Wednesday, March 29, 2017

મહર્ષિ દધીચિનો દેહદાનનો વારસો

દિવ્યેશ વ્યાસ


સદગત તારકભાઈ મહેતા અને ચિનુભાઈ મોદીએ દેહદાન કરીને સમાજને મહામૂલી પ્રેરણા પૂરી પાડી છે


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)
 તાજેતરમાં ગુજરાતે ઉપરાઉપરી બે મોટા સાહિત્યકારો-સર્જકો ગુમાવ્યા, દુનિયાને ઊલટાં ચશ્માં થકી સતત હસાવનારા તારકભાઈ મહેતા અને ગઝલથી માંડીને ખંડકાવ્ય અને નાટકથી લઈને નવલકથામાં પોતાનું સર્જકત્વ સાબિત કરનારા ચિનુ મોદી. તારકભાઈના નિધન પછી તેમના મિજાજને શોભે એવી હાસ્યાંજલિની છોળો ઊડી, પણ ચિનુ મોદીના નિધન પછી તેમની શોકસભાના આયોજન બાબતે સાહિત્યિક સંસ્થાઓના વાદવિવાદને કારણે વિષાદ ઘેરો બન્યો. આ વાદવિવાદના દેકારામાં એક વાત તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું કે આ બન્ને સાહિત્યકારોએ દેહદાન કરીને પોતાના જીવનના અંતિમ પર્વને માનવતા માટે ન્યોછાવર કરી દીધું હતું! દેશમાં એક તરફ કબ્રસ્તાન અને સ્મશાનના નામે રાજકારણ રમાઈ રહ્યું છે ત્યારે આ બન્ને મહાનુભાવોએ સમાજને એક ત્રીજો જ રાહ ચીંધ્યો છે. દેહદાનનો માર્ગ નિર્વિવાદપણે માનવતાનો માર્ગ છે! વળી, સારું છે કે દુનિયાના લગભગ તમામ ધર્મોમાં દેહદાન પ્રત્યે સકારાત્મક વલણ જોવા મળે છે. સદ્્ગત તારકભાઈ અને ચિનુ મોદીએ દેહદાન કરીને સમગ્ર સમાજને મહામૂલી પ્રેરણા પૂરી પાડી છે.

ભારતીય સંસ્કૃતિમાં દેહદાન મામલે સૌથી જૂનું અને ચમકતું નામ મહર્ષિ દધીચિનું. દધીચિ ઋષિની વાર્તા કંઈક એવી છે કે તેઓ નૈમિષારણ્યમાં નિવાસ કરતા હતા. દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. યુદ્ધ ઘણા દિવસ સુધી ચાલ્યું, પણ વૃત્રાસુરના નેતૃત્વમાં લડી રહેલા અસુરોને દેવો હરાવી શકતા નહોતા. દેવતાઓ ઇન્દ્ર પાસે ગયા અને ઇન્દ્ર તરત બ્રહ્માજીને મળ્યા. બ્રહ્માજીએ ઉપાય સૂચવ્યો કે નૈમિષારણ્યમાં તપ કરી રહેલા દધીચિ ઋષિએ પોતાના શરીરમાં અપાર શક્તિઓ હાંસલ કરી છે. તેમનાં હાડકાંમાંથી જો હથિયાર બનાવવામાં આવે તો તેનાથી અસુરોને પરાસ્ત કરી શકાશે. ઇન્દ્ર દધીચિ પાસે ગયા અને ખચકાતાં ખચકાતાં બધી વાત કરી. દધીચિ પોતાના દેહદાન માટે રાજી થઈ ગયા અને તેમણે યોગબળથી પોતાનું શરીર છોડી દીધું. તેમનાં હાડકાંમાંથી વજ્ર બનાવવામાં આવ્યું. વજ્રના પ્રહારથી જ વૃત્રાસુર હણાયો અને અસુરો પર વિજય મેળવી શકાયો.

આજે અનેક બીમારી રૂપ વૃત્રાસુરો-અસુરો માનવજાત પર ત્રાટકી રહ્યા છે, લાખો લોકોને રંજાડી રહ્યા છે ત્યારે દેહદાન-અંગદાન બહુ આવશ્યક બન્યું છે. આજની દુનિયાને એક નહીં હજારો દધીચિની જરૂર છે. દધીચિ ઋષિએ તો સામેથી મોતને આમંત્રિત કરવું પડ્યું હતું, પરંતુ આપણે એવા ભાગ્યશાળી છીએ કે આપણે મૃત્યુ પછી જ દેહદાન કરવાનું હોય છે. આપણી જિંદગી પૂર્ણપણે જીવી લીધા પછી પણ અન્ય માનવબંધુઓને નવી જિંદગી બક્ષી શકીએ છીએ.

દધીચિ ઋષિના વારસ હોવા છતાં આપણે ત્યાં દેહદાન બાબતે જોઈએ એટલી જાગૃતિ જોવા મળતી નથી. એક થોડોક જૂનો આંકડો છે કે વર્ષ 2014માં સ્પેનમાં દર દસ લાખે 36 લોકો દેહદાન કરેલું, ક્રોએશિયામાં 35 લોકોએ દેહદાન કરેલું, અમેરિકામાં દર દસ લાખે દેહદાન કરનારાનો આંકડો 27.2 હતો, જ્યારે ભારતમાં આ આંકડો માંડ 0.34 હતો! લિવર, હૃદય કે કિડની જેવાં અંગોની ખરાબીને કારણે આપણા દેશમાં દર વર્ષે આશરે પાંચ લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે. બીજી તરફ એક વ્યક્તિ દેહદાન કરીને આશરે 8 વ્યક્તિઓની જિંદગી બચાવી શકે છે. દાન કરાયેલો દેહ મેડિકલ ક્ષેત્રનાં સંશોધન અને શિક્ષણમાં પણ ઉપયોગી પુરવાર થતો હોય છે.

માર્ચ મહિનામાં તારકભાઈ અને ચિનુ મોદીના દેહદાન ઉપરાંત બીજા એક સમાચાર જાણવા મળ્યા હતા કે દિલ્હીનાં આંચલ ગુપ્તા અને સૂરજ ગુપ્તા નામના એક દંપતીએ પોતાની સાત દિવસની નવજાત દીકરીનું મોત થતાં તેના દેહનું દાન કરીને એક દાખલો બેસાડ્યો હતો. અત્રે નોંધનીય છે કે પ. બંગાળનાં વિખ્યાત મુખ્યમંત્રી જ્યોતિ બસુએ દેહદાન કરેલું. આપણાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ દેહદાનનો સંકલ્પ લીધેલો છે. ગુજરાતમાં અનેક સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ અંગદાન-દેહદાન માટે પ્રયાસરત છે. જિંદગીના અંતિમ પર્વને માનવસંવેદના ખાતર દેહદાન થકી ઊજવનારા તારકભાઈ અને ચિનુભાઈને સો સો સલામ!

(‘દિવ્ય ભાસ્કર’ની 29મી માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, March 22, 2017

વિકાસથી દલાલ સુધી!

દિવ્યેશ વ્યાસ


શેફ વિકાસ ખન્નાએ પિતાના નિધન અંગે લખેલી અને વાઇરલ થયેલી પોસ્ટે જયંતિ દલાલની વાર્તાને યાદ કરાવી દીધી!




કેટલાક સંબંધો બહુ બળૂકા હોય છે, પરંતુ બોલકા હોતા નથી. આવો જ એક સંબંધ છે પિતા અને સંતાનનો. દીકરી તો હજુય લાડ લડી લેતી હોય છે, પરંતુ દીકરા બાપને લાડકા હોવા છતાં, તેમની વચ્ચે વ્યાવહારિક સંબંધો સામાન્ય હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. બાપ-બેટાના સંબંધોમાં અપાર દૃઢતા હોય છે, પરંતુ તેમના વ્યવહારમાં હળવાશ કે મીઠાશ હોય એવું જરૂરી નથી. આટલું લખાણ વાંચીને કોઈ વાચકને થઈ શકે કે ફાધર્સ ડેને તો હજુ ઘણી વાર છે તોપણ આજે પિતાશ્રીની કથા, સોરી કૉલમ કેમ માંડી છે? પહેલું તો, માતા અને પિતાની વાત કરવા માટે આપણે મધર્સ ડે કે ફાધર્સ ડેના ઓશિયાળા ન હોવા જોઈએ, ખરું ને? બીજું કે જાણીતા શેફ વિકાસ ખન્નાએ ગયા સપ્તાહે પોતાના પિતાના નિધન સંદર્ભે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી, જે વાઇરલ બની. આ પોસ્ટ જ આ લેખ લખવા માટેનો ધક્કો પહોંચાડ્યો છે.

આ લેખ માટે વિકાસ ખન્નાની પોસ્ટ નિમિત્ત બની છે ત્યારે સૌથી પહેલાં એ પોસ્ટની જ વાત કરીએ. વિકાસભાઈએ 16મી માર્ચના રોજ પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું: ‘31મી જાન્યુઆરી, 2015ની સવારે મેં મારા નિત્યકર્મ મુજબ ઘરે ફોન કરીને મોમ અને ડેડ સાથે વાત કરી. ડેડ બે કારણસર અતિ ઉત્સાહમાં હતા. એક તો સેરેના વિલિયમ્સ ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં રમી રહી હતી અને બીજું મર્સિડીઝ સાથે મારો કરાર થયો હતો. તેમણે કહ્યું કે દીકરાની મર્સિડીઝમાં ફરવાનું તેમનું સપનું હતું. હું હસવા માંડ્યો અને કહ્યું કે તમે અગાઉ કેમ ન જણાવ્યું? તેઓ પણ હસ્યા અને બોલ્યા, ‘તેં ક્યારેય પૂછ્યું નહોતું.’ અમે હસતાં હસતાં વાત પૂરી કરી.’

‘એ જ દિવસે ઢળતા બપોરે તેમનું નિધન થયું. એકેય સંતાન આવડી મોટી ખોટ માટે ક્યારેય તૈયાર ન હોઈ શકે. આ ઘટના તમારા દિલને ભાંગી જ નાખે. તમે સુન્ન થઈ જાવ. ઈશ્વરે દગો દીધો હોય અને એકાએક અસુરક્ષિત વિશ્વમાં પહોંચી ગયા હોય એવું લાગવા માંડે.’

‘મને આજેય તેમના એ વાક્યનું અચરજ છે કે ‘તેં ક્યારેય પૂછ્યું નહોતું.’

‘એ કમનસીબ દિવસ પછી મને અનેક વાર થયું છે કે હું તેમના માટે એવું ઘણું ઘણું કરી શક્યો હોત કે જેનાથી તેમને ગર્વ અનુભવાય અને તેમની તમામ આશાઓ પૂર્ણ થાત.’

‘જિંદગીએ મને બોધપાઠ ભણાવ્યો - વધુ એક પણ ક્ષણ માટે મોડું ન કરો. આપણાં મા-બાપ ભાગ્યે જ કશું માગશે, જ્યારે તેમણે તો આખી જિંદગી આપણને આપી દીધી હોય છે.’

‘તેમને અચરજ પમાડો, તેમને ખોટા પાડો, તેમને ભેટી પડો, તેમને જઈને પૂછો કે તમારા ઓરતા (સપનાં) શું છે અને તેમને ખૂબ ખૂબ ચાહો, કારણ કે એક દિવસ તમે કારોના થપ્પા કરવા સક્ષમ હશો, પણ તમે સમય નહીં ખરીદી શકો.’

વિકાસ ખન્નાની આ પોસ્ટને હજારો લોકોએ આંસુડે આંસુડે વધાવી છે. ફેસબુક પર મૂકેલી આ પોસ્ટને આશરે લાખેક લોકોએ લાઇક કરી અને ત્રણેક હજાર લોકોએ શેર કરેલી એટલું જ નહીં હજારેક લોકોએ પોતાનાં મા-બાપ અંગેની લાગણી કૉમેન્ટ સ્વરૂપે વ્યક્ત કરી હતી.


વિકાસ ખન્નાની પોસ્ટ વાંચતાં ગુજરાતના વિખ્યાત સાહિત્યકાર જયંતિ દલાલની ‘હું એ? એ હું?’ વાર્તાનું સ્મરણ થઈ આવ્યું. આ વાર્તાના નાયકને મન તેમના પિતા એટલે ‘ઘણા સાંકડા દિલનો માણસ, આપમતલબી, મનસ્વી, તોરીલા, નાનકડા સરમુખત્યાર’. જોકે, પિતાના નિધન પછી તેને બહુ રડવું આવે છે અને એનું કારણ એ સમજી શકતો નથી. આખરે પિતાનો એક પત્ર હાથમાં આવે છે, જેને તે પૂરો વાંચતો પણ નથી, પરંતુ આખરે તેને અહેસાસ થાય છે કે હું તો મારા પિતા જેવો જ છું!

આપણને માતા-પિતાનું મૂલ્ય સમજાય ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે! બસ, હવે એક ક્ષણ પણ મોડું ન કરો, દિલ ખોલીને મા-બાપને મળી લો, જીવતેજીવ ચાહી લો, ફરી આ ક્ષણ મળે ન મળે!

