Wednesday, December 27, 2017

મહાન ‘ભક્ત’ મહાદેવભાઈ

દિવ્યેશ વ્યાસ


મહાત્મા ગાંધી અને કસ્તૂરબાના ‘પાંચમા પુત્ર’ મહાદેવભાઈની યાદમાં 1 જાન્યુઆરીને ‘ડાયરી લેખન દિવસ’ જાહેર કરવો જોઈએ




છાકો પાડીને છવાઈ જવાની અને અસત્ય વાતોથી લોકોને માત્ર આંજી જ ન નાખવા, પણ આંધળા કરી દેવાની ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હોય એવા રાજકીય માહોલમાં ‘ભક્ત’ શબ્દ હાંસીપાત્ર બની ગયો છે ત્યારે મહાદેવભાઈ દેસાઈને ‘મહાન ભક્ત’નું વિશેષણ લગાડવાથી ગેરસમજ થવાની શક્યતા છે. ભક્ત અને ભક્તિ જેવા પવિત્ર શબ્દોની પ્રતિષ્ઠા ખરડનારા કદાચ જાણતા નથી કે આ શબ્દોમાં સમર્પણભાવ ઠાંસોઠાંસ ભરેલો છે. મહાદેવભાઈના ગાંધીજી પ્રત્યેના સમર્પણના પુરાવારૂપ એક કિસ્સો ખૂબ જાણીતો છે: મહાદેવભાઈને પહેલેથી સંતોનું સાંનિધ્ય ગમતું હતું. જમનાલાલ બજાજ રમણ મહર્ષિના આશ્રમમાં જઈ આવ્યા હતા. તેમણે મહાદેવભાઈને એ આશ્રમ અંગે ઘણી વાતો કરી અને સૂચવ્યું કે તમે પણ જઈ આવો. મહાદેવભાઈએ ત્યાં જવાની તૈયારી કરી. જતી વખતે ગાંધીજીએ કહ્યું, ‘તમને ત્યાં શાંતિનો અનુભવ થાય તો ખુશીથી થોડા વધારે દિવસ રોકાઈ જજો. અહીંના કામની ચિંતા કરશો નહીં.’ ગાંધીજીથી છૂટા પડવાનું મહાદેવભાઈને ગમતું નહોતું. ‘વધારે દિવસ રોકાજો’ એ શબ્દોએ મહાદેવભાઈને ચમકાવ્યા. એમણે તરત ગાંધીજીને કહ્યું, ‘મેં જવાનો વિચાર માંડી વાળ્યો છે.’ ગાંધીજી કહે, ‘કેમ?’ મહાદેવભાઈ બોલ્યા, ‘મારે એક જ સ્વામી બસ છે.’

આગામી 1 જાન્યુઆરી, 2018ના દિવસે મહાદેવભાઈને આ ધરતી પર અવતર્યાને સવાસો વર્ષ થશે. મહાદેવભાઈ ગાંધીજીના સેક્રેટરી (રહસ્ય સચિવ) તરીકે જાણીતા છે, પરંતુ તેઓ સેક્રેટરીથી  વિશેષ ઘણું બધું હતા. રામચંદ્ર ગુહાએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે એક સમયગાળામાં ગાંધીજી માટે જવાહરલાલ નેહરુ અને સરદાર કરતાં પણ મહાદેવભાઈ વધારે મહત્ત્વ ધરાવતા હતા. ‘નવજીવન’ હોય, ‘યંગ ઇન્ડિયા’ હોય કે ‘હરિજન પત્રો’... ગાંધીજીનાં અખબારોના તંત્રી તરીકે તેમણે વર્ષો સુધી સેવાઓ આપી હતી. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ હોય કે ગીતા પરનું પુસ્તક ‘અનાસક્તિયોગ’, એના અંગ્રેજીમાં અનુવાદ પણ મહાદેવભાઈએ જ કર્યા હતા.

પચાસ વર્ષના જીવનમાં મહાદેવભાઈએ અડધોઅડધ પચીસ વર્ષ ગાંધીજીની નિશ્રા અને સેવામાં જ વિતાવ્યાં હતાં. અઢી દાયકા દરમિયાન તેમણે ગાંધીજીના એક એક શબ્દને ઝીલ્યા અને એક એક પ્રસંગને શબ્દદેહે પોતાની ડાયરીમાં ઉતાર્યા હતા. મહાદેવભાઈની ડાયરીના કુલ 23 ગ્રંથો થયા છે. સમગ્ર વિશ્વમાં ડાયરી-સાહિત્યની વાત નીકળે ત્યારે મહાદેવ દેસાઈનું નામ અચૂકપણે અને આદરપૂર્વક લેવાય છે. મહાદેવભાઈની ડાયરી ઉપલબ્ધ ન હોત તો આજે આપણી પાસે અધૂરા ગાંધી હોત, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. ગાંધીજીને મહાત્મા બનાવનારા ગણતરીના લોકોમાં એક મહાદેવભાઈનું નામ પણ અચૂક લેવું જ પડે.

મહાદેવભાઈનું નિધન થયું ત્યારે ગાંધીજીએ કહેલું, ‘મહાદેવ મારો દીકરો જ છે ને હું જ એના અગ્નિસંસ્કાર કરીશ.’ આગાખાન મહેલમાં જ મહાદેવભાઈની સમાધિ બનાવાઈ હતી. જેલમાં રહ્યા ત્યાં સુધી ગાંધીજી અને સાથીઓ રોજ એ સમાધિ પર પ્રાર્થના કરતા. કસ્તૂરતાનું માતૃહૃદય બોલી ઊઠતું કે, ‘આ તો મહાદેવનું મંદિર છે. આવા લાખેણા પુત્રનો ભોગ લીધો છે એટલે હવે આ (અંગ્રેજ) સરકાર ટકી શકશે જ નહીં.’ આમ, મહાદેવભાઈને ગાંધીજીના પાંચમા પુત્ર ગણવા પડે.

મહાદેવભાઈના અનેક સદ્્ગુણો જીવનમાં ઉતારવા જેવા છે. આપણાથી બીજું કંઈ ન થઈ શકે તો પણ તેમની જેમ ડાયરી લેખનની ટેવ પાડવા જેવી છે. નવું વર્ષ શરૂ થવાને થોડા દિવસ બચ્યા છે ત્યારે વર્ષના પહેલા જ દિવસે અને મહાદેવભાઈના જન્મ દિવસથી ડાયરી લેખન શરૂ કરવાનું પ્રણ લેવા જેવું છે. મહાદેવભાઈ અને તેમના જીવનકાર્યને સન્માનવું હોય તો 1 જાન્યુઆરીને ‘ડાયરી લેખન દિવસ’ જાહેર કરીને રાજ્યભરમાં તેની ઉજવણી કરવી જોઈએ.

(‘દિવ્ય ભાસ્કર’ની 27મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, December 20, 2017

ચાણક્યની નજરે શાસક

દિવ્યેશ વ્યાસ


ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. જોકે, ખરા ચાણક્યના રાજા અને રાજનીતિ અંગેના વિચારો જાણવા જેવા છે

(ચાણક્ય પર દ. ભારતની કોઈ ભાષામાં લખાયેલા પુસ્તકના મુખપૃષ્ઠ પરથી આ ચિત્ર લીધું છે.)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ચૂક્યાં છે. નવા મુખ્યમંત્રી અને તેમનું તાજું મંત્રીમંડળ હવે ટૂંક સમયમાં સત્તાનું સુકાન સંભાળી લેશે. ગુજરાતની આ વખતની ચૂંટણી અનેક રીતે યાદગાર બની રહેશે, કારણ કે આશરે બે-અઢી દાયકા પછી ચૂંટણી જંગમાં કાંટે કી ટક્કર જોવા મળી. દરેક ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. ચૂંટણીના ચક્રવ્યૂહને ભેદીને પોતાના પક્ષને સત્તા સુધી પહોંચાડવા માટે જાતભાતના ખેલ પાડનારાઓને ચાણક્યનું બિરુદ આપી દેવાનો વાહિયાત ટ્રેન્ડ આપણે ત્યાં શરૂ થયો છે. ચાણક્યની ઓળખ, જીવનકાર્ય અને તેમના વિચારો-નીતિની સહેજેય સમજ ન હોય એવા લોકો જ ચૂંટણીલક્ષી રાજકારણ કરનારાઓને તેમની સાથે સરખાવવાની નાદાની કરતા હોય છે. ખેર, ચાણક્ય મહાન હતા અને તેમણે જે ગ્રંથો-સાહિત્ય રચ્યું હતું, તેમણે જે નીતિ આપી, તેમાંની ઘણીબધી આજેય પ્રેરણાદાયી અને મનનીય છે. ચાણક્યના કેટલાક વિચારો અને વચનોને કદાચ આજે અપ્રસ્તુત ઠેરવી શકાય, છતાં તેમણે જે મૂલ્યો અને માપદંડો આપ્યા છે, તે આજે પણ પ્રસ્તુત છે.

ગુજરાતને નવા શાસકો મળ્યા છે ત્યારે ચાણક્ય દ્વારા એ જમાનાના રાજા અને આજના જમાનાના શાસકો અંગે જે વિચારો આપ્યા છે, તેના જાણવા રસપ્રદ રહેશે. ‘ચાણક્ય નીતિ’ના સોળમા અધ્યાયમાં એક જોરદાર વાત લખવામાં આવી છે, જે કોઈ પણ ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિએ દિલોદિમાગમાં અંકિત કરી રાખવા જેવી છે: ‘વ્યક્તિ પોતાના ગુણોથી ઉપર ઊઠે છે, ઊંચા પદ પર બેસીને ઊંચો (મોટો-મહાન) થઈ જતો નથી. શું કાગડો ઊંચી ઇમારત પર બેસેલો હશે તો તમે તેને ગરુડ કહેશો?’

શાસક માટે બીજી પણ એક અનુકરણીય સલાહ ચાણક્યે આપી છે કે ‘મૂરખાઓ તરફથી પ્રશંસા સાંભળવા કરતાં બુદ્ધિશાળીની ટીકા સાંભળવી વધારે ફાયદાકારક છે.’ મોટા ભાગના શાસકોને પોતાની ટીકા સાંભળવી ગમતી નથી અને આપણે ત્યાં છેલ્લાં વર્ષોમાં બૌદ્ધિકોને ગાળ આપવાનું સામાન્ય બન્યું છે ત્યારે ચાણક્યની આ વાત ઘણી પ્રસ્તુત છે. શાસક સારો હોય તો તે પ્રજાને લીલાલહેર થાય છે અને ખરાબ હોય તો કાળોકેર પણ વર્તાવતો હોય છે. ચાણક્ય આ મામલે ચોખ્ખી વાત કરે છે, ‘ખરાબ રાજાના રાજમાં ન તો જનતા સુખી થાય છે અને ન તેનાથી લોકોને ક્યારેય ફાયદો થાય છે. ખરાબ રાજા કરતાં તો સારું છે કે રાજા જ ન હોય.’

આપણે ત્યાં સંસ્કૃત સુક્તિ છે કે યથા રાજા તથા પ્રજા. આવી જ વાત ‘ચાણક્ય નીતિ’ના તેરમા અધ્યાયમાં કરવામાં આવી છે, ‘રાજા જો પુણ્યાત્મા હોય તો પ્રજા પણ એવી જ બને છે. રાજા પાપી હોય તો પ્રજા પણ પાપી બને છે. રાજા સામાન્ય હોય તો પ્રજા પણ સામાન્ય બને છે. પ્રજા સમક્ષ રાજાનું ઉદાહરણ હોય છે અને તે એનું અનુસરણ કરતી હોય છે.’ આ દૃષ્ટિએ શાસકની નૈતિક જવાબદારીઓ ઓર વધી જતી હોય છે.

દરેક નવી સરકારે જૂની સરકારની નિષ્ફળતાઓમાંથી શીખવું જ જોઈએ. ચાણક્ય કહી ગયા છે કે ‘બીજા લોકોની ભૂલોમાંથી શીખો. પોતાની રીતે જ અખતરા કરીને શીખવામાં તમારી ઉંમર નાની પડી જશે.’ આપણે ત્યાં તો સરકાર પાસે પાંચ વર્ષનો જ સમય હોય છે, એટલે નવી સરકારે અગાઉની સરકારોના અનુભવમાંથી બોધપાઠ લઈને લોકકલ્યાણનાં કાર્યોને વહેલી તકે આદરી દેવા જોઈએ.

આપણી કમનસીબી છે કે રાજનીતિમાં ધર્મનું આચરણ કરવામાં આવે કે ન આવે, પરંતુ ધર્મના નામે રાજકારણ જરૂર રમવામાં આવે છે. આ ચૂંટણીમાં મંદિર-મુલાકાતો ચર્ચાનો વિષય બની, પરંતુ શાસકની દાનત ખરેખર રામરાજ્ય લાવવાની હોય તો તેણે રામ જેવા ગુણો આત્મસાત્ કરવા પડે. ‘ચાણક્ય નીતિ’ના બારમા અધ્યાયમાં રામના ગુણોની યાદ અપાઈ છે: ‘ભગવાન રામમાં આ તમામ ગુણ છે: 1. સદ્્ગુણોમાં પ્રીતિ, 2. મીઠાં વચન, 3. દાન દેવાની તીવ્ર ઇચ્છાશક્તિ, 4. મિત્રો સાથે કપટરહિત વ્યવહાર, 5. ગુરુની હાજરીમાં વિનમ્રતા, 6. મનની ઊંડી શાંતિ, 7. શુદ્ધ આચરણ, 8. ગુણોની પરખ, 9. શાસ્ત્રનું જ્ઞાન અને અનુભૂતિ, 10. રૂપની સુંદરતા, 11. ભગવત ભક્તિ.’ આપણા કયા શાસકમાં આ સદ્્ગુણો જોવા મળે છે, એ જોતાં રહેવું જરૂરી છે.

આપણે ત્યાં આજકાલ ખોટા આંકડા અને વિગતો દર્શાવીને ભ્રમ ફેલાવવાની પ્રવૃત્તિ વધી છે. રાજકારણીઓ પોતાની લોકપ્રિયતા ટકાવવા અને પોતાની સિદ્ધિઓ બતાવવા માટે ખોટી માહિતીની ફેંકમફેંક કરતાં જરાય અચકાતા નથી. મોટા મોટા નેતાઓમાં સત્ય પ્રત્યે આદર કે તેની પરવા જોવા મળતી નથી ત્યારે આ નેતાઓએ ચાણક્યનું એક વચન ગાંઠે બાંધી રાખવા જેવું છે, ‘સત્યની તાકાત જ આ દુનિયાને ધારણ કરે છે. સત્યની તાકાતથી જ સૂર્ય પ્રકાશમાન છે. હવાઓ ચાલે છે, ખરેખર સઘળું સત્ય પર આશ્રિત છે.’ સત્યની શક્તિ અંગે ચાણક્ય દ્વારા જે વાત કરવામાં આવી છે, તે  ગાંધીજીના ‘સત્ય એ જ ઈશ્વર’ વચન સાથે પણ મેચ થાય છે.

ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ગાંધી એક નેતા તરીકે ઉભરી આવ્યા છે, એ જોતાં ચાણક્યનું આ વાક્ય પણ યાદ રાખવા જેવું છે, ‘કોઈ પણ વ્યક્તિની વર્તમાન સ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાવો, કારણ કે આવનાર કાલમાં એટલી તાકાત હોય છે કે તે એક મામૂલી કોલસાના ટુકડાને પણ હીરામાં પરિવર્તિત કરી શકે છે.’

‘ચાણક્ય નીતિ’માં એવા સાત લોકોની યાદી આપવામાં આવે છે, જે સૂઈ ગયા હોય તો તેમને જગાડવા ન જોઈએ. આમાંના એક છે - રાજા. પરંતુ લોકશાહીમાં તમારો રાજા એટલે કે શાસક (મુખ્યમંત્રી) જો સૂઈ ગયો હોય એવું લાગે તો જરૂર જગાડવો રહ્યો!

(‘દિવ્ય ભાસ્કર’ની 20મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, December 13, 2017

મંદિર અને સ્વચ્છતા

દિવ્યેશ વ્યાસ


રાજકારણીઓની મંદિર-મુલાકાતો વધી રહી છે ત્યારે નીમચ શહેરના એક સરકારી અધિકારીની મંદિરોમાં સ્વચ્છતા અંગેની પહેલ આવકાર્ય છે


(તસવીર પ્રતીકાત્મક છે. તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધેલી છે.)

‘બારેક વાગ્યે પરવારીને હું કાશીવિશ્વનાથનાં દર્શન કરવા ગયો. ત્યાં જે જોયું તેથી દુ:ખ જ પામ્યો. સાંકડી લપસણી ગલીમાં થઈને જવાનું. શાંતિનું નામ જ નહીં. માખીઓનો બણબણાટ, મુસાફરો ને દુકાનદારોનો ઘોંઘાટ અસહ્ય લાગ્યાં. જ્યાં મનુષ્ય ધ્યાન અને ભગવતચિંતનની આશા રાખે ત્યાં તેમાંનું કશું ન મળે! મંદિરે પહોંચતાં દરવાજા આગળ ગંધાતાં સડેલાં ફૂલ.’ કાશીવિશ્વનાથ મંદિર અને ત્યાંના માહોલનું વર્ણન કરનાર છે, મહાત્મા ગાંધી. ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ના ત્રીજા ભાગમાં ‘કાશીમાં’ નામનું એક પ્રકરણ અલગથી લખ્યું છે. આ પ્રકરણમાં કાશી જેવા પવિત્રધામમાં જોવા મળેલી ગંદકી-અસ્વચ્છતાનું વર્ણન શબ્દો ચોર્યા વિના કરવામાં આવ્યું છે. દુ:ખની વાત એ છે કે આજે પણ કાશી સહિતનાં આપણાં મોટા ભાગનાં પવિત્રધામોમાં સ્વચ્છતાની હાલતમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી.

ગુજરાતમાં કેટલાંક હાઇપ્રોફાઇલ મંદિરોના અપવાદ બાદ કરતાં મોટા ભાગનાં મંદિરોમાં સડેલાં ફૂલોના ઢગલા ઉપરાંત પૂજાપાને એવી રીતે ફેંકી દેવામાં આવે છે કે એ જોઈને કોઈ પણ શ્રદ્ધાળુને દુ:ખ થાય. ભગવાનને ચડાવાતાં ફૂલો, પૂજાપો અને અન્ય સામગ્રીને નદી કે જળાશયોમાં પધરાવી દેવાનો રિવાજ જોવા મળે છે, પરંતુ આપણે જોયું છે કે આ કારણે પેદા થતી ગંદકી યાત્રાધામોની પવિત્રતાને હાનિ પહોંચાડતી હોય છે. ગંગા-યમુના જેવી પવિત્ર નદીના કાંઠે આવેલાં મંદિરો પણ નદીના પ્રદૂષણમાં મોટી ભૂમિકા ભજવે છે, એવા અહેવાલો આપણને વાંચવા મળતા હોય છે.
 
મંદિરો અને તેની આજુબાજુ જોવા મળતી ગંદકીના મુદ્દે વાત કરવાનું એટલે સૂઝી રહ્યું છે કે હાલમાં રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન દરરોજ રાજકારણીઓની મંદિર-મુલાકાતોના સમાચારો ચમક્યા કરે છે. બહુમત હિન્દુઓના દિમાગમાં જગ્યા બનાવીને સત્તાના આસને પહોંચવા માટે રાજકારણીઓને મંદિરો અને અન્ય તીર્થસ્થાનો યાદ આવે છે, પરંતુ આ જ મંદિરોની સ્વચ્છતા-પવિત્રતા જળવાય, મંદિરની આજુબાજુનો માહોલ શાંતિપૂર્ણ અને ખરા અર્થમાં પવિત્ર બને, એની ચિંતા ભાગ્યે જ કરવામાં આવે છે. આ માહોલમાં મધ્યપ્રદેશના નીમચ શહેરના એક સરકારી અધિકારીએ મંદિરોની અને સાથે સાથે શહેરની સ્વચ્છતા માટે એક પહેલ કરી છે, જે આવકાર્ય તો છે જ સાથે સાથે અપનાવવા જેવી છે. લીમડાનાં અઢળક વૃક્ષો માટે જાણીતું અને તેના પરથી જ જેનું નામકરણ થયું છે, એવા આ નીમચ શહેરમાં અમુક પ્રસિદ્ધ મંદિરો સહિત 50થી વધારે મંદિરો આવેલાં છે. આ મંદિરોમાં ચડાવાતાં ફૂલો, પૂજાપા અને નારિયેળનો યોગ્ય નિકાલ ન થવાથી ન તો લોકોની શ્રદ્ધાનું માન જળવાતું હતું, ન સ્વચ્છતા જળવાતી હતી. નીમચ શહેરના ચીફ મ્યુનિસિપલ ઑફિસર સંદેશ ગુપ્તાએ શહેરનાં તમામ મંદિરોમાં ચડાવાતાં ફૂલો, પૂજાપાની સામગ્રી અને નારિયેળનાં છીલકાંઓના નિકાલ માટે નવા અભિગમ સાથે પ્રયાસ કર્યો છે. સંદેશ ગુપ્તાએ પોતાના સરકારી નિવાસની પાછળ નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના (NAFED) સહયોગથી બે વિશાળ ખાડાઓ ખોદાવ્યા છે. વિશેષ વ્યવસ્થા કરીને તમામ મંદિરોમાંથી ચડાવાયેલાં ફૂલો અને અન્ય સેન્દ્રિય પૂજાપો તથા નારિયેળનાં છોતરાં રોજેરોજ એકત્ર કરવામાં આવે છે. આ સામગ્રીને કમ્પોસ્ટિંગ માટે ખાડામાં પધરાવવામાં આવે છે. પૂજાપાની સામગ્રીની સાથે સાથે લીમડાનાં પાન પણ નાખીને તેમાંથી ઉત્તમ પ્રકારનું ખાતર મેળવવામાં આવે છે. પૂજાપાની સામગ્રીમાંથી પેદા થતું સેન્દ્રિય ખાતર વેચીને કોર્પોરેશન આવક પણ મેળવે છે. સંદેશ ગુપ્તાની આ પહેલની ચર્ચા હવે ધીમે ધીમે આસપાસના વિસ્તારોમાં પણ રંગ લાવી રહી છે.

દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સંદેશ ગુપ્તાની પહેલનો સંદેશો સૌએ ઝીલવા જેવો છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 13મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, December 6, 2017

ડૉ. આંબેડકર : એક વિચારસ્તંભ

દિવ્યેશ વ્યાસ


આજે બાબાસાહેબના પરિનિર્વાણ દિવસે તેમના વિચાર-વારસાની મૂડીની એક ઝલક મેળવવા જેવી છે


(આ તસવીર ડૉ. બાબાસાહેબ આંબેડકર, સંપૂર્ણ અક્ષરદેહ, ગ્રંથ - 19-ના મુખપૃષ્ઠ પરથી લીધેલી છે. લેખમાં ડૉ. આંબેડકરનાં જે પણ અવતરણો છે, તે પણ અક્ષરદેહમાંથી જ લીધાં છે.)

આજે 6ઠ્ઠી ડિસેમ્બર. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક જ આ દિવસે બાબરી ધ્વંસની 25મી વરસી નિમિત્તે જોરશોરથી ચર્ચા થવાની. દેશમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે વિસ્ફોટક વિભાજન કરનારી આ ઘટના અંગે ચર્ચા જરૂર થવી જોઈએ, પરંતુ મતબેન્કની લાલચે અને ધ્રુવીકરણના ઉદ્દેશ સાથે આ મુદ્દે ચર્ચા થાય છે ત્યારે વિમર્શ ગાયબ થઈ જાય છે અને વિવાદોની આગમાં રાજકીય રોટલા શેકાવાનું શરૂ થઈ જતું હોય છે. જોકે, આપણે 6ઠ્ઠી ડિસેમ્બરે સામાજિક વિખવાદ પેદા કરનારા મુદ્દાને ચર્ચવો બિલકુલ જરૂરી નથી. આપણે ધારીએ તો આ દિવસે સામાજિક સમાનતા અને ન્યાયની ચર્ચા-સમીક્ષા જરૂર કરી શકીએ, કારણ કે આ દિવસ ડૉ. બાબાસાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિન છે.

ઈ.સ. 1956ની 6ઠ્ઠી ડિસેમ્બરે બાબાસાહેબે અંતિમશ્વાસ લીધા હતા. બાબાસાહેબે એવી જિંદગી જીવી ગયા, એવો સંઘર્ષ કરી ગયા, એવો વિચારવારસો આપી ગયા છે કે તેમના દેહોત્સર્ગ પછી પણ તેઓ સદાય અમર રહેવાના છે. ડૉ. આંબેડકરની બંઘારણના ઘડવૈયા તરીકેની ઓળખ તો બહુ અધૂરી ગણાય. તેઓ એક સંઘર્ષવીર ઉપરાંત અર્થશાસ્ત્રી, રાજનેતા, કાયદાવિદ્, સંશોધક, લેખક અને મૌલિક વિચારક હતા. બાબાસાહેબ બહુઆયામી વિચારવારસો આપી ગયા છે. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના કેટલાક વિચારોની ઝાંખી મેળવીએ.

આજકાલ દેશમાં ઇતિહાસના મામલે બહુ રકઝક ચાલી રહી છે. ઇતિહાસ નવેસરથી લખવાનો વ્યાયામ પણ શરૂ થયો છે ત્યારે ડૉ. આંબેડકરના આ શબ્દો દિમાગમાં અંકિત કરી રાખવા જેવા છે: ‘એક ઇતિહાસકાર ચોક્કસ, નિખાલસ, નિષ્પક્ષ, આવેગમુક્ત, સ્વાર્થ, ભય અને અનુરાગથી પર તેમજ સત્યનિષ્ઠ હોવો જોઈએ. એક ઇતિહાસકાર ખુલ્લા દિમાગનો હોવો જોઈએ, પણ ખાલી દિમાગનો હોવો જોઈએ નહીં.’

આપણા દેશમાં આજકાલ બૌદ્ધિકોને ગાળો દેવાની ફેશન ચાલી રહી છે ત્યારે આંબેડકરજીની એક નિષ્પક્ષ વાત યાદ આવે છે, ‘કોઈ પણ દેશનું ભાવિ તેના બુદ્ધિજીવી વર્ગ પર નિર્ભર હોય છે, એ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. જો બુદ્ધિજીવી વર્ગ ઈમાનદાર, સ્વતંત્ર અને નિષ્પક્ષ હોય તો તેની ઉપર ભરોસો મૂકી શકાય કે તે સંકટના સમયમાં પહેલ કરી, ઉચિત નેતૃત્વ પ્રદાન કરે.’ આપણે ત્યાં પ્રશ્નો પૂછનારાને હતોત્સાહી કરવામાં આવે છે, શંકા કરનારાને શંકાની નજરે જોવામાં આવે છે ત્યારે આંબેડકરના શબ્દો યાદ કરવા જેવા છે, ‘એ વાત સ્પષ્ટ છે કે જ્યાં સુધી સંદેહ ઉપજતો નથી, ત્યાં સુધી પ્રગતિ થઈ શકતી નથી. જે વ્યક્તિ પોતાના જ્ઞાન અને વિચારોને સંપૂર્ણ માને છે, અને તેના જ્ઞાનના આધારને ઢંઢોળવાનું કષ્ટ ઉઠાવતા નથી તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થતી નથી.’

છેલ્લા કેટલાક સમયથી સમાજ સુધારણાની વાત આઉટ ઑફ ડેટ બની ગઈ હોય, એવો માહોલ પ્રવર્તે છે. પરંપરાપ્રેમ દિવસે દિવસે વધતો જાય છે અને કટ્ટરતાનું સંકીર્ણ સ્વરૂપ પકડતો જોયા છે. આ સંજોગોમાં ડૉ. આંબેડકરની વર્ષો પહેલાં કહેવાયેલી વાત આજે પણ ગાંઠે બાંધી રાખવા જેવી છે, ‘ભારતમાં સમાજ સુધારણાનો માર્ગ સ્વર્ગના માર્ગ જેટલો જ કઠિનતાઓથી ભરેલો છે. ભારતમાં સમાજ સુધારકોના પ્રશંસકો અલ્પ અને આલોચકો વધારે છે. મારા મનમાં એ પ્રશ્ને જરાય સંદેહ નથી કે જ્યાં સુધી આપણે વર્તમાન સમાજનો ઢાંચો નહીં બદલીએ ત્યાં સુધી પ્રગતિના રૂપમાં આપણે ખાસ કશું પામી શકવાના નથી.’

રાષ્ટ્રવાદની બોલબાલા દિવસે દિવસે વધી રહી છે. રાષ્ટ્રવાદના નામે ભળતીસળતી જ ગતિવિધિઓ ચાલતી હોય છે. દેશમાં અસમાનતાના માહોલમાં રાષ્ટ્રવાદ એક દંભ-દેખાડાથી વિશેષ કશું રહેતો નથી. બાબાસાહેબનું એક વાક્ય વાંચવા-વિચારવા જેવું છે: ‘રાષ્ટ્રવાદ ત્યારે જ ઔચિત્ય ગ્રહણ કરી શકે, કે જ્યારે લોકો જાતિ, કુળ અને ઉંચનીચના ભેદભાવ ભૂલી સામાજિક ભાતૃભાવને સર્વોચ્ચ સ્થાન આપે.’

ભાતૃભાવ કે બંધુત્વની લોકશાહીમાં શું ભૂમિકા છે, તે અંગે બાબાસાહેબની બીજી એક વાત પણ યાદ કરી લેવા જેવી છે, ‘આદર્શ સમાજ ગતિશીલ હોવો જોઈએ. તેમાં સામાજિક ઉર્ધ્વગામીતા હોવી જોઈએ. બંધુત્વ તો લોકશાહીના પર્યાયરૂપ છે. લોકશાહી તે સરકારનું સ્વરૂપ માત્ર નથી, તે મુખ્યત્વે તો સંયુક્ત જીવનની, અરસપરસના સંયુક્ત અનુભવોની રીતિ છે. દેશબાંધવો પ્રત્યેના માન તથા આદરનું તે આવશ્યક વલણ છે.’

લેખનો અંત પણ બાબાસાહેબના એક વાક્ય સાથે જ કરીએ: ‘જ્યારે કેટલાક લોકો એમ કહે છે, અમે હિંદુ અથવા મુસલમાન પહેલાં છીએ અને ત્યાર બાદ ભારતીય છીએ, તે મને ગમતું નથી. હું સાફ સાફ કહું છું કે મને તેનાથી સંતોષ થતો નથી. હું તમામ લોકોને ભારતીય પહેલાં અને ભારતીય છેલ્લા જોવા માગું છું. અને બીજું કશું જ નહિ પણ માત્ર ભારતીય જ જોવા માગું છું.’

(‘દિવ્ય ભાસ્કર’ની 6ઠ્ઠી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)