Wednesday, February 24, 2016

હલકી દવાનો હાહાકાર

દિવ્યેશ વ્યાસ


તાજેતરમાં બે અભ્યાસોના આધારે એક આઘાતજનક આંકડો જાણવા મળ્યો છે. પરીક્ષણમાં લેવાયેલી દર સાતમાંથી એક દવા હલકી ગુણવત્તા ધરાવતી હતી એટલે કે સબસ્ટાન્ડર્ડ હતી


 વેપાર એક પવિત્ર વ્યવસાય છે, એવું કહીએ એ ગપ્પાંમાં જ ખપી જાય, એવી સ્થિતિ સર્જાતી જાય છે. માર્કેટિંગનો વ્યવસાય માત્ર માલદાર થવા માટે જ હોય, એટલે કે તેમાં માત્ર કમાવાની જ ગણતરી રાખવાની એવું માનનારો વર્ગ દિવસે દિવસે વધતો જાય છે. વેપાર-વ્યવસાયમાં પણ અમુક સિદ્ધાંતો-નીતિઓનું અનુસરણ થવું જોઈએ, એવા આદર્શો હવે જાણે આઉટ ઑફ ડેટ ગણાય છે. અન્ય બાબતોમાં તો જવા દો નફાખોર વેપારીવૃત્તિ આજે જ્યારે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં પ્રવેશી છે ત્યારથી સામાન્ય લોકો તોબા પોકારી ગયા છે. એક સમયે શિક્ષક અને ડૉક્ટરને લોકો ભગવાન સમાન ગણતા હતા, પરંતુ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પ્રવેશેલી ખોરી દાનતે આ પવિત્ર વ્યવસાયનું અધ:પતન કરાવી દીધું છે.

(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે.)
શિક્ષણ અને આરોગ્ય સેવાઓ દરેક માનવીની મૂળભૂત જરૂરિયાત છે, થોડીક અતિશયોક્તિ વહોરીને કહી શકાય કે મજબૂરી છે. આ મજબૂરીનો ભરપૂર લાભ આ ક્ષેત્રનાં ખંધાં વેપારી તત્ત્વો ઉઠાવી રહ્યાં છે. દવાનાં બેફામ ભાવ લેવામાં આવે છે, એ હવે જાણીતી હકીકત છે અને થોડા દિવસ પહેલાં જ સરકાર દવા પર લેવાતા અધધ અને આડેધડ કમિશન અંગે ચોક્કસ નીતિ ઘડશે, એવા સારા સંકેતો મળ્યા છે. જોકે, મૂળ વાત વધારે ચિંતાજનક છે, જે દવાની ગુણવત્તા અંગે છે. તાજેતરમાં બે અભ્યાસોના આધારે એક આઘાતજનક આંકડો જાણવા મળ્યો છે. પરીક્ષણમાં લેવાયેલી દર સાતમાંથી એક દવા હલકી ગુણવત્તા ધરાવતી હતી એટલે કે સબસ્ટાન્ડર્ડ હતી. નિમ્ન ગુણવત્તા ધરાવતી દવાઓની અસરકારકતા ઓછી હોય, એટલું જ નહીં, પરંતુ તેને કારણે કેટલીક આડઅસરો પણ થતી હોય છે. ડૉક્ટર અને દવા પર શ્રદ્ધા રાખીને રૂપિયાનું પાણી કરનારા દર્દીઓના દર્દની જાણે કોઈને પડી નથી. સરકારની અધિકૃત સંસ્થા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના (CDSCO) આંકડા અનુસાર ભારતમાં વેચાતી દવાઓમાંથી 4.5 ટકા દવાઓ નિમ્ન ગુણવત્તાવાળી હોય છે. જોકે, જાણકારો અને અભ્યાસો અનુસાર આ આંકડો ત્રણથી ચાર ગણો મોટો છે. જર્નલ ઑફ એપ્લાય્ડ ફાર્માસ્યુટિકલ સાયન્સના ડિસેમ્બર-2015 અને ઇન્ટરનેશનલ જર્નલ ઑફ ફાર્મસી અેન્ડ ફાર્માસ્યુટિકલ સાયન્સના 2016ના તાજા અંકમાં પ્રકાશિત બે અભ્યાસો અનુસાર ભારતમાં વેચાતી દવાઓમાં સબસ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાવાળી દવાઓનું પ્રમાણ 13થી 15 ટકા જેટલું ઊંચું છે. જોવાની વાત એ છે કે પ્રતિષ્ઠિત બ્રાન્ડની મોંઘી દવાઓ પણ પોતાની ગુણવત્તા પુરવાર કરી શકતી નથી

(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે.)
 
ભારત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મોટો નિકાસકાર દેશ છે, એ ગર્વ લેવા જેવી વાત છે, પરંતુ સાથોસાથ શરમ કરવા જેવી વાત એ પણ છે કે ભારતમાં બનેલી દવાઓ વિદેશોમાં ગુણવત્તાની દૃષ્ટિએ ઊણી ઊતરતી હોય છે. એમાંય ખાસ કરીને વિકાસશીલ અને અવિકસિત એટલે કે ગરીબ દેશોમાં વેચાતી દવાઓની ગુણવત્તા પર પૂરતું ધ્યાન અપાતું નથી, એવી ફરિયાદ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક વાર ઊઠી છે. ઘાનામાં થયેલા એક અભ્યાસ મુજબ ભારતની કંપનીઓની ભારતમાં કે વિકસિત દેશોમાં વેચાતી દવામાં 9 ટકા દવાઓ સબસ્ટાન્ડર્ડ હોય છે, જ્યારે આ જ કંપનીઓની આફ્રિકામાં વેચાતી દવાઓમાંથી 35 ટકા હલકી ગુણવત્તાની હોય છે
હલકી દવાઓનો હાહાકાર વિશ્વભરમાં વધતો જાય છે. એક બીજો અભ્યાસ જણાવે છે કે વર્ષ 2013માં આફ્રિકન દેશોમાં મેલેરિયાગ્રાસ્ત 1,22,350 બાળકોનાં મોત સબસ્ટાન્ડર્ડ દવાઓને કારણે નીપજ્યા હોવાનો અંદાજ છે.

ફાર્માસ્યુટિકલ કંપનીઓએ સબસ્ટાન્ડર્ડ દવાઓનું ઉત્પાદન અને વેચાણ અટકાવવાને પોતાનો સ્વધર્મ સમજવો જોઈએ તો સત્તાધારીઓએ આ મામલે તેમના કામ આમળવાને રાજધર્મ. હા, આપણે પણ નાગરિકધર્મ સમજીને આવા મુદ્દાઓને પણ રાષ્ટ્રપ્રેમની ચર્ચામાં સમાવવા રહ્યા
(24 ફેબ્રુઆરી, 2016ના ‘કળશ’ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ) 

Thursday, February 18, 2016

માનસ ક્રાંતિના ઉદ્દગાતા જે. કૃષ્ણમૂર્તિ

દિવ્યેશ વ્યાસ


17મી ફેબ્રુઆરીના રોજ જે. કૃષ્ણમૂર્તિની પુણ્યતિથિ ઊજવાઈ. ચાલો, મેળવીએ તેમના ક્રાંતિકારી વિચારોની ઝલક



(આ ચિત્ર ગૂગલ પરથી મેળવ્યું છે)

આપણા ધર્મભીરુ દેશમાં ધાર્મિક નેતાઓનું કાયમ વર્ચસ્વ રહ્યું છે. ધાર્મિક નેતાઓનો પ્રભાવ અંગત અને સમાજજીવનમાં રહ્યો છે, પરંતુ હવે તો વેપાર જગતમાં પણ તેમની બોલબાલા વધતી જાય છે. એક કહેવત છે, ‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી.’ અહીં રાજા તો જવા દો, શાસકોને પણ ન્યાય શીખવવાની નૈતિક જવાબદારી જે સંતો-મહંતોની છે તેઓ જ વેપારી બની રહ્યા છે! આવી સ્થિતિમાં અગાઉના સંતો-મહંતો-વિચારકોની યાદ આવ્યા વિના રહેતી નથી. આજે વાત કરવી છે એક મહાન વિચારક, જે. કૃષ્ણમૂર્તિની. દુનિયાને મૌલિક વિચારોની મબલખ મૂડી સોંપનારા જે. કૃષ્ણમૂર્તિની પુણ્યતિથિ ઊજવાઈ. વર્ષ 1986ની 17મી ફેબ્રુઆરીએ તેમનું 91 વર્ષની વયે નિધન થયેલું.
 
(આ તસવીર ગૂગલ પરથી મેળવી છે)

આજે મહામંડલેશ્વર જેવા પદ મેળવવા માટે રીતસર રાજરમતો ચાલતી હોય છે, ત્યારે જે. કૃષ્ણમૂર્તિ એવા મહામાનવ હતા, જેમણે ‘જગતગુરુ’ જેવું પદ ઠુકરાવી દીધું હતું. એટલું જ નહીં પોતાને કેન્દ્રમાં રાખીને ચાલતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ઓર્ડર ઑફ ધ સ્ટાર’નું પણ વિસર્જન કરીને સામાન્ય વ્યક્તિની જેમ, છતાં મહાન વ્યક્તિને છાજે એવું જીવન જીવ્યા હતા. લોકોને ગુરુ બનવાના ધખારા હોય છે અને શિષ્યોની સંખ્યા જોઈને ગજ ગજ છાતી ફુલાવતા હોય છે, જ્યારે જે. કૃષ્ણમૂર્તિએ ‘જગતગુરુ’નું પદ ત્યાગવા સાથે કહેલું, ‘હવેથી કૃપા કરીને યાદ રાખો કે કોઈ મારો શિષ્ય નથી, કારણ કે ગુરુ તો સત્યને દબાવે છે. સત્ય તો ખુદ તમારી અંદર જ છે. સત્યને શોધવા માટે મનુષ્યએ તમામ બંધનોથી મુક્ત થવું જરૂરી છે.’ તેઓ કહેતા સત્ય એક ‘માર્ગરહિત ભૂમિ’ છે અને તેના સુધી કોઈ પણ ઔપચારિક ધર્મ, દર્શક કે સંપ્રદાયના માધ્યમથી પહોંચી શકાય નહીં.

હજુ થોડા દિવસ પહેલાં જ આપણે વેલેન્ટાઇન્સ ડે ઊજવી ગયા. પ્રેમ અંગે જે. કૃષ્ણમૂર્તિના વિચારો જાણીએ તો આપણી આખી દૃષ્ટિ જ બદલાઈ જાય. તેમણે પ્રેમ અંગે કહ્યું છે, ‘પ્રેમ વિના તમે કંઈ પણ ન કરી શકો, તમે કર્મની સંપૂર્ણતાને નહીં જાણી શકો. એકમાત્ર પ્રેમ જ મનુષ્યને બચાવી શકે છે. આ જ સત્ય છે. આપણે લોકો પ્રેમમાં નથી. વાસ્તવમાં આપણે એટલા સહજ-સરળ નથી રહી ગયા, જેવા આપણે હોવા જોઈએ, કારણ કે આપણે પ્રતિષ્ઠા પામવા, અન્ય કરતાં વિશેષ મેળવવા કે બનવાના પ્રયાસોમાં મથ્યા કરીએ છીએ. પ્રેમ કરવા માટે ઇચ્છારહિત બનવું પડશે.’ પ્રેમ વિશે બીજી પણ એક સુંદર વાત તેમણે કહેલી, ‘જ્યાં પ્રેમ હોય, ત્યાં જ નૈતિકતા, સહજતા અને સરળતા હોય છે, કારણ કે પ્રેમ પૂર્ણ જાગૃતિનું નામ છે.’

(આ ચિત્ર ગૂગલ પરથી મેળવ્યું છે)

આજે ચારેકોર હિંસા-યુદ્ધનો માહોલ છે ત્યારે જે. કૃષ્ણમૂર્તિના આ અંગેના વિચારો ગાંઠે બાંધી રાખવા જેવા છે, ‘માનવીમાં રહેલી હિંસાના પરિણામે દરરોજ આપણે દુનિયામાં ભયંકર બનાવો બનતા જોઈએ છીએ. તમે કહેશો, હું એ વિશે કંઈ કરી શકું તેમ નથી કે દુનિયા પર હું શી રીતે પ્રભાવ પાડી શકું? મારું માનવું છે કે જો તમે તમારી અંદર હિંસક ન હો તો, જો દરરોજ તમે શાંતિમય જીવન ગાળતા હો તો એટલે કે તમારું જીવન સ્પર્ધાત્મક, મહત્ત્વાકાંક્ષી કે ઈર્ષ્યાળુ ન હોય, જે જીવન શત્રુતા સર્જતું નથી, એવું જીવન ગાળતા હો તો દુનિયા પર તમે જબરો પ્રભાવ પાડી શકો છો. નાની ચિનગારી ભડકો થઈ શકે છે. આપણે આપણી સ્વલક્ષી પ્રવૃત્તિથી આપણા મત, આપણા ધિક્કાર, આપણા રાષ્ટ્રવાદથી દુનિયાને તેની વર્તમાન અંધાધૂંધીની સ્થિતિમાં લાવી મૂકી છે અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે આપણે તેમાં કંઈ કરી શકીએ એમ નથી ત્યારે આપણે આપણી અંદરની વ્યવસ્થાનો અનિવાર્યપણે સ્વીકાર કરી રહ્યા છીએ.’ જે. કૃષ્ણમૂર્તિ કહેતાં કે, ‘વ્યક્તિત્વના પૂર્ણ રૂપાંતરણથી જ વિશ્વમાંથી સંઘર્ષ અને પીડાને મીટાવી શકાય છે. આપણામાં ભૂતકાળનો બોજ અને ભવિષ્યનો ભય હટાવી દો અને આપણા મસ્તિષ્કને મુક્ત રાખો.’ કૃષ્ણમૂર્તિ કાયમ એ વાત પર ભાર મૂકતા હતા કે ‘દરેક મનુષ્યને માનસ ક્રાંતિની જરૂર છે.’ આજે સૌને મનીમાં રસ છે, માનસ ક્રાંતિની વાતો પુસ્તકોમાં બંધ છે, મન થાય તો તમે ક્યારેક એવાં પુસ્તકો ખોલજો અને વાંચજો!

