Showing posts with label શાસન. Show all posts
Showing posts with label શાસન. Show all posts

Wednesday, December 20, 2017

ચાણક્યની નજરે શાસક

દિવ્યેશ વ્યાસ


ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. જોકે, ખરા ચાણક્યના રાજા અને રાજનીતિ અંગેના વિચારો જાણવા જેવા છે

(ચાણક્ય પર દ. ભારતની કોઈ ભાષામાં લખાયેલા પુસ્તકના મુખપૃષ્ઠ પરથી આ ચિત્ર લીધું છે.)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ચૂક્યાં છે. નવા મુખ્યમંત્રી અને તેમનું તાજું મંત્રીમંડળ હવે ટૂંક સમયમાં સત્તાનું સુકાન સંભાળી લેશે. ગુજરાતની આ વખતની ચૂંટણી અનેક રીતે યાદગાર બની રહેશે, કારણ કે આશરે બે-અઢી દાયકા પછી ચૂંટણી જંગમાં કાંટે કી ટક્કર જોવા મળી. દરેક ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. ચૂંટણીના ચક્રવ્યૂહને ભેદીને પોતાના પક્ષને સત્તા સુધી પહોંચાડવા માટે જાતભાતના ખેલ પાડનારાઓને ચાણક્યનું બિરુદ આપી દેવાનો વાહિયાત ટ્રેન્ડ આપણે ત્યાં શરૂ થયો છે. ચાણક્યની ઓળખ, જીવનકાર્ય અને તેમના વિચારો-નીતિની સહેજેય સમજ ન હોય એવા લોકો જ ચૂંટણીલક્ષી રાજકારણ કરનારાઓને તેમની સાથે સરખાવવાની નાદાની કરતા હોય છે. ખેર, ચાણક્ય મહાન હતા અને તેમણે જે ગ્રંથો-સાહિત્ય રચ્યું હતું, તેમણે જે નીતિ આપી, તેમાંની ઘણીબધી આજેય પ્રેરણાદાયી અને મનનીય છે. ચાણક્યના કેટલાક વિચારો અને વચનોને કદાચ આજે અપ્રસ્તુત ઠેરવી શકાય, છતાં તેમણે જે મૂલ્યો અને માપદંડો આપ્યા છે, તે આજે પણ પ્રસ્તુત છે.

ગુજરાતને નવા શાસકો મળ્યા છે ત્યારે ચાણક્ય દ્વારા એ જમાનાના રાજા અને આજના જમાનાના શાસકો અંગે જે વિચારો આપ્યા છે, તેના જાણવા રસપ્રદ રહેશે. ‘ચાણક્ય નીતિ’ના સોળમા અધ્યાયમાં એક જોરદાર વાત લખવામાં આવી છે, જે કોઈ પણ ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિએ દિલોદિમાગમાં અંકિત કરી રાખવા જેવી છે: ‘વ્યક્તિ પોતાના ગુણોથી ઉપર ઊઠે છે, ઊંચા પદ પર બેસીને ઊંચો (મોટો-મહાન) થઈ જતો નથી. શું કાગડો ઊંચી ઇમારત પર બેસેલો હશે તો તમે તેને ગરુડ કહેશો?’

શાસક માટે બીજી પણ એક અનુકરણીય સલાહ ચાણક્યે આપી છે કે ‘મૂરખાઓ તરફથી પ્રશંસા સાંભળવા કરતાં બુદ્ધિશાળીની ટીકા સાંભળવી વધારે ફાયદાકારક છે.’ મોટા ભાગના શાસકોને પોતાની ટીકા સાંભળવી ગમતી નથી અને આપણે ત્યાં છેલ્લાં વર્ષોમાં બૌદ્ધિકોને ગાળ આપવાનું સામાન્ય બન્યું છે ત્યારે ચાણક્યની આ વાત ઘણી પ્રસ્તુત છે. શાસક સારો હોય તો તે પ્રજાને લીલાલહેર થાય છે અને ખરાબ હોય તો કાળોકેર પણ વર્તાવતો હોય છે. ચાણક્ય આ મામલે ચોખ્ખી વાત કરે છે, ‘ખરાબ રાજાના રાજમાં ન તો જનતા સુખી થાય છે અને ન તેનાથી લોકોને ક્યારેય ફાયદો થાય છે. ખરાબ રાજા કરતાં તો સારું છે કે રાજા જ ન હોય.’

આપણે ત્યાં સંસ્કૃત સુક્તિ છે કે યથા રાજા તથા પ્રજા. આવી જ વાત ‘ચાણક્ય નીતિ’ના તેરમા અધ્યાયમાં કરવામાં આવી છે, ‘રાજા જો પુણ્યાત્મા હોય તો પ્રજા પણ એવી જ બને છે. રાજા પાપી હોય તો પ્રજા પણ પાપી બને છે. રાજા સામાન્ય હોય તો પ્રજા પણ સામાન્ય બને છે. પ્રજા સમક્ષ રાજાનું ઉદાહરણ હોય છે અને તે એનું અનુસરણ કરતી હોય છે.’ આ દૃષ્ટિએ શાસકની નૈતિક જવાબદારીઓ ઓર વધી જતી હોય છે.

દરેક નવી સરકારે જૂની સરકારની નિષ્ફળતાઓમાંથી શીખવું જ જોઈએ. ચાણક્ય કહી ગયા છે કે ‘બીજા લોકોની ભૂલોમાંથી શીખો. પોતાની રીતે જ અખતરા કરીને શીખવામાં તમારી ઉંમર નાની પડી જશે.’ આપણે ત્યાં તો સરકાર પાસે પાંચ વર્ષનો જ સમય હોય છે, એટલે નવી સરકારે અગાઉની સરકારોના અનુભવમાંથી બોધપાઠ લઈને લોકકલ્યાણનાં કાર્યોને વહેલી તકે આદરી દેવા જોઈએ.

આપણી કમનસીબી છે કે રાજનીતિમાં ધર્મનું આચરણ કરવામાં આવે કે ન આવે, પરંતુ ધર્મના નામે રાજકારણ જરૂર રમવામાં આવે છે. આ ચૂંટણીમાં મંદિર-મુલાકાતો ચર્ચાનો વિષય બની, પરંતુ શાસકની દાનત ખરેખર રામરાજ્ય લાવવાની હોય તો તેણે રામ જેવા ગુણો આત્મસાત્ કરવા પડે. ‘ચાણક્ય નીતિ’ના બારમા અધ્યાયમાં રામના ગુણોની યાદ અપાઈ છે: ‘ભગવાન રામમાં આ તમામ ગુણ છે: 1. સદ્્ગુણોમાં પ્રીતિ, 2. મીઠાં વચન, 3. દાન દેવાની તીવ્ર ઇચ્છાશક્તિ, 4. મિત્રો સાથે કપટરહિત વ્યવહાર, 5. ગુરુની હાજરીમાં વિનમ્રતા, 6. મનની ઊંડી શાંતિ, 7. શુદ્ધ આચરણ, 8. ગુણોની પરખ, 9. શાસ્ત્રનું જ્ઞાન અને અનુભૂતિ, 10. રૂપની સુંદરતા, 11. ભગવત ભક્તિ.’ આપણા કયા શાસકમાં આ સદ્્ગુણો જોવા મળે છે, એ જોતાં રહેવું જરૂરી છે.

આપણે ત્યાં આજકાલ ખોટા આંકડા અને વિગતો દર્શાવીને ભ્રમ ફેલાવવાની પ્રવૃત્તિ વધી છે. રાજકારણીઓ પોતાની લોકપ્રિયતા ટકાવવા અને પોતાની સિદ્ધિઓ બતાવવા માટે ખોટી માહિતીની ફેંકમફેંક કરતાં જરાય અચકાતા નથી. મોટા મોટા નેતાઓમાં સત્ય પ્રત્યે આદર કે તેની પરવા જોવા મળતી નથી ત્યારે આ નેતાઓએ ચાણક્યનું એક વચન ગાંઠે બાંધી રાખવા જેવું છે, ‘સત્યની તાકાત જ આ દુનિયાને ધારણ કરે છે. સત્યની તાકાતથી જ સૂર્ય પ્રકાશમાન છે. હવાઓ ચાલે છે, ખરેખર સઘળું સત્ય પર આશ્રિત છે.’ સત્યની શક્તિ અંગે ચાણક્ય દ્વારા જે વાત કરવામાં આવી છે, તે  ગાંધીજીના ‘સત્ય એ જ ઈશ્વર’ વચન સાથે પણ મેચ થાય છે.

ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ગાંધી એક નેતા તરીકે ઉભરી આવ્યા છે, એ જોતાં ચાણક્યનું આ વાક્ય પણ યાદ રાખવા જેવું છે, ‘કોઈ પણ વ્યક્તિની વર્તમાન સ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાવો, કારણ કે આવનાર કાલમાં એટલી તાકાત હોય છે કે તે એક મામૂલી કોલસાના ટુકડાને પણ હીરામાં પરિવર્તિત કરી શકે છે.’

‘ચાણક્ય નીતિ’માં એવા સાત લોકોની યાદી આપવામાં આવે છે, જે સૂઈ ગયા હોય તો તેમને જગાડવા ન જોઈએ. આમાંના એક છે - રાજા. પરંતુ લોકશાહીમાં તમારો રાજા એટલે કે શાસક (મુખ્યમંત્રી) જો સૂઈ ગયો હોય એવું લાગે તો જરૂર જગાડવો રહ્યો!

(‘દિવ્ય ભાસ્કર’ની 20મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, December 7, 2016

લાઓ ત્સેનું લિબર્ટેરિયનિઝમ

દિવ્યેશ વ્યાસ


દુનિયાના સૌપ્રથમ લિબર્ટેરિયન (મુક્તિવાદી) ગણાતા લાઓ ત્સેની નેતા અને શાસન અંગેની વાતો મનનીય છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

‘છેલ્લી પાંચ મિનિટ્સમાં આરબીઆઈનો કોઈ નવો નિયમ તો નથી આવી ગયોને? હું જરા વૉશરૂમમાં ગયેલો.’ નોટબંધી અને પછી નિતનવા નિયમો અને રોજેરોજ બદલાતા નિર્ણયોને લીધે સોશિયલ મીડિયા પર આ પ્રકારના મજાકિયા સંદેશાઓની હવે નવાઈ રહી નથી. નોટબંધીને કારણે સર્જાયેલી મુશ્કેલીઓ હળવી થતી નથી ત્યારે સરકાર હવે કેશલેસ ઇકોનોમીની ‘કેક’ને આગળ ધરી રહી છે. કંઈક સારું થશે એવી આશામાં સામાન્ય લોકો કડક ચા પણ લિજ્જતથી પી રહ્યા છે, તો બીજી તરફ ટેકસાવી યુવાનો સોશિયલ મીડિયા પર રમૂજો કરી કરીને તંગદિલી હળવી કરવા મથી રહ્યા છે. કાળું નાણું અને ભ્રષ્ટાચાર દેશને ઊધઈની જેમ કોરી રહ્યાં છે. આ સમસ્યાઓની નાબૂદી માટે કડક હાથે કામ લેવું જરૂરી છે, પરંતુ કડક હાથનો ફટકો કરોડો નિર્દોષ નાગરિકોને તો ન વાગવો જોઈએને! શાસકોની નીતિ-રીતિ એવી હોવી જોઈએ કે લોકોની વ્યક્તિગત સ્વતંત્રતા (અહીં નાણાકીય સ્વતંત્રતા) જાણે બાનમાં લઈ લેવાઈ હોય, એવો માહોલ પેદા ન થાય.

શાસકોનો મિજાજ અને દેશનો માહોલ જોતાં ચીનના વિખ્યાત ફિલોસોફર અને ધર્મગુરુ લાઓ ત્સેનું સ્મરણ તાજું થઈ આવ્યું. લાઓ ત્સે આમ તો તાઓવાદ (કે ધર્મ)ના પ્રણેતા ગણાય છે, પરંતુ શાસન અને નેતૃત્વ અંગેના તેમના વિચારોને જોઈને મુક્તિવાદીઓ (લિબર્ટેરિયન્સ) તેમને પ્રાચીન મુક્તવાદી તરીકે જ મૂલવે છે. જમણેરી-મુક્તિવાદી અર્થશાસ્ત્રી મૂરે રોથબાર્ડના મતે તો લાઓ ત્સે દુનિયાના સૌ પ્રથમ લિબર્ટેરિયન્સ હતા.

લિબર્ટેરિયનિઝમનો અર્થ ગુજરાતીમાં મુક્તિવાદ, ઉદારવાદ કે સ્વેચ્છાચારવાદ પણ કરવામાં આવે છે. આ વાદ એવી વ્યવસ્થાની હિમાયત કરે છે, જેમાં દરેક પોતાની રીતે મુક્ત હોય અને નાગરિકો પર ઓછામાં ઓછાં બંધનો હોય. લોકશાહી સહિતની કોઈ પણ રાજ્યવ્યવસ્થામાં કાયદાનાં બંધનો જરૂરી છે, પરંતુ કાયદા એવા હોવા જોઈએ કે રોજિંદી જિંદગીમાં માનવીને તે બંધનરૂપ ન લાગે. વ્યવસ્થાના નામે જ્યારે બંધનોની એક પછી એક બેડીઓ વધતી જાય ત્યારે માનવી સ્વાભાવિક રીતે જ બળવાખોર બની જાય. લાઓ ત્સે માનવીના પૂર્ણ વિકાસ માટે તેની મુક્તતાના હિમાયતી હતા. આપણે ત્યાં વિનોબા ભાવેનું એક વાક્ય જાણીતું છે, ઓછામાં ઓછું શાસન કરે, એ સૌથી સારું શાસન. રોજિંદા જીવનમાં શાસનની દખલ શરૂ થઈ જાય ત્યારે એ લોકશાહી વ્યવસ્થા માટે લાલ બત્તી સમાન સંકેતો ગણાય. માણસ માટે વ્યવસ્થા છે, વ્યવસ્થા માટે માણસને સહન કરવું પડે, ભોગ આપવો પડે, એ સ્થિતિ આવકાર્ય ન હોઈ શકે. શાસકોએ એવી સ્થિતિને નિવારવી જ રહી.

‘હજારો માઇલ લાંબી સફર એક ડગલાથી જ શરૂ થતી હોય છે.’ જેવાં અનેક અણમોલ સુવાક્યો આપનારા લાઓ ત્સેના નેતાઓ માટેના માપદંડ અને માર્મિક શિખામણો પર નજર નાખવા જેવી છે. લાઓ ત્સેનું એક સુખ્યાત સુવાક્ય છે, ‘શ્રેષ્ઠ નેતા એ ગણાય, જેની ઉપસ્થિતિ ભાગ્યે જ વર્તાતી હોય. શ્રેષ્ઠ નેતા કોઈ કામને એવી રીતે નિપટાવતા હોય છે કે લોકોને તો એમ જ લાગે કે આ કામ તો તેમણે પોતાની મેળે જ કર્યું છે.’ લાઓ ત્સેએ શાસકોને બહુ માર્મિક સલાહ આપેલી, ‘મહાન રાષ્ટ્રનું શાસન ચલાવવું એ નાની માછલી રાંધવા જેવું છે, વધારે પડતો હસ્તક્ષેપ કરશો તો બધું બગડશે.’ લાઓ ત્સેએ કહેલું કે ‘લોકોનું નેતૃત્વ કરવું હોય તો તેમની પાછળ ચાલો.’ બીજી એક સલાહ એવી પણ આપેલી કે, ‘નેતા બનો, પણ ક્યારેય અધિપતિ (માલિક) ન બનો.’

નેતાઓ ઉપરાંત સામાન્ય લોકોને પણ જીવનમાં ઉતારવા જેવી વાતો લાઓ ત્સે તરફથી મળી છે. લાઓ ત્સે કહેતા, ‘જે વ્યક્તિ અન્ય પર બહુ વિશ્વાસ મૂકતી ન હોય, તેના પર કદી વિશ્વાસ ન કરવો.’ મતાગ્રહના સંદર્ભે પણ લાઓ ત્સેનો વિચાર હતો કે ‘જે વ્યક્તિ પોતાની જ વાત પર બહુ ભાર મૂકતી હોય, તેને બહુ ઓછા લોકોનું સમર્થન મળતું હોય છે.’ આતંકવાદના માહોલમાં હિંસાને પણ ન્યાયિક ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ લાઓ ત્સેના મતે ‘હિંસા, સારા ઉદ્દેશથી કરાયેલી હિંસા પણ પોતાના તરફ જ પાછી વળતી હોય છે.’ લાઓ ત્સે હંમેશાં કહેતા, ‘મારી પાસે શીખવવા માટે ત્રણ જ બાબત છે -સાદગી, ધીરજ અને દયા. આ ત્રણેય તમારો સૌથી મોટો ખજાનો છે.’

લેખનો અંત પણ લાઓ ત્સેના માર્મિક વિધાનથી જ કરીએ, ‘એક ચાલતી કીડી ઊંઘી રહેલા બળદ કરતાં વધારે કામ કરતી હોય છે.’ ઊંઘ છોડો!

(‘દિવ્ય ભાસ્કર’ની 7 ડિસેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)