Wednesday, September 6, 2017

બાળસુરક્ષા માટે યાત્રા

દિવ્યેશ વ્યાસ

બાળ અધિકારોના લડવૈયા કૈલાશ સત્યાર્થી બાળકોની સુરક્ષાના મુદ્દે ‘ભારત યાત્રા’નું આયોજન કર્યું છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

‘ગોડફાધર’ના રચયિતા મારિયો પુઝોનું એક જાણીતું વાક્ય છે, ‘The only wealth in this world is children, more than all the money, power on earth.’ (આ દુનિયામાં પૈસા, સત્તા કરતાં પણ બાળકો જ ખરી સંપત્તિ છે.) એક બાળક માત્ર પરિવારની જ નહીં પણ દેશની મહામૂલી મૂડી હોય છે. બાળકોને આપણે ભાવિ પેઢી - ભવિષ્યના નાગરિકો ગણીએ છીએ, પરંતુ તેમના પ્રત્યેનું આપણું વલણ આપણે સૌ ધારીએ છીએ એટલું સારું, સજાગ કે સંપૂર્ણ નથી. ‘એક્સિડેન્ટલ’ અને અણઘડ માતા-પિતા દ્વારા બાળઉછેરમાં રહી જતી કચાશોની વાત જવા દઈએ તથા શાળાઓમાં શિક્ષણના સ્તરની ચિંતા પણ છોડી દઈએ, તોપણ આપણા સમાજમાં બાળકો માટે બહુ સારો માહોલ છે, એવી ગેરસમજ રાખવા જેવી નથી. સૌથી ચિંતાજનક બાબત બાળકોની સુરક્ષાની છે. બાળક આજે ન ઘરમાં સુરક્ષિત છે, ન શાળામાં કે ન અન્ય ક્યાંય. દરેક માતા-પિતા બાળકની સુરક્ષાના મામલે ચિંતાગ્રસ્ત રહેતાં હોય છે. બાળકો ગુમ થવાની ઘટનાના સાચા આંકડાઓ જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું બીપી અમુક સેકન્ડો માટે હાઇ થયા વિના ન રહે. સમગ્ર સમસ્યાને સમજવા માટે માત્ર એક જ આંકડો કાફી છે: આપણા દેશમાં પોલીસના જ આંકડા મુજબ દર કલાકે આઠ બાળકો ગુમ થાય છે! આ બાળકોને ગાયબ કરનારા તેમની પાસે શું શું કરાવે છે, એ આપણે સૌ જાણીએ છીએ.

આપણા દેશમાં માનવ તસ્કરી અને એમાંય વધારે આસાન હોવાથી બાળકોની તસ્કરીની સમસ્યા વકરી રહી છે. તસ્કરી કરેલાં બાળકો માટે આ ધરતી જ નર્ક સમાન બની જતી હોય છે. આ બાળકો પાસે કમરતોડ મજૂરી કરાવાય છે, કેટલાંક બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવાય છે તો કેટલાંક કમનસીબ પાસે વેશ્યાવૃત્તિ. લાચાર બાળકોના શરીરમાંથી અમુક અંગો પણ કાઢી લેવામાં આવે છે અને તે અંગોને અત્યંત ઊંચી કિંમતે વેચી દેવામાં આવે છે. આ બાળકોનું તમામ રીતે શોષણ કરવામાં આવે છે. કાં તો તેઓ કોઈ ને કોઈ રોગથી પીડાઈને કે પછી ભૂખમરાથી મૃત્યુ પામે છે અથવા તો યુવાન થયા પછી શોષણખોરોથી છટકીને પોતે ક્રિમિનલ્સ બનીને સમાજની બીમારીઓમાં વધારો કરતાં રહે છે. આવાં બાળકો માટે ઉજ્જ્વળ ભવિષ્યની સંભાવના લગભગ શૂન્યવત્ હોય છે.

બાળકોનું આવું શોષણ કઈ રીતે સાંખી લેવાય? બાળ અધિકારો માટે સાડા ત્રણ દાયકાઓથી કાર્યરત એવા કૈલાશ સત્યાર્થીએ હવે બાળ તસ્કરી અને બાળકોના શારીરિક શોષણ વિરુદ્ધ જંગ છેડવાનું એલાન કર્યું છે. કૈલાશ સત્યાર્થી અને તેમની ‘બચપન બચાવો આંદોલન’ નામની એનજીઓએ દેશવ્યાપી ‘ભારતયાત્રા’નું આયોજન કર્યું છે. આ યાત્રા દેશનાં કુલ 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થવાની છે. 35 દિવસની આ યાત્રા કુલ 11,000 કિલોમીટર લાંબી મજલ કાપશે. જોકે, બાળઅધિકારો અને સુરક્ષિત બાળપણની મજલ તો એના કરતાંય લાંબી હોઈ શકે છે.

કૈલાશ સત્યાર્થીની ‘ભારતયાત્રા’નો મુખ્ય નારો ‘સુરક્ષિત બાળપણ, સુરક્ષિત ભારત’ છે. આ યાત્રા થકી તેમનો ઉદ્દેશ દેશભરના લોકોને બાળઅધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે. કૈલાશ સત્યાર્થીએ આ યાત્રા અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ યાત્રા થકી દેશમાં ચાલી રહેલી બાળકોની તસ્કરી અને જાતીય શોષણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવામાં આવશે. સાથે સાથે માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) વિરુદ્ધ કડક કાયદો કરવાની માગણી પણ ઉગ્ર બનાવવામાં આવશે. માનવ તસ્કરીના સમાચાર છાશવારે આવતા હોય છે, પરંતુ ભારતમાં તેની વિરુદ્ધ કોઈ વિશેષ કાયદો ન હોવાથી ગુનેગારો આસાનીથી છટકી જતા હોય છે. આવા સંજોગોમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી અટકાવવા માટે સ્પષ્ટ અને કડક કાયદાની તાતી જરૂર છે. 11 સપ્ટેમ્બરના રોજ શરૂ થનારી આ યાત્રા 16મી ઑક્ટોબરે દિલ્હી ખાતે સંપન્ન થશે અને સંસદમાં માનવ તસ્કરી વિરુદ્ધ કડક કાયદો બનાવવાની રજૂઆત કરવામાં આવશે. આશરે દસ લાખ લોકો આ યાત્રામાં જોડાવાનો અંદાજ છે. એક કરોડ લોકોને બાળકોના શોષણ અને તસ્કરી વિરુદ્ધ લડવાની પ્રતિજ્ઞા લેવડાવવાનો નિર્ધાર કરાયો છે.

કૈલાશ સત્યાર્થી છેલ્લાં સાડા ત્રણ દાયકાથી બાળકોની આઝાદી, સુરક્ષા અને કલ્યાણ માટે કાર્યરત છે. કૈલાશભાઈ  અગાઉ ઈ.સ. 1998માં ગ્લોબલ માર્ચ અગેઇન્સ્ટ ચાઇલ્ડ લેબર તથા ઈ.સ. 2001માં શિક્ષા યાત્રાનું સફળ અને સાર્થક આયોજન કરી ચૂક્યા છે.

આ યાત્રાના પ્રારંભ માટે 11મી સપ્ટેમ્બરની તારીખ અને કન્યાકુમારી સ્થળ પસંદ કરવામાં આવ્યું છે, તેની પાછળ સ્વામી વિવેકાનંદ નિમિત્ત બન્યા છે. સ્વામી વિવેકાનંદને કન્યાકુમારીમાં જ્ઞાન લાધ્યું હોવાનું કહેવાય છે. વળી, તેમણે ઈ.સ. 1893માં 11મી સપ્ટેબરના દિવસે જ સર્વધર્મ સંમેલનમાં પ્રભાવક પ્રવચન આપ્યું. વિવેકાનંદના સૂત્રને થોડા ફેરફાર સાથે કહી શકાય, બાળ શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવો, જાગીને સક્રિય બનો અને આ બદી નાબૂદ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.

કૈલાશ સત્યાર્થીના નિવેદન સાથે લેખ પૂરો કરીએ, ‘આપણે જો ખરેખર ‘ન્યૂ ઇન્ડિયા’ના સર્જન માટે ઉત્સાહી અને પ્રતિબદ્ધ હોઈએ તો આપણી બાળાઓ અને બાળકો આપણાં ઘરો, શાળાઓ અને તેમના આસપાસના માહોલમાં સુરક્ષિત હોવાં જોઈશે. ખરું ન્યૂ ઇન્ડિયા ત્યારે જ સર્જાશે જ્યારે દેશનાં તમામ બાળકો સુરક્ષિત, મુક્ત અને શિક્ષણ મેળવી રહ્યાં હશે અને આ તેના માટેનું જ આંદોલન છે.’

(‘દિવ્ય ભાસ્કર’ની 6 સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment