Wednesday, July 25, 2018

દવાખાનું કોઈને દેખાડશો નહીં!

દિવ્યેશ વ્યાસ


બીમારી કે અકસ્માતની સારવાર એટલી મોંઘી પડી રહી છે કે પરિવારની આર્થિક હાલત સિરીયસ થઈ જાય છે!

(તસવીર પ્રતીકાત્મક છે અને ઇન્ટરનેટ પરથી મેળવેલી છે.)

પરિવારના વૃદ્ધજનોના મોંઢે કદાચ તમે સાંભળ્યું હશે કે ‘ભગવાન, ત્રણ વસ્તુથી કાયમ અમને દૂર રાખજે : દવાખાનું, કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશન’. આ ત્રણની યાદીમાં સૌથી પહેલું સ્થાન દવાખાનાને મળ્યું છે, તેનાં ચોક્કસ કારણો છે. શાંતિપૂર્વક જીવન જીવો, નિયમ-કાયદાનું પાલન કરો અને ટંટાફસાદથી દૂર રહો તો તમે આસાથીની કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશનથી દૂર રહી શકો છો, પરંતુ તબિયત કે તંદુરસ્તી પર એક હદથી વધારે આપણું નિયંત્રણ રહેતું નથી. બીમાર પડવાનાં એટલાં બધાં કારણો છે કે ક્યારેક તો કોઈને કોઈ આપણને લપેટમાં લઈ લે છે અને દવાખાનાભેગા થવું પડે છે. એમાંય અકસ્માતમાં તો વગરવાંકે પણ ઉપાધિ માથે પડી શકે છે. આવા સંજોગોમાં સારવાર અર્થે હોસ્પિટલમાં જઈને સારવાર લીધા સિવાય છૂટકો હોતો નથી. અમુક ઉંમર પછી કેટલીક તકલીફો અને બીમારીઓ લાગુ પડ્યા વિના રહેતી નથી ત્યારે શરીરને સ્વસ્થ-સાજું રાખવા માટે દવા-સારવાર કરવી આવશ્યક હોય છે. બીપી અને ડાયાબિટીસ જેવી વ્યાધિઓમાં તો નિયમિતપણે દવાઓ લેવી જરૂરી બને છે. આમ, દવાખાને જવું તો કોઈને ગમતું નથી, પરંતુ દવાખાને ગયા વિના ક્યાં કોઈને ચાલે છે?

બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, નિરક્ષર હોય કે સાક્ષર, ગરીબ હોય કે અમીર, ગ્રામીણ હોય કે શહેરી, દરેકને દવાખાના-સારવારની જરૂર ક્યારેક ને ક્યારેક પડે જ છે. આરોગ્ય અને શિક્ષણ એવાં બે ક્ષેત્રો છે, જેમાં સેવાની જેટલી તક મળે છે, એટલો જ મોકો મેવા ખાવાનો (કમાણી કરવાનો) પણ મળતો હોય છે. ખાનગીકરણના દોર પછી આરોગ્ય ક્ષેત્રમાં ખાનગી હોસ્પિટલો-કોર્પોરેટ હોસ્પિટલોનો દબદબો સતત વધતો રહ્યો છે. સ્વાસ્થ્ય સેવાઓ અને દવાઓ એટલી મોંઘી બની રહી છે કે સામાન્ય લોકોને પોષાતી નથી.

સરકારી દવાખાનાં અને આરોગ્ય કેન્દ્રો પોતે જ સ્વાસ્થ્ય ઝંખી રહ્યા હોય, એવી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે ખાનગી દવાખાનામાં જવું જાણે ફરજિયાત થઈ ગયું છે. આરોગ્ય ક્ષેત્ર ધમધમતી કમાણીનું સાધન બની ગયું છે અને એને કારણે સારવાર પછી વ્યક્તિની હાલત તો સુધરી જાય છે, પરંતુ પરિવારની આર્થિક હાલત બગડી જતી હોય છે. તાજેતરમાં ઇન્ડિયાસ્પેન્ડ ડૉટકૉમ નામના પોર્ટલ પર બીએમજે જર્નલના સંશોધનના આધારે એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેમાં અધિકૃત સરકારી આંકડાઓના આધારે તારણ કાઢવામાં આવ્યું હતું કે વર્ષ 2011-12માં આરોગ્ય-સારવાર પર હદથી વધારે ખર્ચો થવાને કારણે 5 કરોડ 50 લાખ લોકો રાતોરાત ગરીબીરેખા હેઠળ ધકેલાઈ ગયા હતા! અહેવાલમાં જ આંકડા અપાયેલા છે કે આ સંખ્યા દ. કોરિયા, સ્પેન અને કેન્યા જેવા દેશોની વસતી કરતાં પણ વધારે છે. આ સંશોધન વાંચતાં અર્થશાસ્ત્રના અભ્યાસુ અને પ્રખર રાજનેતા સનત મહેતાનો એક દસ-બાર વર્ષ જૂનો લેખ યાદ આવી ગયો, જેમાં તેમણે લખેલું કે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને ગરીબી રેખા વચ્ચે માત્ર એક મોટી બીમારીનું જ અંતર હોય છે! એમાંય મોટી બીમારી હોય તો અમીર પરિવાર પણ રાતોરાત ગરીબી રેખા હેઠળ પહોંચી જતો હોય છે.

આજકાલ હૃદયરોગ અને કેન્સરની બીમારી દાવાનળની જેમ ફેલાઈ રહી છે અને પહોંચ બહારનો ખર્ચો કરાવવામાં પણ આ બે બીમારીઓ જ મુખ્યપણે કારણભૂત હોવાનું અભ્યાસોમાં જણાયું છે. પરિવારજનના સ્વાસ્થ્ય માટે દેણું કરીને પણ સારવાર કરાવવામાં આવે છે અને દેવાનો ખાડો પુરવામાં જમીન-જાયદાદ વેચવાનો પણ વારો આવતો હોય છે. ભારતમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવે છે, તેને કારણે લાખો લોકોને પ્રમાણમાં સસ્તી સારવાર મળી રહે છે, પરંતુ દવાઓના ઊંચા ભાવના ડામ તો સહેવા જ પડતાં હોય છે.

ભારતમાં સરકારો દ્વારા આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવે છે. એક અભ્યાસ અનુસાર વર્ષ 2015માં સરકાર દ્વારા જીડીપીના માત્ર 1.02 ટકા જ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા હતા. જાહેર આરોગ્ય માટે સરકાર દર વર્ષે વ્યક્તિદીઠ રૂ. 1,112નો જ ખર્ચ કરે છે. આ હિસાબે રોજના માત્ર રૂ. 3! આરોગ્ય ક્ષેત્રે વધારે નાણાં-સંસાધનો ફાળવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ જરૂરી વધારો કરવામાં ઠાગાઠૈયા જ કરવામાં આવે છે.

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારે નાણાકીય સંસાધનો ફાળવવા જરૂરી છે. કોઈ પણ દેશ સ્વસ્થ નાગરિકો વિના સશક્ત બની શકે નહીં.

(દિવ્ય ભાસ્કરની 25મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 18, 2018

મંડેલાનો સંઘર્ષ અને શીખ

દિવ્યેશ વ્યાસ


નેલ્સન મંડેલાની શતાબ્દી નિમિત્તે તેમના સંઘર્ષને સલામ કરવા સાથે તેમની શીખ પણ ગાંઠે બાંધવા જેવી છે


(નેલ્સન મંડેલાની આ તસવીર ગેટી ઇમેજીસની છે.)

‘લોકોના માનવ અધિકારની  અવગણના કરવી એટલે તેમનામાં રહેલી માનવતાને છંછેડવી.’ એક નાનકડા વાક્યમાં વિરાટ ડહાપણ સમાવવાની તાકાત તો મહાપુરુષો જ દાખવી શકે! હા, આ વાક્ય છે, નેલ્સન મંડેલાનું. નેલ્સન મંડેલા એટલે રંગભેદ સામે રણે ચડેલા શૂરવીર, માનવ અધિકારના વિશ્વવિખ્યાત હિમાયતી અને માનવતાનાં મૂલ્યોના પ્રહરી. 18 જુલાઈ, 1918ના રોજ દ. આફ્રિકાના એક રાજવંશમાં જન્મેલા નેલ્સન મંડેલાના પૃથ્વી પરના  અવતરણને આજે 100 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. નેલ્સલ મંડેલાની શતાબ્દી સમગ્ર વિશ્વમાં ઊજવાઈ રહી છે ત્યારે તેમના સંઘર્ષને સલામ કરવાની સાથે સાથે તેમણે પોતાનાં વચન અને કર્મથી આપેલી શીખને પણ ગાંઠે બાંધી લેવા જેવી છે.

આપણે સૌ જાણીએ છીએ કે  નેલ્સલ મંડેલાને દ. આફ્રિકાના ગાંધી કહેવામાં આવે છે. અલબત્ત, લડતના પ્રારંભિક તબક્કામાં મંડેલાને સશસ્ત્ર સંઘર્ષનો છોછ નહોતો. મંડેલાને 1961માં તેમના રાજકીય પક્ષ આફ્રિકન નેશનલ કૉંગ્રેસ તરફથી સશસ્ત્ર પાંખનું જ સુકાન સોંપાયું હતું. જોકે, મંડેલામાં માનવતા હતી અને એટલે જ તેમણે સરકારી સંસ્થાનો પર લોકોનો જાન ન લે એવા અહિંસક વિસ્ફોટો કરવાની સરકારની આંખો ઉઘાડવાની નીતિ અપનાવી હતી. દ. આફ્રિકાની ગોરી સરકારે આફ્રિકન નેશનલ કૉંગ્રેસને આતંકવાદી જૂથ ગણાવીને મંડેલા સહિતના સાથીદારોને જેલભેગા કરી દીધા હતા અને દાયકાઓ સુધી જેલમાં  ગોંધી રાખ્યા હતા. જોકે, મંડેલાના હૃદયમાં રહેલી માનવતા તેમને ગાંધીવિચાર સુધી લઈ ગઈ. સમયની સાથે તેઓ પરિપકવ બનતા ગયા અને તેમને સમજાયું કે ગાંધીચીંધ્યો માર્ગ જ વધારે સુફળદાયી છે.

મંડેલા જ્યારે જેલમાંથી મુક્ત થયા ત્યારે તેઓ અનેક અર્થમાં ‘મુક્ત’ થઈ ચૂક્યા હતા અને જેલબહાર આવીને તેમણે શુદ્ધ ગાંધીવાદી રાજનીતિનો માર્ગ અપનાવ્યો અને દ. આફ્રિકામાં શાંતિપૂર્ણ રીતે અશ્વેત લોકોને ન્યાય અપાવ્યો અને સમાજ-દેશમાંથી ગોરા-કાળાનો ભેદ હટાવવાનું યુગકાર્ય કર્યું. પ્રખર અભ્યાસુ અને વિચારક રામચંદ્ર ગુહાએ 2016માં ગૂજરાત વિદ્યાપીઠમાં આપેલા દીક્ષાંત પ્રવચનમાં ગાંધીજીની ચિરપ્રસ્તુતતાની વાત કરતાં કરતાં નેલ્સલ મંડેલા અંગે એક નિરીક્ષણ વ્યક્ત કર્યું હતું, ‘વિરોધકર્તા તરીકે નેલ્સન મંડેલાએ ગાંધીની જ પદ્ધતિઓનો ચુસ્તપણે ઉપયોગ કર્યો નહોતો, પણ એક શાસક તરીકે તેઓ ચોક્કસપણે ગાંધીવાદી પુરવાર થયા હતા. રંગભેદની નીતિનો અંત આવ્યા બાદ નેલ્સન મંડેલાએ શ્વેત પ્રજા સાથે પુનઃ સુમેળના પ્રયાસ શરૂ કર્યા અને દક્ષિણ આફ્રિકાના વિવિધ લોકોને મળવાનું ચાલુ રાખ્યું. પ્રજાસત્તાક આફ્રિકાનું બંધારણ કોઈ પણ જાતિ, ધર્મ કે ભાષાકીય જૂથના વિશેષાધિકારને નકારે છે.’ આમ, આ મહામાનવે ગાંધીવિચારની પ્રસ્તુતતાનો આપેલો સજ્જડ પુરાવો અનેક પેઢી સુધી પ્રેરણા આપતો રહેશે.

મંડેલાની જેલમુક્તિ પછી દ. આફ્રિકામાં પહેલી વખત મુક્ત ચૂંટણી યોજવામાં આવી હતી અને મંડેલાના રાજકીય પક્ષને 62 ટકા મતો સાથે જ્વલંત વિજય પ્રાપ્ત થયેલો. મંડેલાને બહુમતી મળી હોવા છતાં તેમણે રાષ્ટ્રીય એકતા ધરાવતી સંયુક્ત સરકાર રચી હતી. (આઝાદ ભારતની પહેલી નેહરુ સરકારની જેવી) મંડેલાની સરકારમાં ગોરા પ્રતિનિધિઓને પણ સન્માનનીય સ્થાન મળ્યું હતું અને એ રીતે શ્વેત-અશ્વેત વચ્ચેનું  સદીઓ  જૂનું અંતર મીટાવવાનો મંડેલાએ મહાપ્રયાસ આદર્યો હતો. ઈ.સ.  1994માં મંડેલા દ. આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા હતા. 75 વર્ષની વયે રાષ્ટ્રપ્રમુખ બનેલા મંડેલાએ ધાર્યું હોત તો તેઓ આજીવન રાષ્ટ્રપ્રમુખ પદે રહી શક્યા હોત, પરંતુ તેમને ન તો સત્તા-પદની લાલસા હતી કે ન હતી કોઈ પ્રકારની લઘુતાગ્રંથિ. તેમણે પહેલેથી જ નક્કી રાખ્યું હતું કે  માત્ર એક ટર્મ સુધી જ રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો સંભાળવો અને પછી સક્રિય રાજકારણ છોડીને માનવ અધિકાર, ગરીબીની નાબૂદી અને વિશ્વશાંતિ માટે સમર્પિત જીવન જીવવું. જીવનનાં કીમતી 27 વર્ષો જેલમાં વીતાવનારા મંડેલાને જેલમાં જીવતાં પણ આવડ્યું અને સમયસ સત્તાનો મહેલ છોડતાં પણ આવડ્યું. આ ગુણ જ તેમને મહાન નેતાઓની હરોળમાં મૂકે છે.

નેલ્સન મંડેલા ભારતને ખૂબ જ ચાહતા હતા. ભારતે પણ તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજ્યા હતા. શાંતિનો નોબેલ જીતનારા મંડેલાનાં એક સુવાક્યો પ્રેરણાદાયક છે, તેમના એક મનનીય વાક્યથી જ લેખ પૂરો કરીએ: ‘વિજેતા એ છે, જે સ્વપ્ન જુએ છે અને તેને પૂરું કર્યા વિના ક્યારેય હાર માનતો નથી.’

(દિવ્ય ભાસ્કરની 18મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 11, 2018

મલાલાને આટલું માન શા માટે?

દિવ્યેશ વ્યાસ


દર વર્ષે 12મી જુલાઈના રોજ મલાલા ડે ઊજવાય છે. આ યુવતીમાં એવું તે શું છે કે સંયુક્ત રાષ્ટ્ર તેનો દિવસ મનાવે છે?




આવતી કાલે 12મી જુલાઈએ અનેક મહાનુભાવોનો જન્મ દિવસ છે. કાલે સમગ્ર વિશ્વમાં વિખ્યાત એવા વિચારક અને સાહિત્યકાર હેન્રી ડેવિડ થોરોની સાથે સાથે ચિલીના ખ્યાતનામ કવિ અને રાજદૂત પાબ્લો નેરુદાની જયંતી છે. રોલ ફિલ્મના શોધક જ્યોર્જ ઇસ્ટમેનનો પણ જન્મ દિવસ છે તો એકવીસમી સદીના યુવાનોના રોલમૉડલ એવા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો પણ બર્થ ડે છે... છતાં 12મી જુલાઈ પાકિસ્તાનની યુવતી મલાલા યૂસુફજઈના નામે બોલે છે. વર્ષ 2013માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 12મી જુલાઈને મલાલા ડે જાહેર કરવામાં આવ્યો હતો અને દર વર્ષે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાની જૂજ વ્યક્તિઓના નામે સંયુક્ત રાષ્ટ્ર કોઈ દિવસ ઊજવે છે, ત્યારે મલાલાએ માત્ર 16 વર્ષની વયે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું.

મલાલાને મળેલા સન્માન-પુરસ્કારની યાદી ઘણી લાંબી છે, પરંતુ એક હી નામ કાફી હૈ - નોબેલ પુરસ્કાર.  મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનો નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો. આટલી નાની વયે આજદિન સુધી કોઈ આ પુરસ્કાર મેળવી શક્યું નથી. વર્ષ 2014માં ભારતના કૈલાશ સત્યાર્થી અને મલાલાને સંયુક્ત રીતે આ પારિતોષિક અપાયો હતો. આ ઉપરાંત તે વર્ષ 2014માં ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પોંખાઈ હતી અને ‘ટાઇમ’ મેગેઝિનના કવર પેજ પર પણ ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વની સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદીમાં પણ મલાલાને ટોચના પાંચ વ્યક્તિની હરોળમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. 2013ના ઑક્ટરોબરમાં યુરોપિયન સંસદ દ્વારા મલાલાને ‘સેખરોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઑફ થોટ’ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. 2014માં જ તેને અધધ 50,000 અમેરિકન ડૉલરનું વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝ અપાયું હતું. વર્ષ 2017માં કેનેડાએ મલાલાને કેનેડાનું માનદ્ નાગરિકત્વ આપવા ઉપરાંત કેનેડાની સંસદમાં સંબોધન કરવા આમંત્રિત કરી હતી. માત્ર 16 વર્ષની વયે મલાલાએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું અને તેનું વક્તવ્ય ખૂબ જ પોંખાયું હતું.

મલાલાને મળેલાં સન્માનો ઉપરાંત તેની બીજી સિદ્ધિઓની વાત કરીએ તો ઑગસ્ટ-2014માં તેનાં સંભારણાં અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ પ્રસિદ્ધ થયું હતું અને આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરની યાદીમાં આવી ગયું હતું. મલાલા પર ‘હી નેમ્ડ મી મલાલા’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે 2015ના ઓસ્કર એવોર્ડમાં શોર્ટલિસ્ટ થઈ હતી. મલાલા પર એક ડઝન જેટલાં પુસ્તકો લખાયાં છે અને તેના પર લખાયેલા અખબારી લેખોની સંખ્યા તો અગણિત છે.

આટલી બધી સિદ્ધિઓ અને અધધ પ્રસિદ્ધિ માત્ર 20 વર્ષની ઉંમરમાં પ્રાપ્ત કરનારી મલાલા અંગે ઘણાને સવાલ થઈ શકે કે આટલી નાની વયે તાલિબાનોની ગોળી ખાધા સિવાય એવું તે આ છોકરીએ શું કરી નાંખ્યું છે? આ સવાલ સાથે એક માહિતી જાણવી રસપ્રદ છે કે મલાલાએ તાજેતરમાં માર્ચ મહિનામાં જ્યારે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે લાહોરની અનેક શાળાઓમાં 30મી માર્ચના રોજ ‘આઈ એમ નોટ મલાલા’ દિવસની ઉજવણી કરી હતી! શું મલાલા માત્ર ઇસ્લામિક કટ્ટરપંથ-વિરોધી હોવાને કારણે જ તેને આટલાં માન-પાન મળે છે? ના, બિલકુલ નહીં. આ યુવતીના ઉચ્ચ વિચારો અને બાળકોના શિક્ષણ માટેનું તેનું સંપૂર્ણ સમર્પણ કાબિલે દાદ છે. મલાલાએ પોતાની અધિકૃત વેબસાઇટમાં પોતાના સંઘર્ષની કથાવાળા પાના પર એક વાક્ય લખ્યું છે, ‘હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.’ આ વાક્ય મલાલાની ઊંડી સમજ અને સંવેદનાને વ્યક્ત કરે છે.

મલાલાએ પોતાના નામનું એક ફંડ ઊભું કર્યું છે, જેનો ઉપયોગ તે દુનિયાભરના દેશોનાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝના અધધ 50,000 અમેરિકન ડૉલર્સ તેણે  ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇનના વિસ્થાપિતોનાં બાળકો માટે શાળા ચલાવવા માટે દાનમાં આપી દીધી હતી. સીરિયામાં પણ તેણે શાળાઓ શરૂ કરાવી છે.

મલાલા પર ગોળીબાર કરનારાઓને પાકિસ્તાનની કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. જોકે, મલાલા તાલિબાનો માટે ઉમદા વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’ શિક્ષણ માટેનું આ સમર્પણ જ તેને મૂઠ્ઠી ઊંચેરા માનવીને શ્રેણીમાં મૂકે છે.

(દિવ્ય ભાસ્કરની 11મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 4, 2018

જંગલની જાત્રાનો જાદુ

દિવ્યેશ વ્યાસ


હેન્રી ડેવિડ થોરોએ વોલ્ડન તળાવના કાંઠે સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ કર્યો હતો

(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધેલી છે.)

આજે ચોથી જુલાઈ એટલે અમેરિકાનો આઝાદી દિવસ છે. અમેરિકા ઈ.સ. 1776માં બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવીને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. અમેરિકામાં આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના ઇતિહાસમાં ચોથી જુલાઈના દિવસે એક બીજી મોટી ઘટના પણ ઘટી હતી. આઝાદી દિનની ઉજવણીમાં આ ઘટના વિસરાતી જતી હોય છે. આ ઘટના માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે પણ યાદગાર ગણી શકાય એવી છે. વર્ષ 1845માં ચોથી જુલાઈના રોજ હેન્રી ડેવિડ થોરોએ સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ શરૂ કર્યો હતો અને તેઓ વોલ્ડન તળાવના કાંઠે કુટિર બાંધીને રહેવા ગયા હતા.

વોલ્ડનના કાંઠે થોરો બે વર્ષ, બે મહિના અને બે દિવસ રહ્યા હતા. વોલ્ડન કાંઠે વિતાવેલા ગોલ્ડન પિરિયડ દરમિયાન થોરોને જે અનુભવો અને અનુભૂતિઓ થઈ તેને તેમણે પોતાના પુસ્તક ‘વોલ્ડન : લાઇફ ઇન ધ વૂડ્સ’માં શબ્દસ્થ કરેલી છે. થોરોની આ જંગલ જાત્રાની પ્રસાદી આ પુસ્તકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. થોરોના વિચારો અને વોલ્ડન પુસ્તકની વાતો આજે એમના જમાના કરતાં પણ વધારે પ્રસ્તુત બની છે. આજે જ્યારે ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ ચેઇન્જના પડકારોની ચિંતા વધતી જાય છે ત્યારે સાદું અને પર્યાવરણ-સંગત (ઇકો ફ્રેન્ડલી) જીવનની ઉપયોગિતા હવે દુનિયાને સમજાઈ રહી છે.

થોરોના જન્મને આગામી 12મી જુલાઈના રોજ 200 વર્ષ પૂરાં થશે. ગત વર્ષે થોરોની 200મી જન્મજયંતી નિમિત્તે અમેરિકામાં એક પુસ્તક પ્રગટ થયું હતું. અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સનાં એ પુસ્તકનું શીર્ષક છે, ‘હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોના સમગ્ર જીવનમાંથી તેમણે વોલ્ડન તળાવના કાંઠે વિતાવેલાં બે વર્ષ કરતાં વધારે સમયને વધારે મહત્ત્વ આપ્યું છે અને થોરોના પર્યાવરણ-સૃષ્ટિ અંગેના વિચારોને વધારે અગ્રતા આપવામાં આવી છે. આજના ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારોના સમયમાં થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે લોરાબહેને વિગતે સમજાવ્યું છે.

થોરો સૃષ્ટિ પ્રત્યે અનહદ ચાહના ધરાવતા હતા. ‘વોલ્ડન’માં પ્રકૃતિનાં મનોહર વર્ણનોની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીઓના બોધપાઠ પણ મળે છે. તેમણે સાદું જીવન અને ઉચ્ચ વિચારોનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું. થોરોનું એક જાણીતું વાક્ય છે, ‘તમામ પ્રકારની લક્ઝરી અને સુવિધાઓના સન્માન સાથે સૌથી સમજદાર વ્યક્તિ વધુમાં વધુ સાદું જીવન જીવે છે અને ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવે છે.’ પ્રકૃતિ સાથે ઓતપ્રોત થવામાં સાર્થકતા સમજતા થોરો કહેતાં, ‘પ્રકૃતિ આપણી નબળાઈઓ અને ખૂબીઓ સાથે તાલમેળ સાધી લેતી હોય છે.’ મોર્નિંગ વૉક માટે પ્રેરે એવું થોરોનું એક વાક્ય છે, ‘પ્રાત:કાળે ચાલવા નીકળવું એ સમગ્ર દિવસ માટે વરદાનરૂપ છે.’

જીવન અંગેના થોરોના વિચારો પણ બહુ મનનીય છે. તેમણે એક બહુ સુંદર વાત કરેલી છે, ‘કોઈ પણ વસ્તુની કિંમત એ હોય છે કે તમે તેના બદલામાં તમારી જિંદગીનો કેટલો સમય ફાળવો છો.’ થોરોનું બીજું એક વાક્ય પણ આ સાથે યાદ આવે છે, ‘વ્યસ્ત રહેવું પૂરતું નથી, કારણ કે વ્યસ્ત તો કીડીઓ પણ રહે છે, મૂળ સવાલ એ છે કે આપણે શાના માટે વ્યસ્ત રહીએ છીએ.’ થોરોના પ્રાર્થનાની પંક્તિ સમાન એક વાક્ય સાથે લેખ પૂરો કરીએ: ‘પ્રેમ કરતાં, પૈસા કરતાં, પ્રસિદ્ધિ કરતાં મને સત્ય આપજે.’

(દિવ્ય ભાસ્કરની 4 જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)