Wednesday, February 28, 2018

યુદ્ધ પહેલાંની શાંતિ?

દિવ્યેશ વ્યાસ


આક્રમક નેતાઓની બોલબાલા જોતાં કહેવાતો ‘દીર્ઘ શાંતિકાળ’ હજુ કેટલો ટકશે, એ મોટો સવાલ છે


(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધી છે.)

યુદ્ધમાં વિજય કે પરાજય મળે, એ તો એક મોટો ભ્રમ છે. યુદ્ધ એટલે યાતના. વિજેતા હોય કે પરાજિત, યુદ્ધ કરનાર તમામને યાતના ભોગવવી જ પડે છે. વિજેતા કદાચ જીત્યાનું અભિમાન દાખવી શકે, છતાં યાતનાથી બચી શકતો નથી. યુદ્ધની પીડા રણમેદાનમાં લડનારા સૈનિક સુધી સીમિત ન રહેતાં તેના પરિવાર અને સમાજ સુધી વિસ્તરતી હોય છે. યુદ્ધની કથા ભલે રમ્ય રીતે રજૂ કરાતી આવી હોય, બાકી વાસ્તવિકતા રમ્ય નહીં, રક્તરંજિત હોય છે. કોઈ પણ યુદ્ધનો અંત લોહી અને આંસુ જ હોય છે. ડાહ્યા લોકો યુદ્ધને ‘છેલ્લો ઉપાય’ તરીકે પસંદ કરતા હોય છે. અલબત્ત, ઇતિહાસના અનુભવો જોતાં કહી શકાય કે યુદ્ધથી કદાચ ઉકળાટની અભિવ્યક્તિ શક્ય બને પણ ઉકેલ ભાગ્યે જ મળતો હોય છે.

આપણે છેલ્લાં 70 વર્ષથી પ્રમાણમાં શાંતિપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં નાનાં-મોટાં યુદ્ધો જરૂર થયાં છે, છતાં મહાયુદ્ધો ટાળી શકાયાં છે. દુનિયા અને યુદ્ધો અંગે કોલોરાડો યુનિવર્સિટીના કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ ડૉ. એરોન ક્લોસેટ દ્વારા એક આંકડાકીય અભ્યાસ કરવામાં આવ્યો છે. ડૉ. એરોને ‘ધ કૉરલેટ ઑફ વૉર પ્રોજેક્ટ’ના અધિકૃત ગણાતા આંકડાના આધારે ઈ.સ. 1823થી 2003 દરમિયાન દુનિયામાં થયેલાં યુદ્ધોનું વિશ્લેષણ કરીને કેટલાંક રસપ્રદ તારણો કાઢ્યાં છે. 1823થી 2003નાં વર્ષોમાં દુનિયાએ કુલ 95 યુદ્ધો જોયાં છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધનો ઈ.સ. 1914થી 1945નો સમયગાળો માનવ ઇતિહાસનો સૌથી વધારે રક્તરંજિત સમયગાળો છે.

ડૉ. એરોને આ સમગ્ર સમયખંડને ત્રણ ભાગમાં વહેંચી દીધો છે. 1823થી 1914ના ગાળામાં ઘણાં મોટાં યુદ્ધો થયાં હતાં. આ ગાળામાં કુલ 19 મોટાં યુદ્ધો થયેલાં. આમ, દર 6.2 વર્ષે એક મોટું યુદ્ધ દુનિયાએ જોયું હતું. તે પછીનો 1914થી 1945ના તબક્કામાં દુનિયાએ ઉપરાઉપરી બે મહાયુદ્ધો જોયાં અને લાખો લોકોનાં લોહી વહ્યાં હતાં. દર 2.7 વર્ષે કોઈ ને કોઈ યુદ્ધ ફાટી નીકળ્યું હતું.

ઈ.સ. 1945થી આજ દિન સુધી 70 વર્ષમાં મોટાં કહી શકાય એવાં 10 યુદ્ધો જ થયાં છે. આમ, બીજા વિશ્વયુદ્ધ પછી દર 12.8 વર્ષે એક યુદ્ધ થયું છે. આમ, આ ગાળામાં યુદ્ધોની સંખ્યા અને યુદ્ધમાં મરનારાઓની સંખ્યાની સરખામણીએ ખાસ્સો ઘટાડો થયો હોવાથી આ સમયગાળાને ‘દીર્ઘ શાંતિકાળ’ ગણવામાં આવે છે. આ શાંતિકાળ લાંબો ચાલવા પાછળનાં પરિબળોની ચર્ચા નિષ્ણાતો વચ્ચે થતી રહે છે. દુનિયામાં વિસ્તરેલી અને વિકસતી લોકશાહી, વૈશ્વિકીકરણના સમયમાં બે દેશો વચ્ચે વધતું આર્થિક પરસ્પરાવલંબન તથા પરમાણુ યુદ્ધથી સાર્વત્રિક વિનાશનો ડર, આ ત્રણ કારણો બે કે તેથી વધુ દેશો વચ્ચેના યુદ્ધને અટકાવવા મજબૂર કરતાં હોવાનું મનાય છે.

ડૉ. એરોનનું એક તારણ છે કે બીજા વિશ્વયુદ્ધ જેવું વિનાશક મહાયુદ્ધ દર 205 વર્ષે થતું હોય છે. એ દૃષ્ટિએ આપણે આશ્વાસન લઈ શકીએ કે હવે પછીનું મહાયુદ્ધ 135 વર્ષે થશે. જોકે, વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ-સંજોગો જોતાં આ અંદાજ ગળે ઊતરે એમ નથી. ખુદ ડૉ. એરોન પણ સ્વીકારે છે કે આ માત્ર આંકડાકીય તારણ છે, એટલે કોઈ ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. દુનિયામાં અત્યારે જે પ્રકારનું નેતૃત્વ વિકસી રહ્યું છે. પુતિનનો ભાઈ ઘંટી ટ્રમ્પ સત્તામાં આવી રહ્યો છે, તે જોતાં યુદ્ધની આશંકા તીવ્ર બનતી જાય છે.

તાજેતરમાં સીરિયાના ઘોઉટા નગર પર સીરિયા અને રશિયાના લશ્કરે કરેલા હુમલામાં પાંચ દિવસમાં કુલ 462 લોકોનાં મોત થયાં અને એમાં 99 તો બાળકો હતાં, એ હકીકત જાણીને સમગ્ર વિશ્વમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ગમે તે માનો, લોકો વધારે સંવેદનશીલ બન્યા છે અને એટલે જ લોકશાહી ધરાવતા દેશો માટે યુદ્ધે ચડવું એટલું આસાન નથી. તમને લોકશાહી પસંદ છે કે લોહિયાળ યુદ્ધો?

(‘દિવ્ય ભાસ્કર’ની 28મી ફેબ્રુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, February 21, 2018

માતૃભાષા માટે શહાદત

દિવ્યેશ વ્યાસ


વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી વચ્ચે યાદ કરી લઈએ માતૃભાષા માટે પોતાનો જીવ ન્યોછાવર કરનારા શહીદોને


(તસવીરો ઇન્ટરનેટ પરથી જુદી જુદી વેબસાઇટ્સ પરથી લીધેલી છે.)

ભાષાના ઉદભવ પછી માનવી અન્ય પ્રાણીઓ કરતાં ચડિયાતો અને વધારે શક્તિશાળી બની શક્યો. માનવ સંસ્કૃતિના વિકાસમાં પણ ભાષાએ મહામૂલો ફાળો આપ્યો છે. કોઈ પણ સંસ્કૃતિ ભાષા રૂપી સરોવરમાં જ હિલોળા લેતી હોય છે. ભાષા વિના સંસ્કૃતિની હાલત જલ બિન મછલી જેવી બની જતી હોય છે. આજનો આધુનિક માનવી ત્રણથી વધારે ભાષાઓનો જાણકાર બન્યો છે, પરંતુ દરેકને પોતાની માતૃભાષા વિશેષપણે પ્યારી હોય છે. માતાના મુખેથી સાંભળેલી અને દુનિયામાં સૌથી પહેલા શીખેલી ભાષા એટલે માતૃભાષા. માતૃભાષાને એટલે દૂધભાષા પણ કહે છે. સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થશે. માતૃભાષા દિવસ માટે  21મી ફેબ્રઆરી જ શા માટે પસંદ થઈ, એની પાછળ એક લોહિયાળ કહાણી છે. શું તમે માની શકો કે કોઈ સમાજ પોતાની માતૃભાષા માટે માર્ગ પર ઊતરીને આંદોલન કરે? શું તમે ધારી શકો કે તરુણો-યુવાનો પોતાની ભાષા માટે મોતની પણ પરવા કર્યા વિના સામી છાતીએ બંદૂકોની ગોળીઓ ઝીલે? હા, આવું જ થયું હતું પૂર્વ પાકિસ્તાનમાં (હાલના બાંગ્લાદેશમાં).

ઈ.સ. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાન બે હિસ્સામાં વહેંચાયેલું હતું. હાલનું બાંગ્લાદેશ ત્યારે પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું. પૂર્વ પાકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો જ પ્રદેશ હતો, પરંતુ ત્યાંના લોકોની ભાષા અને સંસ્કૃતિ બંગાળી હતાં. ધર્મના  આધારે રચાયેલા પાકિસ્તાનના વડાઓએ નક્કી કર્યું કે દેશનો વહીવટ ઉર્દુમાં જ ચાલશે, જ્યારે પૂર્વ પાકિસ્તાનના લોકોની લાગણી હતી કે બંગાળી પણ રાષ્ટ્રની ભાષા બનવી જોઈએ. કટ્ટરતાના ઝેરથી સિંચાયેલી પાકિસ્તાની માનસિકતા ઉર્દુ ઉપરાંતની અન્ય કોઈ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે કઈ રીતે સ્વીકારી શકે! ઑગસ્ટ-1947માં આઝાદી મળી અને ડિસેમ્બર-1947માં તો પૂર્વ પાકિસ્તાનમાં રાષ્ટ્રભાષા સંઘર્ષ પરિષદની રચના કરવાની નોબત આવી ગયેલી. પ્રારંભિક વર્ષોમાં તો આશ્વાસનો આપીને ચલાવાયું, પરંતુ ધીમે ધીમે પૂર્વ પાકિસ્તાનના લોકોને સમજાયું કે આપણી લાગણી અને માગણીની સતત અવગણના જ થઈ રહી છે ત્યારે આંદોલન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. અનેક રજૂઆતો છતાં જ્યારે 27 જાન્યુઆરી, 1952ના રોજ જ્યારે પૂર્વ પાકિસ્તાનના મુખ્યમંત્રી ખ્વાજા નજીમુદ્દીને ઢાંકામાં જાહેર કર્યું કે આપણી રાષ્ટ્રભાષા તો માત્ર ઉર્દુ જ રહેશે ત્યારે લોકોની સહનશક્તિની હદ આવી ગઈ. ઢાંકા યુનિવર્સિટી અને અન્ય મહાવિદ્યાલયોમાં ‘રાષ્ટ્રભાષા બાંગ્લા ચાઇ’નો નારો બુલંદ બન્યો. સેંકડો યુવાનો આ સંઘર્ષમાં જોડાવા તલપાપડ હતા. ભાષા-સાહિત્યિક, સાંસ્કૃતિ, સામાજિક અને રાજકીય સંસ્થાઓના પ્રતિનિધિઓની 31 જાન્યુઆરીના રોજ મળેલી બેઠકમાં નક્કી થયું કે બાંગ્લાને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી સાથે 21 ફેબ્રુઆરીના રોજ હડતાળ પાડવી.

વિરોધ પ્રદર્શનો  અને સભા-સરઘસોને અટકાવવા માટે કલમ 144 લાગુુ પાડી દેવાઈ. હથિયારબંધ સૈનિકો ખડકી દેવાયા છતાં ઢાકા યુનિવર્સિટી અને અન્ય કૉલેજોમાં વિદ્યાર્થીઓના ટોળા ઊમટી પડ્યાં. વિરોધ પ્રદર્શન અટકાવવા માટે યુવાનો પર ગોળીઓ વરસાવવામાં આવી, ડઝનબંધ યુવાનો ઘાયલ થયા અને પાંચ યુવાનોએ માતૃભાષા માટે હસતાં મોંએ  મોતને વહાલું  કર્યું. 23મી ફેબ્રુુઆરીએ શહીદોની યાદમાં સ્મારક બનાવવામાં આવ્યું, જેને સરકારે તોડાવી નાખ્યું.

યુવાનોની શહીદી પછી આંદોલન વધારે ઉગ્ર અને વ્યાપક બન્યું. આખરે પાકિસ્તાને ઝૂકવું પડ્યું. 7મી મે, 1954માં બંગાળીને રાષ્ટ્રભાષા બનાવવાનો ખરડો પસાર કરવામાં આવ્યો અને 29 ફેબ્રુઆરી, 1956ના રોજ પાકિસ્તાનના બંધારણમાં સુધારો કરીને બંગાળીને અધિકૃત રીતે પાકિસ્તાનની રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો. જોકે, આગળ જતાં લશ્કરી સરમુખત્યાર અયુબ ખાને 1959માં ફરી બંધારણમાં કુધારો કરીને બંગાળીનો રાષ્ટ્રભાષાનો દરજ્જો રદ કર્યો અને એ સાથે જ પાકિસ્તાનના ભાગલા અને અલગ બાંગ્લાદેશનાં બીજ વવાયાં હતાં.

પોતાની ભાષા માટે આવો પ્રેમ, આવો સંઘર્ષ અને આવી શહીદીનો બીજો દાખલો મળવો મુશ્કેલ છે, એને ધ્યાનમાં રાખીને જ યુનેસ્કોએ 17 નવેમ્બર, 1999ના રોજ 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો હતો. બાંગ્લાદેશમાં 21મી ફેબ્રુઆરી શહીદ દિવસ તરીકે પણ મનાવાય છે.

ભાષા સંવાદનો સેતુ રચવાનું ઉત્તમ માધ્યમ છે, પરંતુ કેટલાંક લુચ્ચાં સ્થાપિત હિતો અને ખંધા રાજકારણીઓ તેનો વિવાદ હેતુ ઉપયોગ કરતા આવ્યા છે. આને કારણે જ ભાષાવાદનાં વરવાં સ્વરૂપો જોવા મળતાં હોય છે. કદાચ આ બાબતને ધ્યાનમાં રાખીને જ વર્ષ 2018ના માતૃભાષા દિવસની થીમ ‘ટકાઉ વિકાસ માટે ભાષાકીય વિવિધતા અને બહુભાષાવાદનું યોગદાન’ પસંદ કરવામાં આવી છે.

ભાષાને સમૃદ્ધ કરીને રળીયામણી બનાવવાની  હોય, તેના નામે રાજકારણ ન રમવાનું હોય. ગુજરાતી ભાષા જિંદાબાદ!
(‘દિવ્ય ભાસ્કર’ની 21મી ફેબ્રુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કટારની મૂળ પ્રત)

Wednesday, February 14, 2018

એસિડની પીડા, પ્રેમનું અમૃત

દિવ્યેશ વ્યાસ


એસિડ એટેકનો  ભોગ બનનારી યુવતીઓને પ્રેમ કરનારા અને જીવનસાથી તરીકે પસંદ કરનારા વીરલાઓને સો સો સલામ મારવી જ પડે! 




ગુજરાતીમાં એક કહેવત છે, દુ:ખનું ઓસડ દહાડા. સમય શ્રેષ્ઠ ઉપચારક મનાય છે. કોઈ પણ દુ:ખ કે પીડા સમય સાથે કાં તો દૂર થઈ જતી હોય છે, કે પછી ભુલાઈ જતી હોય છે. અથવા તો સમય જતાં આપણે આપોઆપ માનસિક રીતે  એટલા સક્ષમ થઈ ગયા હોઈએ છીએ કે જે તે પીડાને અવગણી શકીએ. જોકે, સમય કરતાં પણ ઝડપી અને વધારે અસરકારક ઉપચારક છે - પ્રેમ. પ્રેમ પીડા હરે છે અને પૂર્ણતા બક્ષે છે. પ્રેમનો સ્પર્શ તમારી ગમે તેવી આકરી પીડાને સહ્ય બનાવે છે અને સાથે સાથે સમસ્યાનો સામનો કરવા માટે સશક્ત બનાવે છે. એક ફિલ્મી ગીતનું મુખડું છે, ‘તેરા સાથ હૈ તો મુઝે ક્યા કમી હૈ...’ પ્રેમીનો સાથ મળે ત્યારે વ્યક્તિમાં તમામ સંજોગો અને સમસ્યાઓનો સામનો કરવાની તાકાત આવી જતી હોય છે.

પ્રેમ માટે કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પરંતુુ સૌથી મોટો વિરોધાભાસ એ છે કે મોટા ભાગના લોકો સૌંદર્યથી મોહિત થઈને પ્રેમમાં ‘પડતા’ હોય છે. સૌંદર્ય પ્રત્યેનું આકર્ષણ સહજ છે, પરંતુ તે પ્રેમનો પાસપોર્ટ કે પૂર્વશરત તરીકે સ્થાપિત થાય, એ યોગ્ય ન કહેવાય. આજે વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે કેટલાક એવા યુવકોની વાત કરવી છે, જેમણે સૌંદર્ય નહિ માત્ર ને માત્ર સ્નેહ અને સમભાવ સાથે એસિડ એટેક પીડિત યુવતીઓને પ્રેમ કરીને સંસાર માંડ્યો છે.

સૌથી પહેલા વાત કરીએ એસિડ એટેક પીડિતાના રોલમૉડલ તરીકે સ્થાપિત થનાર લક્ષ્મી અગ્રવાલની. દિલ્હીની આ યુવતી પર વર્ષ 2005માં એસિડ એટેક થયો હતો. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા  યુવકે તેના પર એસિડ છાંટી દીધેલો. એસિડને કારણે લક્ષ્મીનું 45 ટકા શરીર બળી ગયું. માંડ માંડ જીવ બચ્યો, પણ એસિડે મોં અને શરીર પર એવા ઘા કરેલા કે જીવવું આસાન નહોતું. અધૂરામાં પૂરું તેણે પોતાના પિતા અને નાનો ભાઈ પણ ગુમાવવા પડ્યા. લક્ષ્મીએ ન્યાય માટે સંઘર્ષ કર્યો. આજે એસિડ એટેક પીડિતાઓને જે કંઈ સહાય અને ન્યાય મળી રહ્યા છે, તેમાં લક્ષ્મીબહેનના સંઘર્ષનું ખાસ્સું યોગદાન છે. લક્ષ્મીને સંઘર્ષ દરમિયાન વર્ષ 2013માં આલોક દીક્ષિત સાથે મળવાનું  થયું. આલોક એસિડ એટેક પીડિતાઓ માટે એક એનજીઓ ચલાવતા હતા. એસિડ એટેક પીડિતાઓને ન્યાય અપાવવા અને સમાજમાં ફરી સ્થાપિત કરવાની કામગીરી કરતાં કરતાં બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા વિના જ જીવનસાથી તરીકે સાથ નિભાવે છે. આજે તેમને પીહુ નામની એક દીકરી પણ છે.

લલિતા બંસી નામની એસિડ એટેક પીડિતાની લવસ્ટોરી પણ ખૂબ જાણીતી છે. પારિવારિક ઝઘડામાં કુટુંબના જ યુવક દ્વારા વર્ષ 2012માં એસિડ એટેકનો ભોગ બનનારી લલિતાએ 17 સર્જરીઓ સહન કરવી પડી હતી. ભૂલથી લાગેલી ગયેલો એક ખોટો નંબર તેમની જિંદગીમાં ખુશીઓ લઈને આવ્યો. એક દિવસ લલિતાથી રાંચીના પેટ્રોલ પમ્પ પર સીસીટીવી ઓપરેટર તરીકે કામ કરતા રવિશંકર સિંહનો નંબર ભૂલથી ડાયલ થઈ ગયો અને તેમની વચ્ચે થોડી વાતો થઈ. પછી નિયમિત વાતો થવા માંડી અને તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં. આખરે તેમણે મે-2017માં લગ્ન કરી લીધા. ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયે લલિતાના ભાઈ તરીકે આ લગ્નમાં હાજરી આપેલી.

ચિત્તરંજન તિવારીએ પણ સોનાલી મુખરજી નામની એસિડ એટેક પીડિતાના પ્રેમમાં પડીને વિધિવત્ત લગ્ન કર્યા છે અને આજે તેઓ એક દીકરીનાં માતા-પિતા છે. આવાં વધુ ઉદાહરણો પણ ઉપલબ્ધ છે.
પ્રેમના આવા અપવાદરૂપ જ નહિ, બલકે અણમોલ  કિસ્સાઓ જ પ્રેમને વધારે ઊંચાઈ-સન્માન બક્ષે છે.

Wednesday, February 7, 2018

આરોગ્ય અને આપણો ‘અભય’

દિવ્યેશ વ્યાસ


તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કારથી નવાજાયેલા ડૉ. અભય અને ડૉ. રાની બંગના ‘આરોગ્ય અનુષ્ઠાન’માંથી ઘણું બધું શીખવા જેવું છે


(ડૉ. અભય બંગ અને ડૉ. રાની બંગની આ તસવીર વિકિ સ્રોતમાંથી મેળવી છે.)

કેન્દ્રીય બજેટમાં વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજનાની જાહેરાત કરવામાં આવી છે. રાજકીય લાભાલાભની વરવી ગણતરીઓ બાજું પર મૂકીએ તો એક વાતનો ચોક્કસ આનંદ વ્યક્ત કરી શકાય કે દેશની સૌથી મોટી સરકારે પોતાનાં આયોજનોમાં આરોગ્ય ક્ષેત્રને આટલું બધું પ્રાધ્યાન્ય આપ્યું છે. હેલ્થકેર યોજના ક્યારે સાકાર થશે, કેવું આયોજન થશે,  ખરેખર ગરીબ-વંચિત લોકો સુધી આરોગ્ય સુવિધાઓ ક્યારે પહોંચશે, એ બધા મહાપ્રશ્નો ઊભા જ છે, છતાં આરોગ્ય ક્ષેત્ર પર ફોકસ કરાયું, તે સકારાત્મક સંકેત છે. આપણા દેશની અનેક સમસ્યાઓનાં મૂળમાં બે મુખ્ય સમસ્યાઓ છે - આરોગ્ય અને શિક્ષણ. આ બે ક્ષેત્રમાં દેશ જેટલો સશક્ત બનશે, એટલા જ આપણે અન્ય તમામ ક્ષેત્રોમાં સશક્ત બની શકીશું. હેલ્થકેર યોજનાની સાથે સાથે તાજેતરમાં બીજા પણ એક સારા સમાચાર મળ્યા હતા કે મહારાષ્ટ્રના અંતરિયાળ ગઢચિરોલી જિલ્લામાં દાયકાઓથી ‘આરોગ્ય અનુષ્ઠાન’ ચલાવનાર દંપતી અભય અને  રાની બંગને પદ્મશ્રી પુરસ્કાર આપવાનું જાહેર થયું છે.

ડૉ. અભયભાઈ અને ડૉ. રાનીબહેને ગ્રામીણ આરોગ્ય ક્ષેત્રે જે અમૂલ્ય યોગદાન  આપ્યું છે, તેના માટે તેઓ પદ્મશ્રી કરતાં પણ મોટા સન્માનને હકદાર છે. ખેર, વર્તમાન સંજોગોમાં તેમના નામ અને કામની જે કદર થઈ છે અને તેમનાં સેવાકાર્યોની ચર્ચા શરૂ થઈ છે, એ ખરેખર આવશ્યક હતું જ અને આવકાર્ય પણ છે. ગઢચિરોલીમાં તેમણે આરોગ્યનો જે યજ્ઞ પ્રગટાવ્યો છે, તેનો દિવ્ય ઉજાસ સમગ્ર દેશમાં ફેલાય, એ સમયની માગ છે.

ગાંધીજીના સેવાગ્રામ આશ્રમમાં ઉછરેલા ડૉ. અભય બંગ ગાંધી વિચારની સાથે સાથે આચારનું પણ અનુસરણ કરનારા છે. તેમણે ધાર્યું  હોત તો તેઓ પણ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરીને કરોડો કમાઈ શક્યા હોત, પરંતુ તેમના દિલોદિમાગમાં છવાયેલું ‘ગાંધી તાવીજ’ તેમને એકદમ અંતરિયાળ અને તદ્દન પછાત વિસ્તાર ભણી લઈ ગયું. વર્ષ 2001માં કેનેડાના કેલગરી શહેરમાં બૃહન્મહારાષ્ટ્ર અધિવેશન દરમિયાન અમેરિકા-કેનેડામાં વસતા ભારતીયો સમક્ષ અભયભાઈએ પોતાનું ખૂબ જ જાણીતું ‘સેવાગ્રામથી શોધગ્રામ’ વક્તવ્ય આપ્યું હતું. ગુજરાત માટે રાજી થવાય એવી વાત એ છે કે આ ભાષણની પુસ્તિકા સૌથી પહેલાં અંગ્રેજી અને ગુજરાતીમાં વર્ષ 2001માં પ્રકાશિત થઈ હતી અને ત્યાર પછી તેનો અન્ય ભાષાઓમાં અનુવાદ થયેલો.

ડૉ. અભય બંગે ‘સેવાગ્રામથી શોધગ્રામ’માં પોતાના આરોગ્ય અનુષ્ઠાનની વિગતે વાત કરી છે. અભયભાઈની આ સેવા-સફરમાંથી પસાર થઈએ તો દેશના ગ્રામીણ વિસ્તારોની આરોગ્યની અનેક સમસ્યાઓના ઉકેલ આપણને સાંપડી શકે છે. આદિવાસી બહુમતી ધરાવતા ગઢચિરોલીમાં ડૉ. અભયભાઈ અને ડૉ. રાનીબહેને મહિલાઓની આરોગ્ય સમસ્યાઓથી માંડીને નવજાતશિશુઓનાં મોતને નિવારવા માટે જે કંઈ પ્રયોગો-પ્રયાસો અને સંશોધનો કર્યા તથા લોકોના સહકાર થકી જે કંઈ સફળતાઓ મેળવી, તેની વૈશ્વિક સ્તરે પણ નોંધ લેવાઈ છે તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પોતાની નીતિ-રણનીતિઓમાં પણ પરિવર્તનો કરેલાં છે. આ ડૉક્ટર દંપતીએ આદિવાસી સમાજની સેવા કરવાની સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે સંશોધનનું બહુ પાયાનુ કામ કર્યું છે. તેઓનાં સંશોધન-પત્રો (રિસર્ચ પેપર્સ) અનેક પ્રતિષ્ઠિત હેલ્થ જર્નલ્સમાં છપાયાં છે અને માર્ગદર્શક નીવડ્યા છે.

આશા રાખીએ વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના વહેલી તકે દેશમાં અમલી બને અને તેનાં આયોજનો અને અમલીકરણ વેપારી મનોવૃત્તિવાળા લોકોના હાથમાં જવાને બદલે સેવાવૃત્તિ ધરાવતાં ડૉ. અભય અને ડૉ. રાની બંગ જેવા નિષ્ઠાવાન લોકોને સોંપાય.

(‘દિવ્ય ભાસ્કર’ની 7મી ફેબ્રુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કટારની મૂળ પ્રત)
(‘સેવાગ્રામથી શોધગ્રામ’ની હિંદી આવૃત્તિ માટે આ લિંક https://www.freehindipdfbooks.com/download-now/sevagram-se-shodhgram-abhay-bang/ અને  અંગ્રેજી આવૃત્તિ માટે આ લિંક http://www.vidyaonline.org/dl/s2s-english.pdf ક્લિક કરી શકો છો. આ બન્ને લિંક પરથી તમે આ પુસ્તિકા પીડીએફ ફોર્મેટમાં ફ્રી ડાઉનલોડ કરી શકો છો.)