Wednesday, September 13, 2017

સૂ કી : સિદ્ધાંત V/s સત્તામોહ

દિવ્યેશ વ્યાસ


રોહિંગ્યા મુદ્દે સૂ કીના મૌન અને પછી લૂલા બચાવે તેમની વૈશ્વિક શાખ અને શાનને બટ્ટો લગાવ્યો છે

(લેખને અનુરૂપ હાવભાવવાળી આ તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

આજકાલ દુનિયામાં બે દેશોના વડાઓ સૌથી વધારે વગોવાઈ રહ્યા છે. વગોવાતા-વખોડાતા રાષ્ટ્રીય સત્તાધીશોમાં પહેલા ક્રમે આવે છે ઉત્તર કોરિયાનો યુવા સરમુખત્યાર કિમ જોંગ ઉન. એક પછી એક પરમાણુ પરીક્ષણો અને મિસાઇલ ટેસ્ટ પછી છેલ્લે હાઇડ્રોજન બૉમ્બનું પરીક્ષણ કરીને તેણે ભલભલી મહાસત્તાઓને હચમચાવી દીધી છે. અમુક લોકોને તો ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. અલબત્ત, ઉન જે કંઈ કરી રહ્યા છે, એમાં કશું અનઅપેક્ષિત નથી. યુદ્ધખોર પ્રકૃતિ ઉનને ડીએનએમાં મળેલી છે. ઉનના પિતા અને પિતામહની વૃત્તિ-પ્રવૃત્તિ પણ કંઈક આવી જ હતી. ઉન જરા યુવા વયમાં સત્તામાં આવી ગયા છે ત્યારે તેમનું ઉકળતું લોહી યુદ્ધ માટે વધારે ઉતાવળું હોય તો એમાં નવાઈ પામવા જેવું જરાય નથી. નવાઈ અને અપેક્ષાભંગનું વધારે તત્ત્વ તો વગોવાઈ રહેલા બીજા નેતાના કિસ્સામાં જોવા મળે છે. આ નેતા એટલે મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર અને વિદેશમંત્રી આંગ સાન સૂ કી.

સૂ કીને મ્યાનમારમાં સત્તા મળી એ પહેલાં પોતાના દેશમાં લોકશાહીની સ્થાપના માટેના અહિંસક આંદોલનને નેતૃત્વ પૂરું પાડવા માટે તેમને વિશ્વવિખ્યાત શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો હતો. શાંતિનો નોબેલ ભલે ગાંધીજીને ન મળી શક્યો હોય, પરંતુ ગાંધીજીના સિદ્ધાંતો મુજબ અન્યાય સામે સંઘર્ષ કરનારા અનેક લોકોને શાંતિનો નોબેલ પારિતોષિક મળી ચૂક્યો છે અને આ ગૌરવવંતી યાદીમાં સૂ કીનો પણ આજ દિન સુધી સસન્માન સમાવેશ થતો આવ્યો છે, પરંતુ રોહિંગ્યાના મુદ્દે તેમના મૌન અને નિષ્ક્રિયતાને કારણે હવે તેમની ચોમેરથી ટીકા થઈ રહી છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારો અને તેમની વ્યાપક હિજરતનો મામલો હવે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે. રોહિંગ્યાની વકરી રહેલી સ્થિતિ મામલે મૌન અને પછી લૂલો બચાવ કરવાને કારણે સૂ કીની શાખ અને શાનને બટ્ટો લાગ્યો છે. સૂ કીએ લૂલો બચાવ કર્યો છે કે ‘રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો તો દાયકાઓ જૂની સમસ્યા છે. હું મારા 18 મહિનાના શાસનમાં આ સમસ્યાનો ઉકેલ લાવી શકું, એવી અપેક્ષા કઈ રીતે કરી શકાય.’ સૂ કીને કોણ સમજાવે કે ઉકેલ આવે કે ન આવે તમારો એ દિશામાં પ્રયાસ કે સક્રીયતા તો દેખાવી જોઈએને?

રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યા આંગ સાન સૂકી માટે સૌથી મોટો રાજકીય પડકાર બની ગયો છે. જોકે, રોહિંગ્યાના મામલે સૂ કી ગાંધીજીના નહીં, પરંતુ પોતાના પિતા આંગ સાનના માર્ગે ચાલી રહ્યા હોય એવું લાગે છે. સૂ કીના પિતા આંગ સાને 1946માં રોહિંગ્યાઓને તમામ અધિકાર આપવાનો અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં રાખવામાં આવે, એવી ખાતરી આપી હતી, પરંતુ તેમણે વાયદો નિભાવ્યો નહોતો. ઈ.સ. 1947માં તેમણે બર્માના જુદા જુદા જાતિ-ધર્મના સમુદાયોને એકઠા કરેલા ત્યારે તેમણે રોહિંગ્યા સમુદાયના લોકોને સામેલ કરવાનું ટાળ્યું હતું. 1970ના દાયકાથી લઈને આજ સુધી રોહિંગ્યા પર સમયાંતરે હુમલાઓ થયા કરે છે. 1982માં તો તેમનું નાગરિકત્વ જ છીનવાઈ ગયું છે. લાખો રોહિંગ્યા પોતાનું વતન છોડીને હિજરતી બનવા માટે મજબૂર છે. રોહિંગ્યા વિશ્વના સૌથી વધુ પ્રતાડિત હિજરતી સમુદાય તરીકે જાણીતા બની રહ્યા છે.  

સૂ કીના મીંઢા મૌનની ટીકા દ. આફ્રિકાના આર્કબિશપ ડેસમન્ડ ટૂટૂથી માંડીને મલાલા સુધીના 12 નોબેલ પારિતોષિક વિજેતાઓ કરી ચૂક્યા છે. ડેસમન્ડ ટૂટૂએ તો કડક શબ્દોમાં કહ્યું છે, ‘તમારી મ્યાનમારની સત્તાના શિખર પર પહોંચવાની કિંમત તમારું મૌન હોય તો આ કિંમત બહુ વધારે કહેવાય.’ દુનિયાભરના લોકો સૂ કીના અભિગમથી નારાજ છે. 3.86 લાખ લોકોએ એક ઓનલાઇન અરજી થકી નોબેલ પારિતોષિક સમિતિને સૂ કી પાસેથી નોબેલ પારિતોષિક પાછો લઈ લેવાની માગણી કરી છે. નોબેલ સમિતિએ જાહેર કર્યું છે કે પુરસ્કાર પાછો લેવાની જોગવાઈ નથી, આમ અધિકૃત રીતે તો સૂ કી પાસેથી નોબેલ પાછો નહીં લેવાય, પરંતુ સૂ કી જો પોતાનું વલણ નહીં બદલે કે પછી સત્તામોહ માટે સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનું અને માનવતાને કોરાણે મૂકવાનું ચાલુ રાખશે તો નોબેલ પાછો લેવા કરતાં પણ મોટી નાલેશી તેમણે ઇતિહાસના ગ્રંથોમાં ભોગવવી પડશે.

(‘દિવ્ય ભાસ્કર’ની 13મી સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment