Wednesday, August 31, 2016

પશ્ચિમમાં પ્રગટેલાં વિદ્યાનાં દેવી

દિવ્યેશ વ્યાસ


બાળ કેળવણી અને શિક્ષકની ભૂમિકાના ખ્યાલને ધરમૂળથી બદલનારાં ડૉ. મોન્ટેસોરીની પદ્ધતિ અને પ્રેરણા કેમ ભુલાય?

(તસવીર ગૂગલ પરથી શોધીને ગમી એ મૂકી છે)

એક બાળકને પૂછ્યું, ‘તને ભગવાન બનાવી દેવાય તો તું કેવી દુનિયા બનાવે?’ તેણે તરત કહ્યું, ‘હું એવી દુનિયા બનાવું જેમાં રોજ રોજ રવિવાર હોય!’ ‘કેમ એ‌વું?’ તેણે કહ્યું, ‘બધા દિવસ રવિવાર જ રાખવાના એટલે સ્કૂલે તો ન જવું પડે!!’ બાળકોને શાળા પ્રત્યેની આવી એલર્જીને હસવામાં કે હળવાશથી લેવા જેવી નથી. નોંધનીય વાત એ છે કે તમે બાળકને સરકારી શાળામાં ભણાવો હોય કે મોંઘીદાટ ફી ઉઘરાવતી ખાનગી સ્કૂલમાં,  શાળા પ્રત્યેની એલર્જી મોટા ભાગે સમાન જ હોય છે. બાળકોને શાળા ગમતી નથી, કારણ કે એ તેમની સ્વતંત્રતા છીનવતી હોય છે, બાળકો શિક્ષકોથી ડરતા હોય છે, કારણ કે તેઓ ‘શિક્ષણ’ કરતાં ‘શિક્ષા’ (દંડ) પર વધારે મુસ્તાક હોય છે! પશુઓને કેળવવા માટેની ક્રૂરતાની હદની કડક પદ્ધતિઓ જ આપણે બાળકોને કેળવવા માટે પણ અપનાવતાં આવ્યા છીએ. એકવીસમી સદીમાં પણ બાળકેળવણી બાબતે મોટા ભાગના લોકો આજેય સાતમી-આઠમી સદીની માનસિકતામાંથી બહાર આવ્યા નથી. બાળકોને ભણાવવા માટે આપણે ઉત્સુક છીએ, પણ સાચી કેળવણી માટે એટલા જ ઉદાસીન હોઈએ છીએ અને પછી આપણે જ ફરિયાદ કરતા હોઈએ છીએ કે આજકાલનાં બાળકો ભણેલા છે, પણ ગણેલા નથી!

શિક્ષણ અંગે આજે આટલી ચર્ચા કરવાનું કારણ એ છે કે દુનિયાભરમાં બાળ કેળવણીની સમજ અને પદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તન લાવનારાં ડૉ. મારિયા મોન્ટેસોરીનો આજે જન્મ દિવસ છે. (જન્મ : 31 ઑગસ્ટ, 1870, ઇટાલી ; મૃત્યુ : 6 મે, 1952, નેધરલેન્ડ) ડૉ. મોન્ટેસોરીની એકલવ્યભાવે ભક્તિ-સાધના કરનારા અને ‘મુછાળી મા’ તરીકે જાણીતા શિક્ષણકાર ગિજુભાઈ બધેકાએ અનુસર્જન કરેલા પુસ્તક ‘મોન્ટીસોરી પદ્ધતિ’માં તેમના વિશે લખ્યું છે, ‘ડૉ. મોન્ટેસોરી એક અસાધારણ પ્રતિભાશાળી બાનુ છે. ડૉક્ટર, તત્ત્વવેત્તા અને ગણિતશાસ્ત્રી હોવા ઉપરાંત તે એક અદભુત કેળવણીકાર છે. એનામાં સ્વયંસ્ફુરણા, સૃજનશક્તિ અને શોધક બુદ્ધિની કુદરતી બક્ષીસો છે, એમ કહ્યા વિના ચાલતું જ નથી. એનું વ્યક્તિત્વ આપણા પર સજ્જડ છાપ પાડે એવું છે. એના સહવાસમાં આવેલાંઓ એનાથી ચકિત થઈ જાય છે. તે સુરૂપ છે, આકર્ષક છે, તેમ તેની વાણી મીઠી છે. એની વાણીમાં સ્વાભાવિક સરલતા છે. એની એવી અસાધારણ શક્તિને લીધે આખી આલમની સ્ત્રીજાતને અભિમાન લેવાનું કારણ મળે છે. દુનિયા ઉપર આવી પ્રભાવશાળી સ્ત્રીઓ ગણીગાંઠી જ હશે.’

બાળ કેળવણીની સાથે સાથે બાળકોની આઝાદી અને અધિકારો માટે આજીવન મથનારાં ડૉ. મોન્ટેસોરી થિયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલાં હતાં અને આ સંસ્થા થકી જ તેઓ આશરે દસેક વર્ષ ભારતમાં રહ્યાં હતાં અને કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. પાંચ દિવસ પછી શિક્ષક દિન ઊજવાશે ત્યારે ગિજુભાઈ દ્વારા અનુવાદિત ‘મોન્ટીસોરી પદ્ધતિ’ પુસ્તકમાંના ‘મોન્ટીસોરી શિક્ષક’ પ્રકરણમાં શિક્ષકની ભૂમિકા વિશે મોન્ટેસોરીએ જે લખ્યું છે, તેના પર આછેરી નજર ફેરવીએ:

મેડમ મોન્ટેસોરી સ્પષ્ટપણે માનતા કે ‘શિક્ષકની વાચાળતા કરતાં તેનું મૌન વધારે કામનું છે. શિક્ષકે શીખવવા કરતાં બાળકોનું અવલોકન કરવું જરૂરનું છે. પોતે ભૂલ કરે જ નહિ એવું અભિમાન રાખવા કરતાં નમ્રતાથી પોતાની ભૂલો શોધવી અને સ્વીકારવી એ શિક્ષકનું કર્તવ્ય છે.’

શિક્ષકની દૃષ્ટિ અંગે મોન્ટેસોરી બહુ સુંદર વાત કરી છે, ‘શિક્ષકની દૃષ્ટિ વૈજ્ઞાનિકની જેવી ચોક્કસ અને નિર્મળ જોઈએ, અને સંતપુરુષોના જેવી પ્રેમી અને આધ્યાત્મિક જોઈએ. વિજ્ઞાનનું ચોક્કસપણું અને સંતનું પાવિત્ર્ય શિક્ષકની તૈયારીના બે આધારભૂત સ્તંભો છે. શિક્ષકની વૃત્તિ એક સાથે શાસ્ત્રીય અને દૈવી જોઈએ.’

ડૉ. મોન્ટેસોરી હંમેશાં કહેતાં કે ‘શિક્ષકનું ખરું શિક્ષકપણું તેના પ્રખર આશાવાદમાં સમાયેલું છે.’ પશ્ચિમમાં પ્રગટેલાં વિદ્યાનાં આ દેવીને જન્મ દિવસ નિમિત્તે શત શત વંદન!

(‘દિવ્ય ભાસ્કર’ની 31 ઑગસ્ટ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Friday, August 26, 2016

સમાજના દાક્તર ડૉ. દાભોળકર

દિવ્યેશ વ્યાસ


ડૉ. નરેન્દ્ર દાભોળકરને પીઠ પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને ગોળીથી વીંધી દેવાયા. ડૉ. દાભોળકરનો 'વાંક' એટલો જ હતો કે તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવા માગતા હતા

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

ધર્મ, પરંપરા અને રિવાજના નામે અંધશ્રદ્ધાની દુકાન અને જ્ઞાતિઓની ધોરાજી ચલાવનારાઓને સમાજસુધારકો ક્યારેય સહન થતા નથી એટલે તેમનું મોં બંધ કરાવવા કોઈ પણ હદે જતા હોય છે. મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધાના પ્રખર વિરોધી ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા આનો વધુ એક પુરાવો છે. એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાની નાગચૂડમાં ફસાયેલા સમાજની સારવાર કોણ કરશે ?

એક જમાનો હતો જ્યારે ટપાલમાં પોસ્ટકાર્ડ મળતું, જેમાં કોઈ દેવી-દેવતાના પરચાની પાંચ-સાત લીટીઓ લખેલી હોય અને છેલ્લે ગર્ભિત ધમકી કમ લાલચ આપતા લખ્યું હોય કે આ પોસ્ટકાર્ડને ફાડશો તો તમારું ધનોતપનોત નીકળી જશે અને જો આનાં જેવાં જ ૧૧ કે ૨૧ પોસ્ટકાર્ડ લખીને બીજાને મોકલશો તો ફલાણા-ઢીંકણા દેવી-દેવતાની ત્વરિત કૃપા આપના પર વરસશે ... હવે સમય બદલાયો છે. પોસ્ટકાર્ડ આઉટ ઓફ ડેઇટ થઈ ગયાનો ગર્વ લેવાય છે. લોકો ઈ-મેલ અને મોબાઇલથી સંદેશાની આપ-લે કરી રહ્યા છે, સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર હાજરી નોંધાવીને જમાનાની સાથે ચાલવાના કેફમાં રાચે છે ... કમનસીબે સમય બદલાયો છે, પણ સમાજ તો એનો એ જ છે. આજે દેવી-દેવતાઓના ગુણગાન કે તસવીરોવાળા એસએમએસ કે ઈ-મેલ મળે છે અને સાથે થોડી ધમકી ને થોડી લાલચવાળી ઓફર કરાય છે .. આ એસએમએસ-ઈ-મેલ ફોરવર્ડ કરો કે તસવીર લાઇક કરો અને ઇન્સ્ટન્ટ ફળ પ્રાપ્ત કરો કે ખુશખબરી મેળવો!!

આપણને આધુનિક બની ગયાનો દેખાડો કરવો ગમે છે, પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવાની બાબતમાં આપણો મોટા ભાગનો સમાજ હજુ ભાંખોડિયાં જ ભરે છે. આપણે એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાના અંધારામાં કેમ અટવાયા કરીએ છીએ? ધર્મ અને પરંપરાના નામે ધુતારાઓ આજે પણ ઘીંગી કમાણી કરી રહ્યા છે. એક જમાનામાં એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવતો હતો કે લોકો શિક્ષિત થશે પછી અંધશ્રદ્ધા આપોઆપ દૂર થઈ જશે, પણ આજે સાક્ષરતાના દરમાં અત્યંત વધારો થયો હોવા છતાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટવા કરતાં વધ્યું હોય એવું લાગે છે. સમૂહ માધ્યમોનો ઉપયોગ આજે જ્ઞાન-વિજ્ઞાન માટે થવાને બદલે અંધશ્રદ્ધા અને જાદુટોણાના પ્રચાર-પ્રસાર માટે વધારે થઈ રહ્યો છે, જેને છૂપા સામાજિક આતંકવાદથી કમ ન આંકી શકાય.

દેશ ગુલામ હતો ત્યારે રાજા રામમોહન રાયે બંગાળમાં સતીપ્રથા સામે અવાજ ઉઠાવીને અંગ્રેજો પાસે સતીપ્રથા વિરોધી કાયદો કરાવીને સામાજિક ક્રાંતિ આણી હતી. કાયદા થકી સમાજસુધારણાનો નવો ખયાલ આપણા દેશમાં વિકસ્યો, પણ આજે ય સમાજસુધારણા માટે આપણે કાયદાની જરૂર પડી રહી છે, એ આપણા સમાજની કમનસીબી જ ગણવી જોઇએ, કારણ કે લોકો જાગૃત હોય તો કોઈ નિયમ-કાયદા બનાવવાની જરૂર જ ન પડે! પણ એવું થઈ રહ્યું નથી. આટલું ઓછું હોય આપણી સરકારોને આવા જરૂરી કાયદા બનાવવાની ફરજ પાડવા માટે આંદોલનો ચલાવવા પડે છે! મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવા માટે લગભગ બે દાયકાથી ઝુંબેશ ચાલી રહી છે. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના નેજા હેઠળ રાજ્યભરમાં જાદુટોણા વિરોધી ચળવળ ચલાવવામાં આવે છે, પણ કહેવાતાં ધાર્મિક સંગઠનો અને જૂથોને આ પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે, અને એટલે તેઓ સમિતિના સ્થાપક અને કાર્યાધ્યક્ષ ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા કરવા સુધી પહોંચ્યા છે. પુણેમાં ગત ૨૦ ઓગસ્ટ, 2013ના રોજ ડો. નરેન્દ્ર દાભોળકરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. મોર્નિંગ વોક પર નીકળેલા ડો. દાભોળકરને પીઠ પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને ગોળીથી વીંધી દેવાયા. ડો. નરેન્દ્ર દાભોળકરનો 'વાંક' એટલો જ હતો કે તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવા માગતા હતા. છેલ્લાં ૧૮ વર્ષથી તેઓ રાજ્યમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માટેની ચળવળ ચલાવી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ થકી રાજ્યમાં શ્રદ્ધા અને પરંપરાના નામે ચાલતાં ધતિંગો સામે લોકજાગૃતિની ઝુંબેશ ચલાવવાની સાથે સાથે સામાજિક બદીઓને દૂર કરવા માટે પ્રયાસરત હતા. પણ કહેવાતા ધાર્મિક સંગઠનો-જૂથોથી ડૉ. દાભોળકરની પ્રવૃત્તિને સમાજસુધારણાની દૃષ્ટિએ તો ક્યાંથી જોઈ શકે, કારણ કે તેમને ખ્યાલ હતો કે લોકો જાગૃત થઈ જશે તો આપણી અબજો કમાતી દુકાનો બંધ થઈ જશે.

ડૉ. નરેન્દ્ર દાભોળકરનું નામ સામાન્ય ગુજરાતીઓ માટે કદાચ અજાણ્યું છે. ૧ નવેમ્બર, ૧૯૪૫ના રોજ સતારામાં જન્મેલા ડો. નરેન્દ્ર દાભોળકર વ્યવસાયે ડોક્ટર હતા. તેમણે એમબીબીએસની ડિગ્રી મેળવ્યા પછી લગભગ બાર વર્ષ સુધી પ્રેક્ટિસ ચલાવી પરંતુ તેમને શારીરિક રોગો કરતાં સામાજિક રોગો વધારે ખતરનાક જણાયા. તેમણે શારીરિક રોગોના ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ બંધ કરીને સામાજિક ડોક્ટરની ભૂમિકા ભજવવાની શરૂ કરી. સામાજિક કાર્યકર તરીકે તેમને સમજાયું કે ધર્મ અને પરંપરાના નામે સમાજમાં જે ચાલે છે, તેનો ભોગ મોટા ભાગના લોકો બને છે, પરંતુ તેની સૌથી ખરાબ અસર ગરીબ લોકો પર પડતી હોય છે. નદીમાં મૂર્તિ વિસર્જનથી ફેલાતું પ્રદૂષણ હોય કે જ્ઞાતિ પંચાયતોના રૂઢીચુસ્ત વલણો, તેમણે ધર્મ-પરંપરાના નામે ચાલતાં ધતિંગોનો તમામ સ્તરે વિરોધ કર્યો. તેમણે અંધશ્રદ્ધાના મુદ્દે અગિયાર પુસ્તકો લખ્યાં હતાં. સાને ગુરુજીએ શરૂ કરેલા સાધના’ સામયિકના તંત્રી તરીકે પણ તેમણે સમાજની અનેક બદીઓને ખુલ્લી પાડી હતી અને તેનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માથે તેઓ આજીવન મથતા રહ્યા હતા. આ કાયદાને કેબિનેટમાં મંજૂરી મળ્યા છતાં વિધાનસભામાં રજૂ કરવામાં થઈ રહેલાં ઠાગાઠૈયાં બાબતે તેઓ નારાજ હતા. કોંગ્રેસ-એન.સી.પી.ની રાજ્ય સરકાર પાસે પૂરતી બહુમતી હોવા છતાં ભા.જ.પ.-શિવસેનાનો વિરોધ અને મત ગુમાવવાના ડરે તે આ કાયદો લાવતા ડરી રહી હતી, જો કે, ડો. દાભોળકરની હત્યા પછી તેઓ સફાળા જાગ્યા અને હવે રાતોરાત કાયદાનો વટહુકમ લાવવાનું સૂઝ્યું છે. વિધાનસભામાંથી આ કાયદાનું વિધેયક પણ પસાર થશે, છતાં પણ ગઢ આલા, સિંહ ગેલા જેવી દુઃખદ સ્થિતિ સર્જાયાનો અફસોસ કાયમ રહેશે.

કહેવાતા ધાર્મિક ગુરુઓ અને પરંપરા-પોલીસ બની બેઠેલાં સંગઠનોને ધર્મ અને પરંપરાની બદીઓને તાર્કિક રીતે પડકારનારા આંખના કણાની જેમ ખૂંચે છે. ધાક-ધમકી કે સામાજિક દબાણોને અવગણવાનું સાહસ કરનારાની હાલત ડો. દાભોળકર જેવી કરવામાં આવે છે, શું આપણે આવું ચલાવી લેવું જોઇએ? ધર્મના નામે ધતિંગ ચલાવનારા સામે આંખ ઉઘાડવાનો અને લાલ કરવાનો સમય ક્યારનો ય પાકી ગયો છે. 

(25 ઑગસ્ટ, 2013ના રોજ ‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, August 24, 2016

જ્યારે વ્હાઇટહાઉસ ભડકે બળ્યું

દિવ્યેશ વ્યાસ


1812ના યુદ્ધમાં બ્રિટિશ આર્મીએ વૉશિંગ્ટન ડીસીમાં વ્હાઇટહાઉસ સહિતની જાહેર ઇમારતોને આગ ચાંપેલી

(તસવીરો વિકિસ્રોત અને અન્ય વેબસાઇટ પરથી લીધેલી છે.)

અમેરિકામાં પ્રમુખપદ માટે ચૂંટણી લડનારાં હિલેરી ક્લિન્ટન અને ડોનલ્ડ ટ્રમ્પને આજકાલ કદાચ વ્હાઇટહાઉસમાં વસવાનાં સ્વપ્નો આવી રહ્યાં હશે. વ્હાઇટહાઉસ એક ઇમારત જ નથી, પરંતુ દુનિયાની એકમાત્ર મહાસત્તાના પાવરનું પ્રતીક બની ગયું છે. પણ, શું તમે કલ્પના કરી શકો કે આ જ વ્હાઇટહાઉસને વિરોધી દેશના સૈન્યએ આગ ચાંપી દીધી હતી? હા, વ્હાઇટહાઉસ એક દિવસ ભડકે બળ્યું હતું અને વ્હાઇટહાઉસને આગ લગાડનાર સૈન્ય હતું બ્રિટનનું! અમેરિકાના ઇતિહાસમાં તેની રાજધાની વૉશિંગ્ટન ડીસી પર માત્ર એક જ વાર દુશ્મન દેશ કબજો કરી શક્યું છે. વૉશિંગ્ટન પર પહેલી અને છેલ્લી વાર કબજો કરીને બ્રિટિશ આર્મીએ માત્ર વ્હાઇટહાઉસ જ નહીં, અમેરિકી સરકારના મુખ્યાલય કેપિટલ, યુએસ ટ્રેજરી બિલ્ડિંગ, યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ વૉર સહિતની અમેરિકન સરકારની મહત્ત્વપૂર્ણ ઇમારતોને આગ ચાંપી દેવાઈ હતી. કેપિટલ બિલ્ડિંગની સાથે સાથે લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસના 30,000 જેટલા ગ્રંથો અને ઐતિહાસિક દસ્તાવેજો આગમાં ખાખ થઈ ગયા હતા.

છેલ્લી બે સદીથી અમેરિકા અને બ્રિટન દુનિયાના કોઈ પણ દેશ સામે ખભેખભો મિલાવીને લડે છે, પરંતુ એક જમાનો એવોય હતો જ્યારે બ્રિટિશ અને અમેરિકા પણ સામસામે યુદ્ધે ચડતાં હતાં. વાત 1812ની છે જ્યારે અમેરિકાએ બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું હતું, એ વખતે બ્રિટિશ આર્મી નેપોલિયન સામે કરો યા મરોનો જંગ ખેલી રહ્યું હતું. 1814માં નેપોલિયનને પરાસ્ત કરીને બ્રિટિશ આર્મીએ અમેરિકાને પાઠ ભણાવવા માટે કમર કસી હતી. બ્રિટિશ આર્મીએ અમેરિકાનાં કેટલાંક બંદરો જીતી લીધાં હતાં. અમેરિકાનું સૈન્ય એ વખતે એટલું મજબૂત નહોતું. વળી, અમેરિકાના ચોથા રાષ્ટ્રપ્રમુખ જેમ્સ મેડીસનને અમેરિકાના સૈન્ય અને શસ્ત્રસરંજામને સમૃદ્ધ-શક્તિશાળી બનાવવાની જરૂર નહોતી વર્તાતી એટલે અમેરિકામાં મોટા પ્રમાણમાં તાલીમબદ્ધ સૈનિકો કે આધુનિક શસ્ત્રોનો અભાવ હતો. આ નબળાઈને કારણે જ મેરીલેન્ડના બ્લેડન્સબર્ગ ખાતે બ્રિટિશ આર્મી સામે અમેરિકાના જવાનો ખાસ ઝીંક ઝીલી શક્યા નહોતા. અમેરિકાના પ્રમુખ મેડીસન પોતે બ્લેડન્સબર્ગનું યુદ્ધ લડ્યા હતા, છતાં અમેરિકાએ ભૂંડા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય વાત એ છે કે જેમ્સ મેડીસન અમેરિકાના પહેલા અને છેલ્લા એવા રાષ્ટ્રપ્રમુખ છે, જેમણે સામી છાતીએ યુદ્ધ લડ્યું હોય!

એ સમયે પ્રેસિડેન્સિયલ મેન્સન કહેવાતા વ્હાઇટહાઉસને આગ લગાડાયેલી પણ વરસાદી વાવાઝોડાએ આગ બુઝાવી દીધી હતી.

 બ્લેડન્સબર્ગમાં અમેરિકાને પરાસ્ત કરીને બ્રિટિશ આર્મીએ મેજર જનરલ રોબર્ટ રોસની આગેવાનીમાં અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસી તરફ કૂચ કરી હતી. યુદ્ધમાં અમેરિકા હાર્યાના સમાચારને કારણે રાજધાનીમાંથી પ્રધાનો, રાજકીય નેતાઓ અને અધિકારીઓ વૉશિંગ્ટન છોડીને ભાગી ગયા હતા. રોબર્ટ રોસને ખુલ્લું મેદાન મળી ગયેલું અને તેણે આજના દિવસે એટલે કે ઈ.સ. 1814ની 24મી ઑગસ્ટના રોજ વૉશિંગ્ટન પર આસાનીથી કબજો જમાવી દીધો હતો. ખાલી પડેલા વ્હાઇટહાઉસમાં, જેને ત્યારે પ્રેસિડેન્સિયલ મેન્સન કહેવાતું તેમાં રોબર્ટ રોસે વટભેર ભોજન લીધું હતું અને પછી બ્રિટિશ આર્મીએ વ્હાઇટહાઉસ સહિતની અમેરિકી સરકારની ઇમારતોને આગ ચાંપવાનું શરૂ કર્યું હતું અને અમેરિકાની રાજધાની ભડભડ બળી હતી. એ દિવસે કુદરત અમેરિકાની વહારે આવી હતી અને વરસાદી વાવાઝોડુ ફૂંકાતાં લગાડવામાં આવેલી આગ બુઝાઈ ગયેલી અને વધુ નુકસાન અટક્યું હતું.


કહેવાય છે કે અમેરિકન દળોએ અગાઉ કેનેડાની સરકારી ઇમારતોને આગ ચાંપી હતી, તેનો આ રીતે બદલો લેવામાં આવ્યો હતો. જોકે, બિટિશ આર્મીએ એક દેશની રાજધાની અને સંસદને આ રીતે સળગાવી હોવાની ટીકા ખુદ બ્રિટનમાં મોટા પાયે થઈ અને બ્રિટિશ આર્મીએ 26મી ઑગસ્ટે વૉશિંગ્ટન પરનો કબજો છોડી દીધો હતો. બાદમાં તો યુદ્ધ પણ પૂરું થયું અને અમેરિકામાં રાજધાની કોઈ અન્ય શહેરમાં ખસેડવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. અલબત્ત, અમેરિકી સંસદે વૉશિંગ્ટનને જ રાજધાની રાખવાનો નિર્ણય કર્યો હતો. 1815થી 1819 દરમિયાન કેપિટલ બિલ્ડિંગ અને 1815થી 1817 દરમિયાન વ્હાઇટહાઉસનું પુનર્નિર્માણનું કામ ચાલ્યું હતું. આ પરાજય અને નાલેશી પછી જ અમેરિકાએ પોતાનાં સૈન્ય અને શસ્ત્રોને સશક્ત-સક્ષમ બનાવવા કમર કસી હતી.

(‘દિવ્ય ભાસ્કર’ની 24 ઑગસ્ટ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, August 17, 2016

સ્મરણ રાજીવનું, વાત સરહદની

દિવ્યેશ વ્યાસ


દેશનાં સરહદી ગામોના વિકાસમાં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું યોગદાન ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવ્યું છે

(અહીં મૂકેલા ગ્રાફિકની ડિઝાઇન શોએબ મન્સુરીએ કરેલી છે.)

જુલાઈ મહિનામાં ગુજરાત રાજ્યના સરહદી ગામોમાં જવાનું થયું. ધારણા તો એવી હતી કે સાવ સરહદને અડીને આવેલાં છેવાડાનાં ગામડાંઓની હાલત તો કેવીય ગંભીર હશે. અગવડો અપાર હશે અને સમસ્યાઓ પારાવાર હશે. નહીં હોય રસ્તાનાં ઠેકાણાં, નહીં મળે વાહનવ્યવહારની સુવિધા, શિક્ષણ અને આરોગ્ય ‘દૂર’ની વાત હશે, લોકો પાણી અને વીજળીના નામે તોબા પોકારતા હશે, પણ ધાર્યા કરતાં ચિત્ર ઘણું ઊજળું નીકળ્યું. મોટા ભાગનાં ગામો સુધી પાક્કા-ડામરના રસ્તાઓ હતા અને પ્રમાણમાં સારી સ્થિતિમાં હતા. ગામોની અંદર આરસીસી રોડ હતા. કોઈ ગામ એવું નહોતું જ્યાં વીજળીની સુવિધા ન હોય. શાળાઓ હતી અને પૂરતા વર્ગખંડો પણ હતા. જોકે, શિક્ષકોનો અભાવ હતો, પરંતુ વિદ્યાર્થીઓની જરાય અછત નહોતી! એસટી એકાદ આવતી હોય કે એકેય આવતી જ ન હોય છતાં બસસ્ટેન્ડ બંધાયેલાં હતાં. પાણીની સમસ્યા છે, છતાં સરકાર દ્વારા રણકાંઠાનાં ગામોમાં ક્યાંક પાઇપલાઇનથી તો ક્યાંક ટેન્કરથી પાણી પહોંચતું હતું. એકંદરે એવું લાગ્યું કે 70 વર્ષ જૂની આઝાદીનાં ફળ સરહદી ગામોમાં ‘વિશેષ’ પહોંચ્યાં છે! આ ‘વિશેષ’નું રહસ્ય ઉકેલવા મથતાં હતાં ત્યાં રાપર તાલુકાના બેલા ગામના આગેવાન લક્ષ્મણસિંહ વાઘેલાને મળવાનું થયું.

58 વર્ષના લક્ષ્મણસિંહે વાત વાતમાં આઝાદીનાં ફળ સરહદી ગામોમાં ‘વિશેષ’ કઈ રીતે પહોંચ્યાં તેનું રહસ્ય ખોલી આપ્યું. તેમણે BADP નામની કેન્દ્ર સરકારની યોજના અમને સમજાવી. BADPનું પૂરું નામ થાય છે - બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ચલાવાતી આ યોજના અંતર્ગત સરહદથી 1-10 કિલોમીટરના વિસ્તારમાં આવેલાં ગામોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે વિશેષ નાણાં ફાળવવામાં આવે છે. 100 ટકા કેન્દ્ર સરકારના ભંડોળથી ચાલતી આ યોજનાનો વહીવટ સીધો જિલ્લા કલેક્ટર દ્વારા થાય છે અને તેને કારણે પ્રોજેક્ટ અંતર્ગતનાં વિકાસ-કાર્યોમાં ભ્રષ્ટાચારની શક્યતાઓ પણ ઘટી જાય છે. કેન્દ્ર સરકાર દર વર્ષે સરહદી ગામોની આ યોજના માટે માતબર રકમ ફાળવતી આવી છે, એટલે સરહદનાં ગામોમાં રોડ, વીજળી, પાણી સહિતની મૂળભૂત જરૂરિયાતની સુવિધાઓ તથા ખેતીમાં સિંચાઈ માટે આવશ્યક ચેકડેમ, ડેમ, તળાવ વગેરે માટે પણ પૂરતાં નાણાં મળી રહે છે. લક્ષ્મણસિંહ કહે છે કે અમને આ યોજનાનો લાભ મળતો હોવાથી અમારા જ તાલુકાનાં અન્ય ગામના લોકો અને નેતાઓને અમારી ઈર્ષા આવતી હોય છે!


યોજનાની વાત જાણીને ‘વિશેષ’નું રહસ્ય ખૂલ્યું ત્યાં લક્ષ્મણસિંહે વધુ એક ધડાકો કર્યો કે આ યોજના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ શરૂ કરાવી હતી. આ વાત જાણીને અમને આશ્ચર્ય થયું એટલે આ અંગે ખરાઈ માટે રાપર વિસ્તારના રાજકીય નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર બાબુ મેઘજી શાહ સાથે વાત કરી. બાબુભાઈએ જાણકારી આપી કે 80ના દાયકામાં કચ્છમાં સળંગ ચાર દુષ્કાળ પડેલા ત્યારે ઈ.સ. 1986માં અછતગ્રસ્ત વિસ્તારની મુલાકાત અર્થે રાજીવ ગાંધી રાપર તાલુકાના આણંદપર ગામે આવ્યા હતા. અહીં સરહદી ગામની પારવાર સમસ્યાઓ અને સુવિધાના અભાવ અંગે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે તેમને સરહદી વિસ્તારમાં ગમે તેમ કરીને વિકાસ થવો જ જોઈએ, એ વાત તેમના મનમાં ઠસી ગઈ અને પછી તરત બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ નામની યોજના શરૂ કરવામાં આવી.

1986માં માત્ર પાકિસ્તાનની સરહદે આવેલાં રાજ્યો - જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત માટે શરૂ કરાયેલી BADP યોજના આજે દેશના 17 રાજ્યોમાં અમલમાં છે. આ વર્ષે સરકારે આ યોજના માટે 990 કરોડ રૂપિયા જેટલું બજેટ ફાળવ્યું છે. ગત જુલાઈમાં જ કેન્દ્ર સરકાર દ્વારા BADP માટે નવી માર્ગરેખાઓ જારી કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત સ્વચ્છતા અભિયાન અને સ્કિલ ઇન્ડિયા જેવી નવી યોજનાઓને પણ જોડવામાં આવી છે.

રાજીવ ગાંધીને આપણે ડિજિટલ રિવોલ્યુશનના પ્રણેતા તરીકે યાદ કરીએ છીએ, પરંતુ સરહદી વિસ્તારના વિકાસ માટેનું તેમનું વિઝન અને જબરદસ્ત યોજના શરૂ કરીને સફળ બનાવવા માટેનું તેમનું યોગદાન ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવ્યું છે. રાજીવ ગાંધીની દૃષ્ટિને કારણે જ આપણી સરહદો ઘૂસણખોરોના સ્વર્ગ સમી નો મેન્સ લેન્ડ બનતાં બનતાં બચી છે અને સરહદી ગામોમાં માળખાકીય સુવિધા અને રોજગારી પ્રાપ્ત થતાં લોકોની હિજરત અટકી છે. રાજીવ ગાંધીના આ યોગદાનના સ્મરણ સાથે તેમને સલામ!

(‘દિવ્ય ભાસ્કર’ની 17મી ઑગસ્ટ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’  કૉલમ-બિનસંપાદિત)

Wednesday, August 10, 2016

નિર્દોષ ‘ગુડિયા’ અને મેલી ગંગા

દિવ્યેશ વ્યાસ


દેશના પવિત્ર શહેર બનારસમાં ચાલતા રેડલાઇટ એરિયાની યુવતીઓની હૃદયદ્રાવક કહાણી





‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મ 25મી જુલાઈ, 1985ના રોજ રિલીઝ થયેલી. આ ફિલ્મના અતિ જાણીતા શીર્ષક ગીત ‘રામ તેરી ગંગા મૈલી હો ગઈ પાપીઓં કે પાપ ધોતે ધોતે...’ને પાક્કાં 31 વર્ષ વીતી ગયાં છે, પરંતુ ‘ગંગા’ આજે પણ મેલી જ રહી છે, પાપીઓનાં પાપ ધોવામાંથી તેને મુક્તિ મળી નથી! આ વાત પર વિશ્વાસ ન આવતો હોય તો યુટ્યૂબ પર જઈને ‘ગુડિયા’ નામની માંડ 13 મિનિટ્સની ટૂંકી ડૉક્યુમેન્ટરી ફિલ્મ એક વાર જોઈ લેવી.

દેશનાં સૌથી પ્રાચીન શહેરોમાંનું એક બનારસ (વારાણસી) સદીઓથી પવિત્ર યાત્રાધામ તરીકે વિખ્યાત છે. લોકો અહીં ગંગામાં ડૂબકી લગાવીને પોતાનાં પાપ ધોવાઈ જાય, એવી કામના કરે છે અને વિરોધાભાસ તો જુઓ કે આ જ શહેરના એક છેડે યુવતીઓ જ નહીં બાળાઓ સાથે પણ પાપલીલા આચરવામાં આવતી હોય છે. લગભગ દેશભરમાંથી બાળાઓ-યુવતીઓને અહીં લઈ આવવામાં આવે છે અને તેમની પાસે બળજબરીથી દેહવેપાર કરાવાય છે. અહીંના રેડલાઇટ એરિયાની યુવતીઓની જિંદગી નર્કથી પણ બદતર હોય છે. ચિંતાજનક અને આક્રોશપ્રેરક હકીકત એ છે કે આ રેડલાઇટ એરિયાના ગોરખધંધા પોલીસના નાક નીચે જ, તેમની સહમતિ નહીં, સહભાગીદારીથી જ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. યુવા ફિલ્મકાર અનિકેત તારી અને જોયના મુખરજીએ બનારસના શિવદાસપુર વિસ્તારમાં ચાલતા રેડલાઇટ એરિયામાં દેહવેપાર માટે મજબૂર કરાયેલી ત્રણ યુવતીઓની હૃદયદ્રાવક વીતકકથા ‘ગુડિયા’ નામની ડોક્યુમેન્ટરીમાં રજૂ કરી છે.

(‘ગુડિયા’ ડોક્યુમેન્ટરી તમારે જોવી હોય તો નીચે દેખાતા ચિત્ર પર ક્લિક કરવું)




જોરજબરજસ્તીની સાથે સાથે અનેક જુલમો વિતાડીને કઈ રીતે આ યુવતીઓને આ દોજખમાં ધકેલવામાં આવી તેની વાત તેમના જ મોંએ સાંભળતાં તમારાં રૂંવાડાં ઊભાં થયા વિના રહે નહીં. રુહી અને પ્રિયા નામની અનુક્રમે 13 અને 17 વર્ષની તરુણીઓએ કેમેરા સમક્ષ પોતાની વાત મૂકવાની હિંમત કરી છે. 17 વર્ષની પ્રિયા પોતાની વીતકકથા જણાવતાં કહે છે, ‘તેમણે મને એટલી સખત રીતે પકડી રાખેલી કે હું પૂરો શ્વાસ પણ ન લઈ શકું. મેં બૂમાબૂમ કરી, પણ મારી મદદ કરવા કોઈ ન આવ્યું. પેલા બે જણાએ બે દિવસ સુધી મારા પર બળાત્કાર ગુજાર્યો. મારા પર લાતો અને લાફાનો વરસાદ વરસાવાયો અને મને મુંબઈ મોકલી અપાઈ. ચોરસિયા નામના કોઈ પોલીસકર્મીએ પેલા યુવકોને કહેલું કે આને એવી જગ્યાએ પહોંચાડી દઈશ, જ્યાંથી એ ક્યારેય પાછી ફરી શકશે નહીં. આ પૃથ્વી પર સ્વર્ગ અને નર્ક કેવું હોય એ કોઈએ જાણવું હોય તો એક દિવસ આ રેડલાઇટ એરિયામાં રહી આવવું જોઈએ.’ બીજી યુવતીએ જણાવેલું કે તેના જ મિત્રએ તેને ફસાવીને પછી અહીં વેચી દીધી હતી અને તેને આ ધંધામાં ધકેલવામાં આવી ત્યારે તેની ઉંમર માંડ 12 વર્ષની હતી.

આ રેડલાઇટ એરિયામાં 12 વર્ષની તો ઠીક 5 વર્ષની બાળાઓને પણ ગંદા વ્યવસાયમાં ધકેલી દેવાતી હોય છે. ડોક્યુમેન્ટરીમાં કહેવાયું છે કે આ ધંધો ચલાવનારા બાળાઓને હોર્મોનના ઇન્જેક્શન આપી આપીને નાની ઉંમરે ધંધો કરાવવાલાયક બનાવતાં પણ અચકાતા નથી. આ વિસ્તારની મોટા ભાગની યુવતીઓ એઇડ્સ સહિતના ચેપી રોગોથી પીડાતી હોય છે.

આ ડૉક્યુમેન્ટરીમાં અજિત સિંહ અને મંજુ સિંહ નામના દંપતી દ્વારા ચલાવાતી  ‘ગુડિયા’ નામની સમાજસેવી સંસ્થાની કામગીરી દર્શાવવામાં આવી છે. ડૉક્યુમેન્ટરીમાં અજિતભાઈ શબ્દો ચોર્યા વિના કહે છે કે, ‘પોલીસની રહેમનજર હેઠળ જ આ ગોરખધંધા ચાલે છે. પોલીસની સંડોવણી એટલી મજબૂત છે કે ધંધો કરાવનારા વિરુદ્ધ કોઈ ફરિયાદ પણ નોંધાવી શકતું નથી.’ વિસ્ફોટક વાત તો એ છે કે હોસ્પિટલમાંથી નવજાત બાળાઓને પણ ઉઠાવી જઈને આ ધંધા કરનારાઓને વેચી દેવાતી હોય છે. આ ધંધામાં ફસાઈ ગયેલી યુવતીઓનું સમાજમાં પુનર્સ્થાપન પણ બહુ મોટો પડકાર હોય છે, કારણ કે મોટા ભાગે તો તેનાં માતા-પિતા પણ તેને અપનાવતાં અચકાતાં હોય છે.

અલબત્ત, છેલ્લા કેટલાક સમયથી એવા સંજોગો પેદા થયા છે કે કાળાં વાદળોમાં ન્યાયની રૂપેરી કોર જોવા મળી રહી છે. અલાહાબાદ હાઈકોર્ટના આદેશ પછી  યુવતીઓનું વેચાણ કરનારા આશરે 500 જેટલા નરાધમોની ધરપકડ બાદ તેમને જામીન આપવાનો ઇનકાર કરાયો છે.

ગંગાના શુદ્ધીકરણની સાથે સાથે આવી ‘ગુડિયા’ને પણ સ્વાવલંબી-સ્વમાનપૂર્ણ જીવન મળે, એવું કંઈક કરવાની તાતી જરૂર છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 10મી ઑગસ્ટ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)


Tuesday, August 9, 2016

સુતોમુની સ્ટોરી : રામ રાખે તેને કોણ ચાખે

દિવ્યેશ વ્યાસ


પરમાણુ બોમ્બના અસરગ્રસ્ત તરીકે સુતોમુ હંમેશાં કહેતા, "પરમાણુ બોમ્બને હું ધિક્કારું છું, કારણ કે તે માનવીય ગરિમાને છાજે એવા નથી."



(તસવીર http://www.npr.org પરથી મેળવી છે.)

આજથી બરાબર ૭૦ વર્ષ પહેલાં (વર્ષ 2015માં લેખ લખાયેલો એટલે એ મુજબ ગણતરી કરવી) જાપાનમાં જ્યારે એક પછી એક બે શહેરો પર પરમાણુ હુમલો કરવામાં આવ્યો ત્યારે માનવ જાતે જે વિનાશ જોયો હતો તે આજે પણ ભુલાયો નથી. આશરે ૨,૫૦,૦૦૦ને એક ક્ષણમાં મોતના મુખમાં ધકેલનારા આ બે બે પરમાણુ વિસ્ફોટોમાંથી એક વ્યક્તિ બચી ગઈ હતી, જેનું નામ છે - સુતોમુ યામાગુચી.

સુતોમુને જાપાન સરકાર દ્વારા સત્તાવાર રીતે બે બે પરમાણુ હુમલામાંથી બચી જનારા એક માત્ર અસરગ્રસ્ત તરીકે જાહેર કરાયા હતા. ૨૦૧૦ની સાલમાં ૯૩ વર્ષની વયે લાંબું આયુષ્ય ભોગવીને સુતોમુનું નિધન થયું ત્યારે નાગાસાકીના મેયરે તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહેલું, એક મૂલ્યવાન વાર્તા કહેનાર અમે ગુમાવ્યા છે. દુનિયાના સર્વપ્રથમ પરમાણુ હુમલાને નજરે નિહાળનારા સુતોમુ પરમાણુ શસ્ત્રોની વિનાશકતાને એટલી સચોટ રીતે વર્ણવતા કે પરમાણુ શસ્ત્રો પર રીતસર નફરત થઈ જાય.

સુતોમુની આખી સ્ટોરી જોઈએ તો ૧૬ માર્ચ, ૧૯૧૬ના રોજ નાગાસાકીમાં જ તેમનો જન્મ થયો હતો. સુતોમુ ભણીગણીને એન્જિનિયર બનેલા. તેઓ પરમાણુ હુમલાનો ભોગ બન્યા ત્યારે મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયર તરીકે જ નોકરી કરતા હતા. નાગાસાકીના રહેવાસી એવા સુતોમુ કંપનીના કામસર જ હિરોશિમા ગયા હતા. હિરોશિમામાં તેઓ ત્રણ મહિના રોકાયા હતા અને બરાબર છઠ્ઠી ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ તેઓ પોતાના બે સાથી કર્મચારી સાથે નાગાસાકી જવા નીકળ્યા હતા. તેઓ રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ સુતોમુને યાદ આવ્યું કે તેઓ ઓળખ કાર્ડ તો કંપનીની ઓફિસમાં ભૂલી આવ્યા છે. સાથીઓને જવા દઈને પોતે પાછા ફર્યા અને બરાબર એ જ વખતે હિરોશિમા પર અમેરિકા દ્વારા ઝીંકાયો લીટલ બોય નામનો પરમાણુ બોમ્બ અને એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં જીવતું જાગતું શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું.

સુતોમુ નજરે નિહાળેલી પરમાણુ વિસ્ફોટની એ ઘટના વિશે કહેતા કે તેઓ પોતાના મિત્રોને રવાના કરીને ઓફિસ તરફ પાછા ફર્યા ત્યારે તેમણે શહેરના આકાશ પર એક વિમાન ઊડતું જોયું. બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં હિરોશિમા ઉપર યુદ્ધવિમાનોનું ઊડવું સ્વાભાવિક હતું. સુતોમુએ વિમાનમાંથી પેરાશૂટ નીચે આવતાં જોયાં અને આંખ મટકું મારે ત્યાં સુધીમાં તો તેમણે આંખો આંજી નાખે એવો ધડાકાભેર મોટો ભડકો જોયો અને પછી કાળા ધુમાડાનો મોટો ગોળો ઉછળ્યો. જાણે સળગતો સૂરજ ઉપરથી ધરતી પર પડયો હોય એવું લાગેલું. શહેરની વચ્ચોવચ્ચ ફેંકાયેલા બોમ્બના ત્રણેક કિલોમીટરના ઘેરાવામાં રહેલા સુતોમુનું ઉપરનું અરધું શરીર દાઝી ગયું. માથાના તમામ વાળ બળી ગયા હતા. પરમાણુ બોમ્બની જ્વાળા જોવાને કારણે તેમની આંખે થોડાક કલાકો માટે અંધાપો આવી ગયેલો અને ધડાકાના અવાજને કારણે એક કાનનો પડદો ફાટી ગયો હતો.

એ દિવસે હિરોશિમામાં ૮૦,૦૦૦ લોકો ઓન ધ સ્પોટ મરણને શરણ થયેલા અને રેડિયેશનની અસરને કારણે માત્ર એક મહિનાના ગાળામાં બીજા ૬૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવેલો. ખરા અર્થમાં 'મરદ' એવા સુતોમુ ઘાયલ હોવા છતાં હિંમત નહોતા હાર્યા અને બીજા જ દિવસે પોતાના શહેર નાગાસાકી જવા નીકળી ગયેલા.

નાગાસાકી જઈને તેઓ ૯મી તારીખે તો કંપનીની ઓફિસે પણ પહોંચી ગયેલા. તેઓ ઓફિસમાં પોતાના ઉપરી અધિકારી સાથે હિરોશિમાના પરમાણુ હુમલા અને સર્જાયેલા વિનાશની વાત જ કરતા હતા કે નાગાસાકી પર અમેરિકા દ્વારા ફેટ મેન નામનો બીજો પરમાણુ બોમ્બ ઝીંકવામાં આવ્યો. આ ઘટના અંગે સુતોમુ કહેતા કે મને તો લાગ્યું કે મશરૂમ આકારનો ગોળો હિરોશિમાથી છેક મારી પાછળ પાછળ અહીં પણ આવી પહોંચ્યો. હું જાણે કોઈ નરકમાંથી પસાર થઈ રહ્યો હોય એવો નાગાસાકીનો માહોલ હતો. નાગાસાકીમાં ૭૦,૦૦૦ લોકો માર્યા ગયેલા પણ સુતોમુ બીજી વખત પણ બચી ગયા.

સુતોમુએ પોતાના અનુભવ અંગે પુસ્તક લખેલું છે. પરમાણુ બોમ્બની પીડા અંગે તેમણે અનેક કાવ્યો પણ રચ્યાં હતાં. સુતોમુ આજીવન પરમાણુ શસ્ત્રોની નાબૂદી માટે મથતા રહેલા. સુતોમુ કહેતાં કે "બે બે પરમાણુ વિસ્ફોટોમાંથી મારા ચમત્કારિક બચાવ પછી મારી જવાબદારી બને છે કે દુનિયાના લોકો સુધી સાચી વાત પહોંચાડું."