(17 ફેબ્રુઆરી, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Thursday, February 11, 2016

અસાંજેની અગત્યતા

દિવ્યેશ વ્યાસ


હેકરમાંથી હીરો બનેલા જુલિયન અસાંજેને સનસનાટીમાં નહિ, પરંતુ સાર્થક પત્રકારત્વમાં રસ છે


 (ગૂગલ પરથી ગમી ગયેલી અસાંજેની તસવીર)

વર્ષ 2016માં વિકિલીક્સની સ્થાપનાને એક દાયકો પૂરો થશે. એક દાયકામાં આ વેબસાઇટ ભલભલા દેશોમાં રાજકીય ધરતીકંપો સર્જી ચૂકી છે, તો જગતજમાદારીમાંથી ઊંચા ન આવતા અમેરિકાની મોટી મોટી વાતોનાં ફુગ્ગાંઓને ટાંકણી મારીને ફોડી નાખવાનું ‘દુષ્સાહસ’ કરીને સતત ચર્ચામાં રહી છે. વિકિલીક્સે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમથી પણ એક કદમ આગળ એક એવું નવા જ પ્રકારનું આધુનિક, એકવીસમી સદીને છાજે એવું જર્નલિઝમ કર્યું અને તેને કારણે જ તેણે વારંવાર પ્રતિબંધો અને પ્રહારો સહેવા પડ્યા છે. વિકિલીક્સના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ જુલિયન અસાંજે આજે સાડા ત્રણ વર્ષથી લંડન ખાતે આવેલી ઇક્વાડોરની એમ્બેસીના એક નાનકડા ખંડમાં પુરાઈ રહેવા માટે મજબૂર છે. આમ છતાં માનવું પડશે કે મહાસત્તાઓ સામે પડીને જુલિયન અસાંજેએ વધુ એક વાર પુરવાર કર્યું છે કે સત્ય કેટલું બળવાન હોય છે.

ગત 4 ફેબ્રુઆરી, 2016ના રોજ સંયુક્ત રાષ્ટ્રની લીગલ પેનલે જુલિયન અસાંજેની તરફેણમાં ચુકાદો આપવાની સાથે સાથે તેને ગોંધી રહેવા માટે મજબૂર કરનારા યુકે અને સ્વીડનનો સારા શબ્દોમાં ઊધડો લેવા ઉપરાંત તેમની ખોરી અને ખોટી પોલીસગીરીને ઉઘાડી પાડી દીધી હતી. અસાંજેને આઝાદ કરવાની ભલામણ કરવા સાથે પેનલે સ્પષ્ટ શબ્દોમાં સુણાવ્યું હતું કે આ રીતે તેને અટકાવી રાખવો એ ગેરકાનૂની છે. આટલું જ નહિ પેનલે એવો પણ અભિપ્રાય આપ્યો કે અસાંજેની વ્યક્તિગત સ્વતંત્રતાનું જે હનન થયું  છે, એ બદલ તેને વળતર ચુકવાવું જોઈએ. લીગલ પેનલના સ્પષ્ટ ચુકાદાએ બ્રિટન-સ્વીડન અને અમેરિકાને શરમજનક સ્થિતિમાં મૂક્યા છે. જોકે, છેલ્લા સમાચાર મુજબ બ્રિટન અને સ્વીડને ‘લીગલી’ લપડાક પડી હોવા છતાં ટંગડી ઊંચી રાખી છે અને તેઓ યુનોની લીગલ પેનલનો ચુકાદો કાને ધરવા તૈયાર નથી. પોતાની તરફેણમાં ચુકાદા છતાં, અસાંજેનો શબ્દ વાપરીને કહેવું હોય તો કહી શકાય કે  ‘સ્પેસ સ્ટેશન’માંથી તેની મુક્તિ એમ આસાન જણાતી નથી.


(યુએન લીગલ પેનલની સુનાવણી પછી પત્રકારને સંબોધતા અસાંજેની ગૂગલ પરથી મેળવેલી તસવીર)

જુલિયન અસાંજે એક જાણીતું નામ છે, પરંતુ આજના યુગમાં તેના જેવા પત્રકારની કેટલી અગત્યતા છે, તેનો બહુ ઓછા લોકોને અંદાજ છે. વિશ્વમાં મોટા ભાગના દેશોમાં લોકશાહી પ્રવર્તે છે, પરંતુ આ દેશોની સરકાર પણ ખરા અર્થમાં લોકોની, લોકો માટે અને લોકો  દ્વારા ચાલતી હોય, એવું ભાગ્યે જ છે. આપણા લોકશાહી રાજવટમાં સૌથી મોટો અભાવ છે પારદર્શકતાનો. પારદર્શકતાની મોટી મોટી વાતો કરાય છે, પરંતુ માહિતી અધિકાર અંતર્ગત લોકોને માહિતી આપવામાં ગલ્લાંતલ્લાં કરાય છે! પારદર્શકતાના અભાવનો ગેરલાભ લઈને જ ગરબડ ગોટાળા-ગેરવહીવટ અને કૌભાંડો ચાલતાં હોય છે. એકવીસમી સદીમાં શાસન-વ્યવસ્થામાં સિક્રસી આઉટ ઑફ ડેટ ગણાવી જોઈએ, તમામ વહીવટ-વ્યવહારમાં પૂર્ણ પારદર્શકતા હોવી જોઈએ. સમગ્ર વહીવટ-વ્યવસ્થામાં પારદર્શકતા વિના ભ્રષ્ટાચારને નાથી શકાય નહીં. જોકે, રાજ્યવ્યવસ્થા પર હાવી થઈ ગયેલાં સ્થાપિત હિતો અને ભ્રષ્ટ લોકો એમ સહેલાઈથી પારદર્શકતા લાવવા દેવાના નથી. આ સ્થિતિમાં ભ્રષ્ટ રાજનેતા-અધિકારીઓની પોલ ખોલવા અને કૌભાંડોના ભાંડા ફોડવા માટે અસાંજેનો માર્ગ જ અપનાવવો પડે, એમાં બેમત ન હોઈ શકે.


(અસાંજેને મુક્ત કરવાનો અવાજ દિવસે દિવસે બુલંદ થતો જાય છે, તેની ઝલક આપતી એક તાજી તસવીર)

હેકરમાંથી હીરો બનેલા અસાંજેએ ન અખબાર ચલાવ્યું, ન ન્યૂઝ ચેનલ શરૂ કરી, કદાચ તેને ખ્યાલ હતો કે આમાં સરકાર આસાનીથી દબાણ લાવી શકે છે, તેની સ્વતંત્રતા પર તરાપ મારી શકે છે, પરંતુ તેણે વિશ્વવ્યાપી પહોંચ ધરાવતા ઇન્ટરનેટને માધ્યમ બનાવ્યું અને વેબસાઇટ ચલાવી. આમ તો ઇન્ટરનેટ પણ રાજ્યસત્તાની પહોંચની બહાર નથી છતાં તેનો વ્યાપ દેશદેશાવરમાં હોવાથી તેને નાથવી એટલી આસાન નથી હોતી. એકવીસમી સદીમાં જે કંઈ ક્રાંતિ (અરબ વસંત સહિત) થઈ, તેમાં ઈન્ટરનેટની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે, એ પણ અહીં નોંધવું રહ્યું.

અસાંજેએ વિકિલીક્સ થકી અફઘાનિસ્તાન અને ઈરાક પર અમેરિકાના હુમલા સંબંધિત 5,00,000 ગુપ્તચર દસ્તાવેજો અને 2,50,000 જેટલા ડિપ્લોમેટિક બાબતોના કેબલ જાહેર કરીને અમેરિકાની ખંધી અને ગંદી ચાલો ઉઘાડી પાડી હતી. અમેરિકાના શાસકોને મન તો અલ-બગદાદી કરતાં અસાંજે મોટો વિલન હોય તોપણ નવાઈ નહીં! સ્વીડનના દુષ્કૃત્યના કેસના મામલે બ્રિટન કહે છે કે તે અસાંજેને સ્વીડનને સોંપી દેવા માગે છે, પરંતુ અંદરખાને તેનો ઈરાદો અસાંજેને પકડીને અમેરિકાને સોંપી દેવાનો હોવાની આશંકા પણ તીવ્રપણે સેવાઈ રહી છે.

અનેક દેશોમાં પત્રકારત્વની આઝાદી અંગે ભાષણો કરી ચૂકેલા અને પોતાના પત્રકારત્વના પરચા બતાવી ચૂકેલા અસાંજે સેન્સરશિપના સખત વિરોધી છે. તેમનું માનવું છે કે પત્રકારત્વ પર નિયંત્રણો મૂકવાથી સરમુખત્યારને બળ મળે છે. તેમના મતે એક સારા પત્રકારની ફરજ છે કે તે સરકારની દરેક નાડ પર નજર રાખે.

ઇન્ટરનેટને પ્રતાપે જ પોતાની વાત સમગ્ર દુનિયા સુધી પહોંચાડવામાં સફળ થયા હોવા છતાં અસાંજેનું માનવું છે કે ઈન્ટરનેટ એ લોકોની જાસૂસીની મહાજાળ છે. આજે એક સામાન્ય એપ પણ આપણા કૉન્ટેક્સ, મેસેજીસ, કૉલ લોગ, ફાઇલ-ફોલ્ડર્સને જોવા-ઉપયોગમાં લેવાની પરમિશન લઈ લેતી હોય છે ત્યારે અસાંજેની વાતને અવગણી શકાય એમ નથી.

સનસનાટી નહિ, પરંતુ સાર્થક પત્રકારત્વને વરેલા જુલિયન અસાંજેની મુક્તિ માટે પ્રાર્થના!

http://www.divyabhaskar.co.in/news/MAG-hekaraman-to-hero-julian-assange-made-no-sensational-5245882-NOR.html

(‘કળશ’ પૂર્તિના 10 ફેબ્રુઆરી, 2016ના અંકમાં પ્રકાશિત‘સમય સંકેત’ કૉલમ થોડા સુધારા-વધારા-ઉમેરા સાથે)

Friday, February 5, 2016

કાયદે આઝમના દેશમાં શહીદે આઝમ

દિવ્યેશ વ્યાસ


પાકિસ્તાનમાં જાગ્યો છે ભગતસિંહ પ્રત્યે પ્રેમ. ભગતસિંહની સ્મૃતિઓને સાચવવાની અને વાગોળવાની ભાવના પાકિસ્તાનમાં તીવ્ર બની રહી છે. 


(ગૂગલ પરથી મેળવેલું ભગતસિંહનું સુંદર ચિત્ર)

બે મિત્રો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડે ત્યારે કાં હંગામી અબોલા થતાં હોય છે અને મામલો ગંભીર હોય તો કાયમ માટે નેહ-નાતો તૂટી જતો હોય છે, પણ જ્યારે બે ભાઈઓ વચ્ચે તનાતની થાય અને સંબંધોનો અંત આવે ત્યારે એકબીજા માટે ‘નાહી નાખવા’નું આત્યંતિક વલણ અખત્યાર કરાતું હોય છે. અંગત સ્તરે જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સંબંધોનું આ જ સમીકરણ લાગું પડતું હોય છે. આનું પોતીકું ઉદાહરણ આપણી સામે જ ભારત અને પાકિસ્તાનનું છે. ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજોની ગુલામી વિરુદ્ધ ખભે ખભો મિલાવીને લડ્યા પછી આઝાદી વખતે એવા વિભાજિત થયા કે આજસુધી એક થઈ શક્યા નથી. એક ન થવાની વાત તો દૂર રહી પણ સાડા છ દાયકા પછી પણ બન્ને વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ પણ બની શક્યા નથી, એટલું જ નહીં, એકબીજા પ્રત્યેનો ધિક્કાર પણ ઓગાળી શકાયો નથી.

