Wednesday, October 25, 2017

કચરો! એ વળી કઈ બલા?

દિવ્યેશ વ્યાસ


તમે માનશો? લોરેન સિંગર નામની અમેરિકન યુવતી છેલ્લાં પાંચ વર્ષથી કચરામુક્ત જીવન જીવી રહી છે!


(લોરેન સિંગરની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)

આપણે સૌએ રંગેચંગે દિવાળી ઊજવી અને નવા વિક્રમ સંવતને હેમખેમ વધાવી પણ લીધું. દિવાળી દીપ, રંગોળી, ફટાકડા, શુભેચ્છાઓની સાથે સાથે સ્વચ્છતાનું પણ પર્વ છે! ભાગ્યે જ એવું કોઈ ઘર હશે, જ્યાં દિવાળીને વધાવવા-ઊજવવા માટે સાફસફાઈ અભિયાન ન ચલાવાતું હોય. આખા વર્ષમાં ઘરના ખૂણેખાંચરે એકઠા થતાં કચરા-ધૂળ-બાવાજાળાંને એકઝાટકે ઘરવટો આપી દેવામાં આવતો હોય છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની બોલબાલા વધી છે ત્યારે શું આપણે કલ્પના કરી શકીએ કે કચરામુક્ત જીવન પણ જીવી શકાય? કોઈ પણ પ્રકારનો કચરો પેદા કર્યા વિના રોજિંદી જિંદગી જીવી શકાય? આપણા માન્યામાં ન આવે એવી હકીકત છે કે અમેરિકાની એક 26 વર્ષની યુવતી છેલ્લાં પાંચ વર્ષથી ‘ઝીરો પર્સેન્ટ વેસ્ટ’ના સિદ્ધાંતનું સુપેરે પાલન કરી રહી છે.

હાલ ન્યૂ યૉર્કમાં રહેતાં લોરેન સિંગરે વર્ષ 2012થી કચરામુક્ત જીવન અપનાવ્યું છે અને આજે તેઓ સફળતાપૂર્વક અને સહજતાપૂર્વક 100 ટકા કચરામુક્તિનો લુત્ફ ઉઠાવી રહી છે. લોરેન મૂળે તો પર્યાવરણની વિદ્યાર્થિની હતી અને ત્યાંથી જ તેમને પર્યાવરણ-મિત્ર જીવન જીવવાનો ‘સોલો’ ચડેલો. કચરામુક્ત જીવન માટે લોરેન આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે. ‘TED’માં ટૉક આપી ચૂકેલાં લોરેન www.trashisfortossers.com નામનો બ્લોગ ચલાવે છે તથા યુ ટ્યૂબ પર પોતાના વીડિયો થકી રોજિંદા જીવનમાં કઈ રીતે કચરાને પેદા થતો અટકાવી શકાય, એ માટે ટિપ્સ આપે છે અને લોકોના પ્રશ્નો-મૂંઝવણોનો જવાબ આપે છે.

લોરેને પોતાને કચરામુક્ત જીવન જીવવાનો ધક્કો ક્યાંથી અને કઈ રીતે લાગ્યો, એ અંગે પોતાના લેખોમાં ખુલાસો કરેલો છે કે ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં પર્યાવરણની વિદ્યાર્થી તરીકે ભણતી વખતે જ પર્યાવરણની મોટી મોટી વાતો અને નવા નવા સમજાયેલા ખયાલોથી હું મારી જાતને મોટી પર્યાવરણવાદી માનવા માંડેલી. એ સમયે અમારી એક સહપાઠી યુવતી રોજ પ્લાસ્ટિકની થેલીમાં પ્લાસ્ટિકના ડબ્બાઓમાં તૈયાર ખાવાનું લાવતી, તેમાં ડિસ્પોઝેબલ ડિસ અને ચમચી-કાંટા વગેરે પણ રહેતાં. તે ભોજન કરીને આ બધી સામગ્રી કચરાપેટીમાં પધરાવી દેતી. આ જોઈને મને રોજ ખીજ ચડતી, પણ હું અંદરથી સમસમીને ચૂપ રહેતી. એક દિવસ મને પેલી વિદ્યાર્થિની પર ગુસ્સો ચડ્યો જ હતો ને હું ઘરે ગઈ. મૂડ ઠીક કરવા મેં રસોઈ બનાવવા વિચાર્યું. મેં જેવું મારું ફ્રીઝ ખોલ્યું કે કે હું થીજી ગઈ. મેં જોયું કે ફ્રીઝમાં દરેક વસ્તુ કાં તો પ્લાસ્ટિકના ડબ્બામાં હતી કે પછી પ્લાસ્ટિકની થેલીમાં. મને અહેસાસ થયો કે પર્યાવરણપ્રેમીના નામે હું તો નર્યો દંભ જ કરું છે. આ અહેસાસે મારી આંખ ઉઘાડી અને કચરામુક્ત જીવન જીવવાની દૃષ્ટિ મળી.

લોરેને કોઈ મુલાકાતમાં કબૂલ કર્યું છે કે સંપૂર્ણ કચરામુક્ત (ઝીરો પર્સેન્ટ વેસ્ટ) જીવન કંઈ એક રાતમાં લાવી શકાય એવી પ્રક્રિયા નથી. મેં મહિનાઓ સુધી મારા રોજિંદા જીવનનો અભ્યાસ કર્યો, ક્યાં, કેવો અને કઈ રીતે કચરો પેદા થાય છે, તેનું નિરીક્ષણ કર્યું અને પછી કચરો કઈ રીતે નિવારી શકાય, એ માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું. લગભગ એક-દોઢ વર્ષે અનેક પ્રયોગો અને પ્રયાસોથી આખરે કચરામુક્તિ સિદ્ધ થઈ શકી. ચાર વર્ષના અંતે એક નાની કાચની બરણીમાં સમાઈ જાય, એટલો જ કચરો તેણે પેદા કર્યો હતો.

કચરામુક્ત જીવન જીવવા માટે પ્રેરણારૂપ બનેલાં લોરેન કહે છે કે ઝીરો પર્સેન્ટ વેસ્ટને કારણે હું આજે ઘણા બધા પૈસા બચાવું છું, સારું-પૌષ્ટિક-તાજું ભોજન લઉં છું અને વધારે સુખી છું, સ્વસ્થ છું અને આનંદમાં રહી શકું છું.

આવતી દિવાળીએ ઘરમાં કચરો સાફ કરવાની ઝંઝટમાંથી સંપૂર્ણપણે મુક્ત થવું હોય તો તમે પણ ‘ઝીરો પર્સેન્ટ વેસ્ટ’નો સિદ્ધાંત અપનાવો. 100 ટકા કચરામુક્તિ શક્ય ન બને તોપણ ‘શક્તિ (કે સમજ) એટલી ભક્તિ (પ્રયાસ)’ કરીને કચરાને ઓછામાં ઓછો કરીને પોતાની સાથે સાથે પર્યાવરણનું પણ કલ્યાણ કરી શકો છો. પૃથ્વી અને પર્યાવરણના અસ્તિત્વ માટે કંઈક તો કરવું જ પડશે. બોલો, ક્યારથી શરૂ કરવું છે?

(‘દિવ્ય ભાસ્કર’ની 25મી ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, October 18, 2017

દિવાળી અને સમૃદ્ધિની કામના

દિવ્યેશ વ્યાસ


દિવાળીના પર્વ પર લક્ષ્મીજીની પૂજા સાથે સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. સમૃદ્ધિ અંગેની સમજ ‘ગરીબ’ ન ચાલે! સંત વિનોબાના લક્ષ્મી અંગેના વિચારો જાણીને આપણી સમજ સમૃદ્ધ કરીએ... 


(આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે. ભારતનાં અન્ય રાજ્યો-પ્રદેશો કરતાં ગુજરાતમાં દિવાળીનો ઉત્સાહ બેગણો વધારે હોય છે, કારણ કે આપણે ત્યાં દિવાળીના બીજે દિવસે નવા વર્ષના વધામણા પણ કરવામાં આવે છે. ગુજરાત વિક્રમ સંવતનું નવું વર્ષ ઊજવે છે, જેની ઉજવણી બહુ ઓછા પ્રદેશોમાં થતી હોય છે.
પ્રકાશમય આ પર્વ આપણા જીવનમાં ઉજાસ ફેલાવવાની પ્રેરણા આપે છે. આ ઉજાસ જ્ઞાનનો પણ હોઈ શકે, વિદ્યા-વિવેકનો પણ હોઈ શકે છે, સમજ-સંસ્કારનો પણ હોઈ છે, સંવેદનાનો પણ હોઈ શકે, પરિશ્રમ અને પુણ્યતાનો હોઈ શકે અને સુખ-સમૃદ્ધિનો પણ હોઈ શકે. દિવાળીના જુદા જુદા દિવસોના તહેવારોમાં ખાસ કરીને લક્ષ્મીજી અને સરસ્વતી દેવી તથા ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. મા સરસ્વતી વિદ્યાની દેવી ગણાય છે, જ્યારે લક્ષ્મીજી સમૃદ્ધિની દેવી ગણાય છે. દિવાળીની શુભેચ્છાઓની સાથે નૂતન વર્ષના અભિનંદન પાઠવતું એક વાક્ય બહુ સર્વસામાન્ય રીતે જોવા-વાંચવા મળતું હોય છે, ‘આપનું નવું વર્ષ સુખ-સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છાઓ.’ સુખમય જીવન માટે સમૃદ્ધિ જરૂરી છે. લોકો શ્રદ્ધાપૂર્વક એવું માનતા હોય છે કે લક્ષ્મીજીની કૃપાથી આપણે સમૃદ્ધિ પામી શકીએ છીએ. સમૃદ્ધિને આપણે લક્ષ્મીજીનું સ્વરૂપ જ માનીએ છીએ અને મોટા ભાગે લક્ષ્મી જ કહીએ છીએ.

લક્ષ્મી કે સમૃદ્ધિ અંગેની આપણી સમજ ‘ગરીબ’ હોય એ તો કેમ ચાલે! આપણે મોટા ભાગે પૈસાને જ લક્ષ્મી ગણી લેવાની ભૂલ કરતા હોઈએ છીએ. વિનોબા ભાવેએ રોજિંદા જીવનમાં પૈસા/રૂપિયાનો વ્યવહાર જ ન રહે એવી નવી વ્યવસ્થા માટે કાંચનમુક્તિનો પ્રયોગ આદર્યો હતો. એ સમયગાળામાં વિનોબાની ‘લફંગા પૈસાનું અનર્થકારણ’ નામની પુસ્તિકા પ્રસિદ્ધ થઈ હતી, જેમાં પૈસા અને લક્ષ્મી કે શ્રી વચ્ચે કેવો અને કેટલો મોટો ભેદ છે, એ ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું, ‘લક્ષ્મી અને પૈસાને એક માની લેવા જેવી ગેરસમજ બીજી કોઈ નથી. આ ભારે મોટો ગોટાળો થઈ ગયો છે. લક્ષ્મી અને પૈસો હરગિજ એક નથી. પૈસા તો કૃત્રિમ વસ્તુ છે. તેની કિંમત કાયમ ઓછીવત્તી થયા કરે છે, કારણ કે તેની પોતાની કિંમત જ નથી હોતી. એટલે મેં તો તેને લફંગો પૈસો જ કહ્યો છે અને પાછો આપણે તેને આખા સમાજનો કારભારી બનાવી દીધો છે! તેને લીધે સમાજની આજે બહુ જ ભયાનક અવસ્થા થઈ ગઈ છે.’

