Showing posts with label Pakistan. Show all posts
Showing posts with label Pakistan. Show all posts

Wednesday, August 23, 2017

શિક્ષણનું સપનું ઓક્સફર્ડ પહોંચ્યું

દિવ્યેશ વ્યાસ


દુનિયાના દરેક બાળક માટે શિક્ષણનું સપનું જોનારી બહાદુર મલાલા હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણશે


(આ ગ્રાફિક મલાલાની વેબસાઇટ પરથી લીધેલું છે.)

મલાલા. આ નામ સાંભળતાં જ આપણું મોં મલકાઈ જાય. એક બાળા જેણે દરેક બાળકના શિક્ષણના અધિકાર માટે સંઘર્ષ આદર્યો છે. મલાલાની અધિકૃત વેબસાઇટ www.malala.org પર મલાલા’ઝ સ્ટોરી પાન ખોલતાં જ  તેનું એક સચોટ વાક્ય વાંચવા મળે છે, I tell my story, not because it is unique, but because it is not. It is a the story of many girls. (હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.) મલાલા આ વાક્ય તેને શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત થયું, એ સમારંભમાં પોતાના વક્તવ્યમાં બોલી હતી. આ વક્તવ્યમાં જ તેણે કહેલું, ‘હું પણ એ 6 કરોડ 60 લાખ બાળાઓમાંની એક છું, જે શિક્ષણથી વંચિત છે.’ જોકે, મલાલાનું સદ્્ભાગ્ય (કરોડો બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત છે ત્યારે સદ્્ભાગ્ય જ ગણાય) છે કે તેને બ્રિટનની પ્રતિષ્ઠિત શાળામાં ભણવા મળ્યું અને તાજા સમાચાર મુજબ તેને વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળી ચૂક્યો છે. 17મી ઑગસ્ટે મલાલાએ જ ટ્વીટ કરીને આ સમાચાર આપતાં લખ્યું હતું, ‘So excited to go to Oxford!!!’ અહેવાલો મુજબ મલાલાએ એ લેવલની પરીક્ષા પાસ કરી છે. હવે તે ઓક્સફર્ડની સૌથી વધારે જાણીતા પીપીઈ (ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સ) વિભાગમાં અધ્યયન કરીને ઉચ્ચ ડિગ્રી હાંસલ કરશે.

મલાલાની શિક્ષણ માટેની તાલાવેલી અને પ્રતિબદ્ધતા હવે વિશ્વવિખ્યાત છે. આ એ જ મલાલા છે, જે શિક્ષણ માટે બંદૂકની ગોળીનો પણ સામનો કરી ચૂકી છે. આપણે સૌ જાણીએ છીએ કે 12 જુલાઈ, 1997ના રોજ શિક્ષક પિતાના ઘરે જન્મેલી મલાલાને પહેલેથી જ ભણવું ખૂબ જ ગમતું હતું. તે ભણીગણીને ડૉક્ટર થવા માગતી હતી! પાકિસ્તાનની સ્વાત ખીણમાં રહેતી મલાલાની નિયતિમાં કંઈક જુદું જ લખ્યું હતું. વર્ષ 2007માં તાલિબાનોએ સ્વાત ખીણ પર કબજો કરી લીધો અને ખીણમાં જાતજાતના પ્રતિબંધો લાદી દીધા, જેમાંનો એક પ્રતિબંધ કન્યાઓને ભણાવવાનો હતો. આ પ્રતિબંધ મલાલા માટે અન્યાયી જ નહીં, અસહ્ય હતો. બાર વર્ષની બાળા બીજું તો શું કરે, પણ પોતાના પપ્પાના પ્રોત્સાહનથી તેણે બીબીસીમાં પોતાની ઓળખ છુપાવીને ‘ગુલ મકઈ’ના નામે સ્વાત ખીણમાં તાલિબાની કુશાસન અંગે બ્લોગ લખવાનું શરૂ કર્યું. મલાલાએ પોતાના શિક્ષણના અધિકાર માટે પણ પ્રતિકાર કર્યો. તેનો બ્લોગ ચર્ચિત બન્યો અને ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ મલાલાના કાર્ય અંગે ટૂંકી ડોક્યુમેન્ટરી બનાવી. પાકિસ્તાને સ્વાત ખીણમાંથી તાલિબાનોને હટાવ્યા. સ્વાતમાં શાળાઓ ફરી ખૂલી અને બાળાઓનું શિક્ષણ શરૂ થયું. 2011માં મલાલાને પાકિસ્તાનનું પહેલું યૂથ પીસ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. આ પછી મલાલા તાલિબાનોના હિટ લિસ્ટમાં આવી ગઈ. 9 ઑક્ટોબર, 2012ના રોજ શાળાએ જઈ રહેલી મલાલા પર ઘાતક હુમલો કર્યો અને તેને માથામાં ગોળી મારવામાં આવી. મલાલા બચી ગઈ અને શિક્ષણ માટે ગોળી ખાનારી આ પાકિસ્તાની દીકરી રાતોરાત વિશ્વવિખ્યાત બની ગઈ.

મલાલાને યુએનની રાજદૂત બનાવવામાં આવી અને વર્ષ 2013માં તેના 16મા જન્મદિવસ નિમિત્તે યુએનમાં તેનું વક્તવ્ય ગોઠવાયું. યુએનમાં ‘ધ રાઇટ ઑફ એજ્યુકેશન ઑફ એવરી ચાઇલ્ડ’ વિષય પરના તેના ભાષણે સમગ્ર વિશ્વમાં ખાસ્સો પ્રભાવ ઊભો કર્યો હતો. વર્ષ 2014માં મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનું નોબેલ પારિતોષિત મળ્યું હતું. મલાલાએ સૌથી નાની વયે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર હાંસલ કર્યો. વર્ષ 2014માં તે ‘પર્સન ઑફ ધ યર’ બની અને ટાઇમના કવર પર ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિની યાદીમાં પણ મલાલાને ટૉપ ફાઇવમાં સ્થાન મળ્યું હતું. ઑગસ્ટ-2014માં તેનાં સંસ્મરણો અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ આવ્યું અને રાતોરાત બેસ્ટસેલર બની ગયું હતું. મલાલા પર એક ડઝનથી વધુ પુસ્તકો લખાઈ ચૂક્યાં છે.

મલાલા દૃઢપણે માને છે કે, ‘દુનિયામાં અનેક સમસ્યાઓ છે, પરંતુ મારા મતે આ તમામ સમસ્યાઓનો એક જ ઇલાજ છે, અને એ છે શિક્ષણ. તમારે તમામ કન્યાઓ અને કુમારોને ભણાવવા પડે. તમારે તેમને શીખવાની તક પૂરી પાડવી પડે.’ એટલું જ નહીં, મલાલા એક એવા દેશનું સપનું જુએ છે, જ્યાં શિક્ષણનું પ્રભુત્વ હોય. મલાલાનું બીજું એક જાણીતું વાક્ય છે, ‘એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક અને એક પેન દુનિયા બદલી શકે છે.’

આતંકવાદનો ભોગ બનેલી મલાલા એક સુંદર વાત કરે છે, ‘બંદૂકથી તમે આતંકવાદીઓને જ ઠાર કરી શકશો, પણ શિક્ષણ થકી તમે આતંકવાદને નાબૂદ કરી શકશો.’ મલાલા એક સુંદર વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’
મલાલાને આટઆટલી પ્રસિદ્ધિ મળવા છતાં તેણે પોતાના શિક્ષણ પરથી ધ્યાન હટાવ્યું નથી. મલાલા ધારે તો હવે તેણે એટલી પ્રસિદ્ધિ અને પૈસા કમાઈ લીધા છે કે તેણે ભણવાની કોઈ જરૂર નથી, છતાં તે ગંભીરતાથી ભણી રહી છે અને પોતાના પ્રભાવને વધારે પ્રભાવી બનાવી રહી છે.

મલાલા અધિકાર માટે અને અન્યાય સામે પ્રતિકારનું પણ પ્રતીક છે ત્યારે તેના એક વાક્ય સાથે જ લેખ પૂરો કરીએ, ‘જ્યારે આખું વિશ્વ મૌન પાળતું હોય ત્યારે એક અવાજ પણ શક્તિશાળી પુરવાર થાય છે.’

(‘દિવ્ય ભાસ્કર’ની 23મી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, January 18, 2017

‘ચૂપ રહે, ક્યાંય ખોવાઈ જઈશ!’

દિવ્યેશ વ્યાસ

 

પાકિસ્તાનમાં સામાજિક કાર્યકરો અને બ્લોગરોનું ભેદી રીતે ગુમ થવું બતાવે છે કે ત્યાં લોકશાહી આજેય દિવાસ્વપ્ન છે




‘સરકાર દ્વારા નાગરિક સમાજ વિરુદ્ધ ખેદજનક, ગેરકાયદેસર જંગ શરૂ થતાં દેશના ઇતિહાસનું વધુ એક કાળું પ્રકરણ આરંભાયું છે.’ આ આકરા શબ્દો છે, પાકિસ્તાનના જાણીતા અખબાર ‘ડૉન’ના 10મી જાન્યુઆરીના તંત્રીલેખના, જેનું શીર્ષક હતું - ‘મિસિંગ એક્ટિવિસ્ટ્સ’. એક સાથે પાંચ-પાંચ સામાજિક કાર્યકરો અને બ્લોગરોના અચાનક ગુમ થવાની ઘટના સંદર્ભે ‘ડૉને’ શબ્દો ચોર્યા વિના લખ્યું છે કે ‘ખોવાયેલા લોકો’ કે ‘ગુમ થયેલા’ જેવા રૂપાળા શબ્દો થકી તમે ‘બિહામણા સત્ય’ને (અગ્લી ટ્રુથ) છુપાવી ન શકો.’ તંત્રીલેખમાં આગળ લખ્યું છે, ‘સરકાર અને પોલીસ માત્ર એટલું કહીને અટકી ન શકે કે તપાસ ચાલી રહી છે. તેમની જવાબદારી બને છે કે ગુમ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સહીસલામત તેમના ઘરે પહોંચાડી દે.’ માત્ર ‘ડૉન’ જ નહિ, પાકિસ્તાનનાં મોટા ભાગનાં અખબારો-ટીવી ચેનલોમાં ગુમ થયેલા સામાજિક કાર્યકરો-બ્લોગરોનો મુદ્દો ખાસ્સો ચર્ચાયો હતો. પાકિસ્તાન ઉપરાંત આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ મુદ્દાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી.

સૌથી પહેલા તો આ મામલો સમજી લઈએ. 2017ના નવા વર્ષની શરૂઆત પાકિસ્તાનના ઉદારમતવાદી, લોકશાહીના ચાહકો, બિનસાંપ્રદાયિક (સેક્યુલર) અને ડાબેરી વિચારધારાના લોકો માટે આઘાતજનક રહી છે. વર્ષ 2017ના પ્રથમ સપ્તાહમાં જ એક નહિ પણ પાંચ પાંચ સામાજિક કાર્યકરો અને બ્લોગરો ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા છે. આ પાંચેય લોકો અત્યારે ક્યાં છે? કઈ હાલતમાં રખાયા છે? કોના કબજા હેઠળ છે? તેમના પર શું વીતી રહી છે? બીજું તો બધું ઠીક, પણ તેઓ અત્યારે જીવે છે કે મારી નંખાયા છે? એની પણ કોઈને ગંધ સુધ્ધાં નથી.

આ પાંચ ગુમ થયેલાઓમાંથી સૌથી મોટું નામ ડૉ. સલમાન હૈદરનું છે. કવિ, સંપાદક, શિક્ષણકાર અને માનવ અધિકાર કર્મશીલ એવા ‘સલ્લુભાઈ’ તરીકે જાણીતા ડૉ. સલમાન હૈદર ફાતિમા ઝીણા વીમેન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. બલુચિસ્તાનના લોકો માટે ભારોભાર સંવેદના ધરાવતા ડૉ. સલમાન પાકિસ્તાનની સરકાર અને સૈન્યને ન ખટકે તો જ નવાઈ! તેઓ ‘તાંકીદ’ નામનું રાજનીતિ અને સંસ્કૃતિને લગતું સામયિક ચલાવે છે. બલુચિસ્તાન મુદ્દે સરકાર અને સૈન્ય વિરુદ્ધ સતત લખતાં-બોલતાં રહ્યા હોવાથી જ તેમનું અપહરણ કરાયું હોવાનું મનાય છે. આ માનવ અધિકાર કર્મશીલ ગત છઠ્ઠી જાન્યુઆરીથી ગાયબ છે. તેમના છેલ્લા સગડ ઇસ્લામાબાદના બની ગલા વિસ્તારમાંથી મળેલા, જ્યારે તેમની કાર કોરલ ચોક વિસ્તારમાંથી મળી આવી છે. ડૉ. સલમાન માટે સોશિયલ મીડિયા પર ‘રિકવર સલમાન હૈદર’ના હેશટેગ સાથે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જોકે, સલમાન હૈદરની સાથે સાથે અહેમદ વકાસ ગોરયા, આસીમ સઈદ, અહેમદ રઝા નાસીર અને સમર અબ્બાસ જેવા બ્લોગરોનું પણ અપહરણ કરાયું છે, એટલે ‘રિકવર ઑલ એક્ટિવિસ્ટ્સ’ હેશટેગ સાથે ઝુંબેશ ઉગ્ર બની ગઈ છે. એક જ સમયગાળામાં પાંચ પાંચ સામાજિક કાર્યકર અને બ્લોગરોનું અપહરણ થતાં પાકિસ્તાનમાં રાષ્ટ્રીય સ્તરે હોબાળો મચી ગયો છે.

જોવાની વાત એ છે કે બ્લોગર અહેમદ વકાસ ગોરયા તો હોલેન્ડમાં રહે છે તો આસીમ સઈદ સિંગાપોરમાં નોકરી કરે છે. તેઓ આ દિવસોમાં પોતાના વતનની મુલાકાતે લાહોર આવ્યા હતા અને તેમનું અપહરણ કરી લેવાયું છે અને એ પણ એક જ દિવસે-4થી જાન્યુઆરીએ. જાણે અપહરણકર્તાઓ લાગ જોઈને જ બેઠા હતા અને એકદમ આયોજનપૂર્વક તેમનું અપહરણ કરાયું હોય, એવું લાગે છે. આ બન્ને બ્લોગરોની વિશેષતા એ છે કે તેઓ પાકિસ્તાની સૈન્યના પ્રખર ટીકાકાર રહ્યા છે. તેઓ ‘મોચી’ નામના બ્લોગ ઉપરાંત ફેસબુક પર પણ આ જ નામનું પેજ ધરાવે છે. પાકિસ્તાની સૈન્ય દ્વારા લોકોની થતી કનડગત, જોરજુલમ, રાજકારણમાં દખલગીરી-દાદાગીરી અને તેમના અફસરો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેઓ સતત અવાજ બુલંદ કરતા રહ્યા છે. ફેસબુક પેજ પર કવર ફોટોની સાથે તેમણે તીખા મરચા જેવું વાક્ય ટાંક્યું છે, ‘અમે પાકિસ્તાનના સૈન્યને એટલું જ માન આપીએ છીએ, જેટલું તે પાકિસ્તાનના બંધારણને આપે છે.’
પોલિયોગ્રસ્ત બ્લોગર અહેમદ રઝા નાસીર પણ પોતાના બ્લોગ થકી સૈન્યના દુરાચારો વિરુદ્ધ ખુલ્લેઆમ લખતા રહ્યા છે. નાસીરને પણ 7મી જાન્યુઆરીએ લાહોરના શૈખુપુરા ગામમાં આવેલી તેની દુકાનમાંથી જ પરિવારજનોની નજર સામે ઉઠાવી જવાયો છે. કરાચીથી 7મી જાન્યુઆરીના રોજ ઇસ્લામાબાદ આવેલા બ્લોગર સમર અબ્બાસનો પણ 11મી જાન્યુઆરી પછી કોઈ અત્તોપત્તો મળી રહ્યો નથી.

આ પાંચેય લોકો સતત ભ્રષ્ટાચાર અને પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ લખતાં હોવાથી જ તેમના અપહરણ પાછળ સરકારી અધિકારી કે પછી લશ્કરના અફસરોનો હાથ હોવાની શંકા પ્રબળ રીતે સેવાઈ રહી છે. વળી, સામાન્ય રીતે આતંકવાદીઓ કોઈનું અપહરણ કરે તો તેઓ જવાબદારી લેતા હોય છે અને અપહૃતને છોડાવવા માટે શરતો મૂકતા હોય છે, પરંતુ આ પાંચેય માટે કોઈએ નથી જવાબદારી લીધી કે નથી કોઈ શરત મૂકી. આમ, શંકાની સોય પાકિસ્તાની સૈન્ય તરફ જ તકાઈ રહી છે. વળી, સરકાર તથા પોલીસ તંત્ર પણ જે રીતે મોળી મોળી વાતો કરે છે, તેને કારણે આ શંકા દૃઢ બની રહી છે. જોકે, સરકાર આવા આક્ષેપોને નિરાધાર ગણાવે છે.

આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને હ્યુમન રાઇટ્સ વૉચ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ બહુ ગંભીરતાથી લીધો છે અને પાકિસ્તાનમાં અભિવ્યક્તિની આઝાદી બાબતે ચિંતા વ્યક્ત કરી છે તો અમેરિકાના વિદેશ મંત્રાલયે પણ આની ગંભીર નોંધ લીધી છે. પાકિસ્તાનના લેખકો, પત્રકારો અને સામાજિક કર્મશીલોના મતે સરકાર અને સૈન્ય દ્વારા અખબાર અને ટીવી પછી હવે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પર ધાક અને ધોંસ જમાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ રીતે લોકોની અભિવ્યક્તિની આઝાદી છીનવાઈ રહી છે.

પાકિસ્તાનની મથરાવટી જોતાં આવી ઘટના સહજ લાગી શકે, પરંતુ જે રીતે પાકિસ્તાનના માનવ અધિકાર કર્મશીલો, પત્રકારો, સામાજિક કાર્યકરો અને સામાન્ય જનતાએ ઇસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવાં શહેરોની સડક પર ઊતરીને વિરોધ નોંધાવ્યો છે, એ બદલાતા માહોલનો સંકેત છે. પાકિસ્તાનમાં છેલ્લાં થોડાંક વર્ષોથી લોકશાહી સરકાર સ્થિર રીતે શાસન કરતી થઈ છે, છતાં દેશમાં લોકશાહી માહોલ આજે પણ દિવાસ્વપ્ન સમાન છે.

પાકિસ્તાન નિમિત્તે અહીં બાંગ્લાદેશમાં બ્લોગરોની હત્યા કે આપણે ત્યાં દાભોળકર, પાનસરે અને કલબુર્ગી વગેરેની હત્યાના કિસ્સાઓ યાદ આવ્યા વિના રહેતા નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશની ચિંતા છોડીએ તોપણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ઘરઆંગણે સર્જાયેલા માહોલમાં દેશના ઉદારમતવાદીઓ, માનવ અધિકાર કર્મશીલો, બૌદ્ધિકો અને બિનસાંપ્રદાયિક-લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારા લોકોનો ઉચાટ વધ્યો છે, એ વાસ્તવિકતાની અવગણના ન થઈ શકે. ભૂતકાળમાં આપણે અનેક વ્હીસલબ્લોઅર્સનાં કરુણ મોત જોયાં છે, છતાં સંસદમાં વ્હીસલબ્લોઅર વિધેયકને પસાર કરાવવાની જાણે કોઈને ઉતાવળ નથી, એ ચિંતાપ્રેરક છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 18મી જાન્યુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Tuesday, July 26, 2016

કારગિલ વિજયની સિદ્ધિ અને શીખ

દિવ્યેશ વ્યાસ


કારગિલ યુદ્ધે પાકિસ્તાનની પોલ ખોલી હતી તો ભારતની નબળાઈઓ પણ ઉઘાડી પાડી હતી


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

ભારતની પ્રતિષ્ઠા એક શાંતિપ્રિય દેશ તરીકેની છે, પણ તેને એવા પાડોશી મળ્યા છે, જેને નથી શાંતિની કદર કે નથી યુદ્ધની શરમ. પાકિસ્તાન અને ચીન એવા બે પાડોશી છે, જેને ભારત શાંતિથી રહે, એ સહન થતું નથી. આ બન્ને પાડોશી સાથે આપણે યુદ્ધો લડી ચૂક્યાં છીએ. આજે ભારતની લશ્કરી તાકાત ઉપરાંત પરમાણુ શસ્ત્રોની શક્તિને કારણે તેમને આપણી સાથે પંગો લેવો પોષાય એમ નથી, પરંતુ તેઓ સરહદ પર નાનાં-મોટાં છમકલાં કરીને ભારતની કનડગત ચાલુ રાખતા હોય છે.

પાકિસ્તાન જાણે છે કે ભારત સાથે યુદ્ધ કરીને જીતી શકાશે નહીં એટલે તેણે છેલ્લાં કેટલાંય વર્ષોથી કાશ્મીરના ખભે બંદૂક રાખીને ભારતમાં આતંક ફેલાવવાનો માર્ગ અપનાવ્યો છે. ભારત સાથે પ્રોક્સી વોર કરવા તે આતંકવાદીઓની ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવે છે. પાકિસ્તાનનું આખું પોલિટિક્સ જ ભારતદ્વૈષ પર ટકેલું હોવાથી આઈએસઆઈ અને તેના સૈન્યને ભાવતું મળી જતું હોય છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી વડા પરવેઝ મુશર્રફે પોતાના દેશમાં હીરો બની જવા માટે ઈ.સ. ૧૯૯૯માં ભારતના કારગિલ ક્ષેત્રમાં મોટા પાયે ઘૂસણખોરી કરીને કાશ્મીરનો અમુક પ્રદેશ પડાવી લેવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે, ભારતના વીરજવાનોએ દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં ભારતને હરાવી શકે નહીં, તેનો પરચો તેને ત્રીજી વાર મળ્યાને આજે ૧૬ વર્ષ થશે. (લેખ 2015માં લખાયો હતો, એ મુજબ વર્ષોની ગણતરી કરવી.)

આજે એટલે કે ૨૬ જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ૧૬મો (વર્ષ 2015માં) કારગિલ વિજય દિવસ મનાવાશે. પાકિસ્તાનને બોધપાઠ ભણાવ્યાનો અને વિજયનો હરખ ચોક્કસ મનાવીએ, દેશ માટે જાન ન્યોછાવર કરનારા વીરજવાનોને સો સો સલામ ચોક્કસ કરીએ, પણ કારગિલ સર્જાયું તેની પાછળની આપણી ભૂલોને ભૂલી જવા કે નજરઅંદાજ કરવાની મૂર્ખામી કરવા જેવી નથી. એક તરફ તત્કાલીન વડાપ્રધાન વાજપેયી પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ લંબાવીને લાહોર ગયા હતા તો બીજી તરફ પાકિસ્તાને કારગિલમાં ઘૂસણખોરી કરાવીને પીઠમાં ખંજર ભોંક્યું હતું. આજના સમયમાં યુદ્ધ વાહિયાત વિકલ્પ છે અને સંવાદ-મંત્રણાનો માર્ગ જ હિતાવહ છે, એની ના નહીં. પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની તમામ કોશિશ કરવી જ જોઈએ, પણ સરહદ કે સૈન્યની તાકાતના મામલામાં ગાફેલ રહેવાની ભૂલ કરવા જેવી નથી. આશરે ૫૦૦૦ જેટલા પાકિસ્તાનના સૈનિકો અને આતંકીઓ આપણી સરહદોમાં ઘૂસી આવ્યા હતા અને આપણને મોડી જાણ થઈ હતી, એ ખરેખર તો આપણી સરહદ સુરક્ષા અને ગુપ્તચર તંત્રની મોટી ચૂક-નિષ્ફળતા જ હતી. આ નિષ્ફળતામાંથી દેશ ઘણું બધું શીખ્યો છે, છતાં વધારે સુધારા જરૂરી છે. કારગિલના યુદ્ધમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ વચ્ચેના તાલમેળની ખામીઓ પણ નજરે પડી હતી, તેની દુરસ્તીની સાથે સાથે સરહદ પર આધુનિક શસ્ત્રો અને ઉપકરણોનો મુદ્દો મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. વૈશ્વિક માહોલ જોતાં યુદ્ધની શક્યતા નથી, છતાં ઘૂસણખોરીની ઘટનાઓ નાનું-મોટું કારગિલ સર્જી શકે છે ત્યારે સક્ષમ અને સજ્જ રહેવું જરૂરી છે.

હવે વાત કરીએ શહીદોના સન્માનની. કારગિલ યુદ્ધમાં ભારતના ૫૨૭ જવાનો શહીદ થયા હતા અને ૧૩૬૩ જવાનો ઘાયલ થયા હતા. કારગિલ વિજયને એક દાયકો પૂરો થયો ત્યારે પણ અમુક શહીદોના પરિવાર સુધી જાહેર થયેલી સહાય પહોંચી નહોતી અને એમાં પણ કૌભાંડ થયાં હતાં. આજે પણ કારગિલના સૌરભ કાલિયા જેવા શહીદ સાથે ન્યાય થયો નથી, એ દુઃખદ બાબત છે.

કારગિલ યુદ્ધે પાકિસ્તાનની પોલ ખોલી હતી તો ભારતની નબળાઈઓ પણ બહાર આવી હતી. ભારતે સરહદ, સેના અને શહીદોના મામલે જરાય ગાફેલ રહેવું પોષાય એમ નથી. કારગિલનું ષડયંત્ર રચીને મુશર્રફે ખોટું કર્યું હોવાનો એક મત પાકિસ્તાનમાં ઊભો થયો છે, છતાં પાકિસ્તાન ક્યારે સુધરશે, એ કોઈ કહી શકે એમ નથી, કારણ કે પાકિસ્તાનનું સમગ્ર રાજકારણ ભારતદ્વૈષ પર રમાય છે. ભારતમાં પણ પાકિસ્તાન-દ્વૈષનો રાજકીય લાભ લેવાના પ્રયાસો થાય છે. સરહદ કે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે રાજકારણ ન જ રમાવું જોઈએ, પણ આપણા નેતાઓની માનસિકતા કોણ બદલે?

(‘સંદેશ’ની 26મી જુલાઈ, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Friday, February 5, 2016

કાયદે આઝમના દેશમાં શહીદે આઝમ

દિવ્યેશ વ્યાસ


પાકિસ્તાનમાં જાગ્યો છે ભગતસિંહ પ્રત્યે પ્રેમ. ભગતસિંહની સ્મૃતિઓને સાચવવાની અને વાગોળવાની ભાવના પાકિસ્તાનમાં તીવ્ર બની રહી છે. 


(ગૂગલ પરથી મેળવેલું ભગતસિંહનું સુંદર ચિત્ર)

બે મિત્રો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડે ત્યારે કાં હંગામી અબોલા થતાં હોય છે અને મામલો ગંભીર હોય તો કાયમ માટે નેહ-નાતો તૂટી જતો હોય છે, પણ જ્યારે બે ભાઈઓ વચ્ચે તનાતની થાય અને સંબંધોનો અંત આવે ત્યારે એકબીજા માટે ‘નાહી નાખવા’નું આત્યંતિક વલણ અખત્યાર કરાતું હોય છે. અંગત સ્તરે જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સંબંધોનું આ જ સમીકરણ લાગું પડતું હોય છે. આનું પોતીકું ઉદાહરણ આપણી સામે જ ભારત અને પાકિસ્તાનનું છે. ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજોની ગુલામી વિરુદ્ધ ખભે ખભો મિલાવીને લડ્યા પછી આઝાદી વખતે એવા વિભાજિત થયા કે આજસુધી એક થઈ શક્યા નથી. એક ન થવાની વાત તો દૂર રહી પણ સાડા છ દાયકા પછી પણ બન્ને વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ પણ બની શક્યા નથી, એટલું જ નહીં, એકબીજા પ્રત્યેનો ધિક્કાર પણ ઓગાળી શકાયો નથી.

ભારતના ભાગલાને કારણે સૌથી વધારે ભોગ આઝાદીના ઇતિહાસને બનવું પડ્યું છે. આજે ય આઝાદી આંદોલનના પાકિસ્તાની નેતાઓ અંગે આપણે તટસ્થતા કેળવીને તેમને સન્માની શકતા નથી તો પાકિસ્તાનના ઇતિહાસનાં પુસ્તકોમાં ગાંધી-નેહરુ-સરદાર સહિતના નેતાઓને ભાગ્યે જ હીરો તરીકે મૂલવવામાં આવે છે. મેરે તો ઝીણા મહાન દુસરા ન હોઈ ...! પાકિસ્તાનમાં મોટા ભાગે આઝાદી આંદોલનની વાત મોહમ્મદ અલી ઝીણાથી શરૂ થઈને તેમના નામ સાથે જ પૂરી થતી હોય છે. જો કે, સદ્દભાગ્યે પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માહોલમાં સુખદ બદલાવ આવી રહ્યો છે. અન્ય આઝાદી આંદોલનના નેતાઓ તો ઠીક પણ અત્યારના પાકિસ્તાનની સરજમીં પર જન્મેલા ભગતસિંહ માટે નવી પેઢીનો પ્રેમ વધતો જાય છે. છેલ્લાં ઘણા સમયથી કાયદા-એ-આઝમના દેશમાં શહીદ-એ-આઝમ ભગતસિંહની સ્મૃતિઓને સાચવવાની અને વાગોળવાની ભાવના તીવ્ર બની રહી છે.

વર્ષ ૨૦૧૨માં શહીદ ભગતસિંહની ૧૦૫મી જન્મતિથિ નિમિત્તે લાહોરના સ્થાનિક તંત્ર દ્વારા ભગતસિંહની શહીદીના સાક્ષી બનેલા શાદમાન ચોકનું નામ બદલાવીને શહીદ ભગતસિંહ ચોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનના લોકો દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી આ અંગે માગણી કરવામાં આવી હતી. લોકલાગણીને માન આપીને જ આ નિર્ણય લેવાયો હતો. છેલ્લાં થોડા મહિનાઓથી પાકિસ્તાની અખબારોમાં ભગતસિંહનું નામ સતત ચર્ચામાં રહે છે. આ ચર્ચાનું નિમિત્ત પૂરું પાડ્યું છે - ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઇમ્તિયાઝ રાશિદ કુરેશીએ. તમને જાણીને નવાઈ લાગશે પણ ઇમ્તિયાઝ રાશિદ કુરેશી, ભગતસિંહને જે સૌંડર્સ હત્યા કેસમાં ફાંસી અપાઈ હતી, એ કેસમાં નિર્દોષ સાબિત કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે! ઇમ્તિયાઝ રાશિદ કુરેશીનું માનવું છે કે સૌંડર્સ હત્યા કેસમાં ભગતસિંહ વિરુદ્ધ જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી, તેમાં અનેક ઊણપો હતી અને ઉતાવળિયો નિર્ણય લઈને ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા. ઇમ્તિયાઝના આ અંગેના પ્રયાસોએ હવે આંતરરાષ્ટ્રીય મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું છે. થોડા મહિના પહેલાં ઇમ્તિયાઝે કોર્ટ પાસેથી હુકમ મેળવીને લાહોરના અનારકલી પોલીસ થાણામાંથી સૌંડર્સ હત્યાની એફ.આઈ.આર.ની ખરી નકલ મેળવવામાં સફળતા મેળવી હતી. આ એફ.આઈ.આર.માં ભગતસિંહનું નામ ન હોવાથી ઇમ્તિયાઝનો જુસ્સો બેવડાયો છે.

પ્રસ્તુત એફ.આઈ.આર.ની વિગત જોઈએ તો ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮માં એ.એસ.પી. જૉન પી. સૌંડર્સની હત્યા પછી ઢળતી બપોરે આશરે સાડા ચારે બે અજાણ્યા બંદુકધારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉર્દુમાં નોંધાયેલી આ એફ.આઈ.આર. અનુસાર ફરિયાદી તથા સાક્ષી તરીકે એક પોલીસ અધિકારીએ જણાવેલું કે મેં એક વ્યક્તિનો પીછો કરેલો, જેનું કદ પાંચ ફીટ પાંચ ઇંચ હતું. હિંદુ ચહેરો હતો. નાની મૂછો હતી. પાતળું પણ કસાયેલું શરીર હતું. તેણે સફેદ પાયજામો અને ગ્રે રંગનો કૂરતો પહેર્યો હતો. તેણે ક્રિસ્ટી જેવી કાળી ટોપી પણ પહેરી હતી. આ કેસ આઈ.પી.સી.ની ધારા ૩૦૨, ૧૨૦ અને ૧૦૯ અંતર્ગત નોંધાયો હતો.

આ કેસ અંગે ઇમ્તિયાઝની મુખ્ય ફરિયાદ એ છે કે કેસમાં ૪૫૦ સાક્ષીઓની કોઈ પૂછપરછ કરવામાં આવી નહોતી. વળી, ભગતસિંહના વકીલને પણ પ્રતિદલીલ કે સવાલો કરવાની તક આપવામાં આવી નહોતી. ઇમ્તિયાઝ ઇચ્છે છે કે આ કેસ ફરી ખોલવામાં આવે. એફ.આઈ.આર.ની નકલ મળ્યા પછી તેમના પ્રયાસોના પરિણામે લાહોર હાઇકોર્ટે ચીફ જસ્ટિસને અપીલ કરી છે કે આ મામલે સુનાવણી માટે એક ઉચ્ચ સ્તરીય ખંડપીઠ રચવામાં આવે.

પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા ભગતસિંહ માટે આટલી બધી મહેનત કરે, એ બેશક આનંદદાયક ઘટના છે. ઇમ્તિયાઝના પ્રયાસોથી ભગતસિંહના પરિવારજનો પણ રાજી થયા છે, એટલું જ નહીં ભગતસિંહના ભત્રીજા કિરણજીતસિંહ સંધૂ તો પાકિસ્તાનના વિઝા મેળવીને લાહોર જવાની અને ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનને મદદરૂપ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કિરણજીતસિંહે આ અંગે જણાવ્યું હતું કે ભગતસિંહ જો સૌંડર્સ કેસમાં નિર્દોષ પુરવાર થશે તો પછી બ્રિટિશ સરકાર વિરુદ્ધ ભગતસિંહની હત્યાનો કેસ કરવાનો મારો ઈરાદો છે!

ભગતસિંહની ફાંસીનો મામલો જોઈએ તો એ વાતમાં કોઈ શક નથી કે અંગ્રેજો તેમને ફાંસીના માંચડે લટકાવી દેવા માટે અધીરા થયા હતા. જાણીતા ધારાશાસ્ત્રી એ.જી. નુરાણીએ પોતાના પુસ્તક ‘ધ ટ્રાયલ ઑફ ભગતસિંહ : પોલિટિક્સ ઑફ જ્યુડિશિયરી’માં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે સૌંડર્સ હત્યા કેસ માટે જે ટ્રિબ્યુનલ બનાવાઈ હતી, તેમાં બે બ્રિટિશ અને એક ભારતીય ન્યાયાધીશ હતા. બન્ને બ્રિટિશ જજ ભગતસિંહ અને સાથીઓને ફાંસી આપવા માટે તત્પર હતા. આ અન્યાય જોઈને ભારતીય ન્યાયાધીશ જસ્ટિસ આગા હૈદર જૈદીએ રાજીનામું ધરી દીધું હતું. આ પરથી સ્પષ્ટ થાય છે કે બ્રિટિશ સરકાર ગમે તેમ કરીને ભગતસિંહને ફાંસીના માંચડે ચડાવવા માગતી હતી.

અલબત્ત, સૌંડર્સ હત્યામાં ભગતસિંહનો કોઈ હાથ હતો નહીં, એવું કહી શકાય નહીં. ભગતસિંહ પર લખાયેલાં મોટા ભાગનાં પુસ્તકોમાં સ્પષ્ટ છે કે ભગતસિંહ અને સાથીઓએ લાલા લજપતરાયના ખૂનનો બદલો ખૂનથી લેવાનું કાવતરું ઘડ્યું હતું. લાલા લજપતરાય સાઇમન કમિશનનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસ જે.એ. સ્કોટના હુકમથી આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કરાયો. સ્કોટની નજર સામે લાલા લજપતરાયને પીટવામાં આવી રહ્યા હતા અને તેણે લાલાજી બેભાન થઈને ઢળી પડ્યા ત્યાં સુધી પોલીસોને વાર્યા નહોતા. ભગતસિંહ અને રાજગુરુ પોતે જ સ્કોટને ઠાર મારવા ગયા. જોકે, સ્કોટ તે દિવસે ઇંગ્લેંડથી પધારી રહેલાં પોતાનાં સાસુને લેવા ગયા હતા એટલે બચી ગયા અને ખોટી ઓળખને કારણે સૌંડર્સ ઘાએ ચડી ગયો. રાજગુરુની એક ગોળીએ સૌંડર્સ ઢળી પડ્યો અને પછી ભગતસિંહે પણ ગોળીઓ મારી હોવાનું કહેવાય છે. ભગતસિંહે કે સાથીઓએ ક્યારેય સૌંડર્સ હત્યામાં પોતે નિર્દોષ હોવાનું કહ્યું નહોતું. આમ, ભગતસિંહ ૮૪ વર્ષ જૂના મામલામાં ‘નિર્દોષ’ હોવાનું કહી શકાય એમ નથી. એ જોતાં, ઇમ્તિયાઝના પ્રયાસો કેટલા સફળ થશે, એ કહેવું મુશ્કેલ છે, પણ આનંદદાયક વાત એ છે કે આ કેસને કારણે પાકિસ્તાનની નવી પેઢી ભગતસિંહના યોગદાન અને શહાદતથી વાકેફ થઈ રહી છે.

પાકિસ્તાનમાં ભગતસિંહ માટેનું આકર્ષણ વધ્યાનો બીજો એક પુરાવો પણ મળ્યો છે. ભગતસિંહનો જન્મ હાલના પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના બાંગે ગામમાં ૨૮ સપ્ટેમ્બર, ૧૯૦૭ના રોજ થયો હતો. ફૈસલાબાદના લોકોને ભગતસિંહ પોતાની માટીના સપુત હોવાનું ગૌરવ છે. પાકિસ્તાન સરકારે ભગતસિંહના ઘર, શાળા અને ગામના પુનરોદ્ધાર માટે એક યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત આઠ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. ભગતસિંહના પૈતૃક ઘરનો કબજો મેળવીને ત્યાં તેમની ચીજવસ્તુઓનું મ્યુઝિયમ પણ બનાવવાનું આયોજન છે.

પાકિસ્તાનમાં ભગતસિંહ પ્રત્યે વધતા આદર અને સન્માન એક આનંદદાયક ઘટના છે. આશા રાખીએ પાકિસ્તાનની નવી પેઢી કટ્ટરવાદી આતંકીને નહીં પણ ભગતસિંહ જેવા ક્રાંતિકારીને રોલમૉડલ બનાવે. 

(આ લેખ મૂળે તો મેં સંદેશની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત થતી મારી કૉલમ ‘સમય સંકેત’ માટે લખેલો અને 11 મે, 2014ના અંકમાં પ્રસિદ્ધ થયેલો (http://www.sandesh.com/article.aspx?newsid=2938261). આદરણીય પ્રકાશભાઈ શાહને આ લેખ ગમેલો અને તેમણે કહેલું કે આ લેખમાં સુધારા-વધારા-ઉમેરા કરી આપો તો ‘નિરીક્ષક’માં છાપીએ. 16 માર્ચ, 2015ના ‘નિરીક્ષક’ના પૃ. 11-12 પર આ લેખ પ્રકાશિત થયેલો, જેને વિપુલભાઈએ પોતાના ઓનલાઇન મેગેઝિન ‘ઓપિનિયન’માં પણ સ્થાન આપેલું. (http://opinionmagazine.co.uk/details/1329/કાયદે-આઝમના-દેશમાં-શહીદે-આઝમ) 4થી ફેબ્રુઆરી, 2016ના અખબારોમાં ફરી ભગતસિંહ માટે પાકિસ્તાન માટે થઈ રહેલા પ્રયાસો ચમક્યા છે ત્યારે ‘ઓપિનિયન’ પરથી આ લેખ હાથવગો કરીને અહીં રજૂ કર્યો છે.)