ભારતના ભાગલાને કારણે સૌથી વધારે ભોગ આઝાદીના ઇતિહાસને બનવું પડ્યું છે. આજે ય આઝાદી આંદોલનના પાકિસ્તાની નેતાઓ અંગે આપણે તટસ્થતા કેળવીને તેમને સન્માની શકતા નથી તો પાકિસ્તાનના ઇતિહાસનાં પુસ્તકોમાં ગાંધી-નેહરુ-સરદાર સહિતના નેતાઓને ભાગ્યે જ હીરો તરીકે મૂલવવામાં આવે છે. મેરે તો ઝીણા મહાન દુસરા ન હોઈ ...! પાકિસ્તાનમાં મોટા ભાગે આઝાદી આંદોલનની વાત મોહમ્મદ અલી ઝીણાથી શરૂ થઈને તેમના નામ સાથે જ પૂરી થતી હોય છે. જો કે, સદ્દભાગ્યે પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માહોલમાં સુખદ બદલાવ આવી રહ્યો છે. અન્ય આઝાદી આંદોલનના નેતાઓ તો ઠીક પણ અત્યારના પાકિસ્તાનની સરજમીં પર જન્મેલા ભગતસિંહ માટે નવી પેઢીનો પ્રેમ વધતો જાય છે. છેલ્લાં ઘણા સમયથી કાયદા-એ-આઝમના દેશમાં શહીદ-એ-આઝમ ભગતસિંહની સ્મૃતિઓને સાચવવાની અને વાગોળવાની ભાવના તીવ્ર બની રહી છે.

વર્ષ ૨૦૧૨માં શહીદ ભગતસિંહની ૧૦૫મી જન્મતિથિ નિમિત્તે લાહોરના સ્થાનિક તંત્ર દ્વારા ભગતસિંહની શહીદીના સાક્ષી બનેલા શાદમાન ચોકનું નામ બદલાવીને શહીદ ભગતસિંહ ચોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનના લોકો દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી આ અંગે માગણી કરવામાં આવી હતી. લોકલાગણીને માન આપીને જ આ નિર્ણય લેવાયો હતો. છેલ્લાં થોડા મહિનાઓથી પાકિસ્તાની અખબારોમાં ભગતસિંહનું નામ સતત ચર્ચામાં રહે છે. આ ચર્ચાનું નિમિત્ત પૂરું પાડ્યું છે - ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઇમ્તિયાઝ રાશિદ કુરેશીએ. તમને જાણીને નવાઈ લાગશે પણ ઇમ્તિયાઝ રાશિદ કુરેશી, ભગતસિંહને જે સૌંડર્સ હત્યા કેસમાં ફાંસી અપાઈ હતી, એ કેસમાં નિર્દોષ સાબિત કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે! ઇમ્તિયાઝ રાશિદ કુરેશીનું માનવું છે કે સૌંડર્સ હત્યા કેસમાં ભગતસિંહ વિરુદ્ધ જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી, તેમાં અનેક ઊણપો હતી અને ઉતાવળિયો નિર્ણય લઈને ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા. ઇમ્તિયાઝના આ અંગેના પ્રયાસોએ હવે આંતરરાષ્ટ્રીય મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું છે. થોડા મહિના પહેલાં ઇમ્તિયાઝે કોર્ટ પાસેથી હુકમ મેળવીને લાહોરના અનારકલી પોલીસ થાણામાંથી સૌંડર્સ હત્યાની એફ.આઈ.આર.ની ખરી નકલ મેળવવામાં સફળતા મેળવી હતી. આ એફ.આઈ.આર.માં ભગતસિંહનું નામ ન હોવાથી ઇમ્તિયાઝનો જુસ્સો બેવડાયો છે.

પ્રસ્તુત એફ.આઈ.આર.ની વિગત જોઈએ તો ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮માં એ.એસ.પી. જૉન પી. સૌંડર્સની હત્યા પછી ઢળતી બપોરે આશરે સાડા ચારે બે અજાણ્યા બંદુકધારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉર્દુમાં નોંધાયેલી આ એફ.આઈ.આર. અનુસાર ફરિયાદી તથા સાક્ષી તરીકે એક પોલીસ અધિકારીએ જણાવેલું કે મેં એક વ્યક્તિનો પીછો કરેલો, જેનું કદ પાંચ ફીટ પાંચ ઇંચ હતું. હિંદુ ચહેરો હતો. નાની મૂછો હતી. પાતળું પણ કસાયેલું શરીર હતું. તેણે સફેદ પાયજામો અને ગ્રે રંગનો કૂરતો પહેર્યો હતો. તેણે ક્રિસ્ટી જેવી કાળી ટોપી પણ પહેરી હતી. આ કેસ આઈ.પી.સી.ની ધારા ૩૦૨, ૧૨૦ અને ૧૦૯ અંતર્ગત નોંધાયો હતો.

આ કેસ અંગે ઇમ્તિયાઝની મુખ્ય ફરિયાદ એ છે કે કેસમાં ૪૫૦ સાક્ષીઓની કોઈ પૂછપરછ કરવામાં આવી નહોતી. વળી, ભગતસિંહના વકીલને પણ પ્રતિદલીલ કે સવાલો કરવાની તક આપવામાં આવી નહોતી. ઇમ્તિયાઝ ઇચ્છે છે કે આ કેસ ફરી ખોલવામાં આવે. એફ.આઈ.આર.ની નકલ મળ્યા પછી તેમના પ્રયાસોના પરિણામે લાહોર હાઇકોર્ટે ચીફ જસ્ટિસને અપીલ કરી છે કે આ મામલે સુનાવણી માટે એક ઉચ્ચ સ્તરીય ખંડપીઠ રચવામાં આવે.

પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા ભગતસિંહ માટે આટલી બધી મહેનત કરે, એ બેશક આનંદદાયક ઘટના છે. ઇમ્તિયાઝના પ્રયાસોથી ભગતસિંહના પરિવારજનો પણ રાજી થયા છે, એટલું જ નહીં ભગતસિંહના ભત્રીજા કિરણજીતસિંહ સંધૂ તો પાકિસ્તાનના વિઝા મેળવીને લાહોર જવાની અને ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનને મદદરૂપ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કિરણજીતસિંહે આ અંગે જણાવ્યું હતું કે ભગતસિંહ જો સૌંડર્સ કેસમાં નિર્દોષ પુરવાર થશે તો પછી બ્રિટિશ સરકાર વિરુદ્ધ ભગતસિંહની હત્યાનો કેસ કરવાનો મારો ઈરાદો છે!

ભગતસિંહની ફાંસીનો મામલો જોઈએ તો એ વાતમાં કોઈ શક નથી કે અંગ્રેજો તેમને ફાંસીના માંચડે લટકાવી દેવા માટે અધીરા થયા હતા. જાણીતા ધારાશાસ્ત્રી એ.જી. નુરાણીએ પોતાના પુસ્તક ‘ધ ટ્રાયલ ઑફ ભગતસિંહ : પોલિટિક્સ ઑફ જ્યુડિશિયરી’માં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે સૌંડર્સ હત્યા કેસ માટે જે ટ્રિબ્યુનલ બનાવાઈ હતી, તેમાં બે બ્રિટિશ અને એક ભારતીય ન્યાયાધીશ હતા. બન્ને બ્રિટિશ જજ ભગતસિંહ અને સાથીઓને ફાંસી આપવા માટે તત્પર હતા. આ અન્યાય જોઈને ભારતીય ન્યાયાધીશ જસ્ટિસ આગા હૈદર જૈદીએ રાજીનામું ધરી દીધું હતું. આ પરથી સ્પષ્ટ થાય છે કે બ્રિટિશ સરકાર ગમે તેમ કરીને ભગતસિંહને ફાંસીના માંચડે ચડાવવા માગતી હતી.

અલબત્ત, સૌંડર્સ હત્યામાં ભગતસિંહનો કોઈ હાથ હતો નહીં, એવું કહી શકાય નહીં. ભગતસિંહ પર લખાયેલાં મોટા ભાગનાં પુસ્તકોમાં સ્પષ્ટ છે કે ભગતસિંહ અને સાથીઓએ લાલા લજપતરાયના ખૂનનો બદલો ખૂનથી લેવાનું કાવતરું ઘડ્યું હતું. લાલા લજપતરાય સાઇમન કમિશનનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસ જે.એ. સ્કોટના હુકમથી આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કરાયો. સ્કોટની નજર સામે લાલા લજપતરાયને પીટવામાં આવી રહ્યા હતા અને તેણે લાલાજી બેભાન થઈને ઢળી પડ્યા ત્યાં સુધી પોલીસોને વાર્યા નહોતા. ભગતસિંહ અને રાજગુરુ પોતે જ સ્કોટને ઠાર મારવા ગયા. જોકે, સ્કોટ તે દિવસે ઇંગ્લેંડથી પધારી રહેલાં પોતાનાં સાસુને લેવા ગયા હતા એટલે બચી ગયા અને ખોટી ઓળખને કારણે સૌંડર્સ ઘાએ ચડી ગયો. રાજગુરુની એક ગોળીએ સૌંડર્સ ઢળી પડ્યો અને પછી ભગતસિંહે પણ ગોળીઓ મારી હોવાનું કહેવાય છે. ભગતસિંહે કે સાથીઓએ ક્યારેય સૌંડર્સ હત્યામાં પોતે નિર્દોષ હોવાનું કહ્યું નહોતું. આમ, ભગતસિંહ ૮૪ વર્ષ જૂના મામલામાં ‘નિર્દોષ’ હોવાનું કહી શકાય એમ નથી. એ જોતાં, ઇમ્તિયાઝના પ્રયાસો કેટલા સફળ થશે, એ કહેવું મુશ્કેલ છે, પણ આનંદદાયક વાત એ છે કે આ કેસને કારણે પાકિસ્તાનની નવી પેઢી ભગતસિંહના યોગદાન અને શહાદતથી વાકેફ થઈ રહી છે.

પાકિસ્તાનમાં ભગતસિંહ માટેનું આકર્ષણ વધ્યાનો બીજો એક પુરાવો પણ મળ્યો છે. ભગતસિંહનો જન્મ હાલના પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના બાંગે ગામમાં ૨૮ સપ્ટેમ્બર, ૧૯૦૭ના રોજ થયો હતો. ફૈસલાબાદના લોકોને ભગતસિંહ પોતાની માટીના સપુત હોવાનું ગૌરવ છે. પાકિસ્તાન સરકારે ભગતસિંહના ઘર, શાળા અને ગામના પુનરોદ્ધાર માટે એક યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત આઠ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. ભગતસિંહના પૈતૃક ઘરનો કબજો મેળવીને ત્યાં તેમની ચીજવસ્તુઓનું મ્યુઝિયમ પણ બનાવવાનું આયોજન છે.

પાકિસ્તાનમાં ભગતસિંહ પ્રત્યે વધતા આદર અને સન્માન એક આનંદદાયક ઘટના છે. આશા રાખીએ પાકિસ્તાનની નવી પેઢી કટ્ટરવાદી આતંકીને નહીં પણ ભગતસિંહ જેવા ક્રાંતિકારીને રોલમૉડલ બનાવે. 

(આ લેખ મૂળે તો મેં સંદેશની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત થતી મારી કૉલમ ‘સમય સંકેત’ માટે લખેલો અને 11 મે, 2014ના અંકમાં પ્રસિદ્ધ થયેલો (http://www.sandesh.com/article.aspx?newsid=2938261). આદરણીય પ્રકાશભાઈ શાહને આ લેખ ગમેલો અને તેમણે કહેલું કે આ લેખમાં સુધારા-વધારા-ઉમેરા કરી આપો તો ‘નિરીક્ષક’માં છાપીએ. 16 માર્ચ, 2015ના ‘નિરીક્ષક’ના પૃ. 11-12 પર આ લેખ પ્રકાશિત થયેલો, જેને વિપુલભાઈએ પોતાના ઓનલાઇન મેગેઝિન ‘ઓપિનિયન’માં પણ સ્થાન આપેલું. (http://opinionmagazine.co.uk/details/1329/કાયદે-આઝમના-દેશમાં-શહીદે-આઝમ) 4થી ફેબ્રુઆરી, 2016ના અખબારોમાં ફરી ભગતસિંહ માટે પાકિસ્તાન માટે થઈ રહેલા પ્રયાસો ચમક્યા છે ત્યારે ‘ઓપિનિયન’ પરથી આ લેખ હાથવગો કરીને અહીં રજૂ કર્યો છે.)

Wednesday, February 3, 2016

દીકરી દોરે ત્યાં સમાજ જાય!

સમય સંકેત - દિવ્યેશ વ્યાસ

રાજસ્થાનના હિંસલા ગામની 14 વર્ષની પાયલે પોતાના ગામને બાળલગ્નમુક્ત બનાવ્યું છે



(તસવીર સૌજન્ય : worldschildrensprize.org)

આપણે ત્યાં કહેવત છે કે દીકરી ને ગાય, દોરે ત્યાં જાય, પરંતુ એક એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે, જે જાણીને તમે પણ કહેશો અને માનશો કે દીકરી દોરે ત્યાં સમાજ જાય! રાજસ્થાન પહેલેથી બાળલગ્નના સામાજિક દૂષણને કારણે બદનામ છે. રાજસ્થાનના નાનકડા ગામની એક દીકરીએ પોતાની મહેનત અને સંઘર્ષના પરિણામે પોતાના ગામને બાળલગ્નમુક્ત બનાવવામાં સફળતા હાંસલ કરી છે. દીકરીનું નામ છે - પાયલ જાંગિડ. પાયલના ગામનું નામ છે -હિંસલા.

રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલું હિંસલા ગામ પણ પ્રદેશનાં અન્ય ગામોની જેમ બાળલગ્નની કુપ્રથાથી પીડિત હતું. જોકે, ગામ આજે બાળલગ્નમુક્ત બની શક્યું છે અને એમાં ગામની 14 વર્ષની દીકરી પાયલ જાંગિડનો સિંહફાળો છે. પાયલ જાંગિડ નામની કિશોરીએ જનજાગૃતિના માર્ગે ગામમાં એવી તો આહલેક જગાવી છે કે દરેક ઘરનાં બાળકો હવે બાળલગ્નના સજ્જડ વિરોધીઓ બની ગયાં છે. બાળકો એટલા સભાન અને સક્રિય બન્યાં છે કે તેમનાં માતા-પિતા ઇચ્છે તોપણ તેમને પરણાવી શકે એમ નથી. પાયલે કુમળી વયે જે નેતૃત્વ પૂરું પાડ્યું છે તે કાબિલેદાદ છે. પાયલ જેવી બહાદુર અને બાહોશ દીકરી જે ઘર કે ગામમાં હોય ત્યાં ભાગ્યે કોઈ બાળક કે મહિલા તેના અધિકારોથી વંચિત કે સામાજિક કુરિવાજોથી પીડિત રહી શકે!

માત્ર 14 વર્ષની પાયલમાં આટલી સમજ અને સમાજ સામે સંઘર્ષ માંડવાનો જુસ્સો તેમજ તાકાત આવ્યાં ક્યાંથી, એવો સવાલ કોઈને પણ થઈ શકે. પાયલની શક્તિઓને સમાજસુધારણા માટે સક્રિય બનાવવામાં નિમિત્ત બની છે, નોબેલ પારિતોષિક વિજેતા કૈલાસ સત્યાર્થીની સંસ્થા બચપન બચાવો આંદોલન. સંસ્થાએ 'બાલ મિત્ર ગામ'નો એક પ્રોજેક્ટ ચલાવ્યો હતો. વર્ષ 2012માં પાયલના ગામ હિંસલાનો પ્રોજેક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો હતો. બાલ મિત્ર ગામ એટલે એવું ગામ જ્યા એકેય બાળક મજૂરી કરતું હોય અને તમામ બાળકો શાળાએ ભણવા જતાં હોય. દૃષ્ટિએ હિંસલા બાલ મિત્ર ગામ તો બન્યું, છતાં ત્યાં બાળલગ્નનું દૂષણ યથાવત્ હતું. બાલ મિત્ર ગામ પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં બાળકોની બાલ પંચાયત પણ બનાવવામાં આવે છે, જેમાં બાળકો પોતાની સમસ્યાઓની ચર્ચા કરે છે અને અધિકારો અંગે સભાન-સક્રિય બને છે. હિંસલાની બાલ પંચાયતમાં સક્રિય એવી પાયલ જ્યારે બાલ પ્રધાન બની, એટલે કે બાલ પંચાયતની મુખ્ય કર્તાહર્તા બની ત્યારે તેણે બહુ રસપૂર્વક પોતાની ભૂમિકા અને જવાબદારી અંગે જાણ્યું અને પછી શરૂ કર્યો સમાજસુધારણાનો યજ્ઞ.

બાલ પ્રધાન તરીકે પાયલે પોતાના ગામમાં ઘૂંઘટપ્રથા અને બાળલગ્ન સામે મોરચો માંડવાનો નિશ્ચય કર્યો. ગામમાં સરઘસો કાઢ્યાં, સભાઓ ભરી અને ગામલોકોને વારંવાર કુપ્રથાઓને છોડવા માટે સમજાવવા પ્રયાસ કર્યો. પાયલના પ્ર્યાસો અને સંઘર્ષના પ્રતાપે ગામમાં મુદ્દાઓ બાબતે ધીમે ધીમે જાગૃતિ વધતી ગઈ. દરેક ઘરમાં બાળકો મુદ્દે માતા-પિતા કે વડીલો સાથે ચર્ચા કરવા માંડ્યાં, દલીલો કરવા માંડ્યાં અને એની અસર એવી થઈ કે આખા ગામનો માહોલ બદલાઈ ગયો. ગામમાં જ્યાં પણ બાળલગ્ન થતાં હોય ત્યાં બાળકો અને ગામના કેટલાક સમજુ લોકો પહોંચી જતાં અને બાળલગ્ન અટકાવવા પ્રયાસ કરતાં. બધું કંઈ આસાન નહોતું, પણ પાયલની મહેનત અને મક્કમતા રંગ લાવી. હિંસલા બાળલગ્નની નાગચૂડમાંથી નીકળી ગયું. હિંસલાને જેવી દીકરી મળી, એવી દરેક ગામને મળજો!
(‘કળશ’ પૂર્તિના 3જી ફેબ્રુઆરી, 2016ના અંકમાં પ્રસિદ્ધ ‘સમય સંકેત’ કૉલમ)

Monday, February 1, 2016

CCTV: દીવાલોને ફૂટી આંખો!

દિવ્યેશ વ્યાસ

 

સુરક્ષા સહિતની બાબતે CCTV કેમેરાના અનેક ફાયદા છતાં ‘બિગ બોસ હાઉસ’ના વધતાં વ્યાપ સામે ધીમે ધીમે ઊહાપોહ પણ શરૂ થયો છે 


(ગૂગલ પરથી મેળવેલી તસવીર)

દીવાલોને કાન હોય છે, એ વાત હવે જૂની થઈ ગઈ. એકવીસમી સદી એટલી ‘એડવાન્સ’ છે કે દીવાલોને હવે આંખો પણ ફૂટી છે! દીવાલોનાં અપલક નેત્રોની ગરજ સારે છે - ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરા, ટૂંકમાં CCTV કેમેરા. આજે જંકફૂડના સ્ટોર્સથી માંડીને જ્વેલરીના શૉ-રૂમમાં, સડકથી માંડીને શેરીઓ-સોસાયટીઓમાં, સરકારી કચેરીઓથી માંડીને કોર્પોરેટ ઑફિસીસમાં, હોસ્પિટલથી માંડીને હોટલોમાં CCTVની બોલબાલા વધતી જ જાય છે. ‘બિગ બોસનું હાઉસ’ જાણે વિસ્તરતું જ જાય છે!. દાયકાઓ પહેલાં શરૂ થયેલા એક હિન્દી અખબાર ‘જનસત્તા’ની ટેગલાઇન હતી, ‘સબ કી ખબર લે, સબ કો ખબર દે’. અખબાર માટે બંધબેસતી આ ટેગલાઇનને CCTVના સંદર્ભે બદલને કહેવી હોય તો કહી શકાય – સબ પે નજર, સબ કી ખબર. સૌ પર નજર રાખતાં CCTV કેમેરા એવા પુરાવા સાચવી રાખતા હોય છે કે કોઈ વ્યક્તિ કંઈ અનિચ્છનીય કે આડુંઅવળું કરે તો તેની ‘ખબર’ લેવાઈ જાય!

સતત નજર રાખનારા CCTV છેલ્લા કેટલાંક સમયથી ‘ખબર’ દેનાર મોટો સ્રોત પણ બની ગયા છે. છાશવારે CCTVઆધારિત સમાચારો ચમકવા લાગ્યા છે. જાપાનની સુનામીની ઘટના હોય કે પછી અમદાવાદમાં આધેડને કેટલાક લોકોએ મારી મારીને મોતને ઘાટ ઉતાર્યાનો કિસ્સો હોય, CCTV થકી જ તેનાં જીવંત દૃશ્યો જાહેર થઈ રહ્યાં છે. દેશ-વિદેશમાં અનેક અપરાધના કેસો ઉકેલવામાં CCTVની ચાવીરૂપ ભૂમિકા ઊભી થઈ રહી છે. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે સુરક્ષાનો મુદ્દો સૌથી વધારે સંવેદનશીલ બન્યો છે ત્યારે CCTVની અનિવાર્યતા સૌ સ્વીકારી રહ્યા છે.

અખંડ વૉચમેનની ભૂમિકા ભજવતાં CCTVએ શું કમાલ કરી છે, તેનો એક તાજો કિસ્સો નાસિક ત્ર્યંબકેશ્વરના કુંભમેળામાં જોવા મળ્યો. બોલિવૂડની ફિલ્મોમાં બે જોડિયાં બાળકો ખોવાઈ જવા માટે કુંભમેળો મોસ્ટ પોપ્યુલર સ્થળ રહ્યું છે, ત્યારે 2015ના કુંભમેળામાં CCTVના પ્રતાપે જ એક પણ વ્યક્તિ ગુમ થયાનો કિસ્સો નોંધાયો નહોતો! આમ, CCTVના અનેક ફાયદા સ્વીકારવા જ રહ્યા, પણ સાથે સાથે તેની વ્યક્તિગત-સામાજિક જીવન પર શું અસરો થાય છે, તેની તરતપાસ પણ કરવી રહી.

CCTV આપણા જાહેરજીવન જ નહીં, પરંતુ અંગત જીવનનો હિસ્સો બનતા જાય છે. આજે CCTVને કારણે જ આપણને જાણ થાય છે કે માતા-પિતાની ગેરહાજરીમાં એક આયા બાળક સાથે કેવું ક્રૂર વર્તન દાખવી રહી છે. પતિની ગેરહાજરીમાં પત્ની પોતાના પ્રેમી સાથે કેવી રંગરેલિયાં મનાવી રહી છે, એક પુત્રવધૂ પોતાની લકવાગ્રસ્ત અને પથારીવશ સાસુ પર કેવા થાળી-પ્રહારો કરી રહી છે, ઑફિસની લિફ્ટમાં યુવતી સાથે કેવી નાલાયક હરકત કરાતી હોય છે, ગુનેગાર કઈ રીતે ગુનો આચરીને ભાગી જતો હોય છે, આતંકીઓ કઈ રીતે માનવતાની હત્યા કરતા હોય છે, આ બધાનો ખ્યાલ પણ CCTVની મદદથી જ આપણી સમક્ષ આવી રહ્યો છે.  વિસ્મયની કારની ઝડપ હોય કે કોઈના મર્ડરનો મામલો હોય, આવા ગુનાઓના જીવતા પુરાવા CCTV થકી જ પ્રાપ્ત થયા છે. CCTVના પ્રતાપે જ કેટલીક ગમ્મતસભર તો ગંભીર ગુનાઓની ક્લિપિંગ્સ પ્રાપ્ત થઈ છે. સમય કાઢીને ક્યારેક યુ-ટ્યૂબ પર આંટો મારજો, CCTV દ્વારા પ્રાપ્ત થયેલા એવા અનેક વિડિયો મળી આવશે, જે ગમ્મતની સાથે સાથે આજના માનવી અંગેનું જ્ઞાન પણ વધારી દેશે!

જેમ કડક કાયદાથી ક્રાઇમ અટકવાની કોઈ ખાતરી નથી, એમ CCTVની હાજરી પણ ગુનો થતો અટકાવે એવી કોઈ બાંહેધરી આપી શકે એમ નથી. જ્યાં CCTV છે ત્યાં પણ ક્રાઇમ રેટ ઘટ્યો છે, એવું કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી. અલબત્ત, CCTV કેમેરા સુરક્ષાવ્યવસ્થામાં સહાયરૂપ જરૂર બનતા હશે, તોપણ તેના વધતાં વ્યાપ સામે ધીમે ધીમે ઊહાપોહ શરૂ થયો છે. વિકસિત દેશોમાં CCTV કલ્ચર સામે ઝુંબેશો પણ ચલાવવામાં આવી રહી છે. CCTV કેમેરાને ખાસ કરીને વ્યક્તિની અંગત આઝાદી પર તરાપની દૃષ્ટિએ તેને જોવામાં આવે છે. આપણે ત્યાં CCTVનું ચલણ હજુ એટલું વધ્યું નથી એટલે તેની ન્યૂસન્સ વેલ્યૂ કરતાં તેની ઉપયોગિતા આપણને વધુ આકર્ષી શકે છે, પરંતુ આ કેમેરાથી આપણા જાહેર અને અંગત જીવન પર કેવી કેવી અસર પડી શકે, એ અંગે અત્યારથી જ વિચારવું જરૂરી છે. આપણે કેવો સમાજ ઇચ્છીએ છીએ તેની સમજ સ્પષ્ટ કર્યા પછી જ આપણે નક્કી કરવું રહ્યું કે CCTV કલ્ચરને અવગણવું કે આવકારવું?
(4 નવેમ્બર, 2015ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમનો સૌપ્રથમ લેખ,  થોડા સુધારા-વધારા સાથે.)