(‘દિવ્ય ભાસ્કર’ની 22મી માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, March 15, 2017

હારીને કમાનારા બાજીગરો

દિવ્યેશ વ્યાસ


કોઈ વિચારધારા કે સમાજસેવા વિના ચૂંટણી ટાણે રાતોરાત ફૂટી નીકળતા નેતાઓથી ચેતવા જેવું છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)



ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. ચૂંટણીના દિવસોમાં સામાન્યમાં સામાન્ય નાગરિકને પણ અહેસાસ થતો હોય છે કે આપણું પણ કોઈ વજૂદ છે અને આપણું પણ કંઈક મહત્ત્વ છે. મત આપવાની નમ્ર અપીલ કરતા અને લળી લળીને સલામો ભરતા નેતાઓને જોઈને કૉમન મેનને પણ લાગે છે કે આ દેશમાં આપણોય ‘ભાવ પુછાય’ છે! બીજા કોઈ દિવસોમાં થતા હોય કે નહીં, પરંતુ ચૂંટણીના દિવસોમાં તો દેશ-રાજ્ય કે ગામ-શહેરને લગતા મુદ્દાઓની જાહેર ચર્ચાઓ થતી હોય છે. ચૂંટાયેલા નેતાઓનાં કાર્યોનાં લેખાંજોખાં થાય છે. ચૂંટણીના દિવસોમાં સાચાં-ખોટાં વાયદા-વચનો પણ અપાતાં હોય છે. ખુદને વિઝનરી ગણાવવાની ઝંખના ધરાવતા નેતાઓ ગુલાબી સપનાંઓ પણ દેખાડતા હોય છે. પક્ષપલટાનાં ધાર્યાં-અણધાર્યાં દૃશ્યો પણ ભજવાતાં હોય છે. ખાટી-મીઠી વાતો થતી હોય છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો મારો પણ થતો હોય છે. દિવસે દિવસે નેતાઓની ભાષા અને લોકરંજન મુદ્દાઓની ભરમાર વધતી જાય છે, છતાં દરેક ચૂંટણીએ આપણા દેશની જનતાની સમજદારીનો જ પુરાવો આપ્યો છે, એ બાબત બહુ આશ્વસ્તકારક છે.

ચૂંટણીઓ દરમિયાન થતાં કીચડઉછાળ નિવેદનો લોકશાહીના પવિત્ર પર્વને દૂષિત કરતાં હોય છે. જોકે, ચૂંટણીમાં ચાલતી ગંદી રાજરમતો અને કાવાદાવા ભાગ્યે જ સામાન્ય નાગરિકોના ધ્યાનમાં આવતાં હોય છે. મોટા રાજકીય પક્ષો અને વગદાર ઉમેદવારો વિજય માટે પ્રયાસ કરવાની સાથે સાથે હરીફ ઉમેદવારને ગમે તેમ કરીને હરાવવા માટે અપક્ષ ઉમેદવારોને હાથા બનાવતા હોય છે. ચૂંટણીમાં આજકાલ બૂથ સ્તરે માઇક્રો મેનેજમેન્ટની બોલબાલા છે. માઇક્રો મેનેજમેન્ટમાં માત્ર એક એક મતદારને મનાવવા કે પોતાના તરફ વાળવાના પ્રયાસો ઓછા, પરંતુ વિરોધી ઉમેદવારના સંભવિત મતોને કોઈ પણ રીતે કાપવાના પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રયાસોમાં હાથા બને છે - અપક્ષ ઉમેદવારો અને નાના-પરચૂરણ પક્ષો. ઉત્તર પ્રદેશની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં નેતાઓ અને પક્ષોની હારજીતમાં પરચૂરણ પક્ષોની શું ભૂમિકા હતી, એની ભાગ્યે જ ચર્ચા થતી હોય છે.

ચૂંટણી પરિણામો પહેલાં જ ઇન્ડિયાસ્પેન્ડ.કોમ નામની વેબસાઇટ પર એક વિશ્લેષણાત્મક અહેવાલ પ્રકાશિત થયો હતો. જેમાં નોંધાયેલા નાના રાજકીય પક્ષોની કરમકુંડળીની ઉદાહરણ સહિત ચર્ચા કરવામાં આવી હતી. એ બધી ચર્ચામાં ન પડીએ તોપણ કેટલાક આંકડા જાણવા રસપ્રદ છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી વિશાળ રાજ્ય છે. આ રાજ્યમાં 404 બેઠકો માટે વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની બેઠકો કરતાં પણ વધારે 474 નોંધાયેલા નાના રાજકીય પક્ષો કાર્યરત છે! સમગ્ર દેશમાં ચલાવાતા નાના પક્ષોમાંથી ચોથા ભાગના પક્ષો એકલા ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશમાં એક પછી એક ચૂંટણીમાં નાના પક્ષોની સંખ્યામાં સતત વધારો નોંધાતો ગયો છે. ઉત્તર પ્રદેશમાં 2002ના વર્ષમાં નાના પક્ષોની સંખ્યા માત્ર 75 હતી, જ્યારે 2012માં 204 પક્ષો ચૂંટણી મેદાનમાં કૂદી પડ્યા હતા અને આ વખતની ચૂંટણીમાં અધધ 474 નાના પક્ષોએ વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવ્યું હતું! 

ચૂંટણીની સિઝનમાં ફૂટી નીકળતા નાના પક્ષોના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ જાય એવી ખરાબ રીતે હારતા હોય છે, છતાં નાના પક્ષોની સંખ્યા વધતી જ જાય છે અને તેમને ઉમેદવારોની અછત પણ નડતી નથી! આની પાછળનું મુખ્ય કારણ એ છે કે તેઓને ચૂંટણી જીતવા કે હારવા માટે નહીં, પણ કોઈને હરાવવા-જિતાડવા માટે જ લડાવાતી હોય છે. ચૂંટણી લડવા માટે તેમને પોતાના અચ્છે દિન આવી જાય, એટલાં નાણાં પણ અપાતાં હોય છે. આમ, હારીને પણ કમાનારા આવા બાજીગર નેતાઓ ચૂંટણીની સિઝનમાં ધીકતી કમાણી કરી લેતા હોય છે.

ચૂંટણીપંચના ચોપડે નોંધાયેલા નાના પક્ષો ભાગ્યે જ કોઈ ચૂંટણી જીતી શકતા હોય છે, છતાં તેમનું અસ્તિત્વ ટકી રહે છે અને તેમની સંખ્યા વધતી જ જાય છે, તેનું એક કારણ નોંધાયેલા રાજકીય પક્ષોને મળતી વેરામાફી પણ ગણાવાય છે. ઇન્કમ ટેક્સ એક્ટ - 1961 અનુસાર રાજકીય પક્ષને દાન કરનારને કરવેરામાંથી માફી મળે છે. વળી, રાજકીય પક્ષે પણ કોઈ વેરો ચૂકવવો પડતો નથી. હવે મર્યાદા ઘટાડાઈ છે, છતાં 2000થી ઓછું દાન કરનારાઓનાં નામ-ઠામ-સ્રોત જાહેર કરવા પડતાં નથી. મોટા મોટા રાજકીય પક્ષો પણ પોતાનો હિસાબ ચોખ્ખો રાખતા નથી ત્યારે નાના પક્ષોને તો કોણ પૂછે, એટલે નાના રાજકીય પક્ષો ધીકતા ધંધાનું માધ્યમ બની જતા હોય છે. જોકે, બધા નાના પક્ષો કે અપક્ષ ઉમેદવારો પર આવો આક્ષેપ ન કરી શકાય, છતાં સ્થિતિ એવી છે કે સ્વચ્છ પક્ષો અને સેવાધર્મી ઉમેદવારો હવે અપવાદરૂપ જ જોવા મળે છે.

ઑગસ્ટ-2015માં ચૂંટણીપંચના આંકડા અનુસાર નોંધાયેલા નાના પક્ષોની સંખ્યા 1866 હતી. ડિસેમ્બર-2016માં ચૂંટણીપંચે વર્ષ 2005 પછી માત્ર કાગળ પર ચાલી રહેલા અને એકેય સ્તરની ચૂંટણી નહીં લડનારા 255 પક્ષોને નોંધાયેલા રાજકીય પક્ષોની યાદીમાંથી રદ કર્યા હતા, એટલું જ નહીં તેમની પંચે તેમની તપાસ હાથ ધરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસને તાકીદ પણ કરી હતી. આમ છતાં દેશમાં હાલ 1786 નાના પક્ષો અસ્તિત્વ ધરાવે છે.

બ્રિટિશ અર્થશાસ્ત્રી ઈ.એફ. શુમાકરનું સૂત્ર ‘સ્મોલ ઇઝ બ્યૂટીફૂલ’ રાજકીય પક્ષોની બાબતમાં સાચું પડતું નથી અને તેઓ લોકશાહીની બ્યૂટીને હાનિ પહોંચાડતા હોય છે. ગુજરાતમાં પણ ચૂંટણીઓ આવી રહી છે... હારીને કમાનારા બાજીગરોથી ચેતજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 15 માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, March 8, 2017

મણિપુરની એ શૌર્યવાન માતાઓ

દિવ્યેશ વ્યાસ


લોહીતરસી તલવાર કરતાં ન્યાય માગતી ચીસ વધારે ધારદાર નીવડે છે, એનો પરચો મણિપુરની માતાઓએ પૂરો પાડેલો!

 
(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાંથી સૌથી ઓછી ચર્ચા મણિપુરની થાય છે. અલબત્ત, ઇરોમ શર્મિલાના ચૂંટણી સાહસને કારણે મણિપુરની ચૂંટણીમાં નવો રંગ ઉમેરાયો છે. ઇરોમ શર્મિલાની સાથે સાથે ચર્ચામાં આવેલું બીજું નામ નજિમા બીબીનું છે. મણિપુરમાં વિધાનસભા સ્તરની ચૂંટણી લડનાર તેઓ પ્રથમ મુસ્લિમ મહિલા છે. નજિમા બીબી ચૂંટણી લડી રહ્યાં છે તેના વિરોધમાં સ્થાનિક ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો છે, છતાં ઇમ્ફાલ ખીણની વાબગઈ બેઠક પરથી ચૂંટણી લડવા માટે મક્કમ રહ્યાં છે. મણિપુરની મહિલાઓની આ જ તો ખાસિયત છે કે તેઓ અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે અને પોતાના અધિકાર માટેના સંઘર્ષને મક્કમપણે વળગી રહે છે. રાજકીય હોય કે સામાજિક, મણિપુરની મહિલાઓએ પોતાનું શૌર્ય બતાવ્યું જ છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે ત્યારે મણિપુરની મહિલાઓનાં શૌર્યની જ વાત આગળ વધારીએ તો બાર વર્ષ જૂનો કિસ્સો જૂના ઘાવની જેમ તાજો થયા વિના રહેતો નથી.

એ વાતને જોતજોતાંમાં બાર વર્ષનાં વહાણાં વહી ગયાં છે. મણિપુરમાં બાર માતાઓએ સૈન્યના જવાનોના અમાનુષી અત્યાચારના વિરોધમાં લાખો લોકોની બે આંખોની શરમ મૂકીને ‘નગ્નાસ્ત્ર’ છોડ્યું હતું, જેથી સૈન્ય અધિકારીઓની અને દેશના શાસકોની આંખો ખૂલે. 15 જુલાઈ, 2004ના રોજ ઇમ્ફાલમાં કાંગલા કિલ્લાની સામે માઇરા પૈબિસ (મશાલચી મહિલાઓ) સંસ્થા સાથે જોડાયેલી આધેડ વયની બાર માતાઓએ પોતાનાં વસ્ત્રો ત્યાગી દીધાં હતાં અને એક પોસ્ટર ફરકાવ્યું હતું, જેમાં આક્રોશના અંગારા જેવા લાલ રંગથી લખેલું હતું - ‘ઇન્ડિયન આર્મી રેપ અસ’. કલ્પના કરો કે એ ગૃહસ્થ મહિલાઓ કઈ હદે દુ:ખી-દુભાયેલી હશે કે વસ્ત્રો ત્યાગીને સામેથી બળાત્કાર કરવાનું આહ્વાન કરીને આક્રોશ ઠાલવવો પડ્યો હતો.

એ આક્રોશ પ્રદર્શન પાછળ થંગજામ મનોરમા નામની મહિલા પરના અમાનુષી અત્યાચાર અને પછી કરપીણ હત્યા જવાબદાર હતાં. 10 જુલાઈ, 2004ની રાતે આસામ રાઇફલ્સના જવાનોએ મનોરમાની ધરપકડ કરી હતી અને બીજા દિવસે બાજુના ગામમાં તેનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક લેબના અહેવાલથી સાબિત થયું હતું કે હત્યા પહેલાં મનોરમાબહેન પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. મનોરમાબહેન કંઈ પહેલાં પીડિતા નહોતાં, અનેક યુવતીઓ-મહિલાઓ-યુવાનો બેફામ સત્તા ધરાવતા સૈન્યના જવાનોના અત્યાચારનો ભોગ બની ચૂક્યાં હતાં અને એટલે જ મણિપુરની મહિલાઓનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો હતો.

મનોરમાબહેનની હત્યાને બાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ તેમને ન્યાય મળ્યો નથી. મનોરમાબહેન પર દુષ્કર્મ કરનારા અને તેમની હત્યા કરનારાઓને કોઈ સજા થઈ નથી. અલબત્ત, મણિપુરની માતાઓના શૌર્યપૂર્ણ વિરોધ પ્રદર્શન પછી આખા દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. આર્મીને બેફામ સત્તા આપનારા આફસ્પાનો કાયદો તો આજેય અમલમાં છે, પરંતુ વિરોધ પ્રદર્શન પછી મહિલાઓ પરના અત્યાચારોમાં ચોક્કસ ઘટાડો થયો છે.
આજે મહિલા દિન નિમિત્તે વાચકો માટે એ જાણવું રસપ્રદ રહેશે કે મણિપુરની એ બાર મહિલાઓ પર એક પુસ્તક તાજેતરમાં જ પ્રકાશિત થયું છે, જેનું શીર્ષક છે, ધ મધર્સ ઑફ મણિપુર : ટ્વેલ્થ વિમેન હુ મેઇડ હિસ્ટરી’. ટેરેસા રહેમાન દ્વારા લિખિત આ પુસ્તકમાં એ બાર મહિલાઓની સંઘર્ષકથાને વણી લેવામાં આવી છે.

આપણા દેશની મહિલાઓના સંઘર્ષના દિવસો ક્યારે પૂરા થશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 8મી માર્ચની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - મૂળ પ્રત)

Wednesday, March 1, 2017

નફરતનું વિનાશક રાજકારણ

દિવ્યેશ વ્યાસ


અમેરિકામાં ઠાર કરાયેલા ભારતીય ઇજનેર શ્રીનિવાસનનું ઉદાહરણ નફરતના રાજકારણ વિરુદ્ધ લાલ બત્તી સમાન છે

(મૂળ એસોશિયેટ પ્રેસ(AP)ની આ તસવીર ‘ડેઇલી મેલ’ની વેબસાઇટ પરથી લેવામાં આવી છે)

ગયા સપ્તાહમાં અમેરિકામાં એક આઘાતજનક જ નહીં, બલકે શરમજનક ઘટના ઘટી હતી. કેન્સાસના ઓલેથ શહેરના એક બારમાં એડમ પુરિંટન નામના માથાફરેલ માણસે શ્રીનિવાસન કુચીભોતલા અને આલોક મદસાની નામના બે ભારતીયોને ‘મારા દેશમાંથી ચાલ્યા જાવ...’ એવું દાદાગીરીભર્યું વાક્ય ઉચ્ચારીને પછી ગાળો ભાંડી હતી. બારવાળાઓએ એડમને કાઢી મૂક્યો, પરંતુ થોડી વારમાં તે ભરી બંદૂકે બારમાં પાછો ફર્યો અને ભારતીયો પર ધડાધડ ગોળીઓ ચલાવવા માંડ્યો, જેમાં શ્રીનિવાસનનું મોત નીપજ્યું અને આલોક માંડ માંડ બચી ગયો.

અમેરિકન નેવીમાં કામ કરી ચૂકેલા 51 વર્ષના હુમલાખોર એડમ પુરિંટનના દિમાગમાં કેટલું ઝેર હશે, એનો અંદાજ એ વાત પરથી આવે છે કે ઘાતક હુમલો કર્યા પછી તેણે એક બીજા બારમાં જઈને બહુ ગર્વભેર કહ્યું હતું કે ‘હું મધ્ય પૂર્વના બે મુસ્લિમોને ઠાર મારીને આવ્યો છું. મને પોલીસથી બચાવો અને ક્યાંક સંતાવાની વ્યવસ્થા કરી આપો.’ અલબત્ત, પેલા બારના સંચાલકો અને હાજર લોકોએ તેને પોલીસના હવાલે કરી દેવાનું જ મુનાસિબ માન્યું. એડમ પર હત્યા અને હત્યાની કોશિશની કલમો લગાડીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, આ લેખ લખાતો હતો ત્યાં સુધી તેના પર વંશીય હુમલાની કલમ લગાવવામાં નહોતી આવી.

એડમને હત્યાના કેસમાં સજા તો ચોક્કસ મળશે જ, પરંતુ ચિંતા એડમના દિમાગમાં રહેલા ઝેરની છે, કારણ કે અમેરિકામાં આવાં ઝેરભરેલાં દિમાગો દિવસે દિવસે વધતાં જ ગયાં છે. એમાંય ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી તો જાણે આવી નફરતને માન્યતા મળી ગઈ હોય એવો માહોલ સર્જાયો છે. સદ્્ગત શ્રીનિવાસનના પિતરાઈ ભાઈ વેણુ માધવે શ્રીનિવાસન પરના હુમલાને હેટ ક્રાઇમ એટેક ગણાવ્યો હતો અને શબ્દ ચોર્યા વિના જણાવ્યું હતું કે હું અમેરિકામાં કામ કરું છું એટલે જાણું છું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી વંશીય હુમલાઓ વધી ગયા છે. પહેલાં આવું નહોતું થતું.

શ્રીનિવાસનનાં પત્ની સુનયના દુમાલાએ એક પત્રકાર પરિષદમાં સત્તાધીશોને સીધો સવાલ કર્યો હતો કે, ‘મારે આ સરકાર પાસેથી એક જ જવાબ જોઈએ છે કે તે નફરતના આધારે થયેલી આ હિંસા રોકવા માટે શું કરી રહી છે?’ સરકારનું કામ નફરત કે નકારાત્મકતા વિરુદ્ધ દેશના નાગરિકોને કોઈ પણ ભેદભાવ વિના રક્ષણ આપવાનું હોય છે, પરંતુ સત્તાસ્થાને જ્યારે ભેદભાવયુક્ત માનસિકતા ધરાવનારનો કબજો હોય ત્યારે મામલો ‘ભેંસ આગળ ભાગવત’નો બની રહેતો હોય છે.

અમેરિકી મીડિયા અને સોશિયલ મીડિયા ખુલ્લેઆમ લખી રહ્યાં છે કે ટ્રમ્પે ઇમિગ્રન્ટ્સની વિરુદ્ધમાં આપેલાં તેજાબી ભાષણોની અસરને કારણે જ આવી ઘટના સર્જાઈ છે. જોકે, ટ્રમ્પનું શાસનતંત્ર આ દલીલને હાસ્યાસ્પદ ગણાવીને અવગણી રહ્યું છે. ટ્રમ્પનાં ચૂંટણી ભાષણોથી લઈને તેમના શાસનના પ્રારંભિક દિવસોની કાર્યવાહીમાં, બહારથી આવીને અમેરિકામાં વસેલા લોકો માટે દ્વેષભાવ ચોખ્ખો વર્તાય છે. ઇમિગ્રન્ટ્સ જાણે અમેરિકાની તમામ સમસ્યાઓ માટે જવાબદાર હોય એવી હવા ફેલાવવામાં આવી રહી છે. અમેરિકાના મૂળ નિવાસી એવા રેડ ઇન્ડિયન્સનો કોઈ અત્તોપત્તો નથી, પણ યુરોપના દેશોમાંથી અહીં વસેલા ગોરા લોકોએ અમેરિકાને જાણે ‘બાપિકી જાગીર’ માની લીધી છે અને એશિયા-આફ્રિકાના દેશોમાંથી આવેલા લોકો પ્રત્યે તુચ્છભાવ ધરાવે છે. એમાંય 9/11 પછી દરેક મુસ્લિમમાં તેઓ ટેટરિસ્ટનાં જ દર્શન કરી રહ્યા છે, એ અત્યંત ગંભીર બાબત છે. બહુમતીવાદી-શ્વેતવાદી માહોલ અમેરિકા જેવા મહાન લોકશાહી દેશને બિલકુલ શોભતો નથી, પણ નફરતના રાજકારણ પર મદાર રાખતા વર્તમાન શાસકોને એની કોઈ પરવા નથી.

નફરતનું રાજકારણ હિંસક હુમલાઓ અને અશાંત માહોલ સર્જવા સિવાય ખાસ કશું ઉકાળી શકતું નથી. નફરતનું રાજકારણ જુસ્સો-ઝનૂન જરૂર જગાવી શકે, પણ તેનાં પરિણામ નકારાત્મક જ નીવડતાં હોય છે. નફરતનું રાજકારણ કરનારા કદી પોતાના રાષ્ટ્રનો વિકાસ કરી શકે નહીં. નફરતનું રાજકારણ ક્યારેય કોઈ દેશને મહાન બનાવી શકે નહીં. નફરતના રાજકારણને કારણે બદબાદ થતા દેશનું ઉદાહરણ આપણે પાકિસ્તાન સ્વરૂપે જોયું જ છે. અમેરિકામાં ઠાર કરાયેલા ભારતીય ઇજનેર શ્રીનિવાસનનું ઉદાહરણ નફરતના રાજકારણ વિરુદ્ધ લાલ બત્તી સમાન છે. દેશનો વિકાસ ઇચ્છતા રાજનેતાઓએ લોકો વચ્ચે એકતા-સંપ અને ભાઈચારો વિકસે એ માટે મથવું જોઈએ, જો તેઓ નફરત ફેલાવવાની ચાનક ન છોડે તો દેશનું નામ તો ન થાય, બલકે નાક જરૂર કપાય!

(‘દિવ્ય ભાસ્કર’ની 1 માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ની મૂળ પ્રત)