Showing posts with label India. Show all posts
Showing posts with label India. Show all posts

Wednesday, July 25, 2018

દવાખાનું કોઈને દેખાડશો નહીં!

દિવ્યેશ વ્યાસ


બીમારી કે અકસ્માતની સારવાર એટલી મોંઘી પડી રહી છે કે પરિવારની આર્થિક હાલત સિરીયસ થઈ જાય છે!

(તસવીર પ્રતીકાત્મક છે અને ઇન્ટરનેટ પરથી મેળવેલી છે.)

પરિવારના વૃદ્ધજનોના મોંઢે કદાચ તમે સાંભળ્યું હશે કે ‘ભગવાન, ત્રણ વસ્તુથી કાયમ અમને દૂર રાખજે : દવાખાનું, કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશન’. આ ત્રણની યાદીમાં સૌથી પહેલું સ્થાન દવાખાનાને મળ્યું છે, તેનાં ચોક્કસ કારણો છે. શાંતિપૂર્વક જીવન જીવો, નિયમ-કાયદાનું પાલન કરો અને ટંટાફસાદથી દૂર રહો તો તમે આસાથીની કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશનથી દૂર રહી શકો છો, પરંતુ તબિયત કે તંદુરસ્તી પર એક હદથી વધારે આપણું નિયંત્રણ રહેતું નથી. બીમાર પડવાનાં એટલાં બધાં કારણો છે કે ક્યારેક તો કોઈને કોઈ આપણને લપેટમાં લઈ લે છે અને દવાખાનાભેગા થવું પડે છે. એમાંય અકસ્માતમાં તો વગરવાંકે પણ ઉપાધિ માથે પડી શકે છે. આવા સંજોગોમાં સારવાર અર્થે હોસ્પિટલમાં જઈને સારવાર લીધા સિવાય છૂટકો હોતો નથી. અમુક ઉંમર પછી કેટલીક તકલીફો અને બીમારીઓ લાગુ પડ્યા વિના રહેતી નથી ત્યારે શરીરને સ્વસ્થ-સાજું રાખવા માટે દવા-સારવાર કરવી આવશ્યક હોય છે. બીપી અને ડાયાબિટીસ જેવી વ્યાધિઓમાં તો નિયમિતપણે દવાઓ લેવી જરૂરી બને છે. આમ, દવાખાને જવું તો કોઈને ગમતું નથી, પરંતુ દવાખાને ગયા વિના ક્યાં કોઈને ચાલે છે?

બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, નિરક્ષર હોય કે સાક્ષર, ગરીબ હોય કે અમીર, ગ્રામીણ હોય કે શહેરી, દરેકને દવાખાના-સારવારની જરૂર ક્યારેક ને ક્યારેક પડે જ છે. આરોગ્ય અને શિક્ષણ એવાં બે ક્ષેત્રો છે, જેમાં સેવાની જેટલી તક મળે છે, એટલો જ મોકો મેવા ખાવાનો (કમાણી કરવાનો) પણ મળતો હોય છે. ખાનગીકરણના દોર પછી આરોગ્ય ક્ષેત્રમાં ખાનગી હોસ્પિટલો-કોર્પોરેટ હોસ્પિટલોનો દબદબો સતત વધતો રહ્યો છે. સ્વાસ્થ્ય સેવાઓ અને દવાઓ એટલી મોંઘી બની રહી છે કે સામાન્ય લોકોને પોષાતી નથી.

સરકારી દવાખાનાં અને આરોગ્ય કેન્દ્રો પોતે જ સ્વાસ્થ્ય ઝંખી રહ્યા હોય, એવી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે ખાનગી દવાખાનામાં જવું જાણે ફરજિયાત થઈ ગયું છે. આરોગ્ય ક્ષેત્ર ધમધમતી કમાણીનું સાધન બની ગયું છે અને એને કારણે સારવાર પછી વ્યક્તિની હાલત તો સુધરી જાય છે, પરંતુ પરિવારની આર્થિક હાલત બગડી જતી હોય છે. તાજેતરમાં ઇન્ડિયાસ્પેન્ડ ડૉટકૉમ નામના પોર્ટલ પર બીએમજે જર્નલના સંશોધનના આધારે એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેમાં અધિકૃત સરકારી આંકડાઓના આધારે તારણ કાઢવામાં આવ્યું હતું કે વર્ષ 2011-12માં આરોગ્ય-સારવાર પર હદથી વધારે ખર્ચો થવાને કારણે 5 કરોડ 50 લાખ લોકો રાતોરાત ગરીબીરેખા હેઠળ ધકેલાઈ ગયા હતા! અહેવાલમાં જ આંકડા અપાયેલા છે કે આ સંખ્યા દ. કોરિયા, સ્પેન અને કેન્યા જેવા દેશોની વસતી કરતાં પણ વધારે છે. આ સંશોધન વાંચતાં અર્થશાસ્ત્રના અભ્યાસુ અને પ્રખર રાજનેતા સનત મહેતાનો એક દસ-બાર વર્ષ જૂનો લેખ યાદ આવી ગયો, જેમાં તેમણે લખેલું કે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને ગરીબી રેખા વચ્ચે માત્ર એક મોટી બીમારીનું જ અંતર હોય છે! એમાંય મોટી બીમારી હોય તો અમીર પરિવાર પણ રાતોરાત ગરીબી રેખા હેઠળ પહોંચી જતો હોય છે.

આજકાલ હૃદયરોગ અને કેન્સરની બીમારી દાવાનળની જેમ ફેલાઈ રહી છે અને પહોંચ બહારનો ખર્ચો કરાવવામાં પણ આ બે બીમારીઓ જ મુખ્યપણે કારણભૂત હોવાનું અભ્યાસોમાં જણાયું છે. પરિવારજનના સ્વાસ્થ્ય માટે દેણું કરીને પણ સારવાર કરાવવામાં આવે છે અને દેવાનો ખાડો પુરવામાં જમીન-જાયદાદ વેચવાનો પણ વારો આવતો હોય છે. ભારતમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવે છે, તેને કારણે લાખો લોકોને પ્રમાણમાં સસ્તી સારવાર મળી રહે છે, પરંતુ દવાઓના ઊંચા ભાવના ડામ તો સહેવા જ પડતાં હોય છે.

ભારતમાં સરકારો દ્વારા આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવે છે. એક અભ્યાસ અનુસાર વર્ષ 2015માં સરકાર દ્વારા જીડીપીના માત્ર 1.02 ટકા જ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા હતા. જાહેર આરોગ્ય માટે સરકાર દર વર્ષે વ્યક્તિદીઠ રૂ. 1,112નો જ ખર્ચ કરે છે. આ હિસાબે રોજના માત્ર રૂ. 3! આરોગ્ય ક્ષેત્રે વધારે નાણાં-સંસાધનો ફાળવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ જરૂરી વધારો કરવામાં ઠાગાઠૈયા જ કરવામાં આવે છે.

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારે નાણાકીય સંસાધનો ફાળવવા જરૂરી છે. કોઈ પણ દેશ સ્વસ્થ નાગરિકો વિના સશક્ત બની શકે નહીં.

(દિવ્ય ભાસ્કરની 25મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, July 26, 2017

રબર સ્ટેમ્પ નહીં, ખરા રાષ્ટ્રપતિ

દિવ્યેશ વ્યાસ


આશા રાખીએ, નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ‘વર્કિંગ પ્રેસિડન્ટ’ નારાયણન સરીખા પૂર્વસૂરિઓને અનુસરવામાં ક્યારેય પાછા ન પડે!

(નારાયણનની તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

‘વરસાદ પડતો ત્યારે ઘાસની બનેલી કાચી છતમાંથી પાણી ટપકતું. અમે ભાઈ-બહેનો દીવાલ સાથે લપાઈને વરસાદ બંધ પડવાની રાહ જોતાં. આજે પણ કોણ જાણે કેટલાક કોવિંદ વરસાદમાં ભીંજાતા હશે, ખેતરમાં કામ કરતા હશે અને બે ટંકના ભોજન માટે કાળી મજૂરી કરતા હશે. પરોંખા ગામનો રામનાથ કોવિંદ આ તમામના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિભવનમાં જઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ પદે મારી પસંદગી ભારતીય લોકશાહીની મહાનતા છે.’ દેશના 14મા રાષ્ટ્રપતિ બનેલા રામનાથ કોવિંદના આ લાગણીભીના શબ્દોએ 20 વર્ષ અગાઉ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ સમયે જ કહેવાયેલાં વાક્યોની યાદ તાજી કરી દીધી, ‘દેશે પોતાના સર્વોચ્ચ પદ માટે એક એવી વ્યક્તિને પસંદ કરી છે, જે સમાજના સૌથી તળિયાના વર્ગમાં જન્મ્યો અને આ પવિત્ર ભૂમિની માટી અને તડકામાં મોટો થયો છે. આમ આદમીની નિસબત આપણા સામાજિક અને રાજકીય જીવનના મુખ્ય મંચ પર આવી ગઈ છે, તેના આ સંકેત છે. અંગત ગૌરવના કોઈ ભાવ સાથે નહીં, પણ વ્યાપક મહત્ત્વની દૃષ્ટિએ હું રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયો તેથી આજે ખુશ છું.’ કહેવાની કદાચ જરૂર નથી કે આ શબ્દો દેશના 10મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કે. આર. નારાયણનના છે. દેશના સર્વોચ્ચ પદે એક પછાત ગણાતી જાતિના નેતા માનભેર ચૂંટાયા છે ત્યારે દેશના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનનું સ્મરણ થવું સ્વાભાવિક છે. જોકે, સદગત નારાયણન દલિત રાષ્ટ્રપતિ કરતાં પણ ‘વર્કિંગ પ્રેસિડન્ટ’ તરીકે વધારે જાણીતા છે, એ સુખદ બાબત છે.

કોચ્ચેરીલ રામન નારાયણનનો જન્મ 27 ઓક્ટોબર, 1920ના રોજ કેરળ રાજ્યના ત્રાવણકોર જિલ્લાના નાનકડા ગામ પેરુમથાનમ ઉઝાવુરમાં એક દલિત ગણાતી જાતિના ગરીબ પરિવારમાં થયો હતો. બાર-પંદર કિલોમીટર ચાલીને રોજ ભણવા જતાં નારાયણને પરિવાર દ્વારા મામૂલી ફી પણ ન ભરી શકાતાં ઘણા દિવસો સુધી વર્ગખંડની બહાર ઊભાં ઊભાં ભણવું પડતું હતું. પિતા વૈદ્ય હતા અને શિક્ષણનું મહત્ત્વ સમજતા હતા, એટલે નારાયણનનો અભ્યાસ અટક્યો નહીં. પોતાની મહેનત અને તેજસ્વિતાના જોરે સ્કોલરશિપ મેળવી મેળવીને નારાયણન ભણતા રહ્યા. યુનિવર્સિટી ઑફ ત્રાવણકોરમાં અંગ્રેજી સાહિત્યમાં સૌથી વધારે માર્ક સાથે તેમણે માસ્ટર ડિગ્રી મેળવી. એ વખતે એવો કાયદો હતો કે કૉલેજના ટોપરને કૉલેજમાં જ પ્રોફેસર તરીકે નોકરીએ રાખી લેવામાં આવે. નારાયણન દલિત પરિવારમાંથી આવતા હોવાથી કૉલેજે તેમને પ્રોફેસર નહીં, ક્લાર્કની પોસ્ટ સ્વીકારવા કહેવાયું! સ્વમાની નારાયણને પદવીદાન સમારંભનો જ બહિષ્કાર કર્યો. (ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી યુનિવર્સિટી દ્વારા તેમને સસન્માન પદવી એનાયત કરવામાં આવી હતી.) નારાયણન નોકરીની શોધમાં દિલ્હી પહોંચી ગયા. દિલ્હીમાં પત્રકાર તરીકે (ધ હિંદુ અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં) થોડા સમય કામ કર્યું. પછી ફેલોશિપની મદદથી તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ભણવા ગયા અને ત્યાં અર્થશાસ્ત્ર તથા પોલિટિકલ સાયન્સમાં ડિગ્રીઓ મેળવી. હેરાલ્ડ લાસ્કીના માનીતા શિષ્ય બન્યા. લાસ્કીએ નહેરુ પર એક ચિઠ્ઠી લખી દીધી. નહેરુ લાસ્કીની ભલામણ કરતાં પણ નારાયણનની પ્રતિભા અને પ્રતિબદ્ધતાથી પ્રભાવિત થયા અને તેમને વિદેશ સેવાઓમાં અધિકારી તરીકે નિયુક્ત કર્યા. નારાયણને થાઇલેન્ડ, તુર્કી, ચીન અને છેલ્લે અમેરિકામાં રાજદૂત તરીકે સેવાઓ આપી હતી. ઇન્દિરા ગાંધીએ તેમને રાજકારણમાં જોતર્યા. કેરળના ઓટ્ટાપલમથી તેઓ ત્રણ વખત (1984, 1989 અને 1991) સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. કેન્દ્રમાં આયોજન, વિદેશી બાબતો અને સાયન્સ-ટેક્નોલોજીના મંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી. 1992માં તેઓ સર્વસંમતિથી ઉપરાષ્ટ્રપતિ તરીકે બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા. 1997માં વિક્રમસર્જક 95 ટકા મતો સાથે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા હતા. ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ટી.એન. શેષન સામે તેમણે જંગી મતોથી જીત મેળવેલી. સૌથી વધારે મતોથી જીતવાનો તેમનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી.

ખંડિત જનાદેશના દોરમાં નારાયણને રાષ્ટ્રપતિ તરીકે સરકાર રચવા માટે સૌથી વધુ બેઠકો ધરાવતા પક્ષને નહીં, પણ બહુમત હાંસલ કરી શકવા સક્ષમ પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપવાની નવી અને સ્વસ્થ પરંપરા ઊભી કરી હતી. રાષ્ટ્રપતિ પદે તેઓ રબર સ્ટેમ્પ બનીને ક્યારેય રહ્યા નહોતા, તેઓ હંમેશાં બંધારણને સર્વોચ્ચ માનીને પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કરતા હતા. ઉત્તર પ્રદેશ કે બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો મુદ્દો હોય કે કારગિલ યુદ્ધ વખતે કાર્યવાહક વાજપેયી સરકારના શાસનમાં રાજ્યસભામાં ચર્ચા કરાવવવાનો નિર્ણય હોય, 2002માં ગુજરાત રમખાણોમાં કેન્દ્ર સરકારની ભૂમિકા હોય કે પછી બંધારણ બદલવાની તોફાની ચર્ચા હોય, દરેક વખતે તેમણે રાષ્ટ્રપતિને છાજે એવું સ્ટેન્ડ લીધું હતું અને એટલે જ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે જાણીતા (સાથે સાથે અળખામણા પણ) બન્યા હતા. આશા રાખીએ, નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નારાયણન સરીખા પૂર્વસૂરિઓને અનુસરવામાં ક્યારેય પાછા ન પડે!

(‘દિવ્ય ભાસ્કર’ની 26મી જુલાઈ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમના લેખની મૂળ પ્રત)

Wednesday, July 12, 2017

હિંદના દાદા : દેશવાસીઓના હમદર્દ

દિવ્યેશ વ્યાસ


હિંદના દાદા ગણાતા દાદાભાઈ નવરોજી ભારતના ખેડૂતોના દુ:ખો અને સમસ્યાઓથી સુપરિચિત-સુચિંતિત હતા


(ગૂગલ પરથી ઇમેજ મેળવેલી છે.)

મહાત્મા ગાંધીએ તેમને ‘હિંદના દાદા’ ગણાવીને વંદના કરી હતી, એવા દાદાભાઈ નવરોજીએ પોતાના 93 વર્ષના દીર્ઘજીવનમાં અનેક રીતે દેશસેવા કરી હતી. કોઈ પણ ક્ષેત્રે ‘દાદા’ કે ‘દાદુ’ (માસ્ટર) એમ જ બનાતું નથી. દાદાભાઈએ પોતાની બુદ્ધિ, સમજ, ક્ષમતા, વિવેક, મહેનત અને સંઘર્ષ થકી પોતાના નામને સાર્થક કરી બતાવ્યું હતું. ગત 30મી જૂનના રોજ દાદાસાહેબના નિધનને 100 વર્ષ થયાં એટલે ભારત માતાના આ લાલને યાદ કરવાનું એક મહત્ત્વપૂર્ણ નિમિત્ત ઊભું થયું છે.

મુંબઈમાં એક સાધારણ પારસી પરિવારમાં 4 સપ્ટેમ્બર, 1825ના રોજ જન્મેલા દાદાભાઈના જીવનમાં સંઘર્ષનું શરૂઆત બહુ નાની વયથી થઈ ચૂકી હતી. દાદાભાઈ માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા નવરોજી પાલનજીનું નિધન થયું. એ જમાનામાં માતા કંઈ ભણેલા નહોતા, પરંતુ તેમણે દીકરાને ભણાવ્યો અને મેધાવી વિદ્યાર્થી તરીકે દાદાભાઈએ વિખ્યાત એલ્ફિંસ્ટન કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. દાદાભાઈની જીવનમાં બધે સર્વપ્રથમ જ રહેવાની આદતનો પાયો એલ્ફિંસ્ટન કૉલેજથી જ નખાયો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી માત્ર 25 વર્ષની વયે તેમણે પોતાની માતૃસંસ્થા એટલે કે એલ્ફિંસ્ટન કૉલેજમાં ગણિતના પ્રોફેસરનું પદ હાંસલ કર્યું. એલ્ફિંસ્ટન જેવી શિક્ષણસંસ્થાઓમાં પ્રોફેસર જેવું સન્માનનીય પદ હાંસલ કરનારા તેઓ સર્વપ્રથમ ભારતીય હતા. પ્રોફેસર તરીકે તેમણે મહિલાઓના શિક્ષણ માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા હતા. દાદાભાઈની પ્રતિભાને જોઈને કામા બંધુઓએ તેમને પોતાની કંપનીમાં ભાગીદાર બનાવ્યા અને યુરોપમાં કંપનીના કામકાજની મોટી જવાબદારી સોંપી. ઈંગ્લેન્ડમાં કાર્યરત થનારી કામ એન્ડ કંપની દેશની પહેલી કંપની હતી અને તેનું સુકાન દાદાભાઈએ બખૂબી સંભાળ્યું હતું. આ કંપની છોડીને પછી તેમણે 1859માં પોતાની કંપની પણ ત્યાં સ્થાપી હતી. ઇંગ્લેન્ડમાં રહીને વેપારની સાથે સાથે દાદાભાઈએ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મદદરૂપ બનીને તેમને માર્ગદર્શન આપવાનું મોટું કામ કર્યું. મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા સહિતના અનેક ભારતીય વિદ્યાર્થીઓને દાદાસાહેબની હુંફ મળી હતી. આગળ જતાં દાદાસાહેબે જ્યારે જાહેરજીવનમાં જંપલાવ્યું ત્યારે ઝીણાએ તેમના સહાયક તરીકે પણ કામ કર્યું હતું!

દાદાભાઈની એ સમજને દાદ દેવી પડે કે તેમણે અંગ્રેજી રાજવહીવટમાં ભારતીયોની સામેલગીરીનો મુદ્દો પકડ્યો હતો. તેઓ દૃઢપણે માનતા હતા કે પ્રશાસનમાં પણ ભારતીયોનો સમાવેશ થવો જ જોઈએ તો જ ભારતીયોને ન્યાય મળી શકે. આ માટે તેમણે ઇંગ્લેન્ડમાં રહીને ખૂબ પ્રયાસો કર્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓને પ્રશાસનિક સેવાઓ માટે સજ્જ-સક્ષમ કરવા માટે પણ તેમણે ઘણી મહેનત કરી હતી. આ દૃષ્ટિકોણ સાથે જ સંસદીય પ્રણાલીના પ્રખર સમર્થક એવા દાદાભાઈએ બ્રિટિશ લોકસભા (હાઉસ ઑફ કૉમન્સ) માટે ચૂંટણી લડવાનું પણ સાહસ ખેડ્યું હતું. પહેલી વાર તો ચૂંટણી હારી ગયેલા, પરંતુ હતાશ થયા વિના તેમણે જાહેરજીવનમાં ધીમે ધીમે એવી પ્રતિષ્ઠા હાંસલ કરી કે 1892માં લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે માત્ર 3 મતની પાતળી બહુમતી સાથે પણ ચૂંટણી જીતીને હાઉસ ઑફ કોમન્સના સભ્ય બન્યા હતા. બ્રિટિશ પાર્લમેન્ટમાં સાંસદ બનનારા તેઓ સર્વપ્રથમ ભારતીય જ નહિ, એશિયન હતા!

તાજેતરમાં આપણે શશિ થરુરે બ્રિટનમાં આપેલા એક જુસ્સાદાર ભાષણથી ખૂબ પ્રભાવિત થઈ ચૂક્યા છીએ ત્યારે નોંધનીય વાત એ છે કે બ્રિટિશ સાંસદ તરીકેના પહેલા જ વક્તવ્યમાં દાદાસાહેબે ભારતમાં અંગ્રેજોની શોષણકારી આર્થિક નીતિને ઉઘાડી પાડી હતી. અંગ્રેજો કઈ રીતે ભારતને ગરીબ બનાવી રહ્યા છે, તેની અભ્યાસપૂર્ણ રજૂઆત કરીને સમગ્ર બ્રિટિશ સલ્તનતને હચમચાવી દીધી હતી. દાદાસાહેબે ‘ડ્રેઇન થિયરી’ રજૂ કરી હતી, જેમાં આંકડાકીય વિગતો સાથે તેમણે બ્રિટિશરો સમક્ષ સાબિત કરી દીધું હતું કે તેઓ ભારતનું મોટા પાયે આર્થિક શોષણ કરી રહ્યા છે, જે અન્યાયી અને અમાનવીય છે. દાદાસાહેબે ‘પોવર્ટી એન્ડ અન-બ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા’માં (1901) બ્રિટિશર્સ કેવા કેવા મોટા પાયે વેરા ઉઘરાવે છે, તથા ભારતીયોનું શોષણ કરીને આર્થિક સમૃદ્ધિ બ્રિટનમાં ખેંચી જવામાં આવે છે, એ વાતને સ્પષ્ટ અને સખત શબ્દોમાં વ્યક્ત કરી હતી.દાદાસાહેબનાં વક્તવ્યોમાં ભારતના ખેડૂતો માટેની હમદર્દી વારંવાર છલકાતી હતી. એક તરફ ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી ઊજવાઈ રહી છે તો બીજી તરફ ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો અટકતો નથી એવા સંજોગોમાં હિંદના દાદાની ખેડૂતો માટેની હમદર્દી વિશેષ પ્રસ્તુત બની છે. દેશમાં દુષ્કાળ અને અંગ્રેજોના આર્થિક શોષણ સામે દાદાસાહેબે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. આજે દેશમાં ખેડૂતોના હમદર્દ હોય એવા નેતાઓનો દુષ્કાળ છે ત્યારે દાદાસાહેબનું સ્મરણ વધુ તીવ્ર બને છે.

‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઑફ ઇન્ડિયા’ તરીકે જાણીતા દાદાસાહેબના દેશસેવામાં અગણિત યોગદાનોમાંનું એક મહત્ત્વપૂર્ણ યોગદાન છે - ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપનામાં સહભાગિતા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપના કરનારાઓમાં એ.ઓ. હ્યુમ અને દિનશૉ અદુલજી વાચા પછી ત્રીજા પાયાના પથ્થર હતા દાદાભાઈ નવરોજી. દાદાભાઈ 1886, 1893 અને 1906, એમ ત્રણ વખત કૉંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા. દાદાભાઈએ કૉંગ્રેસના યુવા નેતાઓ તરીકે લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે અને મહાત્મા ગાંધી જેવાને હંમેશાં પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બ્રિટિશ પાર્લમેન્ટના સાંસદ તરીકેના શપથ બાઇબલ પર હાથ મૂકીને નહીં પણ પોતાના પારસી ધર્મના ધર્મગ્રંથ પર હાથ મૂકીને લેવાનો આગ્રહ રાખનારા દાદાભાઈને પોતાના ધર્મ પ્રત્યે પૂરેપૂરો આદર અને ગર્વ જરૂર હતો, પરંતુ તેઓ ધર્મ કરતાં માતૃભૂમિને-દેશને વધારે મહત્ત્વ આપતા હતા. પોતાના ધર્મનું ઠાલું ગૌરવ લેવાનું તો આ બૌદ્ધિકને ક્યાંથી પોષાય? તેમણે પારસી ધર્મની સુધારણા માટે ઘણી જહેમત ઉઠાવીને પોતાના ધર્મ-સમુદાયની મોટી સેવા કરી હતી.

દાદાભાઈના ગુજરાત કનેક્શનની વાત કરીએ તો એક તો તેઓ ગુજરાતીભાષી પરિવારમાં જ ઉછર્યા હતા. બીજું તેમણે ‘રાસ્ત ગોફ્તાર’ નામનું ગુજરાતી સામયિક શરૂ કર્યું હતું અને વડોદરા રાજ્યના દીવાન તરીકે પણ સેવાઓ આપી હતી.

દાદાભાઈનું નિધન 30મી જૂન, 1917ના રોજ મુંબઈ ખાતે થયું હતું. તેમની યાદમાં મુંબઈમાં તેમના નામનો માર્ગ હોય કે પ્રતિમા હોય એ સ્વાભાવિક છે, પરંતુ દાદાભાઈનું તૈલચિત્ર બ્રિટિશ પાર્લમેન્ટમાં રાખવામાં આવી છે, તેમના મતક્ષેત્રમાં તેમના નામે માર્ગ છે, એટલું જ નહિ, પાકિસ્તાનના કરાચી શહેરમાં પણ તેમના નામનો માર્ગ છે!

હિંદના દાદાને હૃદયપૂર્વક વંદન!

(‘દિવ્ય ભાસ્કર’ની 12મી જુલાઈ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 21, 2017

...અને યાદ આવ્યા રાકેશ શર્મા

દિવ્યેશ વ્યાસ


ભારતીય મૂળના રાજા ચારીનો અમેરિકાના નવા 12 અંતરીક્ષયાત્રીઓમાં સમાવેશ થતાં રાકેશ શર્મા યાદ આવી ગયા



અમેરિકાને ફરી મહાન બનાવવાના વાયદા સાથે ચૂંટાઈ આવેલા નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના અંતરીક્ષ કાર્યક્રમને વેગવાન બનાવવા કમર કસી છે. અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, ટૂંકમાં નાસા (NASA)માં હવે ધમાધમી વધી છે. થોડા દિવસ પહેલાં એટલે કે 8મી જૂને સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે નાસાએ અંતરીક્ષ મોકલવા માટે 12 નવા એસ્ટ્રોનટ્સની પસંદગી કરી લીધી છે. ભારત માટે આ સમાચારમાં રાજી થવા જેવી બાબત એ હતી કે ભારતીય મૂળના રાજા ચારીનો પણ આ 12 નવા અંતરીક્ષયાત્રીઓમાં સમાવેશ થયો છે. રાજા ચારી આમ તો અમેરિકન એરફોર્સમાં કાર્યરત છે અને લેફ્ટનન્ટ કર્નલ જેવો સન્માનનીય હોદ્દો ધરાવે છે. અમેરિકામાં જ જન્મેલા-ઉછરેલા રાજા ચારીના ભારતીય મૂળનો ઉલ્લેખ થતાં જ અંતરમાં આનંદ છવાયો એની સાથે સાથે અંતરીક્ષમાં પહોંચનારા સર્વપ્રથમ ભારતીય રાકેશ શર્માનું સ્મરણ તાજું થઈ ગયું.

રાકેશ શર્માનું નામ પડતાં જ આપણને તરત તેમનું જાણીતું વાક્ય યાદ આવી જાય, ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા!’ રાકેશ શર્મા જ્યારે અંતરીક્ષમાં પહોંચ્યા ત્યારે ત્યાંથી ટેલિવિઝન ન્યૂઝ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અંતરીક્ષમાં પહોંચનારા પ્રથમ ભારતીયને સવાલ પૂછેલો કે ઊંચે આકાશેથી ભારત કેવું લાગે છે? અને ત્યારે રાકેશ શર્માએ સ્વીટ એન્ડ શોર્ટ જવાબ આપેલો, ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા!’ આ વાક્ય સાંભળનારા કે તેનો વીડિયો જોનારા દરેક ભારતીયની છાતી ગજ ગજ ફૂલી જવી સ્વાભાવિક છે.

રાજા ચારીની સિદ્ધિ સમયે પણ રાકેશ શર્માનું સ્મરણ થવાનું કારણ એ છે કે આ જ રાકેશ શર્માને કારણે ભારતીય યુવાનો અંતરીક્ષમાં જવાનું સ્વપ્ન સેવતા થયા છે. રાકેશ શર્મા એક પ્રેરણાદાયક નામ બની ગયું છે. રાકેશ શર્મા વિશ્વના 128માં માણસ હતા, જે અંતરીક્ષમાં ગયા હોય. રશિયાના સહયોગથી રાકેશ શર્માને અંતરીક્ષમાં મોકલીને ભારત પોતાના દેશના નાગરિકને અંતરીક્ષમાં મોકલનારો 14મો દેશ બન્યો હતો.  રાકેશ શર્મા સોયુઝ-ટી 11 નામના યાનમાં 2જી એપ્રિલ, 1984ના રોજ અંતરીક્ષમાં પહોંચ્યા હતા. રાકેશભાઈ સાત દિવસ 21 કલાક અને 40 મિનિટ સુધી અંતરીક્ષમાં વિહર્યા હતા. રાકેશ શર્માની આ અંતરીક્ષ સિદ્ધિ માટે રશિયાએ તેમને ‘હીરો ઑફ સોવિયત યુનિયન’નું સન્માન આપ્યું હતું તો ભારતે ‘અશોક ચક્ર’ એનાયત કરીને પોતાના ‘હીરા’ને પોંખ્યો હતો.

રાકેશ શર્માની અંતરીક્ષયાત્રા મોટા ભાગના દેશવાસીઓ માટે બહુ મોટા આશ્ચર્યની વાત હતી. આપણે ત્યાં દેવતાઓ ઊંચે આકાશમાં ક્યાંય રહેતા હોવાનો ખ્યાલ બહુ મજબૂત છે. આ સંદર્ભે એક મુલાકાતમાં રાકેશ શર્માએ જણાવેલું કે ઘણા લોકો મને પૂછતા હતા કે આકાશમાં શું તમારો ભેટો ભગવાન સાથે થયો હતો?
રાકેશ શર્માના નામે અંતરીક્ષમાં ગયા પહેલાં ઇન્ડિયન એરફોર્સના પાઇલટ તરીકેની યશસ્વી કામગીરી બોલે છે. વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તેમણે યુદ્ધ વિમાનો ઉડાડીને દુશ્મનોના દાંત ખાટા કર્યા હતા. એ સમયે માત્ર 23 વર્ષના રાકેશભાઈએ કુલ 21 વાર ઉડાન ભરીને દુશ્મનો પર હુમલા કર્યા હતા.

ગયા ફેબ્રુઆરી, 2017માં જ સમાચાર આવ્યા હતા કે રાકેશ શર્માના જીવન અને સિદ્ધિઓ પર બોલિવૂડમાં ફિલ્મ બનવાની છે. આમિર ખાન પોતે રાકેશ શર્માનું પાત્ર ભજવવાના છે. આ ફિલ્મ સિદ્ધાર્થ રોય કપૂર અને ખુદ આમિર પ્રોડ્યુસ કરશે, જ્યારે ફિલ્મનું ડિરેક્શન મહેશ મથાઈને સોંપવામાં આવ્યું છે. રાકેશ શર્મા જેવા દેશના ખરા હીરોને વારંવાર યાદ કરવા જ રહ્યા. આવા હીરો જ આપણી આવનારી પેઢીના પ્રેરણાસ્રોત બની શકે!
(‘દિવ્ય ભાસ્કર’ની 21મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, June 14, 2017

સંસદ પર હુમલાનો સિલસિલો

દિવ્યેશ વ્યાસ

સંસદો અને વિધાનસભાઓ પરના આતંકી હુમલા પુરવાર કરે છે કે કટ્ટરપંથીઓ લોકશાહીને ધિક્કારે છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

આતંકવાદી હુમલાનું પ્રમાણ દિવસે દિવસે ઘટવાને બદલે વધી રહ્યું છે. આતંકવાદીઓ જાહેર ભીડભાડવાળાં સ્થળો પર ત્રાટકીને વધુ ને વધુ લોકોની હત્યા કરીને હાહાકાર મચાવવાની ફિતરત ધરાવતા હોય છે. ધાર્મિક સ્થળો પણ તેમના નિશાના પર હોય છે. જોકે, સૌથી નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા કેટલાક સમયથી આતંકવાદીઓ જે તે દેશની સંસદ અને વિધાનસભાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. ગયા બુધવારે 7મી જૂન, 2017ના રોજ ઈરાનની સંસદ પર આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈરાનની રાજધાની તહેરાનમાં ઈરાનની સંસદ ઉપરાંત ક્રાંતિકારી નેતા આયાતોલ્લાહ ખોમેનીના મકબરા પર પણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 14 લોકોનાં મોત થયાં હતાં. આ આતંકી હુમલાની જવાબદારી કુખ્યાત આતંકી સંગઠન આઈએસઆઈએસે લીધી હતી. ચાર સશસ્ત્ર આતંકીઓ મહિલાનાં વસ્ત્રોમાં વિઝિટર્સ ગેટથી સંસદ પરિસરમાં ઘૂસ્યા હતા. રાઇફલ અને પિસ્તોલ જેવાં હથિયારોથી સજ્જ આતંકીઓ સંસદને બાનમાં લેવાનો ઇરાદો ધરાવતા હતા, પરંતુ તેમને ઠાર કરીને હુમલાને નિષ્ફળ બનાવાયો હતો. ઈરાન પછી આઈએસઆઈએસે હવે સાઉદ અરબને હુમલા માટે તૈયાર રહેવાની ધમકી ઉચ્ચારી હતી.

ઈરાનની સંસદ પર હુમલા અગાઉ આતંકીઓએ લંડન ખાતે પણ બ્રિટિશ સંસદ બહાર આતંકી હુમલો કર્યો હતો. 22મી માર્ચ, 2017ના રોજ બ્રિટિશ સંસદની બહાર ગોળીબારો કરવા ઉપરાંત આતંકીઓએ લોકોને કારની નીચે કચડી નાખીને હાહાકાર મચાવવાની પણ કોશિશ કરી હતી. સંસદની પાસે વેસ્ટમિનિસ્ટર બ્રિજ નજીક આતંકી હુમલો થયો ત્યારે બ્રિટિશ સંસદમાં આશરે 200 સાંસદો મોજૂદ હતા. આતંકી હુમલાને કારણે સંસદની કાર્યવાહી અટકાવી દઈને સંસદભવનને લૉક કરી દેવાયું હતું. આતંકી હુમલામાં એક મહિલાનું મોત થયું હતું તો ડઝનેક લોકો ઘવાયા હતા.

સંસદ પર આતંકી હુમલાની વાત નીકળે ત્યારે નવી દિલ્હી ખાતે આપણા સંસદભવન પર થયેલો હુમલો તો કેમ ભુલાય? 13 ડિસેમ્બર, 2001ના રોજ જૈશે મોહમ્મદના પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો. સફેદ એમ્બેસેડરમાં સંસદ પરિસરમાં ઘૂસી ગયેલા આતંકીઓએ 30 મિનિટ સુધી સંસદ પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. જોકે, સંસદમાં તૈનાત સુરક્ષાકર્મીઓએ આતંકીઓનો સામનો કરીને ઠાર માર્યા હતા. સુરક્ષા જવાનોએ ભારતીય સંસદ અને દેશની સુરક્ષાવ્યવસ્થાની લાજ બચાવી હતી. આતંકવાદીઓનો સામનો કરતાં કરતાં દિલ્હી પોલીસના પાંચ જવાન, સીઆરપીએફનાં એક મહિલા કોન્સ્ટેબલ અને સંસદના બે ગાર્ડ શહીદ થયા હતા તથા 16 જવાનો ઘાયલ થયા હતા. સંસદમાં ઘૂસેલા આતંકીઓ એકે-47 જેવાં શસ્ત્રો ઉપરાંત વિસ્ફોટકો પણ લાવ્યા હતા. એ વખતે સંસદ ચાલુ હતી અને આતંકીઓનો ઇરાદો સાંસદોને બાનમાં લેવાનો હતો. જોકે, આતંકીઓ ફાવી શક્યા નહોતા.

સંસદ ઉપરાંત વિધાનસભાઓ પણ આંતકી હુમલાનો ભોગ બનેલી છે. 1 ઑક્ટોબર, 2001ના રોજ જૈશે મોહમ્મદના ત્રણ આંતકીઓએ શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલો કર્યો હતો. કાર બૉમ્બથી વિધાનસભાને ઉડાવી દેવાનું ષડ્્યંત્ર રચાયું હતું. આતંકીઓ વિધાનસભાના મુખ્ય દ્વાર સુધી પહોંચી ગયા હતા અને કાર બૉમ્બ ફોડ્યો હતો, જેમાં 38 લોકો અને ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.

ભારત ઉપરાંત પાકિસ્તાનમાં લાહોર વિધાનસભા પણ આતંકી હુમલાનો ભોગ બની ચૂકી છે. 13 ફેબ્રુઆરી, 2017ના રોજ લાહોરની વિધાનસભાની બહાર આતંકી હુમલો કરાયો હતો, જેમાં 16 લોકોના જીવ ગયા હતા અને 81 નિર્દોષ નાગરિકો ઘવાયા હતા.

આતંકવાદીઓના સંસદ અને વિધાનસભા પરના હુમલાઓ પરથી સ્પષ્ટ છે કે કટ્ટરવાદીઓ લોકશાહીને ધિક્કારે છે. સંસદ લોકશાહીનું પ્રતીક જ નહીં મંદિર પણ છે. આતંકવાદીઓને લોકોનું શાસન, કાયદાનું શાસન પસંદ નથી, તેમને તો લોહીની નદીઓ વહાવવી હોય છે. લોકશાહી મૂલ્યો અને કટ્ટરતા ક્યારેય એકસાથે ચાલી શકે નહીં. આતંક સામે હંમેશાં લોકોની સત્તા અને એકતા જ જીતતી હોય છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 14મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, April 19, 2017

દલાઈ લામા પ્રત્યે દ્વેષ શા માટે?

દિવ્યેશ વ્યાસ


પ્રેમ અને પ્રસન્નતાનો સંદેશ આપનારા દલાઈ લામા પ્રત્યે ધિક્કાર પેદા થવો મુશ્કેલ છે, પણ ચીનને કોણ સમજાવે?

(તસવીર ગૂગલ પરથી લીધેલી છે.)

થોડા દિવસ પહેલાં જ સમાચાર જાણવા મળ્યા કે આંધ્રપ્રદેશે પણ હવે હેપ્પીનેસ મંત્રાલય શરૂ કર્યું છે. દેશમાં સૌથી પહેલાં હેપ્પીનેસ મંત્રાલય સ્થાપવાનો યશ મધ્યપ્રદેશને જાય છે. અન્ય રાજ્યો પણ હેપ્પીનેસ મંત્રાલય સ્થાપવાનું અનુકરણ કરે તો નવાઈ પામવા જેવું નથી. આજનો માનવી તાણગ્રસ્ત છે ત્યારે આનંદ-પ્રસન્નતા માટે સરકાર દ્વારા ભરવામાં આવતાં પગલાં આવકાર્ય છે. જોકે, સરકાર સુવિધા-સગવડ ઊભી કરી શકે, મનોરંજન પૂરી પાડતી પ્રવૃત્તિઓ પણ કરી શકે, પણ એનાથી લોકોના જીવનમાં આનંદ અને પ્રસન્નતા છવાઈ જાય, એવું માનવું વધારેપડતું ગણાય. હેપ્પીનેસ- પ્રસન્નતાની વાત માંડી છે ત્યારે તરત યાદ આવતું નામ દલાઈ લામાનું છે. દલાઈ લામા એટલે જાણે કરુણા અને પ્રસન્નતાનું જળ સીંચતી અમૃતધારા! દલાઈ લામાએ પ્રસન્નતા (હેપ્પીનેસ) પર લખેલું પુસ્તક બેસ્ટસેલર બન્યું હતું. દલાઈ લામા કહે છે કે, "ખુશ રહેવું આપણા જીવનનો ઉદ્દેશ છે.’ હેપ્પીનેસ મંત્રાલયના દોરમાં દલાઈ લામાની બીજી એક વાત પણ ધ્યાને લેવા જેવી છે કે "પ્રસન્નતા કંઈ રેડીમેઇડ મળતી ચીજ નથી, તે આપણાં પોતાનાં કાર્યોમાંથી જ સર્જાય છે.’ દલાઈ લામા ખુશી-આનંદ કઈ રીતે મળે તેની ગુરુચાવી પણ આપવાનું ચૂકતા નથી, તેમણે લખ્યું છે, "તમે જો અન્યોને ખુશ જોવા માગતા હોવ તો કરુણાનો ભાવ રાખો. જો તમે પોતે પણ ખુશ રહેવા માગતા હોવ તોપણ કરુણાનો ભાવ રાખો.’ આમ, પ્રસન્નતા માટે કરુણાનો ભાવ અનિવાર્ય છે. દલાઈ લામા બુદ્ધની કરુણાને જ પોતાનો ધર્મ માને છે. તમારી કરુણા જ તમને સંવેદનશીલ બનાવી રાખે છે અને સંવેદનશીલતા જ તમારી પાસે એવાં કાર્યો કરાવે છે, જે અન્યોને સુખી કરે છે અને તમને પોતાને પણ સુખ અને સંતોષ આપે છે.

કરુણામૂર્તિ દલાઈ લામાનું શુદ્ધ, સરળ અને સંવેદનશીલ વ્યક્તિત્વ જોતાં કોઈ પણને જરૂર સવાલ થઈ શકે કે આવી વ્યક્તિ પ્રત્યે કોઈ વ્યક્તિ કે રાષ્ટ્ર દ્વેષ કઈ રીતે કરી શકે? છતાં પણ ચીનને તો તેઓ આંખના કણાની જેમ ખટકે છે. તાજેતરમાં દલાઈ લામાએ જ્યારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી ત્યારે ચીન એ યાત્રાને અટકાવવા માટે આડોડાઈ પર ઊતરી આવ્યું હતું. ભારત સરકારે આ મામલે સ્થિર અને કડક વલણ અપનાવીને ચીનને ચોખ્ખું પરખાવી દીધું હતું કે દલાઈ લામાની આ યાત્રા ધાર્મિક છે, તેને રાજકીય કે અન્ય રંગ આપવાની જરૂર નથી. આ મામલે દલાઈ લામાએ એક સંતને શોભે એવું જ નિવેદન આપતાં જણાવેલું કે, ‘ભારતે ક્યારેય મારો રાજકીય ઉપયોગ કર્યો નથી!’ આ સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને દલાઈ લામાની પ્રતિષ્ઠા વધી તો ચીન માટે વધુ એક વખત નીચાજોણું થયું છે.

ભૂતકાળ સૌ જાણે છે કે ચીનના તિબેટ પરના આક્રમણ પછી દલાઈ લામા ઈ.સ. 1959માં હિજરત કરીને ભારત આવી ગયા હતા અને ભારતે તેમને આશ્રય આપ્યો હતો. આ જ વાતે ભારત અને ચીનના સંબંધોમાં ખટાશ પણ આવી હતી. દલાઈ લામાના મામલે માત્ર ભારતની સાથે જ નહીં, પરંતુ અન્ય દેશો સાથે ચીન આવી જ અવળચંડાઈ કરતું રહ્યું છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ હોય કે અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામા હોય, તેમણે જ્યારે પણ દલાઈ લામાની મુલાકાત લીધી ત્યારે ચીને રોડાં નાખવાની કોશિશ કરી હતી. જોકે, એન્જેલા હોય કે ઓબામા તેમણે ચીનને ગણકાર્યા વિના એક સંત તરીકે દલાઈ લામાને મળવાનું પસંદ કર્યું હતું.

વિસ્તારવાદી ચીન તિબેટને ગળી ગયું છે, પરંતુ તિબેટિયન્સ ચીનના શાસનને સ્વીકારવા તૈયાર નથી, કારણ કે તેઓ પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. દલાઈ લામા ચીન પાસે તિબેટની સ્વતંત્રતા નહીં, પણ સ્વાયત્તતા માગે છે, પણ ચીન આજેય તુમાખીમાંથી બહાર આવવા તૈયાર નથી.

ચીનની આટઆટલી આડોડાઈ અને અન્યાય સહન કરવા છતાં ગાંધી વિચારોમાં માનનારા અને શાંતિનો નોબેલ પારિતોષિક મેળવનારા દલાઈ લામા ચીનને મહાન દેશ ગણાવે છે, એટલું જ નહીં તેઓ તહેદિલથી ઇચ્છે છે કે ભારત અને ચીન વચ્ચે મૈત્રી સ્થપાવી જોઈએ. જોકે, દલાઈ લામા ચીનમાં લોકશાહી વ્યવસ્થા હોવી જોઈએ, એવી વાત કરે છે ત્યારે ચીનનું પેટ ચૂંકાવા માંડે છે. ચીને આજે નહીં તો કાલે દલાઈ લામાના ડહાપણને અનુસરવું જ પડશે. દલાઈ લામાના એક શાણા સુવાક્યથી લેખનો અંત લાવીએ, "આપણે ધર્મ અને ચિંતન વિના રહી શકીએ, માનવીય પ્રેમ વિના નહીં.’

(‘દિવ્ય ભાસ્કર’ની 19મી એપ્રિલ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ )

Wednesday, March 29, 2017

મહર્ષિ દધીચિનો દેહદાનનો વારસો

દિવ્યેશ વ્યાસ


સદગત તારકભાઈ મહેતા અને ચિનુભાઈ મોદીએ દેહદાન કરીને સમાજને મહામૂલી પ્રેરણા પૂરી પાડી છે


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)
 તાજેતરમાં ગુજરાતે ઉપરાઉપરી બે મોટા સાહિત્યકારો-સર્જકો ગુમાવ્યા, દુનિયાને ઊલટાં ચશ્માં થકી સતત હસાવનારા તારકભાઈ મહેતા અને ગઝલથી માંડીને ખંડકાવ્ય અને નાટકથી લઈને નવલકથામાં પોતાનું સર્જકત્વ સાબિત કરનારા ચિનુ મોદી. તારકભાઈના નિધન પછી તેમના મિજાજને શોભે એવી હાસ્યાંજલિની છોળો ઊડી, પણ ચિનુ મોદીના નિધન પછી તેમની શોકસભાના આયોજન બાબતે સાહિત્યિક સંસ્થાઓના વાદવિવાદને કારણે વિષાદ ઘેરો બન્યો. આ વાદવિવાદના દેકારામાં એક વાત તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું કે આ બન્ને સાહિત્યકારોએ દેહદાન કરીને પોતાના જીવનના અંતિમ પર્વને માનવતા માટે ન્યોછાવર કરી દીધું હતું! દેશમાં એક તરફ કબ્રસ્તાન અને સ્મશાનના નામે રાજકારણ રમાઈ રહ્યું છે ત્યારે આ બન્ને મહાનુભાવોએ સમાજને એક ત્રીજો જ રાહ ચીંધ્યો છે. દેહદાનનો માર્ગ નિર્વિવાદપણે માનવતાનો માર્ગ છે! વળી, સારું છે કે દુનિયાના લગભગ તમામ ધર્મોમાં દેહદાન પ્રત્યે સકારાત્મક વલણ જોવા મળે છે. સદ્્ગત તારકભાઈ અને ચિનુ મોદીએ દેહદાન કરીને સમગ્ર સમાજને મહામૂલી પ્રેરણા પૂરી પાડી છે.

ભારતીય સંસ્કૃતિમાં દેહદાન મામલે સૌથી જૂનું અને ચમકતું નામ મહર્ષિ દધીચિનું. દધીચિ ઋષિની વાર્તા કંઈક એવી છે કે તેઓ નૈમિષારણ્યમાં નિવાસ કરતા હતા. દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. યુદ્ધ ઘણા દિવસ સુધી ચાલ્યું, પણ વૃત્રાસુરના નેતૃત્વમાં લડી રહેલા અસુરોને દેવો હરાવી શકતા નહોતા. દેવતાઓ ઇન્દ્ર પાસે ગયા અને ઇન્દ્ર તરત બ્રહ્માજીને મળ્યા. બ્રહ્માજીએ ઉપાય સૂચવ્યો કે નૈમિષારણ્યમાં તપ કરી રહેલા દધીચિ ઋષિએ પોતાના શરીરમાં અપાર શક્તિઓ હાંસલ કરી છે. તેમનાં હાડકાંમાંથી જો હથિયાર બનાવવામાં આવે તો તેનાથી અસુરોને પરાસ્ત કરી શકાશે. ઇન્દ્ર દધીચિ પાસે ગયા અને ખચકાતાં ખચકાતાં બધી વાત કરી. દધીચિ પોતાના દેહદાન માટે રાજી થઈ ગયા અને તેમણે યોગબળથી પોતાનું શરીર છોડી દીધું. તેમનાં હાડકાંમાંથી વજ્ર બનાવવામાં આવ્યું. વજ્રના પ્રહારથી જ વૃત્રાસુર હણાયો અને અસુરો પર વિજય મેળવી શકાયો.

આજે અનેક બીમારી રૂપ વૃત્રાસુરો-અસુરો માનવજાત પર ત્રાટકી રહ્યા છે, લાખો લોકોને રંજાડી રહ્યા છે ત્યારે દેહદાન-અંગદાન બહુ આવશ્યક બન્યું છે. આજની દુનિયાને એક નહીં હજારો દધીચિની જરૂર છે. દધીચિ ઋષિએ તો સામેથી મોતને આમંત્રિત કરવું પડ્યું હતું, પરંતુ આપણે એવા ભાગ્યશાળી છીએ કે આપણે મૃત્યુ પછી જ દેહદાન કરવાનું હોય છે. આપણી જિંદગી પૂર્ણપણે જીવી લીધા પછી પણ અન્ય માનવબંધુઓને નવી જિંદગી બક્ષી શકીએ છીએ.

દધીચિ ઋષિના વારસ હોવા છતાં આપણે ત્યાં દેહદાન બાબતે જોઈએ એટલી જાગૃતિ જોવા મળતી નથી. એક થોડોક જૂનો આંકડો છે કે વર્ષ 2014માં સ્પેનમાં દર દસ લાખે 36 લોકો દેહદાન કરેલું, ક્રોએશિયામાં 35 લોકોએ દેહદાન કરેલું, અમેરિકામાં દર દસ લાખે દેહદાન કરનારાનો આંકડો 27.2 હતો, જ્યારે ભારતમાં આ આંકડો માંડ 0.34 હતો! લિવર, હૃદય કે કિડની જેવાં અંગોની ખરાબીને કારણે આપણા દેશમાં દર વર્ષે આશરે પાંચ લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે. બીજી તરફ એક વ્યક્તિ દેહદાન કરીને આશરે 8 વ્યક્તિઓની જિંદગી બચાવી શકે છે. દાન કરાયેલો દેહ મેડિકલ ક્ષેત્રનાં સંશોધન અને શિક્ષણમાં પણ ઉપયોગી પુરવાર થતો હોય છે.

માર્ચ મહિનામાં તારકભાઈ અને ચિનુ મોદીના દેહદાન ઉપરાંત બીજા એક સમાચાર જાણવા મળ્યા હતા કે દિલ્હીનાં આંચલ ગુપ્તા અને સૂરજ ગુપ્તા નામના એક દંપતીએ પોતાની સાત દિવસની નવજાત દીકરીનું મોત થતાં તેના દેહનું દાન કરીને એક દાખલો બેસાડ્યો હતો. અત્રે નોંધનીય છે કે પ. બંગાળનાં વિખ્યાત મુખ્યમંત્રી જ્યોતિ બસુએ દેહદાન કરેલું. આપણાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ દેહદાનનો સંકલ્પ લીધેલો છે. ગુજરાતમાં અનેક સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ અંગદાન-દેહદાન માટે પ્રયાસરત છે. જિંદગીના અંતિમ પર્વને માનવસંવેદના ખાતર દેહદાન થકી ઊજવનારા તારકભાઈ અને ચિનુભાઈને સો સો સલામ!

(‘દિવ્ય ભાસ્કર’ની 29મી માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, February 22, 2017

લગ્ન પર જ્ઞાતિવાદની લગામ

દિવ્યેશ વ્યાસ


આ લગનગાળામાં તમે કેટલાં આંતરજ્ઞાતીય લગ્નો જોયાં? જ્ઞાનયુગમાં પણ આપણે જ્ઞાતિગ્રસ્ત છીએ!

(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે)


ગુજરાતે તાજેતરનાં વર્ષોમાં એક પછી એક યુવા નેતાઓને ઉદય પામતા જોયા છે. આ નેતાઓ વચ્ચે વયજૂથ ઉપરાંતની બીજી એક સામ્યતા એ છે કે તેઓ પોતપોતાની જ્ઞાતિ-વર્ણના નેતા તરીકે ઊભર્યા છે, સમગ્ર રાજ્ય-સર્વસમાજના નેતા તરીકે નહીં. હા, તેઓ ધારે તો સર્વમાન્ય નેતા જરૂર બની શકે, પરંતુ એ માટે તેમણે પોતાનો જ્ઞાતિ-વર્ણવિશેષ એજન્ડાથી આગળ વધીને સર્વસમાવેશક અભિગમ અપનાવવો પડે. આ સ્થિતિ માટે દોષ માત્ર યુવા નેતાઓનો કાઢી શકાય એમ નથી. કૂવામાં હોય એ અવાડામાં આવે. આપણા સમાજમાં જ્ઞાતિ-જાતિના વાડા અને જાળાં એટલાં મજબૂત બનતાં ગયાં છે કે વૈચારિક રીતે જ્ઞાતિવાદી ન હોય છતાં પણ લોકસમર્થન મેળવવા માટે જ્ઞાતિનો સહકાર લીધા વિના ચાલતું નથી. આ કોઈ ઇચ્છનીય કે આદર્શ વાત બિલકુલ નથી, પરંતુ વરવી તો વરવી આ જ વાસ્તવિકતા છે, જે સ્વીકારવી અને સાથે મળીને સુધારવી રહી.

આપણા દેશમાં વિદેશી આક્રમણકારો ફાવ્યા છે, તેના પાયામાં આપણો જ્ઞાતિવાદ-વર્ણવ્યવસ્થા જવાબદાર હોવાનું ઐતિહાસિક રીતે પુરવાર થયું છે, છતાં આજેય આપણે જ્ઞાતિગ્રસ્ત છીએ! કેટલાક લોકો તરત કહેશે કે હવે ક્યાં પહેલાં જેવું છે? હા, શહેરીજીવનમાં સામાન્ય વ્યવહારમાં આવા ભેદભાવ સ્પષ્ટ જોવા મળતા નથી, પરંતુ મોટા ભાગના લોકોનાં માનસ હજુ જ્ઞાતિની ગ્રંથિથી મુક્ત થયાં નથી, એના જીવતાજાગતા પુરાવા જુદા જુદા સમાજની વાડીઓ-કોમ્યુનિટી હૉલ, છાત્રાલયો-હોસ્ટેલો, કાર્યક્રમો-સમારંભોમાં, સંસ્થાઓ-સંગઠનો અને હવે તો આંદોલનોમાં પણ સાંપડી રહ્યા છે. આટલા પુરાવા છતાં તમે આ વાત સાથે સહમત થતા ન હોય તો એક સવાલનો જવાબ વિચારજો, તમે તાજેતરના લગનગાળામાં આંતરજ્ઞાતીય લગ્નો કેટલાં જોયાં? તમે આવાં એકેય લગ્નમાં સામેલ થયાં? તમારો જવાબ ‘ના’ હોય તો વધુ કશું કહેવાનું રહેતું નથી.

ગયા વર્ષે મે-2016માં પ્રસિદ્ધ થયેલા ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટ સર્વે અનુસાર ભારતની 95 ટકા પરિણીત મહિલાઓએ પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરેલાં હતાં. સીધું ગણિત છે કે દેશમાં થતાં કુલ લગ્નોમાં માંડ 5 ટકા જ આંતરજ્ઞાતીય લગ્નો હોય છે. આ બીજો ઇન્ડિયન ડેવલપમેન્ટ સર્વે નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) અને યુનિવર્સિટી ઑફ મેરીલેન્ડ દ્વારા વર્ષ 2011-12માં કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રવ્યાપી સર્વેમાં કુલ 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વસતા 41,554 પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેનાં અન્ય તારણો પર નજર કરીએ તો સૌથી વધારે આંતરજ્ઞાતીય લગ્નોની બાબતે મિઝોરમ 55 ટકા સાથે નંબર વન રહ્યું હતું. બીજા ક્રમે મેઘાલય છે અને ત્રીજા ક્રમે સિક્કીમ છે, જ્યાં આંતરજ્ઞાતીય લગ્નનું પ્રમાણ અનુક્રમે 46 અને 38 ટકા છે. ચોથા ક્રમે 35 ટકા સાથે જમ્મુ-કાશ્મીર આવેલું જ્યારે આપણું ગુજરાત 13 ટકા સાથે પાંચમા ક્રમે રહ્યું હતું. આ સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ માંડ એક ટકો જ છે, ત્યારબાદ હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં પણ આ પ્રમાણ માંડ 2 ટકા છે. ગોવા જેવા શિક્ષિત-શહેરી રાજ્યમાં પણ 98 ટકા મહિલાઓએ સમાન જ્ઞાતિમાં જ લગ્ન કરેલાં. પંજાબ જેવા વિકસિત રાજ્યમાં પણ 97 ટકા મહિલાઓ પોતાની જ્ઞાતિમાં જ પરણેલી હતી.

આઝાદી મેળવ્યા પછી 1949માં હિન્દુ મેરેજીસ વેલિડિટી એક્ટ પસાર કરવામાં આવ્યો, જે અનુસાર જ્ઞાતિ કે પેટા જ્ઞાતિના પાત્ર સાથેનાં લગ્નને કોઈ પણ રીતે ગેરકાયદેસર ઠેરવી ન શકાય, એવું જાહેર કરાયું. 1954માં ધ સ્પેશિયલ મેરેજીસ એક્ટ અમલમાં આવ્યો, જેમાં આંતરજ્ઞાતીયની સાથે આંતરધર્મીય લગ્નોને પણ માન્યતા આપવામાં આવી. આખરે હિન્દુ મેરેજ એક્ટ, 1955માં અમલમાં આવ્યો, જેણે આંતરજ્ઞાતીય લગ્નોને વિધિવત્ કાયદેસરતા બક્ષી હતી. આંતરજ્ઞાતીય લગ્નોને કાયદેસરતા મળ્યાને પાંચ-પાંચ દાયકાઓ વીત્યા છતાં સમાજમાં કોઈ સુધારાવાદી વલણ પેદા થયું નથી. આજે પણ આંતરજ્ઞાતીય લગ્નોના મુદ્દે જ હરિયાણા, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહારમાં ઓનર કિલિંગની ઘટનાઓ બની રહી છે. અનેક પ્રેમીયુગલોએ જ્ઞાતિવાદને કારણે જ કાં પોતાના પ્રેમનું કે જીવનનું બલિદાન આપવું પડી રહ્યું છે.

ડૉ. આંબેડકરે નાતજાતના ભેદભાવ મિટાવવા માટે આંતરજ્ઞાતીય લગ્નોને એક ઉપાય તરીકે જોયાં હતાં તો ગાંધીજીએ તો આંતરજ્ઞાતીય લગ્ન હશે તો જ હું આશીર્વાદ આપવા હાજર રહીશ, એવું વલણ અપનાવ્યું હતું. આજે જાહેરજીવનમાં જ્ઞાતિવાદ વિરુદ્ધ કોઈ હરફ પણ ઉચ્ચારવા તૈયાર નથી! દેશ જ્યાં સુધી જ્ઞાતિગ્રસ્ત રહેશે ત્યાં સુધી આજનો જ્ઞાનયુગ પણ આપણું સામાજિક કલ્યાણ કરી શકે એમ નથી.

(‘દિવ્ય ભાસ્કર’ની 22મી ફેબ્રુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Monday, January 30, 2017

સર્વધર્મ પ્રાર્થના થકી શીખ્યા શિસ્ત અને શાંતિના પાઠ

ઇલા ર. ભટ્ટ


સર્વધર્મ પ્રાર્થના થકી ગાંધીજીએ દેશવાસીઓને સંગઠિત અને વૈચારિક-નૈતિક રીતે સુસજ્જ કરવામાં અસાધારણ સફળતા મેળવી હતી



મહાત્મા ગાંધીમાં જે બળ અને તેજ હતું, તેના મૂળમાં તેમની અપાર આધ્યાત્મિકતા હતી. આધ્યાત્મિકતા વિના તો આટલું બધું બળ આવે જ ક્યાંથી? સૂતેલા અજગર જેવા દેશને તેમણે હચમચાવીને બેઠો કરેલો. ગાંધીજીનું લક્ષ્ય માત્ર અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવા પૂરતું સીમિત ક્યારેય નહોતું, પરંતુ તેઓ દેશના દરેક વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ ઇચ્છતા હતા. હિંદુ સંસ્કૃતિનાં (ધર્મ નહીં!) મહામૂલાં મૂલ્યોની પુન:સ્થાપના કરવા માટે તેઓ આજીવન ઝઝૂમ્યા હતા. સત્ય અને અહિંસા જેવાં મૂલ્યોને જાહેરજીવનમાં સ્થાપવા માટે તેઓ ખૂબ મથ્યા હતા. આઝાદી આંદોલનની સાથે સાથે ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો, સમાજસુધારણાનાં કાર્યો સતત આગળ વધાર્યાં હતાં. ગાંધીજીની આધ્યાત્મિકતાની અસર તેમના આંદોલનો પર ચોખ્ખી વર્તાય છે. તેમણે આંદોલનો ચલાવવા માટે વૉર રૂમ્સ નહીં, પરંતુ આશ્રમો સ્થાપ્યા હતા! આશ્રમવાસીઓ માટે તેમણે અગિયાર વ્રતો ફરજિયાત કર્યા હતા. દેશમાં નૈતિક મૂલ્યોના પુન:સ્થાપન માટે તેમણે આશ્રમોને પ્રયોગશાળા કમ ધરુવાડિયામાં ફેરવી નાખ્યા હતા.

ગાંધીજીના આશ્રમો અને આંદોલનોમાં એક વિશેષ પાસું હતું - સર્વધર્મ પ્રાર્થના. વિવિધ ધર્મોનું પાલન કરનારા દેશવાસીઓમાં એકતા સ્થાપવા માટે, આધ્યાત્મિક પેદા કરવા માટે તેમણે પ્રાર્થનાનું માધ્યમ અપનાવ્યું હતું. પ્રાર્થના ગાંધીજીની દિનચર્યાનો અભિન્ન હિસ્સો હતી. સામુહિક સર્વધર્મ પ્રાર્થના થકી તેમણે દેશવાસીઓને સંગઠિત અને વૈચારિક-નૈતિક રીતે સુસજ્જ કરવામાં અસાધારણ સફળતા મેળવી હતી.
પ્રાર્થનામાં સામાન્ય રીતે આપણે ભગવાન પાસે કંઈક ને કંઈક માગતા હોઈએ છીએ, પણ ગાંધીજીએ સર્વધર્મ-સમૂહ પ્રાર્થનાનો મૌલિક ખ્યાલ આપીને પ્રાર્થનાની ભાવનાને કંઈક માગવાથી વિશેષ વ્યાપક બનાવી હતી. ગાંધીજીએ પ્રાર્થનામાં માત્ર પોતાનું નહીં, પરંતુ સમાજ, રાષ્ટ્ર અને એનાથી આગળ વધીને સમગ્ર વિશ્વનું કલ્યાણ ઇચ્છવાનું શીખવ્યું. ઈશ્વરનું સ્મરણ ચોક્કસ કરવાનું છે, પરંતુ સાથે સાથે આપણા અંત:કરણમાં પણ ઝાંખવાનું છે. માણસ નીતીના માર્ગે ચાલે એ માટે અંત:કરણની શુદ્ધિ અને જાગૃિત જરૂરી હોય છે અને આ બે વાનાં તમને પ્રાર્થના થકી પ્રાપ્ત થઈ શકે છે. આ કારણોસર જ ગાંધીજીએ પોતાના નિત્યક્રમમાં સવાર-સાંજની પ્રાર્થના દાખલ કરેલી. પ્રાર્થના માટે તેમણે બહુ ચૂંટી ચૂંટીને ભજનો-પદો-પ્રાર્થનાઓ પસંદ કરેલાં. જેને ‘આશ્રમ ભજનાવલી’માં સમાવવામાં આવ્યાં છે. આ ભજનો પર નજર નાખીએ તો તમને ખ્યાલ આવશે કે એક પણ ભજનમાં નથી કોઈ અંધશ્રદ્ધાનો અંશ કે નથી ભક્તિના નામે વેવલાવેડા!

ગાંધીજીની દરેક પ્રાર્થનાઓમાં અચૂક ગવાતું ભજન છે - વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે.... આ ભજનમાં દુનિયાના તમામ ધર્મોનો સાર આવી જાય છે. બહુ સરળ રીતે માનવતાનાં મૂલ્યો તેમાં સમજાવ્યાં છે. ધાર્મિકતા-આધ્યાત્મિકતા માટે બીજાં કોઈ પુસ્તકો ન વાંચો અને માત્ર આ ભજનને જો જીવનમાં ઉતારો તો તમારો બેડો પાર થઈ જાય!

ગાંધીજી દ્વારા સ્થાપિત મજૂર મહાજન સંઘના સંસ્કારોને કારણે મેં જ્યારે સેવાની સ્થાપના કરી ત્યારે સંસ્થામાં સમૂહ પ્રાર્થનાનો ઉપક્રમ આપોઆપ સામેલ થઈ ગયેલો. મારો અનુભવ છે કે પ્રાર્થનાને કારણે એક પ્રકારની શિસ્ત આવી જાય છે. આત્માનું અનુસંધાન તો દૂરનો મુકામ થયો પણ પ્રાર્થનાને લીધે વ્યક્તિના વ્યવહારમાં શિસ્ત જરૂર આવી જાય છે. સમૂહ પ્રાર્થનાને કારણે એક માહોલ રચાતો હોય છે, જેનાથી સમૂહભાવના-એકતા આપોઆપ ઊભી થતી હોય છે.

ભદ્રકાળી ચોકના પાથરણાવાળા-લારીવાળાઓ સાથેનો એક કિસ્સો અહીં જણાવવા માગું છું. કોઈ પણ મંદિર હોય ત્યારે તેની આજુબાજુ નાના-નાના વેપારીઓનું એક કુદરતી બજાર ઊભું થતું હોય છે. ભદ્રકાળી મંદિરની આજુબાજુ બેસતા પાથરણાવાળા-લારીવાળાઓને હટાવવાની તજવીજ કરવામાં આવી ત્યારે તેમની પાસે પોતાના અધિકાર માટે કોર્ટમાં ગયા વિના છૂટકો નહોતો. તેમની રોજગારી અને અધિકારની લડાઈમાં સેવા દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવ્યું. અમે ભદ્રકાળી ચોકમાં વેપાર કરનારાઓનું એક સંમેલન યોજ્યું. અમારી પરંપરા મુજબ સંમેલનના પ્રારંભે સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી. આ પ્રાર્થનાથી એક જબરદસ્ત માહોલ સર્જાયો. હાજર ભાઈઓ-બહેનો દ્રવિત થઈ ગયા, તેમનાં અંત:કરણ શુદ્ધ થયાં અને તેમના વચ્ચે એકતાની ભાવના તો ઊભી થઈ જ પરંતુ આ કેસમાં કશુંય ખોટું કરવું નથી, એવી પ્રતિબદ્ધતા પેદા થઈ. અમે તૈયાર કરેલી યાદીમાં ન કોઈએ ખોટું નામ ઉમેરાવ્યું, ન કોઈએ ખોટી વિગતો જણાવી. એ દિવસે મને પાક્કો પુરાવો મળી ગયો કે પ્રાર્થનામાં કેટલી બધી શક્તિ રહેલી છે.

સમૂહ પ્રાર્થનાથી આપણે સૌ એક પિતાના સંતાન છીએ, એકબીજા સાથે અનુબંધિત છીએ એવી સામૂહિક ચેતના કેળવાય છે, સંગઠન મજબૂત બને છે અને દરેક વ્યકિતમાં નૈતિકતા ઊભી થાય છે. નીતિ વિના ધર્મ હોઈ જ ન શકે અને સામાન્ય લોકો માટે તો ભજન-પ્રાર્થના એ જ ધર્મ હોય છે. પ્રાર્થનાના શબ્દો રોજ આપણા દિલોદિમાગ પર પડઘાતા હોય છે અને વહેલી કે મોડી તેની અસર થયા વિના રહેતી નથી.

આજે દેશનો માહોલ જોતાં સર્વધર્મ પ્રાર્થના વધારે પ્રસ્તુત બની છે. આજે ગામ કે શહેરના વોર્ડમાં સામૂહિક સર્વધર્મ પ્રાર્થના ફરી શરૂ કરવા જેવી પરંપરા છે. જોકે, આવી પ્રાર્થના સ્વૈચ્છિક રાખવી જોઈએ અને તદ્દન બિનરાજકીય હોવી જોઈએ. કોમી એકતા અને નૈતિક મૂલ્યોનું ધોવાણ અટકાવવામાં સર્વધર્મ પ્રાર્થના બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે.

(ઇલા ર. ભટ્ટ સેવા સંસ્થાના સંસ્થાપક ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ અને ગાંધી આશ્રમના ચેરમેન છે.)

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી જાન્યુઆરી, 2017ની ‘ધર્મદર્શન’ પૂર્તિ માટે ઇલાબહેન સાથે થયેલી વાતચીતના આધારે લખેલો લેખ - મૂળ પ્રત)

Wednesday, January 25, 2017

યાદ રાખજો, તમે નાગરિક છો!

દિવ્યેશ વ્યાસ


દેશમાં વ્યાપ્ત આર્થિક, સામાજિક, શાસકીય અને રાજકીયથી માંડીને રોજિંદી સમસ્યાઓનાં મૂળમાં જઈએ જોઈશું તો ભારતીય નાગરિક તરીકેની આપણી અભાનતા અને ઉદાસીનતાનો અહેસાસ થયા વિના રહેશે નથી



(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

તમને કોઈ પૂછે કે તમે કોણ છો ત્યારે તમે સૌથી પહેલાં તમારું નામ જણાવતા હશો, ક્યારેક ઉત્સાહમાં અટક સાથેનું પૂરું નામ પણ જણાવતા હશો. અટકના આધારે સામેવાળા મોટા ભાગે તમારી જ્ઞાતિ કે ધર્મનો અંદાજ મેળવી લેતા હોય છે અને વહેમ પડે તો ખાતરી કરવા જ્ઞાતિ પણ પૂછી લેતા હોય છે. સામેવાળાને વધુ પરિચય આપવાનું યોગ્ય લાગે તો તમે વધુમાં તમારો વ્યવસાય કે ગામ-શહેરનું નામ પણ જણાવતા હશો. તમને એવો એકેય પ્રસંગ યાદ છે કે જ્યારે તમે તમારો પરિચય ‘ભારતના નાગરિક’ તરીકે આપ્યો હોય? વિદેશજનારે કદાચ પાસપોર્ટ ચેક કરાવતી વખતે કહેવું પડતું હશે કે હું ભારતીય છું કે પછી ભારતનો નાગરિક છું. બાકી ભાગ્યે જ આપણા મનમાં એવી ભાવના પેદા થતી હોય છે કે, બંદા તો ભારતના નાગરિક છે! ભારતીય હોવાનો ગર્વ લેવાની તક આપણને વારંવાર મળતી હોય છે, પરંતુ ભારતીય નાગરિક હોવાની આપણી ઓળખ અને ભૂમિકા અંગે વિચારવાનું બહુ જવલ્લેજ બનતું હોય છે. દેશમાં વ્યાપ્ત આર્થિક, સામાજિક, શાસકીય અને રાજકીયથી માંડીને રોજિંદી સમસ્યાઓનાં મૂળમાં જઈએ જોઈશું તો ભારતીય નાગરિક તરીકેની આપણી અભાનતા અને ઉદાસીનતાનો અહેસાસ થયા વિના રહેશે નથી.

આવતી કાલે 26મી જાન્યુઆરી એટલે કે આપણો પ્રજાસત્તાક દિન છે. આ દિવસ આપણને ભારતીય નાગરિક હોવાનો અહેસાસ કરવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. 26મી જાન્યુઆરીનો દિવસ આપણને હંમેશાં યાદ કરાવતો રહે છે કે આપણે માત્ર આઝાદ જ નહીં પરંતુ પ્રજાસત્તાક દેશના નાગરિકો છીએ. આ એ જ દિવસ છે, જ્યારે આપણે આઝાદી પછી ઝંખેલું સ્વરાજ પ્રાપ્ત કરવા માટે એક નાગરિકની રૂએ કેટલાક પાયાના અધિકારો-હકો હાંસલ કર્યા હતા અને સાથે સાથે કેટલીક જવાબદારીઓ પણ સ્વીકારી હતી. પ્રજાસત્તાકનો દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે હવે કોઈ રાજા-શાસકની રૈયત નથી રહ્યા, જે રાંકડી હોય, પણ આપણે દેશના શાસન માટે જવાબદાર નાગરિકો છીએ. લોકશાહી રાજવ્યવસ્થામાં પણ સત્તાનું સુકાન ચોક્કસપણે અમુક લોકોના હાથમાં રહે છે, પરંતુ નાગરિકો સભાન અને સક્રિય હોય તો એ સત્તાધારી લોકોને નિયંત્રણમાં જરૂર રાખી શકે છે. લોકશાહીમાં શાસકો લોકમતને અવગણવાની ભૂલ ભાગ્યે જ કરતા હોય છે. સજ્જ, સક્ષમ અને સમજદાર નાગરિક હોય એ દેશમાં નેતાઓ ભાગ્યે જ પોતાની મનમાની કરી શકે છે. આજે દેશમાં નેતાઓ બેફામ અને બેફિકર છે, તો એના માટે નાગરિકોનું બેજવાબદાર વલણ વધારે કારણભૂત છે.
આજે 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાર દિવસ છે. 25મી જાન્યુઆરી એ આમ તો ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. વર્ષ 2011માં ચૂંટણી પંચની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે સરકારે આ દિવસને રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે મનાવવાનું શરૂ કર્યું હતું. આ દિવસ ખાસ તો મતદારોને જાગૃત કરીને તેમને નિયમિત મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો, સાથે સાથે કોઈ નાગરિક મતદારયાદીમાંથી બહાર ન રહે, મતદાનથી વંચિત ન રહે, એ સુનિશ્ચિત કરવાનો પણ હતો. મતદાર તરીકે આપણે સારી વ્યક્તિને આપણો નેતા-શાસક તરીકે ચૂંટવાનો હોય છે. મતદાર જેવું વાવે છે, દેશને એવું જ લણવાનું હોય છે.

અલબત્ત, નાગરિક એટલે માત્ર મતદાર જ નહીં. મતદાર તરીકે તો પાંચ વર્ષે એક વખત કે પછી અલગ અલગ સ્તરની ચૂંટણીઓ માટે વધીને ચાર-પાંચ વખત મતદાન કરીને ફરજ બજાવવાની હોય છે, પરંતુ નાગરિકની ભૂમિકા તો 24 X 7 નિભાવવાની હોય છે. પોતે માત્ર મતદાર નથી, પરંતુ આ દેશના જવાબદાર નાગરિક છે, એ વાતનો અહેસાસ સૌથી પહેલાં જનતાને થવો જરૂરી છે, પછી નેતાઓને તો એ વાત આપોઆપ સમજાઈ જવાની. મતબેન્કનું રાજકારણ હોય કે પછી કોમવાદી-જ્ઞાતિવાદી-પ્રાંતવાદી રાજકારણ, આ બદીઓ એક જ ઝાટકે નામશેષ થઈ જાય તો દેશનો દરેક વ્યક્તિ પોતાની નાત-જાત-કોમ-વર્ગ-ભાષા-પ્રદેશ વગેરે સાંકડા વાડાઓ ભૂલીને નાગરિક તરીકે વર્તતો થઈ જાય. પણ તમે સાંકડી ઓળખો ભૂલવા માટે તૈયાર છો?

દેશના બંધારણે આપણને નાગરિક તરીકેની ઓળખ આપી છે અને ઓળખ સાથે જ આપણા અધિકારો અને જવાબદારીઓ પણ જોડાયેલી છે. 26મી જાન્યુઆરીએ બીજું કંઈ થઈ શકે કે નહીં, ક્યાંકથી શોધીને પણ બંધારણના આમુખની સાથે સાથે નાગરિક તરીકેના અધિકારો અને ફરજો પર પણ એક નજર નાખી લેજો... પછી તમારે જે કરવું હોય તે, તમારી મરજી!

(‘દિવ્ય ભાસ્કર’ની 25મી જાન્યુઆરી, 20174ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, January 11, 2017

લોહી પર મૃત્યુના વાહકનું લાંછન

દિવ્યેશ વ્યાસ


છેલ્લાં સાત વર્ષમાં ચેપી લોહી ચડાવવાને કારણે 14 હજારથી વધુ લોકો HIVના ભોગ બની ચૂક્યા છે



નવા જમાનામાં રક્તદાન મહાદાન ગણાય છે, કારણ કે તમારા લોહીને કારણે કોઈ અન્ય વ્યક્તિને નવજીવન મળી શકતું હોય છે, પરંતુ શું તમે ધારી શકો કે દાતા તરફથી લોહી મેળવનારા લોકોને ક્યારેક જીવનને બદલે મોત પણ મળી જતું હશે? હા, બ્લડ બેન્કોની બેદરકારીને કારણે એવા અનેક કિસ્સા સામે આવ્યા છે કે દર્દીને ચેપી લોહી ચડાવી દેવામાં આવે છે અને પરિણામે દર્દીના શરીરમાં બકરું કાઢતાં ઊંટ પેસવા જેવું થતું હોય છે. ચેપી લોહી જીવલેણ બીમારી લઈને આવતું હોય છે અને રહ્યાસહ્યા જીવનને પણ જીવવાલાયક રહેવા દેતું નથી. આ તે કેવી કરુણતા કે બ્લડ બેન્કના સ્ટાફની સભાનતા અને સંભાળના અભાવે જીવન બક્ષતું લોહી જ ઘાતક ચેપનું વાહક બનીને લોકોની જિંદગી છીનવી લેવા માંડ્યું છે.

ગુજરાતે આજથી પાંચ વર્ષ પહેલાં એટલે કે 2011માં જુનાગઢ એઆઈવી કાંડ નજરે જોયો છે, જેમાં 28 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને એચઆઈવીગ્રસ્ત લોહી ચડાવી દેવાયું હતું. (આમાંનાં આઠ માસૂમ બાળકો હવે ઈશ્વરને પ્યારાં થઈ ગયાં છે!) આવો જ વધુ એક ઘોર બેદરકારીભર્યો એચઆઈવી કાંડ વડોદરામાં પણ થયાનું તાજેતરમાં બહાર આવ્યું છે. વડોદરાની બે ખાનગી બ્લડ બેન્કોએ પરીક્ષણ કર્યા વિના જ 15 દર્દીઓને એઆઈવી, હિપેટાઇટીસ-બી અને હિપેટાઇટીસ-સીના ચેપવાળું લોહી ચડાવી દીધાનો કિસ્સો ખરેખર ચોંકાવનારો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ તથા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ-CDSOના સંયુક્ત તપાસ અહેવાલમાં ખુલાસો થયો છે કે વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરક્તમ્ બ્લડ બેન્કની બેદરકારીને કારણે 3 દર્દીઓને એચઆઈવી, 7 દર્દીઓને હિપેટાઇટીસ-સી અને 5 દર્દીઓને હિપેટાઇટીસ-બીના ચેપવાળું લોહી ચડાવી દેવામાં આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે આવી જીવલેણ બેદરકારી કઈ રીતે ચલાવી શકાય?

વાત ગુજરાત પૂરતી જ સીમિત નથી. સમગ્ર ભારતમાં ચેપી લોહી ચડાવી દેવાની બેદરકારીને કારણે હજારો લોકો ગંભીર બીમારીના ભોગ બન્યાના કિસ્સા જોવા મળ્યા છે. ઇન્ડિયાસ્પેન્ડ નામની રિસર્ચ ન્યૂઝ પોર્ટલના નિખિલ એમ. બાબુએ તાજેતરમાં આ અંગે એક વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. આ અહેવાલમાં રજૂ થયેલા આંકડા ખરેખર આંચકાજનક છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન-NACOના આંકડા અનુસાર ભારતમાં છેલ્લાં 7 વર્ષમાં અધધ 14,474 લોકો માત્ર ને માત્ર ચેપી લોહી ચડાવવાને કારણે એચઆઈવી-એઇડ્સનો ભોગ બન્યા છે! અહીં નોંધનીય બાબત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ચેપી રોગ ચડાવવાથી એઇડ્સનો ભોગ બનનારાની સંખ્યા થોડી થોડી ઘટતી જતી હતી, પરંતુ તાજેતરના વર્ષમાં આ સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે. વર્ષ 2014-15માં 1424 લોકો ચેપી લોહીને કારણે એઇડ્સનો ભોગ બનેલા, જ્યારે વર્ષ 2015-16માં આ સંખ્યા ઘટવાને બદલે 10 ટકા વધીને 1559 જેટલી થઈ ગઈ છે. આ આંકડો ખરેખર ચિંતાજનક છે.

અહીં સૌથી વધુ ચિંતાજનક અને આપણા માટે આઘાતજનક વાત એ છે કે ચેપી લોહીને કારણે એઇડ્સનો ભોગ બનનારાઓની સંખ્યામાં ગુજરાત નંબર -1 છે! વર્ષ 2009થી 2016ના સમયગાળામાં ગુજરાતમાં 2518 લોકો ચેપી લોહીને કારણે એઇડ્સગ્રસ્ત બન્યા છે. આ બાબતે બીજા ક્રમે ઉત્તરપ્રદેશ (1807) અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર (1585) આવે છે. આ આંકડાઓ પુરવાર કરે છે કે ગુજરાતમાં આ મામલે ખરેખર ગંભીર સ્થિતિ પ્રવર્તે છે. જુનાગઢના એઆઈવી કાંડ પછી પણ આપણા આરોગ્ય વિભાગની કે બ્લડ બેન્કોની આંખો ખૂલતી નથી અને એટલે જ વડોદરાકાંડ સર્જાય છે.

લોહી તો જીવન આપે, એને મૃત્યુના વાહકનું લાંછન લગાડતી લચર વ્યવસ્થા ક્યારે સુધારવામાં આવશે? હોસ્પિટલ્સ-બ્લડ બેન્કના બેદરકાર કર્મીઓ વિરુદ્ધ કડક પગલાં ક્યારે ભરાશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 11 જાન્યુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, January 4, 2017

પેટ ઠારવાનું ‘પુણ્ય’

દિવ્યેશ વ્યાસ


કેટલાંક રાજ્યોમાં ગરીબ વર્ગ માટે સસ્તા ભાવે ભોજન પૂરું પાડવાની સરકારી યોજનાઓને કેવી રીતે જોઈશું?


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

કોઈ પણ સવાલનો ઉત્તમ જવાબ આપવા માટે જાણીતી બનેલી ક્વોરા.કોમ નામની વેબસાઇટે થોડા સમય પહેલાં પોતાના વાચકોને પ્રશ્ન પૂછેલો, તમારી જિંદગીમાં આંખ ઉઘાડનારો સૌથી મોટો બનાવ કે અનુભવ કયો છે? અનેક વાચકોના અનુભવોમાંથી કેટલાક કિસ્સાઓ હૃદયસ્પર્શી હતા. મુંબઈના અબ્દુલ કાદિર સૈફીએ પોતાનો કિસ્સો વર્ણવ્યો હતો : ‘એક દિવસ મિત્રો સાથે અમે ભોજન લીધું. વધેલું ભોજન ફેંકી દેવાને બદલે ભૂખ્યા લોકોને આપી દેવાનું વિચાર્યું. ત્યારે રાતના લગભગ બે વાગ્યા હતા એટલે અમને થયું કે અત્યારે કોણ ભૂખ્યું હશે? તો પણ અમે રસ્તા પર જઈને મોટા અવાજે બોલ્યા કે અમારી પાસે ભોજન છે, કોઈને ભૂખ લાગી છે? ભોજનનું નામ પડતાં ચાર-પાંચ લોકો તરત જાગી ગયા. અમે તેમને ભોજન આપ્યું. તેઓ જે ઝડપથી જમતા હતા, તેના પરથી સ્પષ્ટ ખ્યાલ આવતો હતો કે તેઓ સાવ ભૂખ્યા જ સૂઈ ગયા હશે. એ દૃશ્ય જોયા પછી મને જિંદગીમાં પહેલી વખત ભૂખ કેવી ચીજ છે, તેનો અહેસાસ થયો અને પછી મેં ક્યારેય થાળીમાં ભોજન એંઠું નથી મૂક્યું અને ભોજન વધ્યું હોય તો ફેંકી દેવાને બદલે ભૂખ્યા માણસને શોધીને આપી દઉં છું.’

ભૂખનું દુ:ખ સૌથી વધારે કપરું હોય છે. પેટની આગ દુનિયાને સળગાવી દે એટલી કાતિલ બની શકે છે અને એટલે જ આપણા મહાકવિ ઉમાશંકર જોશીએ લખેલું, ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાધશે.’ આપણા દેશમાં આજે પણ આશરે 60 ટકા લોકો ગરીબીરેખા હેઠળ જીવી રહ્યા છે અને દેશમાં કરોડો લોકોને માત્ર એક ટંકનું જ ભોજન નસીબ થાય છે ત્યારે ભૂખનો મુદ્દો સૌથી વધારે ગંભીર ગણાવો જોઈએ.

દેશમાં લાખો નાગરિકો કુપોષણથી પીડાય છે અને દર વર્ષે હજારો લોકો ભૂખમરાને કારણે જાન ગુમાવી રહ્યા છે, છતાં ‘દરેક હાથને રોટી’નું સપનું પૂરું કરવાની રાજકીય કે શાસકીય પ્રતિબદ્ધતાનો અભાવ પ્રવર્તે છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષથી દેશની કેટલીક રાજ્ય સરકારોએ સસ્તા અનાજની દુકાન કે મધ્યાન ભોજનથી આગળ વધીને ધ્યાનાકર્ષક પહેલ કરી છે. હમણાં તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાનાં નિધન પછી તેમને અપાયેલી શ્રદ્ધાંજલિઓમાં સૌથી વધારે  અન્ના કેન્ટિનનો ઉલ્લેખ જોવા મળ્યો. જયલલિતાએ વર્ષ 2013થી સસ્તા ભોજન માટે ‘અમ્મા ઉનાવગમ’ એટલે કે અમ્મા કેન્ટિનની યોજના શરૂ કરી હતી, જેમાં રૂ. એકમાં ઈડલી અને પાંચ રૂપિયામાં ભાત-સાંભાર પીરસવામાં આવે છે. જયલલિતાએ તામિલનાડુની ચૂંટણી સળંગ બીજી વખત જીતવાનો રેકોર્ડ કર્યો, એમાં આ યોજનાનો સવિશેષ ફાળો ગણાય છે. આમ તો, ગરીબજનો માટે સસ્તાં ભોજન કેન્દ્રોની શરૂઆત મહારાષ્ટ્રમાં 1995ની સાલમાં થયેલી. તત્કાલીન ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકારે ‘ઝુણકા-ભાખર કેન્દ્રો’ શરૂ કરાવેલાં, જે એક રૂપિયામાં જમાડતાં હતાં. જોકે, સરકાર બદલાયા પછી એ યોજના લાંબી ચાલી નહોતી. તામિલનાડુમાં આ યોજનાને કારણે જયલલિતાને મળેલી સફળતા પછી અન્ય રાજ્ય સરકારો પણ આવી યોજના ચલાવવા આકર્ષાઈ છે. દિલ્હીની શિલા દીક્ષિતની સરકારે પંદર રૂપિયામાં આખું ભાણું જમાડતાં ‘જન આહાર કેન્દ્રો’ શરૂ કરાવેલાં. કેજરીવાલે સત્તા પર આવીને જન આહાર કેન્દ્રોને બદલે ‘આમ આદમી કેન્ટિન’ ખોલવાનું વિચારેલું, જેનો અમલ હજુ થઈ શક્યો નથી. ઉત્તરાખંડની કૉંગ્રેસી સરકારે પણ વર્ષ 2015માં ઇન્દિરા અમ્મા ભોજનાલયો શરૂ કરાવેલાં તો તાજેતરમાં જ રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ‘અન્નપૂર્ણા રસોઈ’ યોજના શરૂ કરી છે, જેમાં 5 રૂપિયામાં નાસ્તો અને 8 રૂપિયામાં થાળી ઉપલબ્ધ કરાવાશે. થોડા સમય પહેલાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ રાજ્યમાં ગરીબોને રૂ. 10માં એક ટંકનું ભોજન મળી રહે, એવી યોજના લાવવાની જાહેરાત કરી હતી.

આમ, એક પછી એક રાજ્યમાં ગરીબો માટે સસ્તા ભોજનનાં આવાં કેન્દ્રો શરૂ થઈ રહ્યાં છે. ગરીબો માટેની આવી યોજનાઓને તો આવકાર જ હોય, પરંતુ સૌથી મોટી ચિંતા યોજનામાં થતાં ભ્રષ્ટાચારની છે. આપણે ત્યાં મધ્યાહ્ન ભોજન યોજનાની શું હાલત છે, એ જાણીએ જ છીએ. એટલે મુદ્દો યોજનાના ઉદ્દેશ કરતાં પણ યોજનાના અમલીકરણનો ઊભો થાય છે. અમલીકરણમાં પ્રતિબદ્ધતા અને સજ્જડ વ્યવસ્થાના અભાવે જ અન્ય રાજ્યોમાં આવી યોજનાને તામિલનાડુ જેવી સફળતા મળી રહી નથી.

આ મામલે બીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે આવી યોજનાઓ ટૂંકા ગાળાનું સમાધાન હોઈ શકે, પરંતુ લાંબા ગાળે સસ્તા કે મફતની યોજનાઓ લોકો, સરકાર, અર્થતંત્ર કે દેશ માટે ફાયદાકારક હોતી નથી. એક કહેવત છે કે કોઈને માછલી પકડીને દાનમાં આપવા કરતાં તેને માછલી પકડતા શીખવવું વધુ બહેતર છે. કોઈ પણ પક્ષની સરકાર ગરીબોના પેટ ઠારવાનું ‘પુણ્યֹ’ કમાઈને સત્તાનું સ્વર્ગ કન્ફર્મ કરાવાની ફિરાકમાં રહે, એ લાંબા ગાળે ગરીબો માટે કે દેશ માટે હિતાવહ ન ગણાય. સરકારે ખરેખર તો ગરીબોને રોજગારી અને આર્થિક ઉન્નતિ માટેની તક પૂરી પાડવી જોઈએ. આ માટે લાંબા ગાળાની ચોક્કસ નીતિઓ અને આયોજન જરૂરી છે. જોકે, ટી-20 સ્ટાઇલથી રાજકારણ રમનારા નેતાઓને આવી વાત માફક આવતી નથી. પરિણામે ગરીબોએ સસ્તાં ભોજન કેન્દ્રોથી પેટને ઠારવું પડે છે અને મનને મનાવવું પડે છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 4 જાન્યુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, November 30, 2016

નાલંદા ઇતિહાસમાં જ રહેશે?

દિવ્યેશ વ્યાસ

 

 નાલંદા વિદ્યાપીઠ ફરી વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવા સંજોગો દિવસે દિવસે નબળા પડતા જાય છે

(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

ભારતની નવી પેઢી દેશને દુનિયાની મહાસત્તા તરીકે જોવા માગે છે. જોકે, ભારતવર્ષનું સદીઓ જૂનું સપનું દેશને વિશ્વગુરુ તરીકે સ્થાપિત કરવાનું રહ્યું છે. એક જમાનો હતો જ્યારે અખંડ ભારતમાં નાલંદા અને તક્ષશિલા જેવાં વિદ્યાધામો ધમધમતાં હતાં. એક સમયે બનારસ વિદ્યાભ્યાસી યુવકોના મંત્રોચ્ચારથી ગુંજતું રહેતું હતું. જ્ઞાન અને વિદ્યાને સૌથી મૂલ્યવાન અને પવિત્ર ગણતી આપણી સંસ્કૃતિમાં બાહ્ય (વિદેશી-વિધર્મી શાસકો) અને આંતરિક (જાતિ-જ્ઞાતિવાદ વગેરે) પરિબળોના પાપે આપણી શિક્ષણ વ્યવસ્થાનું સતત અધ:પતન થતું ગયું.

આજે તક્ષશિલા વિદ્યાપીઠ પાકિસ્તાનમાં સ્મારક બનીને ધૂળ ખાય છે, બનારસ વિદ્યાધામને બદલે યાત્રાધામમાં ફેરવાઈ ગયું છે, પરંતુ નાલંદાનું નસીબ થોડું વધારે બળૂકું નીકળ્યું. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામને નાલંદાનું નવસર્જન કરવાનું સૂઝ્યું! નાલંદાની જ્ઞાનોજહાલી પાછી લાવવાના પ્રયાસમાં એશિયાના અન્ય દેશોએ પણ રસ દાખવ્યો. વર્ષ 2006માં ભારત ઉપરાંત ચીન, જાપાન, સિંગાપોર, થાઇલેન્ડ સહિત બાર દેશોએ નાલંદાના નવસર્જન માટે એક કરાર કર્યો, એટલું જ નહીં અમુક દેશોએ આર્થિક સહયોગ પણ પૂરો પાડ્યો. ભારત અને બિહાર સરકારની પ્રતિબદ્ધતા અને અમર્ત્ય સેન જેવાના પ્રબુદ્ધ નેતૃત્વને પરિણામે વર્ષ 2014માં આશરે 800 વર્ષ કરતાં લાંબા અંતરાલ પછી નાલંદામાં શિક્ષણ કાર્યનો પુન: પ્રારંભ થયો. એક સપનું સાકાર થતું હોય એવો ભાસ થયો. જોકે, માત્ર બે વર્ષના ગાળામાં રાજકીય-શાસકીય પરિબળોનો એવો ઉપાડો શરૂ થયો છે કે હવે નાલંદા વિદ્યાપીઠ ફરી વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવા સંજોગો દિવસે દિવસે નબળા પડતા જાય છે.

અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકથી સન્માનિત એવા ‘ભારત રત્ન’ અમર્ત્ય સેનને નાલંદા યુનિવર્સિટીના પહેલા કુલપતિ (ચાન્સેલર) બનાવાયા હતા. જોકે, વર્તમાન શાસકો સાથે સૈદ્ધાંતિક મતભેદોને પગલે તેમને આ પદ પર વધુ ટકી રહેવાનું મુનાસિબ ન લાગ્યું, છતાં નાલંદાની ગવર્નિંગ બોડી તથા નાલંદા મેન્ટર ગ્રૂપના સભ્ય તરીકે કાર્યરત હતા. જોકે, કેન્દ્ર સરકારે તાજેતરમાં નાલંદા યુનિવર્સિટીની નવી ગવર્નિંગ બોડીની રચના કરી અને અપેક્ષિત રીતે જ અમર્ત્ય સેનની તેમાંથી બાદબાકી કરી દેવામાં આવી. સરકારના આવા વલણ અને નિર્ણય સામે વિરોધ જતાવીને નાલંદા યુનિવર્સિટીના કુલપતિ જ્યોર્જ યોએ રાજીનામું ધરી દીધું છે. આ ઘટનાક્રમ અફસોસજનક છે. જ્યોર્જ યોએ પોતાની નારાજગી માટેનું સ્પષ્ટ કારણ દર્શાવ્યું છે કે યુનિવર્સિટીની સ્વાયત્તતા જોખમમાં છે અને આવી બાબતો શિક્ષણ સંસ્થાના વિકાસને અવરોધે છે.

આપણે ત્યાં આજકાલ સ્વાયત્તતા જાણે કે સરકાર સામે બળવો કરવાનું લાઇસન્સ હોય, એ દૃષ્ટિએ તેને જોવામાં આવે છે. સંતાન હોય કે સંસ્થા, તેના વ્યક્તિત્વની પૂર્ણ ખીલવણી કે સંપૂર્ણ વિકાસ માટે તેને સ્વતંત્રતા-સ્વાયત્તતા આપ્યા વિના ચાલે નહીં, પણ કમનસીબે અસણસમજુ પિતા કે અસલામત સત્તાધીશને આ વાત ગળે ઉતારવી મુશ્કેલ છે.

નાલંદા મહાવિહારને હજુ ગત જુલાઈ-2016માં જ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. નાલંદાની જ્ઞાનોજહાલી ઇતિહાસવસ્તુ નહિ, પણ વર્તમાન વાસ્તવિકતા બનાવવાનું સપનું સેવાયું હતું, પરંતુ હાલના સંજોગોમાં સવાલ જાગે છે કે નાલંદા શું ઇતિહાસ જ બની રહેશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી નવેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - બિનસંપાદિત)

Wednesday, November 23, 2016

ટુંપાતા શ્વાસ, ધૂંધળી આશ

દિવ્યેશ વ્યાસ


વિશ્વભરમાં વાયુ પ્રદૂષણને કારણે થતાં મોતમાં ભારત ટોચના ક્રમાંકે પહોંચી ચૂક્યું છે. ક્યારે જાગીશું?

(તસવીર ગૂગલ પર શોધીને મેળવી છે)

વિશ્વવિખ્યાત ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હૉકિંગ્સે તાજેતરમાં એક ગંભીર આગાહી કરી છે. સ્ટીફન હૉકિંગ્સનું કહેવું છે કે છેલ્લાં પચાસ વર્ષમાં બ્રહ્માંડની તસવીર ઘણી બધી બદલાઈ ગઈ છે. મને નથી લાગતું કે બીજા રહેવાલાયક ગ્રહને શોધ્યા વિના ધરતી પર હવે એક હજાર વર્ષ કરતાં વધારે સમય જીવિત રહી શકાશે! એટલે કે પૃથ્વીની આપણે એવી હાલત કરી મૂકી છે કે ધરતી પર હવે માનવી માંડ એકાદ હજાર વર્ષ ટકી શકશે. આ સ્થિતિ જોતાં આપણી પાસે બે જ માર્ગ છે - એક, પૃથ્વી-કુદરત-પર્યાવરણની જાળવણી માટે સમયસર સભાન તેમજ સક્રિય બનવું અને કાં પછી માનવી માટે રહેવાલાયક બીજા ગ્રહની શોધ આદરવી. હૉકિંગ્સસાહેબના જણાવ્યા મુજબ મંગળ ગ્રહ પર માનવીને રહેવાલાયક વસાહત ઊભી કરવાનું કામ આગામી 100 વર્ષમાં પણ શક્ય બનવાનું લાગતું નથી એટલે આ મામલે વધારે ગંભીર બનવું જ રહ્યું!

માની લઈએ કે મંગળ ગ્રહ પર આગામી 100-150 વર્ષોમાં માનવવસાહત ઊભી કરી દેવામાં આવે તો પણ મંગળ સુધી પહોંચવાની તાકાત દુનિયામાંથી માંડ 100-150 લોકો જ ધરાવતા હશે! આમ, સો વાતની એક વાત પૃથ્વી, આપણા પર્યાવરણની કાળજી લીધા વિના આપણા અસ્તિત્વની આશા બહુ ધૂંધળી ભાસે છે. ગયા સપ્તાહે ગ્રીનપીસ નામની પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેના આંકડા ભારત માટે આઘાતજનક છે. ગ્રીનપીસના અધ્યયન અનુસાર વર્ષ 2015માં ઝેરી-પ્રદૂષિત હવાને કારણે મરનારાઓમાંથી સૌથી વધારે ભારતીય હતા. વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં રોજના 3283 લોકોનાં મોત થાય છે. વાયુ પ્રદૂષણને કારણે થતાં મોતની બાબતમાં ભારત હવે ટોચના ક્રમાંકે આવી ગયું છે. ભારત પછી ચીનનો ક્રમ આવે છે. ચીનમાં વાયુ પ્રદૂષણને કારણે દરરોજ 3233 લોકો મોતને ભેટે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વાયુ પ્રદૂષણથી મરનારાઓની બાબતમાં ચીન જ નંબર વન રહેતું હતું, પરંતુ વર્ષ 2015માં ભારતમાં મૃત્યુઆંક વધ્યો અને હવે ચીન કરતાં પણ વધારે લોકો આપણે ત્યાં મરવા લાગ્યા છે, એ ખરેખર ચિંતાજનક બાબત છે.

ઓર્ગેનાઇઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના અધ્યયન પ્રમાણે વાયુ પ્રદૂષણને કારણે વિશ્વમાં આશરે 2.6 ટ્રિલિયન ડૉલરનું (આશરે 169 લાખ કરોડ રૂપિયા) નુકસાન થાય છે. આ જ સંસ્થાના અંદાજ પ્રમાણે વાયુ પ્રદૂષણની સ્થિતિ નહીં સુધરે તો 2060 સુધીમાં 60થી 90 લાખ લોકો દર વર્ષે મોતના મુખમાં ધકેલાશે. થોડાં વર્ષો પહેલાં અમદાવાદમાં હોર્ડિંગ્સ લાગ્યાં હતાં - ‘અમદાવાદીઓ મરશો, પ્રદૂષણ મારશે’ એ સાવ સાચું ઠરી રહ્યું છે. આપણી આજુબાજુ વાઇરલ ઇન્ફેક્શનથી માંડીને કેન્સરના જે કોઈ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, તેના મૂળમાં પ્રદૂષણ રહેલું છે, એ શું આપણને નથી સમજાતું?

બળાત્કારના મામલે કુખ્યાત એવું દિલ્હી ગયા વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર જાહેર થયું હતું. દિલ્હી ઉપરાંત આપણાં અન્ય મોટાં શહેરોમાં પણ પ્રદૂષણ, એમાંય વાયુ પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક હદે કફોડી છે. પર્યાવરણ અને પ્રદૂષણના મુદ્દા હજુ પણ પર્યાવરણ સંબંધિત સેમિનારો ઉપરાંત ભાગ્યે જ ક્યાંક ચર્ચાય છે. દિલ્હીમાં તાજેતરમાં વ્યાપેલા વાયુ પ્રદૂષણની તસવીરો-વિડિયો જોઈને પણ હજુ આપણાં સરકારી તંત્રો તો ઠીક પણ કમનસીબે ખુદ આપણી પણ આંખો ઊઘડી નથી. ફાલતુ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી કરીને જડબા દુખાડનારા આપણે સૌએ હવે મૂળભૂત મુદ્દાઓ અને તેના ઉકેલો વિશે વિચારવાનું કષ્ટ ઉઠાવવું જરૂરી બન્યું છે. કાળી હવાઓને હવે કોણ નાથશે, એવા સવાલ કરતાં આપણે હવે ક્યારે જાગીશું, એ સવાલ વધારે રચનાત્મક છે. સાચું ને? તો પૂછો ખુદને!

(‘દિવ્ય ભાસ્કર’ની 23મી નવેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, October 26, 2016

‘ભગવાન કે નામ પે કુછ દે દે!’

દિવ્યેશ વ્યાસ


આ વખતે લક્ષ્મીપૂજનમાં પોતાના ઉપરાંત દેશના ભિખારીઓ પર પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય એવા આશીર્વાદ માગજો!


(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

સપ્ટેમ્બર 2012માં ડૉ. પ્રકાશ આમટે પોતાની જીવનકથાની ગુજરાતી આવૃત્તિ ‘પ્રકાશની પગદંડીઓ’ના વિમોચન પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. પ્રકાશ આમટે મહારાષ્ટ્રના સાવ અંતરિયાળ આદિવાસી વિસ્તાર ગઢચિરોલીના હેમલકસા ગામમાં રહે છે અને આશરે સાડા ચાર દાયકાથી આ વિસ્તારના આદિવાસીઓની સેવા કરી રહ્યા છે. તેમણે એ સાંજે પોતાના અનુભવો વર્ણવતાં એક જબરદસ્ત વાત કરેલી કે ગઢચિરોલીમાં વસતા આદિવાસીઓ અતિશય નિર્ધન છે. બે ટંક પેટ ભરવા માટે પણ તેમણે સખત પરિશ્રમ કરવો પડે છે, છતાં તેઓ ક્યારેય ભીખ માગતા નથી. કોઈ સામેથી કશું આપે તો પણ તે લેવાનો સ્વાભિમાનપૂર્વક ઇનકાર કરતા હોય છે! એ વિસ્તારમાં અતિશય ગરીબ અને ભૂખમરાથી પીડિત લોકો જોયા, પણ ક્યારેય ભિખારી જોવા મળ્યો નથી. ભીખ માગવી એ આપણી સંસ્કૃતિમાં શરમજનક બાબત ગણાય છે. આજેય ગામડાંઓમાં ગરીબ લોકો મોટી સંખ્યામાં છે, પણ લોકો ભીખ માગતા તો શું કશુંક ઉછીનું માગતાં પણ પારાવાર શરમ અનુભવતા હોય છે. ધાર્મિક સ્થળો ઉપરાંત આપણાં મોટા ભાગનાં નગરો અને શહેરોમાં ભિખારીઓની ભરમાર જોવા મળે છે. શહેરના મુખ્ય ચાર રસ્તાઓના સિગ્નલ પર વાહન રોકાતાં દયામણું મોં કરીને કરગરતા ચહેરાઓ અચૂક જોવા મળી જતા હોય છે.

એક તરફ દેશ સુપરપાવર બનવાનું સપનું જોઈ રહ્યો છે ત્યારે લાખો લોકો માગીભીખીને બે ટંકનું ભોજન માંડ મેળવી રહ્યા છે, એ દેશ માટે શરમજનક છે. જાણીતાં પ્રવાસન કેન્દ્રો, શ્રદ્ધાધામો અને શહેરનાં જાહેરસ્થળો પર મોટી સંખ્યામાં ભિખારીઓની ઉપસ્થિતિ આપણા દેશની આર્થિકની સાથે સાથે સાંસ્કૃતિક દરિદ્રતાનાં પણ દર્શન કરાવે છે. સત્તાવાર આંકડા દેશમાં ભિખારીઓની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે. વર્ષ 2001ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર દેશમાં 6,30,940 ભિખારીઓ હતા, જેમાં દસ વર્ષમાં મોટો ઘટાડો થયો અને વર્ષ 2011ના સેન્સસ ડેટા મુજબ દેશમાં 3,72,217 ભિખારીઓ હતા. લેટેસ્ટ આંકડા જોઈએ તો ઑગસ્ટ 2015માં એક પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાયના રાજ્યમંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશમાં 4,13,670 ભિખારીઓ છે. 2.2 લાખ પુરુષો અને 1.91 લાખ સ્ત્રીઓ ભિક્ષાવૃત્તિથી પેટ ભરી રહ્યાં છે. આ આંકડા સત્તાવાર છે, પરંતુ વાસ્તવિક આંકડો આનાથી મોટો-વિકરાળ હોઈ શકે છે.  દેશમાં સૌથી વધારે ભિખારી ધરાવતું રાજ્ય પશ્ચિમ બંગાળ છે અને દેશમાં સૌથી વધુ ભિખારી ધરાવતું શહેર દિલ્હી છે, જ્યાં 81,000 ભિખારીઓ છે. દેશની રાજધાની દિલ્હીમાં જ મોટી સંખ્યામાં ભિખારીઓ હોવાને કારણે દિલ્હીને ભિખારીમુક્ત બનાવવાની ઝુંબેશ છેલ્લાં કેટલાંય વર્ષોથી ચાલી રહી છે.

ભીખ માગનારા મૂળભૂત રીતે ગરીબ-બેકાર-લાચાર લોકો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ ભિખારીઓના કલ્યાણ (વેલફેર) માટે કેટલાક લોકો અને માનવ અધિકાર માટે કાર્યરત સંસ્થાઓ પ્રયત્નશીલ છે. ભિખારીઓને સન્માનપૂર્વકની જિંદગી આપવા માટે અનેક પ્રયાસોની સાથે સાથે કાયદાની મદદ પણ લેવાઈ રહી છે. તાજેતરમાં જ ભિખારીઓના મૂળભૂત નાગરિક અધિકારો અંગે થયેલી જાહેર હિતની બે અરજીઓની દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. કેન્દ્રના સામાજિક ન્યાય મંત્રાલય અને દિલ્હી સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે અમે ટૂંક સમયમાં પર્સન્સ ઇન ડિસ્ટિટ્યુશન (પ્રોટેક્શન, કેર એન્ડ રિહેબિલિટેશન) મૉડલ બિલ, 2016 લાવી રહ્યા છીએ, જે ભિખારીઓના મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરશે, તેમને રક્ષણ પૂરું પાડશે, તેમની સંભાળ લેશે અને તેઓને તાલીમ આપીને રોજગારી પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવશે. કોર્ટને આ વિધેયકની નકલ પણ આપવામાં આવી હતી. ગયા બુધવારે જ આ વિધેયક અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી.

ભિખારીઓ અને ઘરબાર કે કશાય આધારવિહોણા લોકો માટેના આ વિધેયકની રચના આમ તો વર્ષ 2015માં જ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેને સંસદમાંથી પસાર કરીને નક્કર કાયદાનું સ્વરૂપ મળી શક્યું નથી. ભિખારી અંગે આપણા દેશમાં કાયદો તો છે, પરંતુ તે વ્યક્તિને ભિખારી બનાવતા સંજોગો કે વ્યવસ્થાની વિરુદ્ધ નહીં, પરંતુ ભિક્ષાવૃત્તિ કરવા મજબૂર લોકોની વિરુદ્ધ છે! વર્ષ 1959માં મુંબઈ સરકારે (એ વખતે મહારાષ્ટ્ર રાજ્ય મુંબઈ સ્ટેટ તરીકે જાણીતું હતું) ધ બૉમ્બે પ્રિવેન્ટિંગ ઑફ બેગિંગ એક્ટ ઘડેલો અને પછી આ કાયદાને લગભગ તમામ રાજ્યોએ અપનાવેલો. આ કાયદો ભિક્ષાવૃત્તિ નાબૂદ કરવા માટે ભિખારીઓને પકડીને કાં તો સંરક્ષણ ગૃહમાં કે પછી જેલમાં ધકેલી દેવાના માર્ગે લઈ જનારો છે. આ કાયદા મુજબ માત્ર ભીખ માગનારા જ નહીં, પરંતુ જાહેર માર્ગો કે સ્થળો પર ગીત ગાઈને, નૃત્ય કરીને કે કરતબ બતાવીને લોકો પાસેથી રૂપિયા મેળવતા લોકોને પણ લાગુ પડે છે. આ કાયદામાં ભીખ માગવાનો ગુનો કરનારને દસ વર્ષ સુધીની જેલ થઈ શકે છે! જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી આ કાયદાનો સખત વિરોધ થઈ રહ્યો છે અને સરકાર આ કાયદાને નાબૂદ કરવા માટે વિચારણા કરી રહી છે. કેન્દ્ર સરકાર જો પર્સન્સ ઇન ડિસ્ટિટ્યુશન એક્ટ વહેલી તકે અમલમાં મૂકે, એવી આશા રાખીએ.

ભિક્ષુકોના હાલહવાલ અને અંગભંગિમાઓ જોઈને સંવેદનશીલ લોકોનું હૃદય પીગળી જતું હોય છે અને તેઓ બે-પાંચ રૂપિયા આપતાં જોવા મળે છે. ઘણા લોકોને ભિખારીઓની દયા આવે છે, પરંતુ તેઓ રૂપિયા આપવાનું પસંદ કરતાં નથી, કારણ કે આજકાલ ભિક્ષાવૃત્તિને વ્યવસાય બનાવી દેનારાની પણ કમી નથી! ભીખ માગવાની રીતો પણ હવે લોકોને ઠગ બનાવવા જેવી સ્માર્ટ થતી જાય છે! છતાં એક વાત સ્વીકારવી અને સમજવી રહી કે આપણો દેશ-સમાજ અને સરકાર જો ધારે તો દરેક હાથને કામ અને રોટી માટે વ્યવસ્થા કરી શકે છે, દરેક નાગરિક સન્માનપૂર્વકની આજીવિકા રળી શકે, એ માટે યોજના બનાવી શકે છે. જોકે, છેવાડેના માણસો માટે હજુ આપણા રાજકીય-સામાજિક નેતાઓની સંવેદના ઓછી પડે છે. દિવાળીના દિવસોમાં તમે લક્ષ્મીપૂજન કરો ત્યારે પોતાની સાથે સાથે દેશના એ લાખો ભિખારીઓ અને કરોડો ગરીબ દેશબાંધવો પર પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય એવા આશીર્વાદ માગજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 26મી ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, બિનસંપાદિત)

Tuesday, October 11, 2016

જયપ્રકાશ નારાયણ : કાલીઘેલી વાતોના નહિ, પણ ક્રાંતિના લોકનાયક

દિવ્યેશ વ્યાસ


યુવાનીમાં આઝાદી આંદોલનમાં ઝુકાવનારા અને જીવનના ઉત્તરાર્ધમાં દેશની અવળે માર્ગે ચડી જઈને તાનાશાહીમાં ફેરવાતી લોકશાહીને ટકાવનારા નેતા તરીકે જયપ્રકાશ નારાયણ ખરા અર્થમાં 'ભારત રત્ન' હતા



બિહાર વિધાનસભાની ચૂંટણીની ચર્ચા સમગ્ર દેશમાં ચાલી રહી છે. બિહારની ચૂંટણીમાં વારંવાર લેવાતું એક નામ છે - જયપ્રકાશ નારાયણ, ટૂંકમાં જેપી. એક તરફના નેતાઓ ખુદને જેપીના શિષ્યો ગણાવી રહ્યા છે તો બીજી તરફનાં લોકો પણ જયપ્રકાશનું સપનું સાકાર કરવાનો દાવો કરી રહ્યા છે. અલબત્ત, ખુદને જેપીના શિષ્યો ગણાવનારા હોય કે જેપી માટે ભારોભાર માન હોવાનો દાવો કરનારા હોય, તમામને જેપીનાં નામે 'સારા' દેખાઈને મતો મેળવવા છે, બાકી લોકનાયક જયપ્રકાશ નારાયણે કલ્પેલી સંપૂર્ણ ક્રાંતિ અંગેની સમર્પણભરી સમજ કે પછી સંપૂર્ણ ક્રાંતિ માટે જરૂરી સંઘર્ષ આદરવાનું સાહસ ભાગ્યે જ કોઈનામાં શોધ્યું જડે એમ છે.

યુવાનીમાં આઝાદી આંદોલનમાં ઝુકાવનારા અને જીવનના ઉત્તરાર્ધમાં દેશની અવળે માર્ગે ચડી જઈને તાનાશાહીમાં ફેરવાતી લોકશાહીને ટકાવનારા નેતા તરીકે જયપ્રકાશ નારાયણ ખરા અર્થમાં 'ભારત રત્ન' હતા. ૧૯૭૦ના દાયકામાં દેશભરમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી અને રાજકીય અંધાધૂંધી પ્રવર્તતી હતી એવા માહોલમાં દેશના યુવાનો અકળાઈ ઊઠયા હતા. યુવાનોની અકળામણ અને આક્રોશની એ આગને યોગ્ય દિશા દઈને દેશહિતમાં વાળનારા જયપ્રકાશ જેવા નેતાની ખોટ આજે 'આંદોલનમય' ગુજરાતને પણ સાલી રહી છે ત્યારે ચાલો, આજે ૧૧મી ઓક્ટોબરે જયપ્રકાશ નારાયણના જન્મદિવસ નિમિત્તે તેમનાં વ્યક્તિગત કદ અને કાર્યક્ષેત્રની વિશાળતાની ઝલક મેળવવા સાથે તેમના ક્રાંતિકારી વિચારો વાગોળીએ ...


આજીવન રાજકીય ક્ષેત્રે સક્રિય અને લોકપ્રિય છતાં સત્તાનો મોહ તેમને ભાગ્યે જ ચળાવી શક્યો હતો. જયપ્રકાશના ક્રાંતિકારી જીવે તેમને ક્યારે ય સત્તાકારી બનવા જ ન દીધા. બાકી ભારતને હજુ આઝાદી નહોતી મળી ત્યારે જ તેઓ પોતાનાં વિચારો અને કાર્યોથી આંતરરાષ્ટ્રીય સ્તરે  ખ્યાતિ ધરાવતા હતા. ૧૯૪૨ના આંદોલન વખતે તેઓ 'યુવાહૃદય સમ્રાટ'નું બિરૂદ પામેલા. એક જમાનામાં જવાહરલાલ પછી ભારતના વડા પ્રધાન તરીકે તેમની જ યોગ્યતાનાં ગુણગાન ચારેકોર ગવાતાં હતાં. જેપી થોડીક 'વ્યાવહારિકતા' દાખવીને કોંગ્રેસમાં જ રહ્યા હોત તો વડા પ્રધાનપદ માટે તેમણે કોઈ ખાસ પ્રયાસો કરવાની જરૂર પડી ન હોત પણ તેમની દૃષ્ટિ ક્યારે ય ખુરશી-સત્તા તરફ રહી જ નહીં, દેશના આમ આદમીની ભલાઈ પર રહી અને તેઓ સામાન્ય જનતાની સેવા માટે અવિરત કાર્યરત રહ્યા. જેપી ક્રાંતિદૃષ્ટા હતા. જેપી ઝુઝારુ લડવૈયા ખરા પણ એ ઉપરાંત તેમનામાં બાહોશ સેનાપતિના ગુણો અને ચતુર મંત્રી તથા શાણા રાજા પેઠે દેશનું લાંબા ગાળાનું ભલું વિચારવાની કુનેહ પણ હતી અને એને કારણે જ તેઓ કાલીઘેલી ને ઠાલી વાતો નહિ ક્રાંતિના 'લોકનાયક' પુરવાર થયા હતા.

સ્વાતંત્રોત્તર ભારતમાં આંદોલનોનો ઇતિહાસ લખાશે ત્યારે જેપીનું સંપૂર્ણ ક્રાંતિનું આંદોલન સુવર્ણ અક્ષરે લખાશે. જેપીએ આદરેલું દરેક આંદોલન વિશાળ પટે ફેલાયેલું રહેતું, તે કદી એકાંગી જોવા ન મળે. જયપ્રકાશ નારાયણે જ્યારે બિહાર સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ચાલી રહેલા આંદોલનનું સુકાન સંભાળ્યું ત્યારે તેમણે માત્ર નેતાઓ અને સરકારી અધિકારીઓ જ ભ્રષ્ટ છે, એ દૃષ્ટિએ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને દરેક સ્તરેથી તેને દૂર કરવો જરૂરી છે, એવી દીર્ઘદૃષ્ટિ સાથે આંદોલન આગળ વધારેલું. બિહાર આંદોલન સંદર્ભે ગુજરાતે ગર્વ લેવા જેવી વાત એ છે કે ગુજરાતના યુવાનોએ મોંઘવારી અને ભ્રષ્ટાચાર બાબતે ચીમનભાઈ પટેલની સરકાર વિરુદ્ધ ચલાવેલા નવનિર્માણ આંદોલ થકી જેપીને આશા અને દિશા સાંપડેલી. નવનિર્માણ આંદોલનથી સફળતા બાદ દેશના યુવાનોમાં ચેતના વ્યાપી ગયેલી. ૧૯૭૪ના પ્રારંભમાં બિહારમાં પણ કોંગ્રેસી સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ પોતાની મેળે આંદોલન શરૂ કરેલું, જેની કુલ ૧૨ માગણીઓ હતી. આઠ માગણીઓ શિક્ષણ અને વિદ્યાર્થીઓને સંબંધિત હતી જ્યારે બાકીની ચાર માગણીઓ રાષ્ટ્રજીવન સંબંધિત હતી, જેમાં ભ્રષ્ટાચાર દૂર કરો, મોંઘવારી દૂર કરો, બેકારી દૂર કરો અને શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાની માગણી સામેલ હતી. બિહાર સરકારે વિદ્યાર્થી આંદોલનને લક્ષ્યમાં લીધું નહોતું અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર કાળો કેર વર્તાવ્યો હતો. લાઠીચાર્જ તો ઠીક ગોળીબારો પણ કરાયા હતા. જેપીની તબિયત સાથ નહોતી આપતી છતાં તેમણે વિદ્યાર્થીઓની વિનંતીઓ અને સરકારનાં અમાનુષી વલણ-વર્તન જોઈને આંદોલનનો દોર પોતાના હાથમાં સંભાળ્યો હતો.

તેમણે આંદોલન પૂર્ણપણે અહિંસક રાખવા માટે લોકો-યુવાનોનું ઘડતર શરૂ કરેલું. તેમણે પટનામાં મૌન સરઘસ યોજ્યું અને જાહેરસભામાં જે વાત કરેલી એ યાદ રાખવા જેવી છે, "આ શાંતિમય આંદોલનનો પ્રારંભ છે, હવે પછી આપણે સત્યાગ્રહની ભૂમિકામાં કામ કરવાનું છે. એક સરકાર જશે અને બીજી સરકાર આવશે તેટલા માત્રથી આપણું કામ સરવાનું નથી, એ તો ભૂત જશે અને પલીત જાગશે! માટે આપણે સમાજના રોગોનાં મૂળમાં જવાનું છે. હું તમારી સામે કાર્યક્રમ રજૂ કરીશ, પરંતુ આ લાંબી યાત્રા છે. આ કાંઈ અમુક પ્રધાનમંડળને ઊથલાવવાનું કામ નથી." અહિંસક આંદોલનની નીંભર સરકાર પર કોઈ અસર જ નહોતી જોવા મળતી, ઊલટું સરકાર તો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આંદોલનને કચડવા અને જેપીને બદનામ કરવા પર ઊતરી આવી હતી, આખરે જેપીને વિધાનસભા વિસર્જનની માગણી કરવાનું ઉપયુક્ત લાગ્યું હતું.

પાંચ જૂન, ૧૯૭૪ના રોજ પટણામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું. રાજ્યભરમાં લાખો લોકોએ વિધાનસભાનાં વિસર્જનનાં આવેદનપત્રો પર સહીઓ કરી હતી. સહી કરેલાં આવેદનપત્રોની એક આખી ટ્રક ભરાયેલી જે રાજ્યપાલને સોંપવામાં આવેલી ત્યાર બાદ જનસભામાં જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિનું એલાન કર્યું હતું. તેમણે પોતાનાં ભાષણમાં કહેલું કે "હવે આ સંઘર્ષ માત્ર વિદ્યાર્થીઓના બાર મુદ્દા પૂરતો અને સરકારની બરતરફી અને વિધાનસભાનાં વિસર્જન પૂરતો જ મર્યાદિત રહેતો નથી, આ હવે સમગ્ર જનતાની સંપૂર્ણ ક્રાંતિ માટે લડત બને છે." જેપીનું બિહાર આંદોલનથી સરકાર ઊથલવા જેવું દેખીતું મોટું પરિવર્તન નહીં આવેલું, પરંતુ આ આંદોલને દેશની ચેતનાને જગાડી હતી. દેશનો યુવાન સરકારના અનાચાર-ભ્રષ્ટાચાર સામે જાગ્રત થઈ ગયો હતો, જેણે કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીની ઊંઘ પણ હરામ કરી હતી.

જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિને સપ્તક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં સમાજનાં સર્વ અંગોના ઝડપી પરિવર્તનની આહ્લેક હતી, જેપી માત્ર રાજકીય પરિવર્તન જ નહીં, પરંતુ મૂલ્યોનું, મનોવૃત્તિનું, સંબંધોનું, માળખાનું પરિવર્તન ઇચ્છતા હતા. જેપીએ કહેલું કે "સાત પ્રકારની ક્રાંતિઓ મળીને એક સંપૂર્ણ ક્રાંતિ બને છે - સામાજિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, રાજનૈતિક ક્રાંતિ, સાંસ્કૃિતક ક્રાંતિ, વૈચારિક અથવા બૌદ્ધિક ક્રાંતિ, શૈક્ષણિક ક્રાંતિ અને નૈતિક કે આધ્યાત્મિક ક્રાંતિ. આ ક્રાંતિ શબ્દમાં પરિવર્તન અને નવનિર્માણ બંને અભિપ્રેત છે." આમ, જેપી જડમૂળમાંથી પરિવર્તન આવે એવી ક્રાંતિમાં માનનારા હતા.

સંપૂર્ણ ક્રાંતિના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા હતા, તેવામાં ઇન્દિરા ગાંધીએ ૨૬ જૂન, ૧૯૭૫ના રોજ દેશ પર કટોકટી લાદી. જયપ્રકાશ જેવા મોટા મોટા તમામ નેતાઓને રાતોરાત જેલભેગા કરી દેવામાં આવેલા, જો કે જયપ્રકાશે જગાવેલી આંદોલનની જ્યોતિને પ્રતાપે ઇન્દિરાજીએ ઝૂકવું પડયું અને કટોકટી હટાવીને ચૂંટણીઓ જાહેર કરવી પડી, જેમાં ઇન્દિરા ગાંધી ખરાબ રીતે હારી ગયેલાં. દેશમાં મોરચા સરકાર આવેલી, જે આંતરિક ડખાઓને કારણે લાંબું ટકી શકેલી નહીં અને જેપીનું ભ્રષ્ટાચાર નાબૂદીનું સપનું રોળાઈ ગયેલું.

જેપીનું આ સપનું સાકાર કરવાની દાનત આજે કોનામાં દેખાય છે?

(‘સંદેશ’ની 11 ઑક્ટોબર, 2015ની ‘સંદેશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, October 5, 2016

એસિડ એટેક વિ. આર્ટ એક્ટ

દિવ્યેશ વ્યાસ


એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓ ઉપરાંત સમગ્ર સમાજ માટે સંદેશો આપતી કૉમિક બુક ‘પ્રિયાઝ મિરર’ એક કાબિલેદાદ પ્રયાસ છે


(તસવીરો પ્રિયાઝ મિરરની અધિકૃત વેબસાઇટ પરથી મેળવી છે)

ભારત નં.1 દેશ બને, એ તો આપણા સૌનું સપનું છે, પરંતુ આપણો દેશ આજેય કેટલીક એવી બાબતોમાં નંબર વન છે, જેના માટે આપણું શીશ શરમથી ઝૂકી શકે છે. તમને જાણીને આઘાત લાગી શકે કે મહિલાઓ પર થતાં એસિડ એટેકની બાબતમાં ભારત વિશ્વમાં પહેલા નંબરે આવે છે. દુનિયામાં થતાં કુલ એસિડ એટેકમાંથી સૌથી વધારે આપણા દેશમાં થઈ રહ્યા છે અને દુખદ વાત એ છે કે તેમાં સતત વધારો થતો જાય છે. વર્ષ 2011માં ભારતમાં એસિડ એટેકના 83 કેસ નોંધાયા હતા, પરંતુ એ આંકડો 2015માં ઉછળીને 349 થઈ ગયો હતો. દેશમાં એસિડ એટેકના વધતાં કેસને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એસિડના વેચાણ પર નિયંત્રણો મૂકવાનો આદેશ આજથી ત્રણ વર્ષ અગાઉ આપેલો છે, છતાં સ્થિતિમાં જોઈએ એવો સુધારો જોવા મળતો નથી.

સ્ત્રીઓ પર થતાં અત્યાચારોમાં એસિડ એટેકને બળાત્કાર કરતાં પણ વધારે ક્રૂર, અમાનવીય અને ઘાતક માનવામાં આવે છે. એસિડ એટેકનો ભોગ બનેલી યુવતી પોતાનો મૂળ દેખાવ કે ચહેરાની ઓળખ ગુમાવી બેસે છે. કેટલાક કિસ્સાઓમાં તો તેની આંખો બળી જવાથી અંધાપો પણ આવી જાય છે. સારવારમાં, ખાસ કરીને પ્લાસ્ટિક સર્જરીના અનેક ઑપરેશન્સ જરૂરી બને છે, જેમાં લાખો રૂપિયા ખર્ચાય છે, જે પીડિતાના પરિવારને આર્થિક રીતે બરબાદ કરી નાખે છે. (નોંધ. સરકાર એસિટ એટેકની પીડિતાને વળતર પેટે રૂ. 3 લાખ ચૂકવે છે, જ્યારે શ્રેણીબદ્ધ પ્લાસ્ટક સર્જરીનો ખર્ચ 35થી 50 લાખ થઈ જતો હોય છે.) ગમે તેટલી સારવાર પછી પણ યુવતીનો મૂળ દેખાવ કે ચહેરો તો પાછો લાવી શકાતો નથી. એસિડ એટેકની નિશાનીઓ આજીવન તેના ચહેરા પર અંકિત થઈ જાય છે, જે તેને સમાજમાં સામાન્ય જીવન જીવવા દેતી નથી. પુરુષવાદી સમાજમાં એસિડ હુમલાનો ભોગ બનનારી યુવતી માટે ફરી હસીખુશીથી જિંદગી જીવવી કે આજીવિકા રળવી અશક્યવત્ અઘરું થઈ પડતું હોય છે.


યુવતીઓ પર થઈ રહેલા એસિડ એટેક પુરુષના ક્રોધ અને ક્રૂરતા ઉપરાંત તેના અહંકારનું આત્યંતિક પરિણામ હોય છે. સ્ત્રીની ‘ના’ નહીં સહી શકનારા પુરુષોનો અહં ઘવાય છે, ત્યારે તે હિંસક સ્વરૂપ ધારણ કરે છે. ‘તું મારી ન થઈ શકે તો બીજા કોઈની પણ નહીં થવા દઉં’, ‘તને બરબાદ કરી દઈશ’, ‘તારી જિંદગી નર્ક બનાવી નાખીશ’ એવા વિચારો કે વાતો જ્યારે દેખાડી દેવાની હદે તીવ્ર બને છે ત્યારે એસિડ એટેક સર્જાય છે, જે યુવતીના જીવનની સાથે તેના પરિવારને પણ બેહાલ કરી મૂકતા હોય છે.

2012માં દિલ્હી ગેંગરેપની ઘટના પછી રામ દેવીનેની નામના ફિલ્મમેકરને બળાત્કાર પીડિતાને જ સુપરહીરોના સ્વરૂપે દર્શાવીને આ સમસ્યાનો સર્જનાત્મકતાથી સામનો કરવાનો વિચાર આવ્યો અને તેણે ડેન ગોલ્ડમેન સાથે મળીને ‘પ્રિયા શક્તિ’ નામની એક કોમિક બુક તૈયાર કરી, જેને દેશ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બહુ પ્રશંસા સાંપડી હતી. રામભાઈએ હવે ‘પ્રિયા શક્તિ’ શ્રેણીની બીજી કૉમિક બુક તૈયાર કરી છે, જેનું નામ છે - ‘પ્રિયાઝ મિરર’. આ કૉમિક બુક એસિડ એટેકની પીડિતાઓના પુનર્વસનનો સંદેશ લઈને આવી છે. આ કૉમિક બુકનું લૉન્ચિંગ ન્યૂ યૉર્ક ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન લિંકન સેન્ટર ખાતે બીજી ઑક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે જ કરાયું.

‘પ્રિયાઝ મિરર’ પણ ‘પ્રિયા શક્તિ’ની જેવી જ પૌરાણિક કથા આધારિત પાત્રોને સામેલ કરીને એસિડ એટેક અને તેની પીડિતાઓની વ્યથા તેમજ કઈ રીતે તેઓ તેમાંથી બહાર આવી શકે, એની વાત કરે છે. ‘પ્રિયાઝ મિરર’માં નામ પ્રમાણે જ પ્રિયા એવો અરીસો લઈને આવે છે, જે એસિડ એટેકની પીડિતાઓને પોતાની વાસ્તવિકતાને સ્વીકારી-પચાવીને, પોતાની જિંદગી આનાથી પણ વિશેષ છે, એવો સુંદર સંદેશ પાઠવે છે. આ કૉમિક સમાજ સામે પણ અરીસો ધરે છે.

ક્રૂરતા વિરુદ્ધ ક્રિએટિવિટીનો આ સંઘર્ષ ખરેખર મનનીય અને પ્રશંસનીય છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 5મી ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)
(આ કૉમિક બુક ચાર ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને ફ્રીમાં ડાઉનલોડ કરવા
ક્લિક કરો આ લિંક - http://www.priyashakti.com/ )

Wednesday, September 28, 2016

આ દુશ્મનનો ખાતમો જરૂરી

દિવ્યેશ વ્યાસ


દર વર્ષે સેંકડો દેશવાસીઓ મલેરિયા સહિતની મચ્છરજન્ય બીમારીઓને કારણે જીવ ગુમાવે છે. તેની સામે યુદ્ધે ક્યારે ચડીશું?


(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે.)

ઉરી હુમલામાં દેશના 18 જવાનો શહીદ થયા પછી દેશમાં પાકિસ્તાન પ્રત્યેનો આક્રોશ ચરમ પર પહોંચી ગયો છે. આ માહોલમાં લોકોને પૂછવામાં આવે કે દેશનો સૌથી મોટો દુશ્મન કોણ? તો 90 ટકાથી વધારે લોકો પાકિસ્તાનનું જ નામ આપશે. બની શકે કે બે-પાંચ ટકા દબાતી જીભે ચીનનું નામ પણ દઈ દે. મોટાભાગના લોકો પાકિસ્તાન પર યુદ્ધ કરીને તેને પાઠ ભણાવવા તલપાપડ છે, પરંતુ પાકિસ્તાન કરતાં પણ વધારે ખતરનાક દુશ્મનો અંગે આપણે ભારોભાર દુર્લક્ષ્ય દાખવતા આવ્યા છીએ. પાકિસ્તાન સરહદ પર ગમે તેટલાં અળવીતરાં કરે કે મોકો મળે ત્યારે પઠાણકોટ કે ઉરી જેવા હુમલાઓને અંજામ આપે છતાં હકીકત એ છે કે ભારત જેવા વિરાટ અને વિકાસમાન દેશનું તે કંઈ બગાડી શકવા સક્ષમ નથી, જ્યારે બીજા કેટલાક દુશ્મન તો એવા છે, જે દર વર્ષે સેંકડો દેશવાસીઓને કમોતે મારે છે અને દેશના અર્થતંત્રને પણ કરોડોનો ચૂનો લગાડે છે. આ દુશ્મનો એટલે મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં માથું ઊંચકતા આ રોગરાક્ષસો સામે આપણું લોહી કેમ નથી ઉકળતું? આપણી ચર્ચાઓમાં સરહદની ચિંતા જેટલી ઝળકે છે, એટલી આપણાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની કથળેલી હાલતની ચિંતા વ્યક્ત થતી નથી. સરહદની ચિંતા જરૂર કરીએ, પણ સ્વાસ્થ્ય બાબતે બેદરકાર ન બનવું જોઈએ. આપણી બેદરકારી-બેપરવાહીને કારણે જ આરોગ્યના મુદ્દે આપણાં તંત્રો અને સરકારો પણ જોઈએ એટલી સભાન-સક્રીય જોવા મળતી નથી. પરિણામ એ આવ્યું છે કે હેલ્થ ઇન્ડેક્સમાં 188 દેશોમાં ભારતનો ક્રમ બહુ પાછળ 143મો આવ્યો છે.

આજકાલ દેશમાં આરોગ્યની સ્થિતિ એટલી કથળી છે કે દિલ્હી હાઈકોર્ટે હોસ્પિટલોને આદેશ આપવો પડ્યો છે કે પથારીના અભાવે પણ દર્દીઓને પાછા ન કાઢવા! ડેન્ગ્યૂ અને મલેરિયાનો પ્રકોપ આજકાલ આપણા દેશવાસીઓના જીવનો દુશ્મન બન્યો છે. એક અહેવાલ અનુસાર આ વર્ષે દેશમાં અત્યાર સુધીમાં મલેરિયાના 8 લાખ કેસો સામે આવ્યા છે, એટલું જ નહીં, પરંતુ આશરે સવાસો લોકોએ મલેરિયાને કારણે જીવ ખોયા છે. દેશની 95 ટકા વસ્તી સુધી મલેરિયાના મચ્છરોનું ન્યૂસન્સ ફેલાયેલું છે. દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં નિદાન અને સારવારના અભાવે લાખો લોકો મલેરિયાથી પીડાય છે. મલેરિયાની સૌથી કષ્ટદાયક હકીકત એ છે કે તે આપણાં નવજાત શિશુઓ અને સગર્ભા માતાઓને સૌથી વધુ શિકાર બનાવે છે.

સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) આપણા પાડોશી દેશ શ્રીલંકાને મલેરિયામુક્ત રાષ્ટ્ર જાહેર કર્યું હતું. વર્ષ 2012 પછી શ્રીલંકામાં મલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી. 1960ના દાયકામાં મલેરિયાથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાંના એક એવા શ્રીલંકાએ રાજકીય-વહીવટી પ્રતિબદ્ધતા થકી મલેરિયામુક્તિ હાંસલ કરી લીધી છે. ભારત કરતાં વિસ્તાર અને વિકાસની દૃષ્ટિએ ટચૂકડો એવો શ્રીલંકા મલેરિયામુક્ત બનવાની સિદ્ધિ હાંસલ કરી શક્યો છે, જ્યારે ભારતમાં સ્થિતિ ઊલટી છે. દેશમાં વર્ષ 2012માં મલેરિયાને કારણે 519 લોકોનાં મોત થયાં હતાં, જે આંકડો ઘટવાને બદલે 2014માં વધીને 562 થયો હતો.

ભારતમાં ઈ.સ. 1953થી મલેરિયા વિરુદ્ધ કાર્યક્રમ ચાલે છે, સમયાંતરે તેનાં નામો બદલાય છે, પરંતુ પરિસ્થિતિ બદલાતી નથી. આરોગ્ય એ રાજ્ય સરકારનો વિષય છે. રાજ્ય સરકારો કેન્દ્ર પાસેથી ફંડ ન મળતું હોવાનાં રોદણાં રડે છે, પરંતુ તાજેતરમાં આંકડા જારી થયા છે કે 2015-16માં રાજ્યોને મચ્છરજન્ય રોગોના સામના માટે 620 કરોડ ફાળવાયા હતા, પરંતુ તેમાંથી માત્ર 259 કરોડ જ વપરાયા છે, બાકીનાં નાણાં પડ્યાં રહ્યાં છે. હવે બોલો, આ રીતે મલેરિયાથી મુક્તિ ક્યારે મળશે? મિલિટન્ટ જેટલો જ આક્રોશ મલેરિયા સામે પેદા થાય તો વાત બને!

(‘દિવ્ય ભાસ્કર’ની 28 સપ્ટેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, બિનસંપાદિત)

Tuesday, July 26, 2016

કારગિલ વિજયની સિદ્ધિ અને શીખ

દિવ્યેશ વ્યાસ


કારગિલ યુદ્ધે પાકિસ્તાનની પોલ ખોલી હતી તો ભારતની નબળાઈઓ પણ ઉઘાડી પાડી હતી


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

ભારતની પ્રતિષ્ઠા એક શાંતિપ્રિય દેશ તરીકેની છે, પણ તેને એવા પાડોશી મળ્યા છે, જેને નથી શાંતિની કદર કે નથી યુદ્ધની શરમ. પાકિસ્તાન અને ચીન એવા બે પાડોશી છે, જેને ભારત શાંતિથી રહે, એ સહન થતું નથી. આ બન્ને પાડોશી સાથે આપણે યુદ્ધો લડી ચૂક્યાં છીએ. આજે ભારતની લશ્કરી તાકાત ઉપરાંત પરમાણુ શસ્ત્રોની શક્તિને કારણે તેમને આપણી સાથે પંગો લેવો પોષાય એમ નથી, પરંતુ તેઓ સરહદ પર નાનાં-મોટાં છમકલાં કરીને ભારતની કનડગત ચાલુ રાખતા હોય છે.

પાકિસ્તાન જાણે છે કે ભારત સાથે યુદ્ધ કરીને જીતી શકાશે નહીં એટલે તેણે છેલ્લાં કેટલાંય વર્ષોથી કાશ્મીરના ખભે બંદૂક રાખીને ભારતમાં આતંક ફેલાવવાનો માર્ગ અપનાવ્યો છે. ભારત સાથે પ્રોક્સી વોર કરવા તે આતંકવાદીઓની ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવે છે. પાકિસ્તાનનું આખું પોલિટિક્સ જ ભારતદ્વૈષ પર ટકેલું હોવાથી આઈએસઆઈ અને તેના સૈન્યને ભાવતું મળી જતું હોય છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી વડા પરવેઝ મુશર્રફે પોતાના દેશમાં હીરો બની જવા માટે ઈ.સ. ૧૯૯૯માં ભારતના કારગિલ ક્ષેત્રમાં મોટા પાયે ઘૂસણખોરી કરીને કાશ્મીરનો અમુક પ્રદેશ પડાવી લેવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે, ભારતના વીરજવાનોએ દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં ભારતને હરાવી શકે નહીં, તેનો પરચો તેને ત્રીજી વાર મળ્યાને આજે ૧૬ વર્ષ થશે. (લેખ 2015માં લખાયો હતો, એ મુજબ વર્ષોની ગણતરી કરવી.)

આજે એટલે કે ૨૬ જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ૧૬મો (વર્ષ 2015માં) કારગિલ વિજય દિવસ મનાવાશે. પાકિસ્તાનને બોધપાઠ ભણાવ્યાનો અને વિજયનો હરખ ચોક્કસ મનાવીએ, દેશ માટે જાન ન્યોછાવર કરનારા વીરજવાનોને સો સો સલામ ચોક્કસ કરીએ, પણ કારગિલ સર્જાયું તેની પાછળની આપણી ભૂલોને ભૂલી જવા કે નજરઅંદાજ કરવાની મૂર્ખામી કરવા જેવી નથી. એક તરફ તત્કાલીન વડાપ્રધાન વાજપેયી પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ લંબાવીને લાહોર ગયા હતા તો બીજી તરફ પાકિસ્તાને કારગિલમાં ઘૂસણખોરી કરાવીને પીઠમાં ખંજર ભોંક્યું હતું. આજના સમયમાં યુદ્ધ વાહિયાત વિકલ્પ છે અને સંવાદ-મંત્રણાનો માર્ગ જ હિતાવહ છે, એની ના નહીં. પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની તમામ કોશિશ કરવી જ જોઈએ, પણ સરહદ કે સૈન્યની તાકાતના મામલામાં ગાફેલ રહેવાની ભૂલ કરવા જેવી નથી. આશરે ૫૦૦૦ જેટલા પાકિસ્તાનના સૈનિકો અને આતંકીઓ આપણી સરહદોમાં ઘૂસી આવ્યા હતા અને આપણને મોડી જાણ થઈ હતી, એ ખરેખર તો આપણી સરહદ સુરક્ષા અને ગુપ્તચર તંત્રની મોટી ચૂક-નિષ્ફળતા જ હતી. આ નિષ્ફળતામાંથી દેશ ઘણું બધું શીખ્યો છે, છતાં વધારે સુધારા જરૂરી છે. કારગિલના યુદ્ધમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ વચ્ચેના તાલમેળની ખામીઓ પણ નજરે પડી હતી, તેની દુરસ્તીની સાથે સાથે સરહદ પર આધુનિક શસ્ત્રો અને ઉપકરણોનો મુદ્દો મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. વૈશ્વિક માહોલ જોતાં યુદ્ધની શક્યતા નથી, છતાં ઘૂસણખોરીની ઘટનાઓ નાનું-મોટું કારગિલ સર્જી શકે છે ત્યારે સક્ષમ અને સજ્જ રહેવું જરૂરી છે.

હવે વાત કરીએ શહીદોના સન્માનની. કારગિલ યુદ્ધમાં ભારતના ૫૨૭ જવાનો શહીદ થયા હતા અને ૧૩૬૩ જવાનો ઘાયલ થયા હતા. કારગિલ વિજયને એક દાયકો પૂરો થયો ત્યારે પણ અમુક શહીદોના પરિવાર સુધી જાહેર થયેલી સહાય પહોંચી નહોતી અને એમાં પણ કૌભાંડ થયાં હતાં. આજે પણ કારગિલના સૌરભ કાલિયા જેવા શહીદ સાથે ન્યાય થયો નથી, એ દુઃખદ બાબત છે.

કારગિલ યુદ્ધે પાકિસ્તાનની પોલ ખોલી હતી તો ભારતની નબળાઈઓ પણ બહાર આવી હતી. ભારતે સરહદ, સેના અને શહીદોના મામલે જરાય ગાફેલ રહેવું પોષાય એમ નથી. કારગિલનું ષડયંત્ર રચીને મુશર્રફે ખોટું કર્યું હોવાનો એક મત પાકિસ્તાનમાં ઊભો થયો છે, છતાં પાકિસ્તાન ક્યારે સુધરશે, એ કોઈ કહી શકે એમ નથી, કારણ કે પાકિસ્તાનનું સમગ્ર રાજકારણ ભારતદ્વૈષ પર રમાય છે. ભારતમાં પણ પાકિસ્તાન-દ્વૈષનો રાજકીય લાભ લેવાના પ્રયાસો થાય છે. સરહદ કે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે રાજકારણ ન જ રમાવું જોઈએ, પણ આપણા નેતાઓની માનસિકતા કોણ બદલે?

(‘સંદેશ’ની 26મી જુલાઈ, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Tuesday, June 28, 2016

તમે નરસિંહ રાવને ઓળખો તો છોને?

દિવ્યેશ વ્યાસ


28 જૂન, 1921ના રોજ જન્મેલા પી.વી. નરસિંહ રાવનો આજે જન્મ દિવસ છે, પણ ભાગ્યે જ તેમનો જન્મ દિવસ કે પુણ્ય તિથિ મનાવાતી હોય છે. આવું શા માટે?



(નરસિંહ રાવનું આ સુંદર ચિત્ર www.kostalife.com પરથી લેવામાં આવ્યું છે.)


આઝાદી પછી ભારતને મળેલા શક્તિશાળી, વ્યવહારુ અને ટ્રેન્ડસેટર ગણાય એવા વડાપ્રધાનોમાં પી.વી. નરસિંહ રાવનો અચૂક સમાવેશ કરવો પડે, પણ દેશના આ દસમા વડાપ્રધાનની પીએમ પદેથી ઊતર્યા પછી એવી દશા બેઠી કે જાહેરજીવનમાં ભાગ્યે જ તેમનો નામોલ્લેખ કરવામાં આવે છે. તમે જ યાદ કરો નરસિંહ રાવનો જન્મદિવસ કે પુણ્યતિથિ કોઈ દ્વારા મનાવવામાં આવી હોય, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હોય એવું ક્યારેય સાંભળ્યું કે જોયું છે? કપરા સંજોગોમાં કૉંગ્રેસને નેતૃત્વ પૂરું પાડવા ઉપરાંત કૉંગ્રેસની લઘુમતી સરકારને પૂરાં પાંચ વર્ષ ટકાવવાની સાથે સાથે તેમના નેતૃત્વમાં આપણા દેશે જે આર્થિક અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં હરણફાળ ભરી હોવા છતાં ખુદ કૉંગ્રેસ પક્ષ દ્વારા પણ ભાગ્યે જ તેમને સન્માનપૂર્વક યાદ કરવામાં આવ્યા છે. હા, વર્તમાન એનડીએ સરકારે તેમના યોગદાનની કદર કરીને નવી દિલ્હીમાં તેમનું સ્મારક બનાવવાનો નિર્ણય ગયા માર્ચ મહિના (2015)માં કર્યો છે, એ આવકાર્ય બાબત છે. બાકી નરસિંહ રાવ તો સાવ ભુલાઈ ગયા હતા. યોગ્યતા અને યોગદાન છતાં નરસિંહ રાવની તેમના જ પક્ષ અને તેમના પક્ષની સરકાર દ્વારા પણ શા માટે અવગણના કરવામાં આવે છે, તે સંશોધનનો વિષય છે. નરસિંહ રાવ જ નહીં પણ કૉંગ્રેસના જ અન્ય મોટા નેતાઓ જેમ કે, લાલ બહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈની પણ દેશમાં ભારે અવગણના થઈ છે, એ યાદ આવ્યા વિના રહેતું નથી.

ખેર, આજે નરસિંહ રાવનો જન્મદિવસ છે, ત્યારે કડવી વાસ્તવિકતાની લાંબી ચર્ચા કરવાને બદલે દેશના વિકાસમાં તેમણે આપેલા નોંધનીય પ્રદાન અને યોગદાનની નોંધ લઈને તેમનું સ્મરણ કરી લેવાની તક ચૂકવા જેવી નથી.

૨૮ જૂન, ૧૯૨૧ના રોજ હાલના તેલંગણા રાજ્યના વારંગલ જિલ્લાના લાકિનેપલ્લી ગામમાં તમિલ બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમણે કાયદાશાસ્ત્રમાં પારંગતની પદવી (માસ્ટર ડિગ્રી) મેળવી હતી. કાયદાના અભ્યાસ પછી વ્યવસાયે વકીલાત કરનારા નરસિંહ રાવ બહુ ઓછું બોલનારા વડાપ્રધાન તરીકે જાણીતા બનેલા. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ પોતાની માતૃભાષા તેલુગુ ઉપરાંત મરાઠી, હિન્દી, ઓરિયા, બંગાળી, તમિલ અને ઉર્દૂ જેવી કુલ સાત ભારતીય ભાષા પર કમાંડ ધરાવતા હતા. એટલું જ નહીં તેઓ અંગ્રેજી, ફ્રેન્ચ, અરેબિક, સ્પેનિશ, જર્મન અને ફારસી જેવી વિદેશી ભાષામાં પણ ધાણીફૂટ બોલી શકતા હતા. જોકે, તેમણે વડાપ્રધાન તરીકે કે પછી વડાપ્રધાન પદ છોડયા પછી પણ ભાગ્યે બોલવાનું પસંદ કર્યું હતું, કારણ કે તેઓ બોલવામાં નહીં કામ કરવામાં માનનારા નેતા હતા.

નરસિંહ રાવ વડાપ્રધાન બન્યા એ પહેલાં તેમણે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોમાં ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય તથા વિદેશ મંત્રાલય જેવાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયોમાં ફરજ બજાવી હતી. એટલું જ નહીં તેમણે દોઢેક વર્ષના ટૂંકા ગાળા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી અને જમીન મર્યાદા કાયદાનું સખત પાલન કરાવીને સામાન્ય લોકોને જમીન અપાવી હતી. તેમના આ યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે.

નરસિંહ રાવને વડાપ્રધાનનું પદ આકસ્મિક રીતે મળી ગયું હતું. તેમણે રાજકીય સંન્યાસ લેવાનું નક્કી કરી લીધેલું, પરંતુ રાજીવ ગાંધીની હત્યા બાદ કૉંગ્રેસની સરકારને સંભાળવાની જવાબદારી તેમના માથે આવી પડી અને તેઓ કૉંગ્રેસની લઘુમતી સરકારના વડાપ્રધાન બની ગયા. એ રીતે નરસિંહ રાવ પણ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જ હતા. ૨૧ જૂન, ૧૯૯૧થી ૧૬ મે, ૧૯૯૬ દરમિયાન દસમા વડાપ્રધાન તરીકે કામ કરવું આસાન નહોતું. એક તરફ સરકાર પાસે પૂરતી બહુમતી નહોતી તો બીજી તરફ દેશ આર્થિક સંકટોથી ઘેરાયેલો હતો, પરંતુ નરસિંહ રાવે બ્રિલિયન્ટ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહને દેશના નાણા મંત્રાલયનું સુકાન સોંપ્યું અને વિરોધી પક્ષોના (ભાજપ અને ડાબેરીઓના) આકરા વિરોધ છતાં આર્થિક સુધારા અમલી બનાવીને દેશને વિકાસના પંથે આગળ ધપાવ્યો હતો. આર્થિક ઉપરાંત વિદેશ સંબંધોની બાબતમાં પણ નરસિંહ રાવે એક વડાપ્રધાન તરીકે ખાસ્સું મોટું યોગદાન આપ્યું છે. અયોધ્યામાં બાબરી ધ્વંસ વખતે તેમની શંકાસ્પદ ભૂમિકાને કારણે કૉંગ્રેસ નેતૃત્વ તેમનાથી અંતર રાખતું હોવાનું ચર્ચાય છે, પરંતુ કોઈ એક વિવાદાસ્પદ બાબત માટે વ્યક્તિનું સમગ્ર યોગદાન અવગણવું એ ક્યાંનો ન્યાય? આશા રાખીએ ઇતિહાસ નરસિંહ રાવને અન્યાય નહીં કરે!

(‘સંદેશ’ની 28મી જૂન, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)