Showing posts with label દિવ્યેશ. Show all posts
Showing posts with label દિવ્યેશ. Show all posts

Tuesday, August 17, 2021

રાણી નાયિકી દેવી : ખૂબ લડી મર્દાની વો તો ગુજરાત કી રાની થી!

ડૉ. દિવ્યેશ વ્યાસ


સોલંકી વંશના શાસનકાળમાં રાણી/રાજમાતા નાયિકી દેવીએ પોતાના પ્રચંડ પરાક્રમથી મોહમ્મદ ઘોરીને રણભૂમિમાં એવી ધોબીપછાડ આપી કે ફરી ગુજરાત પર આક્રમણ કરવાનું વિચારી પણ ન શક્યો!

રાણી નાયિકી દેવીનું એક કાલ્પનિક ચિત્ર. (સૌજન્યઃ ગૂગલ ઇમેજ)


ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતને પદક અપાવનારાઓની યાદીમાં રમતવીરો કરતાં રમત-વિરાંગનાઓની યાદી લાંબી થાય છે, તેનાં મૂળ આપણી પરંપરા અને ઇતિહાસમાં પડેલાં છે. સર્જન હોય કે સંઘર્ષ, ભારતીય નારીએ સદીઓથી પોતાનું હીર બતાવ્યું છે. મહિષાસુરમર્દિનીથી લઈને બાંગ્લાદેશ-સર્જિની સુધીનો આપણો નારીશૌર્યનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. આપણા દેશમાં સુશાસન માટે રાણી અહલ્યાબાઈ તો સંઘર્ષ-યુદ્ધમાં રાણી લક્ષ્મીબાઈ જેવાં જ્વલંત ઉદાહરણો જોવા મળે છે. આજે વાત કરવી છે, એવાં રાણી અને રાજમાતાની જેમણે પોતાના પ્રચંડ પરાક્રમ અને શૌર્યથી કુખ્યાત વિદેશી આક્રાંતા મોહમ્મદ ઘોરીને યુદ્ધમેદાનમાં એવી ધોબીપછાડ આપેલી કે તે ફરી ગુજરાત પર આક્રમણ કરવાનો તો વિચાર સુધ્ધાં કરી શક્યો હતો.

હા, આ રાજમાતા એટલે સોલંકી વંશનાં રાણી નાયિકી દેવી. પતિ અજયપાલની (ગુજરાતના અશોક તરીકે જાણીતા કુમારપાળના સુપુત્ર) અંગરક્ષક દ્વારા જ 1176માં હત્યા કરવામાં આવી પછી તેમના દીકરા મૂળરાજ બીજાને બાળવયે જ રાજા બનાવાયો હતો. પુત્ર મૂળરાજ બીજાને પ્રતીકાત્મક રીતે રાજાની પદવી આપવામાં આવી ત્યારે રાજ્યનાં શાસન અને સુરક્ષાનાં સુકાન રાણી નાયિકી દેવીએ ખૂબ સારી રીતે સંભાળી લીધાં હતાં. મોહમ્મદ ઘોરીએ 1178ની સાલમાં હિંદુસ્તાન પર આક્રમણ કરવાનું વિચારી રહ્યો હતો ત્યારે તેણે વિચાર્યું કે ગુજરાતના સમૃદ્ધ રાજ્ય અણહિલવાડ પાટણના બાળારાજા અને વિધવા રાજમાતાના રાજ્ય પર જ હલ્લો બોલાવી દઈએ એટલે આસાનીથી યુદ્ધ જીતી લેવાશે. જોકે, ઘોરીનાં તમામ પાસા ઊલટા પડ્યા અને રાણી નાયિકી દેવીના શૌર્ય અને આક્રમક યુદ્ધનીતિને કારણે તેણે ઊભી પૂંછડિયે રણમેદાનમાંથી ભાગવું પડ્યું અને તે ફરી ક્યારેય સપનામાં પણ ગુજરાત પર આક્રમણ કરવાનું વિચારી શક્યો નહોતો.

(રણમેદાનમાં દુશ્મન સૈનિકોનો કચ્ચરઘાણ વાળતી ગજસેનાની પ્રતીકાત્મક તસવીર  સૌજન્યઃ ગૂગલ ઇમેજ)

રાણી નાયિકી દેવી મૂળે તો ગોવાનાં રાજકુંવરી હતાં. કદંબ વંશના ગોવાના મહામંડલેશ્વર શિવચિત્તા પરમાંડીનાં દીકરી હતાં. બાળપણથી જ તેમને તલવારબાજી, ઘોડેસવારી, યુદ્ધનીતિ, કુટનીતિ અને રાજ્યશાસનની તાલીમ આપવામાં આવી હતી. તેઓ વિવિધ શસ્ત્રો ચલાવી શકતાં હતાં અને આક્રમક રણનીતિ થકી દુશ્મનોના દાંત ખાટા કરવાનું કૌવત ધરાવતાં હતાં. ઘોરી સામેના યુદ્ધ પહેલાં તેમણે પોતાની કુટનીતિ થકી ચાલુક્ય વંશના સામંતોનો સાથ-સહકાર મેળવ્યો હતો અને ઘોરીના વિશાળ સૈન્ય સામે મજબૂત લશ્કર તૈયાર કર્યું હતું, જેની ઘોરીને કલ્પના પણ નહોતી. યુદ્ધનીતિમાં માહેર રાણી નાયિકી દેવીએ યુદ્ધ આબુ પર્વતની તળેટીમાં ગદરઘાટના વિસ્તારમાં કયાદરા/કસાહરદા ખાતે લડાય, એવી વ્યૂહરચના અપનાવેલી, જ્યાં ઓછા સૈનિકો સાથે પણ વિશાળ સૈન્યને હંફાવી શકાય. યુદ્ધની તૈયારી માટે તથા પ્રજાજનોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે પૂરતો સમય મળી રહે એ માટે રાણી નાયિકી દેવીએ પોતે ઘોરીની તમામ શરતો માની લેવા તૈયાર છે, એવો ડોળ કરવાની કૂટનીતિ અપનાવી હોવાનું કહેવાય છે. ઘોરી અને તેના સૈન્ય માટે સાવ અજાણ એવા રણભૂમિ પર અચાનક આક્રમણ કરીને તાલીમબદ્ધ હાથીઓ પર સવાર યૌદ્ધાઓએ વિરોધી સેનાનો કચ્ચરઘાણ વાળવાનો શરૂ કર્યો હતો.

ઘોરીને પરાસ્ત કરવા માટે રાણી નાયિકી દેવીએ પોતે જ યુદ્ધમેદાનમાં ઊતરીને પોતાની તલવારથી દુશ્મન સૈનિકોનાં માથાં ગાજરની માફક વાઢી નાખ્યાં હતાં. પોતાની ગજસેના અને અશ્વસેના સાથેના તાલીમબદ્ધ સૈનિકોએ ઘોરીના સૈન્યનો એવો ખાતમો બોલાવ્યો કે સૈનિકો જીવ બચાવીને જે કોઈ દિશામાં ભાગવા મળ્યું ત્યાં ભાગવા લાગ્યા હતા. કહેવાય છે કે આ યુદ્ધમાં નાયિકી દેવીના હાથે ઘોરી ખૂબ જ ખરાબ રીતે ઘવાયો હતો. મોત ભાળી ચૂકલો ઘોરી યુદ્ધમેદાન છોડીને ઊભી પૂંછડિયે ભાગ્યો હતો. એ એટલો બધો ગભરાઈ ગયેલો કે ઘાયલ હોવા છતાં સારવાર માટે પણ વચ્ચે ક્યાંય રોકાયો નહોતો અને છેક મુલતાન પહોંચીને જ ઘોડા પરથી ઊતર્યો હતો!

આ જ મોહમ્મદ ઘોરીએ 1192માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા હતા, પરંતુ એના 14 વર્ષ પહેલાં તેણે એક ગુજરાતી રાણીની સામે રણમેદાનમાં ધોબીપછાડ ખાવી પડી હતી, એ અમીટ ઇતિહાસ છે. રાણીના અદમ્ય સાહસ અને શૌર્યનો ઉલ્લેખ સોલંકી કાળના શિલાલેખોમાં તો વાંચવા મળે જ છે, એ ઉપરાંત ગુજરાતી કવિ સોમેશ્વર તથા ઉદયપ્રભા સુરી સરીખા કવિઓનાં કાવ્યોમાં પણ નાયિકી દેવી અને તેમના સૈન્યની શૌર્યગાથા જાણવા મળે છે. 13 સદીમાં લખાયેલા ફારસી ઇતિહાસ-ગ્રંથ ‘મિન્હાજ-એ-સિરાજ’માં પણ હાથીઓની મદદથી લડાયેલી આ લડાઈના વિજયનો ઉલ્લેખ જોવા મળે છે. 16મી સદીના ઇતિહાસકાર બદાઉનીએ પણ આક્રાંતાઓને મળેલા પરાજયનો ઉલ્લેખ કરેલો છે. જૈન ઇતિહાસકાર મેરુતુંગે લખેલા ‘પ્રબંધ ચિંતામણિ’માં પણ નાયિકી દેવીના શૌર્યની ગાથાનો ઉલ્લેખ છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યની વાત કરીએ તો ધૂમકેતુએ ‘નાયિકા દેવી’  નામની એક નવલકથા લખેલી છે.

કહેવાય છે કે રાણી નાયિકીની દીકરી કુર્મા દેવી પણ તેમના જેવાં જ શૌર્યવાન હતાં અને તેમણે યુદ્ધમેદાનમાં કુતબુદ્દીન ઐબકને માત આપી હતી. રાણી લક્ષ્મીબાઈ, રાણી તારાબાઈ, રાણી દુર્ગામતી, રાણી અબ્બકા ચૌટા, કિત્તુરના રાણી ચેનમ્મા જેવાં નારીશૌર્યનાં જ્વલંત ઉદાહરણોની હરોળમાં સ્થાન પામી શકે એવાં ગુજરાતનાં રાણી નાયિકી દેવી વિશે બહુ ઓછી જાણકારી અને જાગૃતિ આપણા રાજ્યમાં જોવા મળે છે, તે આપણી એક મોટી કમનસીબી છે. રાજમાતા નાયિકી દેવી ઇતિહાસનું એવું ગૌરવવંતુ પ્રકરણ છે, જે ગુજરાત રાજ્ય જ નહિ, સમગ્ર દેશની નારીશક્તિને સદીઓ સુધી પ્રોત્સાહન અને પ્રેરણા પૂરું પાડતું રહેશે.

(‘સાધના’ સાપ્તાહિકના 15મી ઑગસ્ટ, 2021ના વિશેષાંક ‘ભારતની યુદ્ધકથાઓ’માં પ્રકાશિત મારો લેખ)

Thursday, December 31, 2020

‘આપ સૌના વતી સ્વીકારું છું’

ડૉ. દિવ્યેશ વ્યાસ


27મી ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદનું 50મું અધિવેશન શરૂ થયું અને પ્રારંભે નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહનો પદગ્રહણ સમારંભ યોજાયો.આ ઐતિહાસિક ક્ષણના વર્ચ્યુઅલ નહિ, પણ સદેહે સાક્ષી બનવાનું થયું. ગુજરાતી ભાષાના કરોડો પ્રેમીઓના લાભાર્થે એ સમારંભની કેટલીક વિગતો અહીં રજૂ કરી છે

(માધવ રામાનુજના હસ્તે નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહને પદભારનું પ્રતીક અર્પણ કરવામાં આવ્યું હતું. તસવીરઃ દિવ્યેશ વ્યાસ) 

ઔદ્યોગિક ક્રાંતિ હોય, મજૂર આંદોલન હોય કે આઝાદીનો જંગ.... અનેક ઐતિહાસિક અધ્યાયોનું સાક્ષી બનેલું અમદાવાદ શહેર 27મી ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના 50મા અધિવેશનનું પણ સાક્ષી બન્યું. માત્ર 50ના શુકનવંતા આંકડાને કારણે નહિ, પરંતુ બીજાં પણ કેટલાંક કારણોસર આ અધિવેશન ઐતિહાસિક બની રહ્યું. સૌથી મોટું કારણ – 115 વર્ષ જૂની પરિષદનું આ સૌપ્રથમ ઓનલાઇન અધિવેશન હતું. ઓનલાઇનનું મહત્ત્વ એટલે છે કે ઓનલાઇન હોય તે આપોઆપ વિશ્વવ્યાપક બની રહે છે! અધિવેશનનું પ્રારંભિક સત્ર રા.વિ. પાઠક સભાગૃહમાં યોજાયું હતું, પરંતુ સભાખંડ બહાર દેશ-દુનિયામાં ફેલાયેલા સેંકડો ગુજરાતી-પ્રેમીઓ ઇન્ટરનેટના તાંતણે તેની સાથે જોડાઈ શક્યા હતા. માત્ર શ્રોતાઓ જ નહિ, પરંતુ કેટલાક વક્તાઓ અને ખુદ અતિથિવિશેષ પણ સ્થળ પર હાજર ન હોવા છતાં હાજરોહાજર હતા! બીજું કારણ એ કે અમદાવાદ લગભગ છ દાયકા પછી અધિવેશનનું યજમાન શહેર બનવા પામ્યું. અલબત્ત, એમાં કોવિડ-19 મહામારીની ભૂમિકા સ્વીકારવી રહી. કદાચ એટલે જ અધિવેશન અંતર્ગત ‘મહામારીના સમયમાં સાહિત્ય’ પર પરિસંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું. મહામારી સંદર્ભે સાહિત્ય સત્ર યોજાય, એ પણ ઐતિહાસિક બાબત ગણાય. અહીં એ પણ ઉમેરવું રહ્યું કે 50મા અધિવેશનમાં પ્રકાશ ન. શાહ સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ સંભાળનાર 51મી વ્યક્તિ બન્યા.

ગુજરાતી સાહિત્ય પરિષદના નવા ચૂંટાયેલા પ્રમુખનો પદગ્રહણ સમારંભ 27 ડિસેમ્બર, 2020, રવિવારે જૂની-નવી મધ્યસ્થ-સમિતિના સભ્યોની બેઠક બાદ બપોરે 3 વાગ્યે યોજાયો હતો. પદગ્રહણ સમારંભનો પ્રારંભ ‘જય જય ગરવી ગુજરાત...’ના ગાન સાથે થયો હતો. પરિષદના નવા વરાયેલા ઉપપ્રમુખ પ્રફુલ્લ રાવલે સૌનું સ્વાગત કર્યું હતું અને પરિષદની પ્રવૃત્તિઓનો આછો પરિચય આપીને ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિષદ ગુજરાતી ભાષાને ચાહનારા સૌ કોઈની છે. પ્રકાશભાઈની શબ્દ, શૈલી અને સાહિત્યની સમજના પુરાવા રૂપ એક કિસ્સો યાદ કરતાં પ્રફુલ્લભાઈએ કહેલું, એક વખત ‘રંગતરંગ’નું ટાઇટલ છપાઈ ગયું હતું, જેમાં લાભશંકર ઠાકરે આગામી અંકમાં પોતે શું લખવાના છે, તે એક વાક્યમાં જણાવેલું. પણ હાર્ટએટેક આવતાં તેઓ એ લેખ લખવાની સ્થિતિમાં નહોતા ત્યારે પ્રકાશભાઈ અસ્સલ લાઠાશૈલીમાં એ એક વાક્યના આધારે આખો લેખ લખેલો!

(તસવીરમાં ડાબેથી કીર્તિદાબહેન શાહ, માધવ રામાનુજ, પ્રકાશ ન. શાહ અને પ્રફુલ્લભાઈ રાવલ તસવીરઃ દિવ્યેશ વ્યાસ)

લેખક-નાટ્યકાર પ્રવીણ પંડ્યાએ પોતાના વિડિયો વક્તવ્ય થકી પ્રકાશભાઈનો પરિચય આપ્યો હતો. પ્રવીણભાઈએ પ્રકાશભાઈના વ્યક્તિત્વનાં મુખ્ય ત્રણ પાસાં (પ્રજાકીય રાજનીતિના આગેવાન, પત્રકાર-તંત્રી, અધ્યાપક તથા પરિવાર પ્રેમી/મિત્ર-પ્રેમી વ્યક્તિ) થકી તેમના જીવન અને કવનનો આછેરો પરિચય કરાવ્યો હતો. પ્રકાશભાઈનો પરિચય કરાવતાં તેમણે એક ખૂબી જણાવી હતી કે તેઓ કોઈ ઓળખમાં બંધાયા નથી! કટોકટી દરમિયાન સ્વતંત્રતા અને સ્વાયત્તતાની તરફેણ કરીને મિસા અંતર્ગત જેલવાસ ભોગવેલો, એનો ઉલ્લેખ કરતાં પ્રવીણભાઈએ કહેલું, ‘કટોકટી દરમિયાન જેલમાં જનારા તેઓ એકલા નહોતા, પરંતુ તેમણે આજે પણ એ મૂલ્યો જાળવી રાખ્યાં છે.’ નાગરિક સંગઠનોને નેતૃત્વ પૂરું પાડનારા પ્રકાશભાઈની દરેક પ્રજાકીય આંદોલનમાં સક્રિય ભૂમિકાને યાદ કરીને તેમના નિશ્કલંક અને મૂલ્યઆધારિત જાહેરજીવનની વાત કરતાં કરતાં પ્રવીણભાઈએ વિધાન કરેલું કે, ‘જયંતિ દલાલ પછી તેઓ પહેલા એવા પ્રમુખ છે, જેમને ગુજરાતની જનતા જ નહિ, શાસકો પણ સારી રીતે જાણે છે.’ ‘સમકાલીન’ ‘જનસત્તા’ અને ‘દિવ્ય ભાસ્કર’ સહિતનાં અખબારોમાં કરેલા 42 વર્ષના પત્રકારત્વને સંભારીને તેમણે ઉમેરેલું કે પત્રકારત્વમાં તેમણે શેરીનાટક કરનાર જેવી ભૂમિકા ભજવી છે અને ઘોંઘાટિયા ટીવી-અખબારી પત્રકારત્વ વચ્ચે તેઓ એક નરવો, નિષ્કલંક અને નક્કર અવાજ બની રહ્યા છે. તેમણે નવા કવિ-સર્જકોને પ્રોત્સાહન આપવાની પ્રકાશભાઈની વિશેષતાને પણ સંભારી હતી.

પ્રમુખ પદની ચૂંટણી લડનારા હરિકૃષ્ણ પાઠક અને હર્ષદ ત્રિવેદી તથા કુલીનચંદ્ર યાજ્ઞિક તરફથી શુભેચ્છા સંદેશા મળ્યાની નોંધ લીધા પછી પરિષદના હયાત પૂર્વ પ્રમુખોના વિડિયો સંદેશા પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં રઘુવીર ચૌધરીએ સાહિત્ય પરિષદની ઑફિસ મુંબઈથી અમદાવાદ આવ્યા પછી અહીં પરિષદનો કેવો વિકાસ થયો, કેવા કેવા વિભાગો શરૂ કરાયા એની ટૂંકી વાત કરી હતી. ધીરુબહેન પટેલે પ્રકાશભાઈમાં વિશ્વાસ વ્યક્ત કરીને એવી આશા સેવી હતી કે પરિષદ હવે વાદવિવાદનો અખાડો મટીને સરસ્વતીનું મંદિર બનશે. તો કુમાળપાળ દેસાઈએ કહેલું કે શુભ શુકનની શરૂઆત પ્રકાશભાઈના ચૂંટાવા સાથે થઈ છે. રણજિતરામની કલ્પના સાકાર થવાની સંભાવના ઊભી થઈ છે. પ્રકાશભાઈ સામે સર્જકોને એક સાથે રાખવાનો પડકાર છે અને તેમનામાં બધાને સાથે રાખવાની કુનેહ પણ છે. વર્ષા અડાલજાએ પરિષદની ભાવિ યોજનાઓ કેવી હોવી જોઈએ, એની ટૂંકી રૂપરેખા આપવા સાથે પરિષદ સામેના સૌથી મોટા આર્થિક પડકારની પણ ઝીકર કરી હતી. ધીરુભાઈ પરીખે પ્રકાશભાઈને શુભેચ્છા આપવા ઉપરાંત સારું કામ થશે એવો આશાવાદ વ્યક્ત કરીને બેટૂક વાત કરી હતી કે કામ સારું થશે તો પરિષદની આબરૂમાં બે ટકાનો વધારો થશે! અત્રે ઉલ્લેખનીય છે કે ટોપીવાળાસાહેબે વિડિયો નહિ, પરંતુ લેખિત સંદેશો મોકલાવેલો.

પૂર્વ પ્રમુખોના સંદેશા પછી પ્રકાશભાઈને સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પદભારનું પ્રતીક એનાયત કરવાનો વિધિ સમ્પન્ન કરાયો હતો. પરિષદની મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા અને નવા/ફરી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા માધવ રામાનુજે પ્રકાશભાઈને એ પ્રતીક અર્પણ કર્યું હતું. પ્રતીક આપતાં માધવભાઈએ કહ્યું, ‘આપ સૌના વતી આપું છું.’ પ્રતીક સ્વીકારતાં પ્રકાશભાઈએ તેમની શૈલીમાં સહજપણે કહેલું, ‘આપ સૌના વતી સ્વીકારું છું.’

પદભાર સોંપણીના વિધિ પછી વિદાય લેતા પરિષદ પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રનું વિડિયો વક્તવ્ય રજૂ થયું હતું. સિતાંશુભાઈએ પ્રારંભે જ કહેલું, નિવૃત્તિ વેળાએ ધરપત છે કે આજીવન સભ્યોએ આગામી અગત્યનાં વર્ષોમાં પ્રકાશભાઈને પ્રમુખ તરીકે ચૂંટ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રમુખ સહિતના સૌ નવા હોદ્દેદારો પરિષદનાં મૂલ્યો, બંધારણ અને અગાઉ કરવામાં આવેલા ઠરાવોને વળગી રહીને કામ કરશે. સૌ પરિષદના, નહિ કે અન્યના ઉદ્દેશોને પાર પાડવામાં કામે લાગશે, એવી સૌને આશા વ્યક્ત કરી હતી. તેમણે ગુજરાત સરકાર અને સમાજસેવીઓ સહિત સૌને કૃષ્ણલાલ શ્રીધરાણીના ‘સ્વરાજ રક્ષક’ કથાકાવ્યની યાદ અપાવી હતી અને તાતા તીર જેવા સવાલો કરેલા કે ઔરંગઝેબી પરિબળો સામે રક્ષણ આપનારા છત્રપતિ શિવાજી આજે છે કે નહીં? સ્વામી રામદાસ જેવા ગુરુ છે? સિતાંશુભાઈએ પોતાના કાર્યકાળ દ્વારા થયેલાં કાર્યોમાં ખાસ કરીને ‘નોળવેલની મહેક’ની ઓનલાઇન બેઠકોને ખાસ સંભારી હતી તથા સહયોગ કરનારા લોકો અને સંસ્થાઓનો આભાર માન્યો હતો.

સમારંભના અતિથિવિશેષ વિપુલ કલ્યાણીએ પોતાના વિડિયો વક્તવ્યમાં પરિષદ સાથેનો પોતાનો દાયકાઓ જૂનો સંબંધ અને અગાઉનાં અધિવેશનોનાં સંભારણાંઓ વાગોળ્યા હતા. તેમને અતિથિવિશેષ પદે બેસાડવામાં આવ્યા, તેમાં ગુજરાતી ડાયસ્પોરિક સમુદાયના બહુમાન હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં ખાસ કરીને કોરોના કાળમાં ગાંધીજીના તાવીજને સંભાર્યું હતું અને કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ વખતે ગાંધીજીના તાવીજને ધ્યાનમાં રાખવા અપીલ કરી હતી.

પરિષદ પ્રમુખનો પદભાર સંભાળ્યા પછી પ્રકાશભાઈએ પ્રમુખીય પ્રવચન વાંચીને સંભળાવ્યું હતું. (કદાચ જીવનમાં પહેલી વાર લખેલું વાંચીને બોલ્યા હશે) તેમના ભાષણનું શીર્ષક હતું – ‘રણજિતરામના સિપાહી હોવું એટલે’ પ્રકાશભાઈએ તેમના વક્તવ્યના પ્રારંભમાં જ યાદ કરેલું કે ચૂંટણી જીત્યા પછી પહેલીવાર મીડિયા સાથે વાત કરવાનું બન્યું ત્યારે ‘મારો સહજોદ્ગાર હતો કે નર્મદકીધો કડખેદ હોઉં કે ન હોઉં પણ રણજિતરામનો સિપાહી ખસૂસ છું.’ પ્રકાશભાઈએ રણજિતરામની મુનશીએ કેવી છબિ ઝીલેલી તેની વાત કરવાની સાથે સાથે ઇન્દુચાચાના ‘નવજીવન અને સત્ય’ સામયિકના અગ્રલેખો થકી ગુજરાતની અસ્મિતાની વાત કરી હતી. રણજિતરામના ‘માસ્તર નંદનપ્રસાદ’ નામના શિક્ષકના પાત્રના હૃદયઉદ્ગારો થકી સમાજમાં વ્યાપ્ત એલિયેનેશન – વિસંબંધનની વાત કરી હતી. આ સંદર્ભે તેમણે કામૂને અને તેમનાં પાત્રોને પણ સંભાર્યાં હતાં. વિસંબંધનની ચર્ચાને આગળ વધારતાં તેમણે માર્ક્સ અને એન્ગલ્સને પણ યાદ કર્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં દલપતરામ, ફાર્બસ, નર્મદ અને ગોમાત્રિના યોગદાન અને દૃષ્ટિની નોંધ લીધેલી અને ભારપૂર્વક જણાવેલું કે, ‘સરસ્વતીની ઉપાસના અને ‘જાહેર સંડોવણી’ એ બે પરસ્પર વિરોધી લાગતાં હોય તોપણ પરસ્પર ઉપકારક હોઈ શકે છે. બલકે, તમે જેને સારસ્વત જીવન કહો, સાક્ષરજીવન કહો એમાં આપણા સમયના ‘બૌદ્ધિક’ની વ્યાખ્યામાં તો એ કદાચ અપરિહાર્ય જણાય છે.’ વક્તવ્યનું અંતિમ સૂચક વાક્ય હતું – ‘સાર્ત્ર ભલે ‘કન્ડેમ્ડ ટુ ચુઝ’ની ભાષા બોલે રણજિતરામનો સિપાહી તો કહેશે આઈ એમ કન્ડેમ્ડ ટુ ક્રિયેટ!

સમારંભના અંતે કીર્તિદાબહેન શાહે સૌનો આભાર માનેલો, જેમાં સૌથી પહેલો આભાર, ચૂંટણીથી લઈને તમામ પ્રકારની કામગીરીમાં ખડેપગે રહેતા પરિષદના કર્મચારીગણનો માન્યો હતો અને કર્મચારીઓને સ્ટેજ પર બોલાવતાં સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. પરિષદના કર્મચારીઓનું આવું સન્માન કદાચ પહેલી વાર થયું હશે!

(સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ પરથી તેની યુટ્યૂબ લિંક મળી શકે છે. પ્રકાશભાઈનું પ્રમુખીય વક્તવ્ય પુસ્તિકા સ્વરૂપે ઉપલબ્ધ છે તથા ‘પરબ’ના આગામી અંકમાં પ્રગટ થઈ શકે છે.)

Tuesday, September 10, 2019

સાધુ તો સ્વામી આનંદ સરીખા હોય

આસારામ અને નિત્યાનંદ જેવા કહેવાતા સાધુ-સંતોની પાપલીલાઓ 'શ્રદ્ધાળુ' સમાજને આહત કરી રહી છે ત્યારે 'દો રોટી, એક લંગોટી'નું સૂત્ર ચરિતાર્થ કરનારા સ્વામી આનંદ જેવા પવિત્ર વ્યક્તિત્વનું સ્મરણ તીવ્રપણે થવું સ્વાભાવિક છે


(જગન મહેતાએ પાડેલી આ તસવીર ગુજરાત સાહિત્ય પરિષદની વેબસાઇટ પરથી લીધેલી છે.)

દિવ્યેશ વ્યાસ

સુરેન્દ્રનગર કહો કે ઝાલાવાડ કહો, ગુજરાતના પછાત જિલ્લા-વિસ્તારમાં જેની ગણતરી થાય છે, એવા આ પ્રદેશે ગુજરાતને અનેક ગૌરવવંતા વ્યક્તિત્વો આપ્યા છે. દલપતરામ, પંડિત સુખલાલજી, મનુભાઈ પંચોળી 'દર્શક', પ્રજારામ રાવળ, મીન પિયાસી, જયભિખ્ખુ, દલસુખ માલવણિયા (પદ્મશ્રી ભાષાશાસ્ત્રી) જેવા કવિ-સાહિત્યકારો-ચિંતકો તો મોતીલાલ દરજી, ગોપાળભાઈ દેસાઈ, ભક્તિબા, ફૂલચંદભાઈ શાહ, ચીમનભાઈ વૈષ્ણવ અને સ્વામી શિવાનંદ જેવા ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાનીઓની સાથે સાથે જુગતરામ દવે અને બબલભાઈ મહેતા જેવા મોટા ગજાના રચનાત્મક કાર્યકર્તાઓ ઉપરાંત રસિકલાલ પરીખ, ઘનશ્યામ ઓઝા અને તાજેતરમાં દેહાંત પામેલા અરવિંદ આચાર્ય જેવા ખરા અર્થમાં લોકસેવકો તેમ જ ભાનુભાઈ શુકલ જેવા પ્રજાકીય પત્રકારોથી માંડીને સી.યુ. શાહ જેવા દાનવીરો, જે ધરતીએ પેદા કર્યા છે, એ જ ધરતીએ 'જૂની મૂડી' સાચવી રાખનારા, જીવન-સાધનાની 'અનંતકળા' જાણનારા, 'ધરતીની આરતી ' ઉતારનાર અને એક પણ પૈસો કે સહેજ પણ પ્રતિષ્ઠાની ખેવના રાખ્યા વિના 'ધરતીનું લૂણ' ચૂકવનાર સ્વામી આનંદને પણ પેદા કરેલા છે.

આજે ૮ સપ્ટેમ્બરના રોજ સ્વામી આનંદનો જન્મ દિવસ છે. સ્વામીજી પોતાનો જન્મદિવસ ઊજવતા નહોતા કે જાહેર કરતા નહોતા એટલે ચોક્કસ જન્મતારીખ અંગે મતમતાંતર પ્રવર્તે છે. સ્વામીદાદાના ગદ્ય પર પીએચ.ડી. કરનાર ગુલાબભાઈ દેઢિયા તેમની જન્મ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૧૮૮૭ નોંધે છે, પણ મોટા ભાગે ૮મી સપ્ટેમ્બર સ્વીકૃત છે. અલબત્ત, સ્વામીદાદાની જન્મતારીખ જે પણ હોય, આજે જ્યારે આસારામો અને નિત્યાનંદ સ્વામીઓ જેવા પાખંડી સાધુ-સંતોની પાપલીલાઓના ભાંડા ફૂટી રહ્યા છે ત્યારે 'દો રોટી, એક લંગોટી'નું સૂત્ર ચરિતાર્થ કરનારા સ્વામી આનંદનું તીવ્ર સ્મરણ થયા વિના રહેતું નથી.

સ્વામી આનંદ સાધુ જરૂર હતા, પણ તેમની આ પૂરી ઓળખાણ નથી, કારણ કે સ્વામી આનંદ ગુજરાતી ભાષાના ઉત્તમ ગદ્યકારોમાંના એક સાહિત્યકાર પણ હતા અને લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધી જેવા નેતાઓની આગેવાની હેઠળ આઝાદીની લડાઈના એક યૌદ્ધા પણ હતા, રચનાત્મક સેવાકાર્યો કરનારા સમાજસેવક પણ હતા. ટૂંકમાં કહી શકાય કે સ્વામી આનંદ મનથી એક નિઃસ્પૃહ સાધુ હતા, વચન એટલે કે શબ્દો થકી તેમણે એક પત્રકાર-સાહિત્યકાર તરીકે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને કર્મથી તેઓ સ્વાતંત્ર્ય-સેનાની તેમ જ સમાજસેવક પણ હતા.

સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ દવે હતું. તેમનો જન્મ સુરેન્દ્રનગરના શિયાણી ગામે એક શિક્ષકના સાધારણ પરિવારમાં થયો હતો. સ્વામી આનંદ માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમની માતાએ તેમને પોતાની બહેનને ખોળે દીધા હતા. ત્યાર પછીનું તેમનું બાળપણ મુંબઈમાં માસીના ઘરે લાડકોડથી વીત્યું હતું. સ્વામી આનંદ માત્ર દસ વર્ષના હતા ત્યારે એક સાધુ તેમને 'ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું' એમ કહીને ભગાડી ગયેલો. સ્વામી જાતભાતના ચિત્ર-વિચિત્ર સાધુબાવાઓનાં સંપર્કમાં આવ્યા, પણ આખરે તેમને ધર્મ અને સેવાના સમન્વયમાં માનનારા રામકૃષ્ણ મિશનના સાધુઓનો ભેટો થયો. એ પછી તેઓ આજીવન રામકૃષ્ણ મિશનના સાધુ બનીને રહ્યા હતા. અલબત્ત, તેમણે ભગવા નહીં પણ સફેદ વસ્ત્રો જ આજીવન પહેર્યા હતા. તેમણે કોઈ આશ્રમમાં રહીને માત્ર સાધના કરવાને બદલે લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા પછી લેખન-સંપાદન, પ્રેસ સંચાલન તેમ જ રચનાત્મક કાર્યો થકી આઝાદીના આંદોલનમાં ઝંપલાવ્યું હતું. મહાત્મા ગાંધીના આંદોલન અને નવજીવન પ્રેસના વિકાસમાં સ્વામીજીનો કેટલો મોટો ફાળો હતો, તે માટે ગાંધીજીનું એક વાક્ય કાફી છે, ‘જો મને સ્વામી આનંદની અથાક કાર્યશક્તિ અને સૂઝસમજનો લાભ ન મળ્યો હોત તો આ નવજીવનની જવાબદારી ઉપાડવાની મેં ના પાડી દીધી હોત.’ નવજીવનમાં સ્વામી આનંદના યોગદાન વિશે ગુલાબ દેઢિયાએ નોંધ્યું છે કે ‘છ-સાત હજાર કિંમતના નાના છાપખાનામાંથી નવજીવન મુદ્રણાલયને અમદાવાદનું એક આગેવાન છાપખાનું બનાવીને સ્વામીજીએ નવજીવન પ્રેસ છોડયું ત્યારે તેની મિલકત લગભગ બે લાખ રૂપિયા અંકાઈ હતી. છતાં સૌ જાણે છે કે નિઃસ્પૃહી સ્વામીજીએ પોતાના પગારની પાઈ સરખીયે તેમાંથી લીધી નહોતી. સાધુનું નિઃસ્પૃહીપણું તેમનામાં હતું.’

રૂપિયાની તો તેમને કોઈ તમા નહોતી જ સાથે સાથે તેમને પોતાના નામ-પ્રસિદ્ધિની પણ કોઈ ખેવના નહોતી. ગાંધીજીએ પોતાના સદાબહાર બેસ્ટસેલર પુસ્તક એટલે કે આત્મકથાની પ્રસ્તાવનામાં આત્મકથા લખવાનો ધક્કો કઈ રીતે સ્વામીજી તરફથી મળ્યો એની વાત કરી છે, પણ તેમણે આનો ક્યાંય ઉલ્લેખ કર્યો નહોતો. ઘણાં વર્ષો સુધી તેમણે પોતાનાં લખાણોનાં પુસ્તકો પણ છપાવ્યાં નહોતાં.

સ્વામીદાદાએ પોતાના 'અનંતકળા' નામના પુસ્તકના પ્રારંભમાં 'મારી કેફિયત' શીર્ષક હેઠળની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘સાધુ 'દો રોટી, એક લંગોટી'નો હકદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે, તેટલું અણહકનું, હકબહારનું. લીધેલાની દસ ગણી ફેડ એ ગૃહસ્થનો ગજ. સાધુનો સહસ્ત્રનો. સાધુ લે તેનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી, દુનિયાની ઘરેડે જ ચાલ્યો. અદકું કશું ન કર્યું. એથી વધુ કરે તેની વશેકાઈ.’ આજનો કયો સાધુ કે સંત આ કસોટીએ પાર ઊતરે? આજના પૈસા અને પ્રસિદ્ધિભૂખ્યા સાધુ-સંતો જોઈને રીતસર ચીતરી ચડે છે. આપણો સમાજ સ્વામી આનંદ જેવા સાધુઓને મનમાં આદર્શ તરીકે પણ યાદ રાખે તો ઝાંસારામો જેવાની શું મજાલ કે તેઓ પોતાની જાતને સાધુ કે સંત પણ કહેવડાવે!


(‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં 8મી સપ્ટેમ્બર, 2013ના અંકમાંપ્રકાશિત સમય સંકેત કૉલમ.)
(વિપુલભાઈ કલ્યાણીએ પોતાની વેબસાઇટ (https://opinionmagazine.co.uk/details/594/સાધુ-તો-સ્વામી-આનંદ-સરીખા-હોય) પર આ લેખ લીધેલો, એટલે અહીં આસાનીથી મૂકી શક્યો છું.)

Saturday, October 6, 2018

લોકશાહી શાસન પૂરતું નથી, લોકશાહી સમાજ હોવો જોઈએ : ગિરીશ પટેલ

દિવ્યેશ વ્યાસ
તેજસ વૈદ્ય

(ગિરીશભાઈની આ તસવીર https://counterview.org પરથી લીધેલી છે.)


પ્રશ્ન: લોકશાહી અંગે આપના વિચારો શું છે? આઝાદી પછી આપણે કયાં થાપ ખાધી છે?

ગિરીશભાઈ: ‘લોકશાહી’ના ખયાલનો વિકાસ તેની દાયકાઓ જૂની વ્યાખ્યા ‘લોકો દ્વારા ચાલતી, લોકો માટેની, લોકોની બનેલી સરકાર’ મુજબ થયેલો છે. જે રાજયમાં એકહથ્થું શાસન હોય, તેમાં બળનું એકત્રીકરણ હોય છે. કાયદો બનાવવાની, અમલમાં મૂકવાની અને કાયદામાં નિયમો બનાવવાની સત્તા એટલે સમાજને સ્પર્શતા દરેક સવાલ અંગે રાજ્ય પાસે સત્તા રહેલી છે.

એક જમાનામાં રાજાશાહીનો ખયાલ હતો કે રાજા રાજ ચલાવે અને લોકો તેની પ્રજા ગણાય. અલબત્ત, માત્ર સુશાસન હોય તે પૂરતું નથી, પરંતુ સ્વશાસન હોવું જરૂરી છે. સુશાસન એક વસ્તુ છે અને સ્વશાસન તેનાથી ઘણી જુદી વસ્તુ છે. લોકો પાસે સુખ-સુવિધા હોય, પણ તેમાં તેનું સ્થાન શું છે, તે મહત્ત્વનું છે. દરેક વ્યકિત સ્વતંત્ર વિચાર ધરાવે છે ત્યારે તેના વિકાસનો વિચાર બીજા કેમ કરી શકે? લોકોની જરૂરિયાતો સંતોષાતી હોય તોય લોકોને સ્વતંત્ર સ્વવિકાસની ઝંખના રહે જ છે. મનુષ્ય માત્ર મળેલું જીવન જીવવા જ અસ્તિત્વ ધરાવતો નથી, તેના માટે સ્વવિકાસ જરૂરી છે અને તે ત્યારે જ ફળીભૂત થઈ શકે જયારે મનુષ્ય સ્વતંત્રતા ભોગવતો હોય અને તંત્રમાં લેવાતા નિર્ણયોમાં તેની ભાગીદારી હોય. રાજય કે શાસન લોકો માટે હોય તે પૂરતું નથી, પરંતુ તે લોકોનું જ હોવું જોઈએ અને લોકો દ્વારા જ ચાલવું જોઈએ. સ્વશાસન ન હોય ત્યાં સુધી સુશાસન કદી સશક્ત ન બની શકે. આ બન્ને ખયાલો અલગ નથી, પણ પૂરક છે. લોકશાહીનો ખયાલ વિકસતો વિકસતો હવે વેલફેર સ્ટેટમાંથી આગળ વધીને વિકાસ રાજ્ય (ડેવલપમેન્ટ સ્ટેટ) સુધી પહોંચ્યો છે, જેમાં લોકોના વિકાસની ચિંતા સેવાય છે.

લોકોના વિકાસ માટે સ્વાતંત્ર્ય જરૂરી છે. તેનામાં ખુદનો અવાજ વ્યકત કરવાની અને પોતાના વિચારોને અમલમાં મૂકવાની શક્તિ હોવી જોઈએ. અલબત્ત, લોકશાહીમાં કોઈ એક વ્યક્તિ  માટે સમગ્ર વ્યવસ્થા નથી હોતી, સમગ્ર સમાજ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય છે. કોઈ વ્યવસ્થા કે પદ્ધતિ ઊભી કરવા પાછળનો ઉદ્દેશ માત્ર આ જ છે. અલબત્ત, કમનસીબે એવું બનતું હોય છે કે સંસ્થાકીય માળખું જ મહત્ત્વનું બની જાય છે અને તેનું હાર્દ મરી જાય છે. માત્ર માળખું જ રહે એ અગત્યનું નથી. લોકશાહી માળખા દ્વારા લોકોનું સ્વશાસન સિદ્ધ થયું છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. લોકશાહીનો ખયાલ આદર્શને સિદ્ધ કરવા માટેનો છે. સંસ્થાકીય માળખું અને લોકશાહી ત્યારે જ સફળ થાય જયારે આદર્શ અને માળખું બન્ને એક બને.

બંધારણનું આમુખ, મૂળભૂત અધિકારો ને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ ત્રણેય ભાગો બંધારણનો આત્મા છે. તેનો ઉદ્દેશ સુશાસન અને સ્વશાસન સ્થાપવાનો છે. માત્ર લોકશાહી રાજ્ય એટલું જ પૂરતું નથી, લોકશાહી સમાજ હોવો જરૂરી છે. બંધારણ લોકશાહી રાજ્ય સ્થાપે છે. કુટુંબ સહિત સમાજના દરેક ભાગમાં લોકશાહીની ભાવના વ્યક્ત થવી જોઈએ અને તેમાં ભાગીદારીપૂર્ણ લોકશાહી (પાર્ટીસીપેટરી ડેમોક્રસી) એ લોકશાહીનો આદર્શ હોવો જોઈએ. આપણે બંધારણ તો બનાવ્યું પણ તે મુજબનો સમાજ ન હતો. ઊંચ-નીચના ભેદ, ધર્મ-સંપ્રદાયના પ્રશ્નો, આદિવાસી-દલિતના પ્રશ્નો વગેરે અનેક સમસ્યાઓ હતી. ખ્યાલ એવો હતો કે નવું બંધારણ દેશમાં પરિવર્તન લાવવાનું બળ બનશે અને તે માટેના પ્રયત્નો કરવામાં આવશે, પરંતુ બન્યું એવું કે સામાજિક માળખું એટલી હદે બળવત્તર રહ્યું કે કે બંધારણને હડપ કરી ગયું. આમ, ખરેખર બંધારણ એ કોઈ સિદ્ધ થયેલી હકીકત ન હતી, સિદ્ધ કરવાનું હતું. આ ભૂલને લીધે સમાજનું પાયાગત પરિવર્તન થવું જોઈતું હતું, પરંતુ તે પ્રક્રિયા તૂટી ગઈ. પ્રજાની અંદર જ સહિષ્ણુતા અને લોકશાહીની ભાવના નહિ હોય તો લોકશાહી ટકશે નહીં. તેથી લોકશાહીમાં લોકોની જવાબદારી મહત્ત્વની છે.

ભારતમાં એકવીસમી સદીમાં પ્રવેશ્યું છે ત્યારે ઘણી વિપરીત પરિસ્થિતિઓ સામે આવીને ઊભી છે. લોકશાહી સમાજ માટેના પ્રયત્નો થવા જોઈએ, તે ન થયા તેને કારણે આમ થયું છે. આજે સક્રિયતા ઘણી જોવા મળે છે, તેની ના નહીં, પરંતુ ઘણું અઘકચરું રહી ગયું છે. કામ કરનારા ઓછા થતાં જાય છે, તંત્ર નબળું પડતું જાય છે. આજની પરિસ્થિતિ નિરાશાજનક છે. મૂલ્યો ઓછાં થતાં જાય છે. સ્ત્રીઓની આધુનિકતાની વાત ચાલે છે, પરંતુ સ્ત્રી કયાંય વ્યક્તિ બનતી નથી. એક જગ્યાએ સ્ત્રી મોડલ બને છે તો એક જગ્યાએ સ્ત્રીને સળગાવી દેવામાં આવે છે. વિજ્ઞાનની તકનીકોમાં આપણે ઘણી સિદ્ધિ મેળવી છે, પરંતુ પાયાનો સ્તર નબળો પડી રહ્યો છે.

ગિરીશભાઈના અમૃત પર્વ નિમિત્તે સન્માન સમિતિ દ્વારા પ્રકાશિત પુસ્તક
પ્રશ્ન: ન્યાયતંત્રમાં જાહેર હિતની અરજીનું મહત્ત્વ અને ફાળો શું છે?

ગિરીશભાઈ: આઝાદી પછી આપણે લોકોનું શાસન સ્થાપવાનું હતું, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તેવી હતી નહીં એટલે બંધારણ આવ્યા પછી આજે એનાં પરિણામે લોકોએ ચૂંટેલી સરકારો તો આવી, પરંતુ લોકોની સરકાર ન આવી. કાયદો ગમે તેટલો સારો હોય, પરંતુ તે કદી પોતાની મેળે અમલમાં આવતો નથી. જે કાયદા બન્યા છે, તેનો અમલ થવો જોઈએ. કાયદાના અસરકારક અમલ માટે લોકોમાં જાગૃતિ હોવી જરૂરી છે. જાગૃતિ પણ માત્ર ઉપરછલ્લી કે ખપ પૂરતી નહીં. માત્ર જ્ઞાન પૂરતું નથી, પરંતુ તે અમલમાં મૂકવાની ક્ષમતા હોવી જોઈએ.

આ પરિસ્થિતિમાં બંધારણ બન્યા પછી ઈ.સ. ૧૯૮૦ સુધી સામાન્ય લોકો કોર્ટમાં આવતા, પણ તેના માટે નાણાં અને ધીરજ જોઈએ. સામાન્ય માણસો એમના મૂળભૂત અધિકારો માટે લાચાર હતા. જેના અધિકારનું હનન થાય તે જ કોર્ટમાં જઈ શકે એ કાયદો બદલાયો. સુપ્રીમે ઈ.સ. ૧૯૮૨માં જાહેર હિતની અરજીનો સિદ્ધાંત સ્થાપ્યો.

જે કેસમાં વ્યકિતગત હિત નહિ, પરંતુ અનેક લોકોનું હિત સમાયેલું હોય તો તેના માટે કોણ લડે? જાહેર હિતમાં રાજ્યની સંપત્તિનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર વગેરે સામે લોકોના હિતને ઘ્યાનમાં રાખી અન્ય કોઈ અરજી કેમ ન કરી શકે? એવા સવાલ આવ્યા અને જાહેર હિતની અરજીનો સિદ્ધાંત સ્થપાતાં ગરીબો, વંચિતો, દલિતોના પ્રશ્નો, સામાજિક મૂલ્યોની જાળવણી, રાષ્ટ્રની સંપત્તિની સાચવણી વગેરે માટેનો કેસ ‘જેન્યુઇન’ માણસ કોર્ટમાં લાવે એવો શિરસ્તો શરૂ થયો. આમ, જાહેરજીવનમાં લોકોમાં સભાનતા-જાગૃતિ આવે અને કાયદાકીય રીતે તેમનું સશકિતકરણ થાય એવા ઉદ્દેશથી  જાહેર હિતની અરજી અમલમાં આવી. જોકે, કોર્ટમાં જાહેર હિતની અરજીનો ચુકાદો બે-ત્રણ વર્ષે આવે એટલે તેમાં હિત ન સચવાય, એવું પણ બને છે. આજે જાહિત હિતની અરજીનો ઉપયોગ પ્રસિદ્ધિ મેળવવા કે પછી વ્યકિતગત કે રાજકીય હિત સાધવા માટે પણ થઈ રહ્યો છે, તે દુ:ખદ બાબત છે.

પ્રશ્ન: કાયદાઓનો અસરકારક અમલ કઈ રીતે થઈ શકે? કાયદાના અમલની જવાબદારી કોની?

ગિરીશભાઈ: કાયદા હોવા છતાં અમલ થતો નથી, અસરકારકતા ઊભી થતી નથી, તેનાં અનેક કારણો છે. જેમકે, તે અંગેની જાગૃતિનો અભાવ, આ દેશમાં કાયદાની ભાષા અંગ્રેજી છે અને કાયદા અટપટા છે. વળી, કાયદો પણ એક ભાષા છે, તેથી તેના અનેક અર્થો નીકળી શકે. કાયદાઓમાં જાણ્યે-અજાણ્યે અનેક છટકબારી રહેલી છે. મૂળે કાયદાને સારો બનાવવાની ચીવટ હોવી જોઈએ, પણ એ બનતું નથી. ખરા અર્થમાં જાહેર હિત એ સામાજિક મૂલ્યોને સાચવવાની વાત છે. કોઈ કાયદામાં માત્ર પોલીસને જ સત્તા આપો તો લોકો શું કરી શકે? સપોર્ટિવ એકશન એન્ડ મેજર્સ ન હોય તો કાયદો નબળો પુરવાર થાય. કાયદાની બાબતમાં તેના અમલીકરણની પણ અગત્યતા છે. કાયદાની પ્રાયોરિટી અલગ હોય તો તેનું અમલીકરણ માત્ર કહેવાથી થઈ જતું નથી. વળી, કાયદાના પાલન માટે દૃષ્ટિ અને શકિત જ સમાજમાં ન હોય તો આંતરિક રીતે જ તે સ્વીકાર્ય બનતો નથી. કાયદો માત્ર ફોર્સ નથી, તેની પાછળ કન્સેપ્ટ હોય છે. કાયદાને સફળ બનાવવા માટે તેનો પ્રચાર જરૂરી છે. આમ, આવી અનેક બાબતો કાયદાની સક્રિયતા માટે જરૂરી છે, જેના અભાવથી કાયદાનો અમલમાં આવતો નથી.

પ્રશ્ન: પહેલાંના જમાનામાં ગામોમાં પંચ નિર્ણય કરતું, તો એવી કોઈ વ્યવસ્થા કોર્ટને બદલે સંભવે તે કેટલું યોગ્ય અને જરૂરી છે?

ગિરીશભાઈ: વિકલ્પો ત્યારે જ વિચારવા પડે જયારે ચાલુ વ્યવસ્થા નિષ્ફળ ગઈ હોય. કોર્ટને અસરકારક બનાવવાનાં પગલાં આપણે ક્યારેય લેતાં જ નથી. હાલની વ્યવસ્થાને કેટલા ટકા સુધારી શકાય તેની ચકાસણી કરી વ્યવસ્થા સુધારવા માટે કંઈક નક્કર કરવું જોઈએ. તે માટેના સેમિનારો યોજવાનો કોઈ મતલબ નથી. કોઈ પણ સમાજમાં માત્ર અદાલતો જ સમાજના તમામ પ્રશ્નો હલ ન કરી શકે. સમાજમાં એક જીવંત વ્યવસ્થા હોવી જોઈએ અને ન છૂટકે જ અદાલતની મદદ લેવાવી જોઈએ. જેમકે, કુટુંબના પ્રશ્નો કુટુંબમાં જ ઉકેલાવા જોઈએ. તેના માટે અદાલતમાં જવાની જરૂર ન ઊભી થવી જોઈએ.

ગામ સ્તરે ન્યાય માટે સારી સ્થાનિક સુવિધા વિકસે, એવી વ્યવસ્થા આવકાર્ય છે. ગામમાં પંચ બને, પણ પંચમાં અમુક જ્ઞાતિના લોકો જ બેસતા હોય તો તેનો કોઈ અર્થ નથી. અલબત્ત, ગામના દરેક પક્ષ-જ્ઞાતિના પ્રતિનિધિ હોય તો તે વધુ યોગ્ય અને અસરકારક બને છે. ગામમાં બધા એકબીજાને ઓળખતા હોય છે અને બધા બધું જાણતા જ હોય છે, તેથી ખોટી બાબતો ટકતી નથી. પંચ જેવી વૈકિલ્પક વ્યવસ્થા સારી છે, પરંતુ તેમાં પણ પ્રશ્નો ઊભા ન થાય એવું નથી.

પ્રશ્ન: માહિતી અધિકારની માગ સમાજમાંથી કેમ નથી ઊઠતી? (મુલાકાત સમયે  માહિતી અધિકારનો કાયદો અમલમાં નહોતો આવ્યો.) આપણા સમાજમાં માહિતી અધિકાર કેટલે અંશે સફળ થશે?

ગિરીશભાઈ: લોકો માહિતી અધિકાર માગતા જ હોય છે, પરંતુ તેમને ખ્યાલ નથી હોતો કે આવી માગ કયાં અને કેવી રીતે કરી શકાય? ભૂખ લાગે ત્યારે કહેવાની જરૂર નથી રહેતી, માણસ જાતે ખોરાક શોધવા માંડે છે. માહિતીની જરૂરિયાત લોકોને મહેસૂસ થાય છે, પરંતુ તેને ઉપલા સ્તરે લઈ જવી અને તેને અધિકારનું સ્વરૂપ આપવું, તે સમાજના જાગૃત નાગરિકોની ફરજ છે. સમાજ જ્યારે નાનો હતો ત્યારે માહિતી પ્રત્યક્ષ જ હતી, પરંતુ વખત જતાં સમાજ, સાધનો, વ્યવસ્થા વિકસતા ગયાં, સંકુલ થતાં ગયાં અને તેને લીધે લોકોને બધી વાતની જાણકારી હોતી નથી તથા તેમને એ ખ્યાલ નથી હોતો કે માહિતી કયાંથી મળે? અથવા તો હું માહિતી કેવી રીતે માગી શકું? માહિતી અધિકાર એ સમાજના ખુલ્લાપણાનું એક આગવું લક્ષણ છે. સંકુલ સમાજને ખુલવાની-ખીલવાની વાત માહિતી અધિકાર કરે છે. લોકશાહી એ સમાજનો આદર્શ હોય તો લોકોને માહિતી અધિકાર આપવો જ જોઈએ. લોકશાહીમાં લોકો પાસે માહિતી જ ન હોય તો લોકો કઈ રીતે નિર્ણય લઈ શકે? માહિતી માત્ર આપવાથી કંઈ વળતું નથી. કોઈ પણ અધિકાર મેળવવા માટે સમાજે મોટા પાયે સામાજિક ઝુંબેશ કરવી પડે છે. કાયદો સ્વયં તમને મદદ કરતો નથી. તેને માટે માણસે હિંમત દર્શાવવી પડે.

પ્રશ્ન: વર્ષોથી ચાલ્યા આવતા કાયદાઓમાં બદલાવ લાવવો કેટલો જરૂરી છે?

ગિરીશભાઈ: બદલાતા પરિપ્રેક્ષ્યમાં કાયદા તો બદલાતા જ રહે છે, પરંતુ તેની બદલાવવાની પદ્ધતિ કેવી છે, તે જોવું જરૂરી છે. તેના સંદર્ભો સમજવા જરૂરી છે. કાયદો મૂળે રૂઢિચુસ્ત હોય છે. સમાજમાં બદલાતી પરિસ્થિતિમાં પ્રતિક્ષણે કાયદો ન બદલાય. તે બદલાય તે માટેનું વાતાવરણ ઉપસ્થિત થવું જોઈએ. એ મુજબનું તંત્ર અને લોકોની તૈયારી હોવી જોઈએ.

આજે જેટલી ઝડપી પરિવર્તન આવી રહ્યાં છે, તે ઝડપે કાયદો બદલાવી શકાયો નથી. પરિવર્તનની સ્થિરતા જોઈને બદલાવ લાવવો જોઈએ. દર વખતે કાયદો ન બદલાવી શકાય, પરંતુ કેસને અનુરૂપ જરૂરી અર્થઘટન કરવું જોઈએ. જુદા જુદા વર્ગોએ કાયદા અંગે ચર્ચા કરવી જોઈએ. આપણે ત્યાં સમાજમાંથી ઊઠવો જોઈતો પ્રત્યાઘાત જોવા મળતો નથી.

(હું અને તેજસ વૈદ્ય પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (સીઈઈ) દ્વારા પ્રકાશિત ‘આસ્થા’ સામયિક સંભાળતા હતા ત્યારે દરેક અંકમાં એક મહાનુભાવની મુલાકાતનો સમાવેશ કરતા હતા. ગિરીશભાઈની આ મુલાકાત પણ એ વિભાગ અંતર્ગત જ પ્રકાશિત કરવામાં આવી હતી. ‘આસ્થા’ના જુલાઈ-૨૦૦૩ના અંકમાં આ મુલાકાત પ્રસિદ્ધ થઈ હતી. વિપુલભાઈ કલ્યાણીએ આ મુલાકાત ઓપિનિયનમાં પણ (http://opinionmagazine.co.uk/details/147/લોકશાહી-શાસન-પૂરતું-નથી--લોકશાહી-સમાજ-હોવો-જોઈએ-ગિરીશ-પટેલ- સમાવી હતી. ઓનલાઇન હોવાથી જ અહીં આસાનીથી ઉપલબ્ધ થઈ શકી છે.)

Wednesday, July 25, 2018

દવાખાનું કોઈને દેખાડશો નહીં!

દિવ્યેશ વ્યાસ


બીમારી કે અકસ્માતની સારવાર એટલી મોંઘી પડી રહી છે કે પરિવારની આર્થિક હાલત સિરીયસ થઈ જાય છે!

(તસવીર પ્રતીકાત્મક છે અને ઇન્ટરનેટ પરથી મેળવેલી છે.)

પરિવારના વૃદ્ધજનોના મોંઢે કદાચ તમે સાંભળ્યું હશે કે ‘ભગવાન, ત્રણ વસ્તુથી કાયમ અમને દૂર રાખજે : દવાખાનું, કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશન’. આ ત્રણની યાદીમાં સૌથી પહેલું સ્થાન દવાખાનાને મળ્યું છે, તેનાં ચોક્કસ કારણો છે. શાંતિપૂર્વક જીવન જીવો, નિયમ-કાયદાનું પાલન કરો અને ટંટાફસાદથી દૂર રહો તો તમે આસાથીની કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશનથી દૂર રહી શકો છો, પરંતુ તબિયત કે તંદુરસ્તી પર એક હદથી વધારે આપણું નિયંત્રણ રહેતું નથી. બીમાર પડવાનાં એટલાં બધાં કારણો છે કે ક્યારેક તો કોઈને કોઈ આપણને લપેટમાં લઈ લે છે અને દવાખાનાભેગા થવું પડે છે. એમાંય અકસ્માતમાં તો વગરવાંકે પણ ઉપાધિ માથે પડી શકે છે. આવા સંજોગોમાં સારવાર અર્થે હોસ્પિટલમાં જઈને સારવાર લીધા સિવાય છૂટકો હોતો નથી. અમુક ઉંમર પછી કેટલીક તકલીફો અને બીમારીઓ લાગુ પડ્યા વિના રહેતી નથી ત્યારે શરીરને સ્વસ્થ-સાજું રાખવા માટે દવા-સારવાર કરવી આવશ્યક હોય છે. બીપી અને ડાયાબિટીસ જેવી વ્યાધિઓમાં તો નિયમિતપણે દવાઓ લેવી જરૂરી બને છે. આમ, દવાખાને જવું તો કોઈને ગમતું નથી, પરંતુ દવાખાને ગયા વિના ક્યાં કોઈને ચાલે છે?

બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, નિરક્ષર હોય કે સાક્ષર, ગરીબ હોય કે અમીર, ગ્રામીણ હોય કે શહેરી, દરેકને દવાખાના-સારવારની જરૂર ક્યારેક ને ક્યારેક પડે જ છે. આરોગ્ય અને શિક્ષણ એવાં બે ક્ષેત્રો છે, જેમાં સેવાની જેટલી તક મળે છે, એટલો જ મોકો મેવા ખાવાનો (કમાણી કરવાનો) પણ મળતો હોય છે. ખાનગીકરણના દોર પછી આરોગ્ય ક્ષેત્રમાં ખાનગી હોસ્પિટલો-કોર્પોરેટ હોસ્પિટલોનો દબદબો સતત વધતો રહ્યો છે. સ્વાસ્થ્ય સેવાઓ અને દવાઓ એટલી મોંઘી બની રહી છે કે સામાન્ય લોકોને પોષાતી નથી.

સરકારી દવાખાનાં અને આરોગ્ય કેન્દ્રો પોતે જ સ્વાસ્થ્ય ઝંખી રહ્યા હોય, એવી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે ખાનગી દવાખાનામાં જવું જાણે ફરજિયાત થઈ ગયું છે. આરોગ્ય ક્ષેત્ર ધમધમતી કમાણીનું સાધન બની ગયું છે અને એને કારણે સારવાર પછી વ્યક્તિની હાલત તો સુધરી જાય છે, પરંતુ પરિવારની આર્થિક હાલત બગડી જતી હોય છે. તાજેતરમાં ઇન્ડિયાસ્પેન્ડ ડૉટકૉમ નામના પોર્ટલ પર બીએમજે જર્નલના સંશોધનના આધારે એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેમાં અધિકૃત સરકારી આંકડાઓના આધારે તારણ કાઢવામાં આવ્યું હતું કે વર્ષ 2011-12માં આરોગ્ય-સારવાર પર હદથી વધારે ખર્ચો થવાને કારણે 5 કરોડ 50 લાખ લોકો રાતોરાત ગરીબીરેખા હેઠળ ધકેલાઈ ગયા હતા! અહેવાલમાં જ આંકડા અપાયેલા છે કે આ સંખ્યા દ. કોરિયા, સ્પેન અને કેન્યા જેવા દેશોની વસતી કરતાં પણ વધારે છે. આ સંશોધન વાંચતાં અર્થશાસ્ત્રના અભ્યાસુ અને પ્રખર રાજનેતા સનત મહેતાનો એક દસ-બાર વર્ષ જૂનો લેખ યાદ આવી ગયો, જેમાં તેમણે લખેલું કે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને ગરીબી રેખા વચ્ચે માત્ર એક મોટી બીમારીનું જ અંતર હોય છે! એમાંય મોટી બીમારી હોય તો અમીર પરિવાર પણ રાતોરાત ગરીબી રેખા હેઠળ પહોંચી જતો હોય છે.

આજકાલ હૃદયરોગ અને કેન્સરની બીમારી દાવાનળની જેમ ફેલાઈ રહી છે અને પહોંચ બહારનો ખર્ચો કરાવવામાં પણ આ બે બીમારીઓ જ મુખ્યપણે કારણભૂત હોવાનું અભ્યાસોમાં જણાયું છે. પરિવારજનના સ્વાસ્થ્ય માટે દેણું કરીને પણ સારવાર કરાવવામાં આવે છે અને દેવાનો ખાડો પુરવામાં જમીન-જાયદાદ વેચવાનો પણ વારો આવતો હોય છે. ભારતમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવે છે, તેને કારણે લાખો લોકોને પ્રમાણમાં સસ્તી સારવાર મળી રહે છે, પરંતુ દવાઓના ઊંચા ભાવના ડામ તો સહેવા જ પડતાં હોય છે.

ભારતમાં સરકારો દ્વારા આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવે છે. એક અભ્યાસ અનુસાર વર્ષ 2015માં સરકાર દ્વારા જીડીપીના માત્ર 1.02 ટકા જ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા હતા. જાહેર આરોગ્ય માટે સરકાર દર વર્ષે વ્યક્તિદીઠ રૂ. 1,112નો જ ખર્ચ કરે છે. આ હિસાબે રોજના માત્ર રૂ. 3! આરોગ્ય ક્ષેત્રે વધારે નાણાં-સંસાધનો ફાળવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ જરૂરી વધારો કરવામાં ઠાગાઠૈયા જ કરવામાં આવે છે.

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારે નાણાકીય સંસાધનો ફાળવવા જરૂરી છે. કોઈ પણ દેશ સ્વસ્થ નાગરિકો વિના સશક્ત બની શકે નહીં.

(દિવ્ય ભાસ્કરની 25મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 18, 2018

મંડેલાનો સંઘર્ષ અને શીખ

દિવ્યેશ વ્યાસ


નેલ્સન મંડેલાની શતાબ્દી નિમિત્તે તેમના સંઘર્ષને સલામ કરવા સાથે તેમની શીખ પણ ગાંઠે બાંધવા જેવી છે


(નેલ્સન મંડેલાની આ તસવીર ગેટી ઇમેજીસની છે.)

‘લોકોના માનવ અધિકારની  અવગણના કરવી એટલે તેમનામાં રહેલી માનવતાને છંછેડવી.’ એક નાનકડા વાક્યમાં વિરાટ ડહાપણ સમાવવાની તાકાત તો મહાપુરુષો જ દાખવી શકે! હા, આ વાક્ય છે, નેલ્સન મંડેલાનું. નેલ્સન મંડેલા એટલે રંગભેદ સામે રણે ચડેલા શૂરવીર, માનવ અધિકારના વિશ્વવિખ્યાત હિમાયતી અને માનવતાનાં મૂલ્યોના પ્રહરી. 18 જુલાઈ, 1918ના રોજ દ. આફ્રિકાના એક રાજવંશમાં જન્મેલા નેલ્સન મંડેલાના પૃથ્વી પરના  અવતરણને આજે 100 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. નેલ્સલ મંડેલાની શતાબ્દી સમગ્ર વિશ્વમાં ઊજવાઈ રહી છે ત્યારે તેમના સંઘર્ષને સલામ કરવાની સાથે સાથે તેમણે પોતાનાં વચન અને કર્મથી આપેલી શીખને પણ ગાંઠે બાંધી લેવા જેવી છે.

આપણે સૌ જાણીએ છીએ કે  નેલ્સલ મંડેલાને દ. આફ્રિકાના ગાંધી કહેવામાં આવે છે. અલબત્ત, લડતના પ્રારંભિક તબક્કામાં મંડેલાને સશસ્ત્ર સંઘર્ષનો છોછ નહોતો. મંડેલાને 1961માં તેમના રાજકીય પક્ષ આફ્રિકન નેશનલ કૉંગ્રેસ તરફથી સશસ્ત્ર પાંખનું જ સુકાન સોંપાયું હતું. જોકે, મંડેલામાં માનવતા હતી અને એટલે જ તેમણે સરકારી સંસ્થાનો પર લોકોનો જાન ન લે એવા અહિંસક વિસ્ફોટો કરવાની સરકારની આંખો ઉઘાડવાની નીતિ અપનાવી હતી. દ. આફ્રિકાની ગોરી સરકારે આફ્રિકન નેશનલ કૉંગ્રેસને આતંકવાદી જૂથ ગણાવીને મંડેલા સહિતના સાથીદારોને જેલભેગા કરી દીધા હતા અને દાયકાઓ સુધી જેલમાં  ગોંધી રાખ્યા હતા. જોકે, મંડેલાના હૃદયમાં રહેલી માનવતા તેમને ગાંધીવિચાર સુધી લઈ ગઈ. સમયની સાથે તેઓ પરિપકવ બનતા ગયા અને તેમને સમજાયું કે ગાંધીચીંધ્યો માર્ગ જ વધારે સુફળદાયી છે.

મંડેલા જ્યારે જેલમાંથી મુક્ત થયા ત્યારે તેઓ અનેક અર્થમાં ‘મુક્ત’ થઈ ચૂક્યા હતા અને જેલબહાર આવીને તેમણે શુદ્ધ ગાંધીવાદી રાજનીતિનો માર્ગ અપનાવ્યો અને દ. આફ્રિકામાં શાંતિપૂર્ણ રીતે અશ્વેત લોકોને ન્યાય અપાવ્યો અને સમાજ-દેશમાંથી ગોરા-કાળાનો ભેદ હટાવવાનું યુગકાર્ય કર્યું. પ્રખર અભ્યાસુ અને વિચારક રામચંદ્ર ગુહાએ 2016માં ગૂજરાત વિદ્યાપીઠમાં આપેલા દીક્ષાંત પ્રવચનમાં ગાંધીજીની ચિરપ્રસ્તુતતાની વાત કરતાં કરતાં નેલ્સલ મંડેલા અંગે એક નિરીક્ષણ વ્યક્ત કર્યું હતું, ‘વિરોધકર્તા તરીકે નેલ્સન મંડેલાએ ગાંધીની જ પદ્ધતિઓનો ચુસ્તપણે ઉપયોગ કર્યો નહોતો, પણ એક શાસક તરીકે તેઓ ચોક્કસપણે ગાંધીવાદી પુરવાર થયા હતા. રંગભેદની નીતિનો અંત આવ્યા બાદ નેલ્સન મંડેલાએ શ્વેત પ્રજા સાથે પુનઃ સુમેળના પ્રયાસ શરૂ કર્યા અને દક્ષિણ આફ્રિકાના વિવિધ લોકોને મળવાનું ચાલુ રાખ્યું. પ્રજાસત્તાક આફ્રિકાનું બંધારણ કોઈ પણ જાતિ, ધર્મ કે ભાષાકીય જૂથના વિશેષાધિકારને નકારે છે.’ આમ, આ મહામાનવે ગાંધીવિચારની પ્રસ્તુતતાનો આપેલો સજ્જડ પુરાવો અનેક પેઢી સુધી પ્રેરણા આપતો રહેશે.

મંડેલાની જેલમુક્તિ પછી દ. આફ્રિકામાં પહેલી વખત મુક્ત ચૂંટણી યોજવામાં આવી હતી અને મંડેલાના રાજકીય પક્ષને 62 ટકા મતો સાથે જ્વલંત વિજય પ્રાપ્ત થયેલો. મંડેલાને બહુમતી મળી હોવા છતાં તેમણે રાષ્ટ્રીય એકતા ધરાવતી સંયુક્ત સરકાર રચી હતી. (આઝાદ ભારતની પહેલી નેહરુ સરકારની જેવી) મંડેલાની સરકારમાં ગોરા પ્રતિનિધિઓને પણ સન્માનનીય સ્થાન મળ્યું હતું અને એ રીતે શ્વેત-અશ્વેત વચ્ચેનું  સદીઓ  જૂનું અંતર મીટાવવાનો મંડેલાએ મહાપ્રયાસ આદર્યો હતો. ઈ.સ.  1994માં મંડેલા દ. આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા હતા. 75 વર્ષની વયે રાષ્ટ્રપ્રમુખ બનેલા મંડેલાએ ધાર્યું હોત તો તેઓ આજીવન રાષ્ટ્રપ્રમુખ પદે રહી શક્યા હોત, પરંતુ તેમને ન તો સત્તા-પદની લાલસા હતી કે ન હતી કોઈ પ્રકારની લઘુતાગ્રંથિ. તેમણે પહેલેથી જ નક્કી રાખ્યું હતું કે  માત્ર એક ટર્મ સુધી જ રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો સંભાળવો અને પછી સક્રિય રાજકારણ છોડીને માનવ અધિકાર, ગરીબીની નાબૂદી અને વિશ્વશાંતિ માટે સમર્પિત જીવન જીવવું. જીવનનાં કીમતી 27 વર્ષો જેલમાં વીતાવનારા મંડેલાને જેલમાં જીવતાં પણ આવડ્યું અને સમયસ સત્તાનો મહેલ છોડતાં પણ આવડ્યું. આ ગુણ જ તેમને મહાન નેતાઓની હરોળમાં મૂકે છે.

નેલ્સન મંડેલા ભારતને ખૂબ જ ચાહતા હતા. ભારતે પણ તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજ્યા હતા. શાંતિનો નોબેલ જીતનારા મંડેલાનાં એક સુવાક્યો પ્રેરણાદાયક છે, તેમના એક મનનીય વાક્યથી જ લેખ પૂરો કરીએ: ‘વિજેતા એ છે, જે સ્વપ્ન જુએ છે અને તેને પૂરું કર્યા વિના ક્યારેય હાર માનતો નથી.’

(દિવ્ય ભાસ્કરની 18મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 11, 2018

મલાલાને આટલું માન શા માટે?

દિવ્યેશ વ્યાસ


દર વર્ષે 12મી જુલાઈના રોજ મલાલા ડે ઊજવાય છે. આ યુવતીમાં એવું તે શું છે કે સંયુક્ત રાષ્ટ્ર તેનો દિવસ મનાવે છે?




આવતી કાલે 12મી જુલાઈએ અનેક મહાનુભાવોનો જન્મ દિવસ છે. કાલે સમગ્ર વિશ્વમાં વિખ્યાત એવા વિચારક અને સાહિત્યકાર હેન્રી ડેવિડ થોરોની સાથે સાથે ચિલીના ખ્યાતનામ કવિ અને રાજદૂત પાબ્લો નેરુદાની જયંતી છે. રોલ ફિલ્મના શોધક જ્યોર્જ ઇસ્ટમેનનો પણ જન્મ દિવસ છે તો એકવીસમી સદીના યુવાનોના રોલમૉડલ એવા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો પણ બર્થ ડે છે... છતાં 12મી જુલાઈ પાકિસ્તાનની યુવતી મલાલા યૂસુફજઈના નામે બોલે છે. વર્ષ 2013માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 12મી જુલાઈને મલાલા ડે જાહેર કરવામાં આવ્યો હતો અને દર વર્ષે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાની જૂજ વ્યક્તિઓના નામે સંયુક્ત રાષ્ટ્ર કોઈ દિવસ ઊજવે છે, ત્યારે મલાલાએ માત્ર 16 વર્ષની વયે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું.

મલાલાને મળેલા સન્માન-પુરસ્કારની યાદી ઘણી લાંબી છે, પરંતુ એક હી નામ કાફી હૈ - નોબેલ પુરસ્કાર.  મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનો નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો. આટલી નાની વયે આજદિન સુધી કોઈ આ પુરસ્કાર મેળવી શક્યું નથી. વર્ષ 2014માં ભારતના કૈલાશ સત્યાર્થી અને મલાલાને સંયુક્ત રીતે આ પારિતોષિક અપાયો હતો. આ ઉપરાંત તે વર્ષ 2014માં ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પોંખાઈ હતી અને ‘ટાઇમ’ મેગેઝિનના કવર પેજ પર પણ ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વની સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદીમાં પણ મલાલાને ટોચના પાંચ વ્યક્તિની હરોળમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. 2013ના ઑક્ટરોબરમાં યુરોપિયન સંસદ દ્વારા મલાલાને ‘સેખરોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઑફ થોટ’ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. 2014માં જ તેને અધધ 50,000 અમેરિકન ડૉલરનું વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝ અપાયું હતું. વર્ષ 2017માં કેનેડાએ મલાલાને કેનેડાનું માનદ્ નાગરિકત્વ આપવા ઉપરાંત કેનેડાની સંસદમાં સંબોધન કરવા આમંત્રિત કરી હતી. માત્ર 16 વર્ષની વયે મલાલાએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું અને તેનું વક્તવ્ય ખૂબ જ પોંખાયું હતું.

મલાલાને મળેલાં સન્માનો ઉપરાંત તેની બીજી સિદ્ધિઓની વાત કરીએ તો ઑગસ્ટ-2014માં તેનાં સંભારણાં અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ પ્રસિદ્ધ થયું હતું અને આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરની યાદીમાં આવી ગયું હતું. મલાલા પર ‘હી નેમ્ડ મી મલાલા’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે 2015ના ઓસ્કર એવોર્ડમાં શોર્ટલિસ્ટ થઈ હતી. મલાલા પર એક ડઝન જેટલાં પુસ્તકો લખાયાં છે અને તેના પર લખાયેલા અખબારી લેખોની સંખ્યા તો અગણિત છે.

આટલી બધી સિદ્ધિઓ અને અધધ પ્રસિદ્ધિ માત્ર 20 વર્ષની ઉંમરમાં પ્રાપ્ત કરનારી મલાલા અંગે ઘણાને સવાલ થઈ શકે કે આટલી નાની વયે તાલિબાનોની ગોળી ખાધા સિવાય એવું તે આ છોકરીએ શું કરી નાંખ્યું છે? આ સવાલ સાથે એક માહિતી જાણવી રસપ્રદ છે કે મલાલાએ તાજેતરમાં માર્ચ મહિનામાં જ્યારે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે લાહોરની અનેક શાળાઓમાં 30મી માર્ચના રોજ ‘આઈ એમ નોટ મલાલા’ દિવસની ઉજવણી કરી હતી! શું મલાલા માત્ર ઇસ્લામિક કટ્ટરપંથ-વિરોધી હોવાને કારણે જ તેને આટલાં માન-પાન મળે છે? ના, બિલકુલ નહીં. આ યુવતીના ઉચ્ચ વિચારો અને બાળકોના શિક્ષણ માટેનું તેનું સંપૂર્ણ સમર્પણ કાબિલે દાદ છે. મલાલાએ પોતાની અધિકૃત વેબસાઇટમાં પોતાના સંઘર્ષની કથાવાળા પાના પર એક વાક્ય લખ્યું છે, ‘હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.’ આ વાક્ય મલાલાની ઊંડી સમજ અને સંવેદનાને વ્યક્ત કરે છે.

મલાલાએ પોતાના નામનું એક ફંડ ઊભું કર્યું છે, જેનો ઉપયોગ તે દુનિયાભરના દેશોનાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝના અધધ 50,000 અમેરિકન ડૉલર્સ તેણે  ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇનના વિસ્થાપિતોનાં બાળકો માટે શાળા ચલાવવા માટે દાનમાં આપી દીધી હતી. સીરિયામાં પણ તેણે શાળાઓ શરૂ કરાવી છે.

મલાલા પર ગોળીબાર કરનારાઓને પાકિસ્તાનની કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. જોકે, મલાલા તાલિબાનો માટે ઉમદા વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’ શિક્ષણ માટેનું આ સમર્પણ જ તેને મૂઠ્ઠી ઊંચેરા માનવીને શ્રેણીમાં મૂકે છે.

(દિવ્ય ભાસ્કરની 11મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, May 16, 2018

મારે પીડિતા બની રહેવું નથી!

દિવ્યેશ વ્યાસ


ગેંગરેપનો ભોગ બનનાર ડૉ. સુનિતા પીડાને પછાડીને સાહસ અને હિંમતની લહેરોની લહાણી કરી રહ્યાં છે


એક સમાજ તરીકે આપણે બળાત્કાર-પીડિતાને પીડિત કરવામાં પીએચડી થયેલા છીએ.’ અત્યંત કડવી છતાં સાવ સાચી વાત કરી છે ડૉ. સુનિતા કૃષ્ણને. સુનિતાબહેનનું આ વાક્ય આપણા દિલોદિમાગમાં આરપાર ઊતરી જાય એવું છે. તેમના આ વાક્યની ધાર માટે સત્ય ઉપરાંત તેમનો સ્વાનુભવ પણ એટલો જ જવાબદાર છે. કેરળમાં એક સુખી-સમૃદ્ધ પરિવારમાં 1972માં જન્મેલાં સુનિતાબહેનને નાનપણથી જ સામાજિક કાર્ય કરવાનો શોખ હતો. માત્ર આઠ વર્ષની વયે તેમણે મેન્ટલી ચેલેન્જ્ડ બાળકોને નૃત્ય શીખવવાનું શરૂ કરેલું. તેઓ 15 વર્ષનાં હતાં ત્યારે તેમણે સાક્ષરતા અભિયાનમાં જોડાઈને દલિત સમાજના લોકોને ભણાવવાનું બીડું ઝડપ્યું. જોકે, સમાજના કેટલાક લોકોથી એ સહન ન થતાં તેમને પાઠ ભણાવવા માટે આઠ પુરુષો દ્વારા તેમના પર ગેંગરેપ કરવામાં આવ્યો. એક તરફ ગેંગરેપનો અસહ્ય આઘાત અને બીજી તરફ સગાંસંબંધીઓ અને સમાજના લોકો દ્વારા સાંત્વનાની જગ્યાએ સલાહ-મારો ભોગવતાં ભોગવતાં પણ સુનિતાબહેને સ્વ કરતાં સર્વનો વિચાર કર્યો. પોતે ભોગવ્યું, એવું કોઈ ન ભોગવે, એવી ભાવનાને કારણે તેમને પોતાનું જીવનકાર્ય જડ્યું

સુનિતાબહેને નિર્ધાર કર્યો કે મારે પીડિતા બની રહેવું નથી. તેમણે સંઘર્ષ અને સમાજસેવાનો માર્ગ પસંદ કર્યો. સુનિતાબહેને વિચાર્યું કે આપણા સમાજમાં એક એવી સંસ્થા સ્થાપવાની અત્યંત જરૂર છે, જ્યાં સેક્સ ટ્રાફિકિંગ અને સેક્સ ક્રાઇમનો ભોગ બનતાં બાળકો અને સ્ત્રીઓને આશ્રય મળે. એક એવું રહેઠાણ જ્યાં પીડિતાને ન કોઈ સવાલ કરવામાં આવે, ન સાંત્વનાને નામે દંભી શીખામણો આપવામાં આવે. એવી સંસ્થા જ્યાં પીડિત વ્યક્તિ પોતાના આઘાતમાંથી ધીમે ધીમે બહાર આવી શકે અને એટલી શક્તિશાળી અને સાહસિક બની શકે કે પોતાની બાકીની જિંદગી સન્માનપૂર્વક જીવી શકે.

સુનિતાબહેન પોતાના સ્વપ્નની સંસ્થા સ્થાપીને જ રહ્યાં. તેમની સંસ્થાનું નામ છે - પ્રજ્વલા. પ્રજ્વલા સંસ્થા થકી તેમણે હજારો પીડિતાઓને ‘પીડિતા’ના કોચલામાંથી બહાર નીકળીને સામાન્ય જીવન જીવવા, પગભર થવાનો માર્ગ બતાવ્યો છે. પીડિતાને બચાવવી આસાન નથી હોતી, અનેક પારિવારિક-સામાજિક સમસ્યાઓ સામે ઝઝૂમવું પડતું હોય છે. સુનિતાબહેન પર આ કામ કરવા બદલ એક-બે નહિ પણ 17 વખત હુમલાઓ થઈ ચૂક્યા છે. એક વાર તો તેમના પર એસિડ એટેક પણ કરવામાં આવ્યો હતો, પરંતુ બચી ગયેલા. આવા હુમલાઓમાં તેમણે પોતાનો કાન ગુમાવ્યો છે અને તેમના એક હાથમાં કાયમી ખોટ રહી જવા પામી છે. સુનિતાબહેનના સંઘર્ષની સૌથી મોટી સિદ્ધિ એ છે કે સેક્સ ટ્રાફિકિંગ અને ક્રાઇમનો ભોગ બનેલાં 17,800 બાળકો અને મહિલાઓને નવજીવન પ્રાપ્ત થયું છે. પોતાની સામાજિક સેવાને કારણે સુનિતાબહેનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં અનેક પુરસ્કારો અને સન્માનો પણ પ્રાપ્ત થયાં છે. વર્ષ 2016માં તેમને પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.

સુનિતાબહેન આજકાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે, કારણ કે માનવતાને જાગૃત કરવા માટે અપાતા પ્રતિષ્ઠિત ઓરોરા પ્રાઇઝના ત્રણ નામાંકિતોમાં તેમનો પણ સમાવેશ થયો છે. ઓરોરા પ્રાઇઝનો પ્રારંભ વર્ષ 2015થી થયો છે અને તેને આપવાની શરૂઆત 2016 જ થઈ છે, છતાં તેણે સમગ્ર વિશ્વમાં એક પ્રતિષ્ઠા ઊભી કરી છે. આ એવોર્ડનો ઇતિહાસ રસપ્રદ છે. આર્મેનિયામાં 1915થી 1923નાં વર્ષો દરમિયાન ભયંકર નરસંહાર થયો હતો. આ નરસંહાર માનવતાના ઇતિહાસના કલંક સમાન ગણાય છે. વર્ષ 2015માં નરસંહારને સો વર્ષ થયાં ત્યારે આર્મેનિયાના લોકોએ આ આઘાતજનક ઘટનાની શતાબ્દી જુદી રીતે ઊજવવાનું નક્કી કર્યું અને કેટલાક કાર્યક્રમો શરૂ કર્યા, જેમાંથી એક કાર્યક્રમ માનવતાના ક્ષેત્રે કામ કરનારા લોકોને સન્માનીને એક લાખ અમેરિકન ડૉલરનું (રૂ. 66.3 લાખ ) અધધ મોટું ઈનામ આપવાનું નક્કી થયું. આ વર્ષે 115 દેશોના 509 લોકોમાંથી સુનિતાબહેન ઉપરાંત બીજા બે સંઘર્ષવીરોનું પણ નામાંકન કરવામાં આવ્યું છે, કોને પ્રાઇઝ મળશે, તેનો ખ્યાલ તો આગમી 9મી જૂનના રોજ આવશે, પરંતુ આ પ્રાઇઝ માટે પહેલી વખત એક ભારતીયનું નામાંકન થયું છે, એ ગૌરવ લેવા જેવી વાત છે. પ્રાર્થના કરીએ કે સુનિતાબહેનને આ પ્રાઇઝ મળે. વળી, આ પ્રાઇઝની ખાસિયત એ છે કે પ્રાઇઝ મેળવનાર વ્યક્તિ જે સંસ્થાઓની ભલામણ કરે તેને પણ કુલ દસ લાખ અમેરિકન ડૉલરની (રૂ. 6.63 કરોડ) આર્થિક સહાય પણ આપવામાં આવે છે.

સુનિતાબહેનના મિજાજને સમજવામાં મદદરૂપ થાય એવા તેમના એક વાક્ય સાથે લેખ પૂર્ણ કરીએ: ‘બાહ્ય જગતને તો પીડિતાને પીડિતા તરીકે જોવી જ ગમે છે. તેઓ ઇચ્છે છે કે પીડિતાએ રડવું જોઈએ, તેઓ ઇચ્છે છે કે પીડિતાએ પોતાનો ચહેરો છુપાવીને રહેવું જોઈએ. હું આ બાબતે સાવ ઊલટું વિચારું છું. મને હંમેશાં લાગ્યું છે કે કોઈએ મારી સાથે ઊભા રહેવાની જરૂર નથી. હું મારી રીતે જીવવા પૂર્ણપણે સક્ષમ છું.’


(દિવ્ય ભાસ્કરની 16મી માર્ચ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, May 9, 2018

ગોખલે અને માતૃભાષા

દિવ્યેશ વ્યાસ


ગાંધીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે સાથે માતૃભાષાનો એક સુંદર કિસ્સો જોડાયેલો છે




9મી મે, 1866ના રોજ જન્મેલા પ્રખર દેશસેવક ગોપાલકૃષ્ણ ગોખલેનો આજે જન્મ દિવસ છે. ગોખલે ગાંધીજીના ગુરુ હતા. ગાંધીજીએ લખેલું છે, ‘ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને તે ક્ષેત્રપરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. એમના કહેવાને વિશે કે એમની આજ્ઞાને વિશે મને તર્કવિતર્ક કદી ન થતા.’ તો આવા ગુરુ ગોખલે વિશે ગાંધીજીએ પોતાની આત્મકથામાં અનેક વખત ઉલ્લેખ કર્યો છે. ‘ગોખલે સાથે એક માસ-1’ પ્રકરણમાં ગાંધીજીએ લખ્યું છે, ‘ગોખલેની કામ કરવાની પદ્ધતિથી મને જેટલો આનંદ થયો તેટલું જ શીખવાનું મળ્યું. તેઓ પોતાની એક પણ ક્ષણ નકામી ન જવા દેતા. તેમના બધા સંબંધો દેશકાર્યને અંગે જ હતા, એમ મેં અનુભવ્યું. બધી વાતો પણ દેશકાર્યને ખાતર. વાતોમાં મેં ક્યાંયે મલિનતા, દંભ કે જૂઠ ન જોયાં. હિંદુસ્તાનની કંગાલિયત અને પરાધીનતા તેમને પ્રતિક્ષણ ખૂંચતી.’

દ. આફ્રિકાની લડત દરમિયાન ગાંધીજી એક વાર ભારત આવેલા ત્યારે પૂના ગયેલા અને ત્યાં ત્રણ મહાનુભાવોને મળેલા. આનો ઉલ્લેખ તેમણે આત્મકથામાં ‘પૂનામાં’ નામના પ્રકરણમાં કર્યો છે. તેમાં લખ્યું છે, ‘સર ફિરોજશા તો મને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા, તેમાં હું નાહી શકું. હિમાલય ચડાય નહીં, સમુદ્રમાં ડૂબવાનો ભય રહે. ગંગાની તો ગોદમાં રમાય. તેમાં હોડકાં લઈને તરાય.’ આમ, ગોખલેજી માટે ગાંધીજીને અપાર આદર અને સ્નેહ હતો.

ગોખલેજીના નિધન પછીના એક પ્રસંગની વાત કરતાં ગાંધીજીએ પોતાની આત્મકથામાં નોંધ્યું છે, ‘ભારતવર્ષના તોફાની સમુદ્રમાં ઝંપલાવતાં મને સુકાનીની જરૂર હતી, ને ગોખલે જેવા સુકાનીની નીચે હું સુરક્ષિત હતો.’

ગોખલેજીએ કેવો સ્નેહ અને સુરક્ષા આપી હતી, તેનો એક પ્રસંગ પણ ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યો છે. ‘ગોખલેની સાથે પૂનામાં’ પ્રકરણમાં ગાંધીજીએ નોંધ્યું છે, ‘ગુજરાતમાં ક્યાંક સ્થિર થવું (આશ્રમ ઊભો કરી) એવી મારી ઇચ્છા હતી. ગોખલેને આ વિચાર ગમ્યો હતો, તેથી તેમણે કહ્યું, ‘તમે જરૂર એમ કરજો. સભ્યોની સાથે વાતચીતનું ગમે તે પરિણામ આવે, પણ તમારે આશ્રમને સારુ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે. તેને હું મારો જ આશ્રમ ગણવાનો છું.’... ગાંધીજી સ્વદેશ પાછા ફર્યા પછી ગોખલે લાંબું જીવ્યા નહોતા, પરંતુ તેમનો સપોર્ટ ઐતિહાસિક હતો.

દ. આફ્રિકાની લડતમાં પણ ગાંધીજીને ગોપાલકૃષ્ણ ગોખલેની ખૂબ હૂંફ મળી હતી. લડત દરમિયાન દ. આફ્રિકામાં ભારતીયોની સ્થિતિ અને લડતને જોવા ગોખલે દ. આફ્રિકા ગયા હતા. ગિરિરાજ કિશોરે ગાંધીજીના દ. આફ્રિકાના જીવન પર કેન્દ્રિત નવલકથા ‘પહેલો ગિરમીટિયો’ લખી છે, જેમાં લેખકે ગોખલેના દ. આફ્રિકા પ્રવાસ દરમિયાનનો માતૃભાષા સંબંધિત એક સુંદર પ્રસંગ વર્ણવ્યો છેઃ

‘એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન એ ઊભો થયો કે જાહેરસભામાં કઈ ભાષામાં બોલવું? મોહનદાસે કહ્યું: ‘તમે હિંદુસ્તાનીમાં બોલો.’

ગોખલેએ કહ્યું: ‘ભાંગીતૂટી હિંદુસ્તાનીમાં બોલીશ તો લોકો હસશે. ન હું વાત સમજાવી શકીશ, ન તેઓ સમજશે.’

‘હું પણ એ જ ભાષા બોલું છું.’

ગોખલે ચિંતામાં પડી ગયા. એટલે મોહનદાસે કહ્યું: ‘તમે મરાઠીમાં બોલો તો?’

‘દક્ષિણ આફ્રિકામાં મરાઠીમાં બોલવું એ તો વધુ હાસ્યાસ્પદ થશે. એનો પણ અનુવાદ તો કરવો જ પડે. એટલે સારું એ થશે, હું અંગ્રેજીમાં બોલું.’

‘મારી તમને વિનંતી છે, તમે હિંદુસ્તાનીમાં ન બોલો તો મરાઠીમાં બોલો. અહીંના લોકો એ જાણીને ગૌરવ અનુભવશે કે હિંદુસ્તાનના આટલા મોટા નેતા પોતાની માતૃભાષાને ચાહે છે.’

ગોખલે મરાઠીમાં જ બોલ્યા. મોહનદાસે હિંદુસ્તાનીમાં તેનો તરજુમો કર્યો. એક વાર એમણે મરાઠીમાં બોલવાનું શરૂ કર્યું. પછી તો છેક ઝાંઝીબાર (પ્રવાસના છેલ્લા મુકામ) સુધી મરાઠીમાં જ બોલ્યા.’

