Wednesday, March 22, 2017

વિકાસથી દલાલ સુધી!

દિવ્યેશ વ્યાસ


શેફ વિકાસ ખન્નાએ પિતાના નિધન અંગે લખેલી અને વાઇરલ થયેલી પોસ્ટે જયંતિ દલાલની વાર્તાને યાદ કરાવી દીધી!




કેટલાક સંબંધો બહુ બળૂકા હોય છે, પરંતુ બોલકા હોતા નથી. આવો જ એક સંબંધ છે પિતા અને સંતાનનો. દીકરી તો હજુય લાડ લડી લેતી હોય છે, પરંતુ દીકરા બાપને લાડકા હોવા છતાં, તેમની વચ્ચે વ્યાવહારિક સંબંધો સામાન્ય હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. બાપ-બેટાના સંબંધોમાં અપાર દૃઢતા હોય છે, પરંતુ તેમના વ્યવહારમાં હળવાશ કે મીઠાશ હોય એવું જરૂરી નથી. આટલું લખાણ વાંચીને કોઈ વાચકને થઈ શકે કે ફાધર્સ ડેને તો હજુ ઘણી વાર છે તોપણ આજે પિતાશ્રીની કથા, સોરી કૉલમ કેમ માંડી છે? પહેલું તો, માતા અને પિતાની વાત કરવા માટે આપણે મધર્સ ડે કે ફાધર્સ ડેના ઓશિયાળા ન હોવા જોઈએ, ખરું ને? બીજું કે જાણીતા શેફ વિકાસ ખન્નાએ ગયા સપ્તાહે પોતાના પિતાના નિધન સંદર્ભે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી, જે વાઇરલ બની. આ પોસ્ટ જ આ લેખ લખવા માટેનો ધક્કો પહોંચાડ્યો છે.

આ લેખ માટે વિકાસ ખન્નાની પોસ્ટ નિમિત્ત બની છે ત્યારે સૌથી પહેલાં એ પોસ્ટની જ વાત કરીએ. વિકાસભાઈએ 16મી માર્ચના રોજ પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું: ‘31મી જાન્યુઆરી, 2015ની સવારે મેં મારા નિત્યકર્મ મુજબ ઘરે ફોન કરીને મોમ અને ડેડ સાથે વાત કરી. ડેડ બે કારણસર અતિ ઉત્સાહમાં હતા. એક તો સેરેના વિલિયમ્સ ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં રમી રહી હતી અને બીજું મર્સિડીઝ સાથે મારો કરાર થયો હતો. તેમણે કહ્યું કે દીકરાની મર્સિડીઝમાં ફરવાનું તેમનું સપનું હતું. હું હસવા માંડ્યો અને કહ્યું કે તમે અગાઉ કેમ ન જણાવ્યું? તેઓ પણ હસ્યા અને બોલ્યા, ‘તેં ક્યારેય પૂછ્યું નહોતું.’ અમે હસતાં હસતાં વાત પૂરી કરી.’

‘એ જ દિવસે ઢળતા બપોરે તેમનું નિધન થયું. એકેય સંતાન આવડી મોટી ખોટ માટે ક્યારેય તૈયાર ન હોઈ શકે. આ ઘટના તમારા દિલને ભાંગી જ નાખે. તમે સુન્ન થઈ જાવ. ઈશ્વરે દગો દીધો હોય અને એકાએક અસુરક્ષિત વિશ્વમાં પહોંચી ગયા હોય એવું લાગવા માંડે.’

‘મને આજેય તેમના એ વાક્યનું અચરજ છે કે ‘તેં ક્યારેય પૂછ્યું નહોતું.’

‘એ કમનસીબ દિવસ પછી મને અનેક વાર થયું છે કે હું તેમના માટે એવું ઘણું ઘણું કરી શક્યો હોત કે જેનાથી તેમને ગર્વ અનુભવાય અને તેમની તમામ આશાઓ પૂર્ણ થાત.’

‘જિંદગીએ મને બોધપાઠ ભણાવ્યો - વધુ એક પણ ક્ષણ માટે મોડું ન કરો. આપણાં મા-બાપ ભાગ્યે જ કશું માગશે, જ્યારે તેમણે તો આખી જિંદગી આપણને આપી દીધી હોય છે.’

‘તેમને અચરજ પમાડો, તેમને ખોટા પાડો, તેમને ભેટી પડો, તેમને જઈને પૂછો કે તમારા ઓરતા (સપનાં) શું છે અને તેમને ખૂબ ખૂબ ચાહો, કારણ કે એક દિવસ તમે કારોના થપ્પા કરવા સક્ષમ હશો, પણ તમે સમય નહીં ખરીદી શકો.’

વિકાસ ખન્નાની આ પોસ્ટને હજારો લોકોએ આંસુડે આંસુડે વધાવી છે. ફેસબુક પર મૂકેલી આ પોસ્ટને આશરે લાખેક લોકોએ લાઇક કરી અને ત્રણેક હજાર લોકોએ શેર કરેલી એટલું જ નહીં હજારેક લોકોએ પોતાનાં મા-બાપ અંગેની લાગણી કૉમેન્ટ સ્વરૂપે વ્યક્ત કરી હતી.


વિકાસ ખન્નાની પોસ્ટ વાંચતાં ગુજરાતના વિખ્યાત સાહિત્યકાર જયંતિ દલાલની ‘હું એ? એ હું?’ વાર્તાનું સ્મરણ થઈ આવ્યું. આ વાર્તાના નાયકને મન તેમના પિતા એટલે ‘ઘણા સાંકડા દિલનો માણસ, આપમતલબી, મનસ્વી, તોરીલા, નાનકડા સરમુખત્યાર’. જોકે, પિતાના નિધન પછી તેને બહુ રડવું આવે છે અને એનું કારણ એ સમજી શકતો નથી. આખરે પિતાનો એક પત્ર હાથમાં આવે છે, જેને તે પૂરો વાંચતો પણ નથી, પરંતુ આખરે તેને અહેસાસ થાય છે કે હું તો મારા પિતા જેવો જ છું!

આપણને માતા-પિતાનું મૂલ્ય સમજાય ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે! બસ, હવે એક ક્ષણ પણ મોડું ન કરો, દિલ ખોલીને મા-બાપને મળી લો, જીવતેજીવ ચાહી લો, ફરી આ ક્ષણ મળે ન મળે!

(‘દિવ્ય ભાસ્કર’ની 22મી માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment