Wednesday, December 13, 2017

મંદિર અને સ્વચ્છતા

દિવ્યેશ વ્યાસ


રાજકારણીઓની મંદિર-મુલાકાતો વધી રહી છે ત્યારે નીમચ શહેરના એક સરકારી અધિકારીની મંદિરોમાં સ્વચ્છતા અંગેની પહેલ આવકાર્ય છે


(તસવીર પ્રતીકાત્મક છે. તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધેલી છે.)

‘બારેક વાગ્યે પરવારીને હું કાશીવિશ્વનાથનાં દર્શન કરવા ગયો. ત્યાં જે જોયું તેથી દુ:ખ જ પામ્યો. સાંકડી લપસણી ગલીમાં થઈને જવાનું. શાંતિનું નામ જ નહીં. માખીઓનો બણબણાટ, મુસાફરો ને દુકાનદારોનો ઘોંઘાટ અસહ્ય લાગ્યાં. જ્યાં મનુષ્ય ધ્યાન અને ભગવતચિંતનની આશા રાખે ત્યાં તેમાંનું કશું ન મળે! મંદિરે પહોંચતાં દરવાજા આગળ ગંધાતાં સડેલાં ફૂલ.’ કાશીવિશ્વનાથ મંદિર અને ત્યાંના માહોલનું વર્ણન કરનાર છે, મહાત્મા ગાંધી. ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ના ત્રીજા ભાગમાં ‘કાશીમાં’ નામનું એક પ્રકરણ અલગથી લખ્યું છે. આ પ્રકરણમાં કાશી જેવા પવિત્રધામમાં જોવા મળેલી ગંદકી-અસ્વચ્છતાનું વર્ણન શબ્દો ચોર્યા વિના કરવામાં આવ્યું છે. દુ:ખની વાત એ છે કે આજે પણ કાશી સહિતનાં આપણાં મોટા ભાગનાં પવિત્રધામોમાં સ્વચ્છતાની હાલતમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી.

ગુજરાતમાં કેટલાંક હાઇપ્રોફાઇલ મંદિરોના અપવાદ બાદ કરતાં મોટા ભાગનાં મંદિરોમાં સડેલાં ફૂલોના ઢગલા ઉપરાંત પૂજાપાને એવી રીતે ફેંકી દેવામાં આવે છે કે એ જોઈને કોઈ પણ શ્રદ્ધાળુને દુ:ખ થાય. ભગવાનને ચડાવાતાં ફૂલો, પૂજાપો અને અન્ય સામગ્રીને નદી કે જળાશયોમાં પધરાવી દેવાનો રિવાજ જોવા મળે છે, પરંતુ આપણે જોયું છે કે આ કારણે પેદા થતી ગંદકી યાત્રાધામોની પવિત્રતાને હાનિ પહોંચાડતી હોય છે. ગંગા-યમુના જેવી પવિત્ર નદીના કાંઠે આવેલાં મંદિરો પણ નદીના પ્રદૂષણમાં મોટી ભૂમિકા ભજવે છે, એવા અહેવાલો આપણને વાંચવા મળતા હોય છે.
 
મંદિરો અને તેની આજુબાજુ જોવા મળતી ગંદકીના મુદ્દે વાત કરવાનું એટલે સૂઝી રહ્યું છે કે હાલમાં રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન દરરોજ રાજકારણીઓની મંદિર-મુલાકાતોના સમાચારો ચમક્યા કરે છે. બહુમત હિન્દુઓના દિમાગમાં જગ્યા બનાવીને સત્તાના આસને પહોંચવા માટે રાજકારણીઓને મંદિરો અને અન્ય તીર્થસ્થાનો યાદ આવે છે, પરંતુ આ જ મંદિરોની સ્વચ્છતા-પવિત્રતા જળવાય, મંદિરની આજુબાજુનો માહોલ શાંતિપૂર્ણ અને ખરા અર્થમાં પવિત્ર બને, એની ચિંતા ભાગ્યે જ કરવામાં આવે છે. આ માહોલમાં મધ્યપ્રદેશના નીમચ શહેરના એક સરકારી અધિકારીએ મંદિરોની અને સાથે સાથે શહેરની સ્વચ્છતા માટે એક પહેલ કરી છે, જે આવકાર્ય તો છે જ સાથે સાથે અપનાવવા જેવી છે. લીમડાનાં અઢળક વૃક્ષો માટે જાણીતું અને તેના પરથી જ જેનું નામકરણ થયું છે, એવા આ નીમચ શહેરમાં અમુક પ્રસિદ્ધ મંદિરો સહિત 50થી વધારે મંદિરો આવેલાં છે. આ મંદિરોમાં ચડાવાતાં ફૂલો, પૂજાપા અને નારિયેળનો યોગ્ય નિકાલ ન થવાથી ન તો લોકોની શ્રદ્ધાનું માન જળવાતું હતું, ન સ્વચ્છતા જળવાતી હતી. નીમચ શહેરના ચીફ મ્યુનિસિપલ ઑફિસર સંદેશ ગુપ્તાએ શહેરનાં તમામ મંદિરોમાં ચડાવાતાં ફૂલો, પૂજાપાની સામગ્રી અને નારિયેળનાં છીલકાંઓના નિકાલ માટે નવા અભિગમ સાથે પ્રયાસ કર્યો છે. સંદેશ ગુપ્તાએ પોતાના સરકારી નિવાસની પાછળ નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના (NAFED) સહયોગથી બે વિશાળ ખાડાઓ ખોદાવ્યા છે. વિશેષ વ્યવસ્થા કરીને તમામ મંદિરોમાંથી ચડાવાયેલાં ફૂલો અને અન્ય સેન્દ્રિય પૂજાપો તથા નારિયેળનાં છોતરાં રોજેરોજ એકત્ર કરવામાં આવે છે. આ સામગ્રીને કમ્પોસ્ટિંગ માટે ખાડામાં પધરાવવામાં આવે છે. પૂજાપાની સામગ્રીની સાથે સાથે લીમડાનાં પાન પણ નાખીને તેમાંથી ઉત્તમ પ્રકારનું ખાતર મેળવવામાં આવે છે. પૂજાપાની સામગ્રીમાંથી પેદા થતું સેન્દ્રિય ખાતર વેચીને કોર્પોરેશન આવક પણ મેળવે છે. સંદેશ ગુપ્તાની આ પહેલની ચર્ચા હવે ધીમે ધીમે આસપાસના વિસ્તારોમાં પણ રંગ લાવી રહી છે.

દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સંદેશ ગુપ્તાની પહેલનો સંદેશો સૌએ ઝીલવા જેવો છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 13મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment