Showing posts with label Gujarat. Show all posts
Showing posts with label Gujarat. Show all posts

Tuesday, August 17, 2021

રાણી નાયિકી દેવી : ખૂબ લડી મર્દાની વો તો ગુજરાત કી રાની થી!

ડૉ. દિવ્યેશ વ્યાસ


સોલંકી વંશના શાસનકાળમાં રાણી/રાજમાતા નાયિકી દેવીએ પોતાના પ્રચંડ પરાક્રમથી મોહમ્મદ ઘોરીને રણભૂમિમાં એવી ધોબીપછાડ આપી કે ફરી ગુજરાત પર આક્રમણ કરવાનું વિચારી પણ ન શક્યો!

રાણી નાયિકી દેવીનું એક કાલ્પનિક ચિત્ર. (સૌજન્યઃ ગૂગલ ઇમેજ)


ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતને પદક અપાવનારાઓની યાદીમાં રમતવીરો કરતાં રમત-વિરાંગનાઓની યાદી લાંબી થાય છે, તેનાં મૂળ આપણી પરંપરા અને ઇતિહાસમાં પડેલાં છે. સર્જન હોય કે સંઘર્ષ, ભારતીય નારીએ સદીઓથી પોતાનું હીર બતાવ્યું છે. મહિષાસુરમર્દિનીથી લઈને બાંગ્લાદેશ-સર્જિની સુધીનો આપણો નારીશૌર્યનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. આપણા દેશમાં સુશાસન માટે રાણી અહલ્યાબાઈ તો સંઘર્ષ-યુદ્ધમાં રાણી લક્ષ્મીબાઈ જેવાં જ્વલંત ઉદાહરણો જોવા મળે છે. આજે વાત કરવી છે, એવાં રાણી અને રાજમાતાની જેમણે પોતાના પ્રચંડ પરાક્રમ અને શૌર્યથી કુખ્યાત વિદેશી આક્રાંતા મોહમ્મદ ઘોરીને યુદ્ધમેદાનમાં એવી ધોબીપછાડ આપેલી કે તે ફરી ગુજરાત પર આક્રમણ કરવાનો તો વિચાર સુધ્ધાં કરી શક્યો હતો.

હા, આ રાજમાતા એટલે સોલંકી વંશનાં રાણી નાયિકી દેવી. પતિ અજયપાલની (ગુજરાતના અશોક તરીકે જાણીતા કુમારપાળના સુપુત્ર) અંગરક્ષક દ્વારા જ 1176માં હત્યા કરવામાં આવી પછી તેમના દીકરા મૂળરાજ બીજાને બાળવયે જ રાજા બનાવાયો હતો. પુત્ર મૂળરાજ બીજાને પ્રતીકાત્મક રીતે રાજાની પદવી આપવામાં આવી ત્યારે રાજ્યનાં શાસન અને સુરક્ષાનાં સુકાન રાણી નાયિકી દેવીએ ખૂબ સારી રીતે સંભાળી લીધાં હતાં. મોહમ્મદ ઘોરીએ 1178ની સાલમાં હિંદુસ્તાન પર આક્રમણ કરવાનું વિચારી રહ્યો હતો ત્યારે તેણે વિચાર્યું કે ગુજરાતના સમૃદ્ધ રાજ્ય અણહિલવાડ પાટણના બાળારાજા અને વિધવા રાજમાતાના રાજ્ય પર જ હલ્લો બોલાવી દઈએ એટલે આસાનીથી યુદ્ધ જીતી લેવાશે. જોકે, ઘોરીનાં તમામ પાસા ઊલટા પડ્યા અને રાણી નાયિકી દેવીના શૌર્ય અને આક્રમક યુદ્ધનીતિને કારણે તેણે ઊભી પૂંછડિયે રણમેદાનમાંથી ભાગવું પડ્યું અને તે ફરી ક્યારેય સપનામાં પણ ગુજરાત પર આક્રમણ કરવાનું વિચારી શક્યો નહોતો.

(રણમેદાનમાં દુશ્મન સૈનિકોનો કચ્ચરઘાણ વાળતી ગજસેનાની પ્રતીકાત્મક તસવીર  સૌજન્યઃ ગૂગલ ઇમેજ)

રાણી નાયિકી દેવી મૂળે તો ગોવાનાં રાજકુંવરી હતાં. કદંબ વંશના ગોવાના મહામંડલેશ્વર શિવચિત્તા પરમાંડીનાં દીકરી હતાં. બાળપણથી જ તેમને તલવારબાજી, ઘોડેસવારી, યુદ્ધનીતિ, કુટનીતિ અને રાજ્યશાસનની તાલીમ આપવામાં આવી હતી. તેઓ વિવિધ શસ્ત્રો ચલાવી શકતાં હતાં અને આક્રમક રણનીતિ થકી દુશ્મનોના દાંત ખાટા કરવાનું કૌવત ધરાવતાં હતાં. ઘોરી સામેના યુદ્ધ પહેલાં તેમણે પોતાની કુટનીતિ થકી ચાલુક્ય વંશના સામંતોનો સાથ-સહકાર મેળવ્યો હતો અને ઘોરીના વિશાળ સૈન્ય સામે મજબૂત લશ્કર તૈયાર કર્યું હતું, જેની ઘોરીને કલ્પના પણ નહોતી. યુદ્ધનીતિમાં માહેર રાણી નાયિકી દેવીએ યુદ્ધ આબુ પર્વતની તળેટીમાં ગદરઘાટના વિસ્તારમાં કયાદરા/કસાહરદા ખાતે લડાય, એવી વ્યૂહરચના અપનાવેલી, જ્યાં ઓછા સૈનિકો સાથે પણ વિશાળ સૈન્યને હંફાવી શકાય. યુદ્ધની તૈયારી માટે તથા પ્રજાજનોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે પૂરતો સમય મળી રહે એ માટે રાણી નાયિકી દેવીએ પોતે ઘોરીની તમામ શરતો માની લેવા તૈયાર છે, એવો ડોળ કરવાની કૂટનીતિ અપનાવી હોવાનું કહેવાય છે. ઘોરી અને તેના સૈન્ય માટે સાવ અજાણ એવા રણભૂમિ પર અચાનક આક્રમણ કરીને તાલીમબદ્ધ હાથીઓ પર સવાર યૌદ્ધાઓએ વિરોધી સેનાનો કચ્ચરઘાણ વાળવાનો શરૂ કર્યો હતો.

ઘોરીને પરાસ્ત કરવા માટે રાણી નાયિકી દેવીએ પોતે જ યુદ્ધમેદાનમાં ઊતરીને પોતાની તલવારથી દુશ્મન સૈનિકોનાં માથાં ગાજરની માફક વાઢી નાખ્યાં હતાં. પોતાની ગજસેના અને અશ્વસેના સાથેના તાલીમબદ્ધ સૈનિકોએ ઘોરીના સૈન્યનો એવો ખાતમો બોલાવ્યો કે સૈનિકો જીવ બચાવીને જે કોઈ દિશામાં ભાગવા મળ્યું ત્યાં ભાગવા લાગ્યા હતા. કહેવાય છે કે આ યુદ્ધમાં નાયિકી દેવીના હાથે ઘોરી ખૂબ જ ખરાબ રીતે ઘવાયો હતો. મોત ભાળી ચૂકલો ઘોરી યુદ્ધમેદાન છોડીને ઊભી પૂંછડિયે ભાગ્યો હતો. એ એટલો બધો ગભરાઈ ગયેલો કે ઘાયલ હોવા છતાં સારવાર માટે પણ વચ્ચે ક્યાંય રોકાયો નહોતો અને છેક મુલતાન પહોંચીને જ ઘોડા પરથી ઊતર્યો હતો!

આ જ મોહમ્મદ ઘોરીએ 1192માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા હતા, પરંતુ એના 14 વર્ષ પહેલાં તેણે એક ગુજરાતી રાણીની સામે રણમેદાનમાં ધોબીપછાડ ખાવી પડી હતી, એ અમીટ ઇતિહાસ છે. રાણીના અદમ્ય સાહસ અને શૌર્યનો ઉલ્લેખ સોલંકી કાળના શિલાલેખોમાં તો વાંચવા મળે જ છે, એ ઉપરાંત ગુજરાતી કવિ સોમેશ્વર તથા ઉદયપ્રભા સુરી સરીખા કવિઓનાં કાવ્યોમાં પણ નાયિકી દેવી અને તેમના સૈન્યની શૌર્યગાથા જાણવા મળે છે. 13 સદીમાં લખાયેલા ફારસી ઇતિહાસ-ગ્રંથ ‘મિન્હાજ-એ-સિરાજ’માં પણ હાથીઓની મદદથી લડાયેલી આ લડાઈના વિજયનો ઉલ્લેખ જોવા મળે છે. 16મી સદીના ઇતિહાસકાર બદાઉનીએ પણ આક્રાંતાઓને મળેલા પરાજયનો ઉલ્લેખ કરેલો છે. જૈન ઇતિહાસકાર મેરુતુંગે લખેલા ‘પ્રબંધ ચિંતામણિ’માં પણ નાયિકી દેવીના શૌર્યની ગાથાનો ઉલ્લેખ છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યની વાત કરીએ તો ધૂમકેતુએ ‘નાયિકા દેવી’  નામની એક નવલકથા લખેલી છે.

કહેવાય છે કે રાણી નાયિકીની દીકરી કુર્મા દેવી પણ તેમના જેવાં જ શૌર્યવાન હતાં અને તેમણે યુદ્ધમેદાનમાં કુતબુદ્દીન ઐબકને માત આપી હતી. રાણી લક્ષ્મીબાઈ, રાણી તારાબાઈ, રાણી દુર્ગામતી, રાણી અબ્બકા ચૌટા, કિત્તુરના રાણી ચેનમ્મા જેવાં નારીશૌર્યનાં જ્વલંત ઉદાહરણોની હરોળમાં સ્થાન પામી શકે એવાં ગુજરાતનાં રાણી નાયિકી દેવી વિશે બહુ ઓછી જાણકારી અને જાગૃતિ આપણા રાજ્યમાં જોવા મળે છે, તે આપણી એક મોટી કમનસીબી છે. રાજમાતા નાયિકી દેવી ઇતિહાસનું એવું ગૌરવવંતુ પ્રકરણ છે, જે ગુજરાત રાજ્ય જ નહિ, સમગ્ર દેશની નારીશક્તિને સદીઓ સુધી પ્રોત્સાહન અને પ્રેરણા પૂરું પાડતું રહેશે.

(‘સાધના’ સાપ્તાહિકના 15મી ઑગસ્ટ, 2021ના વિશેષાંક ‘ભારતની યુદ્ધકથાઓ’માં પ્રકાશિત મારો લેખ)

Wednesday, November 22, 2017

અંધશ્રદ્ધાને પંપાળવાની શી જરૂર?

દિવ્યેશ વ્યાસ


મહારાષ્ટ્ર પછી હવે કર્ણાટકે પણ અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવાની દિશા પકડી છે. શું ગુજરાતમાં આવા કાયદાની જરૂર નથી?

(તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)

આજે આપણા દેશમાં લોકશાહીની જે કંઈ અવદશા થઈ છે, તેના મૂળમાં છે આપણા સમાજજીવનમાં વિમર્શનો અભાવ. જાહેર જીવનમાંથી વિમર્શ જ્યારે ગાયબ થાય છે ત્યારે વિખવાદ અચૂક વકરે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે રાજકારણના નામે જે કાવાદાવા, ષડ્યંત્રો અને આક્ષેપો-પ્રતિઆક્ષેપોની મારામારી ચાલી રહી છે, તે ગુણવંતા ગુજરાતીઓને શોભે એવી છે? આવી ચિંતાજનક સ્થિતિ પેદા થવાનું કારણ છે કે આપણે ત્યાં કોઈ પણ મુદ્દે જાહેર ચર્ચા-વિચારણા થાય, એવી સંસ્કૃતિ લગભગ લુપ્ત થઈ ગઈ છે. ચૂંટણીના માહોલમાં તમે કોઈ પણ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હોય એવું જોયું? ટીવી ચેનલો સહિતનાં માધ્યમો ચર્ચા કરાવવાની કોશિશ કરે છે, પરંતુ તેમાં ચર્ચાના નામે કકળાટ અને કાદવઉછાળ જ ચાલતો હોય છે. દેશનું એક વિકસિત રાજ્ય પાંચ વર્ષ માટે પોતાના સત્તાધીશોની પસંદગી કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના પ્રાણપ્રશ્નો, આરોગ્ય-શિક્ષણ અંગેના મુદ્દાઓ, નાગરિકોને મળતી સુવિધાઓ અને કનડતી સમસ્યાઓ, મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કે ભાવિ આયોજનો વગેરે અંગે વિચાર-વિમર્શ થવા જોઈએ, પરંતુ કદાચ એકેય રાજકીય પક્ષને આવી બાબતોમાં રસ નથી અને લોકો પણ જોઈએ એટલા સભાન-સક્રિય નથી. તેને કારણે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ હાંસિયામાં જ ધકેલાયેલા રહે છે. સરકારનું એક અગત્યનું કામ સામાજિક વિકાસ પણ હોય છે, પરંતુ જ્ઞાતિવાદી વિખવાદોની આગમાં મૂળ મુદ્દાઓનું બાષ્પીભવન થઈ જતું હોય છે. આવો જ એક મુદ્દો છે આપણા સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા.

ગુજરાત આમ તો પ્રગતિશીલ રાજ્ય છે. અન્ય રાજ્યોની સરખામણીમાં આપણે ત્યાં શહેરીકરણનો દર વધારે છે, તેમ સાક્ષરતાનો દર પણ વધારે છે. ગુજરાતના લોકો આધુનિક અભિગમ ધરાવતા હોવાની છાપ છે, છતાં આપણા રાજ્યમાં પણ અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાના બનાવો વારંવાર અખબારોમાં ચમકતા જોવા મળે છે. સતનાં પારખાં માટે ઉકળતા તેલમાં હાથ નાખવાથી માંડીને માતાજીના નામે આર્થિક છેતરપિંડી થતી હોવાના અનેક કિસ્સાઓ આપણી આજુબાજુ બનતા જોવા મળે છે. એવા કેટલાય રિવાજોનાં ઉદાહરણ આપી શકાય, જે આજે પણ જાતિભેદને ઘાટો બનાવતા હોય. અમુક તહેવારો પર એવી વિધિઓ અને ઉજવણીઓ પણ થતી હોય છે, જે માનવીય ધોરણે યોગ્ય ન લાગે. ધર્મ અને પરંપરાના નામે અનેક કુરિવાજો લગભગ તમામ ધર્મોમાં જોવા મળે છે. જોકે, ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષ આવા કુરિવાજો કે અંધશ્રદ્ધા વિરુદ્ધ લડવા માટે પ્રતિબદ્ધ જણાય છે. આજે સ્થિતિ એવી છે કે ચૂંટણીમાં મત ગુમાવવાના ડરે આવો કોઈ મુદ્દો ઊભો થાય તોપણ ઢાંકપિછોડો કરવામાં આવે છે કે પછી રૂઢિવાદીઓને જાહેરમાં સમર્થન આપી દેવામાં આવે છે.

શું ગુજરાતમાં ચૂંટણી લડતો એક પણ પક્ષ એવી જાહેરાત કરવાની હિંમત દાખવશે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકની જેમ તેઓ સત્તા પર આવશે તો અંધશ્રદ્ધા અને મેલીવિદ્યા વિરોધી કાયદો ઘડવામાં આવશે? આવા સવાલોને મોટા ભાગે અવગણવામાં જ આવતા હોય છે. જોકે, કર્ણાટકના રાજકારણીઓ એક રીતે સાહસિક કહેવાય કે તેમણે સામી ચૂંટણીએ પણ અંધશ્રદ્ધા વિરોધી વિધેયકને વિધાનસભામાંથી પસાર કર્યું છે. કર્ણાટકની કૉંગ્રેસ સરકારની પ્રતિબદ્ધતાની સાથે સાથે ભાજપ અને જનતા દળ (એસ) સહિતના પક્ષોના સહકારને કારણે લગભગ સર્વસંમતિથી આ વિધેયક વિધાનસભામાંથી પસાર થયું છે અને ટૂંક સમયમાં કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.

કર્ણાટક પહેલાં મહારાષ્ટ્રે દેશમાં સૌપ્રથમ આવો કાયદો બનાવીને નવો ચીલો પાડ્યો હતો. નરેન્દ્ર દાભોળકરના અંતિમ શ્વાસ સુધીના અથાક પ્રયાસોને પરિણામે મહારાષ્ટ્ર સરકાર પર અંધશ્રદ્ધા વિરોધી કાયદો ઘડવાનું દબાણ ઊભું થયું હતું. કર્ણાટકમાં પણ એમ.એમ. કલબુર્ગી સહિતના રેશનાલિસ્ટોએ અંધશ્રદ્ધામાં હોમાતા અજ્ઞાની નાગરિકોને બચાવવા માટે રાજ્ય સરકાર પર દબાણ કર્યું હતું. મહારાષ્ટ્રમાં જેમ દાભોળકરની હત્યા પછી આવો કાયદો થયો, એવું જ કર્ણાટકમાં પણ કલબુર્ગી અને આવા કાયદાની પ્રબળ માગણી કરનારાં ગૌરી લંકેશની હત્યા પછી આવો કાયદો બનાવવાની ગંભીરતા ઊભી થઈ હતી. કર્ણાટકના અંધશ્રદ્ધા વિરોધી કાયદાને કદાચ કલબુર્ગીના નામ સાથે જોડીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી શકે છે. અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાનાં મૂળિયાં આપણે ત્યાં એટલાં ઊંડાં અને મજબૂત થઈ ગયાં છે કે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવનારે જીવ પણ ગુમાવવો પડતો હોય છે.

અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાને કારણે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, ભેદભાવનો સામનો કરી રહ્યા છે, મહિલાઓ જાતીય શોષણનો ભોગ બનતી હોય છે, એટલું જ નહીં સેંકડો લોકો જીવ પણ ગુમાવતા હોય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબ વર્ષ 2015માં 135 મહિલાને ડાકણ જાહેર કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી!

હવે તમે જ નક્કી કરો, ધર્મ-પરંપરાના નામે ફેલાવાતી અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાને સમાજમાં સ્થાન હોઈ શકે? હા, કાયદો બનાવી દેવાથી સમસ્યા ઉકેલાઈ જવાની નથી, છતાં એ દિશામાં ડગ માંડવા માટે કાયદો ઉપયોગી બને છે. ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદાની પહેલ કોણ કરશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 22મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, August 2, 2017

આફત અને રાજનેતાનો આપદધર્મ

દિવ્યેશ વ્યાસ


મોરબી હોનારત વખતે તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની યશસ્વી કામગીરી આજેય યાદ આવે છે




અનરાધાર વરસાદે અડધા ગુજરાતને પૂરગ્રસ્ત હાલતમાં મૂકી દીધું છે. પૂરને કારણે હજારો ગુજરાતીઓ માટે નીચે ધરતી અને ઉપર આકાશ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યારે કમનસીબે રાજ્યના રાજકારણીઓ અને ધારાસભ્યો રાજકીય કાવાદાવામાં ફસાયેલા છે. સત્તાલોલુપ રાજકારણીઓ કાવાદાવામાં એટલા ખૂંપેલા છે કે કાદવ-કીચડવામાં ફસાયેલી જનતાની પીડા તરફ તેમની જાણે નજર પણ જતી નથી. ગુજરાતે અગાઉ પૂર, દુષ્કાળ, વાવાઝોડાં કે ધરતીકંપ જેવી અનેક કુદરતી આફતો જોઈ છે, પરંતુ રાજનેતાઓનું આવું દુર્લક્ષ્ય ભાગ્યે જ જોવા મળ્યું છે. ગુજરાતનું જાહેરજીવન અગાઉ ક્યારેય આટલું અસંવેદનશીલ નહોતું.
આસમાની આફત સમયે સુલતાની કાવાદાવા જોઈને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની યાદ તીવ્ર બનવી સ્વાભાવિક છે. બાબુભાઈ એક એવા લોકનેતા હતા, જેમણે સત્તા પર હોય કે ન હોય, હંમેશાં લોકસેવામાં પોતાનો ધર્મ જોયો હતો અને એમાંય કુદરતી આફતોના સમયમાં તો તેમણે એવી કામગીરી કરી છે કે ઇતિહાસમાં તેનો જોટો જડવો મુશ્કેલ છે.

ગુજરાતે જ નહીં સમગ્ર દુનિયાએ જોયેલી ભયાનક જળહોનારતોમાંની એક એવી જળહોનારત મોરબીમાં સર્જાઈ હતી. વાત 11 ઑગસ્ટ, 1979ની છે. અનરાધાર વરસાદને કારણે મચ્છુ નદી પરનો ડેમ તૂટી ગયો હતો. ધસમસતા જળપ્રવાહે મોરબીમાં મહાવિનાશ વેર્યો હતો. આજથી લગભગ ચાળીસ દાયકા પહેલાં નહોતી આટલી ટેક્નોલોજી કે નહોતાં તોતિંગ સાધનો-સંસાધનો, પરંતુ એક વાત હતી, એ વખતના રાજનેતાઓ આફત સમયે પોતાનો આપદ્્ધર્મ સારી રીતે જાણતા હતા અને એ રાજનેતાઓમાં શિરમોર હતા મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ.

મોરબી હોનારત અંગે મૂળ ગુજરાતી એવા હાર્વર્ડના સંશોધક ઉત્પલ સાંડેસરા અને તેમના સાથી ટોમ વૂટને છ-છ વર્ષ સુધી સંશોધન કરીને 400 પાનાંનું એક અભ્યાપૂર્ણ પુસ્તક લખ્યું હતું - ‘નો વન હેડ અ ટંગ ટુ સ્પીક : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ વન ઑફ હિસ્ટ્રીઝ ડેડલિએસ્ટ ફ્લડ્સ’. વર્ષ 2011માં પ્રકાશિત આ પુસ્તકના બીજા પ્રકરણનું શીર્ષક છે - ‘ધ ગવર્નમેન્ટ ડિસાઇડ્સ, એન્ડ ધ ગવર્નમેન્ટ બિલ્ડ્સ’. પ્રકરણનું શીર્ષક જ જણાવે છે કે તત્કાલીન રાજ્ય સરકારે સારી કામગીરી નિભાવી હતી. આ સારી કામગીરીનું સૌથી વધારે શ્રેય મુખ્યમંત્રી બાબુભાઈને જ જાય છે, કારણ કે તેઓ આ હોનારતના સમાચાર સાંભળીને મોરબી દોડી આવ્યા અને મોરબીમાં રહીને મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ એક સેવક તરીકે કામગીરી કરી હતી. આ પુસ્તકમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. તત્કાલીન ખેતીવાડી વિભાગના સચિવ એચ.કે. ખાનને તાત્કાલિક ધોરણે વિશેષ રાહત સચિવ (સ્પેશિયલ સેક્રેટરી ફોર રિલીફ) બનાવી દેવાયા અને રાહત-પુનર્વસનની સંપૂર્ણ જવાબદારી સોંપી દેવામાં આવી હતી. ખાન તત્કાળ મોરબી પહોંચી ગયા. તેમણે સ્થિતિનો ક્યાસ કાઢીને સંપૂર્ણ સત્તાની માગણી કરી અને મુખ્યમંત્રીએ નાણાકીય સહિતની તમામ સત્તા તેમને સોંપી દીધી. રાહત છાવણીમાં બનાવેલી ઑફિસમાં રોજ સવારે મિટિંગ કરવામાં આવતી. બાબુભાઈ મિટિંગમાં નિયમિત હાજર રહેતા, પરંતુ કોઈ એમની સલાહ માગે ત્યારે તરત ખાનસાહેબ તરફ આંગળી ચીંધીને કહી દેતા કે હું અહીંનો ઇન્ચાર્જ નથી, હું પણ વોલન્ટિયર જ છું!

આમ, બાબુભાઈએ ખરા અર્થમાં એક મુખ્યમંત્રી નહીં, પરંતુ મુખ્ય સેવક તરીકે ફરજ બજાવીને પોતાનો રાજધર્મ નિભાવ્યો હતો. કહેવાય છે કે મુખ્યમંત્રીનું ઘર અને ઑફિસ મોરબીમાં જ રહેતાં મોરબીમાં જ મિનિ સચિવાલય ઊભું થઈ ગયું હતું અને સમગ્ર રાજ્યનો વહીવટ પૂરરાહતની કામગીરીની સાથે સાથે ત્યાંથી જ થતો હતો.

એ વખતે રાજ્યના વિરોધ પક્ષ (કૉંગ્રેસ)ના નેતા માધવસિંહ સોલંકી હતા. તેમણે મોરબી હોનારતની જવાબદારી નક્કી કરવા માટે ન્યાયિક તપાસની માગણી કરી હતી. સત્તા પક્ષ એટલે જનતા મોરચાના સભ્યોએ આનો વિરોધ કર્યો, પરંતુ મુખ્યમંત્રી બાબુભાઈએ તરત જ આ માગણી સ્વીકારી લીધી હતી. તેમણે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ન્યાયિક તપાસપંચના અધ્યક્ષનું નામ સૂચવવા વિનંતી કરી અને ન્યાયમૂર્તિ બી.કે. મહેતાના અધ્યક્ષપદે તપાસપંચ નિમાયું હતું. આમ, પ્રતિબદ્ધતા અને સેવાની સાથે સાથે તેમણે પારદર્શકતાને પણ ઊની આંચ આવવા દીધી નહોતી.

અહીં બાબુભાઈના રાજકીય જીવનનો બીજો રસપ્રદ કિસ્સો પણ નોંધી લેવાની લાલચ રોકી શકાય એમ નથી. પછી માધવસિંહ મુખ્યમંત્રી બનેલા અને બાબુભાઈ વિપક્ષમાં હતા. દરમિયાન ગુજરાતમાં દુષ્કાળ પડતાં માધવસિંહે અછત રાહતનું કામ અન્ય કોઈને નહીં પણ બાબુભાઈને સોંપ્યું હતું. આનો વિરોધ પણ થયેલો ત્યારે માધવસિંહે કહેલું, આવું કામ બાબુભાઈથી વધુ સારું કોણ કરી શકે?

વર્તમાન રાજનેતાઓ રાજધર્મ તો જવા દો આપદ્્ધર્મ પણ સમજશે? કે પછી જનતાએ જ ત્રીજું નેત્ર ખોલીને સમજાવવું પડશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 2જી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, April 12, 2017

‘ધરમરાજ’ માટે લડનારા નાયકો

દિવ્યેશ વ્યાસ


સત્તા સામે લડવું આસાન નથી હોતું ત્યારે દોઢસો વર્ષ પહેલાંનો આદિવાસી નાયક સમુદાયનો સંઘર્ષ જુસ્સાપ્રેરક છે

(ડૉ. અરુણ વાઘેલાના પુસ્તક ‘વિસરાયેલા શહીદો’ માટે દીપકભાઈ રાઠોડે દોરેલાં ચિત્રો)

ઇતિહાસ આપણી મહામૂલી મૂડી છે. આપણા દાદા-પરદાદાઓનાં લોહી અને પરસેવામાંથી ઘડાયેલા ઇતિહાસની સંપત્તિનો ઉપયોગ આપણે અહંકારને પોષવા માટે કરવો છે કે અક્કલને વધારવા માટે, એનો નિર્ણય આપણે જ કરવાનો છે. ઇતિહાસ આપણામાં જુસ્સો પણ વધારી શકે અને અધકચરી સમજ સાથે જાણ્યો હોય તો ગુસ્સો પણ વધારી શકે છે. આજે આપણા રાજ્યમાં જ રચાયેલા એક એવા ઇતિહાસની વાત કરવી છે, જે અન્યાય સામે લડવાનો આપણો જુસ્સો વધારી શકે એમ છે. પંચમહાલ જિલ્લાના નાયક આદિવાસીઓએ બ્રિટિશર્સ સામે લડેલા યુદ્ધ અને વહોરેલી શહીદીઓની કથા દરેક ગુજરાતીએ જાણવી જ જોઈએ. આ ઇતિહાસની વાત માંડવાનું એક કારણ એ છે કે તેનાથી મોટાભાગના ગુજરાતીઓ અજાણ છે અને બીજું કારણ એ છે કે આગામી 16મી એપ્રિલના રોજ આ શહાદતની ઐતિહાસિક ઘટનાને 149 વર્ષ પૂરાં થશે અને શૌર્યવાન શહીદીનું 150મું વર્ષ પ્રારંભાશે.

શૌર્યપૂર્ણ સંઘર્ષની વાત કરતા પહેલાં આપણે નાયક શબ્દને સમજી લેવો જોઈએ: નાયક એટલે મુખિયો, નેતા (લીડર), માર્ગદર્શક, સેનાપતિ (કમાન્ડર), કથા-નાટક-ફિલ્મનો હીરો વગેરે અર્થો થતા હોય છે. પંચમહાલમાં વસતો નાયક નામનો આદિવાસીનો સમૂહ પોતાના નામ મુજબના તમામ ગુણો ધરાવે છે. લડાયક મિજાજ ધરાવતા નાયક આદિવાસીઓના વડવાઓનો શૌર્યપૂર્ણ ઇતિહાસ રહ્યો છે. ભારતમાં મોગલો વિસ્તર્યા અને અંગ્રેજો ફાવ્યા એમાં આપણી વિભાજિત સમાજવ્યવસ્થા અને નબળી રાજવ્યવસ્થા મોટા પાયે જવાબદાર હતી. ઇતિહાસ જોઈએ તો શૌર્યપૂર્ણ લડત કરતાં તો શરણાગતિના કિસ્સા વધારે જોવા મળે છે. અંગ્રેજો વિરુદ્ધ ઈ.સ. 1857માં લડવામાં આવેલી આઝાદીની સૌપ્રથમ લડાઈનું નેતૃત્વ દેશના ગણ્યાગાંઠ્યા રાજાઓએ જ લીધું હતું. 1857ની લડાઈમાં ગુજરાતના રાજા-મહારાજાઓની ભૂમિકાની વાત જવા દઈએ, પણ નાયક આદિવાસીઓના સમુદાયે જબરી ઝીંક ઝીલી હતી, જેના તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. નાયક સમુદાયના સંઘર્ષના ઇતિહાસને ડૉ. અરુણ વાઘેલાએ ‘વિસરાયેલા શહીદો’ નામના પુસ્તકમાં સવિસ્તાર વર્ણવ્યો છે. નાયક, નાયકા કે નાયકડા સમુદાય તરીકે જાણીતા આ આદિવાસી સમુદાયનું નેતૃત્વ લીધું હતું ડાંડિયાપુરના રહેવાસી રૂપસિંહ નાયકે. નારૂકોટ સંસ્થાનની ઝીંઝરી ગામની જાગીરના વારસ રૂપસિંહે તાત્યા ટોપેની લશ્કરી મદદ અને સ્થાનિક મકરાણી લડવૈયાઓનો સાથ મેળવીને હાલોલથી દેવગઢ બારિયા સુધીના વિસ્તારમાં આશરે એકાદ વર્ષ સુધી અંગ્રજોને નાકે દમ લાવી દીધો હતો. રૂપસિંહની આશરે પાંચ હજાર લડવૈયાઓની ફોજ તીરકામઠાં અને દેશી બંદૂકોથી અંગ્રેજોના વહીવટદારો અને પિઠ્ઠુઓને નિશાનો બનાવતા હતા. તેમની ધાક અને પ્રભાવ એટલાં વિસ્તર્યા હતાં કે તેમને નિયંત્રણમાં લેવા અંગ્રેજ અફસરો ઉપરાંત આજુબાજુનાં ત્રણ-ચાર રાજ્યોની સેના બોલાવવી પડી હતી. આખરે ભીલ સેનાની મદદથી રૂપસિંહ પકડાયો પણ હતો. રૂપસિંહે ચતુરાઈપૂર્વક માફી માગીને અંગ્રેજોની ચુંગાલમાંથી છટકી જવામાં સફળતા મેળવી હતી. આમ તો નાયક સમુદાયનો અંગ્રેજો સાથેનો સંઘર્ષ ઈ.સ. 1837થી ચાલ્યો આવતો હતો. જોકે, 1838 અને 1858માં કારણો અને સંજોગોને કારણે હથિયાર હેઠાં મૂકવાં પડ્યાં હતાં, છતાં નાયકોની અંદર આક્રોશ ભડભડતો રહ્યો હતો.

દરમિયાન ડેસર ગામના 30 વર્ષના યુવાન જોરિયા કાલિયા નાયકે ‘ભગત’ થઈને સમાજ-ધર્મ સુધારાનું એક આંદોલન શરૂ કરેલું. જોરિયા નાયક ધીમે ધીમે ઈશ્વરીય શક્તિનું પ્રતીક બની ગયા અને તેઓ સમગ્ર પંથકમાં જોરિયો પરમેશ્વર તરીકે જ ઓળખાવા જ નહીં, પૂજાવા લાગ્યા હતા. જોરિયો પરમેશ્વર અંગ્રેજો અને દેશી રજવાડાંઓની કાર્યપદ્ધતિ તથા વનવાસીઓના શોષણથી ભારે નારાજ હતા. તેમનું લક્ષ્ય હતું ‘ધરમરાજ’ની સ્થાપના કરવાનું, એમાં વળી ‘નાયકી રાજ’ માટે મથતા રૂપસિંહનો સાથ મળ્યો અને 1868માં નાયક આક્રોશનો ત્રીજો તબક્કો પ્રારંભાયો હતો. નાયક સમુદાયની સાથે બારિયા સહિતના અન્ય સમુદાયો પણ આ સંઘર્ષમાં જોડાયા હતા. ફેબ્રુઆરી-1868માં આ સંઘર્ષ ચરમસીમા પર હતો અને એક તબક્કો એવો પણ આવી ગયો હતો કે જાંબુઘોડા પંથકમાંથી અંગ્રેજરાજમાંથી મુક્તિ પણ મળી ગઈ હતી. જોકે, ઓક્ટોપસ જેવા અંગ્રેજોએ લશ્કરીબળે નાયક સમુદાયને કચડી નાખ્યો હતો અને રૂપસિંહ અને જારિયો પરમેશ્વર સહિતના નેતાઓને પકડી લીધા હતા. તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ચલાવવા જાંબુઘોડા ખાતે ખાસ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી, જેણે 16મી એપ્રિલ, 1868ના રોજ જોરિયો પરમેશ્વર, રૂપસિંહ નાયક સહિત પાંચને ફાંસીની સજા, ભઈજી બારિયા સહિત 23 ક્રાંતિકારીઓને આજીવન કેદની સજા અને અન્ય 16 લડવૈયાઓને 3થી 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ લડત પછી અંગ્રેજોએ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અમલમાં મૂક્યો હતો, જેને સ્થાનિક ભાષામાં ‘ઢૂંઢીમારો’નો કાયદો કહેવામાં આવ્યો, કારણ કે તે અંતર્ગત નાયક આદિવાસીઓને શોધી શોધીને મારવાનું શરૂ થયું હતું.

અંગ્રેજોએ અને ઇતિહાસે તો આ નાયક આદિવાસી શહીદોને અન્યાય કર્યો છે, શું આપણે પણ તેમની શહીદીને વિસરાવીને અન્યાય જારી રાખીશું?

(‘દિવ્ય ભાસ્કર’ની 12મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, March 15, 2017

હારીને કમાનારા બાજીગરો

દિવ્યેશ વ્યાસ


કોઈ વિચારધારા કે સમાજસેવા વિના ચૂંટણી ટાણે રાતોરાત ફૂટી નીકળતા નેતાઓથી ચેતવા જેવું છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)



ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. ચૂંટણીના દિવસોમાં સામાન્યમાં સામાન્ય નાગરિકને પણ અહેસાસ થતો હોય છે કે આપણું પણ કોઈ વજૂદ છે અને આપણું પણ કંઈક મહત્ત્વ છે. મત આપવાની નમ્ર અપીલ કરતા અને લળી લળીને સલામો ભરતા નેતાઓને જોઈને કૉમન મેનને પણ લાગે છે કે આ દેશમાં આપણોય ‘ભાવ પુછાય’ છે! બીજા કોઈ દિવસોમાં થતા હોય કે નહીં, પરંતુ ચૂંટણીના દિવસોમાં તો દેશ-રાજ્ય કે ગામ-શહેરને લગતા મુદ્દાઓની જાહેર ચર્ચાઓ થતી હોય છે. ચૂંટાયેલા નેતાઓનાં કાર્યોનાં લેખાંજોખાં થાય છે. ચૂંટણીના દિવસોમાં સાચાં-ખોટાં વાયદા-વચનો પણ અપાતાં હોય છે. ખુદને વિઝનરી ગણાવવાની ઝંખના ધરાવતા નેતાઓ ગુલાબી સપનાંઓ પણ દેખાડતા હોય છે. પક્ષપલટાનાં ધાર્યાં-અણધાર્યાં દૃશ્યો પણ ભજવાતાં હોય છે. ખાટી-મીઠી વાતો થતી હોય છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો મારો પણ થતો હોય છે. દિવસે દિવસે નેતાઓની ભાષા અને લોકરંજન મુદ્દાઓની ભરમાર વધતી જાય છે, છતાં દરેક ચૂંટણીએ આપણા દેશની જનતાની સમજદારીનો જ પુરાવો આપ્યો છે, એ બાબત બહુ આશ્વસ્તકારક છે.

ચૂંટણીઓ દરમિયાન થતાં કીચડઉછાળ નિવેદનો લોકશાહીના પવિત્ર પર્વને દૂષિત કરતાં હોય છે. જોકે, ચૂંટણીમાં ચાલતી ગંદી રાજરમતો અને કાવાદાવા ભાગ્યે જ સામાન્ય નાગરિકોના ધ્યાનમાં આવતાં હોય છે. મોટા રાજકીય પક્ષો અને વગદાર ઉમેદવારો વિજય માટે પ્રયાસ કરવાની સાથે સાથે હરીફ ઉમેદવારને ગમે તેમ કરીને હરાવવા માટે અપક્ષ ઉમેદવારોને હાથા બનાવતા હોય છે. ચૂંટણીમાં આજકાલ બૂથ સ્તરે માઇક્રો મેનેજમેન્ટની બોલબાલા છે. માઇક્રો મેનેજમેન્ટમાં માત્ર એક એક મતદારને મનાવવા કે પોતાના તરફ વાળવાના પ્રયાસો ઓછા, પરંતુ વિરોધી ઉમેદવારના સંભવિત મતોને કોઈ પણ રીતે કાપવાના પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રયાસોમાં હાથા બને છે - અપક્ષ ઉમેદવારો અને નાના-પરચૂરણ પક્ષો. ઉત્તર પ્રદેશની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં નેતાઓ અને પક્ષોની હારજીતમાં પરચૂરણ પક્ષોની શું ભૂમિકા હતી, એની ભાગ્યે જ ચર્ચા થતી હોય છે.

ચૂંટણી પરિણામો પહેલાં જ ઇન્ડિયાસ્પેન્ડ.કોમ નામની વેબસાઇટ પર એક વિશ્લેષણાત્મક અહેવાલ પ્રકાશિત થયો હતો. જેમાં નોંધાયેલા નાના રાજકીય પક્ષોની કરમકુંડળીની ઉદાહરણ સહિત ચર્ચા કરવામાં આવી હતી. એ બધી ચર્ચામાં ન પડીએ તોપણ કેટલાક આંકડા જાણવા રસપ્રદ છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી વિશાળ રાજ્ય છે. આ રાજ્યમાં 404 બેઠકો માટે વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની બેઠકો કરતાં પણ વધારે 474 નોંધાયેલા નાના રાજકીય પક્ષો કાર્યરત છે! સમગ્ર દેશમાં ચલાવાતા નાના પક્ષોમાંથી ચોથા ભાગના પક્ષો એકલા ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશમાં એક પછી એક ચૂંટણીમાં નાના પક્ષોની સંખ્યામાં સતત વધારો નોંધાતો ગયો છે. ઉત્તર પ્રદેશમાં 2002ના વર્ષમાં નાના પક્ષોની સંખ્યા માત્ર 75 હતી, જ્યારે 2012માં 204 પક્ષો ચૂંટણી મેદાનમાં કૂદી પડ્યા હતા અને આ વખતની ચૂંટણીમાં અધધ 474 નાના પક્ષોએ વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવ્યું હતું! 

ચૂંટણીની સિઝનમાં ફૂટી નીકળતા નાના પક્ષોના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ જાય એવી ખરાબ રીતે હારતા હોય છે, છતાં નાના પક્ષોની સંખ્યા વધતી જ જાય છે અને તેમને ઉમેદવારોની અછત પણ નડતી નથી! આની પાછળનું મુખ્ય કારણ એ છે કે તેઓને ચૂંટણી જીતવા કે હારવા માટે નહીં, પણ કોઈને હરાવવા-જિતાડવા માટે જ લડાવાતી હોય છે. ચૂંટણી લડવા માટે તેમને પોતાના અચ્છે દિન આવી જાય, એટલાં નાણાં પણ અપાતાં હોય છે. આમ, હારીને પણ કમાનારા આવા બાજીગર નેતાઓ ચૂંટણીની સિઝનમાં ધીકતી કમાણી કરી લેતા હોય છે.

ચૂંટણીપંચના ચોપડે નોંધાયેલા નાના પક્ષો ભાગ્યે જ કોઈ ચૂંટણી જીતી શકતા હોય છે, છતાં તેમનું અસ્તિત્વ ટકી રહે છે અને તેમની સંખ્યા વધતી જ જાય છે, તેનું એક કારણ નોંધાયેલા રાજકીય પક્ષોને મળતી વેરામાફી પણ ગણાવાય છે. ઇન્કમ ટેક્સ એક્ટ - 1961 અનુસાર રાજકીય પક્ષને દાન કરનારને કરવેરામાંથી માફી મળે છે. વળી, રાજકીય પક્ષે પણ કોઈ વેરો ચૂકવવો પડતો નથી. હવે મર્યાદા ઘટાડાઈ છે, છતાં 2000થી ઓછું દાન કરનારાઓનાં નામ-ઠામ-સ્રોત જાહેર કરવા પડતાં નથી. મોટા મોટા રાજકીય પક્ષો પણ પોતાનો હિસાબ ચોખ્ખો રાખતા નથી ત્યારે નાના પક્ષોને તો કોણ પૂછે, એટલે નાના રાજકીય પક્ષો ધીકતા ધંધાનું માધ્યમ બની જતા હોય છે. જોકે, બધા નાના પક્ષો કે અપક્ષ ઉમેદવારો પર આવો આક્ષેપ ન કરી શકાય, છતાં સ્થિતિ એવી છે કે સ્વચ્છ પક્ષો અને સેવાધર્મી ઉમેદવારો હવે અપવાદરૂપ જ જોવા મળે છે.

ઑગસ્ટ-2015માં ચૂંટણીપંચના આંકડા અનુસાર નોંધાયેલા નાના પક્ષોની સંખ્યા 1866 હતી. ડિસેમ્બર-2016માં ચૂંટણીપંચે વર્ષ 2005 પછી માત્ર કાગળ પર ચાલી રહેલા અને એકેય સ્તરની ચૂંટણી નહીં લડનારા 255 પક્ષોને નોંધાયેલા રાજકીય પક્ષોની યાદીમાંથી રદ કર્યા હતા, એટલું જ નહીં તેમની પંચે તેમની તપાસ હાથ ધરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસને તાકીદ પણ કરી હતી. આમ છતાં દેશમાં હાલ 1786 નાના પક્ષો અસ્તિત્વ ધરાવે છે.

બ્રિટિશ અર્થશાસ્ત્રી ઈ.એફ. શુમાકરનું સૂત્ર ‘સ્મોલ ઇઝ બ્યૂટીફૂલ’ રાજકીય પક્ષોની બાબતમાં સાચું પડતું નથી અને તેઓ લોકશાહીની બ્યૂટીને હાનિ પહોંચાડતા હોય છે. ગુજરાતમાં પણ ચૂંટણીઓ આવી રહી છે... હારીને કમાનારા બાજીગરોથી ચેતજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 15 માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, February 22, 2017

લોકહૃદયના બેતાજ બાદશાહ ઇન્દુલાલ યાજ્ઞિક

દિવ્યેશ વ્યાસ

ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે.


(ઇન્દુચાચાની આ તસવીર વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝા દ્વારા સંપાદિત પુસ્તક ‘ગુજરતાની અસ્મિતાના સ્વપ્નદૃષ્ટા ઇન્દુલાલ યાજ્ઞિક’ના આવરણ પરથી કાપીને લીધી છે.)

આંદોલનપુરુષ, ઇન્દુલાલ યાજ્ઞિક માટે વપરાયેલું વિશેષણ તેમના વ્યક્તિત્વને સૌથી વધારે બંધબેસતું છે. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આંદોલન-ધરણાંવાળા વગેરે શાસનવાળાનો જંગ જામ્યો હતો ત્યારે ઇન્દુચાચાનું સ્મરણ તીવ્ર બન્યું હતું, જેમણે આજીવન આંદોલન કર્યાં, કામદારો અને કિસાનો માટે અહિંસક લડતો લડયા, સ્થાપિત હિતો સામે જરૂર પડયે 'મુક્કો' બતાવ્યો અને સાથે સાથે ચૂંટણી જંગ પણ જીતી બતાવ્યા હતા. જો કે, ફકીરી પ્રકૃતિના ફાંકડા રાજનેતાને ક્યારે ય કોઈ પદ આર્કિષત કરી શક્યું નહોતું. મહાગુજરાત આંદોલનના અગ્રણી તરીકે તેમણે ધાર્યું હોત તો ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચતાં તેમને કદાચ કોઈ રોકી શક્યું ન હોત, પણ તેમને કોઈ પદમાં નહીં, માત્ર પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે. આજે ૨૨મી ફેબ્રુઆરીના રોજ ઇન્દુચાચાનો જન્મ દિવસ છે ત્યારે તેમની વંદના કરવાનું કેમ ચુકાય?

તસવીર : સૃષ્ટિ શુકલ
આજે (22 ફેબ્રુઆરી, 2015ના રોજ) અમદાવાદમાં સાબરમતીથી કલોલ જતા હાઇવે અને મોટેરા સ્ટેડિયમ જતા રસ્તાના ક્રોસિંગ પર ઇન્દુચાચાની નવ ફૂટની કાંસ્ય પ્રતિમા સાથેના સ્મારકના લોકાર્પણનો કાર્યક્રમ યોજાવાનો છે. ઇન્દુચાચાને મોટા ભાગના લોકો મહાગુજરાત આંદોલનના નાયક તરીકે ઓળખે છે, આ ઓળખાણ સાચી છે, પણ આખી નથી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં તેમનો ફાળો અનન્ય હતો એ કબૂલ, પરંતુ એ તો એમના જીવનકાર્યનો એક યશસ્વી અધ્યાય માત્ર હતો. આઝાદી આંદોલનમાં તેમનું યોગદાન નાનુસૂનું નહોતું. દેશને આઝાદી મળ્યા પછી સ્વરાજનું અમૃત ગરીબ-વંચિત-પછાત વર્ગના લોકો સુધી પહોંચાડવામાં તેમણે લીધેલી જહેમત યાદગાર છે. આઝાદ ભારતમાં ખેડૂતો અને આદિવાસીઓના કલ્યાણ માટે તેમણે સ્થાપિત હિતો સામે શિંગડાં ભરાવ્યાં હતાં. ગુજરાતના જ નહિ સમગ્ર દેશના ઇતિહાસમાં ઇન્દુચાચા એવું નામ છે, જેમને યાદ કર્યા વિના ચાલે જ નહીં, છતાં ઇન્દુચાચાની દેશમાં તો જવા દો ગુજરાતમાં પણ જોઈએ એવી કદર થઈ નથી, એ પીડાદાયક વાસ્તવિકતા છે.

આઝાદી આંદોલન વખતે ગાંધીજી સાથે ઇન્દુચાચાને આત્મીય સંબંધો હતા. સૌ જાણે છે કે ગાંધીજીનું 'નવજીવન' સાપ્તાહિક મૂળે તો ઇન્દુલાલ યાજ્ઞિકનું 'નવજીવન અને સત્ય' નામનું માસિક હતું, પણ ગાંધીજીની આત્મકથા જેટલું જ મહાન અને મહત્ત્વપૂર્ણ પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ'ના ગણેશજી એટલે કે લહિયા ઇન્દુચાચા હતા, એ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. ગાંધીજી અને ઇન્દુચાચા યરવડા જેલમાં અમુક મહિનાઓ સુધી સાથે હતા ત્યારે ઇન્દુચાચાએ જ ગાંધીજીએ અધૂરા લખેલા આ પુસ્તકને પૂરું કરવાનો આગ્રહ કર્યો હતો અને ગાંધીજી બોલે એને લખી લેવાની જવાબદારી તેમણે સામેથી જ ઉપાડી લીધી હતી. દેશના વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓનો બહિષ્કાર કરવાનું આહ્વાન આપવાના કાર્યક્રમની ચર્ચા ચાલતી હતી ત્યારે ઇન્દુચાચા જ હતા, જેમણે વિદ્યાર્થી સમક્ષ કોઈ વિકલ્પ આપવાની, શૈક્ષણિક કાર્યક્રમ મૂકવાનો આગ્રહ સેવ્યો હતો અને તેને પરિણામે જ રાષ્ટ્રીય શાળા સ્થાપવાનો વિચાર વિકસ્યો હતો. એ જ રીતે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં પણ તેમનું પાયાનું યોગદાન હતું. 'જનતા કરફ્યૂ' જેવું અહિંસક સાધન તેમની જ દેન છે.

ગાંધીજી પ્રત્યે ભારોભાર સન્માન હોવા છતાં ઇન્દુચાચા દેશના પહેલા એવા રાજનેતા છે, જેમણે ગેર-કોંગ્રેસવાદની હાકલ કરી હતી અને એ પણ ગાંધી અને સરદારની કોંગ્રેસ સામે ! ઇન્દુચાચા એક માત્ર એવા અપક્ષ ઉમેદવાર છે, જેમણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતી છે. ઇન્દુચાચાનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે તેઓ કોઈ પક્ષ, સંસ્થા કે સંગઠનમાં સમાઈ ન શકે.

ગાંધીજીની ઇચ્છા છતાં તેઓ કોંગ્રેસનું વિસર્જન કરાવી શક્યા નહોતા, જ્યારે અહિંસક લોકલડતથી અલગ ગુજરાત રાજ્ય હાંસલ કર્યા પછી તેમણે વિજયના દિવસે જ મળેલી વિરાટ સભામાં જાહેર કર્યું હતું, આપણામાંથી કોઈએ પ્રધાન બનવાનું નથી. આપણું ધ્યેય પ્રધાનપદ નહિ પણ મહાગુજરાત હતું, તે મળી ગયું છે અને મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે ... તેઓ પદલાલચુ નેતા નહીં પ્રજાના નેતા પુરવાર થયા હતા.

વિટાર વ્યક્તિત્વના સ્વામી ઇન્દુચાચાને જાણવા હોય તો તેમની છ ખંડોમાં વિસ્તરેલી આત્મકથા જરૂર વાંચવી જોઈએ. ગુજરાતની અસ્મિતાની ખરી લડત લડનારા ઇન્દુચાચા જેવા લોકનાયકનો લોકો આજે ય ઇન્તેજાર કરી રહ્યા છે. લીલાવતી કનૈયાલાલ મુનશીએ ઇન્દુચાચા માટે કહેલી વાત સાથે લેખ પૂર્ણ કરીએ : "ઇન્દુલાલ એટલે ટ્રેનની ઝડપ, ઇન્દુલાલ એટલે બાળકનાં તોફાન, ઇન્દુલાલ એટલે લશ્કરી સિપાઈ. ઇન્દુલાલમાં ઋષિમુનિનો સંયમ નથી પણ યૌદ્ધાઓનો નિગ્રહ છે. એમના બળવાન દેહમાં બાળકનો આત્મા વસે છે ... એ પણ અનંતના આંગણે રમતું બાળક જ છે. દેશકાર્યનું અસિધારાવ્રત એમણે લીધું છે. હનુમાન માફક એમના હૃદયમાં ઊંડા ભાગમાં 'દેશ' શબ્દ કોતરેલો હશે."

(‘સંદેશ’ની 22 ફેબ્રુઆરી, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

લગ્ન પર જ્ઞાતિવાદની લગામ

દિવ્યેશ વ્યાસ


આ લગનગાળામાં તમે કેટલાં આંતરજ્ઞાતીય લગ્નો જોયાં? જ્ઞાનયુગમાં પણ આપણે જ્ઞાતિગ્રસ્ત છીએ!

(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે)


ગુજરાતે તાજેતરનાં વર્ષોમાં એક પછી એક યુવા નેતાઓને ઉદય પામતા જોયા છે. આ નેતાઓ વચ્ચે વયજૂથ ઉપરાંતની બીજી એક સામ્યતા એ છે કે તેઓ પોતપોતાની જ્ઞાતિ-વર્ણના નેતા તરીકે ઊભર્યા છે, સમગ્ર રાજ્ય-સર્વસમાજના નેતા તરીકે નહીં. હા, તેઓ ધારે તો સર્વમાન્ય નેતા જરૂર બની શકે, પરંતુ એ માટે તેમણે પોતાનો જ્ઞાતિ-વર્ણવિશેષ એજન્ડાથી આગળ વધીને સર્વસમાવેશક અભિગમ અપનાવવો પડે. આ સ્થિતિ માટે દોષ માત્ર યુવા નેતાઓનો કાઢી શકાય એમ નથી. કૂવામાં હોય એ અવાડામાં આવે. આપણા સમાજમાં જ્ઞાતિ-જાતિના વાડા અને જાળાં એટલાં મજબૂત બનતાં ગયાં છે કે વૈચારિક રીતે જ્ઞાતિવાદી ન હોય છતાં પણ લોકસમર્થન મેળવવા માટે જ્ઞાતિનો સહકાર લીધા વિના ચાલતું નથી. આ કોઈ ઇચ્છનીય કે આદર્શ વાત બિલકુલ નથી, પરંતુ વરવી તો વરવી આ જ વાસ્તવિકતા છે, જે સ્વીકારવી અને સાથે મળીને સુધારવી રહી.

આપણા દેશમાં વિદેશી આક્રમણકારો ફાવ્યા છે, તેના પાયામાં આપણો જ્ઞાતિવાદ-વર્ણવ્યવસ્થા જવાબદાર હોવાનું ઐતિહાસિક રીતે પુરવાર થયું છે, છતાં આજેય આપણે જ્ઞાતિગ્રસ્ત છીએ! કેટલાક લોકો તરત કહેશે કે હવે ક્યાં પહેલાં જેવું છે? હા, શહેરીજીવનમાં સામાન્ય વ્યવહારમાં આવા ભેદભાવ સ્પષ્ટ જોવા મળતા નથી, પરંતુ મોટા ભાગના લોકોનાં માનસ હજુ જ્ઞાતિની ગ્રંથિથી મુક્ત થયાં નથી, એના જીવતાજાગતા પુરાવા જુદા જુદા સમાજની વાડીઓ-કોમ્યુનિટી હૉલ, છાત્રાલયો-હોસ્ટેલો, કાર્યક્રમો-સમારંભોમાં, સંસ્થાઓ-સંગઠનો અને હવે તો આંદોલનોમાં પણ સાંપડી રહ્યા છે. આટલા પુરાવા છતાં તમે આ વાત સાથે સહમત થતા ન હોય તો એક સવાલનો જવાબ વિચારજો, તમે તાજેતરના લગનગાળામાં આંતરજ્ઞાતીય લગ્નો કેટલાં જોયાં? તમે આવાં એકેય લગ્નમાં સામેલ થયાં? તમારો જવાબ ‘ના’ હોય તો વધુ કશું કહેવાનું રહેતું નથી.

ગયા વર્ષે મે-2016માં પ્રસિદ્ધ થયેલા ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે અનુસાર ભારતની 95 ટકા પરિણીત મહિલાઓએ પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરેલાં હતાં. સીધું ગણિત છે કે દેશમાં થતાં કુલ લગ્નોમાં માંડ 5 ટકા જ આંતરજ્ઞાતીય લગ્નો હોય છે. આ બીજો ઇન્ડિયન ડેવલપમેન્ટ સર્વે નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) અને યુનિવર્સિટી ઑફ મેરીલેન્ડ દ્વારા વર્ષ 2011-12માં કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રવ્યાપી સર્વેમાં કુલ 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વસતા 41,554 પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેનાં અન્ય તારણો પર નજર કરીએ તો સૌથી વધારે આંતરજ્ઞાતીય લગ્નોની બાબતે મિઝોરમ 55 ટકા સાથે નંબર વન રહ્યું હતું. બીજા ક્રમે મેઘાલય છે અને ત્રીજા ક્રમે સિક્કીમ છે, જ્યાં આંતરજ્ઞાતીય લગ્નનું પ્રમાણ અનુક્રમે 46 અને 38 ટકા છે. ચોથા ક્રમે 35 ટકા સાથે જમ્મુ-કાશ્મીર આવેલું જ્યારે આપણું ગુજરાત 13 ટકા સાથે પાંચમા ક્રમે રહ્યું હતું. આ સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ માંડ એક ટકો જ છે, ત્યારબાદ હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં પણ આ પ્રમાણ માંડ 2 ટકા છે. ગોવા જેવા શિક્ષિત-શહેરી રાજ્યમાં પણ 98 ટકા મહિલાઓએ સમાન જ્ઞાતિમાં જ લગ્ન કરેલાં. પંજાબ જેવા વિકસિત રાજ્યમાં પણ 97 ટકા મહિલાઓ પોતાની જ્ઞાતિમાં જ પરણેલી હતી.

આઝાદી મેળવ્યા પછી 1949માં હિન્દુ મેરેજીસ વેલિડિટી એક્ટ પસાર કરવામાં આવ્યો, જે અનુસાર જ્ઞાતિ કે પેટા જ્ઞાતિના પાત્ર સાથેનાં લગ્નને કોઈ પણ રીતે ગેરકાયદેસર ઠેરવી ન શકાય, એવું જાહેર કરાયું. 1954માં ધ સ્પેશિયલ મેરેજીસ એક્ટ અમલમાં આવ્યો, જેમાં આંતરજ્ઞાતીયની સાથે આંતરધર્મીય લગ્નોને પણ માન્યતા આપવામાં આવી. આખરે હિન્દુ મેરેજ એક્ટ, 1955માં અમલમાં આવ્યો, જેણે આંતરજ્ઞાતીય લગ્નોને વિધિવત્ કાયદેસરતા બક્ષી હતી. આંતરજ્ઞાતીય લગ્નોને કાયદેસરતા મળ્યાને પાંચ-પાંચ દાયકાઓ વીત્યા છતાં સમાજમાં કોઈ સુધારાવાદી વલણ પેદા થયું નથી. આજે પણ આંતરજ્ઞાતીય લગ્નોના મુદ્દે જ હરિયાણા, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહારમાં ઓનર કિલિંગની ઘટનાઓ બની રહી છે. અનેક પ્રેમીયુગલોએ જ્ઞાતિવાદને કારણે જ કાં પોતાના પ્રેમનું કે જીવનનું બલિદાન આપવું પડી રહ્યું છે.

ડૉ. આંબેડકરે નાતજાતના ભેદભાવ મિટાવવા માટે આંતરજ્ઞાતીય લગ્નોને એક ઉપાય તરીકે જોયાં હતાં તો ગાંધીજીએ તો આંતરજ્ઞાતીય લગ્ન હશે તો જ હું આશીર્વાદ આપવા હાજર રહીશ, એવું વલણ અપનાવ્યું હતું. આજે જાહેરજીવનમાં જ્ઞાતિવાદ વિરુદ્ધ કોઈ હરફ પણ ઉચ્ચારવા તૈયાર નથી! દેશ જ્યાં સુધી જ્ઞાતિગ્રસ્ત રહેશે ત્યાં સુધી આજનો જ્ઞાનયુગ પણ આપણું સામાજિક કલ્યાણ કરી શકે એમ નથી.

(‘દિવ્ય ભાસ્કર’ની 22મી ફેબ્રુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, January 11, 2017

લોહી પર મૃત્યુના વાહકનું લાંછન

દિવ્યેશ વ્યાસ


છેલ્લાં સાત વર્ષમાં ચેપી લોહી ચડાવવાને કારણે 14 હજારથી વધુ લોકો HIVના ભોગ બની ચૂક્યા છે



નવા જમાનામાં રક્તદાન મહાદાન ગણાય છે, કારણ કે તમારા લોહીને કારણે કોઈ અન્ય વ્યક્તિને નવજીવન મળી શકતું હોય છે, પરંતુ શું તમે ધારી શકો કે દાતા તરફથી લોહી મેળવનારા લોકોને ક્યારેક જીવનને બદલે મોત પણ મળી જતું હશે? હા, બ્લડ બેન્કોની બેદરકારીને કારણે એવા અનેક કિસ્સા સામે આવ્યા છે કે દર્દીને ચેપી લોહી ચડાવી દેવામાં આવે છે અને પરિણામે દર્દીના શરીરમાં બકરું કાઢતાં ઊંટ પેસવા જેવું થતું હોય છે. ચેપી લોહી જીવલેણ બીમારી લઈને આવતું હોય છે અને રહ્યાસહ્યા જીવનને પણ જીવવાલાયક રહેવા દેતું નથી. આ તે કેવી કરુણતા કે બ્લડ બેન્કના સ્ટાફની સભાનતા અને સંભાળના અભાવે જીવન બક્ષતું લોહી જ ઘાતક ચેપનું વાહક બનીને લોકોની જિંદગી છીનવી લેવા માંડ્યું છે.

ગુજરાતે આજથી પાંચ વર્ષ પહેલાં એટલે કે 2011માં જુનાગઢ એઆઈવી કાંડ નજરે જોયો છે, જેમાં 28 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને એચઆઈવીગ્રસ્ત લોહી ચડાવી દેવાયું હતું. (આમાંનાં આઠ માસૂમ બાળકો હવે ઈશ્વરને પ્યારાં થઈ ગયાં છે!) આવો જ વધુ એક ઘોર બેદરકારીભર્યો એચઆઈવી કાંડ વડોદરામાં પણ થયાનું તાજેતરમાં બહાર આવ્યું છે. વડોદરાની બે ખાનગી બ્લડ બેન્કોએ પરીક્ષણ કર્યા વિના જ 15 દર્દીઓને એઆઈવી, હિપેટાઇટીસ-બી અને હિપેટાઇટીસ-સીના ચેપવાળું લોહી ચડાવી દીધાનો કિસ્સો ખરેખર ચોંકાવનારો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ તથા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ-CDSOના સંયુક્ત તપાસ અહેવાલમાં ખુલાસો થયો છે કે વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરક્તમ્ બ્લડ બેન્કની બેદરકારીને કારણે 3 દર્દીઓને એચઆઈવી, 7 દર્દીઓને હિપેટાઇટીસ-સી અને 5 દર્દીઓને હિપેટાઇટીસ-બીના ચેપવાળું લોહી ચડાવી દેવામાં આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે આવી જીવલેણ બેદરકારી કઈ રીતે ચલાવી શકાય?

વાત ગુજરાત પૂરતી જ સીમિત નથી. સમગ્ર ભારતમાં ચેપી લોહી ચડાવી દેવાની બેદરકારીને કારણે હજારો લોકો ગંભીર બીમારીના ભોગ બન્યાના કિસ્સા જોવા મળ્યા છે. ઇન્ડિયાસ્પેન્ડ નામની રિસર્ચ ન્યૂઝ પોર્ટલના નિખિલ એમ. બાબુએ તાજેતરમાં આ અંગે એક વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. આ અહેવાલમાં રજૂ થયેલા આંકડા ખરેખર આંચકાજનક છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન-NACOના આંકડા અનુસાર ભારતમાં છેલ્લાં 7 વર્ષમાં અધધ 14,474 લોકો માત્ર ને માત્ર ચેપી લોહી ચડાવવાને કારણે એચઆઈવી-એઇડ્સનો ભોગ બન્યા છે! અહીં નોંધનીય બાબત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ચેપી રોગ ચડાવવાથી એઇડ્સનો ભોગ બનનારાની સંખ્યા થોડી થોડી ઘટતી જતી હતી, પરંતુ તાજેતરના વર્ષમાં આ સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે. વર્ષ 2014-15માં 1424 લોકો ચેપી લોહીને કારણે એઇડ્સનો ભોગ બનેલા, જ્યારે વર્ષ 2015-16માં આ સંખ્યા ઘટવાને બદલે 10 ટકા વધીને 1559 જેટલી થઈ ગઈ છે. આ આંકડો ખરેખર ચિંતાજનક છે.

અહીં સૌથી વધુ ચિંતાજનક અને આપણા માટે આઘાતજનક વાત એ છે કે ચેપી લોહીને કારણે એઇડ્સનો ભોગ બનનારાઓની સંખ્યામાં ગુજરાત નંબર -1 છે! વર્ષ 2009થી 2016ના સમયગાળામાં ગુજરાતમાં 2518 લોકો ચેપી લોહીને કારણે એઇડ્સગ્રસ્ત બન્યા છે. આ બાબતે બીજા ક્રમે ઉત્તરપ્રદેશ (1807) અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર (1585) આવે છે. આ આંકડાઓ પુરવાર કરે છે કે ગુજરાતમાં આ મામલે ખરેખર ગંભીર સ્થિતિ પ્રવર્તે છે. જુનાગઢના એઆઈવી કાંડ પછી પણ આપણા આરોગ્ય વિભાગની કે બ્લડ બેન્કોની આંખો ખૂલતી નથી અને એટલે જ વડોદરાકાંડ સર્જાય છે.

લોહી તો જીવન આપે, એને મૃત્યુના વાહકનું લાંછન લગાડતી લચર વ્યવસ્થા ક્યારે સુધારવામાં આવશે? હોસ્પિટલ્સ-બ્લડ બેન્કના બેદરકાર કર્મીઓ વિરુદ્ધ કડક પગલાં ક્યારે ભરાશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 11 જાન્યુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)