Showing posts with label કચરો. Show all posts
Showing posts with label કચરો. Show all posts

Wednesday, December 13, 2017

મંદિર અને સ્વચ્છતા

દિવ્યેશ વ્યાસ


રાજકારણીઓની મંદિર-મુલાકાતો વધી રહી છે ત્યારે નીમચ શહેરના એક સરકારી અધિકારીની મંદિરોમાં સ્વચ્છતા અંગેની પહેલ આવકાર્ય છે


(તસવીર પ્રતીકાત્મક છે. તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધેલી છે.)

‘બારેક વાગ્યે પરવારીને હું કાશીવિશ્વનાથનાં દર્શન કરવા ગયો. ત્યાં જે જોયું તેથી દુ:ખ જ પામ્યો. સાંકડી લપસણી ગલીમાં થઈને જવાનું. શાંતિનું નામ જ નહીં. માખીઓનો બણબણાટ, મુસાફરો ને દુકાનદારોનો ઘોંઘાટ અસહ્ય લાગ્યાં. જ્યાં મનુષ્ય ધ્યાન અને ભગવતચિંતનની આશા રાખે ત્યાં તેમાંનું કશું ન મળે! મંદિરે પહોંચતાં દરવાજા આગળ ગંધાતાં સડેલાં ફૂલ.’ કાશીવિશ્વનાથ મંદિર અને ત્યાંના માહોલનું વર્ણન કરનાર છે, મહાત્મા ગાંધી. ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ના ત્રીજા ભાગમાં ‘કાશીમાં’ નામનું એક પ્રકરણ અલગથી લખ્યું છે. આ પ્રકરણમાં કાશી જેવા પવિત્રધામમાં જોવા મળેલી ગંદકી-અસ્વચ્છતાનું વર્ણન શબ્દો ચોર્યા વિના કરવામાં આવ્યું છે. દુ:ખની વાત એ છે કે આજે પણ કાશી સહિતનાં આપણાં મોટા ભાગનાં પવિત્રધામોમાં સ્વચ્છતાની હાલતમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી.

ગુજરાતમાં કેટલાંક હાઇપ્રોફાઇલ મંદિરોના અપવાદ બાદ કરતાં મોટા ભાગનાં મંદિરોમાં સડેલાં ફૂલોના ઢગલા ઉપરાંત પૂજાપાને એવી રીતે ફેંકી દેવામાં આવે છે કે એ જોઈને કોઈ પણ શ્રદ્ધાળુને દુ:ખ થાય. ભગવાનને ચડાવાતાં ફૂલો, પૂજાપો અને અન્ય સામગ્રીને નદી કે જળાશયોમાં પધરાવી દેવાનો રિવાજ જોવા મળે છે, પરંતુ આપણે જોયું છે કે આ કારણે પેદા થતી ગંદકી યાત્રાધામોની પવિત્રતાને હાનિ પહોંચાડતી હોય છે. ગંગા-યમુના જેવી પવિત્ર નદીના કાંઠે આવેલાં મંદિરો પણ નદીના પ્રદૂષણમાં મોટી ભૂમિકા ભજવે છે, એવા અહેવાલો આપણને વાંચવા મળતા હોય છે.
 
મંદિરો અને તેની આજુબાજુ જોવા મળતી ગંદકીના મુદ્દે વાત કરવાનું એટલે સૂઝી રહ્યું છે કે હાલમાં રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન દરરોજ રાજકારણીઓની મંદિર-મુલાકાતોના સમાચારો ચમક્યા કરે છે. બહુમત હિન્દુઓના દિમાગમાં જગ્યા બનાવીને સત્તાના આસને પહોંચવા માટે રાજકારણીઓને મંદિરો અને અન્ય તીર્થસ્થાનો યાદ આવે છે, પરંતુ આ જ મંદિરોની સ્વચ્છતા-પવિત્રતા જળવાય, મંદિરની આજુબાજુનો માહોલ શાંતિપૂર્ણ અને ખરા અર્થમાં પવિત્ર બને, એની ચિંતા ભાગ્યે જ કરવામાં આવે છે. આ માહોલમાં મધ્યપ્રદેશના નીમચ શહેરના એક સરકારી અધિકારીએ મંદિરોની અને સાથે સાથે શહેરની સ્વચ્છતા માટે એક પહેલ કરી છે, જે આવકાર્ય તો છે જ સાથે સાથે અપનાવવા જેવી છે. લીમડાનાં અઢળક વૃક્ષો માટે જાણીતું અને તેના પરથી જ જેનું નામકરણ થયું છે, એવા આ નીમચ શહેરમાં અમુક પ્રસિદ્ધ મંદિરો સહિત 50થી વધારે મંદિરો આવેલાં છે. આ મંદિરોમાં ચડાવાતાં ફૂલો, પૂજાપા અને નારિયેળનો યોગ્ય નિકાલ ન થવાથી ન તો લોકોની શ્રદ્ધાનું માન જળવાતું હતું, ન સ્વચ્છતા જળવાતી હતી. નીમચ શહેરના ચીફ મ્યુનિસિપલ ઑફિસર સંદેશ ગુપ્તાએ શહેરનાં તમામ મંદિરોમાં ચડાવાતાં ફૂલો, પૂજાપાની સામગ્રી અને નારિયેળનાં છીલકાંઓના નિકાલ માટે નવા અભિગમ સાથે પ્રયાસ કર્યો છે. સંદેશ ગુપ્તાએ પોતાના સરકારી નિવાસની પાછળ નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના (NAFED) સહયોગથી બે વિશાળ ખાડાઓ ખોદાવ્યા છે. વિશેષ વ્યવસ્થા કરીને તમામ મંદિરોમાંથી ચડાવાયેલાં ફૂલો અને અન્ય સેન્દ્રિય પૂજાપો તથા નારિયેળનાં છોતરાં રોજેરોજ એકત્ર કરવામાં આવે છે. આ સામગ્રીને કમ્પોસ્ટિંગ માટે ખાડામાં પધરાવવામાં આવે છે. પૂજાપાની સામગ્રીની સાથે સાથે લીમડાનાં પાન પણ નાખીને તેમાંથી ઉત્તમ પ્રકારનું ખાતર મેળવવામાં આવે છે. પૂજાપાની સામગ્રીમાંથી પેદા થતું સેન્દ્રિય ખાતર વેચીને કોર્પોરેશન આવક પણ મેળવે છે. સંદેશ ગુપ્તાની આ પહેલની ચર્ચા હવે ધીમે ધીમે આસપાસના વિસ્તારોમાં પણ રંગ લાવી રહી છે.

દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સંદેશ ગુપ્તાની પહેલનો સંદેશો સૌએ ઝીલવા જેવો છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 13મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, October 25, 2017

કચરો! એ વળી કઈ બલા?

દિવ્યેશ વ્યાસ


તમે માનશો? લોરેન સિંગર નામની અમેરિકન યુવતી છેલ્લાં પાંચ વર્ષથી કચરામુક્ત જીવન જીવી રહી છે!


(લોરેન સિંગરની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)

આપણે સૌએ રંગેચંગે દિવાળી ઊજવી અને નવા વિક્રમ સંવતને હેમખેમ વધાવી પણ લીધું. દિવાળી દીપ, રંગોળી, ફટાકડા, શુભેચ્છાઓની સાથે સાથે સ્વચ્છતાનું પણ પર્વ છે! ભાગ્યે જ એવું કોઈ ઘર હશે, જ્યાં દિવાળીને વધાવવા-ઊજવવા માટે સાફસફાઈ અભિયાન ન ચલાવાતું હોય. આખા વર્ષમાં ઘરના ખૂણેખાંચરે એકઠા થતાં કચરા-ધૂળ-બાવાજાળાંને એકઝાટકે ઘરવટો આપી દેવામાં આવતો હોય છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની બોલબાલા વધી છે ત્યારે શું આપણે કલ્પના કરી શકીએ કે કચરામુક્ત જીવન પણ જીવી શકાય? કોઈ પણ પ્રકારનો કચરો પેદા કર્યા વિના રોજિંદી જિંદગી જીવી શકાય? આપણા માન્યામાં ન આવે એવી હકીકત છે કે અમેરિકાની એક 26 વર્ષની યુવતી છેલ્લાં પાંચ વર્ષથી ‘ઝીરો પર્સેન્ટ વેસ્ટ’ના સિદ્ધાંતનું સુપેરે પાલન કરી રહી છે.