ગુજરાતમાં માતૃભાષા અંગે માહોલ બની રહ્યો છે ત્યારે ગોખલે અને ગાંધીનો આ કિસ્સો પ્રેરણા પૂરી પાડે એવો છે.

(દિવ્ય ભાસ્કરની 9મી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)

Wednesday, February 14, 2018

એસિડની પીડા, પ્રેમનું અમૃત

દિવ્યેશ વ્યાસ


એસિડ એટેકનો  ભોગ બનનારી યુવતીઓને પ્રેમ કરનારા અને જીવનસાથી તરીકે પસંદ કરનારા વીરલાઓને સો સો સલામ મારવી જ પડે! 




ગુજરાતીમાં એક કહેવત છે, દુ:ખનું ઓસડ દહાડા. સમય શ્રેષ્ઠ ઉપચારક મનાય છે. કોઈ પણ દુ:ખ કે પીડા સમય સાથે કાં તો દૂર થઈ જતી હોય છે, કે પછી ભુલાઈ જતી હોય છે. અથવા તો સમય જતાં આપણે આપોઆપ માનસિક રીતે  એટલા સક્ષમ થઈ ગયા હોઈએ છીએ કે જે તે પીડાને અવગણી શકીએ. જોકે, સમય કરતાં પણ ઝડપી અને વધારે અસરકારક ઉપચારક છે - પ્રેમ. પ્રેમ પીડા હરે છે અને પૂર્ણતા બક્ષે છે. પ્રેમનો સ્પર્શ તમારી ગમે તેવી આકરી પીડાને સહ્ય બનાવે છે અને સાથે સાથે સમસ્યાનો સામનો કરવા માટે સશક્ત બનાવે છે. એક ફિલ્મી ગીતનું મુખડું છે, ‘તેરા સાથ હૈ તો મુઝે ક્યા કમી હૈ...’ પ્રેમીનો સાથ મળે ત્યારે વ્યક્તિમાં તમામ સંજોગો અને સમસ્યાઓનો સામનો કરવાની તાકાત આવી જતી હોય છે.

પ્રેમ માટે કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પરંતુુ સૌથી મોટો વિરોધાભાસ એ છે કે મોટા ભાગના લોકો સૌંદર્યથી મોહિત થઈને પ્રેમમાં ‘પડતા’ હોય છે. સૌંદર્ય પ્રત્યેનું આકર્ષણ સહજ છે, પરંતુ તે પ્રેમનો પાસપોર્ટ કે પૂર્વશરત તરીકે સ્થાપિત થાય, એ યોગ્ય ન કહેવાય. આજે વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે કેટલાક એવા યુવકોની વાત કરવી છે, જેમણે સૌંદર્ય નહિ માત્ર ને માત્ર સ્નેહ અને સમભાવ સાથે એસિડ એટેક પીડિત યુવતીઓને પ્રેમ કરીને સંસાર માંડ્યો છે.

સૌથી પહેલા વાત કરીએ એસિડ એટેક પીડિતાના રોલમૉડલ તરીકે સ્થાપિત થનાર લક્ષ્મી અગ્રવાલની. દિલ્હીની આ યુવતી પર વર્ષ 2005માં એસિડ એટેક થયો હતો. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા  યુવકે તેના પર એસિડ છાંટી દીધેલો. એસિડને કારણે લક્ષ્મીનું 45 ટકા શરીર બળી ગયું. માંડ માંડ જીવ બચ્યો, પણ એસિડે મોં અને શરીર પર એવા ઘા કરેલા કે જીવવું આસાન નહોતું. અધૂરામાં પૂરું તેણે પોતાના પિતા અને નાનો ભાઈ પણ ગુમાવવા પડ્યા. લક્ષ્મીએ ન્યાય માટે સંઘર્ષ કર્યો. આજે એસિડ એટેક પીડિતાઓને જે કંઈ સહાય અને ન્યાય મળી રહ્યા છે, તેમાં લક્ષ્મીબહેનના સંઘર્ષનું ખાસ્સું યોગદાન છે. લક્ષ્મીને સંઘર્ષ દરમિયાન વર્ષ 2013માં આલોક દીક્ષિત સાથે મળવાનું  થયું. આલોક એસિડ એટેક પીડિતાઓ માટે એક એનજીઓ ચલાવતા હતા. એસિડ એટેક પીડિતાઓને ન્યાય અપાવવા અને સમાજમાં ફરી સ્થાપિત કરવાની કામગીરી કરતાં કરતાં બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા વિના જ જીવનસાથી તરીકે સાથ નિભાવે છે. આજે તેમને પીહુ નામની એક દીકરી પણ છે.

લલિતા બંસી નામની એસિડ એટેક પીડિતાની લવસ્ટોરી પણ ખૂબ જાણીતી છે. પારિવારિક ઝઘડામાં કુટુંબના જ યુવક દ્વારા વર્ષ 2012માં એસિડ એટેકનો ભોગ બનનારી લલિતાએ 17 સર્જરીઓ સહન કરવી પડી હતી. ભૂલથી લાગેલી ગયેલો એક ખોટો નંબર તેમની જિંદગીમાં ખુશીઓ લઈને આવ્યો. એક દિવસ લલિતાથી રાંચીના પેટ્રોલ પમ્પ પર સીસીટીવી ઓપરેટર તરીકે કામ કરતા રવિશંકર સિંહનો નંબર ભૂલથી ડાયલ થઈ ગયો અને તેમની વચ્ચે થોડી વાતો થઈ. પછી નિયમિત વાતો થવા માંડી અને તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં. આખરે તેમણે મે-2017માં લગ્ન કરી લીધા. ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયે લલિતાના ભાઈ તરીકે આ લગ્નમાં હાજરી આપેલી.

ચિત્તરંજન તિવારીએ પણ સોનાલી મુખરજી નામની એસિડ એટેક પીડિતાના પ્રેમમાં પડીને વિધિવત્ત લગ્ન કર્યા છે અને આજે તેઓ એક દીકરીનાં માતા-પિતા છે. આવાં વધુ ઉદાહરણો પણ ઉપલબ્ધ છે.
પ્રેમના આવા અપવાદરૂપ જ નહિ, બલકે અણમોલ  કિસ્સાઓ જ પ્રેમને વધારે ઊંચાઈ-સન્માન બક્ષે છે.

Wednesday, January 25, 2017

યાદ રાખજો, તમે નાગરિક છો!

દિવ્યેશ વ્યાસ


દેશમાં વ્યાપ્ત આર્થિક, સામાજિક, શાસકીય અને રાજકીયથી માંડીને રોજિંદી સમસ્યાઓનાં મૂળમાં જઈએ જોઈશું તો ભારતીય નાગરિક તરીકેની આપણી અભાનતા અને ઉદાસીનતાનો અહેસાસ થયા વિના રહેશે નથી



(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

તમને કોઈ પૂછે કે તમે કોણ છો ત્યારે તમે સૌથી પહેલાં તમારું નામ જણાવતા હશો, ક્યારેક ઉત્સાહમાં અટક સાથેનું પૂરું નામ પણ જણાવતા હશો. અટકના આધારે સામેવાળા મોટા ભાગે તમારી જ્ઞાતિ કે ધર્મનો અંદાજ મેળવી લેતા હોય છે અને વહેમ પડે તો ખાતરી કરવા જ્ઞાતિ પણ પૂછી લેતા હોય છે. સામેવાળાને વધુ પરિચય આપવાનું યોગ્ય લાગે તો તમે વધુમાં તમારો વ્યવસાય કે ગામ-શહેરનું નામ પણ જણાવતા હશો. તમને એવો એકેય પ્રસંગ યાદ છે કે જ્યારે તમે તમારો પરિચય ‘ભારતના નાગરિક’ તરીકે આપ્યો હોય? વિદેશજનારે કદાચ પાસપોર્ટ ચેક કરાવતી વખતે કહેવું પડતું હશે કે હું ભારતીય છું કે પછી ભારતનો નાગરિક છું. બાકી ભાગ્યે જ આપણા મનમાં એવી ભાવના પેદા થતી હોય છે કે, બંદા તો ભારતના નાગરિક છે! ભારતીય હોવાનો ગર્વ લેવાની તક આપણને વારંવાર મળતી હોય છે, પરંતુ ભારતીય નાગરિક હોવાની આપણી ઓળખ અને ભૂમિકા અંગે વિચારવાનું બહુ જવલ્લેજ બનતું હોય છે. દેશમાં વ્યાપ્ત આર્થિક, સામાજિક, શાસકીય અને રાજકીયથી માંડીને રોજિંદી સમસ્યાઓનાં મૂળમાં જઈએ જોઈશું તો ભારતીય નાગરિક તરીકેની આપણી અભાનતા અને ઉદાસીનતાનો અહેસાસ થયા વિના રહેશે નથી.

આવતી કાલે 26મી જાન્યુઆરી એટલે કે આપણો પ્રજાસત્તાક દિન છે. આ દિવસ આપણને ભારતીય નાગરિક હોવાનો અહેસાસ કરવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. 26મી જાન્યુઆરીનો દિવસ આપણને હંમેશાં યાદ કરાવતો રહે છે કે આપણે માત્ર આઝાદ જ નહીં પરંતુ પ્રજાસત્તાક દેશના નાગરિકો છીએ. આ એ જ દિવસ છે, જ્યારે આપણે આઝાદી પછી ઝંખેલું સ્વરાજ પ્રાપ્ત કરવા માટે એક નાગરિકની રૂએ કેટલાક પાયાના અધિકારો-હકો હાંસલ કર્યા હતા અને સાથે સાથે કેટલીક જવાબદારીઓ પણ સ્વીકારી હતી. પ્રજાસત્તાકનો દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે હવે કોઈ રાજા-શાસકની રૈયત નથી રહ્યા, જે રાંકડી હોય, પણ આપણે દેશના શાસન માટે જવાબદાર નાગરિકો છીએ. લોકશાહી રાજવ્યવસ્થામાં પણ સત્તાનું સુકાન ચોક્કસપણે અમુક લોકોના હાથમાં રહે છે, પરંતુ નાગરિકો સભાન અને સક્રિય હોય તો એ સત્તાધારી લોકોને નિયંત્રણમાં જરૂર રાખી શકે છે. લોકશાહીમાં શાસકો લોકમતને અવગણવાની ભૂલ ભાગ્યે જ કરતા હોય છે. સજ્જ, સક્ષમ અને સમજદાર નાગરિક હોય એ દેશમાં નેતાઓ ભાગ્યે જ પોતાની મનમાની કરી શકે છે. આજે દેશમાં નેતાઓ બેફામ અને બેફિકર છે, તો એના માટે નાગરિકોનું બેજવાબદાર વલણ વધારે કારણભૂત છે.
આજે 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાર દિવસ છે. 25મી જાન્યુઆરી એ આમ તો ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. વર્ષ 2011માં ચૂંટણી પંચની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે સરકારે આ દિવસને રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે મનાવવાનું શરૂ કર્યું હતું. આ દિવસ ખાસ તો મતદારોને જાગૃત કરીને તેમને નિયમિત મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો, સાથે સાથે કોઈ નાગરિક મતદારયાદીમાંથી બહાર ન રહે, મતદાનથી વંચિત ન રહે, એ સુનિશ્ચિત કરવાનો પણ હતો. મતદાર તરીકે આપણે સારી વ્યક્તિને આપણો નેતા-શાસક તરીકે ચૂંટવાનો હોય છે. મતદાર જેવું વાવે છે, દેશને એવું જ લણવાનું હોય છે.

અલબત્ત, નાગરિક એટલે માત્ર મતદાર જ નહીં. મતદાર તરીકે તો પાંચ વર્ષે એક વખત કે પછી અલગ અલગ સ્તરની ચૂંટણીઓ માટે વધીને ચાર-પાંચ વખત મતદાન કરીને ફરજ બજાવવાની હોય છે, પરંતુ નાગરિકની ભૂમિકા તો 24 X 7 નિભાવવાની હોય છે. પોતે માત્ર મતદાર નથી, પરંતુ આ દેશના જવાબદાર નાગરિક છે, એ વાતનો અહેસાસ સૌથી પહેલાં જનતાને થવો જરૂરી છે, પછી નેતાઓને તો એ વાત આપોઆપ સમજાઈ જવાની. મતબેન્કનું રાજકારણ હોય કે પછી કોમવાદી-જ્ઞાતિવાદી-પ્રાંતવાદી રાજકારણ, આ બદીઓ એક જ ઝાટકે નામશેષ થઈ જાય તો દેશનો દરેક વ્યક્તિ પોતાની નાત-જાત-કોમ-વર્ગ-ભાષા-પ્રદેશ વગેરે સાંકડા વાડાઓ ભૂલીને નાગરિક તરીકે વર્તતો થઈ જાય. પણ તમે સાંકડી ઓળખો ભૂલવા માટે તૈયાર છો?

દેશના બંધારણે આપણને નાગરિક તરીકેની ઓળખ આપી છે અને ઓળખ સાથે જ આપણા અધિકારો અને જવાબદારીઓ પણ જોડાયેલી છે. 26મી જાન્યુઆરીએ બીજું કંઈ થઈ શકે કે નહીં, ક્યાંકથી શોધીને પણ બંધારણના આમુખની સાથે સાથે નાગરિક તરીકેના અધિકારો અને ફરજો પર પણ એક નજર નાખી લેજો... પછી તમારે જે કરવું હોય તે, તમારી મરજી!

(‘દિવ્ય ભાસ્કર’ની 25મી જાન્યુઆરી, 20174ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)