Showing posts with label Environment. Show all posts
Showing posts with label Environment. Show all posts

Wednesday, July 4, 2018

જંગલની જાત્રાનો જાદુ

દિવ્યેશ વ્યાસ


હેન્રી ડેવિડ થોરોએ વોલ્ડન તળાવના કાંઠે સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ કર્યો હતો

(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધેલી છે.)

આજે ચોથી જુલાઈ એટલે અમેરિકાનો આઝાદી દિવસ છે. અમેરિકા ઈ.સ. 1776માં બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવીને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. અમેરિકામાં આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના ઇતિહાસમાં ચોથી જુલાઈના દિવસે એક બીજી મોટી ઘટના પણ ઘટી હતી. આઝાદી દિનની ઉજવણીમાં આ ઘટના વિસરાતી જતી હોય છે. આ ઘટના માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે પણ યાદગાર ગણી શકાય એવી છે. વર્ષ 1845માં ચોથી જુલાઈના રોજ હેન્રી ડેવિડ થોરોએ સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ શરૂ કર્યો હતો અને તેઓ વોલ્ડન તળાવના કાંઠે કુટિર બાંધીને રહેવા ગયા હતા.

વોલ્ડનના કાંઠે થોરો બે વર્ષ, બે મહિના અને બે દિવસ રહ્યા હતા. વોલ્ડન કાંઠે વિતાવેલા ગોલ્ડન પિરિયડ દરમિયાન થોરોને જે અનુભવો અને અનુભૂતિઓ થઈ તેને તેમણે પોતાના પુસ્તક ‘વોલ્ડન : લાઇફ ઇન ધ વૂડ્સ’માં શબ્દસ્થ કરેલી છે. થોરોની આ જંગલ જાત્રાની પ્રસાદી આ પુસ્તકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. થોરોના વિચારો અને વોલ્ડન પુસ્તકની વાતો આજે એમના જમાના કરતાં પણ વધારે પ્રસ્તુત બની છે. આજે જ્યારે ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ ચેઇન્જના પડકારોની ચિંતા વધતી જાય છે ત્યારે સાદું અને પર્યાવરણ-સંગત (ઇકો ફ્રેન્ડલી) જીવનની ઉપયોગિતા હવે દુનિયાને સમજાઈ રહી છે.

થોરોના જન્મને આગામી 12મી જુલાઈના રોજ 200 વર્ષ પૂરાં થશે. ગત વર્ષે થોરોની 200મી જન્મજયંતી નિમિત્તે અમેરિકામાં એક પુસ્તક પ્રગટ થયું હતું. અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સનાં એ પુસ્તકનું શીર્ષક છે, ‘હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોના સમગ્ર જીવનમાંથી તેમણે વોલ્ડન તળાવના કાંઠે વિતાવેલાં બે વર્ષ કરતાં વધારે સમયને વધારે મહત્ત્વ આપ્યું છે અને થોરોના પર્યાવરણ-સૃષ્ટિ અંગેના વિચારોને વધારે અગ્રતા આપવામાં આવી છે. આજના ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારોના સમયમાં થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે લોરાબહેને વિગતે સમજાવ્યું છે.

થોરો સૃષ્ટિ પ્રત્યે અનહદ ચાહના ધરાવતા હતા. ‘વોલ્ડન’માં પ્રકૃતિનાં મનોહર વર્ણનોની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીઓના બોધપાઠ પણ મળે છે. તેમણે સાદું જીવન અને ઉચ્ચ વિચારોનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું. થોરોનું એક જાણીતું વાક્ય છે, ‘તમામ પ્રકારની લક્ઝરી અને સુવિધાઓના સન્માન સાથે સૌથી સમજદાર વ્યક્તિ વધુમાં વધુ સાદું જીવન જીવે છે અને ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવે છે.’ પ્રકૃતિ સાથે ઓતપ્રોત થવામાં સાર્થકતા સમજતા થોરો કહેતાં, ‘પ્રકૃતિ આપણી નબળાઈઓ અને ખૂબીઓ સાથે તાલમેળ સાધી લેતી હોય છે.’ મોર્નિંગ વૉક માટે પ્રેરે એવું થોરોનું એક વાક્ય છે, ‘પ્રાત:કાળે ચાલવા નીકળવું એ સમગ્ર દિવસ માટે વરદાનરૂપ છે.’

જીવન અંગેના થોરોના વિચારો પણ બહુ મનનીય છે. તેમણે એક બહુ સુંદર વાત કરેલી છે, ‘કોઈ પણ વસ્તુની કિંમત એ હોય છે કે તમે તેના બદલામાં તમારી જિંદગીનો કેટલો સમય ફાળવો છો.’ થોરોનું બીજું એક વાક્ય પણ આ સાથે યાદ આવે છે, ‘વ્યસ્ત રહેવું પૂરતું નથી, કારણ કે વ્યસ્ત તો કીડીઓ પણ રહે છે, મૂળ સવાલ એ છે કે આપણે શાના માટે વ્યસ્ત રહીએ છીએ.’ થોરોના પ્રાર્થનાની પંક્તિ સમાન એક વાક્ય સાથે લેખ પૂરો કરીએ: ‘પ્રેમ કરતાં, પૈસા કરતાં, પ્રસિદ્ધિ કરતાં મને સત્ય આપજે.’

(દિવ્ય ભાસ્કરની 4 જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, March 28, 2018

ગુડી પડવાની ગિફ્ટ

દિવ્યેશ વ્યાસ


મરાઠીઓના નવા વર્ષ નિમિત્તે પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ લાદવા ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે ભરેલાં પોઝિટિવ પગલાં આવકાર્ય છે

(તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

આપણી ખરાબ આદત છે - ખતરો સે ખેલના. ભ્રમમાં રાચવું હોય તો આ વાત મનમાં મમળાવી શકાય, પરંતુ જરા ઊંડાણથી વિચારીએ તો આ વાક્યમાં સુધારો કરવો પડે - ખતરો સે ખેલના, એ આપણી મજબૂરી બની ગઈ છે!  કારણ કે આપણે ખતરા પ્રત્યે એટલા બધા બેધ્યાન અને લાપરવા હોઈએ છીએ કે ખતરાની ઘંટી ખરેખર વાગે ત્યારે જ જાગીએ છીએ અને પછી ભોગવ્યા વિના છૂટકો હોતો નથી. ક્ષણિક સુવિધાના લોભે આપણે ક્યારે લાંબા ગાળાની વ્યાધિ વહોરી લઈએ છીએ, તેનો આપણને અંદાજ જ નથી હોતો. આનું શ્રેષ્ઠ ઉદાહરણ આપવું હોય તો એ છે પ્લાસ્ટિકનો બેખૌફ અને બેફામ ઉપયોગ. પ્લાસ્ટિકની શોધ તો હમણાં 20મી સદીમાં થઈ છે, છતાં તે આપણો જનમોજનમનો સાથી હોય એમ આપણે તેને વળગી રહ્યા છીએ. ટૂથ-બ્રશ હોય કે પેન, રમકડું હોય કે રડાર, કમ્પ્યૂટર હોય કે કાર, રસોડું હોય કે ઑફિસ... અત્ર-તત્ર-સર્વત્ર પ્લાસ્ટિકનો પ્રભાવ જોવા મળે છે. આપણે અત્યારે તો એટલા પ્લાસ્ટિકમય બની ગયા છીએ કે પ્લાસ્ટિક વિનાની જિંદગીની કલ્પના કરવા પણ જાણે સમર્થ નથી. આપણી કચરો પેદા કરવાની ક્ષમતા પ્રચંડગતિએ વધતી જ જાય છે, એનો મોટા ભાગનો કુશ્રેય પ્લાસ્ટિકને જ જાય છે.
પ્લાસ્ટિકને કારણે પૃથ્વીના પેટ પર પડતું પ્રચંડ પાટું હવે પર્યાવરણની ચિંતાનો વિષય બની ગયું છે. કદાચ એટલે જ વર્ષ 2018ના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ રખાઈ છે - ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ (પ્લાસ્ટિક પ્રદૂષણને નાથો). આપણા માટે ગૌરવ લેવા જેવી બીજી માહિતી એ છે કે આ વર્ષે ભારત વિશ્વ પર્યાવરણ દિવસનું વૈશ્વિક યજમાન છે! વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં વ્યક્તિદીઠ પ્લાસ્ટિક વપરાશ ભલે ઓછો છે, પરંતુ આપણી અધધ વસતી જોતાં પ્રદૂષણની સ્થિતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે. ભારતમાં પ્લાસ્ટિક, ખાસ કરીને પોલિથીનની  કોથળીઓનો વપરાશ ઘટાડવા માટે સ્વૈચ્છિક  સંસ્થાઓની ઝુંબેશોથી માંડીને સરકારના કાયદાઓએ પણ ધારી સફળતા મેળવી નથી, એ હકીકત છે. પ્લાસ્ટિકની થેલી અને બોટલ એટલી સુલભ, સુવિધાજનક અને સસ્તી છે કે તેના મોહમાંથી છૂટવું મુશ્કેલ છે. જોકે, સસ્તી અને સુવિધાપૂર્ણ થેલીઓ આપણને લાંબા ગાળે કેટલી મોટી મુશ્કેલીમાં મૂકશે કે કેટલી મોંઘી પડશે, એનો આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. કેન્સર જેવી બીમારી દાવાનળની માફક ફેલાઈ રહી છે અને હજું આપણને સમજનો કૂવો ખોદવાનું સૂઝતું નથી.
પ્લાસ્ટિકને નાથવા માટે સરકાર તરફથી પણ પ્રતિબંધો સહિતનાં પગલાં  ભરાયાં છે, પણ લોકજાગૃતિના અભાવે આપણે ઠેરના ઠેર રહીએ છીએ અને પ્લાસ્ટિકના ઢેરના ઢેર વધતાં જ જાય છે. જોકે, મહારાષ્ટ્ર સરકારે આ મામલે નવો અભિગમ અપનાવ્યો છે અને એ પણ નવા વર્ષથી. આપણે જાણીએ જ છીએ કે મરાઠીઓનું નવું વર્ષ એટલે ગુડી પડવો, જેની ઉજવણી ગત 18મી માર્ચે જ કરવામાં આવી. મહારાષ્ટ્ર સરકારે ગુડી પડવાના દિવસથી પ્લાસ્ટિક અને થર્મોકોલની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લાદી દીધો છે. પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી 50 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી થેલીઓ, થર્મોકોલ (પેલીસ્ટારિન) કે પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી ડિસ્પોઝેબલ થાળી, વાટકા, કપ, ચમચી, છરી-કાંટા, સ્ટ્રો, કટલરી અને પ્લાસ્ટિક પાઉચ વગેરે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સંપૂર્ણ પ્રતિબંધ એટલે આ બધા પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ, ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને હેરફેર કરવા પર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
પ્લાસ્ટિક કે પોલિથીન કોથળીઓ પર પ્રતિબંધ એ આમ તો કાંંઈ નવાઈની વાત નથી. દેશના લગભગ તમામ રાજ્યોમાં આ પ્રકારના પ્રતિબંધો જાહેર કરાયા છે. જોકે, આ વખતે મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધના શસ્ત્રની સાથે સાથે અમુક પોઝિટિવ-ઇનોવેટિવ પગલાં પણ ભર્યાં છે, એ આવકાર્ય છે. અમુક જગ્યાએ પ્લાસ્ટિકનો વપરાશ અનિવાર્ય છે, તેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે રિફન્ડેબલ ચાર્જનો વિકલ્પ અજમાવ્યો છે. દૂધની થેલી કે પાણી-પીણાંની બોટલ વગેરેમાં પ્લાસ્ટિકનો વિકલ્પ નથી. આથી સરકારે નક્કી કર્યું છે કે દૂધની દરેક થેલી પર 50 પૈસા અને દરેક પ્લાસ્ટિકની બોટલ પર રૂ. 1નો રિફન્ડેબલ ચાર્જ લેવામાં આવશે. ગ્રાહક જ્યારે દૂધની થેલી અને ખાલી થયેલી બોટલ વેપારીને પાછી આપશે ત્યારે તેને એ નાણાં પાછાં આપી દેવામાં આવશે. પહેલી નજરે યોગ્ય અને આવકાર્ય લાગે એવો આ વિચાર કેવી રીતે અમલીકરણ પામે છે, એ જોવું ખરેખર રસપ્રદ રહેશે. મહારાષ્ટ્રમાં જો આ અભિગમ સફળ થાય તો સમગ્ર દેશમાં તેનું અમલીકરણ કરવાનું વિચારી શકાય. પ્લાસ્ટિકનો નાશ શક્ય નથી, પરંતુ તેનો પુન: પુન: ઉપયોગ શક્ય છે. રિસાઇક્લિંગની મદદથી પ્લાસ્ટિકને ફરી ફરી વપરાશમાં લઈને આપણે પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકીએ છીએ. આમ, વપરાયેલી કોથળી કે બોટલનું જો રિસાઇક્લિંગ થાય તો આપણો માર્ગ ઘણો આસાન બને.
સંયુક્ત રાષ્ટ્રની વેબસાઇટ પર પર્યાવરણ દિવસ-2018ની થીમની વાત કરવાની સાથે સાથે એક ચિંતાજનક માહિતી રસપ્રદ રીતે રજૂ કરી છે કે ક્રિકેટ મેચમાં હાર્દિક પંડ્યા એક ઓવર નાંખે એટલી વારમાં તો આખી દુનિયા કચરાના ચાર ટ્રક ભરાય એટલું પ્લાસ્ટિક દરિયામાં પધરાવે છે! ગ્લોબલ વૉર્મિંગને કારણે દરિયાની સપાટી વધતી હશે કે નહીં પણ પ્લાસ્ટિકના કચરાના કારણે તો ચોક્કસ વધી જ રહી છે! પ્લાસ્ટિકને નાથીએ, નહિ તો વિનાશ માટે તૈયાર રહીએ!
(‘દિવ્ય ભાસ્કર’ની 28મી માર્ચ, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, January 24, 2018

વ્યક્તિ-વૃક્ષ ભાઈ-ભાઈનો સંદેશો

દિવ્યેશ વ્યાસ


સિક્કિમ નામનું ટચૂકડું રાજ્ય સમગ્ર રાષ્ટ્રને પ્રેરણા પૂરી પાડે છે કે પર્યાવરણ અને પ્રગતિ, બન્નેેને કઈ રીતે એકસાથે સાધી શકાય છે


(તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધીને મૂકેલી છે.)

સિક્કિમ ભારતનાં સૌથી નાનાં રાજ્યોમાં બીજા ક્રમે આવે છે. અંગૂઠા આકારનું કદ (નકશો) ધરાવનારું આ ટચૂકડું રાજ્ય છેલ્લાં કેટલાંક વર્ષથી એક પછી એક અણમોલ સિદ્ધિઓ હાંસલ કરતું રહ્યું છે. એક તો આ રાજ્ય નાનું છે, એમાં તેનો 35 ટકા વિસ્તાર તો કાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવરી લેવાયો છે. દેશમાં સૌથી ઓછી (સવા છ લાખ કરતાં પણ ઓછી) વસ્તી ધરાવતું આ રાજ્ય જીડીપીની દૃષ્ટિએ પણ સૌથી નબળાં ત્રણ રાજ્યોમાંનું એક ગણાય છે. રાજ્યનું અર્થતંત્ર કૃષિ અને પ્રવાસન પર જ ટકેલું છે. રાજ્યનો સાક્ષરતા દર પણ બહુ વખાણવાલાયક નહીં, એટલો 82.6 ટકા છે. 32 વિધાનસભા બેઠકો ધરાવતા રાજ્યમાં લોકસભા અને રાજ્યસભાની પણ એક-એક બેઠક જ છે. 1975થી ભારત સાથે અધિકૃત રીતે જોડાનારા આ રાજ્યના લોકોએ રાજકીય અસ્થિરતા પણ બહુ જોઈ છે. આમ, આર્થિક અને રાજકીય દૃષ્ટિએ નાનું અને નબળું એવું આ રાજ્ય છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રગતિના પંથે ચાલી રહ્યું છે. ના, એણે રાતોરાત આર્થિક સમૃદ્ધિ હાંસલ કરી લીધી છે, એવું જરાય નથી. સિક્કિમે જે કંઈ પ્રગતિ કરી છે, તે ખરેખર પ્રેરણા આપે એવી છે. સિક્કિમે સમગ્ર દેશને જ નહીં, વિશ્વને બતાવ્યું છે કે પર્યાવરણ અને પ્રગતિ (કે વિકાસ કહો), એ બન્નેને એકસાથે કેવી રીતે સાધી શકાય.

મકરસંક્રાંતિના આગલા દિવસે જ સિક્કિમમાંથી સમાચાર જાણવા મળ્યા હતા કે સરકારે એક પરિપત્ર જાહેર કરીને લોકોને વૃક્ષ સાથે કાયમી નાતો બાંધવા માટે પ્રોત્સાહિત કર્યા છે. સરકારે રાજ્યની દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વૃક્ષને પોતાનાં ભાઈ કે બહેન, (સિક્કિમની સ્થાનિક ભાષામાં મિથ/મિત કે મિતિની) તરીકે દત્તક લેવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. સિક્કિમ રાજ્યના વન, પર્યાવરણ અને વન્યજીવ મંત્રાલય દ્વારા સિક્કિમ ફોરેસ્ટ ટ્રી (એમિટી એન્ડ રેવરન્સ) રૂલ્સ-2017 અનુસાર રાજ્યની કોઈ પણ વ્યક્તિ પોતાની માલિકીની કે જંગલની જમીન પરના વૃક્ષને પોતાના ભાઈ કે બહેન તરીકે દત્તક લઈ શકશે. કોઈ વ્યક્તિ વૃક્ષને પોતાના સંતાન તરીકે પણ દત્તક લઈ શકે છે. વૃક્ષને ભાઈ-બહેન બનાવવા કે સંતાન તરીકે દત્તક લેવા માટે એક સરળ ફોર્મ ભરીને સરકારી કચેરીમાં જમા કરાવવાનું રહેશે. સરકારી અધિકારી દ્વારા વ્યક્તિ અને વૃક્ષની ચકાસણી કરાયા પછી સરકારી ચોપડે એ વૃક્ષ અને વ્યક્તિનો સંબંધ નોંધાઈ જશે. ટૂંકમાં, વૃક્ષો હવે સિક્કિમના લોકોના પરિવારનો  હિસ્સો બની જશે.

આમ તો સિક્કિમના 47.80 ટકા વિસ્તારો પર વૃક્ષો છવાયેલાં છે, પરંતુ બદલાતા સમય મુજબ વૃક્ષોની જાળવણી કરવી જરૂરી બની છે. સિક્કિમે લોકોની સહભાગિતા સાથે વૃક્ષો-વનોની સંભાળ રાખવાની પહેલ કરી છે, જે સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે. સિક્કિમ દ્વારા રાજ્યમાં રહેલાં હેરિટેજ વૃક્ષોની જાળવણી માટે પણ કમર કસી છે.

સિક્કિમની અન્ય સિદ્ધિઓ જોઈએ તો તે સમગ્ર દેશનું પહેલું એવું રાજ્ય છે, જેણે 100 ટકા સ્વચ્છતા હાંસલ કરી છે તો વર્ષ 2016માં સિક્કિમ દેશનું પહેલું 100 ટકા સજીવ ખેતી કરનારું રાજ્ય પણ બની ગયું છે. આવી મોટી મોટી બે સિદ્ધિઓ હાંસલ કરીને તે ભારતભરમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું છે.

સિક્કિમમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ તેમજ સ્ટીરોફોમની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આવાં પગલાં અને પ્રયાસોને કારણે સિક્કિમ દેશના સૌથી વધુ ઇકો-ફ્રેન્ડલી રાજ્ય તરીકે નામના મેળવતું જાય છે. ગ્લોબલ વૉર્મિંગ સહિતના પ્રદૂૂષણના પડકારો વચ્ચે સિક્કિમે એક નિરાળો માર્ગ ચીંધ્યો છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 24 જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, January 10, 2018

સાઇકલ મારી સરરર ક્યારે જાય?

દિવ્યેશ વ્યાસ


ઘણા યુવાનો પેડલ-મેન બનવા ઉત્સુક હોય છે, પરંતુ માળખાકીય સુવિધાનો અભાવ અને પ્રતિષ્ઠાના પોકળ ખ્યાલો નડી જતા હોય છે


(નોએડામાં ખાસ સાઇકલ માટે બનાવાયેલો ટ્રેક. આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

સાઇકલ. આ ચાર અક્ષરનું નામ ધરાવતી સાઇકલ વાહન-વિશ્વમાં કક્કા (એબીસીડી) જેવું સ્થાન અને માન ધરાવે છે. મોટા ભાગના લોકો પોતાની જિંદગીમાં સૌથી પહેલું કોઈ વાહન શીખતા-ચલાવતા હોય તો તે સાઇકલ જ છે. સાઇકલ સાથે દરેકનાં કોઈ ને કોઈ સંભારણાં જોડાયેલાં જ હોય છે. ક્યારેક ‘સાઇકલ મારી સરરર જાય... ટ્રિન ટ્રિન ટોકરી વગાડતી જાય...’  ગીત સંભળાઈ જાય તો બાળપણ અને શાળાજીવનના અનેક પ્રસંગો માનસપટ પર ઊપસી આવતા હોય છે.

આમ તો સાઇકલ આપણું લાડકું વાહન છે, પરંતુ મોટા થયા પછી સાઇકલ સાથેની લેણાદેણી પૂરી કરી નાખવામાં આવતી હોય છે. સાઇકલ સાથેનો સંબંધ ખોટકી-અટકી પડવા પાછળનું કારણ એ છે કે આપણે ત્યાં વાહનને પણ મોભા-પ્રતિષ્ઠાની દૃષ્ટિએ જોવામાં આવે છે. પ્રતિષ્ઠા ઉપરાંતનો બીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો આપણી ખામીયુક્ત માર્ગ-પરિવહન વ્યવસ્થાનો પણ છે. સાંકડા અને દબાણથી વધારે સાંકડા બનેલા રસ્તાઓ, બેફામ ડ્રાઇવિંગ, સતત વધતી ટ્રાફિક સમસ્યાઓ, ટ્રાફિક સેન્સનો અભાવ, માર્ગ-વ્યવસ્થામાં તકનીકી ખામીઓ અને ખાડાઓના સામ્રાજ્યને કારણે સાઇકલચાલક માટે આપણા રસ્તાઓ જોખમી પુરવાર થઈ રહ્યા છે. માર્ગ પરિવહન અને હાઇ-વે મંત્રાલયના ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગના અહેવાલ અનુસાર વર્ષ 2011થી 2015ના પાંચ વર્ષના ગાળામાં 25,435 સાઇકલ-ચાલકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. આ આંકડો જોતાં આપણા દેશમાં સાઇકલ ચલાવવી કેટલી જોખમી છે, એ સમજાય છે. જોકે, છેલ્લા એક દાયકાથી આપણાં શહેરોમાં સાઇકલ ચલાવવાનું ચલણ વધે એ માટે પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સરકાર તથા નગરપાલિકાઓ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમુક શહેરોમાં તો સાઇકલ સંબંધિત પ્રોજેક્ટને સ્માર્ટ સિટી યોજના સાથે જોડીને પણ આગળ વધારવામાં આવી રહ્યા છે.

સાઇકલ સૌથી વધારે ઇકો-ફ્રેન્ડલી વાહન છે. સાઇકલ ન તો વાયુ કે ન ધ્વનિ પ્રદૂષણ વધારે છે એ ઉપરાંત તેનું ચલણ વધે તો ટ્રાફિક-પાર્કિંગની સમસ્યાઓ પણ હળવી બની શકે છે, એટલે નાગરિકોને સાઇકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપવાના પ્રયાસો શરૂ થયા છે. ગત 3 ડિસેમ્બર, 2017ના રોજ ન્યૂઝ મળ્યા કે મુંબઈના સાઇકલ શોખીનો માટે હવે દર રવિવારે સ્પેશિયલ સાઇકલ ટ્રેક ઉપલબ્ધ થશે. એનસીપીએ (નરિમાન પોઇન્ટ)થી વરલી સી લિંક સુધીનો 11 કિલોમીટરનો માર્ગ ‘સન્ડે સાઇકલ ટ્રેક’ તરીકે જાહેર કરાયો હતો, જેમાં સવારે છથી 10 સુધીના સમયમાં માત્ર સાઇકલ જ ચાલશે. આ ટ્રેક પર ચાર પોઇન્ટ્સ પર સાઇકલ અને હેલ્મેટ ભાડે મળે, એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ અગાઉ મહારાષ્ટ્ર સરકારે 2 સપ્ટેમ્બર, 2017ના રોજ મુંબઈમાં સાઇકલ ટ્રેક ડેવલપ કરવા માટે 300 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. દસ મીટર પહોળા 39 કિલોમીટર લાંબો ટ્રેક તૈયાર કરવાની યોજના છે.

મહારાષ્ટ્રના જ અન્ય શહેરની વાત કરીએ તો એક સમયે ‘સાઇક્લિંગ કેપિટલ ઑફ ઇન્ડિયા’ ગણાતું પુના ફરી પોતાની આ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મથી રહ્યું છે. આમ તો પુનામાં સાઇકલ માટે 300 કિમીના અલગ ટ્રેક બનાવાયેલા છે, પરંતુ તેની હાલત સારી નથી. જોકે, હવે પુના મ્યુનિ. કોર્પો. દ્વારા 2030 સુધીમાં શહેરના અડધોઅડધ રસ્તાઓ પર માત્ર સાઇકલ જ દોડે એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વર્ષ 2017માં સાઇકલ નેટવર્ક પ્લાન તૈયાર કરાયો છે અને 470 કિલોમીટરના અલગ સાઇકલ ટ્રેક માટે 300 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

સપ્ટેમ્બર, 2017માં સમાચાર મળેલા કે ન્યૂ ટાઉન કોલકાતા ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા નવા વિકસેલા શહેરમાં સાઇકલ ટ્રેક તૈયાર કરાયો છે અને લોકોને ભાડેથી સાઇકલ મળી રહે એ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો રાજકોટમાં વર્ષ 2012માં જ સાઇકલ માટે અલગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો. લોકોને સાઇકલ ભાડે મળી રહે એ માટેના બાઇસિકલ શેરિંગ પ્રોગ્રામ માટે રાજકોટ મ્યુનિ. કોર્પો.ને 2015માં રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. અમદાવાદમાં પણ બીઆરટીએસ અને રિવર ફ્રંટના પ્રોજેક્ટમાં સાઇક્લિંગને પ્રોત્સાહન મળે, એવા પ્રયાસો કરવામાં આવે છે.

નોએડામાં સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે અને ઘાટા લાલ રંગથી રંગવામાં આવ્યો છે. 25 કિલોમીટર લાંબો ટ્રેક બનાવાયો છે. તો ચેન્નાઈમાં પણ કુલ 14 કિલોમીટરના સાઇકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને 14 શાળાઓની આજુબાજુના વિસ્તારોમાં સાઇકલ ચલાવતા 7000 વિદ્યાર્થીઓ આનો લાભ મેળવી રહ્યા છે.

ન્યૂ યૉર્ક, સિડની, કોપનહેગન, કુઆલાલમ્પુર જેવાં આંતરરાષ્ટ્રીય શહેરોમાં સાઇક્લિંગને જબરદસ્ત પ્રોત્સાહન મળે છે અને તેનાં સારાં પરિણામો જોવા મળ્યાં છે. સાઇક્લિંગ માટે માળખાકીય સુવિધાઓ (અલાયદા રસ્તા) વધારવાની તાતી જરૂર છે. સાઇકલ માટેના અલગ ટ્રેકની સારસંભાળ-સુરક્ષા પણ થવી જોઈએ. આશા રાખીએ આપણા દેશમાં પણ સાઇકલ-ચાલકને સન્માનની નજરે જોવાનું શરૂ થાય અને એવો માહોલ સર્જાય કે યુવા પેઢી પેડલ-મેન બનવામાં સહેજેય નાનપ ન અનુભવે.

(‘દિવ્ય ભાસ્કર’ની 10 જાન્યુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, October 25, 2017

કચરો! એ વળી કઈ બલા?

દિવ્યેશ વ્યાસ


તમે માનશો? લોરેન સિંગર નામની અમેરિકન યુવતી છેલ્લાં પાંચ વર્ષથી કચરામુક્ત જીવન જીવી રહી છે!


(લોરેન સિંગરની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)

આપણે સૌએ રંગેચંગે દિવાળી ઊજવી અને નવા વિક્રમ સંવતને હેમખેમ વધાવી પણ લીધું. દિવાળી દીપ, રંગોળી, ફટાકડા, શુભેચ્છાઓની સાથે સાથે સ્વચ્છતાનું પણ પર્વ છે! ભાગ્યે જ એવું કોઈ ઘર હશે, જ્યાં દિવાળીને વધાવવા-ઊજવવા માટે સાફસફાઈ અભિયાન ન ચલાવાતું હોય. આખા વર્ષમાં ઘરના ખૂણેખાંચરે એકઠા થતાં કચરા-ધૂળ-બાવાજાળાંને એકઝાટકે ઘરવટો આપી દેવામાં આવતો હોય છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની બોલબાલા વધી છે ત્યારે શું આપણે કલ્પના કરી શકીએ કે કચરામુક્ત જીવન પણ જીવી શકાય? કોઈ પણ પ્રકારનો કચરો પેદા કર્યા વિના રોજિંદી જિંદગી જીવી શકાય? આપણા માન્યામાં ન આવે એવી હકીકત છે કે અમેરિકાની એક 26 વર્ષની યુવતી છેલ્લાં પાંચ વર્ષથી ‘ઝીરો પર્સેન્ટ વેસ્ટ’ના સિદ્ધાંતનું સુપેરે પાલન કરી રહી છે.

હાલ ન્યૂ યૉર્કમાં રહેતાં લોરેન સિંગરે વર્ષ 2012થી કચરામુક્ત જીવન અપનાવ્યું છે અને આજે તેઓ સફળતાપૂર્વક અને સહજતાપૂર્વક 100 ટકા કચરામુક્તિનો લુત્ફ ઉઠાવી રહી છે. લોરેન મૂળે તો પર્યાવરણની વિદ્યાર્થિની હતી અને ત્યાંથી જ તેમને પર્યાવરણ-મિત્ર જીવન જીવવાનો ‘સોલો’ ચડેલો. કચરામુક્ત જીવન માટે લોરેન આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે. ‘TED’માં ટૉક આપી ચૂકેલાં લોરેન www.trashisfortossers.com નામનો બ્લોગ ચલાવે છે તથા યુ ટ્યૂબ પર પોતાના વીડિયો થકી રોજિંદા જીવનમાં કઈ રીતે કચરાને પેદા થતો અટકાવી શકાય, એ માટે ટિપ્સ આપે છે અને લોકોના પ્રશ્નો-મૂંઝવણોનો જવાબ આપે છે.

લોરેને પોતાને કચરામુક્ત જીવન જીવવાનો ધક્કો ક્યાંથી અને કઈ રીતે લાગ્યો, એ અંગે પોતાના લેખોમાં ખુલાસો કરેલો છે કે ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં પર્યાવરણની વિદ્યાર્થી તરીકે ભણતી વખતે જ પર્યાવરણની મોટી મોટી વાતો અને નવા નવા સમજાયેલા ખયાલોથી હું મારી જાતને મોટી પર્યાવરણવાદી માનવા માંડેલી. એ સમયે અમારી એક સહપાઠી યુવતી રોજ પ્લાસ્ટિકની થેલીમાં પ્લાસ્ટિકના ડબ્બાઓમાં તૈયાર ખાવાનું લાવતી, તેમાં ડિસ્પોઝેબલ ડિસ અને ચમચી-કાંટા વગેરે પણ રહેતાં. તે ભોજન કરીને આ બધી સામગ્રી કચરાપેટીમાં પધરાવી દેતી. આ જોઈને મને રોજ ખીજ ચડતી, પણ હું અંદરથી સમસમીને ચૂપ રહેતી. એક દિવસ મને પેલી વિદ્યાર્થિની પર ગુસ્સો ચડ્યો જ હતો ને હું ઘરે ગઈ. મૂડ ઠીક કરવા મેં રસોઈ બનાવવા વિચાર્યું. મેં જેવું મારું ફ્રીઝ ખોલ્યું કે કે હું થીજી ગઈ. મેં જોયું કે ફ્રીઝમાં દરેક વસ્તુ કાં તો પ્લાસ્ટિકના ડબ્બામાં હતી કે પછી પ્લાસ્ટિકની થેલીમાં. મને અહેસાસ થયો કે પર્યાવરણપ્રેમીના નામે હું તો નર્યો દંભ જ કરું છે. આ અહેસાસે મારી આંખ ઉઘાડી અને કચરામુક્ત જીવન જીવવાની દૃષ્ટિ મળી.

લોરેને કોઈ મુલાકાતમાં કબૂલ કર્યું છે કે સંપૂર્ણ કચરામુક્ત (ઝીરો પર્સેન્ટ વેસ્ટ) જીવન કંઈ એક રાતમાં લાવી શકાય એવી પ્રક્રિયા નથી. મેં મહિનાઓ સુધી મારા રોજિંદા જીવનનો અભ્યાસ કર્યો, ક્યાં, કેવો અને કઈ રીતે કચરો પેદા થાય છે, તેનું નિરીક્ષણ કર્યું અને પછી કચરો કઈ રીતે નિવારી શકાય, એ માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું. લગભગ એક-દોઢ વર્ષે અનેક પ્રયોગો અને પ્રયાસોથી આખરે કચરામુક્તિ સિદ્ધ થઈ શકી. ચાર વર્ષના અંતે એક નાની કાચની બરણીમાં સમાઈ જાય, એટલો જ કચરો તેણે પેદા કર્યો હતો.

કચરામુક્ત જીવન જીવવા માટે પ્રેરણારૂપ બનેલાં લોરેન કહે છે કે ઝીરો પર્સેન્ટ વેસ્ટને કારણે હું આજે ઘણા બધા પૈસા બચાવું છું, સારું-પૌષ્ટિક-તાજું ભોજન લઉં છું અને વધારે સુખી છું, સ્વસ્થ છું અને આનંદમાં રહી શકું છું.

આવતી દિવાળીએ ઘરમાં કચરો સાફ કરવાની ઝંઝટમાંથી સંપૂર્ણપણે મુક્ત થવું હોય તો તમે પણ ‘ઝીરો પર્સેન્ટ વેસ્ટ’નો સિદ્ધાંત અપનાવો. 100 ટકા કચરામુક્તિ શક્ય ન બને તોપણ ‘શક્તિ (કે સમજ) એટલી ભક્તિ (પ્રયાસ)’ કરીને કચરાને ઓછામાં ઓછો કરીને પોતાની સાથે સાથે પર્યાવરણનું પણ કલ્યાણ કરી શકો છો. પૃથ્વી અને પર્યાવરણના અસ્તિત્વ માટે કંઈક તો કરવું જ પડશે. બોલો, ક્યારથી શરૂ કરવું છે?

(‘દિવ્ય ભાસ્કર’ની 25મી ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 7, 2017

પ્લાસ્ટિક રોડ : બેય હાથમાં લાડું!

દિવ્યેશ વ્યાસ

પ્લાસ્ટિકના કચરામાંથી સડક બનાવવાનો નવો ટ્રેન્ડ આવકાર્ય છે. આનાથી પ્લાસ્ટિકના પ્રદૂષણમાંથી મુક્તિ મળશે, સાથે સાથે સડક વધુ ટકાઉ બનશે


(પ્લાસ્ટિકયુક્ત રોડની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી સર્ચ કરીને મેળવી છે.)

પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવ્યો અને ગયો. પર્યાવરણના મુદ્દે નાગરિકો અને સરકારોમાં હવે સભાનતા ઊભી થઈ રહી છે, છતાં સક્રિયતા ઘણી ઓછી છે. આપણે આદર્શોની વાતો કરવામાં તો પાવરધા છીએ, પણ રોજિંદા જીવનમાં તેના અમલીકરણની વાત આવે ત્યારે આપણે છટકબારી શોધવા માંડતા હોઈએ છીએ. પર્યાવરણની ચર્ચામાં પ્રદૂષણ કેન્દ્રીય મુદ્દો હોય છે, છતાં પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જ જાય છે, જે આપણી વિચારોને આચારમાં ઉતારવાની નબળાઈ છતી કરે છે. ગાયના મુદ્દે ગોકિરો કરનારા પણ દર દર ભટકતી ગાય ફેંકી દેવાયેલી ખાદ્યસામગ્રીની સાથે સાથે પ્લાસ્ટિકની થેલીઓ ખાઈને મરણને શરણ થાય છે, એ બાબતે બહુ ઉદાસીન જોવા મળે છે.

આપણી સંસ્કૃતિમાં ગાય ઉપરાંત ધરતી અને નદીને પણ માતાનો દરજ્જો અપાયો છે, પણ તેના પ્રદૂષણ બાબતે આપણને ભાગ્યે જ પરવા હોય છે. પર્યાવરણ બચાવવા કે પ્રદૂષણ અટકાવવા માટે આપણે ભાગ્યે જ આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જહેમત લેતા હોઈએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિકની થેલીથી પર્યાવરણને કેટલું નુકસાન જઈ રહ્યું છે. પ્લાસ્ટિકનો નાશ થતો ન હોવાથી કચરાના ઢગલા નહિ, પણ ડુંગરો વધતાં જાય છે, પ્લાસ્ટિક બાળવામાં આવે તો ઝેરી વાયુઓ હવામાં ફેલાય છે, પ્લાસ્ટિકને કારણે આપણી ગટરો ચોકઅપ થઈ જાય છે, વરસાદી પાણીનો નિકાલ ન થતાં રસ્તાઓ પર પાણી ભરાઈ રહે છે, પ્લાસ્ટિક ખેતીની જમીનથી લઈને જંગલોને નુકસાન પહોંચાડે છે, પ્લાસ્ટિકને કારણે આપણી નદીઓ તેમજ દરિયાઓમાં પણ પ્રદૂષણ ફેલાય છે.

પ્લાસ્ટિક વાપરવાના અનેક જોખમો છતાં પ્લાસ્ટિક આપણી રોજિંદી જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગયું છે. આપણા જીવનમાં સવારના ટૂથબ્રશથી લઈને રાત્રે સૂતા પહેલાં બંધાતી મચ્છરદાની સુધી પ્લાસ્ટિકની બોલબાલા છે. આવા સંજોગોમાં પ્લાસ્ટિકના કચરાનો એક રચનાત્મક ઉપયોગ સામે આવ્યો છે. સડક બનાવવાના ડામર-કપચીના મિશ્રણમાં પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરવાનો ઇનોવેટિવ આઇડિયા ધીમે ધીમે રંગ લાવી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ એક અંદાજ પ્રમાણે આજે દેશમાં 40,000 કિલોમીટર કરતાં વધારે એવી સડકો બંધાઈ ચૂકી છે, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આજે કોલકાતા, બેંગલુરુ, દિલ્હી, ચેન્નઈ, મુંબઈ, પુણે, બનારસ, તિરુવંતપુરમ, મદુરાઈ, કોઝીકોડ, રાયપુર,  ઇંદૌર, જમશેદપુરથી લઈને અમદાવાદ સહિતનાં શહેરોમાં પ્લાસ્ટિકયુક્ત સડકો બંધાવા લાગી છે.

પ્લાસ્ટિકયુક્ત સડકોનો આઇડિયા મૂળે તો મદુરાઈ સ્થિત ત્યાગરાજ કૉલેજ ઑફ એન્જિનિયરિંગના રસાયણશાસ્ત્રના પ્રોફેસર આર. વાસુદેવનનો છે. પ્લાસ્ટિક પણ આખરે તો ડામરની જેમ પેટ્રોલિયમ પ્રોડક્ટ જ છે, એટલે તેમને થયું કે રોડ બનાવવામાં જો પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ થાય તો એક કાંકરે અનેક સમસ્યાનો ઉકેલ મળે. તેમણે પ્રયોગો હાથ ધર્યા અને પોતાની કૉલેજમાં વર્ષ 2002માં પ્લાસ્ટિકયુક્ત સડક બનાવી. પ્રો. વાસુદેવને પ્લાસ્ટિકયુક્ત સડક બનાવવાની ટેક્નોલોજીની પેટન્ટ ઈ.સ. 2006માં મેળવી અને ત્યારથી દેશમાં રોડ બાંધકામમાં પ્લાસ્ટિકના વપરાશના આઇડિયાની સ્વીકાર્યતા ઊભી થઈ છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ તકનીકને ગ્રીન ટેક્નોલોજી જાહેર કરી છે. ઇન્ડિયન રોડ કૉંગ્રેસે પ્લાસ્ટિકના કચરામાંથી સડક બનાવવાની મંજૂરી આપી છે તો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે તમામ રાજ્યોને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનનારા રોડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યા છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકારે પાંચ લાખથી વધુ વસતી ધરાવતા શહેરની નગરપાલિકાઓ માટે રોડમાં ડામરની સાથે સાથે પ્લાસ્ટિકનો કચરાનો ઉપયોગ કરવાનું ફરજિયાત કરી દીધું છે, જેને લીધે પ્લાસ્ટિકયુક્ત સડકોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

માર્ગનિર્માણમાં પ્લાસ્ટિકના ઉપયોગથી ફેંકી દેવાયેલા-નકામા પ્લાસ્ટિકનો સદુપયોગ થાય છે અને પર્યાવરણને થતું નુકસાન અટકે છે. એ ઉપરાંત પણ ઘણા ફાયદા મળી રહ્યા છે, જેમકે, ડામર ઘટતાં રોડ બનાવવાનો ખર્ચ ઘટે છે. ડામરનો રોડ માંડ પાંચ વર્ષ સારો રહેતો હોય છે, પરંતુ તેમાં જો પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરવામાં આવે તો તેનું આયુષ્ય બેવડું થઈ જાય છે, એટલે કે 10 વર્ષ જેટલું વધી જાય છે. પ્લાસ્ટિકને કારણે વરસાદમાં માર્ગ ધોવાઈ જવાની સમસ્યા પણ ઓછી થઈ રહી છે. પ્લાસ્ટિકને કારણે ડામરના રોડ વધારે મજબૂત અને ટકાઉ બની રહ્યા છે. આશા રાખીએ પ્લાસ્ટિક વેસ્ટયુક્ત રોડનો વ્યાપ સતત વધતો રહે.

પ્લાસ્ટિકના કચરાનો સદુપયોગ કરવાનો એક વિકલ્પ ઊભો થયો છે, છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ જેટલો ઘટે, એ તો ઇચ્છનીય જ છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 7મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળ પ્રત)

Wednesday, May 17, 2017

સુરેશભાઈનો સ્વાવલંબન મંત્ર

દિવ્યેશ વ્યાસ


ઊર્જાના મામલે સંપૂર્ણ સ્વાવલંબન કેળવનારા ચેન્નઈના સુરેશભાઈ પાસેથી આપણે સૌએ ઘણું શીખવા જેવું છે

(સુરેશભાઈની તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

જરા વિચાર કરો કે તમારા ઘરમાં 25 બલ્બ અને ટ્યૂબલાઇટ્સ, 11 પંખા,  ટીવી, રેફ્રિજરેટર, કમ્પ્યૂટર, પાણી માટેનો પમ્પ, વૉશિંગ મશીન, મિક્સર-ગ્રાઇન્ડર, ઓવન અને એસી પણ હોય તો તમારું લાઇટ (વીજળી) બિલ કેટલું આવે? ત્રણેક હજાર તો પાક્કું અને ઉનાળો હોય તો પાંચ હજાર કરતાં પણ વધારે લાઇટ બિલ આવી જાય, ખરુંને? પણ ચેન્નાઈમાં રહેતા ડી. સુરેશ આ તમામ વીજ ઉપકરણો છૂટથી વાપરે છે, પરંતુ તેમનું વીજળીનું બિલ છે - ઝીરો (શૂન્ય)! છેલ્લાં ચાર વર્ષથી તેમના ઘરે એક પણ મિનિટ માટે વીજપ્રવાહ અટક્યો નથી. ચેન્નાઈમાં વાવાઝોડું ફુંકાયેલું ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગૂલ હતી ત્યારે પણ સુરેશભાઈના ઘરના દીવા ઝળહળતા હતા. સુરેશભાઈ પાસે એક જબરદસ્ત શક્તિ છે, જેનો ઉપયોગ કરીને તેઓ પોતાના ઘરમાં ચોવીસેય કલાક વીજળી મેળવે છે. તમારી પાસે એવી કોઈ જબરદસ્ત શક્તિ હોય તો? લાંબું વિચારવાની જરૂર નથી, મારી, તમારી અને આપણી સૌ પાસે એ શક્તિ ઉપલબ્ધ જ છે, પરંતુ કદાચ આપણને એની પરવા નથી. એ શક્તિ એટલે સૌરઊર્જા.

ઉનાળાના ધોમધખતા તાપમાં આપણે મનોમન સૂરજદાદા પર ‘ગરમ’ થઈ જતાં હોઈએ છીએ, પરંતુ સૂરજદાદાના તાપ અને તેજનો ઉપયોગ કરવાના મામલે સાવ ‘ટાઢા’ પુરવાર થઈ રહ્યા છીએ. સૂર્યદેવના આશીર્વાદથી ઊર્જા સ્વાવલંબી બનેલા ચેન્નાઈના સુરેશભાઈએ એક અંગ્રેજી પોર્ટલને જણાવેલું કે થોડાં વર્ષો પહેલાં એમણે જ્યારે જર્મનીની મુલાકાત લીધી ત્યારે જોયું કે ત્યાંનાં ઘરો પર સોલર પેનલ લાગેલી હતી અને તેઓ સૌર ઊર્જાનો ભરપૂર લાભ ઉઠાવતા હતા. એ જોઈને તેમને થયું કે જર્મની કરતાં તો આપણા દેશ પર સૂરજદાદાની વધારે કૃપા છે એટલે આપણા દેશમાં સૌર ઊર્જાનો મહત્તમ લાભ લેવાવો જોઈએ. તેમણે પાછા આવીને પોતાના ઘર પર રૂફ ટોપ સોલર પેનલ લગાવીને સૌર ઊર્જાનો લાભ લેવાનું શરૂ કર્યું. સૌર ઊર્જા થકી સ્વાવલંબનનો સફળ પ્રયોગ કરનારા સુરેશભાઈ હવે ‘સોલાર સુરેશ’ તરીકે જાણીતા બન્યા છે અને ‘ડાઉન ટુ અર્થ’ જેવા પર્યાવરણવાદી સામયિકોમાં ચમક્યા છે.

સુરેશભાઈએ આઈઆઈટી-મદ્રાસ અને આઈઆઈએમ-અમદાવાદમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં લાંબી કારકિર્દી દરમિયાન એમડીથી સીઈઓ સુધીનાં મહત્ત્વપૂર્ણ પદો પર કામ કરવાનો અનુભવ ધરાવે છે. 70થી વધારે દિવાળીઓ જોઈ ચૂકેલા સુરેશભાઈ સૌર ઊર્જા મેળવવા ઉપરાંત સ્વાવલંબી જીવનશૈલી માટે પ્રયોગો કરતા રહે છે. સુરેશભાઈએ રૂફ ટોપ સોલર પેનલ ઉપરાંત પોતાના ઘરમાં વરસાદી પાણીના જળસંગ્રહની વ્યવસ્થા ઊભી કરી છે. તેમના ઘર-છાપરા પર પડતું એક પણ ટીપું વેડફાતું નથી. પાઇપલાઇન થકી પાણી આપોઆપ ફિલ્ટર થઈને સમ્પ (બોરવેલ)માં વહી જાય અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય એવી સિસ્ટમ તેમણે ગોઠવી છે. સુરેશભાઈના ઘરના રસોડામાંથી નીકળતો કચરો અને એંઠવાડને ફેંકી દેવાતો નથી, પરંતુ તેને બાયોગેસ પ્લાન્ટમાં નાખવામાં આવે છે. બાયોગેસ પ્લાન્ટ થકી તેમના ઘરના રસોડાને પૂરતા પ્રમાણમાં ગેસ મળી રહે છે. વળી, બાયોગેસ પ્લાન્ટમાંથી પેદા થતા ખાતરનો પણ તેઓ પોતાના કિચન ગાર્ડનમાં જ ઉપયોગ કરી લે છે. હા, તેમણે પોતાના ઘરના ધાબે કિચન ગાર્ડન પણ વિકસાવ્યો છે. સુરેશભાઈ કહે છે કે કિચન ગાર્ડનમાં તેઓ રોજિંદાં શાકભાજી આસાનીથી ઉગાડી લે છે.

આમ, સુરેશભાઈ સૌર ઊર્જા, બાયોગેસ પ્લાન્ટ, વરસાદી પાણીના સંગ્રહ, કિચન ગાર્ડન વગેરે થકી તેઓ એક ‘સ્વાવલંબી ઘર અને જીવન’ની કલ્પના સાકાર કરવા મથે છે. સુરેશભાઈ કરી શકે છે, એવું કે એમાંનું કંઈક તો આપણે કરી જ શકીએને?

(‘દિવ્ય ભાસ્કર’ની 17મી મે, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, November 23, 2016

ટુંપાતા શ્વાસ, ધૂંધળી આશ

દિવ્યેશ વ્યાસ


વિશ્વભરમાં વાયુ પ્રદૂષણને કારણે થતાં મોતમાં ભારત ટોચના ક્રમાંકે પહોંચી ચૂક્યું છે. ક્યારે જાગીશું?

(તસવીર ગૂગલ પર શોધીને મેળવી છે)

વિશ્વવિખ્યાત ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હૉકિંગ્સે તાજેતરમાં એક ગંભીર આગાહી કરી છે. સ્ટીફન હૉકિંગ્સનું કહેવું છે કે છેલ્લાં પચાસ વર્ષમાં બ્રહ્માંડની તસવીર ઘણી બધી બદલાઈ ગઈ છે. મને નથી લાગતું કે બીજા રહેવાલાયક ગ્રહને શોધ્યા વિના ધરતી પર હવે એક હજાર વર્ષ કરતાં વધારે સમય જીવિત રહી શકાશે! એટલે કે પૃથ્વીની આપણે એવી હાલત કરી મૂકી છે કે ધરતી પર હવે માનવી માંડ એકાદ હજાર વર્ષ ટકી શકશે. આ સ્થિતિ જોતાં આપણી પાસે બે જ માર્ગ છે - એક, પૃથ્વી-કુદરત-પર્યાવરણની જાળવણી માટે સમયસર સભાન તેમજ સક્રિય બનવું અને કાં પછી માનવી માટે રહેવાલાયક બીજા ગ્રહની શોધ આદરવી. હૉકિંગ્સસાહેબના જણાવ્યા મુજબ મંગળ ગ્રહ પર માનવીને રહેવાલાયક વસાહત ઊભી કરવાનું કામ આગામી 100 વર્ષમાં પણ શક્ય બનવાનું લાગતું નથી એટલે આ મામલે વધારે ગંભીર બનવું જ રહ્યું!

માની લઈએ કે મંગળ ગ્રહ પર આગામી 100-150 વર્ષોમાં માનવવસાહત ઊભી કરી દેવામાં આવે તો પણ મંગળ સુધી પહોંચવાની તાકાત દુનિયામાંથી માંડ 100-150 લોકો જ ધરાવતા હશે! આમ, સો વાતની એક વાત પૃથ્વી, આપણા પર્યાવરણની કાળજી લીધા વિના આપણા અસ્તિત્વની આશા બહુ ધૂંધળી ભાસે છે. ગયા સપ્તાહે ગ્રીનપીસ નામની પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેના આંકડા ભારત માટે આઘાતજનક છે. ગ્રીનપીસના અધ્યયન અનુસાર વર્ષ 2015માં ઝેરી-પ્રદૂષિત હવાને કારણે મરનારાઓમાંથી સૌથી વધારે ભારતીય હતા. વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં રોજના 3283 લોકોનાં મોત થાય છે. વાયુ પ્રદૂષણને કારણે થતાં મોતની બાબતમાં ભારત હવે ટોચના ક્રમાંકે આવી ગયું છે. ભારત પછી ચીનનો ક્રમ આવે છે. ચીનમાં વાયુ પ્રદૂષણને કારણે દરરોજ 3233 લોકો મોતને ભેટે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વાયુ પ્રદૂષણથી મરનારાઓની બાબતમાં ચીન જ નંબર વન રહેતું હતું, પરંતુ વર્ષ 2015માં ભારતમાં મૃત્યુઆંક વધ્યો અને હવે ચીન કરતાં પણ વધારે લોકો આપણે ત્યાં મરવા લાગ્યા છે, એ ખરેખર ચિંતાજનક બાબત છે.

ઓર્ગેનાઇઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના અધ્યયન પ્રમાણે વાયુ પ્રદૂષણને કારણે વિશ્વમાં આશરે 2.6 ટ્રિલિયન ડૉલરનું (આશરે 169 લાખ કરોડ રૂપિયા) નુકસાન થાય છે. આ જ સંસ્થાના અંદાજ પ્રમાણે વાયુ પ્રદૂષણની સ્થિતિ નહીં સુધરે તો 2060 સુધીમાં 60થી 90 લાખ લોકો દર વર્ષે મોતના મુખમાં ધકેલાશે. થોડાં વર્ષો પહેલાં અમદાવાદમાં હોર્ડિંગ્સ લાગ્યાં હતાં - ‘અમદાવાદીઓ મરશો, પ્રદૂષણ મારશે’ એ સાવ સાચું ઠરી રહ્યું છે. આપણી આજુબાજુ વાઇરલ ઇન્ફેક્શનથી માંડીને કેન્સરના જે કોઈ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, તેના મૂળમાં પ્રદૂષણ રહેલું છે, એ શું આપણને નથી સમજાતું?

બળાત્કારના મામલે કુખ્યાત એવું દિલ્હી ગયા વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર જાહેર થયું હતું. દિલ્હી ઉપરાંત આપણાં અન્ય મોટાં શહેરોમાં પણ પ્રદૂષણ, એમાંય વાયુ પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક હદે કફોડી છે. પર્યાવરણ અને પ્રદૂષણના મુદ્દા હજુ પણ પર્યાવરણ સંબંધિત સેમિનારો ઉપરાંત ભાગ્યે જ ક્યાંક ચર્ચાય છે. દિલ્હીમાં તાજેતરમાં વ્યાપેલા વાયુ પ્રદૂષણની તસવીરો-વિડિયો જોઈને પણ હજુ આપણાં સરકારી તંત્રો તો ઠીક પણ કમનસીબે ખુદ આપણી પણ આંખો ઊઘડી નથી. ફાલતુ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી કરીને જડબા દુખાડનારા આપણે સૌએ હવે મૂળભૂત મુદ્દાઓ અને તેના ઉકેલો વિશે વિચારવાનું કષ્ટ ઉઠાવવું જરૂરી બન્યું છે. કાળી હવાઓને હવે કોણ નાથશે, એવા સવાલ કરતાં આપણે હવે ક્યારે જાગીશું, એ સવાલ વધારે રચનાત્મક છે. સાચું ને? તો પૂછો ખુદને!

(‘દિવ્ય ભાસ્કર’ની 23મી નવેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)