હાલ ન્યૂ યૉર્કમાં રહેતાં લોરેન સિંગરે વર્ષ 2012થી કચરામુક્ત જીવન અપનાવ્યું છે અને આજે તેઓ સફળતાપૂર્વક અને સહજતાપૂર્વક 100 ટકા કચરામુક્તિનો લુત્ફ ઉઠાવી રહી છે. લોરેન મૂળે તો પર્યાવરણની વિદ્યાર્થિની હતી અને ત્યાંથી જ તેમને પર્યાવરણ-મિત્ર જીવન જીવવાનો ‘સોલો’ ચડેલો. કચરામુક્ત જીવન માટે લોરેન આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે. ‘TED’માં ટૉક આપી ચૂકેલાં લોરેન www.trashisfortossers.com નામનો બ્લોગ ચલાવે છે તથા યુ ટ્યૂબ પર પોતાના વીડિયો થકી રોજિંદા જીવનમાં કઈ રીતે કચરાને પેદા થતો અટકાવી શકાય, એ માટે ટિપ્સ આપે છે અને લોકોના પ્રશ્નો-મૂંઝવણોનો જવાબ આપે છે.

લોરેને પોતાને કચરામુક્ત જીવન જીવવાનો ધક્કો ક્યાંથી અને કઈ રીતે લાગ્યો, એ અંગે પોતાના લેખોમાં ખુલાસો કરેલો છે કે ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં પર્યાવરણની વિદ્યાર્થી તરીકે ભણતી વખતે જ પર્યાવરણની મોટી મોટી વાતો અને નવા નવા સમજાયેલા ખયાલોથી હું મારી જાતને મોટી પર્યાવરણવાદી માનવા માંડેલી. એ સમયે અમારી એક સહપાઠી યુવતી રોજ પ્લાસ્ટિકની થેલીમાં પ્લાસ્ટિકના ડબ્બાઓમાં તૈયાર ખાવાનું લાવતી, તેમાં ડિસ્પોઝેબલ ડિસ અને ચમચી-કાંટા વગેરે પણ રહેતાં. તે ભોજન કરીને આ બધી સામગ્રી કચરાપેટીમાં પધરાવી દેતી. આ જોઈને મને રોજ ખીજ ચડતી, પણ હું અંદરથી સમસમીને ચૂપ રહેતી. એક દિવસ મને પેલી વિદ્યાર્થિની પર ગુસ્સો ચડ્યો જ હતો ને હું ઘરે ગઈ. મૂડ ઠીક કરવા મેં રસોઈ બનાવવા વિચાર્યું. મેં જેવું મારું ફ્રીઝ ખોલ્યું કે કે હું થીજી ગઈ. મેં જોયું કે ફ્રીઝમાં દરેક વસ્તુ કાં તો પ્લાસ્ટિકના ડબ્બામાં હતી કે પછી પ્લાસ્ટિકની થેલીમાં. મને અહેસાસ થયો કે પર્યાવરણપ્રેમીના નામે હું તો નર્યો દંભ જ કરું છે. આ અહેસાસે મારી આંખ ઉઘાડી અને કચરામુક્ત જીવન જીવવાની દૃષ્ટિ મળી.

લોરેને કોઈ મુલાકાતમાં કબૂલ કર્યું છે કે સંપૂર્ણ કચરામુક્ત (ઝીરો પર્સેન્ટ વેસ્ટ) જીવન કંઈ એક રાતમાં લાવી શકાય એવી પ્રક્રિયા નથી. મેં મહિનાઓ સુધી મારા રોજિંદા જીવનનો અભ્યાસ કર્યો, ક્યાં, કેવો અને કઈ રીતે કચરો પેદા થાય છે, તેનું નિરીક્ષણ કર્યું અને પછી કચરો કઈ રીતે નિવારી શકાય, એ માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું. લગભગ એક-દોઢ વર્ષે અનેક પ્રયોગો અને પ્રયાસોથી આખરે કચરામુક્તિ સિદ્ધ થઈ શકી. ચાર વર્ષના અંતે એક નાની કાચની બરણીમાં સમાઈ જાય, એટલો જ કચરો તેણે પેદા કર્યો હતો.

કચરામુક્ત જીવન જીવવા માટે પ્રેરણારૂપ બનેલાં લોરેન કહે છે કે ઝીરો પર્સેન્ટ વેસ્ટને કારણે હું આજે ઘણા બધા પૈસા બચાવું છું, સારું-પૌષ્ટિક-તાજું ભોજન લઉં છું અને વધારે સુખી છું, સ્વસ્થ છું અને આનંદમાં રહી શકું છું.

આવતી દિવાળીએ ઘરમાં કચરો સાફ કરવાની ઝંઝટમાંથી સંપૂર્ણપણે મુક્ત થવું હોય તો તમે પણ ‘ઝીરો પર્સેન્ટ વેસ્ટ’નો સિદ્ધાંત અપનાવો. 100 ટકા કચરામુક્તિ શક્ય ન બને તોપણ ‘શક્તિ (કે સમજ) એટલી ભક્તિ (પ્રયાસ)’ કરીને કચરાને ઓછામાં ઓછો કરીને પોતાની સાથે સાથે પર્યાવરણનું પણ કલ્યાણ કરી શકો છો. પૃથ્વી અને પર્યાવરણના અસ્તિત્વ માટે કંઈક તો કરવું જ પડશે. બોલો, ક્યારથી શરૂ કરવું છે?

(‘દિવ્ય ભાસ્કર’ની 25મી ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 7, 2017

પ્લાસ્ટિક રોડ : બેય હાથમાં લાડું!

દિવ્યેશ વ્યાસ

પ્લાસ્ટિકના કચરામાંથી સડક બનાવવાનો નવો ટ્રેન્ડ આવકાર્ય છે. આનાથી પ્લાસ્ટિકના પ્રદૂષણમાંથી મુક્તિ મળશે, સાથે સાથે સડક વધુ ટકાઉ બનશે


(પ્લાસ્ટિકયુક્ત રોડની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી સર્ચ કરીને મેળવી છે.)

પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવ્યો અને ગયો. પર્યાવરણના મુદ્દે નાગરિકો અને સરકારોમાં હવે સભાનતા ઊભી થઈ રહી છે, છતાં સક્રિયતા ઘણી ઓછી છે. આપણે આદર્શોની વાતો કરવામાં તો પાવરધા છીએ, પણ રોજિંદા જીવનમાં તેના અમલીકરણની વાત આવે ત્યારે આપણે છટકબારી શોધવા માંડતા હોઈએ છીએ. પર્યાવરણની ચર્ચામાં પ્રદૂષણ કેન્દ્રીય મુદ્દો હોય છે, છતાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જ જાય છે, જે આપણી વિચારોને આચારમાં ઉતારવાની નબળાઈ છતી કરે છે. ગાયના મુદ્દે ગોકિરો કરનારા પણ દર દર ભટકતી ગાય ફેંકી દેવાયેલી ખાદ્યસામગ્રીની સાથે સાથે પ્લાસ્ટિકની થેલીઓ ખાઈને મરણને શરણ થાય છે, એ બાબતે બહુ ઉદાસીન જોવા મળે છે.

આપણી સંસ્કૃતિમાં ગાય ઉપરાંત ધરતી અને નદીને પણ માતાનો દરજ્જો અપાયો છે, પણ તેના પ્રદૂષણ બાબતે આપણને ભાગ્યે જ પરવા હોય છે. પર્યાવરણ બચાવવા કે પ્રદૂષણ અટકાવવા માટે આપણે ભાગ્યે જ આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જહેમત લેતા હોઈએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિકની થેલીથી પર્યાવરણને કેટલું નુકસાન જઈ રહ્યું છે. પ્લાસ્ટિકનો નાશ થતો ન હોવાથી કચરાના ઢગલા નહિ, પણ ડુંગરો વધતાં જાય છે, પ્લાસ્ટિક બાળવામાં આવે તો ઝેરી વાયુઓ હવામાં ફેલાય છે, પ્લાસ્ટિકને કારણે આપણી ગટરો ચોકઅપ થઈ જાય છે, વરસાદી પાણીનો નિકાલ ન થતાં રસ્તાઓ પર પાણી ભરાઈ રહે છે, પ્લાસ્ટિક ખેતીની જમીનથી લઈને જંગલોને નુકસાન પહોંચાડે છે, પ્લાસ્ટિકને કારણે આપણી નદીઓ તેમજ દરિયાઓમાં પણ પ્રદૂષણ ફેલાય છે.

