Showing posts with label War. Show all posts
Showing posts with label War. Show all posts

Tuesday, August 17, 2021

રાણી નાયિકી દેવી : ખૂબ લડી મર્દાની વો તો ગુજરાત કી રાની થી!

ડૉ. દિવ્યેશ વ્યાસ


સોલંકી વંશના શાસનકાળમાં રાણી/રાજમાતા નાયિકી દેવીએ પોતાના પ્રચંડ પરાક્રમથી મોહમ્મદ ઘોરીને રણભૂમિમાં એવી ધોબીપછાડ આપી કે ફરી ગુજરાત પર આક્રમણ કરવાનું વિચારી પણ ન શક્યો!

રાણી નાયિકી દેવીનું એક કાલ્પનિક ચિત્ર. (સૌજન્યઃ ગૂગલ ઇમેજ)


ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતને પદક અપાવનારાઓની યાદીમાં રમતવીરો કરતાં રમત-વિરાંગનાઓની યાદી લાંબી થાય છે, તેનાં મૂળ આપણી પરંપરા અને ઇતિહાસમાં પડેલાં છે. સર્જન હોય કે સંઘર્ષ, ભારતીય નારીએ સદીઓથી પોતાનું હીર બતાવ્યું છે. મહિષાસુરમર્દિનીથી લઈને બાંગ્લાદેશ-સર્જિની સુધીનો આપણો નારીશૌર્યનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. આપણા દેશમાં સુશાસન માટે રાણી અહલ્યાબાઈ તો સંઘર્ષ-યુદ્ધમાં રાણી લક્ષ્મીબાઈ જેવાં જ્વલંત ઉદાહરણો જોવા મળે છે. આજે વાત કરવી છે, એવાં રાણી અને રાજમાતાની જેમણે પોતાના પ્રચંડ પરાક્રમ અને શૌર્યથી કુખ્યાત વિદેશી આક્રાંતા મોહમ્મદ ઘોરીને યુદ્ધમેદાનમાં એવી ધોબીપછાડ આપેલી કે તે ફરી ગુજરાત પર આક્રમણ કરવાનો તો વિચાર સુધ્ધાં કરી શક્યો હતો.

હા, આ રાજમાતા એટલે સોલંકી વંશનાં રાણી નાયિકી દેવી. પતિ અજયપાલની (ગુજરાતના અશોક તરીકે જાણીતા કુમારપાળના સુપુત્ર) અંગરક્ષક દ્વારા જ 1176માં હત્યા કરવામાં આવી પછી તેમના દીકરા મૂળરાજ બીજાને બાળવયે જ રાજા બનાવાયો હતો. પુત્ર મૂળરાજ બીજાને પ્રતીકાત્મક રીતે રાજાની પદવી આપવામાં આવી ત્યારે રાજ્યનાં શાસન અને સુરક્ષાનાં સુકાન રાણી નાયિકી દેવીએ ખૂબ સારી રીતે સંભાળી લીધાં હતાં. મોહમ્મદ ઘોરીએ 1178ની સાલમાં હિંદુસ્તાન પર આક્રમણ કરવાનું વિચારી રહ્યો હતો ત્યારે તેણે વિચાર્યું કે ગુજરાતના સમૃદ્ધ રાજ્ય અણહિલવાડ પાટણના બાળારાજા અને વિધવા રાજમાતાના રાજ્ય પર જ હલ્લો બોલાવી દઈએ એટલે આસાનીથી યુદ્ધ જીતી લેવાશે. જોકે, ઘોરીનાં તમામ પાસા ઊલટા પડ્યા અને રાણી નાયિકી દેવીના શૌર્ય અને આક્રમક યુદ્ધનીતિને કારણે તેણે ઊભી પૂંછડિયે રણમેદાનમાંથી ભાગવું પડ્યું અને તે ફરી ક્યારેય સપનામાં પણ ગુજરાત પર આક્રમણ કરવાનું વિચારી શક્યો નહોતો.

(રણમેદાનમાં દુશ્મન સૈનિકોનો કચ્ચરઘાણ વાળતી ગજસેનાની પ્રતીકાત્મક તસવીર  સૌજન્યઃ ગૂગલ ઇમેજ)

રાણી નાયિકી દેવી મૂળે તો ગોવાનાં રાજકુંવરી હતાં. કદંબ વંશના ગોવાના મહામંડલેશ્વર શિવચિત્તા પરમાંડીનાં દીકરી હતાં. બાળપણથી જ તેમને તલવારબાજી, ઘોડેસવારી, યુદ્ધનીતિ, કુટનીતિ અને રાજ્યશાસનની તાલીમ આપવામાં આવી હતી. તેઓ વિવિધ શસ્ત્રો ચલાવી શકતાં હતાં અને આક્રમક રણનીતિ થકી દુશ્મનોના દાંત ખાટા કરવાનું કૌવત ધરાવતાં હતાં. ઘોરી સામેના યુદ્ધ પહેલાં તેમણે પોતાની કુટનીતિ થકી ચાલુક્ય વંશના સામંતોનો સાથ-સહકાર મેળવ્યો હતો અને ઘોરીના વિશાળ સૈન્ય સામે મજબૂત લશ્કર તૈયાર કર્યું હતું, જેની ઘોરીને કલ્પના પણ નહોતી. યુદ્ધનીતિમાં માહેર રાણી નાયિકી દેવીએ યુદ્ધ આબુ પર્વતની તળેટીમાં ગદરઘાટના વિસ્તારમાં કયાદરા/કસાહરદા ખાતે લડાય, એવી વ્યૂહરચના અપનાવેલી, જ્યાં ઓછા સૈનિકો સાથે પણ વિશાળ સૈન્યને હંફાવી શકાય. યુદ્ધની તૈયારી માટે તથા પ્રજાજનોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે પૂરતો સમય મળી રહે એ માટે રાણી નાયિકી દેવીએ પોતે ઘોરીની તમામ શરતો માની લેવા તૈયાર છે, એવો ડોળ કરવાની કૂટનીતિ અપનાવી હોવાનું કહેવાય છે. ઘોરી અને તેના સૈન્ય માટે સાવ અજાણ એવા રણભૂમિ પર અચાનક આક્રમણ કરીને તાલીમબદ્ધ હાથીઓ પર સવાર યૌદ્ધાઓએ વિરોધી સેનાનો કચ્ચરઘાણ વાળવાનો શરૂ કર્યો હતો.

ઘોરીને પરાસ્ત કરવા માટે રાણી નાયિકી દેવીએ પોતે જ યુદ્ધમેદાનમાં ઊતરીને પોતાની તલવારથી દુશ્મન સૈનિકોનાં માથાં ગાજરની માફક વાઢી નાખ્યાં હતાં. પોતાની ગજસેના અને અશ્વસેના સાથેના તાલીમબદ્ધ સૈનિકોએ ઘોરીના સૈન્યનો એવો ખાતમો બોલાવ્યો કે સૈનિકો જીવ બચાવીને જે કોઈ દિશામાં ભાગવા મળ્યું ત્યાં ભાગવા લાગ્યા હતા. કહેવાય છે કે આ યુદ્ધમાં નાયિકી દેવીના હાથે ઘોરી ખૂબ જ ખરાબ રીતે ઘવાયો હતો. મોત ભાળી ચૂકલો ઘોરી યુદ્ધમેદાન છોડીને ઊભી પૂંછડિયે ભાગ્યો હતો. એ એટલો બધો ગભરાઈ ગયેલો કે ઘાયલ હોવા છતાં સારવાર માટે પણ વચ્ચે ક્યાંય રોકાયો નહોતો અને છેક મુલતાન પહોંચીને જ ઘોડા પરથી ઊતર્યો હતો!

આ જ મોહમ્મદ ઘોરીએ 1192માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા હતા, પરંતુ એના 14 વર્ષ પહેલાં તેણે એક ગુજરાતી રાણીની સામે રણમેદાનમાં ધોબીપછાડ ખાવી પડી હતી, એ અમીટ ઇતિહાસ છે. રાણીના અદમ્ય સાહસ અને શૌર્યનો ઉલ્લેખ સોલંકી કાળના શિલાલેખોમાં તો વાંચવા મળે જ છે, એ ઉપરાંત ગુજરાતી કવિ સોમેશ્વર તથા ઉદયપ્રભા સુરી સરીખા કવિઓનાં કાવ્યોમાં પણ નાયિકી દેવી અને તેમના સૈન્યની શૌર્યગાથા જાણવા મળે છે. 13 સદીમાં લખાયેલા ફારસી ઇતિહાસ-ગ્રંથ ‘મિન્હાજ-એ-સિરાજ’માં પણ હાથીઓની મદદથી લડાયેલી આ લડાઈના વિજયનો ઉલ્લેખ જોવા મળે છે. 16મી સદીના ઇતિહાસકાર બદાઉનીએ પણ આક્રાંતાઓને મળેલા પરાજયનો ઉલ્લેખ કરેલો છે. જૈન ઇતિહાસકાર મેરુતુંગે લખેલા ‘પ્રબંધ ચિંતામણિ’માં પણ નાયિકી દેવીના શૌર્યની ગાથાનો ઉલ્લેખ છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યની વાત કરીએ તો ધૂમકેતુએ ‘નાયિકા દેવી’  નામની એક નવલકથા લખેલી છે.

કહેવાય છે કે રાણી નાયિકીની દીકરી કુર્મા દેવી પણ તેમના જેવાં જ શૌર્યવાન હતાં અને તેમણે યુદ્ધમેદાનમાં કુતબુદ્દીન ઐબકને માત આપી હતી. રાણી લક્ષ્મીબાઈ, રાણી તારાબાઈ, રાણી દુર્ગામતી, રાણી અબ્બકા ચૌટા, કિત્તુરના રાણી ચેનમ્મા જેવાં નારીશૌર્યનાં જ્વલંત ઉદાહરણોની હરોળમાં સ્થાન પામી શકે એવાં ગુજરાતનાં રાણી નાયિકી દેવી વિશે બહુ ઓછી જાણકારી અને જાગૃતિ આપણા રાજ્યમાં જોવા મળે છે, તે આપણી એક મોટી કમનસીબી છે. રાજમાતા નાયિકી દેવી ઇતિહાસનું એવું ગૌરવવંતુ પ્રકરણ છે, જે ગુજરાત રાજ્ય જ નહિ, સમગ્ર દેશની નારીશક્તિને સદીઓ સુધી પ્રોત્સાહન અને પ્રેરણા પૂરું પાડતું રહેશે.

(‘સાધના’ સાપ્તાહિકના 15મી ઑગસ્ટ, 2021ના વિશેષાંક ‘ભારતની યુદ્ધકથાઓ’માં પ્રકાશિત મારો લેખ)

Wednesday, June 20, 2018

શરણાર્થીઓની સિતમયાત્રા

દિવ્યેશ વ્યાસ


સમગ્ર વિશ્વમાં શરણાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વિસ્થાપન એક વૈશ્વિક સમસ્યા બની ગયું છે

(શરણાર્થી શિબિરની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધીને મૂકી છે)

‘મુઝસે મિલને કે લિયે, કિસી કો ખટખટાના નહીં હોગા દરવાજા, કેવલ ફટેહાલ સરકારી તંબૂ કા પર્દા સરકાના હોગા’ વિસ્થાપિત કાશ્મીરી પંડિત અને કવિ મહારાજ કૃષ્ણ ભરતની આ પંક્તિમાં છુપાયેલા દર્દની આપણે તો પૂરી કલ્પના પણ ન કરી શકીએ. જિંદગીમાં એક વસ્તુ ખોવાઈ જાય કે એક વ્યક્તિ સાથેનો નાતો તૂટી જાય, એનું દુ:ખ પણ આપણાથી જીરવાતું નથી હોતું ત્યારે પોતાના જીવનનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, એવી વ્યક્તિનું દર્દ કેટલું વસમું હશે, એ તો જેના પર વીતી હોય એ જ જાણે! 21મી સદીમાં દુનિયા જે અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, એમાંની એક સૌથી મોટી સમસ્યા વિસ્થાપનની છે. દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા સતત વધતી જાય છે, એમ એમ વિસ્થાપનની સમસ્યા વકરતી જાય છે.

શરણાર્થી બનવા જેવી મોટી લાચારી બીજી કોઈ હોઈ ન શકે. પોતાનું ઘર છૂટી જાય, પોતાનું ગામ છૂટી જાય, પોતાનાં સગાંસંબંધીઓનો સાથ છૂટી જાય, નસીબ ફૂટેલાં હોય તો પરિવારજનો પણ છૂટી જાય, પોતાની જમીન-જાયદાદ છૂટી જાય, નોકરી-ધંધો છૂટી જાય... શું શું નથી છૂટી જતું એક શરણાર્થીના જીવનમાંથી? ટૂંકમાં, જીવનમાં જે કંઈ પોતાનું ગણીને પ્રેમથી જીવન જીવી રહ્યા હોઈએ, એ સઘળું એક ઝાટકે છૂટી જાય ત્યારે બચેલું જીવન વરદાન છે કે શાપ, એ નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે. આજે વિશ્વ શરણાર્થી દિવસ (20 જૂન, વર્લ્ડ રેફ્યુજી ડે) છે ત્યારે શરણાર્થીઓની સિતમયાત્રાને જાણવી અને સંવેદવી જરૂરી છે.

વર્તમાન વિશ્વમાં વ્યક્તિને શરણાર્થી બનાવતાં મુખ્ય ચાર કારણો પર નજર નાખીએ તો સૌથી પહેલાં આવે છે, યુદ્ધ. બે દેશોની સરહદ પર તણખા ઝરે ત્યારે ઘર-ગામ છોડવા પડતાં હોય છે. બીજું કારણ છે, આતંકવાદ. અમુક ક્ષેત્રોમાં જ્યારે કટ્ટરવાદીઓનું વર્ચસ્વ વધી જાય ત્યારે સામાન્ય લોકો ગામ-દેશ છોડવા મજબૂર બનતા હોય છે. ત્રીજું કારણ છે કોમી-વંશીય રમખાણો. રોહિંગ્યા મુસ્લિમોએ હાલમાં મ્યાનમાર છોડવા મજબૂર બનવું પડ્યું છે, તે આ કારણનું જલદ ઉદાહરણ છે. ચોથું અને સામાન્ય લોકોને ધ્યાનમાં ન આવતું કારણ છે, આર્થિક પરિયોજનાઓ. વિકાસના નામે ચાલતા પ્રોજેક્ટને કારણે હજારો લોકોએ વિસ્થાપિત થવું પડે છે. વિકાસ કરવો હોય તો ભોગ તો આપવો પડે, એ બોલવું સહેલું છે, પરંતુ મૂળ સાથે ઊખડવાની પીડા તો જેણે ભોગવી હોય એ જ જાણતું હોય છે. વિસ્થાપન માટેનાં કારણો જુદાં જુદાં હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના વિસ્થાપનોમાં એક નોંધપાત્ર સામ્યતા એ જોવા મળી છે કે ગરીબ, વંચિત, પછાત, હાંસિયામાં ધકેલાયેલા અને આદિવાસી સમૂહોએ જ વિસ્થાપનની વસમી પીડા વધારે ભોગવવી પડતી હોય છે, કારણ કે તેઓ પોતાનો અવાજ રજૂ કરવા માટે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સક્ષમ હોતા નથી. આથી તેમણે વસવાટ માટે અન્ય પ્રદેશ અપનાવવો પડે છે અને નવા પ્રકારની આજીવિકા ઊભી કરવા માટે મથવું પડે છે. અજાણ્યા લોકો, અજાણ્યા દેશ-પ્રદેશમાં જ્યાં પોતાનું કોઈ નથી હોતું ત્યાં તેમણે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવું પડે છે. શૂન્યમાંથી સર્જન કરવા માટે ઓછામાં ઓછી એક પેઢીએ તો ભોગ આપવો જ પડે છે.

શરણાર્થીઓને સામનો કરવો પડે એવી બીજી સમસ્યા એ છે કે દુનિયાના ભાગ્યે જ કોઈ સ્થળે તેમને આવકાર મળતો હોય છે. બહારથી આવેલાને શંકાથી કે ડરથી જોવામાં આવતાં હોય છે. વળી, શરણાર્થીઓના પુન:સ્થાપન માટે રાજ્ય કે દેશ પર જે આર્થિક ભારણ આવે છે, એની પણ અવગણના થઈ શકે નહીં.

શરણાર્થીઓની સિતમયાત્રા ઘણી લાંબી ચાલતી હોય છે. ચાલો, આપણે એવો સમાજ રચીએ, વિકાસનો એવો અભિગમ અપનાવીએ કે કદી કોઈએ વિસ્થાપિત ન થવું પડે.

(દિવ્ય ભાસ્કરની 20મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, March 7, 2018

મિસ યુ ગોલ્ડા માયર

દિવ્યેશ વ્યાસ


કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે 1969માં આજની તારીખે વડાપ્રધાન તરીકે ચૂંટાયેલાં ગોલ્ડા માયરને યાદ કરી લઈએ

(ગોલ્ડા માયરની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધીને મેળવી છે.)

ગોલ્ડા માયર, ઇઝરાયેલનાં પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન અને વડાપ્રધાન પદ સુધી પહોંચનાર વિશ્વની ત્રીજી મહિલા. વિશ્વ ઇતિહાસમાં ગોલ્ડા માયરનું નામ એક સન્માનનીય નેતા તરીકે સોનેરી અક્ષરે અંકિત થયેલું છે. આવતી કાલે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઊજવાશે. યુવતીઓ-મહિલાઓ માટે પ્રેરણાદાયક અને રોલમૉડલ સમી મહિલાઓને યાદ કરવામાં આવશે, જેમાં ગોલ્ડા માયરનું નામ પણ ચોક્કસ લેવાશે. જોકે, આજે તેમને યાદ કરવાનું નિમિત્ત મહિલા દિવસ ઉપરાંત તેમના જીવનનો મહત્ત્વપૂર્ણ પ્રસંગ પણ છે. ઈ.સ. 1969માં આજના દિવસે એટલે કે 7મી માર્ચના રોજ લેબર પાર્ટીની સેન્ટ્રલ કમિટીના 70 સભ્યોએ એક સૂરે ગોલ્ડા માયરને નવા વડાપ્રધાન તરીકે ચૂંટ્યાં હતાં. ઇઝરાયેલના ત્રીજા વડાપ્રધાન લેવી એસ્કોલના નિધન બાદ સ્થિતિ એવી હતી કે સામાન્ય ચૂંટણીને માત્ર આઠ જ મહિનાની વાર હતી. શાસક પક્ષ માટે વડાપ્રધાન પદ કોને સોંપવું, એ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો. વડાપ્રધાન પદના દાવેદારો એકથી વધારે હતા, પરંતુ પક્ષને સત્તાનું સુકાન 71 વર્ષનાં ગોલ્ડા માયરને સોંપવું જ મુનાસિબ લાગ્યું હતું. ‘ઘરડા ગાડા વાળે’ એવી કોઈ કહેવત શું હિબ્રુ ભાષામાં પણ હશે?! ગોલ્ડા માયરે 17મી માર્ચ, 1969ના રોજ વિધિવત્ રીતે ઇઝરાયેલનું વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.

વડાપ્રધાન બન્યાં પહેલાં ગોલ્ડા માયર અગાઉની સરકારોમાં શ્રમ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને આંતરિક બાબતોનું મંત્રાલય સંભાળી ચૂક્યાં હતાં, એ તો ખરું જ, પરંતુ ઇઝરાયેલની સ્થાપનામાં તેમની કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી, એ જાણવા જેવું છે. ઇઝરાયેલની આઝાદીનું જે જાહેરનામું બહાર પડ્યું, તેમાં કુલ 24 લોકોના હસ્તાક્ષર હતા, જેમાં માત્ર બે મહિલા હતી, એમાંનાં એક હતાં ગોલ્ડા માયર. આમ, ગોલ્ડા માયર ઇઝરાયેલના અસ્તિત્વ કરતાં પહેલાં પણ એક નેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યાં હતાં.

યુક્રેનમાં (તે વખતે રશિયાના તાબા હેઠળનો પ્રદેશ) 3 મે, 1898ના રોજ જન્મેલાં અને અમેરિકામાં ઉછરેલાં-ભણેલાં ગોલ્ડા માયર 20 વર્ષની વયથી જ જાહેરજીવનમાં સક્રિય બની ગયાં હતાં. કરિયાણાની દુકાન ધરાવતા પિતાની દીકરી તરીકે દુકાન સંભાળનારાં ગોલ્ડા માયરે પોતાના દેશને એટલી સારી રીતે સંભાળેલો કે આજે પણ તેમનું નેતૃત્વ જાહેરજીવનમાં આવનારી દુનિયાભરની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. દૃઢ મનોબળ ધરાવતાં તથા એક ઘા ને બે કટકામાં માનનારાં આ સ્પષ્ટવક્તા નેતા ઇઝરાયેલનાં ‘આયર્ન લેડી’ તરીકે પણ જાણીતાં છે. ગોલ્ડા માયર પરના લોકોના અતૂટ વિશ્વાસને કારણે તેમના નેતૃત્વમાં તેમનો પક્ષ એક નહિ, બે બે સામાન્ય ચૂંટણીઓ જીતી શક્યો હતો.

ગોલ્ડા માયરના કાર્યકાળ દરમિયાન જ મ્યુનિક ઓલિમ્પિકના હત્યાકાંડમાં ઇઝરાયેલના 11 ખેલાડીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ગોલ્ડા માયરે મોસાદના માધ્યમથી ખેલાડીઓના એકેએક હત્યારાને આખી દુનિયામાં શોધી શોધીને પતાવી દીધા હતા. મ્યુનિક હત્યાકાંડનો બદલો ગોલ્ડા માયરે જે સાહસ અને સપાટાભેર લીધો હતો, તેને કારણે પણ તેઓ આખી દુનિયામાં ચર્ચામાં રહ્યાં હતાં. ઇઝરાયેલના અસ્તિત્વ સામે ખતરો પેદા કરનારાઓને ગોલ્ડાએ છોડ્યા નહોતા. જોકે, તેમણે ઇઝરાયેલની ફરતે આવેલા આરબ દેશો સાથે સંબંધો સુધારવા અને શાંતિ સ્થાપના માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા હતા. ગોલ્ડાનું એક ખૂબ જાણીતું મરમી વાક્ય છે, ‘શાંતિ ત્યારે સ્થપાશે જ્યારે આરબ લોકો ઇઝરાયેલને નફરત કરવા કરતાં પોતાનાં સંતાનોને વધારે પ્રેમ કરશે.’

આજે આતંકવાદની સમસ્યા વિશ્વભરને સતાવી રહી છે ત્યારે બોલબચ્ચન નેતાઓ તો ઘણા છે, પરંતુ ગોલ્ડા માયર જેવા ખરા અર્થમાં પોલાદી નેતાઓની ખોટ સાલી રહી છે. મિસ યુ ગોલ્ડા માયર!

(‘દિવ્ય ભાસ્કર’ની 7મી માર્ચ, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ )

Wednesday, February 28, 2018

યુદ્ધ પહેલાંની શાંતિ?

દિવ્યેશ વ્યાસ


આક્રમક નેતાઓની બોલબાલા જોતાં કહેવાતો ‘દીર્ઘ શાંતિકાળ’ હજુ કેટલો ટકશે, એ મોટો સવાલ છે


(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધી છે.)

યુદ્ધમાં વિજય કે પરાજય મળે, એ તો એક મોટો ભ્રમ છે. યુદ્ધ એટલે યાતના. વિજેતા હોય કે પરાજિત, યુદ્ધ કરનાર તમામને યાતના ભોગવવી જ પડે છે. વિજેતા કદાચ જીત્યાનું અભિમાન દાખવી શકે, છતાં યાતનાથી બચી શકતો નથી. યુદ્ધની પીડા રણમેદાનમાં લડનારા સૈનિક સુધી સીમિત ન રહેતાં તેના પરિવાર અને સમાજ સુધી વિસ્તરતી હોય છે. યુદ્ધની કથા ભલે રમ્ય રીતે રજૂ કરાતી આવી હોય, બાકી વાસ્તવિકતા રમ્ય નહીં, રક્તરંજિત હોય છે. કોઈ પણ યુદ્ધનો અંત લોહી અને આંસુ જ હોય છે. ડાહ્યા લોકો યુદ્ધને ‘છેલ્લો ઉપાય’ તરીકે પસંદ કરતા હોય છે. અલબત્ત, ઇતિહાસના અનુભવો જોતાં કહી શકાય કે યુદ્ધથી કદાચ ઉકળાટની અભિવ્યક્તિ શક્ય બને પણ ઉકેલ ભાગ્યે જ મળતો હોય છે.

આપણે છેલ્લાં 70 વર્ષથી પ્રમાણમાં શાંતિપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં નાનાં-મોટાં યુદ્ધો જરૂર થયાં છે, છતાં મહાયુદ્ધો ટાળી શકાયાં છે. દુનિયા અને યુદ્ધો અંગે કોલોરાડો યુનિવર્સિટીના કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ ડૉ. એરોન ક્લોસેટ દ્વારા એક આંકડાકીય અભ્યાસ કરવામાં આવ્યો છે. ડૉ. એરોને ‘ધ કૉરલેટ ઑફ વૉર પ્રોજેક્ટ’ના અધિકૃત ગણાતા આંકડાના આધારે ઈ.સ. 1823થી 2003 દરમિયાન દુનિયામાં થયેલાં યુદ્ધોનું વિશ્લેષણ કરીને કેટલાંક રસપ્રદ તારણો કાઢ્યાં છે. 1823થી 2003નાં વર્ષોમાં દુનિયાએ કુલ 95 યુદ્ધો જોયાં છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધનો ઈ.સ. 1914થી 1945નો સમયગાળો માનવ ઇતિહાસનો સૌથી વધારે રક્તરંજિત સમયગાળો છે.

ડૉ. એરોને આ સમગ્ર સમયખંડને ત્રણ ભાગમાં વહેંચી દીધો છે. 1823થી 1914ના ગાળામાં ઘણાં મોટાં યુદ્ધો થયાં હતાં. આ ગાળામાં કુલ 19 મોટાં યુદ્ધો થયેલાં. આમ, દર 6.2 વર્ષે એક મોટું યુદ્ધ દુનિયાએ જોયું હતું. તે પછીનો 1914થી 1945ના તબક્કામાં દુનિયાએ ઉપરાઉપરી બે મહાયુદ્ધો જોયાં અને લાખો લોકોનાં લોહી વહ્યાં હતાં. દર 2.7 વર્ષે કોઈ ને કોઈ યુદ્ધ ફાટી નીકળ્યું હતું.

ઈ.સ. 1945થી આજ દિન સુધી 70 વર્ષમાં મોટાં કહી શકાય એવાં 10 યુદ્ધો જ થયાં છે. આમ, બીજા વિશ્વયુદ્ધ પછી દર 12.8 વર્ષે એક યુદ્ધ થયું છે. આમ, આ ગાળામાં યુદ્ધોની સંખ્યા અને યુદ્ધમાં મરનારાઓની સંખ્યાની સરખામણીએ ખાસ્સો ઘટાડો થયો હોવાથી આ સમયગાળાને ‘દીર્ઘ શાંતિકાળ’ ગણવામાં આવે છે. આ શાંતિકાળ લાંબો ચાલવા પાછળનાં પરિબળોની ચર્ચા નિષ્ણાતો વચ્ચે થતી રહે છે. દુનિયામાં વિસ્તરેલી અને વિકસતી લોકશાહી, વૈશ્વિકીકરણના સમયમાં બે દેશો વચ્ચે વધતું આર્થિક પરસ્પરાવલંબન તથા પરમાણુ યુદ્ધથી સાર્વત્રિક વિનાશનો ડર, આ ત્રણ કારણો બે કે તેથી વધુ દેશો વચ્ચેના યુદ્ધને અટકાવવા મજબૂર કરતાં હોવાનું મનાય છે.

ડૉ. એરોનનું એક તારણ છે કે બીજા વિશ્વયુદ્ધ જેવું વિનાશક મહાયુદ્ધ દર 205 વર્ષે થતું હોય છે. એ દૃષ્ટિએ આપણે આશ્વાસન લઈ શકીએ કે હવે પછીનું મહાયુદ્ધ 135 વર્ષે થશે. જોકે, વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ-સંજોગો જોતાં આ અંદાજ ગળે ઊતરે એમ નથી. ખુદ ડૉ. એરોન પણ સ્વીકારે છે કે આ માત્ર આંકડાકીય તારણ છે, એટલે કોઈ ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. દુનિયામાં અત્યારે જે પ્રકારનું નેતૃત્વ વિકસી રહ્યું છે. પુતિનનો ભાઈ ઘંટી ટ્રમ્પ સત્તામાં આવી રહ્યો છે, તે જોતાં યુદ્ધની આશંકા તીવ્ર બનતી જાય છે.

તાજેતરમાં સીરિયાના ઘોઉટા નગર પર સીરિયા અને રશિયાના લશ્કરે કરેલા હુમલામાં પાંચ દિવસમાં કુલ 462 લોકોનાં મોત થયાં અને એમાં 99 તો બાળકો હતાં, એ હકીકત જાણીને સમગ્ર વિશ્વમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ગમે તે માનો, લોકો વધારે સંવેદનશીલ બન્યા છે અને એટલે જ લોકશાહી ધરાવતા દેશો માટે યુદ્ધે ચડવું એટલું આસાન નથી. તમને લોકશાહી પસંદ છે કે લોહિયાળ યુદ્ધો?

(‘દિવ્ય ભાસ્કર’ની 28મી ફેબ્રુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Friday, November 11, 2016

વિશ્વશાંતિના 'મનુ'નીય વિચારો

દિવ્યેશ વ્યાસ


મનુભાઈએ અત્યંત આત્મવિશ્વાસપૂર્વક સમજાવેલું છે કે બાળકોના ઉછેર અને કેળવણીમાં વિશેષ કાળજી રાખીને જ વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે શાંતિની સ્થાપના શક્ય બનશે


 (મનુભાઈ પંચોળી ‘દર્શક’ના ચિત્રની છબિ ડૉ. અશ્વિન ચૌહાણે લીધેલી છે.)

 દુનિયાએ પહેલી વખત જોયેલું વિશ્વવ્યાપી અને અત્યંત વિનાશક એવા પ્રથમ વિશ્વયુદ્ધને વર્ષ 2014માં 100 વર્ષ પૂરાં થયેલાં. પહેલું વિશ્વયુદ્ધ 11 નવેમ્બર, 1918ના રોજ પૂર્ણ જાહેર થયેલું. ઇ.સ. 1914થી 1918 સુધી, એમ ચારેક વર્ષ લાંબા ચાલેલા આ યુદ્ધમાં એક અંદાજ પ્રમાણે આશરે 85 લાખથી વધુ સૈનિકો અને 70 લાખ જેટલા સામાન્ય લોકોનાં મોત થયાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધને લીધે વેરાયેલા જાન-માલના વિનાશ પછી દુનિયાને ડહાપણ લાધ્યું હતું કે યુદ્ધ માનવજાત માટે કેટલું ખતરનાક છે. ફરી ક્યારે ય યુદ્ધ ન થાય એ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કરારો કરવામાં આવ્યા હતા અને જર્મની સહિતના દેશો પર અમુક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જોકે, આ શરતો અને સંધિઓએ જ બીજા વિશ્વયુદ્ધનાં બીજ વાવ્યાં હોવાનું કહેવાય છે. દુનિયાએ થોડાં જ વર્ષો પછી બીજા વિશ્વયુદ્ધના સાક્ષી અને પીડિત બનવું પડયું. બીજા વિશ્વયુદ્ધ પછી વચ્ચેના ગાળામાં શીત યુદ્ધ દરમિયાન દુનિયા બે જૂથમાં વહેંચાઈ હતી, પણ સામસામી આવી નહોતી. આમ તો આજ દિન સુધી ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી, પરંતુ દુનિયાભરમાં ઠેકઠેકાણે ચાલતાં નાનાં-મોટાં યુદ્ધ કે સંઘર્ષને કારણે રોજેરોજ અનેક લોકો જાન ગુમાવી રહ્યા છે, એ દુઃખદ સચ્ચાઈ છે. દુનિયાએ વાર્યે નહીં તો હાર્યે એક ને એક દિવસ તો યુદ્ધ અને સંઘર્ષનો માર્ગ છોડીને રચનાનો, સર્જનનો, શાંતિનો માર્ગ શોધવો જ પડશે.

પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દીની સમાંતરે રણજિતરામ સુવર્ણચંદ્રકથી લઈને પદ્મભૂષણ જેવા પુરસ્કારોથી પોંખાનારા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક'ની જન્મ શતાબ્દી પણ 2014માં ઊજવાઈ હતી. 'સોક્રેટિસ' અને 'ઝેર તો પીધાં જાણી જાણી' જેવી મહાન નવલકથા લખનારા મનુભાઈ મૂળે તો ઇતિહાસ અને સંસ્કૃિતના જાણતલ હતા. ગાંધી વિચારોમાં પ્રબળ નિષ્ઠા ધરાવતા મનુભાઈએ શિક્ષણ અને સાહિત્ય થકી સમાજને ઢંઢોળવા અને કેળવવાનું કાર્ય આજીવન કર્યું હતું. પરમ દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિની વર્ષગાંઠ છે ત્યારે દર્શકદાદાના વિશ્વશાંતિ અંગેના વિચારોને વાગોળવાની એક તક ઝડપવા જેવી છે. યુદ્ધના ઉકેલ અને વિશ્વશાંતિ સ્થાપવાનાં સૂચનો રજૂ કરતાં મનુભાઈનાં ચાર વ્યાખ્યાનોને સંપાદિત કરીને મોહન દાંડીકર અને પ્રવીણભાઈ શાહે 'વિશ્વશાંતિની ગુરુકિલ્લી' નામે એક પુસ્તિકા તૈયાર કરેલી છે. આ પુસ્તિકામાં મનુભાઈએ અત્યંત આત્મવિશ્વાસપૂર્વક સમજાવ્યું છે કે બાળકોના ઉછેર અને કેળવણીમાં વિશેષ કાળજી રાખીને જ વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે શાંતિની સ્થાપના શક્ય બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે બાળકનો ઉછેર અને કેળવણી એ રીતે થવાં જોઈએ કે તેના મનમાં અજંપો કે અપરાધનાં નહીં પણ સંવેદના અને સર્જનનાં બીજ રોપાય. એક પ્રવચનમાં દર્શકદાદાએ કહ્યું છે, "બાળકને સ્વાનુભવની બારાક્ષરી પર અનંતનો પરિચય થાય છે. અનુભવે એને ભાન થશે કે જગતમાં સજીવ-નિર્જીવ બે વસ્તુ છે. ઝાડને પાણી પાવું પડે છે. દેડકા, કીડીને પણ સુખ-દુઃખનો અનુભવ થાય છે. હું અને આ કૂતરું બંને સગાં છીએ. બંનેનાં સુખદુઃખ સમાન છે. આવી સંવેદના બાળકમાં જાગશે તો જગતમાં શાંતિ થશે. આપણે શાંતિ સ્થાપવા માટે અનેક પ્રયત્નો કરીએ છીએ, આંદોલનો ચલાવીએ છીએ, પણ છતાં ય શાંતિ સ્થપાતી નથી, કારણ કે બાળપણમાં માણસના ચિત્તમાં આ સમભાવના, સંવેદનાને પ્રગટ થવાની તક મળી નથી, ક્રમિકતાનો અનુભવ નથી મળ્યો, ચિત્તમાં પરભાવના ઉછરતી રહી છે. પછી મોટી ઉંમરે ઘણી ય મથામણ કરો, ભાગવત-ગીતાની પારાયણો કરો, પણ ખેતરના દાણા ચરી ગયા પછી ખેડૂત ઘણા ય હોંકારા-પડકારા કરે તેવી આ વાત છે."

બાળકોમાં આક્રમકતાને ઉત્તેજન નહીં આપવાની અપીલ કરતાં મનુભાઈએ કહ્યું હતું, "માસ્તર બાળકની હથેળીમાં આંકણી મારે છે ત્યારે વિદ્રોહનાં બીજ ચિત્તમાં વવાઈ જાય છે. બેઝિક રૂટ્સ ઓફ એગ્રેસન બાળચિત્તમાં વાવીએ અને પછી શાંતિ માટે રાત'દી દોડા કરીએ તો કેમ ચાલે? જે ચિત્તમાં વિરોધોનાં, વિદ્રોહનાં જાળાં નથી, તે લડવા માટે ઉત્સુક નહીં થાય. એટલે શાંતિનું સાચું ક્ષેત્ર બાળપણ છે. તમે (શિક્ષકો) સાચા શાંતિસૈનિક છો."

મનુભાઈ માને છે, "અવકાશયાનો, ઉપગ્રહો, આઈસીબીએમ એ બધાએ શિવનું ક્ષેત્ર નથી વધાર્યું. શક્તિનું વધાર્યું છે ... શક્તિ વધી તેના પ્રમાણમાં શિવત્વ વધ્યું નથી. આથી મેં કહ્યું કે મોટી શોધ અણુ કે પરમાણુ શક્તિને હું નથી ગણતો. છેલ્લાં પચાસ વર્ષમાં થયેલી મોટામાં મોટી શોધ હું બાલશિક્ષણશાસ્ત્રની ગણું છું. મારી અફર શ્રદ્ધા છે કે જો માનવજાતને મુક્તિનો અનુભવ લેવો હશે, તો તેણે બાલશિક્ષણની આ શોધ પાસે આવવું પડશે. ત્યારે જ શાંતિનું ક્ષેત્ર વિસ્તરશે, ત્યારે જ મુક્તિનું સાચું પ્રભાત ઊઘડશે."

"યુદ્ધ પહેલાં માણસોના હૃદયમાં શરૂ થાય છે ને ત્યાં જ તેને ડામવું જોઈએ. વ્યક્તિઓના હૃદયમાં જ પરિવર્તન કરવાની રીત માનવજાત જમાનાઓથી શોધતી આવી છે, કારણ કે વ્યક્તિ પોતે આક્રમણ ન કરે, કે આક્રમક ન હોય તો તોપો જાતે કાંઈ ફૂટવા માંડતી નથી." મનુભાઈનો કહેવાનો સાર એટલો જ હતો કે બાળકનો ઉછેર અને કેળવણી એ રીતે થવાં જોઈએ કે તેના મનમાં અજંપો, અપરાધનાં કે આક્રમકતાનાં નહીં પણ સંવેદના અને સર્જનનાં બીજ રોપાય તો અને ત્યારે જ વિશ્વશાંતિનું સપનું સાકાર થશે.

(‘સંદેશ’ની 9મી નવેમ્બર, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, થોડા સુધારા સાથે)

Wednesday, August 24, 2016

જ્યારે વ્હાઇટહાઉસ ભડકે બળ્યું

દિવ્યેશ વ્યાસ


1812ના યુદ્ધમાં બ્રિટિશ આર્મીએ વૉશિંગ્ટન ડીસીમાં વ્હાઇટહાઉસ સહિતની જાહેર ઇમારતોને આગ ચાંપેલી

(તસવીરો વિકિસ્રોત અને અન્ય વેબસાઇટ પરથી લીધેલી છે.)

અમેરિકામાં પ્રમુખપદ માટે ચૂંટણી લડનારાં હિલેરી ક્લિન્ટન અને ડોનલ્ડ ટ્રમ્પને આજકાલ કદાચ વ્હાઇટહાઉસમાં વસવાનાં સ્વપ્નો આવી રહ્યાં હશે. વ્હાઇટહાઉસ એક ઇમારત જ નથી, પરંતુ દુનિયાની એકમાત્ર મહાસત્તાના પાવરનું પ્રતીક બની ગયું છે. પણ, શું તમે કલ્પના કરી શકો કે આ જ વ્હાઇટહાઉસને વિરોધી દેશના સૈન્યએ આગ ચાંપી દીધી હતી? હા, વ્હાઇટહાઉસ એક દિવસ ભડકે બળ્યું હતું અને વ્હાઇટહાઉસને આગ લગાડનાર સૈન્ય હતું બ્રિટનનું! અમેરિકાના ઇતિહાસમાં તેની રાજધાની વૉશિંગ્ટન ડીસી પર માત્ર એક જ વાર દુશ્મન દેશ કબજો કરી શક્યું છે. વૉશિંગ્ટન પર પહેલી અને છેલ્લી વાર કબજો કરીને બ્રિટિશ આર્મીએ માત્ર વ્હાઇટહાઉસ જ નહીં, અમેરિકી સરકારના મુખ્યાલય કેપિટલ, યુએસ ટ્રેજરી બિલ્ડિંગ, યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ વૉર સહિતની અમેરિકન સરકારની મહત્ત્વપૂર્ણ ઇમારતોને આગ ચાંપી દેવાઈ હતી. કેપિટલ બિલ્ડિંગની સાથે સાથે લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસના 30,000 જેટલા ગ્રંથો અને ઐતિહાસિક દસ્તાવેજો આગમાં ખાખ થઈ ગયા હતા.

છેલ્લી બે સદીથી અમેરિકા અને બ્રિટન દુનિયાના કોઈ પણ દેશ સામે ખભેખભો મિલાવીને લડે છે, પરંતુ એક જમાનો એવોય હતો જ્યારે બ્રિટિશ અને અમેરિકા પણ સામસામે યુદ્ધે ચડતાં હતાં. વાત 1812ની છે જ્યારે અમેરિકાએ બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું હતું, એ વખતે બ્રિટિશ આર્મી નેપોલિયન સામે કરો યા મરોનો જંગ ખેલી રહ્યું હતું. 1814માં નેપોલિયનને પરાસ્ત કરીને બ્રિટિશ આર્મીએ અમેરિકાને પાઠ ભણાવવા માટે કમર કસી હતી. બ્રિટિશ આર્મીએ અમેરિકાનાં કેટલાંક બંદરો જીતી લીધાં હતાં. અમેરિકાનું સૈન્ય એ વખતે એટલું મજબૂત નહોતું. વળી, અમેરિકાના ચોથા રાષ્ટ્રપ્રમુખ જેમ્સ મેડીસનને અમેરિકાના સૈન્ય અને શસ્ત્રસરંજામને સમૃદ્ધ-શક્તિશાળી બનાવવાની જરૂર નહોતી વર્તાતી એટલે અમેરિકામાં મોટા પ્રમાણમાં તાલીમબદ્ધ સૈનિકો કે આધુનિક શસ્ત્રોનો અભાવ હતો. આ નબળાઈને કારણે જ મેરીલેન્ડના બ્લેડન્સબર્ગ ખાતે બ્રિટિશ આર્મી સામે અમેરિકાના જવાનો ખાસ ઝીંક ઝીલી શક્યા નહોતા. અમેરિકાના પ્રમુખ મેડીસન પોતે બ્લેડન્સબર્ગનું યુદ્ધ લડ્યા હતા, છતાં અમેરિકાએ ભૂંડા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય વાત એ છે કે જેમ્સ મેડીસન અમેરિકાના પહેલા અને છેલ્લા એવા રાષ્ટ્રપ્રમુખ છે, જેમણે સામી છાતીએ યુદ્ધ લડ્યું હોય!

એ સમયે પ્રેસિડેન્સિયલ મેન્સન કહેવાતા વ્હાઇટહાઉસને આગ લગાડાયેલી પણ વરસાદી વાવાઝોડાએ આગ બુઝાવી દીધી હતી.

 બ્લેડન્સબર્ગમાં અમેરિકાને પરાસ્ત કરીને બ્રિટિશ આર્મીએ મેજર જનરલ રોબર્ટ રોસની આગેવાનીમાં અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસી તરફ કૂચ કરી હતી. યુદ્ધમાં અમેરિકા હાર્યાના સમાચારને કારણે રાજધાનીમાંથી પ્રધાનો, રાજકીય નેતાઓ અને અધિકારીઓ વૉશિંગ્ટન છોડીને ભાગી ગયા હતા. રોબર્ટ રોસને ખુલ્લું મેદાન મળી ગયેલું અને તેણે આજના દિવસે એટલે કે ઈ.સ. 1814ની 24મી ઑગસ્ટના રોજ વૉશિંગ્ટન પર આસાનીથી કબજો જમાવી દીધો હતો. ખાલી પડેલા વ્હાઇટહાઉસમાં, જેને ત્યારે પ્રેસિડેન્સિયલ મેન્સન કહેવાતું તેમાં રોબર્ટ રોસે વટભેર ભોજન લીધું હતું અને પછી બ્રિટિશ આર્મીએ વ્હાઇટહાઉસ સહિતની અમેરિકી સરકારની ઇમારતોને આગ ચાંપવાનું શરૂ કર્યું હતું અને અમેરિકાની રાજધાની ભડભડ બળી હતી. એ દિવસે કુદરત અમેરિકાની વહારે આવી હતી અને વરસાદી વાવાઝોડુ ફૂંકાતાં લગાડવામાં આવેલી આગ બુઝાઈ ગયેલી અને વધુ નુકસાન અટક્યું હતું.


કહેવાય છે કે અમેરિકન દળોએ અગાઉ કેનેડાની સરકારી ઇમારતોને આગ ચાંપી હતી, તેનો આ રીતે બદલો લેવામાં આવ્યો હતો. જોકે, બિટિશ આર્મીએ એક દેશની રાજધાની અને સંસદને આ રીતે સળગાવી હોવાની ટીકા ખુદ બ્રિટનમાં મોટા પાયે થઈ અને બ્રિટિશ આર્મીએ 26મી ઑગસ્ટે વૉશિંગ્ટન પરનો કબજો છોડી દીધો હતો. બાદમાં તો યુદ્ધ પણ પૂરું થયું અને અમેરિકામાં રાજધાની કોઈ અન્ય શહેરમાં ખસેડવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. અલબત્ત, અમેરિકી સંસદે વૉશિંગ્ટનને જ રાજધાની રાખવાનો નિર્ણય કર્યો હતો. 1815થી 1819 દરમિયાન કેપિટલ બિલ્ડિંગ અને 1815થી 1817 દરમિયાન વ્હાઇટહાઉસનું પુનર્નિર્માણનું કામ ચાલ્યું હતું. આ પરાજય અને નાલેશી પછી જ અમેરિકાએ પોતાનાં સૈન્ય અને શસ્ત્રોને સશક્ત-સક્ષમ બનાવવા કમર કસી હતી.

(‘દિવ્ય ભાસ્કર’ની 24 ઑગસ્ટ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, March 23, 2016

લોહીઝાણ લાડકવાયાં

દિવ્યેશ વ્યાસ


ઇન્ટરનેટ પર સીરિયાનાં યુદ્ધગ્રસ્ત બાળકોની તસવીરો જોઈ લેજો, પછી ક્યારેય યુદ્ધનું નામ નહીં લો!

(તસવીરો ગૂગલ પરથી મેળવી છે)

ર્ષ 2015માં બે એવી તસવીર સામે આવી, જેણે દુનિયાના કરોડો લોકોની આંખો ભીંજવી દીધી હતી. એક તસવીર હતી દરિયાકાંઠે નિશ્ચેતન પડેલા એલનની અને બીજી તસવીર હતી અન્ય સીરિયન બાળકની જેણે કેમેરાને પણ બંદૂક માનીને હાથ ઊંચા કરી લીધા હતા. તસવીરોએ સીરિયન ગૃહયુદ્ધનો ભયાવહ ચહેરો સમગ્ર વિશ્વ સામે ઉજાગર કરીને સીરિયાના નિર્દોષ લોકો પ્રત્યે સહાનુભૂતિ જગાડી હતી ને પાડોશી દેશોએ નિરાશ્રિતો માટે દ્વાર ખોલેલાં. 



માર્ચ-2011થી ફાટી નીકળેલા સીરિયન ગૃહયુદ્ધને જોતજોતામાં પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં છે. ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સીરિયા ઉપરાંત ઇરાકમાં પણ 'કાળો કેર' વર્તાવી રહ્યા છે અને ત્યાંના લોકોની જિંદગી બેહાલ બની ગઈ છે. સીરિયામાં સૌથી દયનીય હાલત બાળકોની થઈ છે. સીરિયન ગૃહયુદ્ધનાં પાંચ વર્ષ નિમિત્તે ગયા સપ્તાહે યુનિસેફ દ્વારા 'નો પ્લેસ ફોર ચિલ્ડ્રન' નામનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. અહેવાલના આંકડા આંખો ઉઘાડે એવા નહિ, આંખો ભીની કરે એવા છે. 



 'નો પ્લેસ ફોર ચિલ્ડ્રન' અહેવાલ મુજબ સીરિયાનાં 80 ટકા બાળકો યુદ્ધગ્રસ્ત સ્થિતિમાં છે. પાંચ વર્ષથી નાની વયનાં મોટા ભાગનાં બાળકોએ યુદ્ધ સિવાય કંઈ જોયું નથી! સીરિયાની આશરે 2 કરોડ 30 લાખની વસ્તીમાંથી અડધોઅડધ આબાદીએ પોતાનું ઘર છોડીને નિરાશ્રિત જીવન જીવવું પડી રહ્યું છે. એક અંદાજ મુજબ 70 લાખ લોકો યુદ્ધગ્રસ્ત સીરિયાને છોડીને આડોશપાડોશના દેશોમાં હિજરત કરી ગયા છે, જેમાં 24 લાખ બાળકોનો સમાવેશ થાય છે. બાળકો પાસે નથી બે ટંકનું ભોજન કે નથી રમવા કોઈ રમકડું ત્યારે શાળાનું સપનું જોવાનું સાહસ પણ ક્યાંથી થાય? સીરિયામાં રહેતાં 21 લાખ બાળકોની શાળા છૂટી ગઈ છે, કારણ કે કાં તો શાળાઓને તહસનહસ કરી દેવાઈ છે કે પછી બાળકોએ માતા-પિતા સાથે સ્થળાંતર કરવું પડ્યું છે. પાડોશી દેશોમાં નિરાશ્રિત જીવન જીવતાં આશરે લાખો બાળકોને ભણાવનારું કોઈ નથી. આમ, આશરે ત્રીસેક લાખ બાળકો શિક્ષણથી વંચિત છે.

સીરિયન યુદ્ધમાં દસમા ભાગની વસ્તી કાં મોતને ભેટી છે કે ઈજાગ્રસ્ત છે. આશરે 2 લાખ 70 હજાર લોકોએ જીવ ગુમાવ્યાનો અંદાજ છે અને હજારો બાળકો અનાથ બન્યાં છે. ગરીબ પરિવારનાં માંડ સાતેક વર્ષનાં નાનાં બાળકો પેટનો ખાડો પૂરવા માટે સશસ્ત્ર દળોમાં જોડાવા મજબૂર છે, તો નાની દીકરીઓ બાળલગ્નો કરવાં માટે મજબૂર છે. છેલ્લાં પાંચ વર્ષમાં સીરિયામાં 18 વર્ષથી નાની તરુણીઓનાં લગ્નનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું હોવાનું નોંધાયું છે.

છેલ્લાં પાંચ વર્ષમાં સીરિયામાં અને સીરિયન પ્રજાનાં 37 લાખ બાળકોનો જન્મ થયો છે. અલબત્ત, યુએન રેફ્યુઝી એજન્સીના આંકડા અનુસાર આશરે 1,51,000 બાળકો નિરાશ્રિત તરીકે જન્મ્યાં છે, જ્યારે સીરિયાની બહાર 3,02,000 બાળકો રેફ્યુઝી કેમ્પોમાં જન્મ્યાં છે. એકલા લેબેનોનમાં 70,000 બાળકોનો જન્મ થયો છે.
વર્ષ 2015માં બાળકો પર આશરે 1500 જેટલા હુમલા થયા, જેમાં 400 બાળકોએ જીવ ગુમાવ્યાં અને 500 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. કોઈનાં લાડકવાયાંઓને કોણ બચાવશે? કોણ ભણાવશે? કોણ શીખવશે શાંતિના-વિકાસના પાઠ?

(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિના 23 માર્ચ, 2016ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)