Wednesday, June 28, 2017

જૂનમાં ગાંધીજીની જમાવટ

દિવ્યેશ વ્યાસ


જૂન મહિનાએ જ ગાંધીજીને બારિસ્ટર બનાવ્યા અને આ જ મહિનાએ તેમને સત્યાગ્રહ થકી સત્ય અને અહિંસાના વકીલ બનાવ્યા હતા



રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આપણે સામાન્ય રીતે બીજી ઓક્ટોબરે તેમના જન્મદિવસે અથવા તો 30મી જાન્યુઆરીના રોજ તેમના નિર્વાણ દિને યાદ કરતા હોઈએ છીએ. જોકે, પ્રાત:સ્મરણીય ગાંધીજીના વિચારો અને વ્યક્તિત્વ તો હરહંમેશ પ્રેરણા આપે એવાં છે. આપણે જૂન મહિનાના આરે ઊભા છીએ ત્યારે એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે કે જૂન મહિનામાં ગાંધીજીના જીવનમાં એવી અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ઘટી છે, જેને યાદ કરીને આપણે ગાંધીવંદનાની તક ઝડપી શકીએ.

ઈ.સ. 1893ના જૂન મહિનાની 7મી તારીખે તો ગાંધીજીના જીવનમાં એવી મોટી ઘટના બની હતી જે તેમના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. આ કારણે જ 7મી જૂન પણ ગાંધીજયંતી અને ગાંધી નિર્વાણ દિન જેટલો જ મહત્ત્વપૂર્ણ દિવસ ગણાવો જોઈએ. 7મી જૂનના રોજ પૈસા કમાવાના હેતુથી દક્ષિણ આફ્રિકા ગયેલા બારિસ્ટર મોહનદાસની સાથે એવી ઘટના ઘટી હતી, જે તેમને મહાત્મા બનવા તરફ દોરી ગઈ હતી.
આ ઘટનાની નોંધ ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં સવિસ્તર લીધી છે. ગાંધીજીએ આત્મકથાના બીજા ભાગના આઠમા પ્રકરણ ‘પ્રિટોરિયા જતાં’માં આ ઘટનાનું વર્ણન કર્યું છે. ગાંધીજીને નોકરીના ભાગ રૂપે ડરબનથી પ્રિટોરિયા જવાનું થયું. મોહનદાસ પહેલા વર્ગની ટિકિટ લઈને ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં રાતે નવેક વાગ્યે નાતાલની રાજધાની મેરિત્સબર્ગ આવ્યું. મેરિત્સબર્ગ સ્ટેશન પર એક ગોરા મુસાફરની ફરિયાદને કારણે ટ્રેનના અમલદારે મોહનદાસને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી ઉતારીને છેલ્લા, જનરલ ડબ્બામાં જતા રહેવા જણાવ્યું, પરંતુ મોહનદાસે પ્રથમ વર્ગની ટિકિટ હોવાનું જણાવીને પ્રતિકાર કર્યો. અમલદારે જાતે નહીં ઊતરો તો સિપાહી ઉતારશે એવી ધમકી ઉચ્ચારી ત્યારે મોહનદાસે પોતાના જીવનનો પહેલો સત્યાગ્રહ, એ પણ અહિંસક આદર્યો. મોહનદાસે અમલદારને મક્કમ સ્વરે જણાવ્યું, ‘ત્યારે ભલે સિપાહી ઉતારે, હું મારી મેળે નહીં ઊતરું.’ અમલદારે સિપાહીઓ થકી મોહનદાસને ધક્કા મારીને ખેંચીને ડબ્બામાંથી ઉતારી દીધા અને તેમનો સામાન પણ સ્ટેશન પર ફેંકી દેવાયો. આ અપમાન અને અત્યાચાર પછી પણ મહોનદાસ જનરલ ડબ્બામાં તો ન જ ગયા.

મેરિત્સબર્ગની એ ઠંડી રાત મોહનદાસે સ્ટેશન પર જ વિતાવી. એ રાતે તેમના મનમાં મનોમંથન ચાલ્યું. જેના અંતે તેમણે અન્યાય, રંગભેદ વિરુદ્ધ લડવાનો નિર્ધાર કર્યો હતો. 7મી જૂને મોહનદાસ સાથે ઘટેલી ઘટનાએ તેમનો મહાત્મા બનવાનો માર્ગ પ્રશસ્ત કર્યો અને તેમના જીવનની દિશા જ બદલાઈ ગઈ.

જૂન મહિનામાં અા મોટી ઘટના ઉપરાંત મહાત્મા ગાંધીના બે મહત્ત્વપૂર્ણ આશ્રમોની સ્થાપના પણ જૂન મહિનામાં જ થઈ હતી. અમદાવાદમાં કોચરબ આશ્રમ નાનો પડતાં પછી તેમણે સાબરમતીમાં ‘સત્યાગ્રહાશ્રમ’ની સ્થાપના કરી હતી. આ સાબરમતી આશ્રમ પણ 17 જૂન, 1917ના રોજ સ્થાપવામાં આવ્યો, જે ભારતની આઝાદી માટેની અહિંસક લોકક્રાંતિનું નાભિકેન્દ્ર બનીને ઊભર્યું હતું. અહીંથી જ ગાંધીજીએ ઐતિહાસિક દાંડીકૂચ પણ આદરી હતી. વ્યક્તિ પોતાની પ્રિય વસ્તુનો ત્યાગ કરીને જ પ્રતિજ્ઞા લેતો હોય છે. એમ દાંડીકૂચ માટે અાશ્રમથી પ્રસ્થાન કરતી વખતે ગાંધીજીએ પણ લીધેલું કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું.’ આમ, ગાંધીજીનો પ્રિય આશ્રમ પણ જૂન મહિનામાં જ સ્થપાયો હતો. સાબરમતી આશ્રમની શતાબ્દી હાલમાં ઊજવાઈ રહી છે.

નોંધનીય યોગાનુયોગ એ પણ છે કે સાબરમતીની જેમ જ વર્ધાની નજીક આવેલા સેવાગ્રામ આશ્રમની સ્થાપના પણ ઈ.સ. 1936માં 16મી જૂનના રોજ થઈ હતી. આ દિવસથી ગાંધીજી અહીં સ્થાયી થયા હતા અને છેક 25 ઓગસ્ટ, 1946 સુધી તેમનું કાયમી સરનામું સેવાગ્રામ આશ્રમ જ રહ્યો હતો. સેવાગ્રામ આશ્રમમાંથી જ ગાંધીજીએ 1942માં ‘ભારત છોડો આંદોલન’ની આહલેક જગાડી હતી.

ગાંધીજીની શૈક્ષણિક કારકિર્દીમાં પણ જૂન મહિનો મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, કેમ કે તેમને 10મી જૂન, 1891ના રોજ બારિસ્ટરની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી. 11મી જૂન, 1891ના રોજ તેમણે ઇંગ્લેન્ડની હાઇકોર્ટમાં અઢી શિલિંગની ફી ભરીને પોતાનું નામ અને ડિગ્રીની નોંધણી કરાવેલી. બીજા દિવસે 12મી જૂને તેઓ બારિસ્ટર બનીને સ્વદેશ પરત ફર્યા હતા.

જૂન મહિનામાં ગાંધીજીના જીવનમાં અન્ય કિસ્સાઓ પણ બન્યા હશે, પણ અહીં આટલેથી અટકીએ. જૂન મહિનાએ જ ગાંધીજીને બારિસ્ટર બનાવ્યા અને આ જ મહિનાએ તેમને સત્યાગ્રહ થકી સત્ય અને અહિંસાના વકીલ બનાવ્યા હતા.

(‘દિવ્ય ભાસ્કર’ની 28મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત. આ કૉલમ ગાંધી ટૂર દરમિયાન સારનાથમાં ફરતાં ફરતાં લખી હતી. ભાગ્યે જ હાથે લખાયેલી કૉલમોમાંની આ એક છે.)

