Showing posts with label જિંદગી. Show all posts
Showing posts with label જિંદગી. Show all posts

Wednesday, July 4, 2018

જંગલની જાત્રાનો જાદુ

દિવ્યેશ વ્યાસ


હેન્રી ડેવિડ થોરોએ વોલ્ડન તળાવના કાંઠે સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ કર્યો હતો

(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધેલી છે.)

આજે ચોથી જુલાઈ એટલે અમેરિકાનો આઝાદી દિવસ છે. અમેરિકા ઈ.સ. 1776માં બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવીને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. અમેરિકામાં આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના ઇતિહાસમાં ચોથી જુલાઈના દિવસે એક બીજી મોટી ઘટના પણ ઘટી હતી. આઝાદી દિનની ઉજવણીમાં આ ઘટના વિસરાતી જતી હોય છે. આ ઘટના માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે પણ યાદગાર ગણી શકાય એવી છે. વર્ષ 1845માં ચોથી જુલાઈના રોજ હેન્રી ડેવિડ થોરોએ સાદું અને સૃષ્ટિમય જીવન જીવવાનો પ્રયોગ શરૂ કર્યો હતો અને તેઓ વોલ્ડન તળાવના કાંઠે કુટિર બાંધીને રહેવા ગયા હતા.

વોલ્ડનના કાંઠે થોરો બે વર્ષ, બે મહિના અને બે દિવસ રહ્યા હતા. વોલ્ડન કાંઠે વિતાવેલા ગોલ્ડન પિરિયડ દરમિયાન થોરોને જે અનુભવો અને અનુભૂતિઓ થઈ તેને તેમણે પોતાના પુસ્તક ‘વોલ્ડન : લાઇફ ઇન ધ વૂડ્સ’માં શબ્દસ્થ કરેલી છે. થોરોની આ જંગલ જાત્રાની પ્રસાદી આ પુસ્તકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. થોરોના વિચારો અને વોલ્ડન પુસ્તકની વાતો આજે એમના જમાના કરતાં પણ વધારે પ્રસ્તુત બની છે. આજે જ્યારે ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ ચેઇન્જના પડકારોની ચિંતા વધતી જાય છે ત્યારે સાદું અને પર્યાવરણ-સંગત (ઇકો ફ્રેન્ડલી) જીવનની ઉપયોગિતા હવે દુનિયાને સમજાઈ રહી છે.

થોરોના જન્મને આગામી 12મી જુલાઈના રોજ 200 વર્ષ પૂરાં થશે. ગત વર્ષે થોરોની 200મી જન્મજયંતી નિમિત્તે અમેરિકામાં એક પુસ્તક પ્રગટ થયું હતું. અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સનાં એ પુસ્તકનું શીર્ષક છે, ‘હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોના સમગ્ર જીવનમાંથી તેમણે વોલ્ડન તળાવના કાંઠે વિતાવેલાં બે વર્ષ કરતાં વધારે સમયને વધારે મહત્ત્વ આપ્યું છે અને થોરોના પર્યાવરણ-સૃષ્ટિ અંગેના વિચારોને વધારે અગ્રતા આપવામાં આવી છે. આજના ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારોના સમયમાં થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે લોરાબહેને વિગતે સમજાવ્યું છે.

થોરો સૃષ્ટિ પ્રત્યે અનહદ ચાહના ધરાવતા હતા. ‘વોલ્ડન’માં પ્રકૃતિનાં મનોહર વર્ણનોની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીઓના બોધપાઠ પણ મળે છે. તેમણે સાદું જીવન અને ઉચ્ચ વિચારોનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું. થોરોનું એક જાણીતું વાક્ય છે, ‘તમામ પ્રકારની લક્ઝરી અને સુવિધાઓના સન્માન સાથે સૌથી સમજદાર વ્યક્તિ વધુમાં વધુ સાદું જીવન જીવે છે અને ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવે છે.’ પ્રકૃતિ સાથે ઓતપ્રોત થવામાં સાર્થકતા સમજતા થોરો કહેતાં, ‘પ્રકૃતિ આપણી નબળાઈઓ અને ખૂબીઓ સાથે તાલમેળ સાધી લેતી હોય છે.’ મોર્નિંગ વૉક માટે પ્રેરે એવું થોરોનું એક વાક્ય છે, ‘પ્રાત:કાળે ચાલવા નીકળવું એ સમગ્ર દિવસ માટે વરદાનરૂપ છે.’

જીવન અંગેના થોરોના વિચારો પણ બહુ મનનીય છે. તેમણે એક બહુ સુંદર વાત કરેલી છે, ‘કોઈ પણ વસ્તુની કિંમત એ હોય છે કે તમે તેના બદલામાં તમારી જિંદગીનો કેટલો સમય ફાળવો છો.’ થોરોનું બીજું એક વાક્ય પણ આ સાથે યાદ આવે છે, ‘વ્યસ્ત રહેવું પૂરતું નથી, કારણ કે વ્યસ્ત તો કીડીઓ પણ રહે છે, મૂળ સવાલ એ છે કે આપણે શાના માટે વ્યસ્ત રહીએ છીએ.’ થોરોના પ્રાર્થનાની પંક્તિ સમાન એક વાક્ય સાથે લેખ પૂરો કરીએ: ‘પ્રેમ કરતાં, પૈસા કરતાં, પ્રસિદ્ધિ કરતાં મને સત્ય આપજે.’

(દિવ્ય ભાસ્કરની 4 જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, November 9, 2016

ટાર્ગેટ તણાવમુક્તિ

દિવ્યેશ વ્યાસ


આધુનિક સમયનો સૌથી મોટો અભિશાપ છે તણાવ. નવા વર્ષે તણાવમુક્તિ માટે સંકલ્પ અને સાધના જરૂરી છે



(આ તસવીર બિગસ્ટોક (Bigstock)ની છે.)

માનવજાતે વિકાસના નામે જે વાટ પકડી છે, તેણે કહેવાતી આધુનિકતા જરૂર બક્ષી છે, પરંતુ સાથે સાથે આપણા જીવનમાં અવલંબન અને આત્યંતિકતા વધારી દીધાં છે. આધુનિક જીવનશૈલીમાં વહેલા જાગવા માટે સ્માર્ટફોનમાં મૂકેલા એલાર્મથી માંડીને આધ્યાત્મિકતા માટેની એપ, એમ લગભગ દરેક બાબત માટે આપણે અન્ય પર અવલંબિત રહેવા માંડ્યા છીએ. ‘અતિ સદા વર્જયતે’, અતિની કોઈ ગતિ નહીં, જેવી શાણી પંક્તિઓ આપણે વિસરી ગયા છીએ અને અન્યથી આગળ નીકળી જવાની લાયમાં આપણે દરેક બાબતે આત્યંતિકતા તરફ ધસી રહ્યા છીએ. આ અવલંબન અને આત્યંતિકતાભરી આધુનિક જીવનશૈલીના પરિણામે માનસિક તણાવ (સ્ટ્રેસ) આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. તણાવ આધુનિક સમયનો સૌથી મોટો અભિશાપ બની ગયો છે. વૈશ્વિક સ્તરે જેમ ત્રાસવાદ સૌને પજવે છે, એ જ રીતે વ્યક્તિગત સ્તરે તણાવ ખતરનાક પુરવાર થઈ રહ્યો છે.

તણાવને કારણે આજનો માનવી શારીરિક તથા માનસિક બીમારીઓનો ભોગ બની રહ્યો છે. આજે નાની વયના યુવાનોમાં મોટી વયે કે વૃદ્ધાવસ્થામાં થતી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. તણાવ લોકોની જિંદગીમાંથી સુખ-ચેન છીનવી રહ્યો છે. આજે સુખ-સુવિધા-સગવડો વધી છે, પરંતુ તેને ભોગવવા, તેને માણવા માટેના સમય અને શાંતિનો અભાવ પ્રવર્તે છે. કોઈ પણ ભોગે સફળ થવાની આંધળી દોડમાં આપણે ઘણું બધું કમાઈએ છીએ, લખલૂંટ સંપત્તિ અર્જિત કરીએ છીએ, પણ જીવનનો આનંદ લગભગ ગુમાવી દેતા હોઈએ છીએ. નવું વિક્રમ સંવત શરૂ થયું છે ત્યારે આપણે જીવનને સારી રીતે માણવા માટે તણાવમુક્ત થવા માટે સંકલ્પ અને સાધના કરવા જરૂરી છે. તણાવમુક્તિ માટે જીવન અને કાર્ય પ્રત્યેના અભિગમમાં ધરમૂળથી બદલાવ જરૂરી છે, સાથે સાથે સ્વભાવમાં પણ સકારાત્મક રીતે સુધારા કરવા આવશ્યક
બને છે.

ગયા સપ્તાહમાં 2 નવેમ્બરના રોજ ઇંગ્લેન્ડમાં રાષ્ટ્રીય તણાવ જાગૃતિ દિવસ (નેશનલ સ્ટ્રેસ અવેરનેસ ડે) ઊજવાઈ ગયો. આ નિમિત્તે વનપોલ (OnePoll) દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 2000 બ્રિટિશર્સની મુલાકાતના આધારે નિષ્કર્ષ તારવવામાં આવ્યા છે. આ સર્વે અનુસાર એક વ્યક્તિ પોતાની જિંદગીમાં આશરે સાડા પાંચ વર્ષ તણાવને કારણે બરબાદ કરી નાખે છે. દરેક વ્યક્તિ દરરોજ સરેરાશ બે કલાક અને 11 મિનિટ્સ તણાવમાં પસાર કરતી હોય છે. આ હિસાબે દરેક માણસ દર અઠવાડિયે 15 કલાક અને વર્ષે 33 દિવસ સ્ટ્રેસનો ભોગ બનતો હોય છે. આ સર્વેક્ષણના એક તારણ મુજબ વ્યક્તિ 36 વર્ષની વયે સૌથી વધારે સ્ટ્રેસ ભોગવતી હોય છે. આ સર્વેક્ષણ આમ તો બ્રિટનમાં થયેલું છે, પરંતુ આપણે ત્યાં, એમાંય ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મોટા ભાગે બ્રિટન જેવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. નોકરી-વ્યવસાયના સ્ટ્રેસ ઉપરાંત આર્થિક અસુરક્ષાની ભાવના બળતામાં ઘી હોમવાનું કામ કરતી હોય છે. વિભક્ત પરિવારના વધતાં ચલણને કારણે સામાજિક-પારિવારિક તણાવમાં પણ વધારો થયો છે. આજના સ્પર્ધાના જમાનામાં તો બાળકો અને વિદ્યાર્થીઓ પણ સ્ટ્રેસથી બચી શકતાં નથી. સ્ટ્રેસને કારણે ઘણા યુવાનો વ્યસનના રવાડે ચડી જતા હોય છે અને તેની અનેક આડઅસરોનો ભોગ બનતા હોય છે. આપણી ટ્રાફિકથી માંડીને અન્ય અવ્યવસ્થાઓને કારણે પણ આપણું રોજિંદું જીવન વધારે તણાવપૂર્ણ બની રહ્યું છે.

તણાવથી બચવું મુશ્કેલ છે, પણ અશક્ય નથી. વ્યક્તિ ધારે તો પોતાની રોજિંદી જિંદગીમાં તણાવને નાબૂદ ન કરી શકે તો પણ ન્યૂનતમ (ઓછામાં ઓછો) તો કરી જ શકે છે. જીવનમાં પેદા થતા બિનજરૂરી તણાવ અંગે જાગૃતિ કેળવીને તેને દૂર કરવા મથવું જોઈએ. મોટા ભાગે તો આપણા ટાઇમ મેનેજમેન્ટના અભાવને કારણે પણ બિનજરૂરી તણાવ પેદા થતો હોય છે. વ્યક્તિ ધારે તો નિયમિતતા કેળવી, માનસિકતાને સકારાત્મક બનાવી, સ્વભાવમાં સુધારા કરીને ઘણા તણાવને ટાળી શકે એમ છે. નવા વર્ષે તણાવ અંગે સભાન થવાની સાથે સાથે તણાવમુક્તિ જીવન માટે સંકલ્પબદ્ધ થવાની અને તેના માટે સાધના કરવાની જરૂર છે. તમે નક્કી કરી લો, તણાવયુક્ત જીવન ઇચ્છો છો કે તરોતાજા જિંદગી?