Showing posts with label Politics. Show all posts
Showing posts with label Politics. Show all posts

Wednesday, June 13, 2018

યત્ર નાર્યસ્તુ શાસન્તિ...

દિવ્યેશ વ્યાસ


સ્પેનમાં વિશ્વનું સૌથી વધારે મહિલા મંત્રીઓ ધરાવતું મંત્રીમંડળ રચાયું છે, જે આગામી શાસકીય પરિવર્તનનો સંકેત છે

(સ્પેનના નવા મંત્રીમંડળની તસવીર જેમાં 11 મહિલા મંત્રીઓ નજરે પડે છે. તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધેલી છે.)


લેખનું શીર્ષક વાંચીને કોઈને શંકા પડી શકે કે કંઈક લોચો વાગ્યો છે, શીર્ષક તો ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે...’ હોવું જોઈએ. પણ ના, કોઈ લોચો વાગ્યો નથી. વાત નારીની જ્યાં પૂજા થતી હોય તેની નથી કરવી, પરંતુ નારી જ્યાં શાસન કરતી હોય એની કરવી છે. ગયા સપ્તાહે 7મી જૂને સ્પેનમાં નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. કેબિનેટના જે 17 મંત્રીઓએ શપથ લીધા, તેમાં 6 પુરુષ મંત્રીઓની સામે મહિલા મંત્રીઓની સંખ્યા અધધ લાગે એટલી 11 હતી! સ્પેન અને યુરોપ જ નહિ, કદાચ વિશ્વની કોઈ પણ સરકારમાં આટલી મોટી સંખ્યામાં મહિલાઓનું નેતૃત્વ જોવા મળ્યું નથી. સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર આશરે 65 ટકા મહિલા મંત્રીઓ સાથે આ નવું સ્પેનિશ મંત્રીમંડળ વિશ્વનું સૌથી વધુ મહિલા વર્ચસ્વ ધરાવતું મંત્રીમંડળ છે.
કોઈ પણ દેશની સરકારમાં મોટી સંખ્યામાં મહિલાઓને પ્રતિનિધિત્વ મળ્યું હોય, એવો આ પહેલાનો દાખલો સ્વીડનનો છે. સ્વીડનમાં 12 મહિલા અને 11 પુરુષ મંત્રીઓ ધરાવતી સરકાર રચાઈ ચૂકી છે. હાલમાં મહિલા મંત્રીઓ મોટી સંખ્યામાં હોય એવું મંત્રીમંડળ ફ્રાંસ, સ્વીડન અને કેનેડા ધરાવે છે. આ ત્રણેય દેશોના મંત્રીમંડળોમાં આશરે 50 ટકા જેટલાં મહિલા મંત્રીઓ ફરજ બજાવી રહ્યાં છે. આ આંકડા દર્શાવે છે કે રાજકીય-શાસકીય ક્ષેત્રે મહિલાઓનો દબદબો વધી રહ્યો છે. એમાંય સ્પેને સ્થાપેલો નવો રેકોર્ડ, આગામી શાસકીય પરિવર્તનનો એક મોટો સંકેત ગણી શકાય.

સ્પેનની રાજકીય સ્થિતિની થોડી વિગતો જોઈએ તો ભ્રષ્ટાચારના મુદ્દે વર્તમાન સરકાર પડી ભાંગતાં નવી સરકાર રચવાની નોબત આવી. વર્ષ 2011થી સત્તા પર રહેલા વડાપ્રધાન મારિયાનો રાજોયને તેમના પક્ષના કાર્યકરો-નેતાઓ દ્વારા આચરવામાં આવેલાં કૌભાંડોનો ભાંડો ફૂટતાં તેમણે સત્તાથી હાથ ધોવા પડ્યા. નવી સ્થિતિમાં 350 સંસદીય બેઠકોમાંથી માત્ર 84 બેઠકો ધરાવતા સ્પેનિશ સોશિયાલિસ્ટ વર્કર્સ પાર્ટીના યુવા નેતા પેડ્રો સાંચેઝને યુરોપીયન યુનિયનના સપોર્ટને કારણે સરકાર રચવાની તક મળી ગઈ. અર્થશાસ્ત્રના પ્રોફેસર રહી ચૂકેલા માત્ર 46 વર્ષના સાંચેઝે હવે લઘુમતી સરકાર ચલાવવાની છે. સાંચેઝે મંત્રીમંડળમાં પોતાના પક્ષના નેતાઓ ઉપરાંત અન્ય પક્ષના નેતાઓને તેમજ જે તે ક્ષેત્રના નિષ્ણાતોને પણ મંત્રીમંડળમાં સમાવીને સંતુલન સાધવાની કોશિશ કરી છે, પરંતુ આ કોશિશમાં તેમણે પોતાના મંત્રીમંડળમાં શક્ય એટલી વધારે મહિલાઓને સમાવીને એક તીરે અનેક લક્ષ્ય સાધી લીધા છે. તેમના આ નિર્ણયે તેમને વિશ્વભરમાં રાતોરાત પ્રસિદ્ધિ અપાવવા ઉપરાંત તેમણે સ્પેન દેશની મહિલાઓના દિલ પણ જીતી લીધા છે.

સાંચેઝે માત્ર દેખાડા પૂરતું જ મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન નથી આપ્યું, બલકે સરકારનાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયોનાં સુકાન નારીશક્તિને સોંપ્યાં છે. સૌથી પહેલાં તો તેમણે નાયબ વડાપ્રધાનનું પદ એક મહિલા નેતાને આપ્યું છે. આ ઉપરાંત નાણાં, સંરક્ષણ, કાયદા,  શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન, પર્યાવરણ અને સાંસ્કૃતિક બાબતો જેવા મહત્ત્વપૂર્ણ ખાતાં-મંત્રાલયોની જવાબદારી મહિલા મંત્રીઓને સોંપી છે. અનુભવી મહિલા નેતા કાર્મન કાલ્વોને નાયબ વડાપ્રધાન બનાવવા ઉપરાંત તેમને સમાનતા મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. કાર્મન કાલ્વોએ શપથગ્રહણ પછી નિવેદન આપ્યું હતું કે ‘આ સરકાર લોકશાહી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવું અસમાનતા ઘટાડવાનું કામ રોજેરોજ કરશે અને દેશમાં વ્યાપકપણે સમાનતા, ખાસ કરીને પુરુષ અને મહિલા વચ્ચેની સમાનતા લાવવા માટે મથશે.’

વડાપ્રધાન સાંચેઝે જણાવ્યું હતું કે અમારું મંત્રીમંડળ ‘પ્રો-જેન્ડર ઇક્વાલિટી, ક્રોસ જનરેશનલ, સમગ્ર વિશ્વ માટે ખુલ્લું છતાં યુરોપીયન યુનિયન સાથે જોડાયેલું છે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમે દેશ-સમાજમાં સમાનતા સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

સ્પેનના મંત્રીમંડળમાં મહિલાઓને મોટી સંખ્યામાં સ્થાન મળ્યું એ માટે એ દેશની મહિલાઓની વધતી જાગૃતિ અને તાકાત જવાબદાર છે. ભારતમાં મહિલા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવું તો દૂરની વાત છે, પરંતુ 30 ટકા અનામત આપવાનું વિધેયક પણ સંસદમાં વર્ષોથી ઠેબાં ખાઈ રહ્યું છે. રાજકીય પક્ષો જાગવાના નથી, મહિલાઓએ જ જાગવું પડશે!

(દિવ્ય ભાસ્કરની 13 મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)

Wednesday, December 20, 2017

ચાણક્યની નજરે શાસક

દિવ્યેશ વ્યાસ


ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. જોકે, ખરા ચાણક્યના રાજા અને રાજનીતિ અંગેના વિચારો જાણવા જેવા છે

(ચાણક્ય પર દ. ભારતની કોઈ ભાષામાં લખાયેલા પુસ્તકના મુખપૃષ્ઠ પરથી આ ચિત્ર લીધું છે.)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ચૂક્યાં છે. નવા મુખ્યમંત્રી અને તેમનું તાજું મંત્રીમંડળ હવે ટૂંક સમયમાં સત્તાનું સુકાન સંભાળી લેશે. ગુજરાતની આ વખતની ચૂંટણી અનેક રીતે યાદગાર બની રહેશે, કારણ કે આશરે બે-અઢી દાયકા પછી ચૂંટણી જંગમાં કાંટે કી ટક્કર જોવા મળી. દરેક ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. ચૂંટણીના ચક્રવ્યૂહને ભેદીને પોતાના પક્ષને સત્તા સુધી પહોંચાડવા માટે જાતભાતના ખેલ પાડનારાઓને ચાણક્યનું બિરુદ આપી દેવાનો વાહિયાત ટ્રેન્ડ આપણે ત્યાં શરૂ થયો છે. ચાણક્યની ઓળખ, જીવનકાર્ય અને તેમના વિચારો-નીતિની સહેજેય સમજ ન હોય એવા લોકો જ ચૂંટણીલક્ષી રાજકારણ કરનારાઓને તેમની સાથે સરખાવવાની નાદાની કરતા હોય છે. ખેર, ચાણક્ય મહાન હતા અને તેમણે જે ગ્રંથો-સાહિત્ય રચ્યું હતું, તેમણે જે નીતિ આપી, તેમાંની ઘણીબધી આજેય પ્રેરણાદાયી અને મનનીય છે. ચાણક્યના કેટલાક વિચારો અને વચનોને કદાચ આજે અપ્રસ્તુત ઠેરવી શકાય, છતાં તેમણે જે મૂલ્યો અને માપદંડો આપ્યા છે, તે આજે પણ પ્રસ્તુત છે.

ગુજરાતને નવા શાસકો મળ્યા છે ત્યારે ચાણક્ય દ્વારા એ જમાનાના રાજા અને આજના જમાનાના શાસકો અંગે જે વિચારો આપ્યા છે, તેના જાણવા રસપ્રદ રહેશે. ‘ચાણક્ય નીતિ’ના સોળમા અધ્યાયમાં એક જોરદાર વાત લખવામાં આવી છે, જે કોઈ પણ ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિએ દિલોદિમાગમાં અંકિત કરી રાખવા જેવી છે: ‘વ્યક્તિ પોતાના ગુણોથી ઉપર ઊઠે છે, ઊંચા પદ પર બેસીને ઊંચો (મોટો-મહાન) થઈ જતો નથી. શું કાગડો ઊંચી ઇમારત પર બેસેલો હશે તો તમે તેને ગરુડ કહેશો?’

શાસક માટે બીજી પણ એક અનુકરણીય સલાહ ચાણક્યે આપી છે કે ‘મૂરખાઓ તરફથી પ્રશંસા સાંભળવા કરતાં બુદ્ધિશાળીની ટીકા સાંભળવી વધારે ફાયદાકારક છે.’ મોટા ભાગના શાસકોને પોતાની ટીકા સાંભળવી ગમતી નથી અને આપણે ત્યાં છેલ્લાં વર્ષોમાં બૌદ્ધિકોને ગાળ આપવાનું સામાન્ય બન્યું છે ત્યારે ચાણક્યની આ વાત ઘણી પ્રસ્તુત છે. શાસક સારો હોય તો તે પ્રજાને લીલાલહેર થાય છે અને ખરાબ હોય તો કાળોકેર પણ વર્તાવતો હોય છે. ચાણક્ય આ મામલે ચોખ્ખી વાત કરે છે, ‘ખરાબ રાજાના રાજમાં ન તો જનતા સુખી થાય છે અને ન તેનાથી લોકોને ક્યારેય ફાયદો થાય છે. ખરાબ રાજા કરતાં તો સારું છે કે રાજા જ ન હોય.’

આપણે ત્યાં સંસ્કૃત સુક્તિ છે કે યથા રાજા તથા પ્રજા. આવી જ વાત ‘ચાણક્ય નીતિ’ના તેરમા અધ્યાયમાં કરવામાં આવી છે, ‘રાજા જો પુણ્યાત્મા હોય તો પ્રજા પણ એવી જ બને છે. રાજા પાપી હોય તો પ્રજા પણ પાપી બને છે. રાજા સામાન્ય હોય તો પ્રજા પણ સામાન્ય બને છે. પ્રજા સમક્ષ રાજાનું ઉદાહરણ હોય છે અને તે એનું અનુસરણ કરતી હોય છે.’ આ દૃષ્ટિએ શાસકની નૈતિક જવાબદારીઓ ઓર વધી જતી હોય છે.

દરેક નવી સરકારે જૂની સરકારની નિષ્ફળતાઓમાંથી શીખવું જ જોઈએ. ચાણક્ય કહી ગયા છે કે ‘બીજા લોકોની ભૂલોમાંથી શીખો. પોતાની રીતે જ અખતરા કરીને શીખવામાં તમારી ઉંમર નાની પડી જશે.’ આપણે ત્યાં તો સરકાર પાસે પાંચ વર્ષનો જ સમય હોય છે, એટલે નવી સરકારે અગાઉની સરકારોના અનુભવમાંથી બોધપાઠ લઈને લોકકલ્યાણનાં કાર્યોને વહેલી તકે આદરી દેવા જોઈએ.

આપણી કમનસીબી છે કે રાજનીતિમાં ધર્મનું આચરણ કરવામાં આવે કે ન આવે, પરંતુ ધર્મના નામે રાજકારણ જરૂર રમવામાં આવે છે. આ ચૂંટણીમાં મંદિર-મુલાકાતો ચર્ચાનો વિષય બની, પરંતુ શાસકની દાનત ખરેખર રામરાજ્ય લાવવાની હોય તો તેણે રામ જેવા ગુણો આત્મસાત્ કરવા પડે. ‘ચાણક્ય નીતિ’ના બારમા અધ્યાયમાં રામના ગુણોની યાદ અપાઈ છે: ‘ભગવાન રામમાં આ તમામ ગુણ છે: 1. સદ્્ગુણોમાં પ્રીતિ, 2. મીઠાં વચન, 3. દાન દેવાની તીવ્ર ઇચ્છાશક્તિ, 4. મિત્રો સાથે કપટરહિત વ્યવહાર, 5. ગુરુની હાજરીમાં વિનમ્રતા, 6. મનની ઊંડી શાંતિ, 7. શુદ્ધ આચરણ, 8. ગુણોની પરખ, 9. શાસ્ત્રનું જ્ઞાન અને અનુભૂતિ, 10. રૂપની સુંદરતા, 11. ભગવત ભક્તિ.’ આપણા કયા શાસકમાં આ સદ્્ગુણો જોવા મળે છે, એ જોતાં રહેવું જરૂરી છે.

આપણે ત્યાં આજકાલ ખોટા આંકડા અને વિગતો દર્શાવીને ભ્રમ ફેલાવવાની પ્રવૃત્તિ વધી છે. રાજકારણીઓ પોતાની લોકપ્રિયતા ટકાવવા અને પોતાની સિદ્ધિઓ બતાવવા માટે ખોટી માહિતીની ફેંકમફેંક કરતાં જરાય અચકાતા નથી. મોટા મોટા નેતાઓમાં સત્ય પ્રત્યે આદર કે તેની પરવા જોવા મળતી નથી ત્યારે આ નેતાઓએ ચાણક્યનું એક વચન ગાંઠે બાંધી રાખવા જેવું છે, ‘સત્યની તાકાત જ આ દુનિયાને ધારણ કરે છે. સત્યની તાકાતથી જ સૂર્ય પ્રકાશમાન છે. હવાઓ ચાલે છે, ખરેખર સઘળું સત્ય પર આશ્રિત છે.’ સત્યની શક્તિ અંગે ચાણક્ય દ્વારા જે વાત કરવામાં આવી છે, તે  ગાંધીજીના ‘સત્ય એ જ ઈશ્વર’ વચન સાથે પણ મેચ થાય છે.

ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ગાંધી એક નેતા તરીકે ઉભરી આવ્યા છે, એ જોતાં ચાણક્યનું આ વાક્ય પણ યાદ રાખવા જેવું છે, ‘કોઈ પણ વ્યક્તિની વર્તમાન સ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાવો, કારણ કે આવનાર કાલમાં એટલી તાકાત હોય છે કે તે એક મામૂલી કોલસાના ટુકડાને પણ હીરામાં પરિવર્તિત કરી શકે છે.’

‘ચાણક્ય નીતિ’માં એવા સાત લોકોની યાદી આપવામાં આવે છે, જે સૂઈ ગયા હોય તો તેમને જગાડવા ન જોઈએ. આમાંના એક છે - રાજા. પરંતુ લોકશાહીમાં તમારો રાજા એટલે કે શાસક (મુખ્યમંત્રી) જો સૂઈ ગયો હોય એવું લાગે તો જરૂર જગાડવો રહ્યો!

(‘દિવ્ય ભાસ્કર’ની 20મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, November 29, 2017

જાતિવાદ : આ પણ એક ઉકેલ

દિવ્યેશ વ્યાસ


ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં હવે જુદા જુદા વંશના લોકો પ્રત્યે સમભાવ-સદભાવ પેદા કરતો કોર્સ ફરજિયાત કરાયો છે


(મેગડેલન કૉલેજ, ઓક્સફર્ડ યુનિવર્સિટીની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

જાતિવાદનો જ્વાળામુખી ચૂંટણીના માહોલમાં અચૂક ફાટતો હોય છે. આપણું રાજકારણ જાતિકેન્દ્રિત થઈ ગયું છે, તે વાસ્તવિકતા છે. રાજકીય પક્ષો દરેક જાતિને પોતાની મતબેન્કની જેમ જોતા હોય છે. ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણીની વ્યૂહરચનામાં જાતિનાં સમીકરણો જ કેન્દ્રસ્થાને હોય છે. રાજકીય પક્ષો ‘સારા’ નહિ, ’જીતાડે’ એવા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળતા હોય છે. મોટા ભાગના લોકો મત આપવા જાય ત્યારે ઉમેદવારની જાતિને અચૂક ધ્યાને લેતા હોય છે, એ રાજકારણીઓ જાણે છે. સત્તાલોલુપ રાજનેતાઓ લોકોની નાડ (આમ તો નબળી કડી) પારખી ગયા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓની ધમાધમી ચાલી રહી છે ત્યારે સામસામે જાતિવાદ ચલાવવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, છતાં સૌ જાણે છે કે બધા પક્ષો જાતિવાદનું રાજકારણ જ રમતા હોય છે. દરેક પક્ષ અન્ય પક્ષો પણ જાતિવાદ ચલાવવાનો આક્ષેપ અચૂક મૂકે છે, છતાં તેઓ જ્યારે ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણીનાં સમીકરણો માંડે ત્યારે જાતિવાદનું પડખું જરૂર સેવતા હોય છે.

જાતિવાદનો જ્વાળામુખી કોઈ જાતિનું ભલું કરી નાખે, એવું માનવાને કોઈ કારણ નથી. જાતિનાં સંગઠનોની પ્રવૃત્તિનો તમે ઝીણવટથી અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે આ બધી પ્રવૃત્તિ પર માન-મોભા-પ્રતિષ્ઠા માટે વધારે હોય છે, જાતિના મોટા ભા બનેલાઓ એકબીજાની પીઠ થાબડતા રહેતા હોય છે, પરંતુ તેનાથી જાતિના જ છેવાડેના, કચડાયેલા, વંચિત, ગરીબના જીવનમાં કોઈ મોટો ફરક આવતો નથી. જાતિના નામે નાની મોટી સખાવતો થાય છે, અમુક પ્રસંગો સચવાય છે, પરંતુ લાંબેગાળાનો હિસાબ માંડતા આ બધું સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવું જ બની રહેતું હોય છે.

જાતિ જાણે આપણા સામાજિક ડીએનએનો ભાગ બની ગઈ હોય, એટલી જડ છે, કદાચ એટલે જ વિનોબા ભાવે દ્વારા કહેવાયું હતું કે ‘જો જાતી નહિ વહ જાતિ હૈ!’ જોકે, આપણે ભારતને સુપરપાવર બનાવવા માગતા હોઈએ તો સમાજને જાતિના વાડાઓથી મુક્ત કર્યા વિના છૂટકો નથી. સત્તાલોલુપો જાતિવાદી રાજકારણ રમીને લોલીપોપથી વિશેષ કશું આપતા નથી અને તેને કારણે સમાજનો અને દેશનો વિકાસ રૂંધાતો રહે છે. આધુનિક સમયમાં જાતિવાદ ઓગળવાને બદલે વધારે ઘટ્ટ બન્યો છે ત્યારે આપણે એના વિશે વધારે ગંભીરતાથી વિચારવું રહ્યું.
ભારતમાં જેમ જાતિવાદ છે તેમ પશ્ચિમી દેશોમાં રંગભેદ અને વંશવાદ છે. અમેરિકા અને યુરોપે રંગભેદને મીટાવવા માટે વ્યવસ્થાગત-માળખાગત પગલાં (એફર્મેટિવ એક્શન્સ) ભરીને ઘણા અંશે સફળતા મેળવી છે. યુરોપમાં દુનિયાભરના અનેક દેશોના લોકો સ્થાયી થયા છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ત્યાં વંશવાદનો મુદ્દો ગંભીર બન્યો છે. યુરોપમાં પણ મૂળનિવાસી જેવા વંશો અંગેના સવાલો પેદા થયા છે. વંશવાદ વધુ વકરે તો સામાજિક ભેદભાવ આગળ જતાં રમખાણોનું પણ સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સ્થિતિને નિવારવા માટે ત્યાંના રાજનેતાઓ કેટલું વિચારે છે, એ ખબર નથી પરંતુ શિક્ષણ સંસ્થાઓએ પોતાની જવાબદારી સમજીને આગળ વધવાનું મુનાસિબ માન્યું છે.

તાજેતરમાં એવા સમાચાર મળ્યા હતા કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સૌથી માલદાર ગણાતી મેગડેલન કૉલેજે આવતા વર્ષથી નવા વિદ્યાર્થીઓ માટે વંશ જાગૃતિ અભ્યાસક્રમ ફરજિયાત કરી દીધો છે. આ કોર્સ અંતર્ગત યુરોપના પરંપરાગત લઘુમતી વંશો અંગે જાણકારી આપવામાં આવશે. જોકે, જાણકારી કોરી નહીં હોય, પરંતુ તેમણે એ વંશના લોકોની પરંપરાઓ, ભોજન, વસ્ત્રો વગેરેનો જાતઅનુભવ પણ મેળવવાનો રહેશે. યુરોપમાં ભારતીય લોકો સારી એવી સંખ્યામાં છે, તેને ધ્યાનમાં રાખીને આ કોર્સ અંતર્ગત ભારતીય ભોજનની વાનગી ઇન્ડિયન ફિશ પાઇનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે!

વિદ્યાર્થીઓને જુદા જુદા વંશ અને તેમની પરંપરાથી પરિચિત કરીને વંશવાદને બદલે તમામ વંશ પ્રત્યે સમભાવ-સદ્્ભાવ કેળવવાની આ કોશિશ ખરેખર અનુકરણીય જણાય છે. આપણે જો ખરેખર જાતિવાદથી મુક્ત થવા માગતા હોઈએ તો જાતિઓ વચ્ચે સંવાદ અને વ્યવહાર વધે એવા પ્રયાસોના ભાગ રૂપે નવી પેઢીને જુદા અભિગમથી કેળવવાની દિશામાં વિચારવું રહ્યું. ચૂંટણીની ચર્ચામાંથી ફ્રી પડો ત્યારે જરા વિચારજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 29મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિની ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, September 13, 2017

સૂ કી : સિદ્ધાંત V/s સત્તામોહ

દિવ્યેશ વ્યાસ


રોહિંગ્યા મુદ્દે સૂ કીના મૌન અને પછી લૂલા બચાવે તેમની વૈશ્વિક શાખ અને શાનને બટ્ટો લગાવ્યો છે

(લેખને અનુરૂપ હાવભાવવાળી આ તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

આજકાલ દુનિયામાં બે દેશોના વડાઓ સૌથી વધારે વગોવાઈ રહ્યા છે. વગોવાતા-વખોડાતા રાષ્ટ્રીય સત્તાધીશોમાં પહેલા ક્રમે આવે છે ઉત્તર કોરિયાનો યુવા સરમુખત્યાર કિમ જોંગ ઉન. એક પછી એક પરમાણુ પરીક્ષણો અને મિસાઇલ ટેસ્ટ પછી છેલ્લે હાઇડ્રોજન બૉમ્બનું પરીક્ષણ કરીને તેણે ભલભલી મહાસત્તાઓને હચમચાવી દીધી છે. અમુક લોકોને તો ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. અલબત્ત, ઉન જે કંઈ કરી રહ્યા છે, એમાં કશું અનઅપેક્ષિત નથી. યુદ્ધખોર પ્રકૃતિ ઉનને ડીએનએમાં મળેલી છે. ઉનના પિતા અને પિતામહની વૃત્તિ-પ્રવૃત્તિ પણ કંઈક આવી જ હતી. ઉન જરા યુવા વયમાં સત્તામાં આવી ગયા છે ત્યારે તેમનું ઉકળતું લોહી યુદ્ધ માટે વધારે ઉતાવળું હોય તો એમાં નવાઈ પામવા જેવું જરાય નથી. નવાઈ અને અપેક્ષાભંગનું વધારે તત્ત્વ તો વગોવાઈ રહેલા બીજા નેતાના કિસ્સામાં જોવા મળે છે. આ નેતા એટલે મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર અને વિદેશમંત્રી આંગ સાન સૂ કી.

સૂ કીને મ્યાનમારમાં સત્તા મળી એ પહેલાં પોતાના દેશમાં લોકશાહીની સ્થાપના માટેના અહિંસક આંદોલનને નેતૃત્વ પૂરું પાડવા માટે તેમને વિશ્વવિખ્યાત શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો હતો. શાંતિનો નોબેલ ભલે ગાંધીજીને ન મળી શક્યો હોય, પરંતુ ગાંધીજીના સિદ્ધાંતો મુજબ અન્યાય સામે સંઘર્ષ કરનારા અનેક લોકોને શાંતિનો નોબેલ પારિતોષિક મળી ચૂક્યો છે અને આ ગૌરવવંતી યાદીમાં સૂ કીનો પણ આજ દિન સુધી સસન્માન સમાવેશ થતો આવ્યો છે, પરંતુ રોહિંગ્યાના મુદ્દે તેમના મૌન અને નિષ્ક્રિયતાને કારણે હવે તેમની ચોમેરથી ટીકા થઈ રહી છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારો અને તેમની વ્યાપક હિજરતનો મામલો હવે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે. રોહિંગ્યાની વકરી રહેલી સ્થિતિ મામલે મૌન અને પછી લૂલો બચાવ કરવાને કારણે સૂ કીની શાખ અને શાનને બટ્ટો લાગ્યો છે. સૂ કીએ લૂલો બચાવ કર્યો છે કે ‘રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો તો દાયકાઓ જૂની સમસ્યા છે. હું મારા 18 મહિનાના શાસનમાં આ સમસ્યાનો ઉકેલ લાવી શકું, એવી અપેક્ષા કઈ રીતે કરી શકાય.’ સૂ કીને કોણ સમજાવે કે ઉકેલ આવે કે ન આવે તમારો એ દિશામાં પ્રયાસ કે સક્રીયતા તો દેખાવી જોઈએને?

રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યા આંગ સાન સૂકી માટે સૌથી મોટો રાજકીય પડકાર બની ગયો છે. જોકે, રોહિંગ્યાના મામલે સૂ કી ગાંધીજીના નહીં, પરંતુ પોતાના પિતા આંગ સાનના માર્ગે ચાલી રહ્યા હોય એવું લાગે છે. સૂ કીના પિતા આંગ સાને 1946માં રોહિંગ્યાઓને તમામ અધિકાર આપવાનો અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં રાખવામાં આવે, એવી ખાતરી આપી હતી, પરંતુ તેમણે વાયદો નિભાવ્યો નહોતો. ઈ.સ. 1947માં તેમણે બર્માના જુદા જુદા જાતિ-ધર્મના સમુદાયોને એકઠા કરેલા ત્યારે તેમણે રોહિંગ્યા સમુદાયના લોકોને સામેલ કરવાનું ટાળ્યું હતું. 1970ના દાયકાથી લઈને આજ સુધી રોહિંગ્યા પર સમયાંતરે હુમલાઓ થયા કરે છે. 1982માં તો તેમનું નાગરિકત્વ જ છીનવાઈ ગયું છે. લાખો રોહિંગ્યા પોતાનું વતન છોડીને હિજરતી બનવા માટે મજબૂર છે. રોહિંગ્યા વિશ્વના સૌથી વધુ પ્રતાડિત હિજરતી સમુદાય તરીકે જાણીતા બની રહ્યા છે.  

સૂ કીના મીંઢા મૌનની ટીકા દ. આફ્રિકાના આર્કબિશપ ડેસમન્ડ ટૂટૂથી માંડીને મલાલા સુધીના 12 નોબેલ પારિતોષિક વિજેતાઓ કરી ચૂક્યા છે. ડેસમન્ડ ટૂટૂએ તો કડક શબ્દોમાં કહ્યું છે, ‘તમારી મ્યાનમારની સત્તાના શિખર પર પહોંચવાની કિંમત તમારું મૌન હોય તો આ કિંમત બહુ વધારે કહેવાય.’ દુનિયાભરના લોકો સૂ કીના અભિગમથી નારાજ છે. 3.86 લાખ લોકોએ એક ઓનલાઇન અરજી થકી નોબેલ પારિતોષિક સમિતિને સૂ કી પાસેથી નોબેલ પારિતોષિક પાછો લઈ લેવાની માગણી કરી છે. નોબેલ સમિતિએ જાહેર કર્યું છે કે પુરસ્કાર પાછો લેવાની જોગવાઈ નથી, આમ અધિકૃત રીતે તો સૂ કી પાસેથી નોબેલ પાછો નહીં લેવાય, પરંતુ સૂ કી જો પોતાનું વલણ નહીં બદલે કે પછી સત્તામોહ માટે સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનું અને માનવતાને કોરાણે મૂકવાનું ચાલુ રાખશે તો નોબેલ પાછો લેવા કરતાં પણ મોટી નાલેશી તેમણે ઇતિહાસના ગ્રંથોમાં ભોગવવી પડશે.

(‘દિવ્ય ભાસ્કર’ની 13મી સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, March 15, 2017

હારીને કમાનારા બાજીગરો

દિવ્યેશ વ્યાસ


કોઈ વિચારધારા કે સમાજસેવા વિના ચૂંટણી ટાણે રાતોરાત ફૂટી નીકળતા નેતાઓથી ચેતવા જેવું છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)



ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. ચૂંટણીના દિવસોમાં સામાન્યમાં સામાન્ય નાગરિકને પણ અહેસાસ થતો હોય છે કે આપણું પણ કોઈ વજૂદ છે અને આપણું પણ કંઈક મહત્ત્વ છે. મત આપવાની નમ્ર અપીલ કરતા અને લળી લળીને સલામો ભરતા નેતાઓને જોઈને કૉમન મેનને પણ લાગે છે કે આ દેશમાં આપણોય ‘ભાવ પુછાય’ છે! બીજા કોઈ દિવસોમાં થતા હોય કે નહીં, પરંતુ ચૂંટણીના દિવસોમાં તો દેશ-રાજ્ય કે ગામ-શહેરને લગતા મુદ્દાઓની જાહેર ચર્ચાઓ થતી હોય છે. ચૂંટાયેલા નેતાઓનાં કાર્યોનાં લેખાંજોખાં થાય છે. ચૂંટણીના દિવસોમાં સાચાં-ખોટાં વાયદા-વચનો પણ અપાતાં હોય છે. ખુદને વિઝનરી ગણાવવાની ઝંખના ધરાવતા નેતાઓ ગુલાબી સપનાંઓ પણ દેખાડતા હોય છે. પક્ષપલટાનાં ધાર્યાં-અણધાર્યાં દૃશ્યો પણ ભજવાતાં હોય છે. ખાટી-મીઠી વાતો થતી હોય છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો મારો પણ થતો હોય છે. દિવસે દિવસે નેતાઓની ભાષા અને લોકરંજન મુદ્દાઓની ભરમાર વધતી જાય છે, છતાં દરેક ચૂંટણીએ આપણા દેશની જનતાની સમજદારીનો જ પુરાવો આપ્યો છે, એ બાબત બહુ આશ્વસ્તકારક છે.

ચૂંટણીઓ દરમિયાન થતાં કીચડઉછાળ નિવેદનો લોકશાહીના પવિત્ર પર્વને દૂષિત કરતાં હોય છે. જોકે, ચૂંટણીમાં ચાલતી ગંદી રાજરમતો અને કાવાદાવા ભાગ્યે જ સામાન્ય નાગરિકોના ધ્યાનમાં આવતાં હોય છે. મોટા રાજકીય પક્ષો અને વગદાર ઉમેદવારો વિજય માટે પ્રયાસ કરવાની સાથે સાથે હરીફ ઉમેદવારને ગમે તેમ કરીને હરાવવા માટે અપક્ષ ઉમેદવારોને હાથા બનાવતા હોય છે. ચૂંટણીમાં આજકાલ બૂથ સ્તરે માઇક્રો મેનેજમેન્ટની બોલબાલા છે. માઇક્રો મેનેજમેન્ટમાં માત્ર એક એક મતદારને મનાવવા કે પોતાના તરફ વાળવાના પ્રયાસો ઓછા, પરંતુ વિરોધી ઉમેદવારના સંભવિત મતોને કોઈ પણ રીતે કાપવાના પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રયાસોમાં હાથા બને છે - અપક્ષ ઉમેદવારો અને નાના-પરચૂરણ પક્ષો. ઉત્તર પ્રદેશની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં નેતાઓ અને પક્ષોની હારજીતમાં પરચૂરણ પક્ષોની શું ભૂમિકા હતી, એની ભાગ્યે જ ચર્ચા થતી હોય છે.

ચૂંટણી પરિણામો પહેલાં જ ઇન્ડિયાસ્પેન્ડ.કોમ નામની વેબસાઇટ પર એક વિશ્લેષણાત્મક અહેવાલ પ્રકાશિત થયો હતો. જેમાં નોંધાયેલા નાના રાજકીય પક્ષોની કરમકુંડળીની ઉદાહરણ સહિત ચર્ચા કરવામાં આવી હતી. એ બધી ચર્ચામાં ન પડીએ તોપણ કેટલાક આંકડા જાણવા રસપ્રદ છે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી વિશાળ રાજ્ય છે. આ રાજ્યમાં 404 બેઠકો માટે વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની બેઠકો કરતાં પણ વધારે 474 નોંધાયેલા નાના રાજકીય પક્ષો કાર્યરત છે! સમગ્ર દેશમાં ચલાવાતા નાના પક્ષોમાંથી ચોથા ભાગના પક્ષો એકલા ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશમાં એક પછી એક ચૂંટણીમાં નાના પક્ષોની સંખ્યામાં સતત વધારો નોંધાતો ગયો છે. ઉત્તર પ્રદેશમાં 2002ના વર્ષમાં નાના પક્ષોની સંખ્યા માત્ર 75 હતી, જ્યારે 2012માં 204 પક્ષો ચૂંટણી મેદાનમાં કૂદી પડ્યા હતા અને આ વખતની ચૂંટણીમાં અધધ 474 નાના પક્ષોએ વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવ્યું હતું! 

ચૂંટણીની સિઝનમાં ફૂટી નીકળતા નાના પક્ષોના મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ જાય એવી ખરાબ રીતે હારતા હોય છે, છતાં નાના પક્ષોની સંખ્યા વધતી જ જાય છે અને તેમને ઉમેદવારોની અછત પણ નડતી નથી! આની પાછળનું મુખ્ય કારણ એ છે કે તેઓને ચૂંટણી જીતવા કે હારવા માટે નહીં, પણ કોઈને હરાવવા-જિતાડવા માટે જ લડાવાતી હોય છે. ચૂંટણી લડવા માટે તેમને પોતાના અચ્છે દિન આવી જાય, એટલાં નાણાં પણ અપાતાં હોય છે. આમ, હારીને પણ કમાનારા આવા બાજીગર નેતાઓ ચૂંટણીની સિઝનમાં ધીકતી કમાણી કરી લેતા હોય છે.

ચૂંટણીપંચના ચોપડે નોંધાયેલા નાના પક્ષો ભાગ્યે જ કોઈ ચૂંટણી જીતી શકતા હોય છે, છતાં તેમનું અસ્તિત્વ ટકી રહે છે અને તેમની સંખ્યા વધતી જ જાય છે, તેનું એક કારણ નોંધાયેલા રાજકીય પક્ષોને મળતી વેરામાફી પણ ગણાવાય છે. ઇન્કમ ટેક્સ એક્ટ - 1961 અનુસાર રાજકીય પક્ષને દાન કરનારને કરવેરામાંથી માફી મળે છે. વળી, રાજકીય પક્ષે પણ કોઈ વેરો ચૂકવવો પડતો નથી. હવે મર્યાદા ઘટાડાઈ છે, છતાં 2000થી ઓછું દાન કરનારાઓનાં નામ-ઠામ-સ્રોત જાહેર કરવા પડતાં નથી. મોટા મોટા રાજકીય પક્ષો પણ પોતાનો હિસાબ ચોખ્ખો રાખતા નથી ત્યારે નાના પક્ષોને તો કોણ પૂછે, એટલે નાના રાજકીય પક્ષો ધીકતા ધંધાનું માધ્યમ બની જતા હોય છે. જોકે, બધા નાના પક્ષો કે અપક્ષ ઉમેદવારો પર આવો આક્ષેપ ન કરી શકાય, છતાં સ્થિતિ એવી છે કે સ્વચ્છ પક્ષો અને સેવાધર્મી ઉમેદવારો હવે અપવાદરૂપ જ જોવા મળે છે.

ઑગસ્ટ-2015માં ચૂંટણીપંચના આંકડા અનુસાર નોંધાયેલા નાના પક્ષોની સંખ્યા 1866 હતી. ડિસેમ્બર-2016માં ચૂંટણીપંચે વર્ષ 2005 પછી માત્ર કાગળ પર ચાલી રહેલા અને એકેય સ્તરની ચૂંટણી નહીં લડનારા 255 પક્ષોને નોંધાયેલા રાજકીય પક્ષોની યાદીમાંથી રદ કર્યા હતા, એટલું જ નહીં તેમની પંચે તેમની તપાસ હાથ ધરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસને તાકીદ પણ કરી હતી. આમ છતાં દેશમાં હાલ 1786 નાના પક્ષો અસ્તિત્વ ધરાવે છે.

બ્રિટિશ અર્થશાસ્ત્રી ઈ.એફ. શુમાકરનું સૂત્ર ‘સ્મોલ ઇઝ બ્યૂટીફૂલ’ રાજકીય પક્ષોની બાબતમાં સાચું પડતું નથી અને તેઓ લોકશાહીની બ્યૂટીને હાનિ પહોંચાડતા હોય છે. ગુજરાતમાં પણ ચૂંટણીઓ આવી રહી છે... હારીને કમાનારા બાજીગરોથી ચેતજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 15 માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, March 1, 2017

નફરતનું વિનાશક રાજકારણ

દિવ્યેશ વ્યાસ


અમેરિકામાં ઠાર કરાયેલા ભારતીય ઇજનેર શ્રીનિવાસનનું ઉદાહરણ નફરતના રાજકારણ વિરુદ્ધ લાલ બત્તી સમાન છે

(મૂળ એસોશિયેટ પ્રેસ(AP)ની આ તસવીર ‘ડેઇલી મેલ’ની વેબસાઇટ પરથી લેવામાં આવી છે)

ગયા સપ્તાહમાં અમેરિકામાં એક આઘાતજનક જ નહીં, બલકે શરમજનક ઘટના ઘટી હતી. કેન્સાસના ઓલેથ શહેરના એક બારમાં એડમ પુરિંટન નામના માથાફરેલ માણસે શ્રીનિવાસન કુચીભોતલા અને આલોક મદસાની નામના બે ભારતીયોને ‘મારા દેશમાંથી ચાલ્યા જાવ...’ એવું દાદાગીરીભર્યું વાક્ય ઉચ્ચારીને પછી ગાળો ભાંડી હતી. બારવાળાઓએ એડમને કાઢી મૂક્યો, પરંતુ થોડી વારમાં તે ભરી બંદૂકે બારમાં પાછો ફર્યો અને ભારતીયો પર ધડાધડ ગોળીઓ ચલાવવા માંડ્યો, જેમાં શ્રીનિવાસનનું મોત નીપજ્યું અને આલોક માંડ માંડ બચી ગયો.

અમેરિકન નેવીમાં કામ કરી ચૂકેલા 51 વર્ષના હુમલાખોર એડમ પુરિંટનના દિમાગમાં કેટલું ઝેર હશે, એનો અંદાજ એ વાત પરથી આવે છે કે ઘાતક હુમલો કર્યા પછી તેણે એક બીજા બારમાં જઈને બહુ ગર્વભેર કહ્યું હતું કે ‘હું મધ્ય પૂર્વના બે મુસ્લિમોને ઠાર મારીને આવ્યો છું. મને પોલીસથી બચાવો અને ક્યાંક સંતાવાની વ્યવસ્થા કરી આપો.’ અલબત્ત, પેલા બારના સંચાલકો અને હાજર લોકોએ તેને પોલીસના હવાલે કરી દેવાનું જ મુનાસિબ માન્યું. એડમ પર હત્યા અને હત્યાની કોશિશની કલમો લગાડીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, આ લેખ લખાતો હતો ત્યાં સુધી તેના પર વંશીય હુમલાની કલમ લગાવવામાં નહોતી આવી.

એડમને હત્યાના કેસમાં સજા તો ચોક્કસ મળશે જ, પરંતુ ચિંતા એડમના દિમાગમાં રહેલા ઝેરની છે, કારણ કે અમેરિકામાં આવાં ઝેરભરેલાં દિમાગો દિવસે દિવસે વધતાં જ ગયાં છે. એમાંય ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી તો જાણે આવી નફરતને માન્યતા મળી ગઈ હોય એવો માહોલ સર્જાયો છે. સદ્્ગત શ્રીનિવાસનના પિતરાઈ ભાઈ વેણુ માધવે શ્રીનિવાસન પરના હુમલાને હેટ ક્રાઇમ એટેક ગણાવ્યો હતો અને શબ્દ ચોર્યા વિના જણાવ્યું હતું કે હું અમેરિકામાં કામ કરું છું એટલે જાણું છું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી વંશીય હુમલાઓ વધી ગયા છે. પહેલાં આવું નહોતું થતું.

શ્રીનિવાસનનાં પત્ની સુનયના દુમાલાએ એક પત્રકાર પરિષદમાં સત્તાધીશોને સીધો સવાલ કર્યો હતો કે, ‘મારે આ સરકાર પાસેથી એક જ જવાબ જોઈએ છે કે તે નફરતના આધારે થયેલી આ હિંસા રોકવા માટે શું કરી રહી છે?’ સરકારનું કામ નફરત કે નકારાત્મકતા વિરુદ્ધ દેશના નાગરિકોને કોઈ પણ ભેદભાવ વિના રક્ષણ આપવાનું હોય છે, પરંતુ સત્તાસ્થાને જ્યારે ભેદભાવયુક્ત માનસિકતા ધરાવનારનો કબજો હોય ત્યારે મામલો ‘ભેંસ આગળ ભાગવત’નો બની રહેતો હોય છે.

અમેરિકી મીડિયા અને સોશિયલ મીડિયા ખુલ્લેઆમ લખી રહ્યાં છે કે ટ્રમ્પે ઇમિગ્રન્ટ્સની વિરુદ્ધમાં આપેલાં તેજાબી ભાષણોની અસરને કારણે જ આવી ઘટના સર્જાઈ છે. જોકે, ટ્રમ્પનું શાસનતંત્ર આ દલીલને હાસ્યાસ્પદ ગણાવીને અવગણી રહ્યું છે. ટ્રમ્પનાં ચૂંટણી ભાષણોથી લઈને તેમના શાસનના પ્રારંભિક દિવસોની કાર્યવાહીમાં, બહારથી આવીને અમેરિકામાં વસેલા લોકો માટે દ્વેષભાવ ચોખ્ખો વર્તાય છે. ઇમિગ્રન્ટ્સ જાણે અમેરિકાની તમામ સમસ્યાઓ માટે જવાબદાર હોય એવી હવા ફેલાવવામાં આવી રહી છે. અમેરિકાના મૂળ નિવાસી એવા રેડ ઇન્ડિયન્સનો કોઈ અત્તોપત્તો નથી, પણ યુરોપના દેશોમાંથી અહીં વસેલા ગોરા લોકોએ અમેરિકાને જાણે ‘બાપિકી જાગીર’ માની લીધી છે અને એશિયા-આફ્રિકાના દેશોમાંથી આવેલા લોકો પ્રત્યે તુચ્છભાવ ધરાવે છે. એમાંય 9/11 પછી દરેક મુસ્લિમમાં તેઓ ટેટરિસ્ટનાં જ દર્શન કરી રહ્યા છે, એ અત્યંત ગંભીર બાબત છે. બહુમતીવાદી-શ્વેતવાદી માહોલ અમેરિકા જેવા મહાન લોકશાહી દેશને બિલકુલ શોભતો નથી, પણ નફરતના રાજકારણ પર મદાર રાખતા વર્તમાન શાસકોને એની કોઈ પરવા નથી.

નફરતનું રાજકારણ હિંસક હુમલાઓ અને અશાંત માહોલ સર્જવા સિવાય ખાસ કશું ઉકાળી શકતું નથી. નફરતનું રાજકારણ જુસ્સો-ઝનૂન જરૂર જગાવી શકે, પણ તેનાં પરિણામ નકારાત્મક જ નીવડતાં હોય છે. નફરતનું રાજકારણ કરનારા કદી પોતાના રાષ્ટ્રનો વિકાસ કરી શકે નહીં. નફરતનું રાજકારણ ક્યારેય કોઈ દેશને મહાન બનાવી શકે નહીં. નફરતના રાજકારણને કારણે બદબાદ થતા દેશનું ઉદાહરણ આપણે પાકિસ્તાન સ્વરૂપે જોયું જ છે. અમેરિકામાં ઠાર કરાયેલા ભારતીય ઇજનેર શ્રીનિવાસનનું ઉદાહરણ નફરતના રાજકારણ વિરુદ્ધ લાલ બત્તી સમાન છે. દેશનો વિકાસ ઇચ્છતા રાજનેતાઓએ લોકો વચ્ચે એકતા-સંપ અને ભાઈચારો વિકસે એ માટે મથવું જોઈએ, જો તેઓ નફરત ફેલાવવાની ચાનક ન છોડે તો દેશનું નામ તો ન થાય, બલકે નાક જરૂર કપાય!

(‘દિવ્ય ભાસ્કર’ની 1 માર્ચ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ની મૂળ પ્રત)

Wednesday, February 22, 2017

લોકહૃદયના બેતાજ બાદશાહ ઇન્દુલાલ યાજ્ઞિક

દિવ્યેશ વ્યાસ

ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે.


(ઇન્દુચાચાની આ તસવીર વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝા દ્વારા સંપાદિત પુસ્તક ‘ગુજરતાની અસ્મિતાના સ્વપ્નદૃષ્ટા ઇન્દુલાલ યાજ્ઞિક’ના આવરણ પરથી કાપીને લીધી છે.)

આંદોલનપુરુષ, ઇન્દુલાલ યાજ્ઞિક માટે વપરાયેલું વિશેષણ તેમના વ્યક્તિત્વને સૌથી વધારે બંધબેસતું છે. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આંદોલન-ધરણાંવાળા વગેરે શાસનવાળાનો જંગ જામ્યો હતો ત્યારે ઇન્દુચાચાનું સ્મરણ તીવ્ર બન્યું હતું, જેમણે આજીવન આંદોલન કર્યાં, કામદારો અને કિસાનો માટે અહિંસક લડતો લડયા, સ્થાપિત હિતો સામે જરૂર પડયે 'મુક્કો' બતાવ્યો અને સાથે સાથે ચૂંટણી જંગ પણ જીતી બતાવ્યા હતા. જો કે, ફકીરી પ્રકૃતિના ફાંકડા રાજનેતાને ક્યારે ય કોઈ પદ આર્કિષત કરી શક્યું નહોતું. મહાગુજરાત આંદોલનના અગ્રણી તરીકે તેમણે ધાર્યું હોત તો ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચતાં તેમને કદાચ કોઈ રોકી શક્યું ન હોત, પણ તેમને કોઈ પદમાં નહીં, માત્ર પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે. આજે ૨૨મી ફેબ્રુઆરીના રોજ ઇન્દુચાચાનો જન્મ દિવસ છે ત્યારે તેમની વંદના કરવાનું કેમ ચુકાય?

તસવીર : સૃષ્ટિ શુકલ
આજે (22 ફેબ્રુઆરી, 2015ના રોજ) અમદાવાદમાં સાબરમતીથી કલોલ જતા હાઇવે અને મોટેરા સ્ટેડિયમ જતા રસ્તાના ક્રોસિંગ પર ઇન્દુચાચાની નવ ફૂટની કાંસ્ય પ્રતિમા સાથેના સ્મારકના લોકાર્પણનો કાર્યક્રમ યોજાવાનો છે. ઇન્દુચાચાને મોટા ભાગના લોકો મહાગુજરાત આંદોલનના નાયક તરીકે ઓળખે છે, આ ઓળખાણ સાચી છે, પણ આખી નથી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં તેમનો ફાળો અનન્ય હતો એ કબૂલ, પરંતુ એ તો એમના જીવનકાર્યનો એક યશસ્વી અધ્યાય માત્ર હતો. આઝાદી આંદોલનમાં તેમનું યોગદાન નાનુસૂનું નહોતું. દેશને આઝાદી મળ્યા પછી સ્વરાજનું અમૃત ગરીબ-વંચિત-પછાત વર્ગના લોકો સુધી પહોંચાડવામાં તેમણે લીધેલી જહેમત યાદગાર છે. આઝાદ ભારતમાં ખેડૂતો અને આદિવાસીઓના કલ્યાણ માટે તેમણે સ્થાપિત હિતો સામે શિંગડાં ભરાવ્યાં હતાં. ગુજરાતના જ નહિ સમગ્ર દેશના ઇતિહાસમાં ઇન્દુચાચા એવું નામ છે, જેમને યાદ કર્યા વિના ચાલે જ નહીં, છતાં ઇન્દુચાચાની દેશમાં તો જવા દો ગુજરાતમાં પણ જોઈએ એવી કદર થઈ નથી, એ પીડાદાયક વાસ્તવિકતા છે.

આઝાદી આંદોલન વખતે ગાંધીજી સાથે ઇન્દુચાચાને આત્મીય સંબંધો હતા. સૌ જાણે છે કે ગાંધીજીનું 'નવજીવન' સાપ્તાહિક મૂળે તો ઇન્દુલાલ યાજ્ઞિકનું 'નવજીવન અને સત્ય' નામનું માસિક હતું, પણ ગાંધીજીની આત્મકથા જેટલું જ મહાન અને મહત્ત્વપૂર્ણ પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ'ના ગણેશજી એટલે કે લહિયા ઇન્દુચાચા હતા, એ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. ગાંધીજી અને ઇન્દુચાચા યરવડા જેલમાં અમુક મહિનાઓ સુધી સાથે હતા ત્યારે ઇન્દુચાચાએ જ ગાંધીજીએ અધૂરા લખેલા આ પુસ્તકને પૂરું કરવાનો આગ્રહ કર્યો હતો અને ગાંધીજી બોલે એને લખી લેવાની જવાબદારી તેમણે સામેથી જ ઉપાડી લીધી હતી. દેશના વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓનો બહિષ્કાર કરવાનું આહ્વાન આપવાના કાર્યક્રમની ચર્ચા ચાલતી હતી ત્યારે ઇન્દુચાચા જ હતા, જેમણે વિદ્યાર્થી સમક્ષ કોઈ વિકલ્પ આપવાની, શૈક્ષણિક કાર્યક્રમ મૂકવાનો આગ્રહ સેવ્યો હતો અને તેને પરિણામે જ રાષ્ટ્રીય શાળા સ્થાપવાનો વિચાર વિકસ્યો હતો. એ જ રીતે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં પણ તેમનું પાયાનું યોગદાન હતું. 'જનતા કરફ્યૂ' જેવું અહિંસક સાધન તેમની જ દેન છે.

ગાંધીજી પ્રત્યે ભારોભાર સન્માન હોવા છતાં ઇન્દુચાચા દેશના પહેલા એવા રાજનેતા છે, જેમણે ગેર-કોંગ્રેસવાદની હાકલ કરી હતી અને એ પણ ગાંધી અને સરદારની કોંગ્રેસ સામે ! ઇન્દુચાચા એક માત્ર એવા અપક્ષ ઉમેદવાર છે, જેમણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતી છે. ઇન્દુચાચાનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે તેઓ કોઈ પક્ષ, સંસ્થા કે સંગઠનમાં સમાઈ ન શકે.

ગાંધીજીની ઇચ્છા છતાં તેઓ કોંગ્રેસનું વિસર્જન કરાવી શક્યા નહોતા, જ્યારે અહિંસક લોકલડતથી અલગ ગુજરાત રાજ્ય હાંસલ કર્યા પછી તેમણે વિજયના દિવસે જ મળેલી વિરાટ સભામાં જાહેર કર્યું હતું, આપણામાંથી કોઈએ પ્રધાન બનવાનું નથી. આપણું ધ્યેય પ્રધાનપદ નહિ પણ મહાગુજરાત હતું, તે મળી ગયું છે અને મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે ... તેઓ પદલાલચુ નેતા નહીં પ્રજાના નેતા પુરવાર થયા હતા.

વિટાર વ્યક્તિત્વના સ્વામી ઇન્દુચાચાને જાણવા હોય તો તેમની છ ખંડોમાં વિસ્તરેલી આત્મકથા જરૂર વાંચવી જોઈએ. ગુજરાતની અસ્મિતાની ખરી લડત લડનારા ઇન્દુચાચા જેવા લોકનાયકનો લોકો આજે ય ઇન્તેજાર કરી રહ્યા છે. લીલાવતી કનૈયાલાલ મુનશીએ ઇન્દુચાચા માટે કહેલી વાત સાથે લેખ પૂર્ણ કરીએ : "ઇન્દુલાલ એટલે ટ્રેનની ઝડપ, ઇન્દુલાલ એટલે બાળકનાં તોફાન, ઇન્દુલાલ એટલે લશ્કરી સિપાઈ. ઇન્દુલાલમાં ઋષિમુનિનો સંયમ નથી પણ યૌદ્ધાઓનો નિગ્રહ છે. એમના બળવાન દેહમાં બાળકનો આત્મા વસે છે ... એ પણ અનંતના આંગણે રમતું બાળક જ છે. દેશકાર્યનું અસિધારાવ્રત એમણે લીધું છે. હનુમાન માફક એમના હૃદયમાં ઊંડા ભાગમાં 'દેશ' શબ્દ કોતરેલો હશે."

(‘સંદેશ’ની 22 ફેબ્રુઆરી, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, February 8, 2017

મણિપુરમાં ઇરોમની ‘વ્હીસલ’

દિવ્યેશ વ્યાસ


ઇરોમ શર્મિલાએ હવે મણિપુરના ચૂંટણી શમરાંગણમાં ઝુકાવ્યું છે. ઇરોમની ‘અનઅપેક્ષિત’ સફળતા સમગ્ર દેશને ફળી શકે છે

 (તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

‘ચૂંટણીનું નામ પડતાં હંમેશાં મને ઝણઝણાટી અનુભવાય છે. મારે ઈશ્વરને કહેવું છે કે તું ઇચ્છે એ થવા દે. હું કંઈ જાણતી નથી. હું કંઈ છું નહીં. ચૂંટણી લડવા માટે મારે કંઈ ખાસ કરવાનું નથી, મારે તો માત્ર લોકોનાં દિલ જીતવાના છે.’ આ શબ્દો છે ‘આયર્ન લેડી ઑફ મણિપુર’ના નામે સુવિખ્યાત ઇરોમ ચાનુ શર્મિલાના. ઇરોમે અત્યારે મણિપુર વિધાનસભાની ચૂંટણીઓમાં ઝુકાવ્યું છે. આમરણ ઉપવાસ આંદોલનનો માર્ગ છોડીને હવે રાજકીય પ્રભાવ ઊભો કરીને તેઓ આફસ્પા (આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ) હટાવવા માટે કટિબદ્ધ છે.

પાંચ રાજ્યોની ચૂંટણીઓમાંથી ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગોવાની તો ક્યારેક વધીને ઉત્તરાખંડની ચર્ચા થાય છે, પરંતુ ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુરની ચૂંટણીઓની ચર્ચા બહુ ઓછી થઈ રહી છે. આમ જોવા જઈએ તો બાકીનાં ચાર રાજ્યોમાં પરંપરાગત રાજકીય આકાઓ અને આખલાઓ જ જલ્લીકુટ્ટી જલ્લીકુટ્ટી રમી રહ્યા છે, જ્યારે મણિપુરમાં ઇરોમ શર્મિલાને કારણે ભારતીય રાજકારણમાં નવો અધ્યાય રચાઈ રહ્યો છે. અલબત્ત, ઇરોમ શર્મિલાને રાતોરાત કોઈ મોટી રાજકીય સફળતા મળવાની સંભાવના ઓછી વર્તાય છે, છતાં ઇરોમના સંઘર્ષ અને મણિપુરના લોકોની આફસ્પા વિરુદ્ધની લડાઈને અવગણી શકાય એમ નથી.

ઇરોમ શર્મિલાએ ગત 9મી ઑગસ્ટ, 2016ના રોજ 16 વર્ષે પોતાનું આમરણ ઉપવાસ આંદોલન સમેટ્યું ત્યારે તેમના ઘણા સમર્થકો નારાજ થયા હતા. કેટલાકને એવું લાગ્યું હતું કે ઇરોમનું ધ્યાન લક્ષ્ય પરથી હટી ગયું છે. તેઓ આ લડતને મઝધારે છોડી દેવા માગે છે. જોકે, ઇરોમે થોડા દિવસ પછી સ્પષ્ટતા કરેલી કે તેઓ હવે રાજકીય રીતે સક્ષમ બનીને આફસ્પા હટાવવા માટે મથશે. તેમણે રાજકીય પક્ષ સ્થાપીને વિધાનસભા ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર કરેલો. ઇરોમ શર્મિલાએ 18મી ઑક્ટોબર, 2016ના રોજ પોતાના નવા પક્ષની રચના કરી. પક્ષનું નામ રાખ્યું - પીપલ્સ રિસર્જન્સ એન્ડ જસ્ટિસ અલાયન્સ (PRaJA-પ્રજા), જેનું ગુજરાતી કરી શકાય, લોકોનું નવજાગરણ અને ન્યાય ગઠબંધન. આ પક્ષના પાયામાં મુખ્ય ચાર સિદ્ધાંતો રખાયા છે - ન્યાય, પ્રેમ, સમજ અને શાંતિ. આ પક્ષ આફસ્પા, ભ્રષ્ટાચાર, વિભાજક રાજકારણ અને બેરોજગારીના મુદ્દે ચૂંટણી લડી રહ્યો છે.

ઇરોમનો પક્ષ મણિપુરમાં કેવી રાજકીય સફળતા હાંસલ કરે છે, એ તો ટૂંક સમયમાં ખબર પડી જશે, પરંતુ આ પક્ષે પહેલા જ ધડાકે મણિપુરના રાજકીય ઇતિહાસમાં બે નવા વાના જરૂર ઉમેર્યા છે: એક, તે રાજ્યનો પહેલો ક્રાઉડ-ફન્ડેડ રાજકીય પક્ષ બન્યો છે. અને બે, આ પક્ષે એક મુસ્લિમ મહિલાને ટિકિટ આપી છે. મણિપુરની વિધાનસભા ચૂંટણીઓના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મુસ્લિમ મહિલા આ સ્તરની ચૂંટણી લડવાનાં છે.

આંદોલન છોડીને રાજકારણમાં ઝંપલાવવાની બાબતે ઇરોમ શર્મિલા અરવિંદ કેજરીવાલના રસ્તે ચાલ્યા છે. ઇરોમ કેજરીવાલ જેટલા લાઉડ નથી, છતાં તેમણે સળંગ ત્રણ વખત ચૂંટણી જીતેલા વર્તમાન મુખ્યમંત્રી ઓકરામ ઇબોબીસિંહની વિરુદ્ધ જ થોબલ મતક્ષેત્ર પરથી ચૂંટણી લડવાનું સાહસ દાખવ્યું છે. ઇરોમ થોબલ ઉપરાંત ખુરાઈ બેઠક પરથી પણ ચૂંટણી લડવાનાં છે. ઇરોમનો પક્ષ રાજ્યની કુલ 60 બેઠકોમાંથી માત્ર 20 બેઠકો પર જ ચૂંટણી લડી રહ્યો છે. કદાચ આ નવા પક્ષ પાસે પર્યાપ્ત નાણાં-સંસાધનો તથા અનુભવ ન હોવાને કારણે પણ ચર્ચામાં નથી, પરંતુ તેનો ઉદ્દેશ અને સાહસ ચોક્કસ સલામ અને શાબાશીને પાત્ર છે.

વર્ષ 2005માં નોબેલ માટે નામાંકન મેળવનારાં ઇરોમ શર્મિલાના પ્રજા પક્ષે ચૂંટણીપંચ પાસે પક્ષના પ્રતીક તરીકે વ્હીસલ (સિસોટી)ની માગણી કરેલી. ઇરોમ જેવા જ વ્હીસલ બ્લોઅરની દેશના રાજકારણને તાતી જરૂર છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 8મી ફેબ્રુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Tuesday, October 11, 2016

જયપ્રકાશ નારાયણ : કાલીઘેલી વાતોના નહિ, પણ ક્રાંતિના લોકનાયક

દિવ્યેશ વ્યાસ


યુવાનીમાં આઝાદી આંદોલનમાં ઝુકાવનારા અને જીવનના ઉત્તરાર્ધમાં દેશની અવળે માર્ગે ચડી જઈને તાનાશાહીમાં ફેરવાતી લોકશાહીને ટકાવનારા નેતા તરીકે જયપ્રકાશ નારાયણ ખરા અર્થમાં 'ભારત રત્ન' હતા



બિહાર વિધાનસભાની ચૂંટણીની ચર્ચા સમગ્ર દેશમાં ચાલી રહી છે. બિહારની ચૂંટણીમાં વારંવાર લેવાતું એક નામ છે - જયપ્રકાશ નારાયણ, ટૂંકમાં જેપી. એક તરફના નેતાઓ ખુદને જેપીના શિષ્યો ગણાવી રહ્યા છે તો બીજી તરફનાં લોકો પણ જયપ્રકાશનું સપનું સાકાર કરવાનો દાવો કરી રહ્યા છે. અલબત્ત, ખુદને જેપીના શિષ્યો ગણાવનારા હોય કે જેપી માટે ભારોભાર માન હોવાનો દાવો કરનારા હોય, તમામને જેપીનાં નામે 'સારા' દેખાઈને મતો મેળવવા છે, બાકી લોકનાયક જયપ્રકાશ નારાયણે કલ્પેલી સંપૂર્ણ ક્રાંતિ અંગેની સમર્પણભરી સમજ કે પછી સંપૂર્ણ ક્રાંતિ માટે જરૂરી સંઘર્ષ આદરવાનું સાહસ ભાગ્યે જ કોઈનામાં શોધ્યું જડે એમ છે.

યુવાનીમાં આઝાદી આંદોલનમાં ઝુકાવનારા અને જીવનના ઉત્તરાર્ધમાં દેશની અવળે માર્ગે ચડી જઈને તાનાશાહીમાં ફેરવાતી લોકશાહીને ટકાવનારા નેતા તરીકે જયપ્રકાશ નારાયણ ખરા અર્થમાં 'ભારત રત્ન' હતા. ૧૯૭૦ના દાયકામાં દેશભરમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી અને રાજકીય અંધાધૂંધી પ્રવર્તતી હતી એવા માહોલમાં દેશના યુવાનો અકળાઈ ઊઠયા હતા. યુવાનોની અકળામણ અને આક્રોશની એ આગને યોગ્ય દિશા દઈને દેશહિતમાં વાળનારા જયપ્રકાશ જેવા નેતાની ખોટ આજે 'આંદોલનમય' ગુજરાતને પણ સાલી રહી છે ત્યારે ચાલો, આજે ૧૧મી ઓક્ટોબરે જયપ્રકાશ નારાયણના જન્મદિવસ નિમિત્તે તેમનાં વ્યક્તિગત કદ અને કાર્યક્ષેત્રની વિશાળતાની ઝલક મેળવવા સાથે તેમના ક્રાંતિકારી વિચારો વાગોળીએ ...


આજીવન રાજકીય ક્ષેત્રે સક્રિય અને લોકપ્રિય છતાં સત્તાનો મોહ તેમને ભાગ્યે જ ચળાવી શક્યો હતો. જયપ્રકાશના ક્રાંતિકારી જીવે તેમને ક્યારે ય સત્તાકારી બનવા જ ન દીધા. બાકી ભારતને હજુ આઝાદી નહોતી મળી ત્યારે જ તેઓ પોતાનાં વિચારો અને કાર્યોથી આંતરરાષ્ટ્રીય સ્તરે  ખ્યાતિ ધરાવતા હતા. ૧૯૪૨ના આંદોલન વખતે તેઓ 'યુવાહૃદય સમ્રાટ'નું બિરૂદ પામેલા. એક જમાનામાં જવાહરલાલ પછી ભારતના વડા પ્રધાન તરીકે તેમની જ યોગ્યતાનાં ગુણગાન ચારેકોર ગવાતાં હતાં. જેપી થોડીક 'વ્યાવહારિકતા' દાખવીને કોંગ્રેસમાં જ રહ્યા હોત તો વડા પ્રધાનપદ માટે તેમણે કોઈ ખાસ પ્રયાસો કરવાની જરૂર પડી ન હોત પણ તેમની દૃષ્ટિ ક્યારે ય ખુરશી-સત્તા તરફ રહી જ નહીં, દેશના આમ આદમીની ભલાઈ પર રહી અને તેઓ સામાન્ય જનતાની સેવા માટે અવિરત કાર્યરત રહ્યા. જેપી ક્રાંતિદૃષ્ટા હતા. જેપી ઝુઝારુ લડવૈયા ખરા પણ એ ઉપરાંત તેમનામાં બાહોશ સેનાપતિના ગુણો અને ચતુર મંત્રી તથા શાણા રાજા પેઠે દેશનું લાંબા ગાળાનું ભલું વિચારવાની કુનેહ પણ હતી અને એને કારણે જ તેઓ કાલીઘેલી ને ઠાલી વાતો નહિ ક્રાંતિના 'લોકનાયક' પુરવાર થયા હતા.

સ્વાતંત્રોત્તર ભારતમાં આંદોલનોનો ઇતિહાસ લખાશે ત્યારે જેપીનું સંપૂર્ણ ક્રાંતિનું આંદોલન સુવર્ણ અક્ષરે લખાશે. જેપીએ આદરેલું દરેક આંદોલન વિશાળ પટે ફેલાયેલું રહેતું, તે કદી એકાંગી જોવા ન મળે. જયપ્રકાશ નારાયણે જ્યારે બિહાર સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ચાલી રહેલા આંદોલનનું સુકાન સંભાળ્યું ત્યારે તેમણે માત્ર નેતાઓ અને સરકારી અધિકારીઓ જ ભ્રષ્ટ છે, એ દૃષ્ટિએ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને દરેક સ્તરેથી તેને દૂર કરવો જરૂરી છે, એવી દીર્ઘદૃષ્ટિ સાથે આંદોલન આગળ વધારેલું. બિહાર આંદોલન સંદર્ભે ગુજરાતે ગર્વ લેવા જેવી વાત એ છે કે ગુજરાતના યુવાનોએ મોંઘવારી અને ભ્રષ્ટાચાર બાબતે ચીમનભાઈ પટેલની સરકાર વિરુદ્ધ ચલાવેલા નવનિર્માણ આંદોલ થકી જેપીને આશા અને દિશા સાંપડેલી. નવનિર્માણ આંદોલનથી સફળતા બાદ દેશના યુવાનોમાં ચેતના વ્યાપી ગયેલી. ૧૯૭૪ના પ્રારંભમાં બિહારમાં પણ કોંગ્રેસી સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ પોતાની મેળે આંદોલન શરૂ કરેલું, જેની કુલ ૧૨ માગણીઓ હતી. આઠ માગણીઓ શિક્ષણ અને વિદ્યાર્થીઓને સંબંધિત હતી જ્યારે બાકીની ચાર માગણીઓ રાષ્ટ્રજીવન સંબંધિત હતી, જેમાં ભ્રષ્ટાચાર દૂર કરો, મોંઘવારી દૂર કરો, બેકારી દૂર કરો અને શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાની માગણી સામેલ હતી. બિહાર સરકારે વિદ્યાર્થી આંદોલનને લક્ષ્યમાં લીધું નહોતું અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર કાળો કેર વર્તાવ્યો હતો. લાઠીચાર્જ તો ઠીક ગોળીબારો પણ કરાયા હતા. જેપીની તબિયત સાથ નહોતી આપતી છતાં તેમણે વિદ્યાર્થીઓની વિનંતીઓ અને સરકારનાં અમાનુષી વલણ-વર્તન જોઈને આંદોલનનો દોર પોતાના હાથમાં સંભાળ્યો હતો.

તેમણે આંદોલન પૂર્ણપણે અહિંસક રાખવા માટે લોકો-યુવાનોનું ઘડતર શરૂ કરેલું. તેમણે પટનામાં મૌન સરઘસ યોજ્યું અને જાહેરસભામાં જે વાત કરેલી એ યાદ રાખવા જેવી છે, "આ શાંતિમય આંદોલનનો પ્રારંભ છે, હવે પછી આપણે સત્યાગ્રહની ભૂમિકામાં કામ કરવાનું છે. એક સરકાર જશે અને બીજી સરકાર આવશે તેટલા માત્રથી આપણું કામ સરવાનું નથી, એ તો ભૂત જશે અને પલીત જાગશે! માટે આપણે સમાજના રોગોનાં મૂળમાં જવાનું છે. હું તમારી સામે કાર્યક્રમ રજૂ કરીશ, પરંતુ આ લાંબી યાત્રા છે. આ કાંઈ અમુક પ્રધાનમંડળને ઊથલાવવાનું કામ નથી." અહિંસક આંદોલનની નીંભર સરકાર પર કોઈ અસર જ નહોતી જોવા મળતી, ઊલટું સરકાર તો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આંદોલનને કચડવા અને જેપીને બદનામ કરવા પર ઊતરી આવી હતી, આખરે જેપીને વિધાનસભા વિસર્જનની માગણી કરવાનું ઉપયુક્ત લાગ્યું હતું.

પાંચ જૂન, ૧૯૭૪ના રોજ પટણામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું. રાજ્યભરમાં લાખો લોકોએ વિધાનસભાનાં વિસર્જનનાં આવેદનપત્રો પર સહીઓ કરી હતી. સહી કરેલાં આવેદનપત્રોની એક આખી ટ્રક ભરાયેલી જે રાજ્યપાલને સોંપવામાં આવેલી ત્યાર બાદ જનસભામાં જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિનું એલાન કર્યું હતું. તેમણે પોતાનાં ભાષણમાં કહેલું કે "હવે આ સંઘર્ષ માત્ર વિદ્યાર્થીઓના બાર મુદ્દા પૂરતો અને સરકારની બરતરફી અને વિધાનસભાનાં વિસર્જન પૂરતો જ મર્યાદિત રહેતો નથી, આ હવે સમગ્ર જનતાની સંપૂર્ણ ક્રાંતિ માટે લડત બને છે." જેપીનું બિહાર આંદોલનથી સરકાર ઊથલવા જેવું દેખીતું મોટું પરિવર્તન નહીં આવેલું, પરંતુ આ આંદોલને દેશની ચેતનાને જગાડી હતી. દેશનો યુવાન સરકારના અનાચાર-ભ્રષ્ટાચાર સામે જાગ્રત થઈ ગયો હતો, જેણે કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીની ઊંઘ પણ હરામ કરી હતી.

જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિને સપ્તક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં સમાજનાં સર્વ અંગોના ઝડપી પરિવર્તનની આહ્લેક હતી, જેપી માત્ર રાજકીય પરિવર્તન જ નહીં, પરંતુ મૂલ્યોનું, મનોવૃત્તિનું, સંબંધોનું, માળખાનું પરિવર્તન ઇચ્છતા હતા. જેપીએ કહેલું કે "સાત પ્રકારની ક્રાંતિઓ મળીને એક સંપૂર્ણ ક્રાંતિ બને છે - સામાજિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, રાજનૈતિક ક્રાંતિ, સાંસ્કૃિતક ક્રાંતિ, વૈચારિક અથવા બૌદ્ધિક ક્રાંતિ, શૈક્ષણિક ક્રાંતિ અને નૈતિક કે આધ્યાત્મિક ક્રાંતિ. આ ક્રાંતિ શબ્દમાં પરિવર્તન અને નવનિર્માણ બંને અભિપ્રેત છે." આમ, જેપી જડમૂળમાંથી પરિવર્તન આવે એવી ક્રાંતિમાં માનનારા હતા.

સંપૂર્ણ ક્રાંતિના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા હતા, તેવામાં ઇન્દિરા ગાંધીએ ૨૬ જૂન, ૧૯૭૫ના રોજ દેશ પર કટોકટી લાદી. જયપ્રકાશ જેવા મોટા મોટા તમામ નેતાઓને રાતોરાત જેલભેગા કરી દેવામાં આવેલા, જો કે જયપ્રકાશે જગાવેલી આંદોલનની જ્યોતિને પ્રતાપે ઇન્દિરાજીએ ઝૂકવું પડયું અને કટોકટી હટાવીને ચૂંટણીઓ જાહેર કરવી પડી, જેમાં ઇન્દિરા ગાંધી ખરાબ રીતે હારી ગયેલાં. દેશમાં મોરચા સરકાર આવેલી, જે આંતરિક ડખાઓને કારણે લાંબું ટકી શકેલી નહીં અને જેપીનું ભ્રષ્ટાચાર નાબૂદીનું સપનું રોળાઈ ગયેલું.

જેપીનું આ સપનું સાકાર કરવાની દાનત આજે કોનામાં દેખાય છે?

(‘સંદેશ’ની 11 ઑક્ટોબર, 2015ની ‘સંદેશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, May 25, 2016

સફેદ વાળનો વૈભવ

દિવ્યેશ વ્યાસ


કેરળના બે વયોવૃદ્ધ નેતાઓની સિદ્ધિઓ રાજકીય ક્ષેત્રમાં વયનિવૃત્તિ મામલે નવેસરથી વિચારવા પ્રેરે છે



(અચ્યુતાનંદન અને રાજગોપાલની તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

ગયા સપ્તાહમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીનાં પરિણામોએ અનેક રાજકીય મુદ્દાઓ પર ચર્ચાઓ છેડી છે, પરંતુ એક ઓછો ધ્યાને લેવાયેલો મુદ્દો છે - વયોવૃદ્ધ નેતાઓની સિદ્ધિઓ. ખાસ કરીને કેરળના બે નેતાઓએ ઉંમરની સાડાબારી રાખ્યા વિના જે સિદ્ધિ હાંસલ કરી છે, તે રાજકીય ક્ષેત્રમાં વયનિવૃત્તિ મામલે નવેસરથી વિચારવા મજબૂર કરે છે.

કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)ને સત્તા પર લાવવામાં જેમનો સિંહફાળો મનાય છે, એવા 93 વર્ષના નેતા વી.એસ. અચ્યુતાનંદન કદાચ મુખ્યમંત્રી પદ નહીં હાંસલ કરી શકે, છતાં કેરળમાં ડાબેરી મોરચાના વિજયનું શ્રેય તેમને જ જાય છે. નેવું વર્ષથી મોટી વયના લોકો માંડ ચાલી શકતા હોય છે ત્યારે અચ્યુતાનંદન પોતાના પક્ષને સફળતા તરફ તેજ ગતિએ દોડાવવામાં સફળ રહ્યા છે. સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે છેલ્લી એક-બે ચૂંટણીઓથી વિરોધી પક્ષના નેતાઓ અચ્યુતાનંદનના વિરોધનો એક મુદ્દો તેમની ઉંમરને બનાવતા રહ્યા છે, છતાં મતદારો આ નેતાની ઉંમર નહીં પણ ઉત્સાહ અને પ્રતિબદ્ધતાને સલામ કરીને સફળ બનાવતા રહ્યા છે. ગત ચૂંટણીમાં કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અચ્યુતાનંદનની વય પર કૉમેન્ટ કરીને ટોણો માર્યો હતો, એ વખતે અચ્યુતાનંદને રાહુલને ‘અમૂલ બેબી’ એવું નામ આપેલું, જે આજેય બહુ જાણીતું છે! જોકે, રાહુલના મુદ્દાનો વિરોધ કરતાં તેમણે જે મલિયાલમ કવિતા સંભળાવી હતી, તે ધ્યાનાકર્ષક છે. કાવ્યનું ગુજરાતી કંઈક આવું કરી શકાય: ‘સફેદ વાળ મારી વધતી વય નથી દર્શાવતા, ન કોઈની ઓછી વય હોવી તેની યુવાનીનો સંકેત, મૂડીવાદી સામે સામી છાતીએ ઊભા રહેવામાં જ મારી જવાની છે.’

કહેવાય છે કે કેરળમાં અચ્યુતાનંદનની બરનો બીજો કોઈ નેતા નથી. કેરળમાં ભાગ્યે જ કોઈ જનવાદી આંદોલન હશે, જેનો તેઓ હિસ્સો ન બન્યા હોય. કેરળના મુખ્યમંત્રી રહી ચૂકેલા અચ્યુદાનંદન ભલે 90 વર્ષને પાર કરી ગયા હોય, પરંતુ વિધાનસભા બેઠકમાં તેમના તોફાની પ્રચાર અભિયાન વિના એલડીએફ માટે ફરી સત્તારોહણ શક્ય નહોતું. એક જમાનામાં જે ડાબેરીઓનો ગઢ મનાતું હતું એ પશ્ચિમ બંગાળમાં પણ સતત બીજી વખત ડાબેરીઓનું ધોવાણ થયું છે, એટલું જ નહીં સમગ્ર દેશમાં ડાબેરી વિચારધારા હવે અપ્રસ્તુત બની રહી છે ત્યારે ડાબેરી પક્ષને સત્તા મળવી લોઢાના ચણા ચાવવા જેવું હતું, પરંતુ આમ આદમીના કમ્યુનિસ્ટ નેતા ગણાતા અચ્યુતાનંદને પોતાની સાદગી, પ્રતિબદ્ધતા અને પરિશ્રમ થકી મોટી સિદ્ધિ મેળવી છે.

કેરળના જ બીજા નેતા છે, જેમણે પોતાના સફેદ વાળને શોભાવીને ભલભલા યુવાનોને શરમાવે એવી સિદ્ધિ મેળવી છે. આ નેતાનું નામ છે - ઓ. રાજગોપાલ. આ એ જ 86 વર્ષના નેતા છે, જેમણે કેરળમાં ભાજપને પહેલી વિધાનસભા બેઠક જિતાડીને પક્ષનું ખાતું ખોલાવી આપ્યું છે. કેરળમાં લઘુમતી મતોનું વર્ચસ્વ (48 ટકા) છે તથા ડાબેરી વિચારધારાના સમર્થકો પણ મોટા પ્રમાણમાં છે ત્યારે આ પ્રદેશમાં જમણેરી અને હિન્દુત્વ વિચારધારામાં માનતા નેતા માટે જીતવું કેટલું મુશ્કેલ હોય એ સમજી શકાય છે. જોકે, રાજગોપાલે વર્ષો નહીં, દાયકાઓ પછી કેરળની ધરતી પર પોતાના પક્ષને વિજય અપાવવામાં સફળતા મેળવી છે.
રાજગોપાલે તિરુવનંતપુરમની નેમમ બેઠક પર 8 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો છે. આ જીત કેટલી મીઠી લાગી હશે તે કદાચ રાજગોપાલ સિવાય ભાગ્યે જ કોઈ જણાવી શકે, કારણ કે જનસંઘના જમાનામાં ઈ.સ. 1964થી પોતાનું જાહેરજીવન પ્રારંભ કરનારા રાજગોપાલ અત્યાર સુધીમાં 13 ચૂંટણીઓ હારી ચૂક્યા છે. રાજગોપાલ બે વખત રાજ્યસભામાં સાંસદ રહ્યા છે અને વાજપેયી સરકારમાં કાયદો, ન્યાય અને કંપની અફેર્સના રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, પરંતુ ચૂંટણી પહેલી વાર જીત્યા છે.

અચ્યુતાનંદન અને રાજગોપાલ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ફરી અને પહેલાં કરતાં ભવ્ય વિજય મેળવનારાં મમતા બેનરજી 61 વર્ષનાં છે તો તમિલનાડુમાં પોતાના પક્ષને ફરી સત્તા પર લાવનારાં જયલલિતા પણ 68 વર્ષનાં છે. આમ, રાજકારણમાં વયનો અને વયનિવૃત્તિનો મુદ્દો જરા જુદી રીતે વિચાર માગી લે છે. જોકે, આપણે ત્યાં યુવા નેતૃત્વને નામે ખરેખર તો વડીલ નેતાઓને હાંસિયામાં ધકેલવાની વ્યૂહરચના જ અપનાવાતી હોય છે. બાકી, મહાભારતનો શ્લોક છે કે જે સભામાં સફેદ વાળવાળા વૃદ્ધો નથી, એ સભા જ નથી! પણ સત્તાકાંક્ષીઓને મહાભારતનાં મહાબોધવચનો સાથે શું લાગેવળગે!
(‘દિવ્ય ભાસ્કર’ની 25 મે, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)