Wednesday, October 4, 2017

ઘડવૈયા મારે ‘કુમારી’ નથી થાવું!

દિવ્યેશ વ્યાસ


નેપાળમાં ‘જીવતી દેવી’ની પ્રથા સદીઓથી ચાલે છે. તાજેતરમાં ત્રણ વર્ષની એક બાળાને ‘કુમારી’ જાહેર કરવામાં આવી છે

(તસવીર ગૂગલ ઇમેર પરથી મેળવી છે)

થોડા દિવસ પહેલાં જ આશરે ત્રણેક વર્ષની ઈભ્યા ગુજરાતનાં અખબારોમાં ચમકી હતી. આ દીકરીનાં પિતા તથા માતા, એમ બન્નેએ સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કરતાં આટલી નાની બાળાનું હવે શું થશે? માતા-પિતાની ગેરહાજરીમાં તેનું બાળપણ કેવું અને કેવી રીતે વીતશે? એવી ચિંતાઓ રાજ્યભરમાં પડઘાવા માંડી હતી. આ સમાચારના તરંગો હજુ શમ્યા નહોતા ત્યાં ઇન્ટરનેટ પર બીજા એક સમાચાર વાંચવા મળ્યા કે નેપાળમાં એક ત્રણ વર્ષની બાળાને ‘કુમારી’ (જીવતી દેવી) જાહેર કરવામાં આવી છે. આ બાળાએ હવે પોતાનું ઘર અને માતા-પિતાને છોડી દેવાં પડશે અને આશરે દશેક વર્ષ સુધી ઘર-પરિવારથી દૂર કુમારીઘરમાં રહેવાનું થશે!

નેપાળમાં ગત 28મી સપ્ટેમ્બરની મધરાતે શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા તૃષ્ણા શાક્ય નામની ત્રણ વર્ષની બાળાને ‘કુમારી’ તરીકે સ્થાપિત કરવામાં આવી. દેવી બનવા માટે શાસ્ત્રોમાં વર્ણિત તમામ 32 લક્ષણો ધરાવતી તૃષ્ણા હવે તલેજુ (તુલજા) માતા તરીકે પૂજાશે. તૃષ્ણાએ હવે ઘર-પરિવારથી દૂર ચોવીસેય કલાક ‘કુમારી ઘર’માં જ રહેવાનું થશે. તૃષ્ણાકુમારી ઘરમાંથી બહાર નીકળી શકશે, પરંતુ વર્ષમાં માત્ર 13 વખત અને એ પણ વારે-તહેવારે- માત્ર ‘દર્શન’ આપવા માટે! જીવતી દેવી તરીકે તેની કાળજી બહુ લેવાશે, તેનો પડ્યો બોલ ઝિલાશે, તેની મોટા ભાગની જીદ પણ પૂરી કરાશે, તેને માન-સન્માન પણ ખૂબ મળશે, લોકો તેને દેવી તરીકે પૂજશે, પરંતુ એનું બાળપણ તો છિનવાઈ જ જશે. ‘કુમારી’ તરીકે તે પૂજાશે, પરંતુ તેના પર કેવાં કેવાં નિયંત્રણો હશે, કેવા નિયમો તેણે પાળવા પડશે, એનો બિચારી ત્રણ વર્ષની બાળાને અંદાજ પણ નહીં હોય.

નેપાળમાં કુમારીપ્રથા કંઈ આજકાલની નથી, આશરે અઢીસો વર્ષથી ચાલી આવે છે. કુમારિકાને તેઓ જીવતી દેવી ગણીને પૂજે છે. કુમારિકામાં સાક્ષાત્ મા દુર્ગાનાં દર્શન કરે છે. નેપાળમાં હવે રાજાશાહી નથી રહી, બાકી પહેલાં તો નેપાળના રાજા પણ કુમારીને વંદન કરીને આશીર્વાદ મેળવતા હતા. આજે પણ રાજપરિવાર જીવતી દેવી પર આસ્થા ધરાવે છે. પહેલી નજરે તો આ વાત જાણીને કોઈ પણને અહોભાવ થઈ શકે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આજે પણ ‘જીવતી દેવી’ આકર્ષણનું એક કેન્દ્ર છે જ. અલબત્ત, જીવતી દેવી બનાવાયેલી બાળાની દૃષ્ટિએ વિચારીએ તો તેનો સામાન્ય બાળકની જેમ બાળપણ ભોગવવાનો અધિકાર છિનવાઈ જતો હોય છે. દીકરી બનીને લાડકોડ કરવાની વયે તેણે માતા-દેવી બનવાનો ભાર ભોગવવો પડે છે. ખુલ્લા આકાશમાં રમવાની ઉંમરે તેણે મંદિરમાં કેદ થઈ જવું પડતું હોય છે. ખેલવા-કૂદવાની અવસ્થામાં તેણે પાલખીમાં ખોડાઈ જવું પડે છે. નથી તે પોતાના ઘરે જઈ શકતી કે નથી પોતાનાં ભાઈ-બહેનો સાથે રમી શકતી. કુમારી જાહેર થયેલી બાળાના બાળપણનાં સુવર્ણ વર્ષો છિનવાઈ જાય છે. આગળ જતાં તે તરુણાવસ્થામાં પ્રવેશે અને માસિક ધર્મની શરૂઆત થાય ત્યારે તેને ‘કુમારી’ કે ‘જીવતી દેવી’ તરીકે નિવૃત્ત કરવામાં આવે છે. કુમારી કે જીવતી દેવી ન રહ્યાં પછી પણ તે સામાન્ય યુવતી જેવું જીવન જીવી શકતી નથી. શાસ્ત્ર પ્રમાણે તે ‘કુમારી’ મટી ગયા પછી પરણીને સંસાર પણ માંડી શકે છે, પરંતુ દેવી બનેલી યુવતીને પરણવાનું પાપ કરનાર નાની વયે મૃત્યુ પામે છે, એવી લોકમાન્યતાને કારણે ભાગ્યે જ કોઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર થતું હોય છે. વળી, તેને શિક્ષણ પણ અપાતું નથી, એટલે સ્વતંત્ર-આત્મનિર્ભર જીવન પણ જીવી શકતી નથી અને પોતાના પરિવાર પર અવલંબિત રહેવું પડે છે. જોકે, બાળ અધિકારના કર્મશીલોની અરજી પછી નેપાળની સુપ્રીમ કોર્ટે વર્ષ 2006માં પોતાના ચુકાદામાં કુમારીના અધિકારોનું હનન ન કરવા માટે તાકીદ કરી હતી અને હવે કુમારીઘરમાં જ કુમારી માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે. કુમારી જેવી પ્રથાથી સમાજનું કે ધર્મનું શું ભલું થતું હશે, આપણે જાણતા નથી, પણ જીવતી દેવી બનતી બાળાનું ભલું તો ભાગ્યે જ થતું હોય છે.

ઈભ્યા અને તૃષ્ણા, આ બન્ને બાળાઓનાં દૂધમલ જીવનમાં ધર્મ ખરેખર તો સાકર બનવો જોઈતો હતો, પરંતુ નમક કઈ રીતે બની ગયો? ધર્મ તો સૌનું રક્ષણ કરે છે, ત્યારે આપણે ધર્મને એવા તે કયા રસ્તે લઈ ગયા છીએ કે તે બાળાઓના નાજુક અધિકારોનું પણ રક્ષણ કરવા સમર્થ નથી રહ્યો? મનોમંથન જરૂરી છે. કરશોને?

(‘દિવ્ય ભાસ્કર’ની 4 ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળ પ્રત)

No comments:

Post a Comment