પ્લાસ્ટિક વાપરવાના અનેક જોખમો છતાં પ્લાસ્ટિક આપણી રોજિંદી જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગયું છે. આપણા જીવનમાં સવારના ટૂથબ્રશથી લઈને રાત્રે સૂતા પહેલાં બંધાતી મચ્છરદાની સુધી પ્લાસ્ટિકની બોલબાલા છે. આવા સંજોગોમાં પ્લાસ્ટિકના કચરાનો એક રચનાત્મક ઉપયોગ સામે આવ્યો છે. સડક બનાવવાના ડામર-કપચીના મિશ્રણમાં પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરવાનો ઇનોવેટિવ આઇડિયા ધીમે ધીમે રંગ લાવી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ એક અંદાજ પ્રમાણે આજે દેશમાં 40,000 કિલોમીટર કરતાં વધારે એવી સડકો બંધાઈ ચૂકી છે, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આજે કોલકાતા, બેંગલુરુ, દિલ્હી, ચેન્નઈ, મુંબઈ, પુણે, બનારસ, તિરુવંતપુરમ, મદુરાઈ, કોઝીકોડ, રાયપુર,  ઇંદૌર, જમશેદપુરથી લઈને અમદાવાદ સહિતનાં શહેરોમાં પ્લાસ્ટિકયુક્ત સડકો બંધાવા લાગી છે.

પ્લાસ્ટિકયુક્ત સડકોનો આઇડિયા મૂળે તો મદુરાઈ સ્થિત ત્યાગરાજ કૉલેજ ઑફ એન્જિનિયરિંગના રસાયણશાસ્ત્રના પ્રોફેસર આર. વાસુદેવનનો છે. પ્લાસ્ટિક પણ આખરે તો ડામરની જેમ પેટ્રોલિયમ પ્રોડક્ટ જ છે, એટલે તેમને થયું કે રોડ બનાવવામાં જો પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થાય તો એક કાંકરે અનેક સમસ્યાનો ઉકેલ મળે. તેમણે પ્રયોગો હાથ ધર્યા અને પોતાની કૉલેજમાં વર્ષ 2002માં પ્લાસ્ટિકયુક્ત સડક બનાવી. પ્રો. વાસુદેવને પ્લાસ્ટિકયુક્ત સડક બનાવવાની ટેક્નોલોજીની પેટન્ટ ઈ.સ. 2006માં મેળવી અને ત્યારથી દેશમાં રોડ બાંધકામમાં પ્લાસ્ટિકના વપરાશના આઇડિયાની સ્વીકાર્યતા ઊભી થઈ છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ તકનીકને ગ્રીન ટેક્નોલોજી જાહેર કરી છે. ઇન્ડિયન રોડ કૉંગ્રેસે પ્લાસ્ટિકના કચરામાંથી સડક બનાવવાની મંજૂરી આપી છે તો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે તમામ રાજ્યોને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનનારા રોડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યા છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકારે પાંચ લાખથી વધુ વસતી ધરાવતા શહેરની નગરપાલિકાઓ માટે રોડમાં ડામરની સાથે સાથે પ્લાસ્ટિકનો કચરાનો ઉપયોગ કરવાનું ફરજિયાત કરી દીધું છે, જેને લીધે પ્લાસ્ટિકયુક્ત સડકોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

માર્ગનિર્માણમાં પ્લાસ્ટિકના ઉપયોગથી ફેંકી દેવાયેલા-નકામા પ્લાસ્ટિકનો સદુપયોગ થાય છે અને પર્યાવરણને થતું નુકસાન અટકે છે. એ ઉપરાંત પણ ઘણા ફાયદા મળી રહ્યા છે, જેમકે, ડામર ઘટતાં રોડ બનાવવાનો ખર્ચ ઘટે છે. ડામરનો રોડ માંડ પાંચ વર્ષ સારો રહેતો હોય છે, પરંતુ તેમાં જો પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરવામાં આવે તો તેનું આયુષ્ય બેવડું થઈ જાય છે, એટલે કે 10 વર્ષ જેટલું વધી જાય છે. પ્લાસ્ટિકને કારણે વરસાદમાં માર્ગ ધોવાઈ જવાની સમસ્યા પણ ઓછી થઈ રહી છે. પ્લાસ્ટિકને કારણે ડામરના રોડ વધારે મજબૂત અને ટકાઉ બની રહ્યા છે. આશા રાખીએ પ્લાસ્ટિક વેસ્ટયુક્ત રોડનો વ્યાપ સતત વધતો રહે.

પ્લાસ્ટિકના કચરાનો સદુપયોગ કરવાનો એક વિકલ્પ ઊભો થયો છે, છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ જેટલો ઘટે, એ તો ઇચ્છનીય જ છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 7મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળ પ્રત)