Showing posts with label મલાલા. Show all posts
Showing posts with label મલાલા. Show all posts

Wednesday, July 11, 2018

મલાલાને આટલું માન શા માટે?

દિવ્યેશ વ્યાસ


દર વર્ષે 12મી જુલાઈના રોજ મલાલા ડે ઊજવાય છે. આ યુવતીમાં એવું તે શું છે કે સંયુક્ત રાષ્ટ્ર તેનો દિવસ મનાવે છે?




આવતી કાલે 12મી જુલાઈએ અનેક મહાનુભાવોનો જન્મ દિવસ છે. કાલે સમગ્ર વિશ્વમાં વિખ્યાત એવા વિચારક અને સાહિત્યકાર હેન્રી ડેવિડ થોરોની સાથે સાથે ચિલીના ખ્યાતનામ કવિ અને રાજદૂત પાબ્લો નેરુદાની જયંતી છે. રોલ ફિલ્મના શોધક જ્યોર્જ ઇસ્ટમેનનો પણ જન્મ દિવસ છે તો એકવીસમી સદીના યુવાનોના રોલમૉડલ એવા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો પણ બર્થ ડે છે... છતાં 12મી જુલાઈ પાકિસ્તાનની યુવતી મલાલા યૂસુફજઈના નામે બોલે છે. વર્ષ 2013માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 12મી જુલાઈને મલાલા ડે જાહેર કરવામાં આવ્યો હતો અને દર વર્ષે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાની જૂજ વ્યક્તિઓના નામે સંયુક્ત રાષ્ટ્ર કોઈ દિવસ ઊજવે છે, ત્યારે મલાલાએ માત્ર 16 વર્ષની વયે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું.

મલાલાને મળેલા સન્માન-પુરસ્કારની યાદી ઘણી લાંબી છે, પરંતુ એક હી નામ કાફી હૈ - નોબેલ પુરસ્કાર.  મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનો નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો. આટલી નાની વયે આજદિન સુધી કોઈ આ પુરસ્કાર મેળવી શક્યું નથી. વર્ષ 2014માં ભારતના કૈલાશ સત્યાર્થી અને મલાલાને સંયુક્ત રીતે આ પારિતોષિક અપાયો હતો. આ ઉપરાંત તે વર્ષ 2014માં ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પોંખાઈ હતી અને ‘ટાઇમ’ મેગેઝિનના કવર પેજ પર પણ ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વની સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદીમાં પણ મલાલાને ટોચના પાંચ વ્યક્તિની હરોળમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. 2013ના ઑક્ટરોબરમાં યુરોપિયન સંસદ દ્વારા મલાલાને ‘સેખરોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઑફ થોટ’ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. 2014માં જ તેને અધધ 50,000 અમેરિકન ડૉલરનું વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝ અપાયું હતું. વર્ષ 2017માં કેનેડાએ મલાલાને કેનેડાનું માનદ્ નાગરિકત્વ આપવા ઉપરાંત કેનેડાની સંસદમાં સંબોધન કરવા આમંત્રિત કરી હતી. માત્ર 16 વર્ષની વયે મલાલાએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું અને તેનું વક્તવ્ય ખૂબ જ પોંખાયું હતું.

મલાલાને મળેલાં સન્માનો ઉપરાંત તેની બીજી સિદ્ધિઓની વાત કરીએ તો ઑગસ્ટ-2014માં તેનાં સંભારણાં અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ પ્રસિદ્ધ થયું હતું અને આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરની યાદીમાં આવી ગયું હતું. મલાલા પર ‘હી નેમ્ડ મી મલાલા’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે 2015ના ઓસ્કર એવોર્ડમાં શોર્ટલિસ્ટ થઈ હતી. મલાલા પર એક ડઝન જેટલાં પુસ્તકો લખાયાં છે અને તેના પર લખાયેલા અખબારી લેખોની સંખ્યા તો અગણિત છે.

આટલી બધી સિદ્ધિઓ અને અધધ પ્રસિદ્ધિ માત્ર 20 વર્ષની ઉંમરમાં પ્રાપ્ત કરનારી મલાલા અંગે ઘણાને સવાલ થઈ શકે કે આટલી નાની વયે તાલિબાનોની ગોળી ખાધા સિવાય એવું તે આ છોકરીએ શું કરી નાંખ્યું છે? આ સવાલ સાથે એક માહિતી જાણવી રસપ્રદ છે કે મલાલાએ તાજેતરમાં માર્ચ મહિનામાં જ્યારે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે લાહોરની અનેક શાળાઓમાં 30મી માર્ચના રોજ ‘આઈ એમ નોટ મલાલા’ દિવસની ઉજવણી કરી હતી! શું મલાલા માત્ર ઇસ્લામિક કટ્ટરપંથ-વિરોધી હોવાને કારણે જ તેને આટલાં માન-પાન મળે છે? ના, બિલકુલ નહીં. આ યુવતીના ઉચ્ચ વિચારો અને બાળકોના શિક્ષણ માટેનું તેનું સંપૂર્ણ સમર્પણ કાબિલે દાદ છે. મલાલાએ પોતાની અધિકૃત વેબસાઇટમાં પોતાના સંઘર્ષની કથાવાળા પાના પર એક વાક્ય લખ્યું છે, ‘હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.’ આ વાક્ય મલાલાની ઊંડી સમજ અને સંવેદનાને વ્યક્ત કરે છે.

