Wednesday, September 20, 2017

ઝેન કથા : બૌદ્ધિક બુલેટ

દિવ્યેશ વ્યાસ


જાપાનના સહયોગથી મળનારી બુલેટ ટ્રેનના વધામણાની સાથે સાથે બૌદ્ધિક બુલેટ જેવી ઝેન કથાઓ કેમ વિસરાય?



‘આ વર્ષે મેં જીવનનો પૂરેપૂરો આનંદ ઉઠાવ્યો.’ શિષ્યે ગુરુને કહ્યું. ‘અચ્છા?’ ગુરુએ પૂછ્યું, ‘તેં શું શું કર્યું?’ ‘સૌથી પહેલાં સમુદ્રમાં ઊંડી ડૂબકી મારતા શીખ્યો.’ શિષ્યે જણાવ્યું, ‘પછી દુર્ગમ જંગલો પણ સર કર્યાં. મેં રણમાં પણ દિવસો વિતાવ્યા. મેં પેરાગ્લાઇડિંગ પણ કર્યું અને તમે માનશો નહીં મેં...’ ગુરુએ હાથ ઊંચો કરી શિષ્યને અટકાવતાં પૂછ્યું, ‘ઠીક છે, ઠીક છે, પરંતુ આ બધું કરતી વખતે તને જીવનનો આનંદ ઉઠાવવાનો સમય ક્યારે મળ્યો?’

આ છે ઝેન કથા. બુલેટ જેવી જ ટચૂકડી, પણ સોંસરવી ઊતરી જાય એવી! આપણે જાણીએ છીએ કે બૌદ્ધ ધર્મ જાપાનમાં ઝેન સ્વરૂપે ફૂલ્યોફાલ્યો છે. ઝેન માણસની પૂર્ણ જાગૃતિમાં માને છે. આમ તો ધર્મને અફીણ સાથે સરખાવવામાં આવે છે, પણ ઝેન જરા હટકે વિચારધારા છે, તે કોઈ પણ જાતના કેફ કે ઘેનથી સદાય દૂર રહીને સતત જાગૃત રહેવાની સલાહ આપે છે. ઝેન સંતોએ મોટા મોટા બોધપાઠો-શીખને નાની નાની વાર્તાઓમાં વણી લઈને સમગ્ર માનવજાત પર મોટો ઉપકાર કર્યો છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. તર્કનાં તીરો ચલાવીને લોકોનાં દિમાગ પર ચડેલા ધર્મ સંપ્રદાયના કેફને ઉતારવા માટે મથનારા ઓશો રજનીશનાં પ્રવચનોમાં સહજપણે ઝેન કથાનો સમાવેશ થયેલો જોવા મળે છે. ગુજરાતમાં જાપાનના સહયોગથી આવનારી બુલેટ ટ્રેનની ચર્ચા ચાલી રહી છે ત્યારે બૌદ્ધિક બુલેટ સમી ઝેન કથાઓને કેમ વીસરી શકાય. બીજી એક ઝેન કથા માણીએ:

એક ઝેન સાધુની કુટીરમાં ચોર ઘૂસેલો. એવામાં સાધુ આવ્યા અને તેમણે ચોરને પકડ્યો. સાધુની કુટીરમાંથી તો ચોરને શું મળે? જોકે, સાધુએ ચોરને કહ્યું, ‘તું બહુ દૂરથી આવ્યો હશે. તારે ખાલી હાથે ન જવું જોઈએ. ચાલ, હું તને મારાં વસ્ત્રો આપી દઉં.’ ચોરને શરમ તો આવી, પણ તે વસ્ત્રો લઈને ચાલ્યો ગયો. સાધુ તો કુટીરમાં નગ્ન બેઠા આકાશમાં ચાંદને જોવા લાગ્યા. તેમણે વિચાર્યું, ‘બિચારો ચોર, કાશ હું તેને આ ચાંદ આપી શક્યો હોત!’

ટચૂકડી વાર્તામાં કેટકેટલા સંદેશા અને શીખ મળે છે! આ જ મજા છે, ઝેન કથાઓની. આજના મહત્ત્વાકાંક્ષી માનવીને વિચારતાં કરી દે, એવી વધુ એક ઝેન કથા જોઈએ:

એક પ્રખ્યાત અભિનેત્રી ઝેન આશ્રમમાં આવી અને કહ્યું, ‘જ્યારે હું અભિનેત્રી નહોતી ત્યારે મને થતું હું ‘કંઈ જ નથી’. હું કંઈક બનવા માગતી હતી. એ માટે મેં ખૂબ જ મહેનત કરી. મારી જે કંઈ ઇચ્છા હતી, એ બધું જ મેં મેળવ્યું. આજે મારી પાસે બધું જ છે.’ ઝેન સંતે પૂછ્યું, ‘તો પછી તું અહીં કેમ આવી છે?’ અભિનેત્રીએ જવાબ આપ્યો, ‘હું ફરી ‘કંઈ જ નથી’ બનવા માગું છું.’

બીજી પણ એક ઝેન કથા જોઈએ, જે જીવનને સહજતાથી અને જાગૃતિપૂર્વક આગળ વધારવાનો સંદેશો આપે છે.

એક નવા સાધકે ગુરુને પૂછ્યું, ‘હું હજુ હમણાં જ મઠમાં જોડાયો છું. કૃપા કરીને મને કોઈ શીખ આપો.’ ગુરુએ સામે પૂછ્યું, ‘શું તમે તમારી ખીચડી ખાઈ લીધી છે?’ નવો સાધક કહે, ‘હા જી.’ ગુરુએ કહ્યું, ‘તો તમારાં વાસણ પણ ધોઈ લો.’ કહે છે કે એ સાધકને તરત બોધિ પ્રાપ્ત થઈ ગઈ હતી.

છેલ્લે એક ઝેન કથા સાથે લેખ પૂરો કરું છું, પણ આશા રાખું છું આપનું ચિંતન ચાલુ રહેશે.

‘એક વ્યક્તિ બેકાબૂ બનેલા ઘોડા પર બેઠી હતી અને ઘોડો રસ્તા પર દોડ્યે જતો હતો. સડકના કિનારે ઊભેલા એક યાત્રીએ બૂમ પાડીને પૂછ્યું, ‘ભાઈ, ક્યાં જઈ રહ્યો છે?’ ઘોડેસવારે લગભગ ચીસ પાડીને જવાબ આપ્યો, ‘મને કંઈ ખબર નથી! તમે ઘોડાને પૂછી જુઓ!!’

આપને તો ખબર હશે જ કે તમે જેના પર સવાર છો, એ ઘોડો તમને ક્યાં લઈ જઈ રહ્યો છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 19મી સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment