા લાવવા માટે મથશે.’

વડાપ્રધાન સાંચેઝે જણાવ્યું હતું કે અમારું મંત્રીમંડળ ‘પ્રો-જેન્ડર ઇક્વાલિટી, ક્રોસ જનરેશનલ, સમગ્ર વિશ્વ માટે ખુલ્લું છતાં યુરોપીયન યુનિયન સાથે જોડાયેલું છે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમે દેશ-સમાજમાં સમાનતા સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

સ્પેનના મંત્રીમંડળમાં મહિલાઓને મોટી સંખ્યામાં સ્થાન મળ્યું એ માટે એ દેશની મહિલાઓની વધતી જાગૃતિ અને તાકાત જવાબદાર છે. ભારતમાં મહિલા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવું તો દૂરની વાત છે, પરંતુ 30 ટકા અનામત આપવાનું વિધેયક પણ સંસદમાં વર્ષોથી ઠેબાં ખાઈ રહ્યું છે. રાજકીય પક્ષો જાગવાના નથી, મહિલાઓએ જ જાગવું પડશે!

(દિવ્ય ભાસ્કરની 13 મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)

Wednesday, June 6, 2018

ભાષાની ભૂલ કેમ ચલાવાય?

દિવ્યેશ વ્યાસ


ટ્રમ્પના પત્રમાં ભાષાની ભૂલો જોઈને નિવૃત્ત શિક્ષિકા અકળાઈ ઊઠ્યાં. આપણે ભાષા પ્રત્યે સભાન છીએ?


ધારી લો કે તમારા પર દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કે પછી મુખ્યમંત્રીનો પત્ર આવે તો તમે શું કરો? તમે રાજી રાજી થઈ જાવ. પત્ર આખા ઘરને અને સોસાયટીને બતાવી આવો કે જુઓ, કોણે મને પત્ર લખ્યો છે. તમારો વટ પાડવા માટે તમે એ પત્રને સોશિયલ મીડિયા પર પણ અચૂક મૂકો જ... ખરું ને? પણ શું તમે એ પત્રની ભાષા અને જોડણીની ચકાસણી કરો? શું એ પત્રમાં રહેલી વ્યાકરણની ભૂલો જોઈને નારાજ થાવ ખરા? એ અંગે ફરિયાદ કરો ખરા? ભાગ્યે જ કોઈનો જવાબ ‘હા’માં હશે. આપણે પત્રમાં જે વાત લખી હોય તેનાથી સંતોષ થઈ જાય પછી ભાષા-વ્યાકરણની ‘માથાકૂટ’માં પડવામાં માનતા નથી. જોકે, અમેરિકાનાં નિવૃત્ત શિક્ષિકા ઈવોન મેસન જરા જુદી માટીનાં છે. ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના 28 મે, 2018ના અંકમાં ‘OMG This Is Wrong!’ શીર્ષક સાથે એક અહેવાલ પ્રગટ થયો હતો, જેમાં ઈવોન મેસને રાષ્ટ્રપતિ ટ્રમ્પના પત્રમાં જોવા મળેલી ભાષા અને વ્યાકરણની ભૂલો અંગે વ્યક્ત કરેલા રોષની વાત લખવામાં આવી હતી.

61 વર્ષનાં ઈવોન મેસન એટલાન્ટા શહેરમાં રહે છે. તેઓ હાઈસ્કૂલમાં અંગ્રેજી ભાષાનાં શિક્ષિકા હતાં. વર્ષ 2017માં જ તેઓ નિવૃત્ત થયાં. ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર વર્ષ 2018 શરૂ થયું હતું ત્યારે તેમણે એક સંકલ્પ કર્યો હતો કે વ્હાઇટ હાઉસને રોજ એક પોસ્ટકાર્ડ લખવું અને જરૂરી મુદ્દાઓ ઉઠાવવા.

ગત ફેબ્રુઆરીમાં ઈવોન મેસને પોતાના પત્રમાં ફ્લોરિડાના પાર્કલેન્ડ ખાતે એક શાળામાં થયેલા ખુલ્લેઆમ ફાયરિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ટ્રમ્પને ફાયરિંગમાં માર્યા ગયેલાઓના પરિવારજનોને મળવાની સલાહ પણ આપી હતી. આ પત્રનો પ્રતિભાવ વ્હાઇટ હાઉસ તરફથી 3 મેના રોજ અપાયો, જેમાં નીચે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના હસ્તાક્ષર પણ હતા. આ પત્રમાં વાક્યરચના અને વ્યાકરણની અનેક ભૂલો હતી, જે જોઈને ઈવોનબહેન ખાસ્સા નારાજ થઈ ગયાં. તેમણે વિદ્યાર્થીનું લખાણ ચેક કરતાં હોય એ રીતે પત્રમાં રહેલી ભૂલો કાઢી. એ પત્ર વ્હાઇટ હાઉસને પાછો મોકલતાં પહેલાં તેની તસવીર લઈને તેને પોતાના ફેસબુક પેજ પર મૂક્યો હતો. ભાષાની ભૂલોવાળો ટ્રમ્પનો આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો હતો.

ઈવોન મેસને આ પત્ર સંદર્ભે ન્યૂ યૉર્ક ટાઇમ્સને જણાવેલું કે, ‘તે ભૂલોભરેલી ભાષામાં લખાયેલો લેખિત પત્ર હતો. ભૂલોભરેલી ભાષા કે લખાણ હું સહન કરી શકતી નથી.’ ઈવોનબહેનની છાપ આમ પણ કશું ખોટું સહન ન કરી શકનાર તરીકેની છે. તેઓ શિક્ષિકા તરીકે વિદ્યાર્થીઓને હંમેશાં કહેતાં કે તમે ભલે મત આપવા જેવડા નથી થયા છતાં તમારો અવાજ મહત્ત્વ ધરાવે છે. તમે (આ દેશ માટે) મહત્ત્વપૂર્ણ જ છો. (દેશમાં) જે કંઈ ચાલી રહ્યું છે, તમારે તેનો હિસ્સો બનવાની જરૂર છે, તમારે તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

ઈવોનબહેન ભાષાની પ્રમાણમાં સામાન્ય ભૂલ ગણાય, એ માટે પણ પોતાના રાષ્ટ્રપ્રમુખનું ધ્યાન દોરવાની ખુમારી ધરાવે છે. ઈવોનબહેનની સામે આપણે આપણી જાતને મૂકીને જોઈએ તો તરત સમજાઈ જાય કે પોતાની ભાષા માટે તેઓ જેટલા પ્રતિબદ્ધ છે, એટલા કદાચ આપણે નથી. આપણને તો ઈવોનબહેન જેવો વિચાર જ કદાચ ન આવે, કારણ કે પહેલાં તો આવી ભૂલને પકડવા માટે જરૂર જોડણી કે વ્યાકરણની સમજ આપણામાંના મોટા ભાગનાને હોતી જ નથી. બીજું કે સામેવાળાની, એમાંય સરકારી કચેરીઓમાં તો આવું જ ચાલે, આ તો સામાન્ય ભૂલ કહેવાય, એવું આપણે જાણે માની લીધું છે.

ગુજરાતી ભાષા બચાવવી હોય, સુધારવી હોય, ઉચ્ચ સ્તરે પહોંચાડવી હોય તો ઈવોનબહેનની જેમ ભાષાની ખામી જ્યાં જ્યાં (સૌ પ્રથમ પોતાનાં લખાણોમાં) નજરે ચડે ત્યાં ખમીર સાથે લડવા તૈયાર થવું જોઈએ.

(દિવ્ય ભાસ્કરની 6 જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)
(નોંધ: નિમિત્તજોગે કળશના આ જ અંકમાં મધુ રાયે પણ આ વિષય પર જ લખેલું. જેમાં તેમણે બહેનના નામનો ઉચ્ચાર ઇવોન કરેલો. સ્પેલિંગના આધારે મેં યવોન્ન (Yvonne)લખેલું, પછી બ્લોગ પર સુધારી લીધું છે.)