Wednesday, June 21, 2017

...અને યાદ આવ્યા રાકેશ શર્મા

દિવ્યેશ વ્યાસ


ભારતીય મૂળના રાજા ચારીનો અમેરિકાના નવા 12 અંતરીક્ષયાત્રીઓમાં સમાવેશ થતાં રાકેશ શર્મા યાદ આવી ગયા



અમેરિકાને ફરી મહાન બનાવવાના વાયદા સાથે ચૂંટાઈ આવેલા નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના અંતરીક્ષ કાર્યક્રમને વેગવાન બનાવવા કમર કસી છે. અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, ટૂંકમાં નાસા (NASA)માં હવે ધમાધમી વધી છે. થોડા દિવસ પહેલાં એટલે કે 8મી જૂને સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે નાસાએ અંતરીક્ષ મોકલવા માટે 12 નવા એસ્ટ્રોનટ્સની પસંદગી કરી લીધી છે. ભારત માટે આ સમાચારમાં રાજી થવા જેવી બાબત એ હતી કે ભારતીય મૂળના રાજા ચારીનો પણ આ 12 નવા અંતરીક્ષયાત્રીઓમાં સમાવેશ થયો છે. રાજા ચારી આમ તો અમેરિકન એરફોર્સમાં કાર્યરત છે અને લેફ્ટનન્ટ કર્નલ જેવો સન્માનનીય હોદ્દો ધરાવે છે. અમેરિકામાં જ જન્મેલા-ઉછરેલા રાજા ચારીના ભારતીય મૂળનો ઉલ્લેખ થતાં જ અંતરમાં આનંદ છવાયો એની સાથે સાથે અંતરીક્ષમાં પહોંચનારા સર્વપ્રથમ ભારતીય રાકેશ શર્માનું સ્મરણ તાજું થઈ ગયું.

રાકેશ શર્માનું નામ પડતાં જ આપણને તરત તેમનું જાણીતું વાક્ય યાદ આવી જાય, ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા!’ રાકેશ શર્મા જ્યારે અંતરીક્ષમાં પહોંચ્યા ત્યારે ત્યાંથી ટેલિવિઝન ન્યૂઝ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અંતરીક્ષમાં પહોંચનારા પ્રથમ ભારતીયને સવાલ પૂછેલો કે ઊંચે આકાશેથી ભારત કેવું લાગે છે? અને ત્યારે રાકેશ શર્માએ સ્વીટ એન્ડ શોર્ટ જવાબ આપેલો, ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા!’ આ વાક્ય સાંભળનારા કે તેનો વીડિયો જોનારા દરેક ભારતીયની છાતી ગજ ગજ ફૂલી જવી સ્વાભાવિક છે.

રાજા ચારીની સિદ્ધિ સમયે પણ રાકેશ શર્માનું સ્મરણ થવાનું કારણ એ છે કે આ જ રાકેશ શર્માને કારણે ભારતીય યુવાનો અંતરીક્ષમાં જવાનું સ્વપ્ન સેવતા થયા છે. રાકેશ શર્મા એક પ્રેરણાદાયક નામ બની ગયું છે. રાકેશ શર્મા વિશ્વના 128માં માણસ હતા, જે અંતરીક્ષમાં ગયા હોય. રશિયાના સહયોગથી રાકેશ શર્માને અંતરીક્ષમાં મોકલીને ભારત પોતાના દેશના નાગરિકને અંતરીક્ષમાં મોકલનારો 14મો દેશ બન્યો હતો.  રાકેશ શર્મા સોયુઝ-ટી 11 નામના યાનમાં 2જી એપ્રિલ, 1984ના રોજ અંતરીક્ષમાં પહોંચ્યા હતા. રાકેશભાઈ સાત દિવસ 21 કલાક અને 40 મિનિટ સુધી અંતરીક્ષમાં વિહર્યા હતા. રાકેશ શર્માની આ અંતરીક્ષ સિદ્ધિ માટે રશિયાએ તેમને ‘હીરો ઑફ સોવિયત યુનિયન’નું સન્માન આપ્યું હતું તો ભારતે ‘અશોક ચક્ર’ એનાયત કરીને પોતાના ‘હીરા’ને પોંખ્યો હતો.

રાકેશ શર્માની અંતરીક્ષયાત્રા મોટા ભાગના દેશવાસીઓ માટે બહુ મોટા આશ્ચર્યની વાત હતી. આપણે ત્યાં દેવતાઓ ઊંચે આકાશમાં ક્યાંય રહેતા હોવાનો ખ્યાલ બહુ મજબૂત છે. આ સંદર્ભે એક મુલાકાતમાં રાકેશ શર્માએ જણાવેલું કે ઘણા લોકો મને પૂછતા હતા કે આકાશમાં શું તમારો ભેટો ભગવાન સાથે થયો હતો?
રાકેશ શર્માના નામે અંતરીક્ષમાં ગયા પહેલાં ઇન્ડિયન એરફોર્સના પાઇલટ તરીકેની યશસ્વી કામગીરી બોલે છે. વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તેમણે યુદ્ધ વિમાનો ઉડાડીને દુશ્મનોના દાંત ખાટા કર્યા હતા. એ સમયે માત્ર 23 વર્ષના રાકેશભાઈએ કુલ 21 વાર ઉડાન ભરીને દુશ્મનો પર હુમલા કર્યા હતા.

ગયા ફેબ્રુઆરી, 2017માં જ સમાચાર આવ્યા હતા કે રાકેશ શર્માના જીવન અને સિદ્ધિઓ પર બોલિવૂડમાં ફિલ્મ બનવાની છે. આમિર ખાન પોતે રાકેશ શર્માનું પાત્ર ભજવવાના છે. આ ફિલ્મ સિદ્ધાર્થ રોય કપૂર અને ખુદ આમિર પ્રોડ્યુસ કરશે, જ્યારે ફિલ્મનું ડિરેક્શન મહેશ મથાઈને સોંપવામાં આવ્યું છે. રાકેશ શર્મા જેવા દેશના ખરા હીરોને વારંવાર યાદ કરવા જ રહ્યા. આવા હીરો જ આપણી આવનારી પેઢીના પ્રેરણાસ્રોત બની શકે!
(‘દિવ્ય ભાસ્કર’ની 21મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 14, 2017

સંસદ પર હુમલાનો સિલસિલો

દિવ્યેશ વ્યાસ

સંસદો અને વિધાનસભાઓ પરના આતંકી હુમલા પુરવાર કરે છે કે કટ્ટરપંથીઓ લોકશાહીને ધિક્કારે છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

આતંકવાદી હુમલાનું પ્રમાણ દિવસે દિવસે ઘટવાને બદલે વધી રહ્યું છે. આતંકવાદીઓ જાહેર ભીડભાડવાળાં સ્થળો પર ત્રાટકીને વધુ ને વધુ લોકોની હત્યા કરીને હાહાકાર મચાવવાની ફિતરત ધરાવતા હોય છે. ધાર્મિક સ્થળો પણ તેમના નિશાના પર હોય છે. જોકે, સૌથી નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા કેટલાક સમયથી આતંકવાદીઓ જે તે દેશની સંસદ અને વિધાનસભાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. ગયા બુધવારે 7મી જૂન, 2017ના રોજ ઈરાનની સંસદ પર આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈરાનની રાજધાની તહેરાનમાં ઈરાનની સંસદ ઉપરાંત ક્રાંતિકારી નેતા આયાતોલ્લાહ ખોમેનીના મકબરા પર પણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 14 લોકોનાં મોત થયાં હતાં. આ આતંકી હુમલાની જવાબદારી કુખ્યાત આતંકી સંગઠન આઈએસઆઈએસે લીધી હતી. ચાર સશસ્ત્ર આતંકીઓ મહિલાનાં વસ્ત્રોમાં વિઝિટર્સ ગેટથી સંસદ પરિસરમાં ઘૂસ્યા હતા. રાઇફલ અને પિસ્તોલ જેવાં હથિયારોથી સજ્જ આતંકીઓ સંસદને બાનમાં લેવાનો ઇરાદો ધરાવતા હતા, પરંતુ તેમને ઠાર કરીને હુમલાને નિષ્ફળ બનાવાયો હતો. ઈરાન પછી આઈએસઆઈએસે હવે સાઉદ અરબને હુમલા માટે તૈયાર રહેવાની ધમકી ઉચ્ચારી હતી.

ઈરાનની સંસદ પર હુમલા અગાઉ આતંકીઓએ લંડન ખાતે પણ બ્રિટિશ સંસદ બહાર આતંકી હુમલો કર્યો હતો. 22મી માર્ચ, 2017ના રોજ બ્રિટિશ સંસદની બહાર ગોળીબારો કરવા ઉપરાંત આતંકીઓએ લોકોને કારની નીચે કચડી નાખીને હાહાકાર મચાવવાની પણ કોશિશ કરી હતી. સંસદની પાસે વેસ્ટમિનિસ્ટર બ્રિજ નજીક આતંકી હુમલો થયો ત્યારે બ્રિટિશ સંસદમાં આશરે 200 સાંસદો મોજૂદ હતા. આતંકી હુમલાને કારણે સંસદની કાર્યવાહી અટકાવી દઈને સંસદભવનને લૉક કરી દેવાયું હતું. આતંકી હુમલામાં એક મહિલાનું મોત થયું હતું તો ડઝનેક લોકો ઘવાયા હતા.

સંસદ પર આતંકી હુમલાની વાત નીકળે ત્યારે નવી દિલ્હી ખાતે આપણા સંસદભવન પર થયેલો હુમલો તો કેમ ભુલાય? 13 ડિસેમ્બર, 2001ના રોજ જૈશે મોહમ્મદના પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો. સફેદ એમ્બેસેડરમાં સંસદ પરિસરમાં ઘૂસી ગયેલા આતંકીઓએ 30 મિનિટ સુધી સંસદ પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. જોકે, સંસદમાં તૈનાત સુરક્ષાકર્મીઓએ આતંકીઓનો સામનો કરીને ઠાર માર્યા હતા. સુરક્ષા જવાનોએ ભારતીય સંસદ અને દેશની સુરક્ષાવ્યવસ્થાની લાજ બચાવી હતી. આતંકવાદીઓનો સામનો કરતાં કરતાં દિલ્હી પોલીસના પાંચ જવાન, સીઆરપીએફનાં એક મહિલા કોન્સ્ટેબલ અને સંસદના બે ગાર્ડ શહીદ થયા હતા તથા 16 જવાનો ઘાયલ થયા હતા. સંસદમાં ઘૂસેલા આતંકીઓ એકે-47 જેવાં શસ્ત્રો ઉપરાંત વિસ્ફોટકો પણ લાવ્યા હતા. એ વખતે સંસદ ચાલુ હતી અને આતંકીઓનો ઇરાદો સાંસદોને બાનમાં લેવાનો હતો. જોકે, આતંકીઓ ફાવી શક્યા નહોતા.

સંસદ ઉપરાંત વિધાનસભાઓ પણ આંતકી હુમલાનો ભોગ બનેલી છે. 1 ઑક્ટોબર, 2001ના રોજ જૈશે મોહમ્મદના ત્રણ આંતકીઓએ શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલો કર્યો હતો. કાર બૉમ્બથી વિધાનસભાને ઉડાવી દેવાનું ષડ્્યંત્ર રચાયું હતું. આતંકીઓ વિધાનસભાના મુખ્ય દ્વાર સુધી પહોંચી ગયા હતા અને કાર બૉમ્બ ફોડ્યો હતો, જેમાં 38 લોકો અને ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.

ભારત ઉપરાંત પાકિસ્તાનમાં લાહોર વિધાનસભા પણ આતંકી હુમલાનો ભોગ બની ચૂકી છે. 13 ફેબ્રુઆરી, 2017ના રોજ લાહોરની વિધાનસભાની બહાર આતંકી હુમલો કરાયો હતો, જેમાં 16 લોકોના જીવ ગયા હતા અને 81 નિર્દોષ નાગરિકો ઘવાયા હતા.

આતંકવાદીઓના સંસદ અને વિધાનસભા પરના હુમલાઓ પરથી સ્પષ્ટ છે કે કટ્ટરવાદીઓ લોકશાહીને ધિક્કારે છે. સંસદ લોકશાહીનું પ્રતીક જ નહીં મંદિર પણ છે. આતંકવાદીઓને લોકોનું શાસન, કાયદાનું શાસન પસંદ નથી, તેમને તો લોહીની નદીઓ વહાવવી હોય છે. લોકશાહી મૂલ્યો અને કટ્ટરતા ક્યારેય એકસાથે ચાલી શકે નહીં. આતંક સામે હંમેશાં લોકોની સત્તા અને એકતા જ જીતતી હોય છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 14મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 7, 2017

પ્લાસ્ટિક રોડ : બેય હાથમાં લાડું!

દિવ્યેશ વ્યાસ

પ્લાસ્ટિકના કચરામાંથી સડક બનાવવાનો નવો ટ્રેન્ડ આવકાર્ય છે. આનાથી પ્લાસ્ટિકના પ્રદૂષણમાંથી મુક્તિ મળશે, સાથે સાથે સડક વધુ ટકાઉ બનશે


(પ્લાસ્ટિકયુક્ત રોડની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી સર્ચ કરીને મેળવી છે.)

પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવ્યો અને ગયો. પર્યાવરણના મુદ્દે નાગરિકો અને સરકારોમાં હવે સભાનતા ઊભી થઈ રહી છે, છતાં સક્રિયતા ઘણી ઓછી છે. આપણે આદર્શોની વાતો કરવામાં તો પાવરધા છીએ, પણ રોજિંદા જીવનમાં તેના અમલીકરણની વાત આવે ત્યારે આપણે છટકબારી શોધવા માંડતા હોઈએ છીએ. પર્યાવરણની ચર્ચામાં પ્રદૂષણ કેન્દ્રીય મુદ્દો હોય છે, છતાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જ જાય છે, જે આપણી વિચારોને આચારમાં ઉતારવાની નબળાઈ છતી કરે છે. ગાયના મુદ્દે ગોકિરો કરનારા પણ દર દર ભટકતી ગાય ફેંકી દેવાયેલી ખાદ્યસામગ્રીની સાથે સાથે પ્લાસ્ટિકની થેલીઓ ખાઈને મરણને શરણ થાય છે, એ બાબતે બહુ ઉદાસીન જોવા મળે છે.

આપણી સંસ્કૃતિમાં ગાય ઉપરાંત ધરતી અને નદીને પણ માતાનો દરજ્જો અપાયો છે, પણ તેના પ્રદૂષણ બાબતે આપણને ભાગ્યે જ પરવા હોય છે. પર્યાવરણ બચાવવા કે પ્રદૂષણ અટકાવવા માટે આપણે ભાગ્યે જ આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જહેમત લેતા હોઈએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિકની થેલીથી પર્યાવરણને કેટલું નુકસાન જઈ રહ્યું છે. પ્લાસ્ટિકનો નાશ થતો ન હોવાથી કચરાના ઢગલા નહિ, પણ ડુંગરો વધતાં જાય છે, પ્લાસ્ટિક બાળવામાં આવે તો ઝેરી વાયુઓ હવામાં ફેલાય છે, પ્લાસ્ટિકને કારણે આપણી ગટરો ચોકઅપ થઈ જાય છે, વરસાદી પાણીનો નિકાલ ન થતાં રસ્તાઓ પર પાણી ભરાઈ રહે છે, પ્લાસ્ટિક ખેતીની જમીનથી લઈને જંગલોને નુકસાન પહોંચાડે છે, પ્લાસ્ટિકને કારણે આપણી નદીઓ તેમજ દરિયાઓમાં પણ પ્રદૂષણ ફેલાય છે.