મલાલાએ પોતાના નામનું એક ફંડ ઊભું કર્યું છે, જેનો ઉપયોગ તે દુનિયાભરના દેશોનાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝના અધધ 50,000 અમેરિકન ડૉલર્સ તેણે  ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇનના વિસ્થાપિતોનાં બાળકો માટે શાળા ચલાવવા માટે દાનમાં આપી દીધી હતી. સીરિયામાં પણ તેણે શાળાઓ શરૂ કરાવી છે.

મલાલા પર ગોળીબાર કરનારાઓને પાકિસ્તાનની કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. જોકે, મલાલા તાલિબાનો માટે ઉમદા વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’ શિક્ષણ માટેનું આ સમર્પણ જ તેને મૂઠ્ઠી ઊંચેરા માનવીને શ્રેણીમાં મૂકે છે.

(દિવ્ય ભાસ્કરની 11મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, August 23, 2017

શિક્ષણનું સપનું ઓક્સફર્ડ પહોંચ્યું

દિવ્યેશ વ્યાસ


દુનિયાના દરેક બાળક માટે શિક્ષણનું સપનું જોનારી બહાદુર મલાલા હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણશે


(આ ગ્રાફિક મલાલાની વેબસાઇટ પરથી લીધેલું છે.)

મલાલા. આ નામ સાંભળતાં જ આપણું મોં મલકાઈ જાય. એક બાળા જેણે દરેક બાળકના શિક્ષણના અધિકાર માટે સંઘર્ષ આદર્યો છે. મલાલાની અધિકૃત વેબસાઇટ www.malala.org પર મલાલા’ઝ સ્ટોરી પાન ખોલતાં જ  તેનું એક સચોટ વાક્ય વાંચવા મળે છે, I tell my story, not because it is unique, but because it is not. It is a the story of many girls. (હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.) મલાલા આ વાક્ય તેને શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત થયું, એ સમારંભમાં પોતાના વક્તવ્યમાં બોલી હતી. આ વક્તવ્યમાં જ તેણે કહેલું, ‘હું પણ એ 6 કરોડ 60 લાખ બાળાઓમાંની એક છું, જે શિક્ષણથી વંચિત છે.’ જોકે, મલાલાનું સદ્્ભાગ્ય (કરોડો બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત છે ત્યારે સદ્્ભાગ્ય જ ગણાય) છે કે તેને બ્રિટનની પ્રતિષ્ઠિત શાળામાં ભણવા મળ્યું અને તાજા સમાચાર મુજબ તેને વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળી ચૂક્યો છે. 17મી ઑગસ્ટે મલાલાએ જ ટ્વીટ કરીને આ સમાચાર આપતાં લખ્યું હતું, ‘So excited to go to Oxford!!!’ અહેવાલો મુજબ મલાલાએ એ લેવલની પરીક્ષા પાસ કરી છે. હવે તે ઓક્સફર્ડની સૌથી વધારે જાણીતા પીપીઈ (ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સ) વિભાગમાં અધ્યયન કરીને ઉચ્ચ ડિગ્રી હાંસલ કરશે.

મલાલાની શિક્ષણ માટેની તાલાવેલી અને પ્રતિબદ્ધતા હવે વિશ્વવિખ્યાત છે. આ એ જ મલાલા છે, જે શિક્ષણ માટે બંદૂકની ગોળીનો પણ સામનો કરી ચૂકી છે. આપણે સૌ જાણીએ છીએ કે 12 જુલાઈ, 1997ના રોજ શિક્ષક પિતાના ઘરે જન્મેલી મલાલાને પહેલેથી જ ભણવું ખૂબ જ ગમતું હતું. તે ભણીગણીને ડૉક્ટર થવા માગતી હતી! પાકિસ્તાનની સ્વાત ખીણમાં રહેતી મલાલાની નિયતિમાં કંઈક જુદું જ લખ્યું હતું. વર્ષ 2007માં તાલિબાનોએ સ્વાત ખીણ પર કબજો કરી લીધો અને ખીણમાં જાતજાતના પ્રતિબંધો લાદી દીધા, જેમાંનો એક પ્રતિબંધ કન્યાઓને ભણાવવાનો હતો. આ પ્રતિબંધ મલાલા માટે અન્યાયી જ નહીં, અસહ્ય હતો. બાર વર્ષની બાળા બીજું તો શું કરે, પણ પોતાના પપ્પાના પ્રોત્સાહનથી તેણે બીબીસીમાં પોતાની ઓળખ છુપાવીને ‘ગુલ મકઈ’ના નામે સ્વાત ખીણમાં તાલિબાની કુશાસન અંગે બ્લોગ લખવાનું શરૂ કર્યું. મલાલાએ પોતાના શિક્ષણના અધિકાર માટે પણ પ્રતિકાર કર્યો. તેનો બ્લોગ ચર્ચિત બન્યો અને ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ મલાલાના કાર્ય અંગે ટૂંકી ડોક્યુમેન્ટરી બનાવી. પાકિસ્તાને સ્વાત ખીણમાંથી તાલિબાનોને હટાવ્યા. સ્વાતમાં શાળાઓ ફરી ખૂલી અને બાળાઓનું શિક્ષણ શરૂ થયું. 2011માં મલાલાને પાકિસ્તાનનું પહેલું યૂથ પીસ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. આ પછી મલાલા તાલિબાનોના હિટ લિસ્ટમાં આવી ગઈ. 9 ઑક્ટોબર, 2012ના રોજ શાળાએ જઈ રહેલી મલાલા પર ઘાતક હુમલો કર્યો અને તેને માથામાં ગોળી મારવામાં આવી. મલાલા બચી ગઈ અને શિક્ષણ માટે ગોળી ખાનારી આ પાકિસ્તાની દીકરી રાતોરાત વિશ્વવિખ્યાત બની ગઈ.

મલાલાને યુએનની રાજદૂત બનાવવામાં આવી અને વર્ષ 2013માં તેના 16મા જન્મદિવસ નિમિત્તે યુએનમાં તેનું વક્તવ્ય ગોઠવાયું. યુએનમાં ‘ધ રાઇટ ઑફ એજ્યુકેશન ઑફ એવરી ચાઇલ્ડ’ વિષય પરના તેના ભાષણે સમગ્ર વિશ્વમાં ખાસ્સો પ્રભાવ ઊભો કર્યો હતો. વર્ષ 2014માં મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનું નોબેલ પારિતોષિત મળ્યું હતું. મલાલાએ સૌથી નાની વયે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર હાંસલ કર્યો. વર્ષ 2014માં તે ‘પર્સન ઑફ ધ યર’ બની અને ટાઇમના કવર પર ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિની યાદીમાં પણ મલાલાને ટૉપ ફાઇવમાં સ્થાન મળ્યું હતું. ઑગસ્ટ-2014માં તેનાં સંસ્મરણો અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ આવ્યું અને રાતોરાત બેસ્ટસેલર બની ગયું હતું. મલાલા પર એક ડઝનથી વધુ પુસ્તકો લખાઈ ચૂક્યાં છે.

મલાલા દૃઢપણે માને છે કે, ‘દુનિયામાં અનેક સમસ્યાઓ છે, પરંતુ મારા મતે આ તમામ સમસ્યાઓનો એક જ ઇલાજ છે, અને એ છે શિક્ષણ. તમારે તમામ કન્યાઓ અને કુમારોને ભણાવવા પડે. તમારે તેમને શીખવાની તક પૂરી પાડવી પડે.’ એટલું જ નહીં, મલાલા એક એવા દેશનું સપનું જુએ છે, જ્યાં શિક્ષણનું પ્રભુત્વ હોય. મલાલાનું બીજું એક જાણીતું વાક્ય છે, ‘એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક અને એક પેન દુનિયા બદલી શકે છે.’

આતંકવાદનો ભોગ બનેલી મલાલા એક સુંદર વાત કરે છે, ‘બંદૂકથી તમે આતંકવાદીઓને જ ઠાર કરી શકશો, પણ શિક્ષણ થકી તમે આતંકવાદને નાબૂદ કરી શકશો.’ મલાલા એક સુંદર વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’
મલાલાને આટઆટલી પ્રસિદ્ધિ મળવા છતાં તેણે પોતાના શિક્ષણ પરથી ધ્યાન હટાવ્યું નથી. મલાલા ધારે તો હવે તેણે એટલી પ્રસિદ્ધિ અને પૈસા કમાઈ લીધા છે કે તેણે ભણવાની કોઈ જરૂર નથી, છતાં તે ગંભીરતાથી ભણી રહી છે અને પોતાના પ્રભાવને વધારે પ્રભાવી બનાવી રહી છે.

મલાલા અધિકાર માટે અને અન્યાય સામે પ્રતિકારનું પણ પ્રતીક છે ત્યારે તેના એક વાક્ય સાથે જ લેખ પૂરો કરીએ, ‘જ્યારે આખું વિશ્વ મૌન પાળતું હોય ત્યારે એક અવાજ પણ શક્તિશાળી પુરવાર થાય છે.’

(‘દિવ્ય ભાસ્કર’ની 23મી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)