પરમાણુ બોમ્બના અસરગ્રસ્ત તરીકે તેઓ હંમેશાં કહેતા, "પરમાણુ બોમ્બને હું ધિક્કારું છું, કારણ કે તે માનવીય ગરિમાને છાજે એવા નથી." સુતોમુને લકીએસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ ગણવામાં આવે છે, જોકે તેઓ ખુદને જરાય ભાગ્યશાળી માનતા નહોતા, કારણ કે તેમણે પોતાની નજરે લાખો લોકોને મોતના મુખમાં ધકેલાતા જોયા હતા. બુદ્ધ ધર્મ પાળતા સુતોમુનું સપનું હતું - પરમાણુ શસ્ત્રો-મુક્ત વિશ્વ. સુતોમુનું સપનું સાકાર નહીં થાય અને ફરી પરમાણુ શસ્ત્રો વપરાશે તો સુતોમુ જેવું ભાગ્ય કોની પાસે હશે?

(‘સંદેશ’ની 9મી ઑગસ્ટ, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, જેને વિપુલભાઈ કલ્યાણીએ ઓપિનિયનની વેબસાઇટ (http://opinionmagazine.co.uk/details/1562/સુતોમુની-સ્ટોરી-:-રામ-રાખે-તેને-કોણ-ચાખે) પર શેર કરેલું તથા વિચારપત્ર ‘નિરીક્ષક’માં પણ આ લેખ રીપ્રિન્ટ કરાયો હતો.)

Wednesday, August 3, 2016

ઓબામા રિટાયર્ડ થાય છે

દિવ્યેશ વ્યાસ


નોબેલ વિજેતા અમેરિકી પ્રમુખ ઓબામા નિવૃત્તિ પછી શું કરશે, એની ચર્ચાએ જોર પકડ્યું છે

(તસવીર ગૂગલ પરથી લીધી છે.)

દર ચાર વર્ષે યોજાતી અમેરિકન પ્રમુખની ચૂંટણી આંતરરાષ્ટ્રીય મીડિયા માટે એક મહાઉત્સવ બની રહેતી હોય છે. આજકાલ તમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય વેબસાઇટ વાંચશો કે ન્યૂઝ ચેનલ જોશો તો તમને ડોનલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટનનાં નિવેદનો અને તેમના વિવાદોની આજુબાજુ ગરબા લેતી અનેક ન્યૂઝ સ્ટોરીઝ તમને વાંચવા-જોવા મળશે. પ્રમુખપદના ઉમેદવારોના સમાચારોની સાથે સાથે નિવૃત્ત થઈ રહેલા લોકલાડીલા પ્રમુખ બરાક ઓબામાની વિદાયની પણ તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકાનો આગામી પ્રમુખ કોણ બનશે, એની ચર્ચાની સાથે સાથે નિવૃત્તિ પછી ઓબામા શું કરશે, એ મુદ્દો પણ બહુ ચર્ચાઈ રહ્યો છે. વ્હાઇટ હાઉસ છોડ્યા પછી ઓબામા ક્યાં રહેશે અને કેવી કેવી પ્રવૃત્તિઓ કરશે, એના વરતારા પણ સમયાંતરે બહાર પડતાં રહે છે.

ઓબામાની નિવૃત્તિ યોજના અંગે એટલી બધી ચર્ચા ચાલી છે કે હમણાં તો ખુદ ઓબામાએ પોતે નિવૃત્તિ પછી શું કરશે, એને લગતો એક રમૂજી વિડિયો જારી કર્યો હતો અને મહાસત્તાના સર્વસત્તાધીશ હોવા છતાં તેઓ કેટલા હળવા રહી શકે છે, તેનો વધુ એક પુરાવો પૂરો પાડ્યો હતો!

ઓબામા જાન્યુઆરી, 2017માં વ્હાઇટ હાઉસને અલવિદા કહી દેશે પછી ક્યાં રહેશે, તેને લગતાં પણ સમાચારો આવતા રહે છે. અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ તો બે મહિના પહેલાં જ વિશેષ અહેવાલમાં જણાવ્યું હતું કે નિવૃત્તિ પછી ઓબામા વૉશિંગ્ટનમાં જ રહેવાના છે અને શહેરના સૌથી અમીર વિસ્તારોમાંના એક એવા કેલોરમા વિસ્તારમાં નવ બેડરૂમ ધરાવતા ભવ્ય મકાનને ભાડે રાખીને રહેવાના છે. 8200 ચોરસ ફૂટનું આ વિશાળ મકાન વ્હાઇટ હાઉસથી માંડ ત્રણ-સવા ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. જોેકે, ઓબામાએ પણ વાત વાતમાં સંકેત આપ્યા હતા કે તેમની નાની દીકરી સાશાનો અભ્યાસ વૉશિંગ્ટનમાં ચાલી રહ્યો છે એટલે 2018માં સાશાની હાઇસ્કૂલ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ વૉશિંગ્ટનમાં જ રહેવાના છે.

ઓબામા પ્રમુખ બન્યા એ પહેલાંના તેમનાં બે પુસ્તકો ‘ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર’ અને ‘ધ ઑડિસિટી ઑફ હોપ’ બેસ્ટસેલર બન્યાં હતાં. નિવૃત્તિ પછી ઓબામા નવું કોઈ પુસ્તક લખશે એવી આશા-અપેક્ષા પણ ઘણા લોકો રાખી રહ્યા છે.

તાજેતરમાં જ એવા અહેવાલો ચમક્યા હતા કે બરાક ઓબામાએ પોતાની પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી અને મ્યુઝિયમ માટે શિકાગો ખાતેના જેક્શન પાર્કને પસંદ કર્યો છે. આ સ્થળ શિકાગો યુનિવર્સિટીની નજીક આવેલું છે, જ્યાંથી બરાક ઓબામા બંધારણીય લૉનો અભ્યાસ કર્યો હતો અને પોતાનું જાહેરજીવન શરૂ કર્યું હતું. અમેરિકામાં હાલમાં 13 પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી છે, જેમાં 14મી ઓબામાની લાઇબ્રેરી બનશે. પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરીમાં જે તે પ્રમુખના કાર્યકાળ સમયના દસ્તાવેજો અને તસવીરો સાચવી રાખવામાં આવતી હોય છે.

ઓબામા અમેરિકાના પ્રથમ આફ્રિકન-અમેરિકન પ્રમુખ બન્યા હતા. પ્રમુખ તરીકે બરાક ઓબામાએ દેશમાં રંગભેદ-વંશભેદ નાબૂદ કરવા માટે ઘણી મથામણ કરી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી અશ્વેત લોકોનો અસંતોષ-આક્રોશ વધ્યા છે ત્યારે ઘણા એવી પણ આશા રાખે છે કે ઓબામાં નિવૃત્તિ પછી આ મુદ્દાને લઈને સઘન પ્રવૃત્તિઓ આદરશે. મોટા ભાગના અમેરિકન પ્રમુખો નિવૃત્તિ પછી સામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય છે, એમાંય નોબેલ વિજેતા બરાક ઓબામા પાસે સમગ્ર વિશ્વના લોકોને વધારે અપેક્ષા રહેશે, એ સ્વાભાવિક છે. ઓબામાના તાજેતરના એક ભાષણના અંશ સાથે લેખ પૂરો કરીએ, “મારો ઉછેર મારા પિતા વિના થયો. હું આમતેમ ભટકતો રહ્યો, કારણ કે ચોક્કસ માર્ગની સમજ નહોતી. મારા અને અત્યારના યુવાનો વચ્ચે મુખ્ય તફાવત એ છે કે હું જે માહોલમાં પેદા થયો તે થોડો વધારે ઉદાર અને દયાળુ હતો. સમાજમાં ફરી આવો માહોલ રચવો એ મારા બાકીના કાર્યકાળ જ નહીં એ પછીની સમગ્ર જિંદગીનું મારું મિશન છે.” આશા રાખીએ, ઓબામાનું એ મિશન વહેલીતકે પૂર્ણ થાય.

(‘દિવ્ય ભાસ્કર’ની 3 ઑગસ્ટ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Tuesday, August 2, 2016

તિરંગાના સર્જકનું સ્મરણ અને સલામ

દિવ્યેશ વ્યાસ


‘ઝંડા વેંકૈયા’ તરીકે જાણીતા પિંગલી વેંકૈયાનો જન્મ દિવસ 2 ઑગસ્ટે આવે છે. આઝાદીની લડતમાં તેમના પ્રદાન અને યોગદાનને જાણવા જોઈએ


(તસવીરો પિંગલી વેંકૈયાના નામે ચાલતા ટ્રસ્ટની વેબસાઇટ અને ગૂગલ પરથી મેળવી છે.)

 તિરંગો મારી શાન છે, તિરંગો મારું અભિમાન છે ... વગેરે વાતો આપણાં ગીતો અને સંવાદોમાં વારંવાર સાંભળવા મળતી હોય છે, પરંતુ દેશની આન, બાન અને શાન સમા તિરંગાના સર્જક વિશે બહુ ઓછા લોકો જાણે છે.

તિરંગાના સર્જક છે - પિંગલી વેંકૈયા, જેમનો આજે જન્મ દિવસ છે. પિંગલી વેંકૈયાનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૮૭૬ના રોજ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમની નજીક ભટાલા પેનમરુ નામના ગામમાં થયો હતો. તમિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પિંગલી વેંકૈયાના પિતાનું નામ પિંગલી હનમંત રાયડુ અને માતનું નામ વેંકટરત્નમ્મા હતું. પિંગલી વેંકૈયાને આપણે માત્ર તિરંગાના સર્જક તરીકે જ નહીં પણ બહુઆયામી પ્રતિભા તરીકે પણ યાદ રાખવા જોઈએ. તેમને અનેક ક્ષેત્રોનું ઊંડું જ્ઞાન હતું. વેંકૈયાને હીરાની ખાણો વિશે એટલું જ્ઞાન હતું કે તેઓ 'ડાયમંડ વેંકૈયા' તરીકે પણ ઓળખાતા હતા તો કૃષિપેદાશના સંશોધનમાં પણ તેમનું મોટું યોગદાન હતું અને કપાસની એક જાત શોધી હોવાથી તેમને 'પત્તી વેંકૈયા' (કોટન વેંકૈયા) એવું નામ પણ મળ્યું હતું. તેમણે મછલીપટ્ટનમમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપીને કેળવણીકાર તરીકે પણ નામના મેળવી હતી. તેમના વિશે બહુ ઓછી વિગતો જાણીતી છે, બાકી તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ આજની પેઢીને પ્રેરણા પૂરી પાડે એવું છે.

પિંગલી વેંકૈયાએ મછલીપટ્ટનમમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેઓ વધુ અભ્યાસ માટે કોલંબો ગયા હતા. આગળ જતાં તેઓ બ્રિટિશ આર્મીમાં જોડાયા હતા. જોવાની વાત એ છે કે એ વખતે તેમને એંગ્લો-બોઅર યુદ્ધ માટે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં તેઓ મહાત્મા ગાંધીને મળ્યા હતા. ગાંધીજીને મળ્યા પછી તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા, પરંતુ ભારતીય આઝાદી આંદોલનમાં ગાંધીજીની કોઈ ભૂમિકા નહોતી એટલે ભારત આવીને તેમણે રેલવેમાં નોકરી કરી હતી. નાનકડા જાપાને યુદ્ધમાં જ્યારે ચીનને હરાવ્યું ત્યારે તેઓ જાપાનથી એટલા પ્રભાવિત થયેલા કે તેમણે જાપાનીઝ શીખવાનું નક્કી કર્યું. લાહોરની એંગ્લો-વેદિક કોલેજમાં ઉર્દૂ અને જાપાનીઝના અભ્યાસ માટે જોડાયા. લાહોરમાં તેઓ આઝાદી આંદોલન સાથે સઘનપણે સંકળાયા હતા.


૧૯૦૬માં કોલકાતા ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેની અધ્યક્ષતા દાદાભાઈ નવરોજીએ કરી હતી. દાદાભાઈએ પોતાના વક્તવ્યમાં વેંકૈયાની સક્રિયતાની નોંધ લીધેલી. એ વખતે અધિવેશનમાં યુનિયન જેકને લહેરાવવામાં આવ્યો હતો, જેને જોઈને વેંકૈયા બહુ વ્યથિત થયા હતા. એ દિવસથી જ તેમણે ભારતીય ધ્વજ તૈયાર કરવાનું મનોમન નક્કી કરી લીધું અને ભારતીય ધ્વજની ડિઝાઈન તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા. ૧૯૧૬માં તેમણે 'અ નેશનલ ફ્લેગ ફોર ઇન્ડિયા' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ માટે ૩૦ નમૂના તૈયાર કરીને રજૂ કર્યા હતા. તેમના આ પુસ્તકની નોંધ મહાત્મા ગાંધીએ પોતાના અખબારના તંત્રીલેખમાં પણ લીધી હતી. કાકીનાડામાં કોંગ્રેસના સંમેલનમાં પિંગલી વેંકૈયાએ ભારતનો પોતાનો ધ્વજ હોવો જોઈએ, એવી રજૂઆત કરી હતી. ગાંધીજીને તેમનો પ્રસ્તાવ પસંદ આવ્યો હતો અને તેમણે દેશનો ધ્વજ તૈયાર કરવાની જવાબદારી વેંકૈયાને જ સોંપી હતી. પાંચેક વર્ષના સમયગાળામાં પિંગલી વૈંકેયાએ ભારતીય ધ્વજની ડિઝાઇન પર કામ કર્યું હતું અને ૧૯૨૧માં વિજયવાડા ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનમાં મધ્યમાં ચરખો હોય એવો ધ્વજ રજૂ કર્યો હતો. લાલ અને લીલા રંગના બે પટ્ટામાં ચરખાનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું. આ ધ્વજ સૌ કોઈને બહુ પસંદ આવ્યો હતો. કોંગ્રેસના ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા નહોતી મળી છતાં તે કોંગ્રેસના કાર્યક્રમોમાં લહેરાવવામાં આવતો હતો. અમુક લોકોએ આ ધ્વજમાં સુધારાવધારા પણ સૂચવ્યા હતા. આખરે કેસરી, સફેદ અને લીલા રંગના તિરંગાની ડિઝાઇન ફાઇનલ થઈ, જેમાં વચ્ચે ચરખાનું ચિત્ર યથાવત્ રાખ્યું હતું. આ તિરંગાને ૧૯૩૧માં કરાચી ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા મળી હતી. આ જ તિરંગામાં ચરખાની જગ્યાએ અશોક ચક્રને સમાવીને ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ તેને આઝાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો.

જીવનનાં આખરી વર્ષો ગરીબીમાં વિતાવનારા પિંગલી વેંકૈયાનું નિધન ૪ જુલાઈ, ૧૯૬૩ના રોજ થયું હતું. ભારતને તિરંગાની ભેટ આપનારા પિંગલી વેંકૈયાને આપણે ભૂલી ગયા, એ શરમજનક હકીકત છે. તેમના મૃત્યુનાં પૂરાં ૪૬ વર્ષ પછી છેક ઓગસ્ટ-૨૦૦૯માં આપણી સરકારને તેમની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવાનું સૂઝ્યું હતું.

ખેર, આજે તેમના જન્મ દિવસે એટલું પ્રણ લઈએ કે જ્યારે જ્યારે તિરંગાને સલામ કરીશું ત્યારે પિંગલી વેંકૈયાનું સ્મરણ અચૂકપણે કરીશું.

(‘સંદેશ’ની 2 ઑગસ્ટ, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)