Showing posts with label સત્ય. Show all posts
Showing posts with label સત્ય. Show all posts

Wednesday, December 20, 2017

ચાણક્યની નજરે શાસક

દિવ્યેશ વ્યાસ


ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. જોકે, ખરા ચાણક્યના રાજા અને રાજનીતિ અંગેના વિચારો જાણવા જેવા છે

(ચાણક્ય પર દ. ભારતની કોઈ ભાષામાં લખાયેલા પુસ્તકના મુખપૃષ્ઠ પરથી આ ચિત્ર લીધું છે.)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ચૂક્યાં છે. નવા મુખ્યમંત્રી અને તેમનું તાજું મંત્રીમંડળ હવે ટૂંક સમયમાં સત્તાનું સુકાન સંભાળી લેશે. ગુજરાતની આ વખતની ચૂંટણી અનેક રીતે યાદગાર બની રહેશે, કારણ કે આશરે બે-અઢી દાયકા પછી ચૂંટણી જંગમાં કાંટે કી ટક્કર જોવા મળી. દરેક ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. ચૂંટણીના ચક્રવ્યૂહને ભેદીને પોતાના પક્ષને સત્તા સુધી પહોંચાડવા માટે જાતભાતના ખેલ પાડનારાઓને ચાણક્યનું બિરુદ આપી દેવાનો વાહિયાત ટ્રેન્ડ આપણે ત્યાં શરૂ થયો છે. ચાણક્યની ઓળખ, જીવનકાર્ય અને તેમના વિચારો-નીતિની સહેજેય સમજ ન હોય એવા લોકો જ ચૂંટણીલક્ષી રાજકારણ કરનારાઓને તેમની સાથે સરખાવવાની નાદાની કરતા હોય છે. ખેર, ચાણક્ય મહાન હતા અને તેમણે જે ગ્રંથો-સાહિત્ય રચ્યું હતું, તેમણે જે નીતિ આપી, તેમાંની ઘણીબધી આજેય પ્રેરણાદાયી અને મનનીય છે. ચાણક્યના કેટલાક વિચારો અને વચનોને કદાચ આજે અપ્રસ્તુત ઠેરવી શકાય, છતાં તેમણે જે મૂલ્યો અને માપદંડો આપ્યા છે, તે આજે પણ પ્રસ્તુત છે.

ગુજરાતને નવા શાસકો મળ્યા છે ત્યારે ચાણક્ય દ્વારા એ જમાનાના રાજા અને આજના જમાનાના શાસકો અંગે જે વિચારો આપ્યા છે, તેના જાણવા રસપ્રદ રહેશે. ‘ચાણક્ય નીતિ’ના સોળમા અધ્યાયમાં એક જોરદાર વાત લખવામાં આવી છે, જે કોઈ પણ ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિએ દિલોદિમાગમાં અંકિત કરી રાખવા જેવી છે: ‘વ્યક્તિ પોતાના ગુણોથી ઉપર ઊઠે છે, ઊંચા પદ પર બેસીને ઊંચો (મોટો-મહાન) થઈ જતો નથી. શું કાગડો ઊંચી ઇમારત પર બેસેલો હશે તો તમે તેને ગરુડ કહેશો?’

શાસક માટે બીજી પણ એક અનુકરણીય સલાહ ચાણક્યે આપી છે કે ‘મૂરખાઓ તરફથી પ્રશંસા સાંભળવા કરતાં બુદ્ધિશાળીની ટીકા સાંભળવી વધારે ફાયદાકારક છે.’ મોટા ભાગના શાસકોને પોતાની ટીકા સાંભળવી ગમતી નથી અને આપણે ત્યાં છેલ્લાં વર્ષોમાં બૌદ્ધિકોને ગાળ આપવાનું સામાન્ય બન્યું છે ત્યારે ચાણક્યની આ વાત ઘણી પ્રસ્તુત છે. શાસક સારો હોય તો તે પ્રજાને લીલાલહેર થાય છે અને ખરાબ હોય તો કાળોકેર પણ વર્તાવતો હોય છે. ચાણક્ય આ મામલે ચોખ્ખી વાત કરે છે, ‘ખરાબ રાજાના રાજમાં ન તો જનતા સુખી થાય છે અને ન તેનાથી લોકોને ક્યારેય ફાયદો થાય છે. ખરાબ રાજા કરતાં તો સારું છે કે રાજા જ ન હોય.’

આપણે ત્યાં સંસ્કૃત સુક્તિ છે કે યથા રાજા તથા પ્રજા. આવી જ વાત ‘ચાણક્ય નીતિ’ના તેરમા અધ્યાયમાં કરવામાં આવી છે, ‘રાજા જો પુણ્યાત્મા હોય તો પ્રજા પણ એવી જ બને છે. રાજા પાપી હોય તો પ્રજા પણ પાપી બને છે. રાજા સામાન્ય હોય તો પ્રજા પણ સામાન્ય બને છે. પ્રજા સમક્ષ રાજાનું ઉદાહરણ હોય છે અને તે એનું અનુસરણ કરતી હોય છે.’ આ દૃષ્ટિએ શાસકની નૈતિક જવાબદારીઓ ઓર વધી જતી હોય છે.

દરેક નવી સરકારે જૂની સરકારની નિષ્ફળતાઓમાંથી શીખવું જ જોઈએ. ચાણક્ય કહી ગયા છે કે ‘બીજા લોકોની ભૂલોમાંથી શીખો. પોતાની રીતે જ અખતરા કરીને શીખવામાં તમારી ઉંમર નાની પડી જશે.’ આપણે ત્યાં તો સરકાર પાસે પાંચ વર્ષનો જ સમય હોય છે, એટલે નવી સરકારે અગાઉની સરકારોના અનુભવમાંથી બોધપાઠ લઈને લોકકલ્યાણનાં કાર્યોને વહેલી તકે આદરી દેવા જોઈએ.

આપણી કમનસીબી છે કે રાજનીતિમાં ધર્મનું આચરણ કરવામાં આવે કે ન આવે, પરંતુ ધર્મના નામે રાજકારણ જરૂર રમવામાં આવે છે. આ ચૂંટણીમાં મંદિર-મુલાકાતો ચર્ચાનો વિષય બની, પરંતુ શાસકની દાનત ખરેખર રામરાજ્ય લાવવાની હોય તો તેણે રામ જેવા ગુણો આત્મસાત્ કરવા પડે. ‘ચાણક્ય નીતિ’ના બારમા અધ્યાયમાં રામના ગુણોની યાદ અપાઈ છે: ‘ભગવાન રામમાં આ તમામ ગુણ છે: 1. સદ્્ગુણોમાં પ્રીતિ, 2. મીઠાં વચન, 3. દાન દેવાની તીવ્ર ઇચ્છાશક્તિ, 4. મિત્રો સાથે કપટરહિત વ્યવહાર, 5. ગુરુની હાજરીમાં વિનમ્રતા, 6. મનની ઊંડી શાંતિ, 7. શુદ્ધ આચરણ, 8. ગુણોની પરખ, 9. શાસ્ત્રનું જ્ઞાન અને અનુભૂતિ, 10. રૂપની સુંદરતા, 11. ભગવત ભક્તિ.’ આપણા કયા શાસકમાં આ સદ્્ગુણો જોવા મળે છે, એ જોતાં રહેવું જરૂરી છે.

આપણે ત્યાં આજકાલ ખોટા આંકડા અને વિગતો દર્શાવીને ભ્રમ ફેલાવવાની પ્રવૃત્તિ વધી છે. રાજકારણીઓ પોતાની લોકપ્રિયતા ટકાવવા અને પોતાની સિદ્ધિઓ બતાવવા માટે ખોટી માહિતીની ફેંકમફેંક કરતાં જરાય અચકાતા નથી. મોટા મોટા નેતાઓમાં સત્ય પ્રત્યે આદર કે તેની પરવા જોવા મળતી નથી ત્યારે આ નેતાઓએ ચાણક્યનું એક વચન ગાંઠે બાંધી રાખવા જેવું છે, ‘સત્યની તાકાત જ આ દુનિયાને ધારણ કરે છે. સત્યની તાકાતથી જ સૂર્ય પ્રકાશમાન છે. હવાઓ ચાલે છે, ખરેખર સઘળું સત્ય પર આશ્રિત છે.’ સત્યની શક્તિ અંગે ચાણક્ય દ્વારા જે વાત કરવામાં આવી છે, તે  ગાંધીજીના ‘સત્ય એ જ ઈશ્વર’ વચન સાથે પણ મેચ થાય છે.

ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ગાંધી એક નેતા તરીકે ઉભરી આવ્યા છે, એ જોતાં ચાણક્યનું આ વાક્ય પણ યાદ રાખવા જેવું છે, ‘કોઈ પણ વ્યક્તિની વર્તમાન સ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાવો, કારણ કે આવનાર કાલમાં એટલી તાકાત હોય છે કે તે એક મામૂલી કોલસાના ટુકડાને પણ હીરામાં પરિવર્તિત કરી શકે છે.’

‘ચાણક્ય નીતિ’માં એવા સાત લોકોની યાદી આપવામાં આવે છે, જે સૂઈ ગયા હોય તો તેમને જગાડવા ન જોઈએ. આમાંના એક છે - રાજા. પરંતુ લોકશાહીમાં તમારો રાજા એટલે કે શાસક (મુખ્યમંત્રી) જો સૂઈ ગયો હોય એવું લાગે તો જરૂર જગાડવો રહ્યો!

(‘દિવ્ય ભાસ્કર’ની 20મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 27, 2016

હચમચાવે છે હિટલરનું ઘર

દિવ્યેશ વ્યાસ


હિટલરના જન્મસ્થાનને ઓસ્ટ્રિયાની સરકારે જપ્ત કર્યું, પણ તેની વિચારધારા વિસ્તરી રહી છે, એનું શું?


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે)

‘વિજેતાને કદી પુછાતું નથી કે તે સાચું બોલ્યો હતો?’, ‘મહાન અસત્યવાદી મહાન જાદુગર પણ હોય છે.’, ‘કુશળતાપૂર્વક અને સતત પ્રચાર કરીને લોકોને સ્વર્ગ પણ નરક જેવું દેખાડી શકાય છે કે પછી એકદમ બદતર જીવનને સ્વર્ગ જેવું પણ દેખાડી શકાય છે.’, ‘લોકોનો એક મોટો સમુદાય નાના જૂઠ કરતાં મોટા જૂઠનો આસાનીથી ભોગ બની જાય છે.’, ‘સત્યને અહીં કોણ પૂછે છે, અહીં તો વિજયનું જ મહત્ત્વ છે.’, ‘માનવતાવાદ મૂર્ખતા અને કાયરતાની અભિવ્યક્તિ છે.’, ‘કેટલી સદભાગી છે એ સરકારો, જેમની જનતા વિચાર કરતી નથી.’ આ વાક્યો-વિચારો બીજા કોઈનાં નહીં પણ વિશ્વના સૌથી ક્રૂર શાસક એડોલ્ફ હિટલરનાં છે. આજે હિટલર હયાત નથી, પણ હિટલરના આ વિચારોને સાચા માનનારા, તેને અનુસરનારા લોકોની આપણી આજુબાજુમાં કોઈ કમી નથી.

વીસમી સદીએ બે તદ્દન વિરોધાભાસી વૈશ્વિક નેતા જોયા - એક ગાંધીજી અને બીજા હિટલર. એક સત્યને જ ઈશ્વર ગણે છે, બીજો સત્યની સહેજેય સાડાબારી રાખતો નથી અને વિજેતાને ઈશ્વર માને છે. એક માનવતાને શ્રેષ્ઠ ધર્મ ગણે છે, બીજો માનવતાનો ઘોર વિરોધી છે. એક લોકોને વિચાર કરવામાં માને છે, બીજો ઇચ્છે છે કે લોકો અસત્યથી અંજાયેલા રહેવા જોઈએ, લોકો વિચાર કરે એ તો દુર્ભાગ્યપૂર્ણ કહેવાય! આ વ્યક્તિત્વના ફરકને ઇતિહાસે જબરદસ્ત ન્યાય કર્યો છે. દુનિયામાં આજે ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં ગાંધીજીની પ્રતિમા ન હોય અને બીજી તરફ નફરત અને ક્રૂરતાના પર્યાય એવા હિટલરની પ્રતિમા તો જર્મનીમાં પણ શોધવી પડે એમ છે!

હિટલરનું જન્મસ્થાન તાજેતરમાં સમાચારોમાં ચમક્યું છે. હિટલરનો જન્મ ઓસ્ટ્રિયાના બ્રોનાઉ અમ ઇન નામના નગરમાં 20મી એપ્રિલ, 1889ના રોજ થયો હતો. ત્રણ માળની જે ઇમારતમાં હિટલર પેદા થયો હતો, તેને જપ્ત કરી લેવા માટે એક કાયદો ઓસ્ટ્રિયાની સંસદે ગત 12મી જુલાઈ, 2016ના રોજ પસાર કર્યો છે.

અત્યાર સુધી આ ઇમારત પર ગેરલિંડ પોમેર નામની એક મહિલાનો કબજો હતો અને તે કોઈ રીતે આ ઇમારત સરકારને વેચવા તૈયાર નહોતી, જેથી સરકારે અંતિમ વિકલ્પ તરીકે આ સંપત્તિને જપ્ત કરવાનો માર્ગ અપનાવવો પડ્યો છે. આમ તો ઓસ્ટ્રિયાની સરકારે આ ઇમારતને 1972થી ભાડે રાખી હતી અને દર મહિને 3 લાખ 80 હજાર રૂપિયા ચૂકવતી હતી, જેથી કોઈ નાઝી વિચારધારાની વ્યક્તિ તેના પર કબજો ન જમાવી લે. આમતો, આ મકાનમાં હિટલરના કોઈ પુરાવા રખાયા નથી કે એના નામે એકેય તકતી પણ રખાઈ નથી. અહીં એક પથ્થર પર માત્ર એટલું જ લખ્યું છે, ‘શાંતિ, સ્વતંત્રતા અને લોકશાહી માટે. ફાસીઝમ હવે ક્યારેય નહીં. લાખો લોકોનાં મોત આપણને યાદ અપાવતાં રહે છે.’ સરકાર દ્વારા આ બિલ્ડિંગમાં વિકલાંગ લોકો માટેનું કેન્દ્ર ચલાવાતું હતું. જોકે, 2011માં સરકારે જ્યારે આ ઇમારતમાં થોડું સમારકામ કરીને તેની રચનામાં થોડા ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે માલિકણે તેનો વિરોધ કરીને વિવાદ જગાવ્યો હતો. એ પછી આ મકાન સાવ ખાલીખમ પડી રહ્યું હતું. મકાન માલિકણની કબજો છોડવાની આનાકાની પાછળ એવી આશંકા વ્યક્ત થતી હતી કે તે આ બિલ્ડિંગ તરફ નવા જમાનાના નાઝીઓને આકર્ષિત કરવા માગતી હતી. જન્મ પછી હિટલર માત્ર ત્રણ વર્ષ જ અહીં રહેલો, છતાં ઘણા નાઝી વિચારસરણીમાં માનનારા લોકો આ બિલ્ડિંગને શ્રદ્ધાધામ તરીકે જોતાં હતા અને વારેતહેવારે નાઝી લોકો અહીં એકત્ર થતાં અને સૂત્રોચ્ચાર પણ કરતા હતા.

આ બિલ્ડિંગ નાઝી પાર્ટીના સમર્થકોની નવી પેઢી માટે તીર્થસ્થાન બની જશે, એવા ડરને કારણે જ ઓસ્ટ્રિયાની સરકારે તેને પોતાના તાબામાં લેવાનો નિર્ણય કર્યો છે. આ ઇમારતનું હવે શું કરવું? એ મોટો સવાલ છે. કોઈ કહે છે કે તેને રહેણાકનાં મકાનોમાં ફેરવી નાખો, કેટલાક અહીં કૉલેજ તો કેટલાક હોસ્પિટલ બનાવવાનું કહે છે. કોઈ કહે છે અહીં સુપરમાર્કેટ બનાવી દો તો કોઈ મ્યુઝિયમ બનાવવાની વાત કરે છે. રશિયન મૂળના સાંસદની જેમ આ બિલ્ડિંગને વિસ્ફોટકોથી ઉડાડી દેવાનો મત ધરાવનારાઓની પણ કમી નથી. અલબત્ત, સરકારે આ બિલ્ડિંગનું શું કરવું, તે નક્કી કરવા માટે 12 સભ્યોની કમિટી રચી છે.

હિટલરનું જન્મસ્થાન તોડી પાડવાથી પણ હિટલરના વિચારો નાબૂદ થઈ શકવાના નથી, એ ઉઘાડું સત્ય છે. આજે દરેક દેશમાં જુદાં જુદાં નામે હિટલરબ્રાન્ડ રાષ્ટ્રવાદની બોલબાલા છે. સત્યની સાડાબારી રાખ્યા વિના પ્રચારશૂરા નેતાઓનો પ્રભાવ વધી રહ્યો છે. પ્રજા તરીકે આપણે ભાવનાઓમાં તણાયા વિના માત્ર તથ્યોનો વિચાર કરીને જ આવા નેતાઓના સદભાગ્યને ડુબાડી શકીએ એમ છીએ. તો ચતુર કરો વિચાર!

(‘દિવ્ય ભાસ્કર’ની 27મી જુલાઈ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત બિનસંપાદિત ‘સમય સંકેત’ કૉલમ)