પ્લાસ્ટિક વાપરવાના અનેક જોખમો છતાં પ્લાસ્ટિક આપણી રોજિંદી જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગયું છે. આપણા જીવનમાં સવારના ટૂથબ્રશથી લઈને રાત્રે સૂતા પહેલાં બંધાતી મચ્છરદાની સુધી પ્લાસ્ટિકની બોલબાલા છે. આવા સંજોગોમાં પ્લાસ્ટિકના કચરાનો એક રચનાત્મક ઉપયોગ સામે આવ્યો છે. સડક બનાવવાના ડામર-કપચીના મિશ્રણમાં પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરવાનો ઇનોવેટિવ આઇડિયા ધીમે ધીમે રંગ લાવી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ એક અંદાજ પ્રમાણે આજે દેશમાં 40,000 કિલોમીટર કરતાં વધારે એવી સડકો બંધાઈ ચૂકી છે, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આજે કોલકાતા, બેંગલુરુ, દિલ્હી, ચેન્નઈ, મુંબઈ, પુણે, બનારસ, તિરુવંતપુરમ, મદુરાઈ, કોઝીકોડ, રાયપુર,  ઇંદૌર, જમશેદપુરથી લઈને અમદાવાદ સહિતનાં શહેરોમાં પ્લાસ્ટિકયુક્ત સડકો બંધાવા લાગી છે.

પ્લાસ્ટિકયુક્ત સડકોનો આઇડિયા મૂળે તો મદુરાઈ સ્થિત ત્યાગરાજ કૉલેજ ઑફ એન્જિનિયરિંગના રસાયણશાસ્ત્રના પ્રોફેસર આર. વાસુદેવનનો છે. પ્લાસ્ટિક પણ આખરે તો ડામરની જેમ પેટ્રોલિયમ પ્રોડક્ટ જ છે, એટલે તેમને થયું કે રોડ બનાવવામાં જો પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થાય તો એક કાંકરે અનેક સમસ્યાનો ઉકેલ મળે. તેમણે પ્રયોગો હાથ ધર્યા અને પોતાની કૉલેજમાં વર્ષ 2002માં પ્લાસ્ટિકયુક્ત સડક બનાવી. પ્રો. વાસુદેવને પ્લાસ્ટિકયુક્ત સડક બનાવવાની ટેક્નોલોજીની પેટન્ટ ઈ.સ. 2006માં મેળવી અને ત્યારથી દેશમાં રોડ બાંધકામમાં પ્લાસ્ટિકના વપરાશના આઇડિયાની સ્વીકાર્યતા ઊભી થઈ છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ તકનીકને ગ્રીન ટેક્નોલોજી જાહેર કરી છે. ઇન્ડિયન રોડ કૉંગ્રેસે પ્લાસ્ટિકના કચરામાંથી સડક બનાવવાની મંજૂરી આપી છે તો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે તમામ રાજ્યોને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનનારા રોડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યા છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકારે પાંચ લાખથી વધુ વસતી ધરાવતા શહેરની નગરપાલિકાઓ માટે રોડમાં ડામરની સાથે સાથે પ્લાસ્ટિકનો કચરાનો ઉપયોગ કરવાનું ફરજિયાત કરી દીધું છે, જેને લીધે પ્લાસ્ટિકયુક્ત સડકોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

માર્ગનિર્માણમાં પ્લાસ્ટિકના ઉપયોગથી ફેંકી દેવાયેલા-નકામા પ્લાસ્ટિકનો સદુપયોગ થાય છે અને પર્યાવરણને થતું નુકસાન અટકે છે. એ ઉપરાંત પણ ઘણા ફાયદા મળી રહ્યા છે, જેમકે, ડામર ઘટતાં રોડ બનાવવાનો ખર્ચ ઘટે છે. ડામરનો રોડ માંડ પાંચ વર્ષ સારો રહેતો હોય છે, પરંતુ તેમાં જો પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરવામાં આવે તો તેનું આયુષ્ય બેવડું થઈ જાય છે, એટલે કે 10 વર્ષ જેટલું વધી જાય છે. પ્લાસ્ટિકને કારણે વરસાદમાં માર્ગ ધોવાઈ જવાની સમસ્યા પણ ઓછી થઈ રહી છે. પ્લાસ્ટિકને કારણે ડામરના રોડ વધારે મજબૂત અને ટકાઉ બની રહ્યા છે. આશા રાખીએ પ્લાસ્ટિક વેસ્ટયુક્ત રોડનો વ્યાપ સતત વધતો રહે.

પ્લાસ્ટિકના કચરાનો સદુપયોગ કરવાનો એક વિકલ્પ ઊભો થયો છે, છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ જેટલો ઘટે, એ તો ઇચ્છનીય જ છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 7મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળ પ્રત)