વિનોબાએ આગળ લક્ષ્મી એટલે શું એ સુંદર રીતે સમજાવ્યું છે, ‘લક્ષ્મી એટલે તો શ્રી, શોભા, ઉત્પાદન, સૃષ્ટિનું ઐશ્વર્ય, સૃષ્ટિની વિષ્ણુશક્તિ, સૃષ્ટિનું નિર્માણ. જ્યારે પૈસા તો કૃત્રિમ વસ્તુ છે. નાસિકના સરકારી પ્રેસમાં નોટો છપાય છે. એક ઠપ કર્યો કે એક રૂપિયાની નોટ અને એક ઠપ કર્યો કે એકસો રૂપિયાની નોટ! એક રૂપિયાની ને એકસો રૂપિયાની નોટ પાછળ એટલો ને એટલો એક સરખો પરિશ્રમ! આવી છે રૂપિયાની ઘટોત્કચની માયા! પૈસાનું કોઈ સ્થિર મૂલ્ય નહીં. જ્યારે લક્ષ્મીનું તો સ્થિર મૂલ્ય છે. અનાજ લક્ષ્મી છે. પહેલાં જેટલા અનાજથી પેટ ભરાતું, આજે પણ તેટલા જ અનાજથી પેટ ભરાય છે. એક શેર અનાજ ઉત્પન્ન કરવા જેટલો પરિશ્રમ કરવો પડે છે, તેના કરતાં બે શેર અનાજના ઉત્પાદન માટે બમણો પરિશ્રમ કરવો પડે છે.’
વિનોબાએ લક્ષ્મી અંગે બીજી એક મહત્ત્વની વાત કરેલી છે, ‘લક્ષ્મી તો દેવી છે અને તે શ્રમથી ઉત્પન્ન થાય છે. જે શ્રમનો ઉપાસક હશે, ઉદ્યોગ કરનારો હશે, તેને જ લક્ષ્મી વરશે. અનાજ, શાકભાજી, ફળફૂલ એ બધું લક્ષ્મી છે. તેને ઉત્પન્ન કરવા માટે મહેનત કરવી પડે છે. લક્ષ્મી તો આપણા હાથની આંગળીઓમાં વસે છે! ‘કરાગ્રે વસતે લક્ષ્મી’. ભગવાને આપણને જે હાથ આપ્યા છે, તેનાથી પરિશ્રમ કરવાથી લક્ષ્મી મળશે, પરંતુ આપણે આજે શ્રમને બદલે પૈસાને મહત્ત્વ આપી દેવાયું છે. આ બહુ ખોટું થયું છે.’

વિનોબા સોય ઝાટકીને કહેતાં, ‘સુર અને અસુર વચ્ચે જેટલો ફરક હોય તેટલો લક્ષ્મી અને પૈસા વચ્ચે ફરક છે. લક્ષ્મી દેવતા છે, પૈસો દાનવ. પૈસાને લક્ષ્મી માની લેવાથી મોટો ભ્રમ બીજો કયો હોય?’
આમ, પૈસો મારો પરમેશ્વર ક્યારેય ગણી શકાય નહીં. લક્ષ્મીજીની પૂજા કરતાં પહેલાં તેમનું સાચું સ્વરૂપ સમજવું જરૂરી છે. લક્ષ્મી અને પૈસા વચ્ચે કરાતી ગેરસમજનાં જાળાં હટાવવાનું રખે ચુકાય!

(‘દિવ્ય ભાસ્કર’ની 18 ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, October 11, 2017

નોબેલ અને ન્યુક્લિયર બૉમ્બ

દિવ્યેશ વ્યાસ


આ વર્ષે જાહેર થયેલા શાંતિ અને સાહિત્યના નોબેલ પારિતોષિકોમાં પરમાણુ શસ્ત્રોનો મુદ્દો સંકળાયેલો છે

(તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધી છે.)

દર વર્ષે 5 ઑક્ટોબરથી 12 ઑક્ટોબરના દિવસોમાં નોબેલ પુરસ્કારો જાહેર થતા હોય છે. કોઈ પણ પુરસ્કાર કે એવોર્ડ વિવાદોથી પર હોય, એવું આપણે જાણ્યું નથી. નોબેલનું નામ પડતાં જ આપણને તરત રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી યાદ આવી જતા હોય છે. ટાગોરને એવોર્ડ મળ્યો હતો, એટલા માટે અને મહાત્મા ગાંધીને નહોતો મળ્યો એટલા માટે. ટાગોરને તો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળવો જ જોઈતો હતો, પરંતુ  દુનિયામાં શાંતિના નોબેલ પારિતોષિક માટે જો કોઈ સૌથી વધારે લાયક હોય તો એ ગાંધીજી ગણાય, છતાં તેમને નહોતો મળ્યો અને એટલે જ એ વિવાદનો મુદ્દો આજેય ભૂલ્યે ભુલાતો નથી. અલબત્ત, ગાંધીજીની પ્રેરણાથી આગળ વધેલા કે તેમના વિચારોનું પાલન કરનારા ઘણા લોકો શાંતિનો નોબેલ મેળવી શક્યા છે, એ સંતોષકારક હકીકત છે.

ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મેડિસિન કે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં અપાતા નોબેલ પારિતોષિક અંગે ભાગ્યે જ વિવાદ પેદા થતો હોય છે, પરંતુ સાહિત્ય અને શાંતિનો નોબેલ પારિતોષિક કોઈ ને કોઈ કારણસર વિવાદમાં આવતો હોય છે. જોકે, આ વર્ષે સાહિત્ય અને શાંતિનો નોબેલ પારિતોષિક જેમને અપાયો છે, તેનો કોઈ ખાસ વિવાદ પેદા થયો નથી. અલબત્ત, ઉલ્લેખનીય મુદ્દો એ છે કે આ બન્ને એવોર્ડ હાંસલ કરનારા કોઈ ને કોઈ રીતે પરમાણુ શસ્ત્રો સાથે જોડાયેલા છે.

‘રિમેઇન્સ ઑફ ધ ડે’ નામની નવલકથા માટે મેન બુકર પ્રાઇઝ જીતેલા બ્રિટિશ સાહિત્યકાર કાઝુઓ ઇશિગુરોને આ વર્ષનું સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે. દુનિયા સાથે જોડાયેલી આપણી ગૂઢ સંવેદનાઓને શબ્દયાત્રા કરાવનારા કાઝુઓ પાંચ વર્ષની વયથી બ્રિટનમાં રહે છે, પરંતુ તેઓ મૂળ તો જાપાનના છે. કાઝુઓનો પરમાણુ શસ્ત્રો સાથેનો સંબંધ સાહિત્યને લગતો નહીં પણ જીવનને લગતો છે. કાઝુઓનો જન્મ ઈ.સ. 1954માં જાપાનના નાગાસાકી શહેરમાં થયો હતો, આ એ જ શહેર છે, જ્યાં અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ વખતે પરમાણુ બૉમ્બ ઝીંક્યો હતો. તેમના સાહિત્યમાં, ખાસ કરીને ‘રિમેઇન્સ ઑફ ધ ડે’માં બીજા વિશ્વયુદ્ધની વાતો આવે છે.

ખેર, આપણો મૂળ મુદ્દો તો શાંતિનું નોબેલ પારિતોષિકનો છે, જે આ વર્ષે ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ અબોલિશ ન્યુક્લિયર વેપન્સ (ICAN)ને મળ્યો છે. આ વર્ષે શાંતિના નોબેલ માટેના દાવેદારોમાં આ સંસ્થાનો ભાગ્યે જ ક્યાંય ઉલ્લેખ જોવા મળતો હતો, છતાં આ સંસ્થા મેદાન મારી ગઈ છે ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય પણ થયું છે. અલબત્ત, આ સંસ્થાને શા માટે પસંદ કરવામાં આવી, એ અંગેની સ્પષ્ટતા નોબેલ પસંદગી સમિતિએ કરી છે. નોર્વેની સમિતિએ 2017ના શાંતિના નોબેલને પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશોને 15000 પરમાણુ હથિયારો નષ્ટ કરી દેવાની અપીલ ગણાવી છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે અંટશ વધી રહી છે અને યુદ્ધનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. એમાંય ઉત્તર કોરિયા તો પરમાણુ હુમલાની ધમકીઓ આપ્યા કરે છે. આવા માહોલમાં પરમાણુ શસ્ત્રો જગતની શાંતિ જ નહીં અસ્તિત્વ સામેનો પણ મોટો પડકાર બની ગયો છે. આ સંજોગોમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા જ્યારે દુનિયાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરાવવાની ઝુંબેશ ચલાવી રહી છે, પરમાણુ સંપન્ન દેશોને પરમાણુ શસ્ત્રોનો નાશ કરી દેવા સમજાવી રહી છે, એ પ્રશંસનીય અને પોંખવાલાયક પ્રયાસ છે.

ICAN નામની સંસ્થા છેલ્લા એક દાયકાથી દુનિયાને પરમાણુ શસ્ત્રથી મુક્ત કરવા મથી રહી છે અને તેની સાથે દુનિયાના કુલ 101 દેશોની 468 સંસ્થાઓ પણ આ મામલે સક્રિય છે. આ સંસ્થાને હમણાં જુલાઈ-2017માં જ એક મોટી સફળતા મળી હતી. આ સંસ્થાના પ્રયાસોને કારણે જ 7 જુલાઈ, 2017ના રોજ ન્યૂ યૉર્ક ખાતે દુનિયાના 122 દેશોએ યુનાઇટેડ નેશન્સ ન્યુક્લિયર વેપન બાન ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા હતા. અલબત્ત, પરમાણુ હથિયારો ધરાવતા દેશોએ આ સંધિમાં હસ્તાક્ષર કર્યા નહોતા, છતાં આજે દુનિયા પરમાણુ મુક્ત થવા માગે છે, એ વાત વધારે નક્કર રીતે વ્યક્ત થઈ હતી અને પરમાણુ હથિયારો માટે મૂછો મરડનારાને કડક સંદેશો આપવામાં આવ્યો હતો. આ સંસ્થાને નોબેલ મળ્યો, તેની સૌથી વધારે ખુશી જાપાનીઝ લોકોને થઈ છે, કારણ કે તેઓ પરમાણુ શસ્ત્રનો ભોગ બની ચૂક્યા છે. અમેરિકા સહિતના પરમાણુ શસ્ત્રોસમ્પન્ન દેશો પણ શું આવી દુર્ઘટનાનો ભોગ બન્યા પછી જ જાગશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 11મી ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, October 4, 2017

ઘડવૈયા મારે ‘કુમારી’ નથી થાવું!

દિવ્યેશ વ્યાસ


નેપાળમાં ‘જીવતી દેવી’ની પ્રથા સદીઓથી ચાલે છે. તાજેતરમાં ત્રણ વર્ષની એક બાળાને ‘કુમારી’ જાહેર કરવામાં આવી છે

(તસવીર ગૂગલ ઇમેર પરથી મેળવી છે)

થોડા દિવસ પહેલાં જ આશરે ત્રણેક વર્ષની ઈભ્યા ગુજરાતનાં અખબારોમાં ચમકી હતી. આ દીકરીનાં પિતા તથા માતા, એમ બન્નેએ સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કરતાં આટલી નાની બાળાનું હવે શું થશે? માતા-પિતાની ગેરહાજરીમાં તેનું બાળપણ કેવું અને કેવી રીતે વીતશે? એવી ચિંતાઓ રાજ્યભરમાં પડઘાવા માંડી હતી. આ સમાચારના તરંગો હજુ શમ્યા નહોતા ત્યાં ઇન્ટરનેટ પર બીજા એક સમાચાર વાંચવા મળ્યા કે નેપાળમાં એક ત્રણ વર્ષની બાળાને ‘કુમારી’ (જીવતી દેવી) જાહેર કરવામાં આવી છે. આ બાળાએ હવે પોતાનું ઘર અને માતા-પિતાને છોડી દેવાં પડશે અને આશરે દશેક વર્ષ સુધી ઘર-પરિવારથી દૂર કુમારીઘરમાં રહેવાનું થશે!

નેપાળમાં ગત 28મી સપ્ટેમ્બરની મધરાતે શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા તૃષ્ણા શાક્ય નામની ત્રણ વર્ષની બાળાને ‘કુમારી’ તરીકે સ્થાપિત કરવામાં આવી. દેવી બનવા માટે શાસ્ત્રોમાં વર્ણિત તમામ 32 લક્ષણો ધરાવતી તૃષ્ણા હવે તલેજુ (તુલજા) માતા તરીકે પૂજાશે. તૃષ્ણાએ હવે ઘર-પરિવારથી દૂર ચોવીસેય કલાક ‘કુમારી ઘર’માં જ રહેવાનું થશે. તૃષ્ણાકુમારી ઘરમાંથી બહાર નીકળી શકશે, પરંતુ વર્ષમાં માત્ર 13 વખત અને એ પણ વારે-તહેવારે- માત્ર ‘દર્શન’ આપવા માટે! જીવતી દેવી તરીકે તેની કાળજી બહુ લેવાશે, તેનો પડ્યો બોલ ઝિલાશે, તેની મોટા ભાગની જીદ પણ પૂરી કરાશે, તેને માન-સન્માન પણ ખૂબ મળશે, લોકો તેને દેવી તરીકે પૂજશે, પરંતુ એનું બાળપણ તો છિનવાઈ જ જશે. ‘કુમારી’ તરીકે તે પૂજાશે, પરંતુ તેના પર કેવાં કેવાં નિયંત્રણો હશે, કેવા નિયમો તેણે પાળવા પડશે, એનો બિચારી ત્રણ વર્ષની બાળાને અંદાજ પણ નહીં હોય.

નેપાળમાં કુમારીપ્રથા કંઈ આજકાલની નથી, આશરે અઢીસો વર્ષથી ચાલી આવે છે. કુમારિકાને તેઓ જીવતી દેવી ગણીને પૂજે છે. કુમારિકામાં સાક્ષાત્ મા દુર્ગાનાં દર્શન કરે છે. નેપાળમાં હવે રાજાશાહી નથી રહી, બાકી પહેલાં તો નેપાળના રાજા પણ કુમારીને વંદન કરીને આશીર્વાદ મેળવતા હતા. આજે પણ રાજપરિવાર જીવતી દેવી પર આસ્થા ધરાવે છે. પહેલી નજરે તો આ વાત જાણીને કોઈ પણને અહોભાવ થઈ શકે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આજે પણ ‘જીવતી દેવી’ આકર્ષણનું એક કેન્દ્ર છે જ. અલબત્ત, જીવતી દેવી બનાવાયેલી બાળાની દૃષ્ટિએ વિચારીએ તો તેનો સામાન્ય બાળકની જેમ બાળપણ ભોગવવાનો અધિકાર છિનવાઈ જતો હોય છે. દીકરી બનીને લાડકોડ કરવાની વયે તેણે માતા-દેવી બનવાનો ભાર ભોગવવો પડે છે. ખુલ્લા આકાશમાં રમવાની ઉંમરે તેણે મંદિરમાં કેદ થઈ જવું પડતું હોય છે. ખેલવા-કૂદવાની અવસ્થામાં તેણે પાલખીમાં ખોડાઈ જવું પડે છે. નથી તે પોતાના ઘરે જઈ શકતી કે નથી પોતાનાં ભાઈ-બહેનો સાથે રમી શકતી. કુમારી જાહેર થયેલી બાળાના બાળપણનાં સુવર્ણ વર્ષો છિનવાઈ જાય છે. આગળ જતાં તે તરુણાવસ્થામાં પ્રવેશે અને માસિક ધર્મની શરૂઆત થાય ત્યારે તેને ‘કુમારી’ કે ‘જીવતી દેવી’ તરીકે નિવૃત્ત કરવામાં આવે છે. કુમારી કે જીવતી દેવી ન રહ્યાં પછી પણ તે સામાન્ય યુવતી જેવું જીવન જીવી શકતી નથી. શાસ્ત્ર પ્રમાણે તે ‘કુમારી’ મટી ગયા પછી પરણીને સંસાર પણ માંડી શકે છે, પરંતુ દેવી બનેલી યુવતીને પરણવાનું પાપ કરનાર નાની વયે મૃત્યુ પામે છે, એવી લોકમાન્યતાને કારણે ભાગ્યે જ કોઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર થતું હોય છે. વળી, તેને શિક્ષણ પણ અપાતું નથી, એટલે સ્વતંત્ર-આત્મનિર્ભર જીવન પણ જીવી શકતી નથી અને પોતાના પરિવાર પર અવલંબિત રહેવું પડે છે. જોકે, બાળ અધિકારના કર્મશીલોની અરજી પછી નેપાળની સુપ્રીમ કોર્ટે વર્ષ 2006માં પોતાના ચુકાદામાં કુમારીના અધિકારોનું હનન ન કરવા માટે તાકીદ કરી હતી અને હવે કુમારીઘરમાં જ કુમારી માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે. કુમારી જેવી પ્રથાથી સમાજનું કે ધર્મનું શું ભલું થતું હશે, આપણે જાણતા નથી, પણ જીવતી દેવી બનતી બાળાનું ભલું તો ભાગ્યે જ થતું હોય છે.

ઈભ્યા અને તૃષ્ણા, આ બન્ને બાળાઓનાં દૂધમલ જીવનમાં ધર્મ ખરેખર તો સાકર બનવો જોઈતો હતો, પરંતુ નમક કઈ રીતે બની ગયો? ધર્મ તો સૌનું રક્ષણ કરે છે, ત્યારે આપણે ધર્મને એવા તે કયા રસ્તે લઈ ગયા છીએ કે તે બાળાઓના નાજુક અધિકારોનું પણ રક્ષણ કરવા સમર્થ નથી રહ્યો? મનોમંથન જરૂરી છે. કરશોને?

(‘દિવ્ય ભાસ્કર’ની 4 ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળ પ્રત)