Wednesday, May 31, 2017

રીગનની મન કી બાત

દિવ્યેશ વ્યાસ


અમેરિકાના સૌથી વધુ લોકપ્રિય રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગન દર સપ્તાહે રેડિયો થકી દેશને સંબોધન કરતા હતા


(રોનાલ્ડ રીગનની આ તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બે કહેવતો જેટલો ફરક છે. મનમોહનસિંહ ‘ન બોલ્યામાં નવ ગુણ’માં માનતા હતા તો નમો ‘બોલે તેના બોર વેચાય’માં માને છે! મનમોહનસિંહની ‘મૌનીબાબા’ તરીકે મજાક પણ ઉડાડવામાં આવતી હતી તો સામે નમો માટે ‘મેરા ભાષણ હી મેરા શાસન હૈ!’ જેવી ટિખળ કરવામાં આવી રહી છે. કેટલાક નેતાઓ નિવેદનો આપવાના મામલે બેફામ હોય છે, છતાં મોટા ભાગના રાજકીય નેતાઓ ગણતરીપૂર્વકનું જ બોલતા હોય છે. કઈ વાત કહેવાથી લોકોમાં છવાઈ જવાશે અને કયા મુદ્દે કેટલો રાજકીય લાભ થશે, એનો લાંબો વિચાર કરીને જ નિવેદનો કે ભાષણો કરવામાં આવતાં હોય છે. કાબા રાજકારણીઓ જાણતા હોય છે કે ક્યારે ગળાફાડ ગર્જનતર્જન કરવું અને ક્યારે મીંઢું મૌન ધારણ કરી લેવું!

લોકો સુધી પોતાની વાત-વિચાર પહોંચાડવા માટે ભાષણ સર્વસામાન્ય અને સર્વસ્વીકાર્ય માધ્યમ છે. ભાષણનું પ્રસારણ કરવાનાં સાધનો સતત આધુનિક થતાં ગયાં છે. ભાષણને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે લાઉડસ્પીકરથી માંડીને ફેસબુક લાઇવ સુધીના વિકલ્પો વિકાસ પામ્યા છે. જોકે, આજથી 70-80 દાયકા પહેલાં કમ્યૂનિકેશન-ટેલિકમ્યૂનિકેશનનાં સાધનો સીમિત હતાં ત્યારે રેડિયોનો જમાનો હતો. સુભાષબાબુનું ‘તુમ મુઝે ખુન દો મૈં તુમ્હે આઝાદી દુંગા’થી માંડીને પં. જવાહરલાલ નેહરુનું ‘નિયતિ સાથે આપણે એક કરાર કર્યો હતો’વાળું ભાષણ રેડિયો થકી જ દેશવાસીઓ સુધી પહોંચ્યું હતું. આપણે ત્યાં 15મી ઑગસ્ટ અને 26મી જાન્યુઆરી વગેરે રાષ્ટ્રીય પર્વો નિમિત્તે રાષ્ટ્રપતિના રાષ્ટ્રજોગ સંબોધનની લાંબી પરંપરા રહી છે, જે દાયકાઓ સુધી લોકોએ રેડિયો પર જ સાંભળ્યાં છે. અનેક નવાં માધ્યમોના ઉદય પછી રેડિયો જરા હાંસિયામાં ધકેલાઈ ગયેલો, પણ છેલ્લાં બે વર્ષથી આપણા દેશમાં રેડિયો ફરી ચર્ચામાં આવ્યો છે. પ્રચારમાં પાવરધા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો થકી લોકો સાથે સીધો સંવાદ સાધવા માટે ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. વડાપ્રધાન મોદી દર મહિનાના છેલ્લા રવિવારે ‘મન કી બાત’ કરે છે. 3 ઑક્ટોબર-2014થી શરૂ થયેલા આ કાર્યક્રમના આજ સુધી 32 હપ્તા થયા છે. કેન્દ્ર સરકારની 3 વર્ષની ઉજવણીના માહોલમાં વડાપ્રધાનના આ રેડિયો કાર્યક્રમ અંગેનાં બે પુસ્તકો : પહેલું, ‘મન કી બાત : રેડિયો પર એક સામાજિક ક્રાંતિ’ લેખક - રાજેશ જૈન અને બીજું, ‘માર્ચિંગ વિથ અ બિલિયન’ લેખક - ઉદય માહુરકર, પ્રકાશિત થયાં છે, જેનું વિમોચન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના હસ્તે ગયા સપ્તાહમાં થયું હતું.
રેડિયો થકી જનતાને સંબોધવાની પરંપરા મૂળે તો અમેરિકાના સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપ્રમુખોમાંના એક થિયોડોર રૂઝવેલ્ટે શરૂ કરેલી. વર્ષ 1929માં ન્યૂ યૉર્કના ગવર્નર તરીકે રૂઝવેલ્ટે ‘ફાયરસાઇડ ચેટ’ સ્વરૂપે રેડિયો સંબોધનો શરૂ કરેલા. 1933માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી રૂઝવેલ્ટે રેડિયો વાટે રાષ્ટ્રજોગ સંબોધનો કરવાની પરંપરા ઊભી કરેલી. જોેકે, તેમના પછી આવેલા રાષ્ટ્રપ્રમુખોને આવાં રેડિયો સંબોધનની કદાચ જરૂર નહીં લાગી હોય, પરંતુ અભિનેતામાંથી રાજકીય નેતા બનેલા રોનાલ્ડ રીગનને લોકો સુધી પહોંચવા માટે રૂઝવેલ્ટના રેડિયો-માર્ગે ચાલવાનું મુનાસિબ લાગ્યું હતું.

રોનાલ્ડ રીગન ઈ.સ. 1981માં અમેરિકાના 40મા રાષ્ટ્રપ્રમુખ તરીકે સત્તા પર આવ્યા હતા. રીગને રાષ્ટ્રપ્રમુખ તરીકેના પોતાનાં બે કાર્યકાળમાં આર્થિક સુધારા, કરવેરામાં ઘટાડો અને લશ્કરને વધારે સક્ષમ-સજ્જડ બનાવીને અમેરિકાને વધુ ખમીરવંતુ અને ખડતલ બનાવ્યું હતું. રાષ્ટ્રપ્રમુખ તરીકે તેમણે લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે પોતાના ગમતા એવા માધ્યમ રેડિયો પર પસંદગી ઉતારી હતી. રીગનને રેડિયો પસંદ હોવાનું પાયાનું કારણ એ હતું કે હોલિવૂડમાં અભિનેતા બન્યા પહેલાં રીગને 1932થી 1937 તરીકે રેડિયોમાં કામ કર્યું હતું. રમતગમતના રસિક એવા રીગને સ્પોર્ટ્સકાસ્ટર તરીકે અનેક રેડિયો સ્ટેશનોમાં ફરજ બજાવી હતી. રૂઝવેલ્ટનું રેડિયો સંબોધન અનિયમિત કે અમુક વિશેષ પ્રસંગો પૂરતું રહેતું પરંતુ રીગને તો રેડિયો સંબોધનને સાપ્તાહિક ધોરણે શરૂ કર્યું. રીગન નિયમિત રીતે દર શનિવારે રેડિયો થકી રાષ્ટ્રને સંબોધન કરતા હતા અને પોતાની ‘મન કી બાત’ રજૂ કરતા હતા. રીગન પછીના અમેરિકી રાષ્ટ્રપ્રમુખોએ રેડિયો સંબોધનોની પરંપરા જાળવી રાખી છે. અલબત્ત, રેડિયોનું સ્થાન સમયાંતરે વિડિયોએ લીધું છે. બરાક ઓબામા અને હવે ટ્રમ્પ પણ નિયમિત રાષ્ટ્રજોગ વિડિયો સંબોધન કરે છે.

અમેરિકાના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપ્રમુખોમાંના એક એવા રીગને પોતાના દેશના આર્થિકતંત્રને પાટા પર ચડાવવા ઉપરાંત અમેરિકન મૂલ્યો પર ભાર મૂકીને અમેરિકન જનતાના આત્મવિશ્વાસને ફરી બેઠો કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલું છે અને આ યોગદાનમાં તેમના રેડિયો સંબોધનોનો મોટો ફાળો મનાય છે.
રીગનના રેડિયો સંબોધનોની વાત નીકળી જ છે ત્યારે એક ચર્ચિત કિસ્સો પણ ટાંકવાનો લોભ રોકી શકાતો નથી. 11 ઑગસ્ટ, 1984ના રોજ રીગન રેડિયો સંબોધન માટે માઇક ટેસ્ટિંગ કરવા માટે એક રમૂજ કરી હતી. રીગન બોલ્યા હતા કે ‘મારા અમેરિકન ભાઈ-બહેનો, આપ સૌને એ જણાવતા મને અનહદ આનંદ થાય છે કે મેં એક હુકમ પર હસ્તાક્ષર કરી દીધા છે, જેને કારણે રશિયાનું નખોદ વળી જશે. આપણે પાંચ મિનિટ્સમાં (રશિયા પર ) બૉમ્બિંગ શરૂ કરી રહ્યા છીએ.’ આ રમૂજ કૉલ્ડવૉરના સમયગાળામાં થઈ હતી અને એટલે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. અલબત્ત, અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધો સુધારવા માટે રીગને ખાસ્સી મહેનત કરેલી, એ પણ નોંધવું રહ્યું.

રેડિયો સંબોધનો ઉપરાંત પણ રીગનની શાસનશૈલીની એવી અનેક બાબતો છે, જે કોઈ પણ સત્તાધીશને પ્રેરણા આપી શકે.

(‘દિવ્ય ભાસ્કર’ની 31મી મે, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, May 24, 2017

રેડ કાર્પેટ પર નોખી ભાત

દિવ્યેશ વ્યાસ


આત્મહત્યાના વિચારો છોડીને આત્મવિશ્વાસનું શિખર સર કરનાર વિશ્વવિખ્યાત મૉડલ વિન્ની હાર્લો એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે


(કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2017ની આ તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું નામ પડતાં જ એક ગૌરવવંતું સંભારણું યાદ આવી જાય છે. વર્ષ 1946માં યોજાયેલા સૌપ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચેતન આનંદની ‘નીચા નગર’ ફિલ્મે મેદાન માર્યું હતું અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનાં 70 વર્ષ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત ક્લાસિક ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ યોજાયું હતું. કમનસીબે આ ફિલ્મોની યાદીમાં ‘નીચા નગર’ને સ્થાન મળ્યું નહોતું. બેસ્ટ ફિલ્મનો પ્રથમ એવોર્ડ મેળવનાર ફિલ્મની જ અવગણના પાછળનાં કારણોમાંનું એક મુખ્ય કારણ એ મનાય છે કે ‘નીચા નગર’ ફિલ્મની પ્રિન્ટ સચવાઈ નથી! આ જ આપણી સમસ્યા છે. આપણે ભવ્ય ભૂતકાળનાં ગૌરવગાનમાં એટલા ગુલતાન રહીએ છીએ કે ભૂતકાળના અવશેષો-દસ્તાવેજો-વિગતો સાચવી રાખવાની સૂધબૂધ જ રહેતી નથી!

ચેતન આનંદ અને ‘નીચા નગર’ તો આપણે લગભગ ભૂલી જ ગયા છીએ. ઐશ્વર્યા રાય છેલ્લાં પંદરેક વર્ષથી કાન્સ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર છવાઈ જાય છે અને તેની ઝાકમઝોળ પ્રસિદ્ધિને લીધે આપણામાંના મોટા ભાગના લોકો માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જાણે રેડ કાર્પેટની ‘શૉબાજી’ છે! અધૂરામાં પૂરું છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતની અન્ય અભિનેત્રીઓને પણ રેડ કાર્પેટ પર મહાલવાનો લહાવો મળી રહ્યો છે. આ વર્ષે જ ઐશ્વર્યાની સાથે સોનમ કપૂર અને દીપિકા પાદુકોણેએ પણ રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવ્યો હતો. જોકે, આજે આ બધાથી હટીને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર ‘નોખી ભાત’ પાડનાર એક મૉડલની વાત માંડવી છે.


આ મૉડલનું નામ છે વિન્ની હાર્લો. 22 વર્ષની વિશ્વવિખ્યાત મૉડલનું સાચું નામ તો ચેન્ટેલી બ્રાઉન-યંગ છે. જમૈકાથી કેનેડામાં સ્થાયી થયેલા અશ્વેત પરિવારની આ યુવતી એક અસાધારણ ત્વચારોગથી પીડાય છે. વિન્ની જ્યારે માત્ર ચાર વર્ષની હતી ત્યારે તેની ત્વચામાં સફેદ ડાઘ પડવા માંડ્યા. અંગ્રેજીમાં વિટિલિગો તરીકે ઓળખાતો આ ત્વચારોગ ગુજરાતીમાં કોઢ તરીકે જાણીતો છે. ‘ભગવદ્્ગોમંડળ’માં લખ્યું છે કે કોઢ 18 જાતના હોય છે! વિન્નીને થયેલા કોઢમાં બીજી કોઈ શારીરિક સમસ્યા-પીડા નથી, પરંતુ શરીરના અમુક હિસ્સામાં પિગ્મેન્ટનો અભાવ પેદા થતાં ત્વચા રંગ ગુમાવીને સફેદ થઈ જાય છે. શરીર પરના આ સફેદ ડાઘ શારીરિક નહીં, પણ માનસિક પીડા જરૂર નોંતરતા હોય છે. વિન્નીએ પોતાની એક મુલાકાતમાં જણાવેલું કે, ‘હું જ્યારે શાળામાં ભણવા જતી ત્યારે સહપાઠી છોકરા-છોકરીઓ મને ‘ગાય કે ઝિબ્રા’ કહીને ચીડવતાં. કિશોરાવસ્થામાં આવી સતામણીથી પેદા થતા માનસિક સંતાપને કારણે મારે અનેક શાળાઓ છોડવી પડેલી.’

અવગણના અને અપમાનને કારણે એક તબક્કો એવો પણ આવેલો કે વિન્નીને સતત આત્મહત્યા કરવાના વિચારો આવવા લાગ્યા. વિન્નીએ એકાદ-બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કરેલો. જોકે, તેની નિયતિ કંઈક જુદી હતી. માતા-પિતા અને બહેનના સતત સાથ અને પ્રોત્સાહનને કારણે એક તબક્કા પછી તેના અભિગમમાં હકારાત્મકતાનો સંચાર થયો. જુલાઈ-2011માં વિન્નીએ યુટ્યૂબ પર ‘વિટિલિગો : અ સ્કિન કન્ડિશન, નોટ અ લાઇફ ચેન્જર’ નામનો એક વીડિયો અપલોડ કર્યો. આ વીડિયો ખૂબ જ ચર્ચિત બન્યો હતો. આ વીડિયો માટે મળેલા પ્રતિભાવોએ વિન્નીમાં આત્મવિશ્વાસ જગાડ્યો અને કંઈક કરવાની તમન્ના પેદા થઈ. આ વીડિયોના આધારે જ વિન્નીને ‘અમેરિકાઝ નેક્સ્ટ ટોપ મૉડલ’ સ્પર્ધામાં તેનાં સંચાલિકા ટાયરા બેન્ક્સ દ્વારા તક આપવામાં આવી. આ સ્પર્ધામાં વિન્ની ફાઇનલિસ્ટ બની હતી અને એ રીતે મૉડલિંગના ક્ષેત્રમાં તેની નામના પેદા થઈ હતી.

વિન્ની આજે વિશ્વભરમાં જાણીતી મૉડલ છે અને અનેક પ્રતિષ્ઠિત ફેશન મેગેઝિનોનાં કવર પર પણ ચમકી ચૂકી છે. વિન્ની પોતાના શરીર પરના ડાઘ સાથે બિન્ધાસ્ત-આત્મવિશ્વાસપૂર્વક રેમ્પ પર ઊતરે છે અને છવાઈ જાય છે.  ત્વચારોગ છતાં મૉડલિંગ ક્ષેત્રે પોતાના અાત્મવિશ્વાસના બળે એક પછી એક સફળતાનાં શિખરો સર કરનાર વિન્ની આજે એક પ્રેરણાદાયી હસ્તિ બની ગઈ છે. બીબીસી દ્વારા જારી કરવામાં આવેલી વર્ષ 2016ની ‘100 વિમેન્સ’ની યાદીમાં પણ તેને ગૌરવપૂર્ણ સ્થાન હાંસલ થયું હતું. છેલ્લે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર પણ વિન્ની છવાઈ ગઈ હતી. સૌંદર્ય અંગે આપણા દિમાગમાં છવાયેલી ભ્રમણાઓ વિન્નીના ઉદાહરણ પછી થોડીઘણી ભાંગે તો કેવું સારું!

(‘દિવ્ય ભાસ્કર’ની 24મી મે, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળપ્રત)


Wednesday, May 17, 2017

સુરેશભાઈનો સ્વાવલંબન મંત્ર

દિવ્યેશ વ્યાસ


ઊર્જાના મામલે સંપૂર્ણ સ્વાવલંબન કેળવનારા ચેન્નઈના સુરેશભાઈ પાસેથી આપણે સૌએ ઘણું શીખવા જેવું છે

(સુરેશભાઈની તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

જરા વિચાર કરો કે તમારા ઘરમાં 25 બલ્બ અને ટ્યૂબલાઇટ્સ, 11 પંખા,  ટીવી, રેફ્રિજરેટર, કમ્પ્યૂટર, પાણી માટેનો પમ્પ, વૉશિંગ મશીન, મિક્સર-ગ્રાઇન્ડર, ઓવન અને એસી પણ હોય તો તમારું લાઇટ (વીજળી) બિલ કેટલું આવે? ત્રણેક હજાર તો પાક્કું અને ઉનાળો હોય તો પાંચ હજાર કરતાં પણ વધારે લાઇટ બિલ આવી જાય, ખરુંને? પણ ચેન્નાઈમાં રહેતા ડી. સુરેશ આ તમામ વીજ ઉપકરણો છૂટથી વાપરે છે, પરંતુ તેમનું વીજળીનું બિલ છે - ઝીરો (શૂન્ય)! છેલ્લાં ચાર વર્ષથી તેમના ઘરે એક પણ મિનિટ માટે વીજપ્રવાહ અટક્યો નથી. ચેન્નાઈમાં વાવાઝોડું ફુંકાયેલું ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગૂલ હતી ત્યારે પણ સુરેશભાઈના ઘરના દીવા ઝળહળતા હતા. સુરેશભાઈ પાસે એક જબરદસ્ત શક્તિ છે, જેનો ઉપયોગ કરીને તેઓ પોતાના ઘરમાં ચોવીસેય કલાક વીજળી મેળવે છે. તમારી પાસે એવી કોઈ જબરદસ્ત શક્તિ હોય તો? લાંબું વિચારવાની જરૂર નથી, મારી, તમારી અને આપણી સૌ પાસે એ શક્તિ ઉપલબ્ધ જ છે, પરંતુ કદાચ આપણને એની પરવા નથી. એ શક્તિ એટલે સૌરઊર્જા.

ઉનાળાના ધોમધખતા તાપમાં આપણે મનોમન સૂરજદાદા પર ‘ગરમ’ થઈ જતાં હોઈએ છીએ, પરંતુ સૂરજદાદાના તાપ અને તેજનો ઉપયોગ કરવાના મામલે સાવ ‘ટાઢા’ પુરવાર થઈ રહ્યા છીએ. સૂર્યદેવના આશીર્વાદથી ઊર્જા સ્વાવલંબી બનેલા ચેન્નાઈના સુરેશભાઈએ એક અંગ્રેજી પોર્ટલને જણાવેલું કે થોડાં વર્ષો પહેલાં એમણે જ્યારે જર્મનીની મુલાકાત લીધી ત્યારે જોયું કે ત્યાંનાં ઘરો પર સોલર પેનલ લાગેલી હતી અને તેઓ સૌર ઊર્જાનો ભરપૂર લાભ ઉઠાવતા હતા. એ જોઈને તેમને થયું કે જર્મની કરતાં તો આપણા દેશ પર સૂરજદાદાની વધારે કૃપા છે એટલે આપણા દેશમાં સૌર ઊર્જાનો મહત્તમ લાભ લેવાવો જોઈએ. તેમણે પાછા આવીને પોતાના ઘર પર રૂફ ટોપ સોલર પેનલ લગાવીને સૌર ઊર્જાનો લાભ લેવાનું શરૂ કર્યું. સૌર ઊર્જા થકી સ્વાવલંબનનો સફળ પ્રયોગ કરનારા સુરેશભાઈ હવે ‘સોલાર સુરેશ’ તરીકે જાણીતા બન્યા છે અને ‘ડાઉન ટુ અર્થ’ જેવા પર્યાવરણવાદી સામયિકોમાં ચમક્યા છે.

સુરેશભાઈએ આઈઆઈટી-મદ્રાસ અને આઈઆઈએમ-અમદાવાદમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં લાંબી કારકિર્દી દરમિયાન એમડીથી સીઈઓ સુધીનાં મહત્ત્વપૂર્ણ પદો પર કામ કરવાનો અનુભવ ધરાવે છે. 70થી વધારે દિવાળીઓ જોઈ ચૂકેલા સુરેશભાઈ સૌર ઊર્જા મેળવવા ઉપરાંત સ્વાવલંબી જીવનશૈલી માટે પ્રયોગો કરતા રહે છે. સુરેશભાઈએ રૂફ ટોપ સોલર પેનલ ઉપરાંત પોતાના ઘરમાં વરસાદી પાણીના જળસંગ્રહની વ્યવસ્થા ઊભી કરી છે. તેમના ઘર-છાપરા પર પડતું એક પણ ટીપું વેડફાતું નથી. પાઇપલાઇન થકી પાણી આપોઆપ ફિલ્ટર થઈને સમ્પ (બોરવેલ)માં વહી જાય અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય એવી સિસ્ટમ તેમણે ગોઠવી છે. સુરેશભાઈના ઘરના રસોડામાંથી નીકળતો કચરો અને એંઠવાડને ફેંકી દેવાતો નથી, પરંતુ તેને બાયોગેસ પ્લાન્ટમાં નાખવામાં આવે છે. બાયોગેસ પ્લાન્ટ થકી તેમના ઘરના રસોડાને પૂરતા પ્રમાણમાં ગેસ મળી રહે છે. વળી, બાયોગેસ પ્લાન્ટમાંથી પેદા થતા ખાતરનો પણ તેઓ પોતાના કિચન ગાર્ડનમાં જ ઉપયોગ કરી લે છે. હા, તેમણે પોતાના ઘરના ધાબે કિચન ગાર્ડન પણ વિકસાવ્યો છે. સુરેશભાઈ કહે છે કે કિચન ગાર્ડનમાં તેઓ રોજિંદાં શાકભાજી આસાનીથી ઉગાડી લે છે.

આમ, સુરેશભાઈ સૌર ઊર્જા, બાયોગેસ પ્લાન્ટ, વરસાદી પાણીના સંગ્રહ, કિચન ગાર્ડન વગેરે થકી તેઓ એક ‘સ્વાવલંબી ઘર અને જીવન’ની કલ્પના સાકાર કરવા મથે છે. સુરેશભાઈ કરી શકે છે, એવું કે એમાંનું કંઈક તો આપણે કરી જ શકીએને?

(‘દિવ્ય ભાસ્કર’ની 17મી મે, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, May 10, 2017

કોચ હોય તો રાહુલ જેવા!

દિવ્યેશ વ્યાસ

રિયાલિટી શૉથી લઈને રિયલ લાઇફમાં ગુરુ, મેન્ટર, કોચ વગેરેની વધતી ભરમાર વચ્ચે ‘રાહુલ સર’ ઉમદા છાપ છોડે છે



ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક મોહક માઇલસ્ટોન એટલે રાહુલ દ્રવિડ. ક્રિકેટવિશ્વમાં ખુદની વિકેટનું મહત્ત્વ જેટલું રાહુલ દ્રવિડે પારખ્યું અેટલું ભાગ્યે જ કોઈએ પારખ્યું છે. રાહુલની આ સમજ અને અભિગમને કારણે જ તેઓ ‘ધ વૉલ’ તરીકે વિશ્વવિખ્યાત બન્યા હતા. રન કરવાની ખોટી ઉતાવળ કે બાઉન્ડ્રી ફટકારીને ‘બહાદુર’ સાબિત થવાની ઘેલછા તેમનામાં ભાગ્યે જ જોવા મળી છે. તેઓ ‘તેલ જુઓ, તેલની ધાર જુઓ’નું ડહાપણ દાખવીને બૉલર દ્વારા ફેંકાયેલા દડાની ગતિ અને દિશાને ધ્યાનથી પારખીને જ શોટ રમવાનો આગ્રહ રાખતા હતા. દ્રવિડ દ્વારા રમાતા એક એક શોટ નયનરમ્ય બનતા  હતા. દ્રવિડ ક્લાસિક બેટ્સમેન તરીકે સમગ્ર વિશ્વમાં એક અનોખું માન અને સ્થાન ધરાવે છે. અનેક કીર્તિમાનોના સર્જક અને ઉમદા ખેલાડી એવા રાહુલ દ્રવિડને એક ક્રિકેટર તરીકે દુનિયાભરમાં જબરદસ્ત નામના મળી ચૂકી છે. રાહુલ દ્રવિડે ક્રિકેટના ત્રણેય સ્વરૂપમાંથી ખેલાડી તરીકે નિવૃત્તિ વર્ષ 2012માં લઈ લીધેલી છે અને છતાં આજે પણ દ્રવિડ સતત ચર્ચામાં રહે છે. રાહુલ દ્રવિડ હવે એક નવી ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને આ ભૂમિકા પણ તેની બેટિંગ જેવી જ ક્લાસિક ગણાઈ રહી છે. હા, તમે જાણો જ છો કે રાહુલ દ્રવિડ આજકાલ ભારત-એ અને અંડર-19ની ટીમના કોચ તરીકે કાર્યરત છે અને સિઝન પૂરતું આઈપીએલની દિલ્હી ડેરડેવિલ્સ ટીમના મેન્ટર તરીકે પણ સક્રીય છે.

રિયાલિટી શૉથી માંડીને રિયલ લાઇફમાં ગુરુ, ધર્મ ગુરુ કે આધ્યાત્મિક ગુરુ, મેનેજમેન્ટ ગુરુ, યોગ ગુરુ, મેન્ટર, કોચ વગેરેની ભરમાર વધી રહી છે. આ ગુરુઓની વચ્ચે ‘રાહુલ સર’ એક અનોખી છાપ છોડી રહ્યા છે. એક કોચ કે ગુરુ કેવો હોવો જોઈએ, એની આદર્શમૂર્તિ તરીકે દ્રવિડ સ્થાપિત થતા જાય છે. આઈપીએલમાં ગયા સપ્તાહે (મે-2017ના પહેલા સપ્તાહમાં) દિલ્હી ડેરડેવિલ્સની ટીમે જ્યારે 200 કરતાં પણ ઊંચા ટાર્ગેટ સામે 7 વિકેટે ભવ્ય વિજય હાંસલ કર્યો ત્યારે ઋષભ પંત અને સંજુ સેમસનની ફાંકડી બેટિંગની સાથે સાથે રાહુલ દ્રવિડના કોચિંગની પણ ભરપૂર પ્રશંસા થઈ હતી. આ નિમિત્તે જ ટેલિવિઝન પર વિજયના હીરોઝની મુલાકાત તેમના કોચ એટલે કે રાહુલ દ્રવિડ દ્વારા જ લેવાતી હોય, એવું જોવા મળ્યું હતું. એ ત્રણેય વચ્ચેની વાતચીત પરથી તેમની વચ્ચેની કેમેસ્ટ્રી કેટલી સ્ટ્રોંગ છે, તેનો અંદાજ આવી જતો હતો. શાનદાર વિજય અપાવનારા યુવા ખેલાડીઓ પર રાહુલ દ્રવિડે કોચ તરીકે માત્ર પ્રશંસાનાં પુષ્પો જ નહોતાં વેર્યાં. કોઈ ક્રિકેટચાહક એકાદ શાનદાર ઇનિંગ પર ઓળઘોળ થઈ શકે, પણ કોચ નહીં! દ્રવિડે આ તબક્કે પણ યુવા ખેલાડીઓને ટપારતાં કહેલું, ‘હું સંજુ અને ઋષભના પરફોર્મન્સથી ખુશ છું, પરંતુ હું ઇચ્છું છું કે આ બન્ને મેચ ફિનિશર બને અને અણનમ રહીને પાછા ફરે.’ રાહુલ દ્રવિડ જાણે છે કે એક મેચ કે એક ઇનિંગથી મહાન ખેલાડી બની જવાતું નથી. પોતાની રમતમાં રોજેરોજ સુધારો કરવો પડે છે. સતત શ્રેષ્ઠ પરફોર્મ કરવું પડે છે અને એટલે જ ખેલાડીઓના પરફોર્મન્સ માટે રાજીપો વ્યક્ત કર્યા પછી તેઓ તેમને ‘ગુરુવચન’ સંભાળવવાનું ચૂકતા નથી.

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટમાં જે નામો ચમક્યાં છે, તેની યાદી જોઈએ તો અજિંક્ય રહાણે, લોકેશ રાહુલ, કરુણ નાયર, ઋષભ પંત, મનીષ પાંડે, જયંત યાદવ, સંજુ સેમસન વગેરેને યાદ કરવા જ પડે. આ તમામ યુવા ખેલાડીઓએ એવો દમખમ દેખાડ્યો છે કે ટીમ ઇન્ડિયાના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે નિંશ્ચિંત રહી શકીએ. આ તમામ નામોમાં જો કોઈ એક સામાન્ય પરિબળ હોય તો તે છે - રાહુલ સર! તમને વિશ્વાસ ન આવતો હોય તો આ યુવા ક્રિકેટર્સના લેટેસ્ટ ઇન્ટરવ્યૂ પર એક નજર ફેરવી લેજો. સંજુ સેમસને તો ત્યાં સુધી કહેલું છે કે કોચ રાહુલ દ્રવિડ અમારા માટે ઈશ્વરના આશીર્વાદ જેવા છે! ભારતીય ખેલાડીઓ જ નહીં, પરંતુ દ્રવિડનો લાભ મેળવનારા વિદેશી ખેલાડીઓ પણ તેમની પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી.

કોચમાં અપેક્ષિત હોય એવાં આદર્શ લક્ષણો રાહુલ દ્રવિડમાં જોવા મળી રહ્યાં છે. રાહુલ દ્રવિડ પોતાની કળા, કૌશલ્ય અને અનુભવનો પૂરેપૂરો લાભ યુવા ખેલાડીઓને દિલ ખોલીને આપી રહ્યા છે. કોઈ ખેલાડી મારા કરતાં વધારે સારી નામના મેળવી લેશે તો? એવી કોઈ માંદલી માનસિકતા રાહુલના વલણ-વર્તનમાં જોવા મળતી નથી. રાહુલમાં પોતે વિશ્વવિખ્યાત ક્રિકેટર છે, એવું સહેજેય ગુમાન જોવા મળતું નથી. તેઓ યુવા ખેલાડીઓ સાથે બહુ સાહજિકતાથી જ વાતો કરે છે. ‘કોચ હું છું, હું કહું એટલું જ કરવાનું, તમને આજકાલનાને શું ખબર પડે?’ એવી વાત કે વલણ રાહુલ સર પાસેથી કદી જોવા મળતું નથી, ઊલટું કહેવાય છે કે તેઓ દરેક ખેલાડીને પોતાની વાત કરવાનો, મત રજૂ કરવાનો મોકો આપે છે. રાહુલ દ્રવિડ દરેક ખેલાડીની વાત બહુ શાંતિથી સાંભળે છે અને તેમના મંતવ્ય-મુશ્કેલીને સમજવામાં રસ દાખવે છે. ખેલાડીઓમાં આત્મવિશ્વાસનો સંચાર કરવાની કળા તો કોઈ તેમની પાસેથી શીખે! પોતાની ટીમને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે ખેલાડીઓને આગળ ધરવાને બદલે પોતે જ પ્રેસ કૉન્ફરન્સમાં જવાબ આપવા પહોંચી જઈને ખેલાડીઓનો બચાવ પણ કરી જાણે છે. રાહુલ દ્રવિડ કડક કોચ નથી, પરંતુ તેમની શિસ્ત અને અભિગમની સામે યુવા ખેલાડીઓમાં આપોઆપ સમજ કેળવાય છે.

રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાના કોચ બનવાને બદલે અંડર-19 અને ઇન્ડિયા-એ ટીમના કોચ બનવાનું પસંદ કરીને જ બતાવી આપ્યું છે કે તેમને ગ્લેમર કરતાં પણ પોતાની ગમતી એવી રમતના વિકાસમાં રસ છે. રાહુલ દ્રવિડ જેવા ગુરુ કે કોચ મળે તો બેડો પાર!

(‘દિવ્ય ભાસ્કર’ની 10મી મે, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળ પ્રત)

Wednesday, May 3, 2017

નિયમગીરીની ‘પ્રફુલ્લ’તાનું રહસ્ય

દિવ્યેશ વ્યાસ


નક્સલવાદની સમસ્યા વકરતી જાય છે ત્યારે અફસોસ કે દેશના આદિવાસી વિસ્તારો નિયમગીરી જેટલા લકી નથી!


(તસવીર સૌજન્ય : ગોલ્ડમેન પ્રાઇઝની અધિકૃત વેબસાઈટ)

ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે પોતાના કાર્યકાળ દરમિયાન નક્સલવાદને રાષ્ટ્રની આંતરિક સુરક્ષા સામેનો નંબર વન પડકાર ગણાવ્યો હતો. મનમોહનસિંહની આ વાત આજે પણ સાચી છે, જેનો પુરાવો થોડા દિવસ પહેલાં જ છત્તીસગઢમાં મળ્યો. સુકમા વિસ્તારમાં નક્સલીઓના કરપીણ હુમલામાં 25 સીઆરપીએફના જવાનોએ પોતાના પ્રાણ ન્યૌછાવર કરવા પડ્યા. નક્સલવાદીઓ દ્વારા આચરવામાં આવતી હિંસાનો કોઈ બચાવ ન હોઈ શકે. સમગ્ર વિશ્વમાં મોટાભાગના સામ્યવાદી-માર્ક્સવાદીઓએ હિંસાચાર છોડ્યો છે. બંદૂક છોડીને બેલેટનો (મત-ચૂંટણી) માર્ગ અપનાવ્યો છે, છતાં કેટલાંક તત્ત્વો દ્વારા આજે પણ હિંસાને ત્યજી શકતા નથી. નક્સલવાદ પેદા થવાનાં ચોક્કસ કારણો છે, છતાં તેના નામે ચાલતી હિંસાને વાજબી ઠેરવી શકાતી નથી. નક્સલવાદી હિંસાનો ભોગ આખરે તો નિર્દોષ આદિવાસી લોકો જ બનતા હોય છે. આદિવાસીની સમસ્યાઓ અને મૂંઝવણો-ગૂંગળામણોનો ઉકેલ આપણે આઝાદીના સાત દાયકા પછી પણ લાવી શક્યા નથી, એ વાસ્તવિકતા જ નક્સલવાદની આગને ભડકાવ્યે રાખે છે. અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને સુરક્ષા સલાહકારો પણ અનેક વાર કહી ચૂક્યા છે કે નક્સલવાદ એ માત્ર સુરક્ષાનો જ મુદ્દો નથી અને એટલે જ સૈન્ય કાર્યવાહી થકી એનો ઉકેલ આવી જશે, એવું માનનારા હંમેશાં ખોટા જ પડ્યા છે.

દેશમાં એક તરફ નક્સલવાદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે તો બીજી તરફ એવા સમાચાર મળી રહ્યા છે કે ઓડિશાના નિયમગીરી પર્વતમાળાના આદિવાસીઓના અધિકાર અને પર્યાવરણ સુરક્ષા માટે મથનારા પ્રફુલ્લ સામંત્રાને ગ્રીન નોબેલ ગણાતો વિશ્વવિખ્યાત ગોલ્ડમેન એન્વાયર્નમેન્ટલ પ્રાઇઝ નામનો એવોર્ડ જાહેર કરાયો છે. પ્રફુલ્લ સામંત્રાને મળેલું બહુમાન સમગ્ર દેશ માટે ગૌરવની ઘટના છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાયેલા પ્રફુલ્લભાઈની પ્રવૃત્તિ અને સંઘર્ષમાં જ ક્યાંક નક્સલવાદના ઉકેલના સંકેતો પણ પડેલા છે, જેના પર સમગ્ર દેશે અને ખાસ કરીને નક્સલવાદનો સામનો કરતાં રાજ્યોએ નજર નાખવા જેવી છે.

65 વર્ષના પ્રફુલ્લ સામંત્રા કઈ રીતે પર્યાવરણ સંરક્ષક બન્યા તેની કહાણી રસપ્રદ છે. પ્રફુલ્લભાઈના જ જણાવ્યા મુજબ તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમને ન તો ભણવું ગમતું હતું કે ન પિતાને ખેતરમાં મદદ કરવી. તેમને તો બસ નિયમગીરીની હરિયાળી સૃષ્ટિ સાથે ગેલ-ગમ્મત પસંદ હતા. તેઓ જ્યારે મોટા થયા ત્યારે તેમણે જોયું કે પોતાના વિસ્તારમાં ધીમે ધીમે ઉદ્યોગોએ ધામા નાંખવા માંડ્યા છે અને તેને કારણે આસપાસની સૃષ્ટિને મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે. સામાન્ય લોકો જેને વિકાસ તરીકે જોતા હતા, તેનાથી તો સમાજમાં અમીર-ગરીબ વચ્ચે ખાઈ વધતી જતી હતી. એમાંય અંતરિયાળ વિસ્તારના શિક્ષણ-સુવિધાઓથી વંચિત આદિવાસીઓ તો ઓશિયાળા બનીને જ રહી જતા હતા. આદિવાસીઓના અધિકારોનું હનન થતું હતું તો સામે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું હતું. આખરે તેમણે આ મામલે પોતાના ડોંગરિયા કોંડ આદિવાસી સમુદાયને જાગૃત કરીને વિકાસના નામે ચાલતું સૃષ્ટિનું શોષણ અટકાવવાનું બીડું ઝડપ્યું.

ઓડિશા રાજ્યની નિયમગીરીની પહાડીઓ જૈવિક વિવિધતાનું કેન્દ્ર ગણાય છે. આ પહાડીઓ પર અનેક ઔષધીય વનસ્પતિઓ પેદા થાય છે અને દુર્લભ પશુ-પંખીઓ અહીં વાસ કરે છે. જોકે, અહીંના લાંજીગઢમાં બ્રિટનની વેદાંતા કંપનીએ ખાણનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને કારણે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું હતું. પ્રફુલ્લભાઈની સંસ્થા લોક શક્તિ અભિયાન સંગઠન દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ થયો અને તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આખરે પર્યાવરણ મંત્રાલય થકી આ પ્રોજેક્ટને નામંજૂર કરાવવામાં સફળતા હાંસલ કરી છે. સુપ્રીમ કોર્ટે 2013માં આદિવાસીઓને આ પ્રોજેક્ટ અંગે નિર્ણય લેવાનો અધિકાર આપ્યો. 2015માં 12 ગ્રામ પંચાયતોમાં આ અંગે જનમત સંગ્રહ લેવાયો અને આદિવાસીઓએ એકસૂરે આ પ્રોજેક્ટની વિરુદ્ધ મતદાન કરતાં વેદાંતાએ પોતાની એલ્યુમિનિયમ રિફાઇનરીનો પ્રોજેક્ટ સદંતરપણે બંધ કરી દેવો પડ્યો. આ કેસ માટે તેમણે લોકજાગૃતિની સાથે સાથે કોર્ટકાર્યવાહીમાં આશરે એક દાયકા કરતાં વધારે સંઘર્ષ કરવો પડ્યો.

વકીલાતનો અભ્યાસ કરનારા પ્રફુલ્લભાઈએ પોતાના આદિવાસી બંધુઓ અને પર્યાવરણની વકીલાત કરવાનું પસંદ કર્યું અને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાય છે. કાશ, દરેક આદિવાસી વિસ્તારને પ્રફુલ્લભાઈ જેવા કાયદાથી લડનારા સંઘર્ષવીર મળે, કાયદો હાથમાં ઝાલનારા નહીં અને સાથે એવી પણ કામના કરીએ કે આદિવાસીના અધિકારો કે પર્યાવરણ સુરક્ષા માટે લડનારાઓને નક્સલવાદી કે દેશવિરોધી અને વિકાસવિરોધી ગણવાની માનસિકતા પણ બદલાય!

(‘દિવ્ય ભાસ્કર’ની 3 મે, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)