Wednesday, July 26, 2017

રબર સ્ટેમ્પ નહીં, ખરા રાષ્ટ્રપતિ

દિવ્યેશ વ્યાસ


આશા રાખીએ, નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ‘વર્કિંગ પ્રેસિડન્ટ’ નારાયણન સરીખા પૂર્વસૂરિઓને અનુસરવામાં ક્યારેય પાછા ન પડે!

(નારાયણનની તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

‘વરસાદ પડતો ત્યારે ઘાસની બનેલી કાચી છતમાંથી પાણી ટપકતું. અમે ભાઈ-બહેનો દીવાલ સાથે લપાઈને વરસાદ બંધ પડવાની રાહ જોતાં. આજે પણ કોણ જાણે કેટલાક કોવિંદ વરસાદમાં ભીંજાતા હશે, ખેતરમાં કામ કરતા હશે અને બે ટંકના ભોજન માટે કાળી મજૂરી કરતા હશે. પરોંખા ગામનો રામનાથ કોવિંદ આ તમામના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિભવનમાં જઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ પદે મારી પસંદગી ભારતીય લોકશાહીની મહાનતા છે.’ દેશના 14મા રાષ્ટ્રપતિ બનેલા રામનાથ કોવિંદના આ લાગણીભીના શબ્દોએ 20 વર્ષ અગાઉ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ સમયે જ કહેવાયેલાં વાક્યોની યાદ તાજી કરી દીધી, ‘દેશે પોતાના સર્વોચ્ચ પદ માટે એક એવી વ્યક્તિને પસંદ કરી છે, જે સમાજના સૌથી તળિયાના વર્ગમાં જન્મ્યો અને આ પવિત્ર ભૂમિની માટી અને તડકામાં મોટો થયો છે. આમ આદમીની નિસબત આપણા સામાજિક અને રાજકીય જીવનના મુખ્ય મંચ પર આવી ગઈ છે, તેના આ સંકેત છે. અંગત ગૌરવના કોઈ ભાવ સાથે નહીં, પણ વ્યાપક મહત્ત્વની દૃષ્ટિએ હું રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયો તેથી આજે ખુશ છું.’ કહેવાની કદાચ જરૂર નથી કે આ શબ્દો દેશના 10મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કે. આર. નારાયણનના છે. દેશના સર્વોચ્ચ પદે એક પછાત ગણાતી જાતિના નેતા માનભેર ચૂંટાયા છે ત્યારે દેશના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનનું સ્મરણ થવું સ્વાભાવિક છે. જોકે, સદગત નારાયણન દલિત રાષ્ટ્રપતિ કરતાં પણ ‘વર્કિંગ પ્રેસિડન્ટ’ તરીકે વધારે જાણીતા છે, એ સુખદ બાબત છે.

કોચ્ચેરીલ રામન નારાયણનનો જન્મ 27 ઓક્ટોબર, 1920ના રોજ કેરળ રાજ્યના ત્રાવણકોર જિલ્લાના નાનકડા ગામ પેરુમથાનમ ઉઝાવુરમાં એક દલિત ગણાતી જાતિના ગરીબ પરિવારમાં થયો હતો. બાર-પંદર કિલોમીટર ચાલીને રોજ ભણવા જતાં નારાયણને પરિવાર દ્વારા મામૂલી ફી પણ ન ભરી શકાતાં ઘણા દિવસો સુધી વર્ગખંડની બહાર ઊભાં ઊભાં ભણવું પડતું હતું. પિતા વૈદ્ય હતા અને શિક્ષણનું મહત્ત્વ સમજતા હતા, એટલે નારાયણનનો અભ્યાસ અટક્યો નહીં. પોતાની મહેનત અને તેજસ્વિતાના જોરે સ્કોલરશિપ મેળવી મેળવીને નારાયણન ભણતા રહ્યા. યુનિવર્સિટી ઑફ ત્રાવણકોરમાં અંગ્રેજી સાહિત્યમાં સૌથી વધારે માર્ક સાથે તેમણે માસ્ટર ડિગ્રી મેળવી. એ વખતે એવો કાયદો હતો કે કૉલેજના ટોપરને કૉલેજમાં જ પ્રોફેસર તરીકે નોકરીએ રાખી લેવામાં આવે. નારાયણન દલિત પરિવારમાંથી આવતા હોવાથી કૉલેજે તેમને પ્રોફેસર નહીં, ક્લાર્કની પોસ્ટ સ્વીકારવા કહેવાયું! સ્વમાની નારાયણને પદવીદાન સમારંભનો જ બહિષ્કાર કર્યો. (ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી યુનિવર્સિટી દ્વારા તેમને સસન્માન પદવી એનાયત કરવામાં આવી હતી.) નારાયણન નોકરીની શોધમાં દિલ્હી પહોંચી ગયા. દિલ્હીમાં પત્રકાર તરીકે (ધ હિંદુ અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં) થોડા સમય કામ કર્યું. પછી ફેલોશિપની મદદથી તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ભણવા ગયા અને ત્યાં અર્થશાસ્ત્ર તથા પોલિટિકલ સાયન્સમાં ડિગ્રીઓ મેળવી. હેરાલ્ડ લાસ્કીના માનીતા શિષ્ય બન્યા. લાસ્કીએ નહેરુ પર એક ચિઠ્ઠી લખી દીધી. નહેરુ લાસ્કીની ભલામણ કરતાં પણ નારાયણનની પ્રતિભા અને પ્રતિબદ્ધતાથી પ્રભાવિત થયા અને તેમને વિદેશ સેવાઓમાં અધિકારી તરીકે નિયુક્ત કર્યા. નારાયણને થાઇલેન્ડ, તુર્કી, ચીન અને છેલ્લે અમેરિકામાં રાજદૂત તરીકે સેવાઓ આપી હતી. ઇન્દિરા ગાંધીએ તેમને રાજકારણમાં જોતર્યા. કેરળના ઓટ્ટાપલમથી તેઓ ત્રણ વખત (1984, 1989 અને 1991) સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. કેન્દ્રમાં આયોજન, વિદેશી બાબતો અને સાયન્સ-ટેક્નોલોજીના મંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી. 1992માં તેઓ સર્વસંમતિથી ઉપરાષ્ટ્રપતિ તરીકે બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા. 1997માં વિક્રમસર્જક 95 ટકા મતો સાથે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા હતા. ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ટી.એન. શેષન સામે તેમણે જંગી મતોથી જીત મેળવેલી. સૌથી વધારે મતોથી જીતવાનો તેમનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી.

ખંડિત જનાદેશના દોરમાં નારાયણને રાષ્ટ્રપતિ તરીકે સરકાર રચવા માટે સૌથી વધુ બેઠકો ધરાવતા પક્ષને નહીં, પણ બહુમત હાંસલ કરી શકવા સક્ષમ પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપવાની નવી અને સ્વસ્થ પરંપરા ઊભી કરી હતી. રાષ્ટ્રપતિ પદે તેઓ રબર સ્ટેમ્પ બનીને ક્યારેય રહ્યા નહોતા, તેઓ હંમેશાં બંધારણને સર્વોચ્ચ માનીને પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કરતા હતા. ઉત્તર પ્રદેશ કે બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો મુદ્દો હોય કે કારગિલ યુદ્ધ વખતે કાર્યવાહક વાજપેયી સરકારના શાસનમાં રાજ્યસભામાં ચર્ચા કરાવવવાનો નિર્ણય હોય, 2002માં ગુજરાત રમખાણોમાં કેન્દ્ર સરકારની ભૂમિકા હોય કે પછી બંધારણ બદલવાની તોફાની ચર્ચા હોય, દરેક વખતે તેમણે રાષ્ટ્રપતિને છાજે એવું સ્ટેન્ડ લીધું હતું અને એટલે જ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે જાણીતા (સાથે સાથે અળખામણા પણ) બન્યા હતા. આશા રાખીએ, નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નારાયણન સરીખા પૂર્વસૂરિઓને અનુસરવામાં ક્યારેય પાછા ન પડે!

(‘દિવ્ય ભાસ્કર’ની 26મી જુલાઈ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમના લેખની મૂળ પ્રત)

Wednesday, July 19, 2017

લોકશાહીના લડવૈયાની વિદાય

દિવ્યેશ વ્યાસ


લ્યૂ શ્યાબાઓનું નિધન માત્ર એક વ્યક્તિની વિદાય નથી, પણ ચીનમાં લોકશાહીના એક જીવતાજાગતાં સપનાનો અંત છે

(તસવીર ગૂગલ પરથી શોધીને મેળવેલી છે.)

Freedom of expression is the foundation of human rights, the source of humanity, and the mother of truth. (અભિવ્યક્તિની આઝાદી માનવ અધિકારનો પાયો છે, માનવતાનો સ્રોત છે અને સત્યની માતા છે.) આ શબ્દો છે ચીનમાં લોકશાહી, વ્યક્તિગત સ્વતંત્રતા, અભિવ્યક્તિની આઝાદી અને માનવ અધિકાર માટે આખરી શ્વાસ સુધી સંઘર્ષરત લ્યૂ શ્યાબાઓના. તાજેતરમાં ગયા ગુરુવારે 13મી જુલાઈ, 2017ના રોજ 61 વર્ષના લ્યૂ શ્યાબાઓનું નિધન થયું. મોતનું દેખીતું કારણ તો લીવરનું કેન્સર ગણાવાયું છે, પણ કેન્સર પીડિત કરતાં તેઓ ચીની શાસકોની ક્રુરતાથી વધારે પીડિત હતા. વર્ષ 2009થી 11 વર્ષની કેદની સજા કાપી રહેલા લ્યૂને કેન્સરનું નિદાન થવા છતાં ચીની સરકારે તેમને ઝડપી અને આધુનિક સારવાર આપવાની તસદી લીધી નહોતી. લ્યૂની તબિયત અત્યંત ખરાબ થઈ, કેન્સર લગભગ આખરી તબક્કામાં વ્યાપી-વકરી ગયું ત્યારે તેમના મેડિકલ પેરોલ મંજૂર કરાયા અને જૂનના આખરી સપ્તાહમાં જ તેમને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયા. આ માણસ હવે કોઈ કાળે બચશે નહીં એવી ખાતરી થયા પછી જ તેમની સારવાર શરૂ કરવામાં આવી અને એ પણ અત્યાધુનિક મેડિકલ સુવિધા વિનાની હોસ્પિટલમાં. ચીની શાસકો કોઈ પણ રીતે આ માણસને મારી જ નાખવા માગતા હતા, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

એક માણસ એવો તે કેટલો બળવાન કે એક મહાસત્તા તેના અંતિમ શ્વાસ સાથે નિરાંતનો દમ લે! એવું તે શું હતું લ્યૂ શ્યોબાઓમાં કે ચીની શાસકોને તેઓ આંખના કણાની જેમ ખટકતા હતા? લ્યૂ શ્યાબાઓ સાક્ષર હતા, શિક્ષક હતા, સવાલકર્તા હતા, બૌદ્ધિક હતા, આંદોલનકારી હતા, લેખક હતા, માનવ અધિકારવાદી હતા, લોકશાહીના સમર્થક હતા, અભિવ્યક્તિની આઝાદીના લડવૈયા હતા... આ બધાથી ઉપર સત્યના ચાહક હતા અને માનવતાના ઉપાસક હતા, તમે જ કહો આવાં લક્ષણો અને પ્રવૃત્તિઓવાળો માણસ તો કયું શાસન સાંખી લે?! શ્યાબાઓએ જેલ પસંદ કરી, સત્તાધીશોની સતામણી અને સીતમ સહન કર્યા પણ પોતાને જે સત્ય લાધ્યું તેની સાથે સમાધાન કદી ન કર્યું. અનેક દેશોના આશ્રય આપવાના પ્રસ્તાવો છતાં શ્યાબાઓએ કદી પોતાનો દેશ ન છોડ્યો અને દેશમાં કોઈ પણ ભોગે લોકશાહીની પોતાની લડત પણ ન છોડી.

લ્યૂ શ્યાબાઓનું નામ સૌથી પહેલા 1989ની સાલમાં તિઆનમેન ચોક પરના વિદ્યાર્થીઓના આંદોલન વખતે ચર્ચામાં આવ્યું હતું. ‘ફોર જેન્ટલમેન્સ ઑફ તિઆનમેન સ્ક્વેર’માંના એક એવા લ્યૂ ત્યારે કોલંબિયા યુનિવર્સિટીના વિઝિટિંગ સ્કોલર હતા. વિદ્યાર્થી આંદોલનમાં સહયોગ આપવા માટે તેઓ અમેરિકા છોડીને ચીનમાં પાછા ફર્યા અને આંદોલનના બીજા તબક્કા (ભૂખ હડતાળ) વખતે જોડાયા હતા. આ આંદોલન તેમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની ગયું. આંદોલન દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને હિંસક બનતાં અટકાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી તો 4 જૂન, 1989ના રોજ ચીની શાસકોએ આંદોલનને કચડી નાખવા માટે તિઆનમેન ચોક પર આંદોલન કરનારા વિદ્યાર્થીઓ પર બંદૂકની ગોળીઓ અને ટેન્કરોથી તોપગોળા છોડ્યા ત્યારે વિદ્યાર્થીઓને સલામતીપૂર્વક સ્થળ છોડી દેવા માટે રસ્તો કરી આપવા માટે પણ સત્તાધીશો સાથે વાટાઘાટો કરીને મૃત્યુઆંકને ઓછામાં ઓછો રાખવા મથ્યા હતા. આ આંદોલન પછી તેમને કારાવાસ ભોગવવો પડ્યો અને જીવનના આખરી શ્વાસ સુધી તેમણે ચીની સત્તાધીશો સામે ઝઝૂમવું પડ્યું હતું.

વર્ષ 2008માં તેમણે ‘ચાર્ટર 08’ના નામે જાણીતી થયેલી અરજી કરી હતી, જેમાં ચીનમાં રાજકીય ક્રાંતિ થકી ચીનની એક જ રાજકીય પક્ષ કમ્યૂનિસ્ટ પાર્ટીના આધિપત્યને ખતમ કરવાનું આહ્્વાન કર્યું હતું. ચીનમાં લોકશાહીની સ્થાપના માટે અવાજ બુલંદ કર્યો હતો. આ અરજીને કારણે તેમને 2009માં 11 વર્ષની જ જેલની સજા ફટકારવામાં આવી હતી. ચીન સરકારને તેમના પર એટલી બધી દાઝ હતી કે વર્ષ 2010માં તેમને જ્યારે શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો ત્યારે તેમને એ લેવા જવા દેવાયા નહોતા, ઊલટું તેમના પર સીતમ વધી ગયા. તેમનાં પત્નીને લ્યૂ શિયાને પણ નજરકેદ કરી લેવાયાં. (લ્યૂના નિધન પછી તેમને મુક્ત કર્યાના અહેવાલો છે.) લ્યૂએ પોતાને મળેલા નોબેલને 4 જૂન, 1989ના રોજ તિઆનમેન ચોક પર શહીદ થયેલા યુવાનોને અર્પણ કર્યો હતો!

આર્થિક વિકાસ સાધીને કોઈ દેશ મહાસત્તા બની શકે, પરંતુ પોતાના શ્રેષ્ઠ, બૌદ્ધિક-વિચારવંત અને ઉદારમતવાદી નાગરિકોની આઝાદી છીનવનાર, તેમને દબાવનાર-સતાવનાર દેશ ક્યારેય મહાન રાષ્ટ્ર બની શકે નહીં.

લ્યૂનું નિધન માત્ર એક વ્યક્તિની વિદાય નથી, પણ ચીનમાં લોકશાહીના એક જીવતાજાગતાં સપનાનો અંત છે! ૐ શાંતિ!

(‘દિવ્ય ભાસ્કર’ની 19મી જુલાઈ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 12, 2017

હિંદના દાદા : દેશવાસીઓના હમદર્દ

દિવ્યેશ વ્યાસ


હિંદના દાદા ગણાતા દાદાભાઈ નવરોજી ભારતના ખેડૂતોના દુ:ખો અને સમસ્યાઓથી સુપરિચિત-સુચિંતિત હતા


(ગૂગલ પરથી ઇમેજ મેળવેલી છે.)

મહાત્મા ગાંધીએ તેમને ‘હિંદના દાદા’ ગણાવીને વંદના કરી હતી, એવા દાદાભાઈ નવરોજીએ પોતાના 93 વર્ષના દીર્ઘજીવનમાં અનેક રીતે દેશસેવા કરી હતી. કોઈ પણ ક્ષેત્રે ‘દાદા’ કે ‘દાદુ’ (માસ્ટર) એમ જ બનાતું નથી. દાદાભાઈએ પોતાની બુદ્ધિ, સમજ, ક્ષમતા, વિવેક, મહેનત અને સંઘર્ષ થકી પોતાના નામને સાર્થક કરી બતાવ્યું હતું. ગત 30મી જૂનના રોજ દાદાસાહેબના નિધનને 100 વર્ષ થયાં એટલે ભારત માતાના આ લાલને યાદ કરવાનું એક મહત્ત્વપૂર્ણ નિમિત્ત ઊભું થયું છે.

મુંબઈમાં એક સાધારણ પારસી પરિવારમાં 4 સપ્ટેમ્બર, 1825ના રોજ જન્મેલા દાદાભાઈના જીવનમાં સંઘર્ષનું શરૂઆત બહુ નાની વયથી થઈ ચૂકી હતી. દાદાભાઈ માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા નવરોજી પાલનજીનું નિધન થયું. એ જમાનામાં માતા કંઈ ભણેલા નહોતા, પરંતુ તેમણે દીકરાને ભણાવ્યો અને મેધાવી વિદ્યાર્થી તરીકે દાદાભાઈએ વિખ્યાત એલ્ફિંસ્ટન કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. દાદાભાઈની જીવનમાં બધે સર્વપ્રથમ જ રહેવાની આદતનો પાયો એલ્ફિંસ્ટન કૉલેજથી જ નખાયો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી માત્ર 25 વર્ષની વયે તેમણે પોતાની માતૃસંસ્થા એટલે કે એલ્ફિંસ્ટન કૉલેજમાં ગણિતના પ્રોફેસરનું પદ હાંસલ કર્યું. એલ્ફિંસ્ટન જેવી શિક્ષણસંસ્થાઓમાં પ્રોફેસર જેવું સન્માનનીય પદ હાંસલ કરનારા તેઓ સર્વપ્રથમ ભારતીય હતા. પ્રોફેસર તરીકે તેમણે મહિલાઓના શિક્ષણ માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા હતા. દાદાભાઈની પ્રતિભાને જોઈને કામા બંધુઓએ તેમને પોતાની કંપનીમાં ભાગીદાર બનાવ્યા અને યુરોપમાં કંપનીના કામકાજની મોટી જવાબદારી સોંપી. ઈંગ્લેન્ડમાં કાર્યરત થનારી કામ એન્ડ કંપની દેશની પહેલી કંપની હતી અને તેનું સુકાન દાદાભાઈએ બખૂબી સંભાળ્યું હતું. આ કંપની છોડીને પછી તેમણે 1859માં પોતાની કંપની પણ ત્યાં સ્થાપી હતી. ઇંગ્લેન્ડમાં રહીને વેપારની સાથે સાથે દાદાભાઈએ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મદદરૂપ બનીને તેમને માર્ગદર્શન આપવાનું મોટું કામ કર્યું. મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા સહિતના અનેક ભારતીય વિદ્યાર્થીઓને દાદાસાહેબની હુંફ મળી હતી. આગળ જતાં દાદાસાહેબે જ્યારે જાહેરજીવનમાં જંપલાવ્યું ત્યારે ઝીણાએ તેમના સહાયક તરીકે પણ કામ કર્યું હતું!

દાદાભાઈની એ સમજને દાદ દેવી પડે કે તેમણે અંગ્રેજી રાજવહીવટમાં ભારતીયોની સામેલગીરીનો મુદ્દો પકડ્યો હતો. તેઓ દૃઢપણે માનતા હતા કે પ્રશાસનમાં પણ ભારતીયોનો સમાવેશ થવો જ જોઈએ તો જ ભારતીયોને ન્યાય મળી શકે. આ માટે તેમણે ઇંગ્લેન્ડમાં રહીને ખૂબ પ્રયાસો કર્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓને પ્રશાસનિક સેવાઓ માટે સજ્જ-સક્ષમ કરવા માટે પણ તેમણે ઘણી મહેનત કરી હતી. આ દૃષ્ટિકોણ સાથે જ સંસદીય પ્રણાલીના પ્રખર સમર્થક એવા દાદાભાઈએ બ્રિટિશ લોકસભા (હાઉસ ઑફ કૉમન્સ) માટે ચૂંટણી લડવાનું પણ સાહસ ખેડ્યું હતું. પહેલી વાર તો ચૂંટણી હારી ગયેલા, પરંતુ હતાશ થયા વિના તેમણે જાહેરજીવનમાં ધીમે ધીમે એવી પ્રતિષ્ઠા હાંસલ કરી કે 1892માં લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે માત્ર 3 મતની પાતળી બહુમતી સાથે પણ ચૂંટણી જીતીને હાઉસ ઑફ કોમન્સના સભ્ય બન્યા હતા. બ્રિટિશ પાર્લમેન્ટમાં સાંસદ બનનારા તેઓ સર્વપ્રથમ ભારતીય જ નહિ, એશિયન હતા!

તાજેતરમાં આપણે શશિ થરુરે બ્રિટનમાં આપેલા એક જુસ્સાદાર ભાષણથી ખૂબ પ્રભાવિત થઈ ચૂક્યા છીએ ત્યારે નોંધનીય વાત એ છે કે બ્રિટિશ સાંસદ તરીકેના પહેલા જ વક્તવ્યમાં દાદાસાહેબે ભારતમાં અંગ્રેજોની શોષણકારી આર્થિક નીતિને ઉઘાડી પાડી હતી. અંગ્રેજો કઈ રીતે ભારતને ગરીબ બનાવી રહ્યા છે, તેની અભ્યાસપૂર્ણ રજૂઆત કરીને સમગ્ર બ્રિટિશ સલ્તનતને હચમચાવી દીધી હતી. દાદાસાહેબે ‘ડ્રેઇન થિયરી’ રજૂ કરી હતી, જેમાં આંકડાકીય વિગતો સાથે તેમણે બ્રિટિશરો સમક્ષ સાબિત કરી દીધું હતું કે તેઓ ભારતનું મોટા પાયે આર્થિક શોષણ કરી રહ્યા છે, જે અન્યાયી અને અમાનવીય છે. દાદાસાહેબે ‘પોવર્ટી એન્ડ અન-બ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા’માં (1901) બ્રિટિશર્સ કેવા કેવા મોટા પાયે વેરા ઉઘરાવે છે, તથા ભારતીયોનું શોષણ કરીને આર્થિક સમૃદ્ધિ બ્રિટનમાં ખેંચી જવામાં આવે છે, એ વાતને સ્પષ્ટ અને સખત શબ્દોમાં વ્યક્ત કરી હતી.દાદાસાહેબનાં વક્તવ્યોમાં ભારતના ખેડૂતો માટેની હમદર્દી વારંવાર છલકાતી હતી. એક તરફ ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી ઊજવાઈ રહી છે તો બીજી તરફ ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો અટકતો નથી એવા સંજોગોમાં હિંદના દાદાની ખેડૂતો માટેની હમદર્દી વિશેષ પ્રસ્તુત બની છે. દેશમાં દુષ્કાળ અને અંગ્રેજોના આર્થિક શોષણ સામે દાદાસાહેબે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. આજે દેશમાં ખેડૂતોના હમદર્દ હોય એવા નેતાઓનો દુષ્કાળ છે ત્યારે દાદાસાહેબનું સ્મરણ વધુ તીવ્ર બને છે.

‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઑફ ઇન્ડિયા’ તરીકે જાણીતા દાદાસાહેબના દેશસેવામાં અગણિત યોગદાનોમાંનું એક મહત્ત્વપૂર્ણ યોગદાન છે - ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપનામાં સહભાગિતા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપના કરનારાઓમાં એ.ઓ. હ્યુમ અને દિનશૉ અદુલજી વાચા પછી ત્રીજા પાયાના પથ્થર હતા દાદાભાઈ નવરોજી. દાદાભાઈ 1886, 1893 અને 1906, એમ ત્રણ વખત કૉંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા. દાદાભાઈએ કૉંગ્રેસના યુવા નેતાઓ તરીકે લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે અને મહાત્મા ગાંધી જેવાને હંમેશાં પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બ્રિટિશ પાર્લમેન્ટના સાંસદ તરીકેના શપથ બાઇબલ પર હાથ મૂકીને નહીં પણ પોતાના પારસી ધર્મના ધર્મગ્રંથ પર હાથ મૂકીને લેવાનો આગ્રહ રાખનારા દાદાભાઈને પોતાના ધર્મ પ્રત્યે પૂરેપૂરો આદર અને ગર્વ જરૂર હતો, પરંતુ તેઓ ધર્મ કરતાં માતૃભૂમિને-દેશને વધારે મહત્ત્વ આપતા હતા. પોતાના ધર્મનું ઠાલું ગૌરવ લેવાનું તો આ બૌદ્ધિકને ક્યાંથી પોષાય? તેમણે પારસી ધર્મની સુધારણા માટે ઘણી જહેમત ઉઠાવીને પોતાના ધર્મ-સમુદાયની મોટી સેવા કરી હતી.

દાદાભાઈના ગુજરાત કનેક્શનની વાત કરીએ તો એક તો તેઓ ગુજરાતીભાષી પરિવારમાં જ ઉછર્યા હતા. બીજું તેમણે ‘રાસ્ત ગોફ્તાર’ નામનું ગુજરાતી સામયિક શરૂ કર્યું હતું અને વડોદરા રાજ્યના દીવાન તરીકે પણ સેવાઓ આપી હતી.

દાદાભાઈનું નિધન 30મી જૂન, 1917ના રોજ મુંબઈ ખાતે થયું હતું. તેમની યાદમાં મુંબઈમાં તેમના નામનો માર્ગ હોય કે પ્રતિમા હોય એ સ્વાભાવિક છે, પરંતુ દાદાભાઈનું તૈલચિત્ર બ્રિટિશ પાર્લમેન્ટમાં રાખવામાં આવી છે, તેમના મતક્ષેત્રમાં તેમના નામે માર્ગ છે, એટલું જ નહિ, પાકિસ્તાનના કરાચી શહેરમાં પણ તેમના નામનો માર્ગ છે!

હિંદના દાદાને હૃદયપૂર્વક વંદન!

(‘દિવ્ય ભાસ્કર’ની 12મી જુલાઈ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 5, 2017

સર્જનની ઋતુમાં સાધનાની કસોટી

દિવ્યેશ વ્યાસ


વિખ્યાત શબ્દસ્વામી બર્નાર્ડ શૉએ લેખન માટે નોકરી છોડી દીધેલી. સર્જકતા ઘણા બધા ભોગ માગતી હોય છે! 


(બર્નાર્ડ શૉની યુવાનીની આ તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

વર્ષાઋતુનો વૈભવ એવો નિરાળો છે કે મોટા ભાગના લોકોની આ પ્રિય ઋતુ છે. વર્ષાઋતુ સર્જનાત્મકતાની ઋતુ ગણાય છે. ઝરમર વરસતો વરસાદ હોય કે મુશળધારે ખાબકતો મેઘો હોય, તે આપણામાં રહેલા સર્જકત્વને જબરી કિક આપતો હોય છે. ચમકતી વીજળીની સાથોસાથ આપણા દિમાગમાં પણ સહજપણે ક્રિએટિવ આઇડિયાઝ ચમકવા માંડે છે. વરસાદને કારણે માત્ર માટી જ નહીં, આપણું મન પણ પલળીને ભીનું ભીનું થઈ જતું હોય છે. વરસાદ પછી જેમ ધરતી લીલીછમ બની જાય છે તેમ આપણી ભીતર પણ હરિયાળી છવાઈ જતી અનુભવાતી હોય છે. આ હરિયાળી થકી જાતજાતનાં પુષ્પો જેવાં રંગબેરંગી સર્જનોનો ફાલ ઊતરી શકે છે. વર્ષાઋતુ ચોક્કસપણે સર્જનની ઋતુ બની શકે છે, પરંતુ શરત માત્ર એટલી જ કે તમારામાં ધરતી જેટલી ધરપત હોવી જોઈએ.

ધરપત? એ વળી શું? લાવ લાવ અને ખાવ ખાવની વિસ્તરતી જતી માનસિકતા વચ્ચે ‘ધરપત’ નામનાે શબ્દ જાણે હવે સાવ અજાણ્યો થઈ પડ્યો છે. આપણને બધું અબ્બીહાલ, અર્જન્ટ, ઇન્સ્ટન્ટ જોઈએ છે. તૃષા, તાલાવેલી અને તલસાટના ઉકળાટા વધી પડ્યા છે ત્યારે ધરપત રાખવાની સૂધબૂધ આપણે લગભગ ગુમાવી દીધી છે. ઉકળાટા અને ઉધામા હોય ત્યાં ધરપતનું નામોનિશાન ન હોય અને જ્યાં ધરપત નહીં ત્યાં નવા સર્જનનો શૂન્યાવકાશ જ સર્જાય!

સર્જનાત્મકતા-સર્જકતા કંઈ સહેલી નથી હોતી, તે બહુ બધા ભોગ માગે છે. એક નાનકડું સર્જન માત્ર તમારો સમય અને શક્તિ જ નહીં, સાથે સાથે બીજું ઘણું બધું ઓળવી લેતું હોય છે. સર્જનાત્મક વ્યક્તિએ એક અર્થમાં સાધક જ બનવાનું હોય છે. કળાની-ક્રિએટિવિટીની સાધના કરવી પડે છે અને તો જ એ ખીલે છે.

સર્જનની આ ઋતુમાં સર્જકો-સાહિત્યકારોએ કેવી સાધના કરવી પડે છે, કેવા કેવા ભોગ આપવા પડે છે, તે મુદ્દો સૂઝવાનું નિમિત્ત બન્યા છે - વિખ્યાત શબ્દસ્વામી જ્યોર્જ બર્નાર્ડ શૉ. ઈ.સ. 1880માં આજની તારીખે એટલે કે 5મી જુલાઈએ જ બર્નાર્ડ શૉએ લેખનમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાની સારા પગારની નોકરીનો ત્યાગ કર્યો હતો. માત્ર 23 વર્ષના શૉએ જ્યારે નોકરી છોડી ત્યારે લેખક તરીકે તેમનું એવું કોઈ નામ પણ નહોતું થયું કે લેખનમાંથી તેઓ એવી કોઈ માતબર રકમ પણ નહોતા મેળવતા, છતાં તેમના માંહ્યલાએ સંકેત કરી દીધેલો કે આપણે તો લેખન માટે જ સર્જાયા છીએ અને હવે બીજું કશું કરવું નથી, ભલે જે થવું હોય તે થાય!

બર્નાર્ડ શૉ કંઈ માલેતુજાર પરિવારમાંથી નહોતા આવતા. તેમના પરિવારની આર્થિક હાલત નિમ્ન મધ્યમ વર્ગની ગણાય. માતા-પિતાનાં ત્રણ સંતાનોમાં સૌથી નાના અને એકમાત્ર દીકરા હોવાને કારણે ઘરની સ્થિતિ જોઈને તેમણે માત્ર પંદર વર્ષની વયથી નોકરી કરવાનું શરૂ કરી દીધેલું. બર્નાર્ડ શૉએ પોતાના વતન ડબલિન ખાતે જમીન દલાલની પેઢીમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી સ્વીકારેલી. પોતાની સખત મહેનતને કારણે તેઓ ટૂંક સમયમાં હેડ કેશિયર બની ગયા હતા. જોકે, પછી તેઓ પોતાની માતાની જેમ લંડન આવી ગયા. લંડનમાં તેમને કારકૂની કામ કરવાની જરાય ઇચ્છા નહોતી. તેઓ ચિત્રકાર બનવા માગતા હતા, પણ નિયતિમાં કંઈક જુદું જ નિર્ધાર્યું હતું. શૉનાં માતાના મિત્ર એક મેગેઝિનમાં સંગીત સંબંધિત કૉલમ લખતા હતા, તેમણે શૉને ઘોસ્ટ રાઇટિંગ કરવાનું કામ આપ્યું. ભૂતિયા લેખક બન્યા પછી શૉ પર લખવાનું, ખાસ કરીને નવલકથા અને નાટકો લખવાનું ભૂત સવાર થયું! એ દરમિયાન શૉને નવી નવી શરૂ થયેલી એડિસન ટેલિફોન કંપનીમાં 1879માં નોકરી મળી ગઈ અને તેમનું કામ જોઈને ફટાફટ પ્રમોશન પણ મળ્યું, પણ સર્જન-લેખનનો સ્વાદ ચાખી ગયેલા શૉને નોકરીમાં બહુ રસ નહોતો રહ્યો. તેમણે 1880માં સારા પગારની નોકરીને ત્યજી દીધી અને પૂર્ણ સમય લેખન પાછળ વિતાવવાનો નિર્ધાર કર્યો. આ નિર્ધારે તેમને ઘણાં વર્ષો નિર્ધન રાખ્યા, પણ તેમની ધરપતને કારણે વિશ્વસાહિત્ય ઘણું સમૃદ્ધ થઈ શક્યું!

(‘દિવ્ય ભાસ્કર’ની 5મી જુલાઈ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)